હઝરત સય્યદુશ્શોહદાનું સરે અકદસ કયાં દફન છે
દસ મોહર્રમ આશુરાના હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની હૃદય દ્રવિત શહાદતની ઘટના ઘટી ગયા પછી ખુદા અને રસુલને ભુલી ગએલા યઝીદના લશ્કરે અહલેબય્તના તંબુઓને આગ લગાડી, અહલે હરમને લૂંટયા, લાશોને પાયમાલ કરી. યઝીદના લશ્કરના વડા ઉમરે સઅદે હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર સર ખુલી બીન યઝીદ અસ્બહી અને હમીદ બીન મુસ્લિમની સાથે અને બાકીના શોહદાઓના પવિત્ર સરો શીમ્ર બીન ઝીલ જવશન, કયસ બીન અશઅસ અને અમરૂ બીજ હજ્જાજની સાથે કુફાના હાકીમ ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદની તરફ રવાના કર્યા. ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદે હ. ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસ સાથે બેહુરમતી કરવામાં કોઈ કસર ન છોડી. સરોને કુફાના શહેરમાં ફેરવવામાં આવ્યા. શામથી જવાબ આવ્યા પછી પાકીઝા સરોને યઝીદ બીન મોઆવીયાના દરબારમાં શામ તરફ રવાના કરી દીધા.