ગયબત અને સંવેદનશિલતા

Print Friendly, PDF & Email

ગયબતની મુશ્કેલીઓ અને સવાબ

(૧) વિલાયતનું ઇમ્તેહાન:

ઇમામ અલી (અ.સ.) અથવા હસન ઇબ્ને અલી (અ.સ.)થી રિવાયત છે:

َ إِنَّ اللَّهَ افْتَرَضَ‏ خَمْساً وَ لَمْ‏ يَفْتَرِضْ‏ إِلَّا حَسَناً جَمِيلًا الصَّلَاةَ وَ الزَّكَاةَ وَ الْحَجَّ وَ الصِّيَامَ وَ وَلَايَتَنَا أَهْلَ الْبَيْتِ فَعَمِلَ النَّاسُ بِأَرْبَعٍ وَ اسْتَخَفُّوا بِالْخَامِسَةِ وَ اللَّهِ لَا يَسْتَكْمِلُوا الْأَرْبَعَةَ حَتَّى يَسْتَكْمِلُوهَا بِالْخَامِسَةِ.

‘બેશક અલ્લાહ તબારક વ તઆલાએ પાંચ વસ્તુઓ વાજીબ કરી છે અને તેણે કોઇ વસ્તુ વાજીબ નથી કરી સિવાય કે જે સારી (અહસન) અને સુંદર હોય. નમાઝ, ઝકાત, હજ્જ, રોઝા અને અમો એહલેબય્તની વિલાયત, પછી લોકોએ ચારની ઉપર અમલ કર્યો અને પાંચમી વસ્તુને હલકી ગણી. અલ્લાહની કસમ તેઓ આ ચારેયને સંપૂર્ણ નહીં કરી શકે જ્યાં સુધી કે આ પાંચમીને સંપૂર્ણ કરવામાં આવે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૨૩, પાના નં. ૧૦૫)

(૨) ઉમ્મતે મુસ્લેમા માટે આખરી અને સૌથી મુશ્કેલ ઇમ્તેહાન ગયબતની મુશ્કેલીઓ છે:

ઇમામ મુસા બિન જઅફર (અ.સ.) ફરમાવે છે:

إِذَا فُقِدَ الْخَامِسُ‏ مِنْ‏ وُلْدِ السَّابِعِ مِنَ الْأَئِمَّةِ

‘જ્યારે અઇમ્મામાંથી સાતમાંના પાંચમાં ફરઝંદ ગયબત ઇખ્તેયાર કરે તો અલ્લાહની ખાતર તમે તમારા દીનનું રક્ષણ કરજો. એવું ન બને કે કોઇ તમોને તેનાથી ઝાએલ કરી નાંખે. અય મારા બેટા (ઇમામત)ના સાહેબના માટે ગયબત નિશ્ર્ચિત છે. એટલે સુધી કે જે આપ (અ.સ.)ની ઇમામતના કાએલ હશે તે પણ આ અમ્રથી ફરી જશે.

આ અલ્લાહ અઝઝ વજલ્લના તરફથી મુશ્કેલી છે જેના વડે તે પોતાની મખ્લુકનું ઇમ્તેહાન લેશે.’

(ઉર્દુ બેહારૂલ અન્વાર, ભાગ – ૧૧, પાના નં. ૬૩૦) (બેહારૂલ અન્વાર ભાગ – ૫૨, પાના નં. ૧૧૩, ૨૬)

‘શીઆઓ માટે ગયબતનો સમય અને તેના દિવસો ઘણા ભારે અને કમજોર બનાવી દેનારા છે. પરંતુ બીજી બાજુ જે કાંઇપણ હદીસોમાં આવ્યું છે તેમાં છે કે જે કોઇ પોતાના ઇમાન પર સાબિત કદમ રહે, ઇમામ (અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરે અને આ બધી તકલીફોની સાથે પોતાના દીનની હદોનું રક્ષણ કરશે તેના માટે ઉંચા દરજ્જાઓ અને ઇનામો છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૧, પાના નં. ૬૬૭)

અમ્મારે સબાતી ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત કરે છે.

મેં કહ્યું : અય મૌલા! આ બે કામમાંથી ક્યું કામ વધારે સારૂ છે.

બાતિલ હુકુમતમાં તમો એહલેબૈત (અ.સ.)માંથી ગાએબ ઇમામના ઝમાનામાં છુપાઇને કરવામાં આવતી ઇબાદત કે પછી હકની હુકુમતમાં ઝુહુરના ઝમાનામાં ઇમામે જાહેરની સાથે કરવામાં આવતી ઇબાદત?

ઇમામ (અ.સ.)એ જવાબમાં ફરમાવ્યું:

‘અય અમ્માર! ખુદાની કસમ! છુપો સદકો જાહેર સદકા કરતા વધુ મુલ્ય ધરાવે છે અને તેવી જ રીતે, ખુદાની કસમ! તમારી છુપી ઇબાદત, ઇમામે ગાએબ સાથે બાતિલ હુકુમતમાં અને તમારા દુશ્મનોથી ભયની હાલતમાં તે બાતિલ હુકુમતમાં અને તે દબાણ હેઠળ સમજુતી અને સુલેહની હાલતમાં ઘણીજ બેહતર છે તે શખ્સની ઇબાદત કરતાં કે જે અલ્લાહની ઇબાદત કરે છે હકના ઝુહુરના સમયમાં ઇમામે હકની સાથે અને હકની હુકુમતમાં અને કોઇ પણ પાસાથી બાતિલની હુકુમતમાં ભય સાથેની ઇબાદત હકની હુકુમતમાં અમાન અને આસાઇશ (રાહત)ની ઇબાદત જેવી નથી.’

જાણી લ્યો કે તમારામાંથી જે કોઇપણ ઇમામ (અ.સ.)ની ગયબત અને બાતિલ હુકુમતના દીવસોમાં દુશ્મનથી છુપાઇને એક વાજીબ નમાઝને તેના સમયે જમાઅતની સાથે પઢે તો અલ્લાહ તેને તેના બદલામાં પચાસ વાજીબ નમાઝો કે જેને જમાઅતથી પઢવામાં આવી હોય તેટલો સવાબ અતા કરશે. અગર જો તે તેજ નમાઝ એજ હાલતમાં ફુરાદા પઢશે તો અલ્લાહ તેને તેના બદલામાં પચ્ચીસ નમાઝનો સવાબ અતા કરશે. અગર જો તે નાફેલા નમાઝ પઢશે તો તેનો દસ ગણો વધારે સવાબ લખવામાં આવશે અગર તે ગયબતમાં એક નેકી કરશે તો અલ્લાહ વીસ નેકીઓ લખશે. જે શખ્સ સારા કાર્ય કરશે અને તકય્યા વડે દીનની તેમજ તેના ઇમામ (અ.સ.)ની તેમજ પોતાની હિફાઝત માટે દીનદાર રહે અને પોતાની ઝબાનને (રહસ્યોને જાહેર કરવાથી) બંધ રાખશે તો અલ્લાહ તેની નેકીઓમાં અનેક ગણો વધારો કરી દેશે કારણકે અલ્લાહ અઝઝ વ જલ્લ ઘણોજ કરીમ છે.

અમ્માર કે જેણે આ વાત ખુશી અને આશ્ર્ચર્યની સાથે સાંભળીને કહ્યું: અય ફરઝંદે રસુલ (સ.અ.વ.)! મારી જાન આપ્ના ઉપર કુરબાન. આપે મને દીનના હુકમો પર અમલ કરવા ઘણું પ્રોત્સાહન આપ્યું. પરંતુ હું એ જાણવા માંગું છું કે આ ઝમાનામાં અમારા આમાલ હકની હુકુમતમાં આપમાંથી જાહેર ઇમામના અસ્હાબના આમાલની કરતાં કેવી રીતે અફઝલ છે જ્યારે કે અમારો અને એમનો દીન એકજ છે?

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

‘એ કારણે કે તમોએ અલ્લાહના દીનમાં દાખલ થવામાં તદ્ઉપરાંત નમાઝ, રોઝા, હજ, તમામ સારાકાર્યો અને દીનની સમજણ અને અલ્લાહની ઇબાદતમાં તેમના કરતાં સબકત કરી છે અને તમોએ આ આમાલ દુશ્મનોથી છુપાઇને ઇમામે ગાએબની સાથે તેમની ઇતાઅતમાં રહીને અંજામ આપ્યા છે. તમોએ તેમની સાથે સબ્ર કરી છે અને હકની હુકુમતના ઇન્તેઝારમાં જીવ્યા છો અને તમારા ઇમામ (અ.સ.) પર અને તમારા પર ઝુલ્મ કરનારા બાદશાહોથી ડરમાં રહ્યા છો. તમે જુઓ છો કે તમારા અને તમારા ઇમામ (અ.સ.)ના હક્કો ઝાલિમ હાકીમોના હાથમાં છે. જ્યારે કે તેઓએ તમોને તમારા હક્કથી મેહરૂમ કરી દીધા છે અને તેઓએ તમારી ઉપર એવી સખ્તાઇની સાથે સાશન કર્યું છે કે તમે દુનિયાની નેઅમતો અને જીવન જરૂરીયાતોને પણ આવી જ (સખત) હાલતમાં તલબ કરો છો અને ઇબાદત, દીનદારી, તમારા ઇમામ (અ.સ.)ની ઇતાઅત અને દુશ્મનોના ભયની સામે તમોએ સબ્ર કરી. આના કારણે અલ્લાહે તમારા આમાલના અજ્રને અનેક ગણો વધારી દીધો છે.’

અમ્મારે સબાતીએ જ્યારે આ સાંભળ્યું તો તેમણે કહ્યું : મારી જાન આપ્ના પર કુરબાન થાય. તો પછી અમારે શા માટે ઝુહુરના ઝમાનામાં હઝરત કાએમ (અ.સ.)ના અસ્હાબ બનવા માટે તમન્ના કરવી જોઇએ. જ્યારે કે અમો હમણાં આપ્ની ઇમામત અને ઇતાઅતના સાયામાં અઅમાલની દ્રષ્ટિએ હકની હુકુમતના અસ્હાબો કરતાં બેહતર છીએ?

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

‘સુબ્હાન અલ્લાહ! શું તમે નથી ચાહતા કે અલ્લાહ હક્ક અને અદ્લને આખી દુનિયામાં જાહેર કરી દે? તમામ લોકોની હાલત સુધારી દે? બધા લોકોને કલમએ તૌહીદની નીચે ભેગા કરી દે? અને વિખેરાએલા દીલોને એક કરી દે? અને આ જમીન ઉપર અલ્લાહની નાફરમાની ન થાય? મખ્લુકની દરમ્યાન અલ્લાહની હદો જારી થાય? અને હક તેના અહલ તરફ પાછું ફરે અને એહલે હક તેને એવું જાહેર કરી દે કે કોઇના ભયના કારણે મખ્લકુની સામે હકમાંથી કાંઇપણ છુપું ન રહે?’

અંતમાં ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

‘અલ્લાહની કસમ! અય અમ્માર તમારામાંથી જે કોઇપણ આ હાલતમાં હશે તે મૃત્યુ નહીં પામે  સિવાય કે તે અલ્લાહની સામે બદ્ર અને ઓહદના શોહદાઅ કરતા અફઝલ હશે. તમારા માટે આ ખુશ ખબર છે.’

બીજી એક હદીસમાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

مَنْ‏ ثَبَتَ‏ عَلَى‏ وَلَايَتِنَا فِي‏ غَيْبَةِ قَائِمِنَا أَعْطَاهُ اللَّهُ أَجْرَ أَلْفِ شَهِيدٍ مِثْلِ شُهَدَاءِ بَدْرٍ وَ أُحُد

‘જે કોઇ અમારા કાએમ (અ.સ.)ની ગયબતના ઝમાનામાં અમારી વિલાયત ઉપર સાબિત કદમ રહેશે તેને અલ્લાહ બદ્ર અને ઓહદના શોહદા જેવા હજાર શહીદોનો સવાબ અતા કરશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૧૨૫, હદીસ નં. ૧૩)

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

أَقْرَبُ‏ مَا يَكُونُ‏ الْعَبْدُ إِلَى‏ اللَّهِ‏ عَزَّ وَ جَلَ‏ وَ أَرْضَى مَا يَكُونُ عَنْهُ إِذَا افْتَقَدُوا حُجَّةَ اللَّهِ فَلَمْ يَظْهَرْ لَهُمْ وَ حُجِبَ عَنْهُمْ فَلَمْ يَعْلَمُوا بِمَكَانِهِ

‘જ્યારે મોઅમીન અલ્લાહની હુજ્જતને નથી પામી શકતો, અલ્લાહની હુજ્જત તેના સામે જાહેર નથી હોતી અને તેમનાથી ગાએબ હોય છે. તેઓ તેમની જગ્યાથી બેખબર હોય છે ત્યારે તેઓ અલ્લાહની ખૂબજ નઝદીક હોય છે અને એ હાલતમાં અલ્લાહ તેઓથી ખૂબજ રાઝી હોય છે. બેશક આ એ હાલતમાં હોય છે કે :

وَ هُمْ‏ فِي‏ ذَلِكَ‏ يَعْلَمُونَ‏ أَنَّهُ لَمْ تَبْطُلْ حُجَجُ اللَّهِ عَنْهُمْ وَ بَيِّنَاتُه‏

‘અને તેમાં (ગયબતમાં) તેઓ જાણે છે કે અલ્લાહની હુજ્જત ક્યારેય બાતિલ નથી હોતી અને ન તો તેના પુરાવાઓ.’

૫છી ઇમામ (અ.સ.) મોઅમીનની જવાબદારીને જણાવે છે.

فَعِنْدَهَا فَتَوَقَّعُوا الْفَرَجَ صَبَاحاً وَ مَسَاء

‘તો પછી સવાર અને સાંજ ઝુહુરની તવક્કોઅ રાખો.’

وَ قَدْ عَلِمَ‏ أَنَ‏ أَوْلِيَاءَهُ‏ لَا يَرْتَابُونَ وَ لَوْ عَلِمَ أَنَّهُمْ يَرْتَابُونَ مَا غَيَّبَ حُجَّتَهُ عَنْهُمْ طَرْفَةَ عَيْن‏

‘અને તે ખરેખર જાણે છે કે બેશક તેમના અવલીયાઓ તેમને જુઠલાવશે નહીં. જો તે જાણી લે કે તેઓ તેમને જુઠલાવશે તો આંખના પલકારા માટે પણ તેઓને પોતાની હુજ્જત વગરના ન રાખ્યા હોત.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૯૫)

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે :

يَا أَبَا بَصِيرٍ طُوبَى لِشِيعَةِ قَائِمِنَا الْمُنْتَظِرِينَ لِظُهُورِهِ فِي غَيْبَتِهِ وَ الْمُطِيعِينَ لَهُ فِي ظُهُورِهِ أُولَئِكَ أَوْلِيَاءُ اللَّهِ الَّذِينَ‏ لا خَوْفٌ‏ عَلَيْهِمْ‏ وَ لا هُمْ‏ يَحْزَنُون‏

‘અય અબા બસીર! અમારા કાએમ (અ.ત.ફ.શ.)ના તે શીઆઓ માટે ખુશખબર છે કે જેઓ તેમની ગયબતના ઝમાનામાં તેમના ઝુહુરનો ઇન્તેઝાર કરે છે અને તેમના ઝુહુરના ઝમાનામાં તેમના ફરમાંબરદાર હશે. તેઓ અલ્લાહના અવ્લીઆઓ છે કે જેમની ઉપર કોઇ ખૌફ નહીં હોય અને ન તો તેઓ ગમગીન હશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૧૪૯, ૧૫૦)

હઝરત સાહેબુઝઝમાન (અ.સ.)ની ઝિયારતમાં છે.

َ اجْعَلْنَا مِمَّنْ‏ تَنْتَصِرُ بِهِ‏ لِدِينِكَ‏ وَ تُعِزُّ بِهِ‏ نَصْرَ وَلِيِّكَ وَ لَا تَسْتَبْدِلْ بِنَا غَيْرَنَا فَإِنَّ اسْتِبْدَالَكَ بِنَا غَيْرَنَا عَلَيْكَ يَسِيرٌ وَ هُوَ عَلَيْنَا عَسِير

‘અય  અલ્લાહ! તું અમને એ લોકોમાંથી બનાવ કે જેમના થકી તું તારા દીનની મદદ કરો છો. જેના થકી તારા વલીની મદદ કરવાની ઇઝઝત અતા કરો છો. તું અમારી જગ્યાએ બીજાને ન મુકી દેજે. કારણકે, અમારી જગ્યાએ બીજાને બદલી નાંખવું તારા માટે ઘણુંજ સરળ છે પરંતુ અમારા માટે તે ખૂબજ કઠીન છે.’

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે.

لَا يَخْرُجُ‏ مِنْ‏ شِيعَتِنَا أَحَدٌ إِلَّا أَبْدَلَنَا اللَّهُ بِهِ مَنْ هُوَ خَيْرٌ مِنْهُ وَ ذَلِكَ لِأَنَّ اللَّهَ يَقُولُ‏

‘અમારા શીઆમાંથી કોઇપણ બહાર નથી નિકળતું સિવાય કે અલ્લાહ તેની જગ્યાએ તેની કરતાં બેહતર હોય છે તેને મુકે છે જેમકે અલ્લાહ ફરમાવે છે.’

وَ إِنْ تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْماً غَيْرَكُمْ ثُمَّ لا يَكُونُوا أَمْثالَكُمْ‏.

‘અગર જો તમે દીનથી ફરી જશો તો અલ્લાહ તમારી જગ્યાએ બીજાને બદલી નાંખશે. પછી તેઓ તમારી જેવા નહીં હોય.’

(સુરએ મોહમ્મદ : ૩૮) (બેહારૂલ અન્વાર, ભાગ – ૨૩, પાના નં. ૨૮૭)

તારણ : આપણે હંમેશા દોઆ કરવી જોઇએ.

لَا تَكِلْنِي‏ إِلَى‏ نَفْسِي‏ طَرْفَةَ عَيْنٍ أَبَدا

“અય મારા પાલનહાર તું ક્યારેય મને આંખના પલકારા માટે પણ મારા ઉપર છોડી ન દેજે.

(કાફી, ભાગ – ૨, પાના નં. ૫૨૪)

رَبَّنا لا تُزِغْ‏ قُلُوبَنا بَعْدَ إِذْ هَدَيْتَنا

“અય અમારા પાલનહાર તેં અમારી હિદાયત કરી છે તો પછી તું અમારા દિલોને ગુમરાહ થવા ન દેજે.

(સુરએ આલે ઇમરાન : ૮)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *