કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારના દરજ્જાઓ
આવો, આપણે જોઇએ કે ઇમામ હુસયન (અ.સ.)ની ઝીયારત કરનારાની કયામતના મેદાનમાં શું શાનો શૌકત હશે. આ હકીકત માત્ર એજ મહાનુભાવો બતાવી શકે જેની દ્રષ્ટિ દુનિયા અને આખેરત ઉપર સરખી હોય. કયામતના દ્રષ્યો તેઓની સામે એવી રીતે સ્પષ્ટ છે જેવી રીતે સામે બેસેલો માણસ. અગાઉના લેખમાં આ બાબત ઉપર તો ઇશારો કરી ચૂક્યા છીએ કે ઝવ્વારનું સન્માન અને બખ્શીશનો સિલસિલો તો ત્યારથી જ શરુ થઇ જાય છે ,જ્યારે ઇનસાન ઝીયારતનો ઇરાદો કરે છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો એક વખતની મુલાકાતને વધારે યાદ નથી રાખતા. તેમજ દરેક વખતે તેનું ધ્યાન અને માન નથી રાખતા, પરંતુ આ પવિત્ર અહલેબયત (અ.સ.ની બખ્શીશની શાન અને ગુલામ નવાઝી છે કે જેણે એક વખત તેમની ઝીયારત કરી અને એક વખત મઅરેફતની સાથે તેમની મુલાકાત માટે ગયા, તેને તેઓ જીદંગીના દરેક પ્રસંગે ન માત્ર યાદ રાખે છે પરંતુ તેની મુશ્કેલીઓ હલ કરતા રહે છે.