ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોના અઝાબમાં મોડુ થવું

Print Friendly, PDF & Email

ઇન્સાન સમયની હેઠળ ચાલી રહ્યો છે અને સમય ખુદાવંદે આલમ જે કાદિરે મુત્લક છે તેની કુદરતની નીચે અને તાબે છે. તે ચાહે તો સમય અટકી જાય, તે ચાહે તો સમયની ઝડપ વધી જાય, તે ચાહે તો સમયનો પાલવ સાંકડો થઇ જાય, તે ચાહે તો સમયનો પાલવ વિશાળ થઇ જાય. રાત દિવસના બનાવો ઉપર નજર નાખીએ અને જમીનના વિવિધ પ્રદેશો પર નજર નાખીએ તો આજનું વિજ્ઞાન કે જેણે અંતરને નીચોવી નાખ્યા છે તે નજરની સામે આવી જાય છે. જ્યાં મહીનાઓ સુધી રાતનું અંધારૂ ઉભરાઇ ઉભરાઇને છવાય જાય છે અને જ્યાં આ પ્રદેશોને અંધકારમાં નાખી દીધા છે, ત્યાં પ્રકાશના માટે સાધનો પણ ઉપલબ્ધ રાખ્યા છે. જ્યાં ઇન્સાન પોતાની જીંદગી પસાર કરે છે. મોડુ થવુ અને વેહલા થવુ ઇન્સાનની ફિતરતના તકાઝાઓનું નામ છે. ગાલિબે સાચુ કહ્યું છે.

કાવે કાવે સખ્ત જાની હાયે તન્હાઇ ન પુછ

સુબ્હ કરના શામ કા લાના હૈ જુએ શેર કા

વ્યક્તિગત જીંદગીમાં સમયની તાસીર! જ્યાં સુધી ઇન્સાનની સમજણની આંખો નથી ખુલતી તે જાણતો નથી કે સવાર શું છે સાંજ શું છે? રાત શું છે? સુતો-જાગ્યો રમ્યો અને જોત જોતામાં સમય એ રીતે પસાર થયો કે કોઇએ ક્યારેય એમ પણ ન કહ્યું કે આ બાળક જે નાનુ હતું બચપણમાં હતું આજે એટલુ મોટુ થઇ ગયુ કે આપણે તેના વિકાસને જોતા રહ્યા. પરંતુ એ મેહસુસ પણ ન કરી શક્યા કે કેવી રીતે તે ધીમે ધીમે આટલો બધો મોટો થઇ ગયો. સમયે તેને જવાન કરી દીધો. પછી જીંદગીની શમ્આ ધીમે ધીમે પીગળતી ગઇ અને જવાની વૃધ્ધાવસ્થાના વર્તુળમાં આવી ગઇ. હવે ન તો એ જવાનીના શોખ છે ન ઉમંગ અને ન તો તરંગ. ન સુંદરતાનો ખ્યાલ છે અને ન તો સુંદર પોષાકનો ખ્યાલ છે. પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા હડ્ડીઓનો રસ સુકાવા લાગ્યો. ઉઠતા-બેસતા કમઝોરી આખેરતનો એહસાસ દેવા લાગી. એશો આરામ બધા પોત પોતાનો સામાન બાંધવા લાગ્યા. જાફરઅલી અસરના કેહવા પ્રમાણે:

અબ કહાં વો દિલ કહાં લુત્ફે બહારે ઝિંદગી

દાગે હિજરાં બન ગયે લય્લો નહારે ઝિંદગી

સવાબ અને સજાના નાઝિલ થવાની ઉમ્મીદની રોશનીમાં ઇન્સાન વેહલા થવું અને મોડા થવા પર ક્યારેક સબ્ર અને ક્યારેક બેસબ્રીથી ત્યાં પહોંચવાનો અંદાજો લગાવે છે અને તેને રાત દિવસના માપથી માપે છે. પરંતુ ઓછો વિચાર કરે છે કે આ જ રાત દિવસના માપથી માપવાવાળો તે દિવસ કે જે પોતાના અમલના વર્તુળમાં મજબુતાઇ રાખે છે, એ જ રાત જે પોતાના પસાર થવાના નિશ્ર્ચિત વર્તુળથી બહાર નથી. મુશ્કેલીઓમાં દિવસ લાંબા થઇ જાય છે. રાત્રિઓ કોઇ પણ રીતે પસાર નથી થતી. આ ખુદાની કુદરતની એ નિશાનીઓ છે જે ઇન્સાની ફિતરતના ઉંડાણમાંથી અવાજ આપી રહી છે. અય ઇન્સાન તું અલ્લાહની મસ્લેહતને પોતાના અજાણ્યા એહસાસના ત્રાજવા પર રાખીને તોળી જો આ એ જ રાત અને દિવસ છે જે મુશ્કેલીઓમાં લાંબા થઇ જાય છે અને એશોઆરામમાં પળવારમાં પસાર થઇ જાય છે. કેટલુ સરસ ન સમય અટક્યો, ન તેની ઝડપમાં કાંઇ કમી આવી. આ બધુ ઇન્સાનની સોચ વિચારની હેઠળ દિલને સમજાવવા અને સંબોધન કરવા માટે છે.

અલ્લાહની મસ્લેહત:

અલ્લાહની મસ્લેહતના વિશે મખ્લુકની શું મજાલ કે તે તેની મસ્લેહતને પોતાની ટૂંકી અક્લમાં દાખલ કરી શકે અથવા સમજી શકે. એ જાએઝ જ નથી કે મસ્લેહતમાં કોઇ કોઇ વાતચીતની હિંમત કરે અને જેણે પણ પોતાની અક્લને દોડાવી તે મોઢાભેર પડ્યો.

સમયના પસાર થઇ જવા પછી અંજામ સુધી ન પહોંચવાનું નામ તાખીર છે અને ઇચ્છા મુજબ સમયથી અગાઉ કોઇ કામના અંજામને જોઇ લેવાનું નામ તાઅજીલ છે.

ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત:

આ જ તાઅજીલ અને તાખીર જેનાથી ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતમાં શામિલ પોતાના ઝુલ્મની પરાકાષ્ટા પર ગર્વ કરવાવાળાઓ પર ખુદા કે જેની બારગાહથી અદાલત સિવાય કોઇ પાંદડુ પણ હલતુ નથી, હજી સુધી આટલો સમય પસાર થઇ ગયા બાદ પણ છાતી ફુલાવીને નેહરવાની ચેહરો લઇને આઝાદ ફરી રહ્યા છે અને ઇલાહી અઝાબના ગૈબી પકડથી આઝાદ છે. આખરે આ તાખીર શા માટે? ચાહવાવાળાઓની ફરિયાદમાં જુદી જુદી આવાઝો સંભળાય છે. જેમકે મૌલા ક્યાં સુધી રોઇએ. એ સાચુ છે કે અમને રોવા માટે જ પૈદા કરવામાં આવ્યા છે પરંતુ આંસુનું દરેક ટીપુ કોઇ ઇન્તેકામને અવાજ આપી રહ્યું છે.

કરબલાનો બનાવ:

નયનવાના મૈદાનમાં જ્યા નાની નાની ટેકરીઓ હતી એક કાફલો ઉતર્યો. ખૈમાં નાખવામાં આવ્યા. બીજી મોહર્રમ હિ.સ. ૬૧ ની તારીખ હતી. આ ખૈમાગાહો પ્રથમ ફુરાતના કિનારે હતા. હુરના લશ્કરે હુરની સરદારી નીચે આ ખૈમાઓ હટાવી દીધા અને ફુરાત નદી પર પેહરો બેસાડી દીધો. કરબલાથી થોડે દૂર ફુરાત નદી વહી રહી હતી. ટૂંકમાં એક જલક આ જંગ અથવા આ મહાન હાદસાથી જેના બનવા પછી તેની કોઇ મિસાલ ન તો અગાઉના જમાનામાં થઇ છે અને ન તો કયામત સુધી બનવા પામશે. કેટલુ સાચુ કહ્યું છે:

અબ કરબલા ન હોગી કભી કરબલા કે બાદ

આ વાત વિચારવાને લાયક છે કે કરબલામાં કેટલો ઇલાહી ક્રમ, ભરોસો,સ્થાપના, વ્યવસ્થા, હિદાયતની અગ્રતા, પોતાના સમયમાં મર્યાદીત ઇલાહી મરજી મુજબ અને ખુદાના હુકમ પર અમલનો એવો નકશો મળે છે જેની દરેક પળમાંથી ખરી હકીકતની રોશનીથી હક્ક તલાશ કરવાવાળાને સેરાતે મુસ્તકીમ પર ચાલવાની તવફીક મળે છે. કરબલાવાળાઓની સામે ઓછામાં ઓછી સંખ્યા ૩૦,૦૦૦ થી વધારે બતાવવામાં આવી છે. યાદ રહે કે હુરની લશ્કરી ટૂકડીએ ઇમામ હુસૈન (અ.સ.)નો રસ્તો રોક્યો હતો અને હૈદરે કર્રારની શુજાઅતના વારિસના જલાલની તલવાર નિયામમાંથી બહાર આવી ચુકી હતી અને ઇમામ(અ.સ.)ના હુકમથી સબ્રના પર્દામાં ચાલી ગઇ અગર… અગર એ જ સમયે ફેંસલો થઇ જાત પરંતુ એવુ ન થયુ. હુસૈની સબ્રએ તાખીર અને મોહલત માટે પગલુ ભર્યુ એટલા માટે કે અગર એવુ થાત તો હુરને આશુરની સવાર નસીબ ન થાત. વહબે કલ્બી અને  હબીબ ઇબ્ને મઝાહીરની ઝિયારતગાહ અર્શે ઇલાહીની તરફ ઇશારો કરતી ખુદાની ઓળખાણ અને જંગમાં હિંમત અને શુજાઅતનો દેખાવ ન આપતી. હઝરત અલી અસ્ગરથી લઇને અબ્બાસે અલમદારના કિરદારનું પાસુ અને રીત કલમ બદ્ધ ન હોત. વહબે કલબી અને મુસ્લિમ બીન અવસજાના નાના બચ્ચાઓથી લઇને જવાન અને બુઢામાં હોંસલાવાળા લડાયકોનો ઉલ્લેખ ક્યારેય ન મળત અને અંતમાં હક્કના જાણકારોની કુરબાનીઓથી પૂર્વના ચિંતક (અલ્લામા ઇકબાલ) આમ ન કહેત

નકશે લા ઇલાહ બર સહરા નવીશ્ત

સતરે ઉનવાન નજાતે મા નવીશ્ત

અગર ૧૪૦૦ વરસ પછી એ પૂર્વના શાયર કે જેને ઇરાનમાં ઇકબાલે હિન્દી કહેવાય છે. પોતાના સકીફાઇ સંસ્કૃત્તિના માહોલથી બુલંદ થઇને હકીકત અને હક્કાનીય્યતની હકની અવાજ આમ કહીને બુલંદ ન કરતે.

રમ્ઝે કુર્આન અઝ હુસૈન આમુખ્તીમ

શોલાહા અઝ આતિશશ અન્દુખ્તીમ

એ સાચુ છે કે ઇલાહી અઝાબમાં અગર તાખીર છે તો તાખીરનું કારણ પણ ચોખ્ખા દિલમાં આવી જાય છે.

ચૌદસો વરસના સમયગાળાએ અક્કલમંદ અને બુદ્ધિશાળી લોકો, હકની તલાશ કરનારા લોકો, સાચી સમજણ અને ફિક્રના વિશાળ ક્ષિતિજથી કરબલાવાળાઓની શહાદતને સમજવાથી વંચિત રહી જાતે અને ખુદાવંદે આલમની બારગાહમાં જ્યારે રાજેઉનના મિસ્દાક બનીને હાજર થતે તો હોઠો પર શિકાયત આવતે. એટલા માટે સમયના પગોમાં કરબલાના બનાવથી છાલા પડતા ગયા. પરંતુ સમય પસાર થતો ગયો, જેથી અલ્લાહ તબારક વ તઆલા જેની સરપરસ્તી કરે છે, તેને અંધકારથી નૂર તરફ લઇ આવે છે. આથી ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો અને તેના પર રાજી થવાવાળા પર અઝાબમાં મોડુ થયું અને પેઢી દર પેઢી મોહલત મેળવતા ગયા અને અઝાબ તેઓના માથા પર ફરતો રહ્યો.

લેખક જુએ છે કે એહલે હરમના દુશ્મનો પર અઝાબનું તાખીર આજે પણ તેઓના અભિમાની સ્વભાવને દિમાગમાં ભરેલ છે. આજે પણ બેરેહમી એવી કે જેના વર્ણનથી શાહીના બદલે કલમ એ નિર્દયતા પર ખુન વહાવવા લાગે. આ કઇ શબ્દોની ભરમાળ નથી પરંતુ હકીકત છે. શું શહાદતે ઇમામ હુસૈન(અ.સ.) પછી બે પહોર બાદ અંધારૂ નહોતુ છવાઇ ગયું? જમીન પરથી પત્થર ઉપાડો તો ખુન નહોતુ નીકળતુ? આસમાન ખુનના આંસુ રોયુ, ફુરાતનું પાણી નેઝાઓની ઉંચાઇ સુધી ઉછળવા લાગ્યું. કયામતની નિશાનીઓ હતી. ફક્ત આ તો નિશાનીઓ હતી કયામતની, પરંતુ કયામત કેમ રોકાઇ ગઇ? કયામત કેમ બરપા ન થઇ? આ માલેકે યવ્મીદ્દીનની આપવામાં આવેલી મોહલત પર આધારિત છે. જે સમયના ખાલિકે વક્તે માઅલુમ સુધી મુલતવી કરી દીધી. રિવાયતમાં છે કે જેટલા લોકો ખુને નાહકમાં શરીક હતા તેઓ ત્રણ વરસની અંદર જહન્નમ વાસિલ થઇ ગયા. આપે અબ્દુલ્લાહ ઇબ્ને હુર જોઅફીને સફરમાં જ્યારે આપ હતા તો કહી દીધુ હતુ કે તુ એટલો દૂર ચાલ્યો જા કે મારી આવાઝે ઇસ્તેગાસા તારા કાન સુધી ન પહોંચે નહિતર યાદ રહે કે જે મારી આવાઝે ઇસ્તેગાસાને સાંભળશે અને મારી તરફ નુસ્રત માટે હરકત નહી કરે તે ફક્ત ત્રણ વરસ પોતાની જીંદગીના વીતાવશે પછી તેના માટે હલાકત જરૂરી છે. એટલે કે તેના પર અઝાબની પકડ નિશ્ર્ચીત છે. (અહીં પણ ત્રણ વરસની મુદ્દત વિચાર કરવાને લાયક છે. આ આકાની રહેમનો એક પેહલુ છે) એક રિવાયત મારી નજરોથી પસાર થઇ છે. એક શખ્સ એહલેબૈત (અ.મુ.સ.)ના એક ચાહવાવાળા અને ઇમામ હુસૈન (અ.સ.)ના આશિકના ઘરે મેહમાન થયો. રાત આવી. મેઝબાનને સંબોધીને કહ્યું: સાંભળ્યુ છે કે હુસૈન ઇબ્ને અલી(અ.સ.)એ કહ્યું હતુ જે મારા કાતિલો નથી પરંતુ મારી આવાઝે ઇસ્તેગાસા સાંભળશે અને મારી મદદ માટે આગળ નહી વધે તે ત્રણ વરસમાં હલાક થઇ જશે. મેં તો અવાજ સાંભળી હતી. હું તો યઝીદના લશ્કરમાં કરબલામાં હાજર હતો. હુસૈનની વિરૂદ્ધ જંગ કરી. ત્રણ વરસ પુરા થવા આવ્યા છે. કદાચ એક અથવા બે દિવસ બાકી હશે પરંતુ મારી પર હુસૈન ઇબ્ને અલી(અ.સ.)ની વાત સાચી ઠેહરી નથી. સુવાના સમયે તે દિવા પાસે તેને બુજાવવા માટે ગયો. દિવાની જ્યોતે પ્રથમ તેની દાઢીને બાળી નાખી. ત્યાર બાદ તે મલઉન બળીને અઝાબની મંઝિલે પહોંચી ગયો. મેઝબાને કહ્યું: “મારા મૌલા હુસૈન કેટલા સાચુ કેહવાવાળા છે!

સવાલ એ પૈદા થાય છે કે આખરે કરબલાના બનાવ બાદ એક એવો અઝાબ કેમ ન આવ્યો જે પૂર્વથી લઇને પશ્ર્ચિમ સુધી તમામ દુશ્મનાને હુસૈન(અ.સ.) પર નાઝિલ થાત અને ઝાલિમો પોતાના પર અઝાબના લીધે નીસ્તો નાબુદ થઇ જાય અથવા પોતાના અઝાબ થયેલા ચેહરાઓ સાથે દેખાઇ દેત. એટલા માટે કે રિવાયતમાં છે કે “મસ્ખના અઝાબથી પણ ઘણો બધો વધારે છે.

અત્યાર સુધીમાં તેના મિસ્દાક પણ ઘણા ઓછા મળે છે. કદાચ તેનું કારણ એ હોય કે ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાની ઇસ્તેગાસાની અવાજની શર્ત રાખી હતી અને તેના માટે ત્રણ વરસની મુદ્દત પણ આપી હતી. એ ઇમામે રેહમતના નવાસા જેના પર યા અય્યત્તોહન્નફસુલ મુત્મઇન્નાથી સંબોધન કરીને અલ્લાહ તરફથી ઇરજેઇનો અમ્રે ઇર્શાદી પ્રથમથી સાદીર થઇ ચુક્યો હતો. તેણે આ ખાકની જમીનને મોહલત અને મોટી મોહલત આપી દીધી છે. આમ જુઓ તો અલ્લાહે ફિરઔન અને કારૂનને હલાક કરી દીધા પરંતુ આજ સુધી શૈતાનને જીવંત રાખ્યો. અઝાબમાં તાખીર થવી એ અઝાબમાં તીવ્રતાની નિશાની છે.

મોહલત અને અઝાબ:

મોહલત: જ્યારે મોહલતનો શબ્દ ફિક્રના વમળમાંથી ઉભરાઇને દિમાગમાં આવે છે તો કોઇ પણ ઇન્સાન એવો નથી જે પોતાના આમાલ અને કાર્યો, ચારિત્ર્ય, ગુનાહો અને પોતાની રીતભાતનો હિસાબ કરવા તરફ ધ્યાન નથી આપતો. એ અલગ વાત છે કે તેની આંખો પર ગફલતના પર્દા પડી જાય અને તે આ મોહલતની સફરમાં ઠહેરીને ગૌરો ફિક્ર કરવા અને સુધારણા કરવા, ઇસ્તિગ્ફાર અને તૌબાથી કામ લેવા અને પરહેઝગારી અપનાવવી અથવા પોતાની સંપૂર્ણ કોશિશો પરહેઝગારી તરફ રાખવાને બદલે કહી રહ્યો છે કે એ લોકો ઉપર હજી સુધી અઝાબ નાઝિલ કેમ નથી થયો. આજે પણ ઝુલ્મો સિતમની તરફેણ કરવાવાળા બદતરીન લોકો અને એવા બદબખ્ત કે જેનું વર્ણન કરવુ અશક્ય છે, તેઓ અઝાબની પકડથી બિલકુલ આઝાદ છાતી ફુલાવીને ફરી રહ્યા છે. બલ્કે વધારે સંખ્યામાં પણ છે અને તમામ બાતિલ તબ્લીગો જે આજના ઝમાનામાં પ્રચલિત છે તેના પર કબજો કરેલ છે. મસ્જીદોમાં મોહીબ્બાને હુસૈન(અ.સ.) ફરિયાદ અને બુકાની સાથે કહી રહ્યા છે “મૌલા ક્યા સુધી ગિર્યા કરીશુ. મૌલા મારા મૌલા આપ ખુને હુસૈનનો બદલો લેવાવાળા છો. એવું ક્યારે થશે કે આપ વીણી વીણીને બદલો લેશો. આ રોકકળવાળા કમઝોર કરી દેવામાં આવેલ શીઆને અલી(અ.સ.) અને હુસૈન (અ.સ.)ના ચાહવાવાળા દુનિયાના દરેક ખુણામાં કત્લ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ શીઆ ન તો દુઆએ માદરે હુસૈનથી અને ન તો ઇન્તેકામે ખુને હુસૈનથી એક પળ માટે પણ માયુસ છે.

ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો પર અઝાબે ઇલાહીનું તાખીર થવુ એક મોહલત છે:

પ્રથમ કારણ જે સમજમાં આવે છે તે એક એવી મોહલત છે જેનો હિસાબ ઇમામ હુસૈન(અ.સ.)ના દરેક ચાહવાવાળાએ કરવો જોઇએ. ક્યાંક એવુ તો નથી કે ખુદ પોતાની કૌમમાં બેપર્દગી, બેશરમી અને તેના પર કારણ વગરની તાવીલોની ચર્ચા તો નથી આવી ગઇ? ક્યાંક એવુ તો નથી કે ગીબત, ઇબાદતમાં બેદરકારી અથવા ઇબાદતમાં ધ્યાન ન હોવુ. ખાનદાનમાં ચારિત્ર્ય ઘડતરમાં નેકીનો હુકમ અને બુરાઇથી રોકવાનું ખતમ તો નથી થઇ ગયું? યાદ રહે જેમ જેમ ઝમાનો તરક્કીના નામ પર ઇન્સાનીય્યત જેવી શૈતાનીયત સુંદર લિબાસ પહેરીને વ્યક્તિ અને સમાજના કિરદારમાં કીડીની જેમ રેહવા તો નથી લાગી? ઇન્સાન ખતમ થઇ રહ્યો છે. ઉઘાડા પણુ અને હેવાનીયત, આ જ ઇમ્તેહાનનો દૌર છે. દસ દિવસની અઝાદારી દર્સગાહ છે, જે સારા અંત તરફ દાવત આપે છે અને અઝાબની મોહલતને પોતાને માટે પણ સાવચેત થઇ જવા માટે હકતઆલા તરફથી તવફીક અને મહાન નેઅમત હાસિલ કરવી તે જ મકસદે અઝાદારી છે. બીજુ કારણ એ છે જેને ચાહવાવાળાએ ઇમામથી પુછ્યુ. આપે તેના દિલની તસ્કીન માટે અને ઝહેનની તસલ્લી માટે બયાન ફરમાવ્યું છે.

ઇમામ(અ.સ.)નો જવાબ:

ઇબ્ને બાબવય્હ ભરોસાપાત્ર સનદોથી ફરમાવે છે કે એક દિવસ અબુ સલ્તે ઇમામ રેઝા(અ.સ.)ને સવાલ કર્યો કે રિવાયતમાં છે કે એક શખ્સે ઇમામ સાદિક(અ.સ.)ને પુછ્યુ: ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો પર ઇલાહી અઝાબ ઇન્તેકામના સ્વરૂપમાં ઇમામ(અ.સ.)ના ઝુહુરના સમયે નાઝિલ થશે અને ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોના ફરઝંદોથી ઇમામ મહદી(અ.સ.) ઇન્તેકામ લેશે. ઇમામ અલીરેઝા(અ.સ.)એ તેની તસ્દીક કરી અને કહ્યું એવુ જ થશે. અબુ સલ્ત હરવીએ ફરીથી સવાલ કર્યો: મૌલા ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોની નસ્લના લોકોમાંથી એ સમયે જેના પર અઝાબ થશે અથવા કત્લ થશે તેઓનો ગુનાહ શું હશે કે જેના કારણે તેના પર અઝાબ થશે. ઇમામ(અ.સ.)એ ઇર્શાદ ફરમાવ્યું: હકતઆલાના ઇન્સાફનો તકાઝો એ છે કે અગર કોઇ ઝાલિમ કોઇ મઝલુમને પૂર્વમાં કત્લ કરે અને કોઇ શખ્સ પશ્ર્ચિમમાં તેના આ ઝુલ્મ પર રાજી થાય તો તેના માટે પણ એ જ સજા છે જે અસ્લ કાતિલ માટે હોય. એનો મતલબ એમ કે ફાસલો ઝમીનનો હોય કે ઝમાનાનો, સજા જેવી રીતે ઝાલિમ માટે છે તેવી જ રીતે તેના માટે પણ છે જે તેના પર રાજી થયો હોય.

ઇમામ સજ્જાદ(અ.સ.)એ આ બારામાં એક વખત ફરમાવ્યું હતુ કે બની ઇસ્રાઇલના માટે ખુદાવંદે આલમે શનિવારના દિવસે માછલીનો શિકાર કરવાની મનાઇ ફરમાવી અને બની ઇસ્રાઇલના એક સમૂહે અલ્લાહ તઆલાના હુકમની નાફરમાની કરી જેના લીધે તેના પર અઝાબ નાઝિલ થયો અને ત્યાર પછી જે પણ શનિવારના દિવસે માછલીનો શિકાર કરતો ભલે પછી તે કોઇ પણ હોય તેના પર પણ ઇલાહી અઝાબ નાઝિલ થશે.

પછી એવુ કેમ થઇ શકે કે એક સમૂહ રસુલે ખુદા (સ.અ.વ.)ની અવલાદને કત્લ કરે અને આં હઝરત (સ.અ.વ.)ની બેહુરમતી કરે જો કે તે આ દુનિયામાં અગર અઝાબે ઇલાહીથી મોહલત પામેલા છે તો તેનો મતલબ એમ નથી કે આખેરતમાં તેના માટે અઝાબ તય્યાર કરેલ નહી હોય. અગર મસ્ખ થઇ જવું છે તો આખેરતમાં પણ તે મસ્ખ થશે. જે આપના કત્લને સાંભળીને રાજી થશે અને ઇમામ(અ.સ.)ના ઝુહુરમાં જીવતા હશે તેને ઝુલ્ફીકારના માલિક કત્લ કરશે. એ જ મજલીસમાં (બેઠકમાં) એક શખ્સે ઇમામ(અ.સ.)ને પુછ્યું: અગર શનિવારના દિવસે માછલીનો શિકાર અઝાબનું કારણ છે તો ખુદા એહલેબૈત(અ.મુ.સ.)ના દુશ્મનો અને ઇમામ હુસૈન(અ.સ.) ના કાતિલો જે આનાથી કેટલાય વધારે ગુનેહગાર છે, તેઓના ચેહરાને શા માટે મસ્ખ નથી કરી દેતો. (આ પ્રકારના સવાલો વિરોધીઓ તરફથી પણ કરવામાં આવે છે) ઇમામ(અ.સ.)એ તેના જવાબમાં ફરમાવ્યું: ઘણા બધા એવા છે જેના પર અલ્લાહે અઝાબ મોકલ્યો પરંતુ શયતાન પર અઝાબ નથી મોકલ્યો અને તેને મોહલત આપી અને ખુદાની હિકમત અને મસ્લેહત ઉપર કાંઇ બોલવુ જાએઝ નથી. ઘણા બધા એવા છે જેમણે દુનિયામાં ઓછા ગુનાહ કર્યા છે અને ઘણા બધા એવા છે જેમણે ગુનાહ કરવામાં આગળ વધી ગયા છે, તેઓ તમામ માટે કયામતમાં બહુ જ સખ્ત અઝાબની મંઝિલ છે.

ઇબ્ને કુલવય્હ ભરોસાપાત્ર સનદથી રિવાયત વર્ણવે છે કે ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ઇર્શાદ ફરમાવ્યું: ખુદાની કસમ! ઇમામ હુસૈન(અ.સ.)ના ઘણા બધા કાતિલો કત્લ થઇ ચુક્યા છે પરંતુ ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનની ફરિયાદ ઓછી નથી થઇ. રજઅત અને કયામતમાં જ્યારે બધાને કત્લ કરવામાં આવશે ત્યારે ઇમામ હુસૈન (અ.સ.)ના ખુનના ઇન્તેકામની તલબ શાંત થશે. આ અનુસંધાનમાં આપે ઇર્શાદ ફરમાવ્યું કે મારા જદ્દ રસુલે ખુદા (સ.અ.વ.) પર હકતઆલાએ વહીના ઝરીએ ઇર્શાદ ફરમાવ્યું: મેં જ્યારે જનાબે યહ્યા(અ.સ.)ના ખુનનો બદલો લીધો તો ૭૦,૦૦૦ લોકોને કત્લ કરીને બદલો લીધો અને હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેવા માટે પણ ૭૦,૦૦૦ લોકોને તલવારની નીચે લાવીશ.

ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ઇર્શાદ ફરમાવ્યું: ૧૦૦૦૦૦ કાતેલાને હુસૈન કત્લ થઇ ચુક્યા છે પરંતુ ઇમામ હુસૈન(અ.સ.)નું ખુન હજી સુધી શાંત નથી થયું.

ઇમામ સજ્જાદ(અ.સ.) ઇર્શાદ ફરમાવે છે: ખુદાની કસમ જ્યારે મારા પિતા કોઇ મંઝિલ પર એવુ નથી થયુ કે ત્યાં કયામ કરતી વખતે અને ત્યાંથી રવાના થતી વખતે જનાબે યહ્યા(અ.સ.)ને યાદ ન કર્યા હોય. આપે ફરમાવ્યું કે એક માસુમ નબીને કત્લ કર્યા. એક ઝીનાકાર અને બદકાર ઔરતને હઝરત યહ્યા(અ.સ.)નું સર પેશ કરવામાં આવ્યું, તો ખુદાએ ૭૦,૦૦૦ ખયાનતકારોનું જ્યાં સુધી લોહી વહાવી ન દીધુ જનાબે યહ્યા(અ.સ.)નું ખુન શાંત ન થયુ. ખુદાની કસમ તેનાથી સો ગણુ મારૂ ખુન પણ ત્યાં સુધી શાંત નહી થાય જ્યાં સુધી મુનાફીકો, ખયાનતકાર અને મારા કત્લ પર રાજી થવાવાળા જે કોઇ પણ છે જ્યાં પણ હોય ૭૦,૦૦૦ લોકોનું ખુન ન વહે, મારૂ ખુન શાંત નહી થાય. ખુદાની કસમ મારૂ ખુન શાંત નહી થાય ત્યાં સુધી કે મારો ફરઝંદ ઇમામ મહદી એ આખેરૂઝ્ઝમાન ઝુહુર કરશે અને ૭૦,૦૦૦ મુનાફીકોને કત્લ કરશે.

ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોમાં એ પણ શરીક છે જે આપ(અ.સ.)ના ખુન (જેને સારલ્લાહ કહે છે) વહાવવા પર રાજી થયા તેના પર અઝાબ નાઝિલ થયો છે અને થાય છે તે તો એક પ્રસ્તાવના છે. એક મોટો અઝાબ ત્યારે ઝાહીર થશે જ્યારે ઇમામે ઝમાના ઝાહીર થશે. કારણ કે ઇમામે ઝમાના ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેવાવાળા છે. જે રજઅતથી બચી જશે કયામતના દિવસે તેનો જે અંજામ થશે, તેની કલ્પના ઇન્સાની દિમાગથી એટલા માટે દૂર છે કે તે સમયે એ અઝાબ આવશે જેની કુદરત અને જેનું વર્ચસ્વ અમર્યાદિત છે.

લેખકના સલામ થાય એ મા ઓ પર જેનું પવિત્ર દૂધ લોહી બનીને શહે મઝલુમના માતમીઓની નસોમાં દોડી રહ્યુ છે અને તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો પર ઇલાહી અઝાબની તાખીરના લીધે બેચેન છે. એવા બેચેન કે તેમના દિલોની રગો તુટે છે અને આંસુ બનીને આંખોમાંથી જાહેર થાય છે. એમ છતા દરેક આંખ ઇમામ(અ.સ.)ના ઝુહુર માટે ઇન્તેઝાર કરી રહી છે. ક્યારે આપનો ઝુહુર થશે. ક્યારે આપ ઇમામ હુસૈન(અ.સ.)ના ખુનનો બદલો લેશે.

અજ્જીલ અલા ઝહુરેક. આમીન.

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *