ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલો

Print Friendly, PDF & Email

અલ્લાહ તબારક વ તઆલા કુર્આને મજીદમાં સુરએ શોઅરાની આયત નંબર ૨૨૭ માં ઝાલિમોના અંજામના બારામાં ઇર્શાદ ફરમાવે છે:

સ યઅ્લમુલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબીન યન્કલેબુન

નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓ કઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે

અગર આપણે આ આયત પર વિચાર કરીએ તો આયત એ બાબત તરફ નિર્દેશ કરે છે કે ઝાલિમો ખુબ જ જલ્દી પોતાના બુરા અંજામ સુધી પહોંચશે અને આ એજ આયત છે કે જેની તિલાવત ઇમામ હુસૈન(અ.સ.)ના મુબારક સરે કરી હતી જ્યારે આપના કપાયેલા સરને ઝાલિમોએ એક ઝાડ પર લટકાવ્યું હતું.

સ યઅ્લમુલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબીન યન્કલેબુન

(તફસીરે નુરૂસ્સકલૈન, ભાગ: ૪, પાના: ૭૪)

અમે પોતાના આ સંક્ષિપ્ત લેખમાં એ બનાવો અને હદીસો પર નજર કરીશું કે એ લોકો કે જેઓ ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લમાં શામિલ હતા, તેઓને અલ્લાહે કેવી રીતે ખુબ જ જલ્દી અઝાબની અંદર મુબ્તેલા કર્યા અને તેઓની એ દુન્યવી હાજતો પુરી ન થઇ જેની લાલચમાં તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લ પર તૈયાર થયા હતા.

ઇમામ હુસૈન(અ.સ.)એ ઉમરે સઅદ મલઉનને ઇર્શાદ ફરમાવ્યું: બેશક મારા કત્લ પછી તું ઇરાકના ઘઉં નહી ખાઇ શકીશ. તો એ મલઉને મજાક ઉડાવતા કહ્યું: અગર ઘઉં નહી તો હું જવ ખાઇ લઇશ અને જેવી રીતે ઇમામ હુસૈન(અ.સ.)એ તેને આગાહી કરી હતી તેમજ થયું. તે રય શહેર સુધી પહોંચી ન શક્યો અને જનાબે મુખ્તારએ તેને કત્લ કરી દીધો.

(મનાકિબ ઇબ્ને શેહરે આશોબ)

એક અન્ય હદીસમાં મળે છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના ખૈમામાંથી જે કાંઇ ખુશ્બુ લૂંટવામાં આવી હતી તે જે જે ઔરતે લગાવી તેને કોઢની બિમારી થઇ ગઇ.

અબુલ કાસિમએ રિવાયત કરી છે કે એક શખ્સે ઇમામ હુસૈન(અ.સ.)ને કહ્યું કે અય હુસૈન આપને ફુરાતમાંથી એક ટીપુ પાણી નહી મળે ત્યાં સુધી કે આપને મૌત આવી જાય અથવા એ કે આપ ઇબ્ને ઝિયાદના હુકમને કબુલ કરી લ્યો.

ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું:

બારે ઇલાહા! આને પ્યાસથી હલાક કર અને તેને હરગીઝ બક્ષજે નહી. પછી તે શખ્સ પર પ્યાસનો ગલબો થયો. તે શખ્સ એટલુ બધુ પાણી પીતો હતો છતા પણ તેની પ્યાસ બુજાતી ન હતી. તે હાય પ્યાસ કરીને ચીખો પાડતો હતો ત્યાં સુધી કે તેનું પેટ ફાટી ગયું.

આ એ બદબખ્ત લોકો હતા જેઓ ઇમામ હુસૈન (અ.સ.)ની વાસ્તવિક માઅરેફત રાખતા ન હતા. દુનિયાની મોહબ્બતે તેઓને આખેરતના દર્દનાક અઝાબના ખૌફથી બેપરવા બનાવી દીધા હતા. તે લોકોએ ઇમામ હુસૈન(અ.સ.) ની ઉપર પાણી બંધ કર્યુ જ્યારે કે એ લોકો જાણતા હતા કે ઇમામે વક્તના મુકદ્દસ વુજુદના લીધે અલ્લાહ આસ્માનમાંથી વરસાદ નાઝિલ કરે છે અને પાણી જેવી મહાન નેઅમત કાએનાતને હાંસિલ થાય છે. આ એ જહન્નમવાસીઓ હતા કે જેઓએ ઇમામ હુસૈન(અ.સ.)ના માટે પાણી પર પેહરો લગાવી દીધો, જ્યારે કે આ પાણી ઇમામ(અ.સ.)ના જ સદકામાં જમીન અને જમીનવાસીઓને તૃપ્ત કરે છે. પરવરદિગાર! જે લોકોએ ઇમામ હુસૈન(અ.સ.) પર પાણી બંધ કર્યુ અને તેમના પર ઝુલ્મો કર્યા, તેઓ પર તારો સૌથી ખરાબ અઝાબ નાઝિલ કર અને જે લોકો પણ ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લ પર રાઝી છે, તેઓને દુનિયા અને આખેરતમાં ઝલીલ અને રૂસ્વા કર અને આવા લોકોનું ઠેકાણું જહન્નમ બનાવ.

એક વલદુઝ્ઝીના જે દારમ કબીલાનો હતો, તેણે ઇમામ હુસૈન(અ.સ.)ને તીર માર્યુ, જે આપ(અ.સ.)ના મુબારક ગળા પર લાગ્યું. જેમાંથી ખુન વહેતુ હતું અને ઇમામ(અ.સ.)એ ખુનને આસ્માનની તરફ ફેંકતા હતા. ત્યારબાદ એ શકી એવી બલામાં ફસાયો કે ઠંડી અને ગરમીની ફરિયાદ કરતો હતો. તેના પેટમાંથી આગની ગરમી નીકળતી હતી અને તેની પીઠ ઠંડીના લીધે ધ્રુજતી હતી. લોકો એ બદબખ્તની પીઠની પાછળ આગ રોશન કરતા હતા અને તેની આગની પાસે પંખો ચલાવતા હતા અને તેના પેટ ઉપર બરફ રાખતા હતા. તે મલઉન પ્યાસના લીધે ફરિયાદ કરતો હતો. પાણી પીતો હતો પરંતુ તૃપ્ત થતો  હતો નહી ત્યાં સુધી કે તેનું પેટ ફાટી ગયું.

ઇબ્ને બાબવય્હએ મોતબર સનદથી યાકુબ બીન સુલૈમાનથી રિવાયત કરી કે હજ્જાજના ઝમાનામાં જ્યારે અમે ભયભીત થયા તો અમારામાંથી અમૂક લોકો શહેરમાંથી લપાઇ છુપાઇને કુફાથી બહાર આવી ગયા અને હું પણ તેઓની સાથે હતો ત્યાં સુધી કે અમે કરબલા પહોંચ્યા અને ત્યાં આરામ કરવાની જગ્યા શોધી. અમને ફુરાતના કિનારે એક ખૈમો દેખાયો અને અમે કહ્યું કે આપણે તેમાં પનાહ લઇએ. અમે એ ખૈમામાં આરામ કરી રહ્યા હતા કે એક અજાણ્યો શખ્સ અમારી પાસે આવ્યો અને કહ્યું કે હું મુસાફિર છું. શું હું તમારી સાથે આ ખૈમામાં રાત વિતાવી શકુ છું? અમે તેને રજા આપી પછી જ્યારે સૂરજ અસ્ત થઇ ગયો અને રાતનું અંધારૂ છવાઇ ગયું તો અમે દીવો સળગાવ્યો અને ઇમામ હુસૈન(અ.સ.) અને તેમની મુસીબતોનો ઝિક્ર કરવા લાગ્યા અને કહ્યું કે જે લોકો ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લમાં શામિલ હતા, અલ્લાહ તેઓને દુન્યવી બલામાં ફસાવી દીધા.

તે અજાણ્યા શખ્સએ કહ્યું: હું પણ એ લોકોમાંથી છું જેઓએ ઇમામ હુસૈન(અ.સ.)ને કત્લ કર્યા છે પરંતુ અલ્લાહની કસમ આજ સુધી મારા પર કોઇ મુસીબત નથી પડી. બેશક તમે લોકો જુઠા છો. પછી અમે ખામોશ થઇ ગયા. એ દરમિયાન દિવાની રોશની ઓછી થઇ અને તે શખ્સ ઉભો થયો કે પોતે તેની રોશનીને બરાબર કરે પરંતુ આગ તેના હાથમાં, તેની દાઢીમાં લાગી ગઇ. તે ફરિયાદ કરતો આગને બુજાવવા માટે ફુરાતમાં કુદી પડ્યો. ખુદાની કસમ અમે જોયું કે તેણે પોતાનું માથુ પાણીમાં નાખ્યુ પરંતુ આગ પાણીની ઉપર હતી. તે જે જગ્યાએ પાણીમાંથી પોતાનું મોઢુ બહાર કાઢતો ત્યાં આગ પહોંચી જાતી અને ફરી તે પોતાનું માથુ પાણીમાં નાખી દેતો. તે એવું કરતો રહ્યો ત્યાં સુધી કે તે મલઉન જહન્નમ વાસિલ થઇ ગયો.

ઇબ્ને બાબવય્હએ કાસિમ ઇબ્ને અસ્બગથી રિવાયત કરી છે કે બની દારમમાંથી એક શખ્સ જે ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લમાં શામિલ હતો, મારી પાસે આવ્યો. તેનો ચેહરો કાળો હતો. જો કે અગાઉ તે શખ્સ ખૂબ જ ખુબસુરત હતો. મેં તેને કહ્યું: હું તો તારા ચેહરાનો રંગ બદલાઇ જવાના લીધે તને ઓળખી જ ન શક્યો. તારા ચેહરાનો રંગ કેવી રીતે બદલાઇ ગયો? તેણે કહ્યું કે મેં ઇમામ હુસૈન(અ.સ.)ના અસ્હાબમાંથી એક ખુબસુરત શખ્સને કત્લ કર્યા છે કે જેની પેશાની પર સજ્દાઓના નિશાન છે અને હું તેનું સર લાવ્યો છું.

કાસિમ કહે છે કે મેં જોયું કે તેના ઘોડાના પગોથી એક સર લટકાવેલું છે અને ઘોડાના ચાલવાના લીધે તે ઘોડાથી ટકરાતુ હતુ. મેં મારા વાલિદને કહ્યું: કાશ તે આ મુબારક સરને થોડુક ઉંચુ રાખત જેથી આ મુબારક સરની સાથે આ બાબત ન બનત. મારા વાલિદે કહ્યું: અય મારા બેટા જે મુસીબત આ કાતિલ પર પડી છે તે તેના કરતા વધારે સખ્ત છે જે આ મુબારક સર પર ઘોડાના પગોના લીધે પડી રહી છે. મારા વાલીદે મને કહ્યું કે આ કાતિલે મને બતાવ્યું છે કે જ્યારથી મેં તેને શહીદ કર્યા છે દરેક રાતે જ્યારે હું સુવ છું, ત્યારે એક શખ્સ મારા ખ્વાબમાં આવે છે અને મારૂ ગિરેબાન પકડીને ખેંચીને મને જહન્નમમાં લઇ જાય છે અને મને તેમાં ફેંકી દે છે અને હું સવાર સુધી તેમાં રહું છું.

ઉમર ઇબ્ને ઉમૈર તમીમીનું બયાન છે કે જ્યારે ઇબ્ને ઝિયાદ મલઉન અને તેના મલઉન સાથીઓના સરોને કુફામાં લાવવામાં આવ્યા તો હું પણ એ લઇનોના સરોનો તમાશો જોવા માટે ગયો તો જોયું કે લોકો કહી રહ્યા છે: તે આવ્યો પછી એક સાપ આવ્યો અને તે સરોમાંથી ઇબ્ને ઝિયાદ મલઉનનું સર શોધવા લાગ્યો. જેવું તેને તે મલઉનનું સર મળી ગયું તો તે તેના નાકમાંથી અંદર ગયો અને બહાર આવ્યો. ફરીવાર નાકમાં ગયો અને બહાર આવ્યો.

ઇબ્ને શેહરે આશોબએ રિવાયત કરી છે કે અબજર ઇબ્ને કઅબ મલઉનના હાથ કે જે હાથોથી તે લઇનએ ઇમામ હુસૈન (અ.સ.)ના અમૂક કપડા ઉતાર્યા હતા, તે ગરમીની મૌસમમાં લાકડીની જેમ સુકા થઇ જતા અને ઠંડીની મૌસમમાં એ બંને હાથોથી ખુન નીકળતું હતું.

રિવાયતમાં છે કે જાબીર ઇબ્ને યઝીદએ ઇમામ હુસૈન (અ.સ.)નો અમામો જેવો પોતાના નજીસ માથા પર બાંધ્યો તે પાગલ થઇ ગયો.

ઇબ્ને હાશિર કહે છે કે અમારો એક સાથી ઇમામ હુસૈન (અ.સ.)ની વિરૂદ્ધ જંગ માટે ગયો. જ્યારે તે પાછો ફર્યો તો પોતાની સાથે એક ઉંટ અને કેસર લાવ્યો. જ્યારે તે કેસરને પીસવામાં આવ્યું તો તેમાંથી આગ નીકળી. તેની પત્નિએ આ કેસરને પોતાના હાથમાં લગાવ્યું તો તેને કોઢ થઇ ગયો અને જ્યારે તે ઉંટને ઝબ્હ કરવામાં આવ્યું તો તેના જે હિસ્સામાં છરી ચલાવતો તેમાંથી આગ નીકળતી.

ખાલિદ કહે છે કે હું મારા પિતા અબી રજાઅ અત્તારીની પાસે બેઠો હતો. મારા પિતાએ મને કહ્યું કે એહલેબૈત (અ.મુ.સ.)ના માટે ખૈર સિવાય બીજુ કાંઇ ન કેહજે. એ દરમિયાન એક શખ્સ આવ્યો જે ઇમામ હુસૈન(અ.સ.)ની વિરૂદ્ધ કરબલામાં હાજર હતો અને તેણે ઇમામ હુસૈન(અ.સ.) માટે અયોગ્ય શબ્દો કહ્યા. પછી અલ્લાહે તેના પર બે તીર ફેંક્યા અને તેની આંખોની રોશની ચાલી ગઇ.

જે લોકોએ એહલેબૈત(અ.મુ.સ.)ની ઉપર ઝુલ્મની બુનિયાદ રાખી એ લોકોએ માત્ર દુનિયાને શ્રેષ્ઠ રેહનુમા અને તરબીયત કરનારથી વંચિત જ નથી કરી દીધા પરંતુ ઝુલ્મના સિલસિલાને વધુ લંબાવી દીધો છે. આથી એહલેબૈત (અ.મુ.સ.)થી મેહરૂમીય્યતના લીધે જે મુશ્કેલીઓ પૈદા થઇ, આપસમાં જે લડાઇઓ થઇ, જે તાકતવરે કમઝોર ઉપર ઝુલ્મ કર્યા, તે બધુ તે લોકોના કારણે હતું, જેઓએ લોકોને એહલેબૈત(અ.મુ.સ.)થી દૂર કરી દીધા. આથી ઇસ્લામી ઇતિહાસના ૧૪ સદીના સમયગાળામાં કોઇ બેગુનાહ નથી માર્યો જાતો, કોઇ મઝલુમ પર ઝુલ્મ નથી કરવામાં આવતો, કોઇ હકદારના   હકને નથી છીનવવામાં આવતો સિવાય એ કે તેની બુનિયાદી જવાબદારી એ લોકો પર આવે છે, જેઓએ લોકોને બાબે મદીનતુલ ઇલ્મ – ઇલ્મના શહેરના દરવાજાથી દૂર કરી દીધા. તેમના પર ઝુલ્મો કર્યા અને તેમના મુકાબલે હલ્કા અને કમીના લોકોને જુઠા બનાવો થકી મોહતરમ બનાવી દીધા. આથી જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોનું લીસ્ટ તૈયાર કરવામાં આવશે તો પેહલુ નામ તેનું આવશે જેણે મૌલાએ કાએનાતનો હક ગસ્બ કર્યો.

સય્યદ ઇબ્ને તાઉસે પોતાની કિતાબ લુહુફમાં અબ્દુલ્લાહ ઇબ્ને રિયાહથી વર્ણન કર્યુ છે કે તે કહે છે કે મારી મુલાકાત એક આંધળા શખ્સથી થઇ, જે ઇમામ હુસૈન (અ.સ.)ના કત્લમાં શામિલ હતો. તેને તેની આંખની રોશની ચાલી જવાનું કારણ પુછવામાં આવ્યું તો તેણે કહ્યું: હું તે લોકોમાંથી છું જે ઇમામ હુસૈન(અ.સ.)થી જંગ કરવા ગયા હતા. હું નવ આદમીઓની સાથે હતો. મેં જંગમાં કોઇ નેઝો નથી ચલાવ્યો, ન તો તલવાર ચલાવી અને ન તો કોઇ તીર ફેંક્યુ. જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરવામાં આવ્યા અને હું ઘરે પાછો ફર્યો તો હું નમાઝે ઇશા પઢીને સુઇ રહ્યો હતો કે ખ્વાબમાં જોયુ કે એક શખ્સ મારી પાસે આવ્યા અને કહ્યું કે ચાલ તને રસુલે ખુદા(સ.અ.વ.) બોલાવે છે. મેં કહ્યું: મારે તેમનાથી શું કામ? તે શખ્સે મને જવાબ ન આપ્યો અને મારો કોલર પકડીને મને રસુલે ખુદા(સ.અ.વ.) પાસે લઇ ગયો. મેં જોયું કે રસુલે ખુદા(સ.અ.વ.) રણમાં ગમગીન બેઠા છે અને બાયોને કોણીઓ સુધી ચઢાવીને મુબારક હાથમાં એક હથિયાર લીધેલુ છે. એક ફરિશ્તો ઉભો છે અને એક આગવાળી તલવાર તેના હાથમાં છે અને એ નવ શખ્સોને કે જે મારી સાથે હતા તેને કત્લ કરી રહ્યો છે. પોતાની તલવાર જે શખ્સને મારે છે, આગ તેના શરીરમાં સળગી ઉઠે છે અને તે બળી જાય છે. ફરી તે જીવતો થાય છે અને ફરી એ ફરિશ્તો તેને કત્લ કરે છે. મેં જ્યારે આ હાલતને નિહાળી તો ગોઠણભેર બેસી ગયો અને કહ્યું: અસ્સલામો અલય્ક યા રસુલલ્લાહ(સ.અ.વ.). આં હઝરત(સ.અ.વ.)એ સલામનો જવાબ ન આપ્યો અને એક મિનિટ સર મુબારક જુકાવી રાખ્યું અને કહ્યું: અય દુશ્મને ખુદા! તે મારી હુરમતને પામાલ કરી. મારી ઇતરતને કત્લ કરી. મારા હકનો ખ્યાલ ન રાખ્યો. મેં અરજ કરી: યા રસુલલ્લાહ મેં કોઇ નેઝો, તીર અને તલવાર નથી લગાવી. આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું: તે સાચુ કહ્યું છે પરંતુ તુ એ લશ્કરમાં હતો અને તે શકીઓના લશ્કરના સિપાહીઓની સંખ્યામાં વધારો કર્યો હતો. મારી પાસે આવ. જ્યારે હું પાસે ગયો તો જોયું કે એક થાળ ખુનથી ભરેલો છે અને આં હઝરત(સ.અ.વ.)ની સામે રાખેલો છે. પછી આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું: આ ખુન મારા હુસૈનનું છે. આ ખુનથી બે સળીઓ મારી આંખોમાં ફેરવી દીધી. જ્યારે હું જાગ્યો તો આંધળો થઇ ગયો હતો.

આથી એ લોકો કે જેઓ કરબલામાં હાજર હતા અને જેઓએ તીર અને તલવારથી ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે જંગ નથી કરી પરંતુ ત્યા રહીને દુશ્મનની સંખ્યામાં વધારો કર્યો છે, તે પણ અલ્લાહના અઝાબના હકદાર થયા અને બિલકુલ એજ રીતે એ લોકો જે આજના ઝમાનામાં છે અને ઇમામ હુસૈન (અ.સ.)ના કત્લ પર રાજી છે, એ બધાથી વારિસે હુસૈન, હઝરત ઇમામ મહદી(અ.સ.) પોતાના ઝુહુર પછી બદલો લેશે. આ જ એ કારણ છે કે આપણે લોકો ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો પર લાઅનત મોકલીને એ સાબિત કરીએ છીએ કે અમે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોથી રાજી નથી અને રસુલે ખુદા(સ.અ.વ.)ના જીગરના ટૂકડા જનાબે ઝહરા (સ.અ.)નો હક છીનવાવાળાઓ, તેમના પર ઝુલ્મ કરવાવાળાઓ, તેમના પર સળગતો દરવાજો પછાડવાવાળાઓ પર લાનત મોકલીને તેઓથી દૂરીને વ્યકત કરીએ છીએ અને ખુદાની બારગાહમાં એહલેબૈત(અ.મુ.સ.)નો વસીલો આપીને દુઆ કરીએ છીએ કે પરવરદિગાર પોતાની આખરી હુજ્જતના ઝુહુરમાં જલ્દી ફરમાવ અને અમને તેમના મોહીબ્બોમાં શામિલ ફરમાવ અને અમારો શુમાર તેમના અન્સારો અને મદદગારોમાં કરજે અને અમારા દિલોને એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોથી મરતા દમ સુધી બેઝાર રાખજે. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *