ઈબ્ને ખલ્દુન અને હઝરત મહદી અજ. ની હદીસો

Print Friendly, PDF & Email

કોઈ વસ્તુને પરખવા, તેની સચ્ચાઈ કે તેને રદ કરવા માટે વ્યકિતત્વ ઘણો મોટો ભાગ ભજવે છે. એટલે આપણે જે બાબત વિશે જાણવા માગીએ છીએ તેના બારામાં કોઈ મામુલી કે સાધારણ માણસનું મંતવ્ય પૂછીએ અને તેની જાહેરાત કરીએ તો તેની એટલી અસર નહિ થાય જેટલી અસર એક અસાધારણ, મશ્હુર, જાણકાર અને તે ખાસ ક્ષેત્રનો હશે તેની થશે. એટલે જેટલી મહત્વની વ્યકિત હશે તેટલુંજ મહત્વનું તેનું મંતવ્ય હશે. ઈબ્ને ખલ્દુન ઈસ્લામની દુનિયાના ઘણા મશ્હુર, લોકજીભે ચડેલા અને ખાસ વ્યકિત છે. તેમની માન્યતાઓ મુસલમાનોના એક મોટા વર્ગના લોકોના દિલો ઉપર રાજ કરે છે. તેથી તેમને ‘અલ્લામા’જેવા ઈલ્કાબથી પણ નવાજવામાં આવ્યા છે.

આવો, આપણે આટલી મહાન વ્યકિતના મંતવ્ય, હ. ઈમામ મહદી (અ.સ.) ના બારામાં લખાએલી હદીસો વિશે જોઈએ. કારણકે ઈબ્ને ખલ્દુનના મંતવ્યો તેમના પછી આજ સુધી ઈલ્મના ક્ષેત્રમાં અસરકારક છે. તેમના અનુસરણમાં અમુક આલીમોએ પણ મહદીવિય્યતની હદીસોના બારામાં તેમનું અનુસરણ કરવાનું શરૂ કરી દીધું. પરિણામે સમાજે પણ તેમાં દોરાવું પડયું.

અહિં અમે ઈમામ મહદી (અ.સ.)ના સિલસિલામાં ઈબ્ને ખલ્દુને એકઠી કરેલી રિવાયતો અને તેમના મતને રજુ કરતા પહેલા તે પ્રસ્તાવનાની ચર્ચા કરવા માગીએ છીએ જેમાં તેમણે આ રિવાયતોની નોંફ કરી છે.

ઈબ્ને ખલ્દુનની પ્રસ્તાવના:

ઈબ્ને ખલ્દુને છ ભાગો ઉપર આધારિત એક ઈસ્લામી ઈતિહાસ લખ્યો છે. જેનું નામ ‘કિતાબુલ અબ્રે વદિવાન અલ મુબ્તદાઅ વલખબર ફી અય્યામીલ અરબે વલ અજમે વલ બરબર’. ઈબ્ને ખલ્દુનનું આ ઐતિહાસીક પુસ્તક એટલી પ્રશંસા ન મેળવી શકયું જેટલી આ પુસ્તક ઉપર લખવામાં આવેલ પ્રસ્તાવના મશ્હુર અને જાણીતી થઈ. એ કહેવું ખોટું નથી કે દુનિયા ઈબ્ને ખલ્દુનને એટલી ન ઓળખત જેટલી આ પ્રસ્તાવનાને કારણે ઓળખે છે. યુરોપમાં પણ આ પ્રસ્તાવનાની ઘણી ધૂમ છે. તેનો તરજુમો ઘણી ભાષામાં થઈ ચૂકયો છે. મૂળ પુસ્તક અરબી ભાષામાં છે. ભારતમાં તેનો ઉર્દુ અને અંગ્રેજી તરજુમો સહેલાઈથી મળે છે. અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રસ્તાવના અરબીની અંતિમ પરિક્ષા (ફાઝીલ)ના અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવી છે.

એમ કહેવું જોઈએ કે આ પ્રસ્તાવના ઈબ્ને ખલ્દુનના ઐતિહાસીક પુસ્તકનો સાતમો ભાગ છે. તેમણે તેને આઠથી નવ માસના ગાળામાં લખ્યો છે. આ પ્રસ્તાવનામાં સિધ્ધાંતો અને ઈતિહાસના મુળભુત ધોરણો ઉપરાંત અનેક લેખોમાં તમામ ઉલુમે અકલીય્યહના (દરેક જ્ઞાનના ક્ષેત્રના) સુંદર બયાનો અને સૌથી વધુ એ કે ઈબ્ને ખલ્દુને તેની ઉપર આઝાદીથી કોઈપણ પક્ષપાત વગર વિવરણ કરેલ છે.

અમુક લોકો ઈબ્ને ખલ્દુનના ઈતિહાસને ‘શરીર’અને પ્રસ્તાવનાને ‘રૂહ’(આત્મા) કહે છે. કારણકે ઈબ્ને ખલ્દુનની ખ્યાતિ આ પ્રસ્તાવનાના કારણે છે.

અમે પણ ઈબ્ને ખલ્દુનની આ પ્રસ્તાવનાને અમાં કેન્દ્ર બનાવેલ છે. આપણે આ પ્રસ્તાવના દ્વારા તેમની માન્યતાને ચકાસીશું.

ઈબ્ને ખલદુનની પ્રસ્તાવના ‘એતેકાદ પબ્લીશીંગ હાઉસ’, દિલ્હી, એ પબ્લીશ કરેલ છે. મવલાના રાગીબ રહમાની દહેલવી સાહેબે તેનો ઉર્દુમાં તરજુમો કરેલ છે. તે બે ભાગમાં છે. બીજા ભાગનું ‘પર’મું પ્રકરણ ‘મહદી’શિર્ષક હેઠળ છે. 18 શિર્ષકો હેઠળ ઈમામ મહદી (અ.સ.)ના બારામાં ચર્ચા કરવામાં આવી છે.

હઝરત મહદી (અ.સ.)ના બારામાં હદીસો:

ઈબ્ને ખલ્દુને બીજા ભાગના પાના 158 થી 173 ઉપર 21 હદીસોની નીચે દર્શાવેલ અસહાબોથી નકલ કરી છે. જાબીર (રઝી.), ઈબ્ને મસઉદ (રઝી.), હ. અલી (અ.સ.), ઉમ્મે સલમા, અબુ સઈદે ખુદરી, અબ્દુલ્લાહ ઈબ્ને મસઉદ, મોહમ્મદ બીન હનફીયા, ઈબ્ને અબ્બાસ, સવબાન, અબ્દુલ્લાહ બીન હારીસ બીન હુર, અબુ હુરયરહ, કરહ બીન અયાસ, ઈબ્ને ઉમર, તલ્હા બીન અબ્દુલ્લાહ, મુજાહીદ, ઉમ્મે હબીબા વગેરે. હદીસના આ રાવીઓને જુદી જુદી સનદોથી સંલગ્ન કર્યા છે. ખુદ ઈબ્ને ખલ્દુને લખ્યું છે કે હદીસોને તિરમીઝી, અબુદાઉદ, બરાઝ, ઈબ્ને માજા, હાકીમે તબરાની, અબુ યોઅલા મુસલી વગેરેએ પોતાની કિતાબોમાં લાવ્યા છે. પછી અલ્લામા લખે છે:

‘મહદીને ન માનનારા આ હદીસોની સનદ પર એઅતેરાઝ કરે છે. જે વિશે અમે આગળ લખશું. હદીસકારનો જેમકે એ નિયમ મશ્હુર છે કે ‘જરહને તઅદીલ પર અગત્યતા હોય છે’(એટલે નુકસ-ઐબ, ખામીને અદાલત, સચ્ચાઈ પર સરસાઈ હાસીલ છે). એટલે જો આપણે સનદોના કોઈ રાવીમાં ખામી જોઈશું, જેમકે તે ગાફીલ છે (બેદરકાર છે) અથવા તેની યાદ શકિત ખરાબ છે અથવા જઈફીને લીધે તેની વિચારશકિત ખરાબ છે, તો તેની અસર તેની વર્ણવેલી હદીસના સત્ય હોવા ઉપર પડશે અને હદીસ તેની વિશ્ર્વસનીયતા ખોઈ બેસશે.’ (મુકદ્દમા 2/158)

નોંધ:

ઉપરના લખાણથી સ્પષ્ટ છે કે અલ્લામાએ નિયમ ‘હદીસવેત્તામાં ખામી હોય તો તે ખામીને હદીસની સચ્ચાઈ પર અગત્યતા છે’ હેઠળ એવી હદીસોને વિશ્વાસપાત્ર ગણતા નથી, જેના પર ‘જરહ’કરવામાં આવી હોય.

હદીસો પર જરહ:

ઈબ્ને ખલ્દુને ઉપર મુજબના લખાણ પછી 21 હદીસો હ. ઈમામ મહદી (અ.સ.)ના બારામાં નકલ કરી છે અને દરેક હદીસની સનદો અને રાવીઓની ઉપર જરહ (ખામીઓને) નકલ કરી છે. સોહયલીના કથન મુજબ અબુ બક્ર બીન ખુસયમાએ મહદીના બારામાં બધી હદીસો એક જગ્યાએ એકઠી કરી દીધી છે. અમે તે અહિં વિગતવાર લખી રહ્યા છીએ.’ (એકવીસમાંથી માત્ર બે હદીસો અમે નકલ કરી રહ્યા છીએ.)

હદીસ (1) જાબીર (રઝી.): રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યું: મહદીને ન માનનાર કાફીર અને દજ્જાલ (એક જુઠ્ઠો માણસ આખર ઝમાનામાં પૈદા થશે અને તેને મસીહ (અ.સ.) કત્લ કરશે) નો ઈન્કાર કરનાર જુઠ્ઠો છે. પશ્ર્વિમથી સૂરજ નીકળવાના બારામાં પણ મારા ખ્યાલ મુજબ આ રીતે ફરમાવ્યું છે. આ હદીસના રાવી આ પ્રમાણે છે: માલિક બીન અનસથી મોહમ્મદ બીન મુનકદરથી જાબીર. આ ક્રમને અબુ બક્ર અસ્કાફીએ ‘ફવાએદુલ અખ્બાર’માં નકલ કર્યો છે.

જરહ: માલિક બીન અનસની તરફ આ હદીસની સનદની સચ્ચાઈમાં ઘણી અતિશ્યોકિત છે તેવો આક્ષેપ છે. તે સિવાય ખુદ અબુ બક્ર અસ્કાફ પણ હદીસકારોના મત મુજબ તોહમતદાર છે. કારણકે હદીસ ઘડવાનો તેના ઉપર આક્ષેપ છે.

હદીસ (2) ઈબ્ને મસઉદ (રઝી.) નબી (સ.અ.વ.)થી રિવાયત કરે છે કે આપે ફરમાવ્યું કે જો દુનિયાનો એક દિવસ પણ બાકી રહી જશે તો પરવરદિગાર તેને લાંબો કરી દેશે, ત્યાં સુધી કે તેમાં મારાથી કે મારી એહલેબય્તથી એક માણસને મોકલશે. જેનું નામ મારા નામ ઉપર અને તેના પિતાનું નામ મારા પિતાના નામ ઉપરથી હશે. (તિરમીઝી, અબુ દાઉદ, આ શબ્દો રાવી અબુ દાઉદના છે.) તેમની આ હદીસની સનદના રાવી આ છે: આસીમ બીન અબી બખુર, મશ્હુર કારી ઝરી હબીશથી, તેમણે અબ્દુલ્લાહ બીન મસઉદથી.

નોંધ: તિરમીઝી અને અબુ દાઉદે પોત પોતાની સનદથી લાવ્યા છે. અબુ દાઉદે તેની ચુપકીદી ધારણ કરી છે. અબુ દાઉદે પોતાના મશ્હુર ગ્રંથમાં ફરમાવ્યું કે જે હદીસ ઉપર હું ચુપ રહું તેને સાબિત કબુલ કરવી. (મુકદ્દમાં 159/2)

જરહ: ઈમામ અહમદ ફરમાવે છે કે આ (આસીમ) નેક છે. કુરઆનના કારી છે. સારા માણસ અને ભરોસાપાત્ર છે. પરંતુ અઅમશ તેમનાથી વધુ યાદ શકિત ધરાવે છે. (અહિં આસીમની યાદશકિતને નબળી બતાવવામાં આવી છે).

મોહમ્મદ બીન સઈદનું કહેવું છે: આસીમ હતા તો વિશ્વાસપાત્ર, પરંતુ હદીસમાં ભુલો ઘણી કરતા હતા.

અબ્દુલ રહેમાન બીન અબી હાતીમ કહે છે કે મેં મારા પિતાને કહ્યું કે અબુઝર, આસીમને વિશ્વાસપાત્ર બતાવે છે. મારા પિતાએ કહ્યું તેમનો (આસીમનો) આ મરતબો નથી (કે તે વિશ્વાસપાત્ર હોય) તેમના ઉપર ઈબ્ને હલબીયાએ આક્ષેપ કર્યો છે અને ફરમાવે છે કે બધા આસીમ નબળી યાદ શકિતવાળા છે. અબુહાતીમ કહે છે: મારા મત મુજબ તેઓ સાચા છે. પરંતુ હદીસના હાફીઝ નથી. તેમના બારામાં નેસાઈનું કહેવું પણ જુદું છે.

અબુ જાફર અકીલી: તેમની માત્ર યાદ શકિત ખરાબ હતી. દારકતની: તે (આસીમ)ની યાદ શકિતમાં કાંઈક ત્રૂટી હતી. યહ્યા અલકતાન: મેં જે માણસનું નામ આસીમ જોયું તેની યાદશકિત ખરાબ જોઈ. મેં શોઅબાથી સાંભળ્યું: તે કહે છે કે મને આસીમ બીન અબીલ બખુરે હદીસ કહી જો કે તેમના બારામાં લોકોના વિચારો સારા નથી.

ધ્યાન આકર્ષક નોંધ:

આ જરૂરહ (ખામી) કાઢયા પછી ઈબ્ને ખલદૂને એઅતેરાઝ (આક્ષેપ)નો જવાબ આપવાની કોશીશ કરી છે:

‘જો કોઈ કહે કે બુખારી અને મુસ્લિમ પણ તો આસીમની હદીસ લાવ્યા છે, જેથી જણાયું કે આસીમમાં સચ્ચાઈની સાબિતી છે, તો તેનો આ જવાબ છે કે બુખારી અને મુસ્લિમ તેમની હદીસ સીધે સીધી નથી લાવ્યા પરંતુ બીજા રાવીઓની સાથે મેળવીને લાવ્યા છે. એટલેકે મૂળ રાવી બીજા રાવી છે અને આસીમને તો ફકત સાક્ષી તરીકે લાવવામાં આવ્યા છે.’ (મુકદ્દમા 2/160)

આવીજ રીતે ઈબ્ને ખલ્દુને, બુખારી અને મુસ્લિમના ટેકામાં મહદીવિય્યતની હદીસની ચર્ચામાં આવું લખ્યું છે.

કોઈ એ ન કહે કે આક્ષેપ તો બુખારી અને મુસ્લિમના અમુક રાવીઓ ઉપર પણ કરવામાં આવ્યો છે. (ટેકામાં અલ્લામા ફરમાવે છે) જો કે આલીમો આકસ્મિક રીતે બુખારી અને મુસ્લિમની હદીસો સાચી માને છે. કારણકે આલીમોનો સમુહ આ હદીસોની સચ્ચાઈ ઉપર સૌથી મજબુત દલીલ અને વફાદારી અને તરફદારી માટે શ્રેષ્ઠ (દલીલ) છે. (મુકદ્દમા 2/158)

એ જ પરિણામ આવ્યું:

ઈબ્ન ખલ્દુનની ઉપરોકત બન્ને મહદીવિય્યતના બયાનની હદીસો હેઠળ ખાસ કરીને આક્ષેપ રજુ કરતા પહેલા અને આક્ષેપ પછી, એ પરિણામ આવ્યું કે:

(1) જે હદીસોના રાવીઓ ઉપર આક્ષેપ થયો છે તે હદીસોને વિશ્વાસપાત્ર ન ગણવી.

(2) એ જ રાવી જેની ઉપર આક્ષેપ થયો છે, જો બુખારી અને મુસ્લિમના રાવી છે તો બુખારી અને મુસ્લિમની હદીસની સચ્ચાઈ ઉપર તેની અસર નહિ થાય. કારણકે બુખારી અને મુસ્લિમની હદીસોની સચ્ચાઈ ઉપર આલીમોનો સમુહ છે.

હવે જરા વિચાર કરો. 21 હદીસો અને તેની ઉપરના આક્ષેપોને લખ્યા પછી ઈબ્ને ખલ્દુન લખે છે:

‘આ તે બધી હદીસો જે આલીમો, મહદીના અને આખરી ઝમાનામાં તેમના ઝુહુરના બારામાં લાવ્યા છે તેનો અભ્યાસ કર્યા પછી આપે જાણી લીધું હશે કે દરેક હદીસ ઉપર આક્ષેપ છે અને આક્ષેપથી કોઈ હદીસ ભાગ્યેજ બચી છે.’ (મુકદમા 2/173)

ઈબ્ને ખલ્દુને મહદીની હદીસોને આકસ્મિક ગણીને ન માત્ર મુસલમાનોમાં શક પૈદા કર્યો, પરંતુ અમુક લોકોને ગુમરાહ પણ કરી દીધા. હવે અમે ઈબ્ને ખલ્દુનની આ પ્રક્રીયાના જવાબમાં ટૂંકમાં એ સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે મહદીની હદીસો ન તો આકસ્મિક છે અને ન તો રાવીઓ ઉપરના આક્ષેપની હદીસની વિશ્ર્વસનીયતા ઓછી થાય છે. કારણ કે હકીકત એ છે,

1) જે હદીસો ઉપર સર્વ સંમતી છે, તેને રજુ કરનાર વ્યકિતઓને પરખવાની કે જોવાની જરૂર નથી હોતી તેથી તેઓના ઉપર આક્ષેપ કરીને મહદીની હદીસને ભરોસાપાત્ર ન ગણવી અને નબળી બતાવવી તે ‘ઈલ્મે હદીસ વ દરાયા’(હદીસોનું જ્ઞાન)ના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે.

(2) 21 હદીસોને જુદા જુદા રાવીથી નકલ કર્યા પછી તેને આકસ્મિક કહેવું કયાં સુધી સાચું છે. જેમકે ઈબ્ને ખલ્દુનના કથનમાંજ વિરોધાભાસ જોવા મળે છે.

(3) ખુદ ઈબ્ને ખલ્દુને નકલ કર્યું છે કે: અઈમ્માની એક જમાઅત જેમાં તિરમીઝી, અબુદાઉદ, બઝાઝ, ઈબ્ન માજા, હાકીમ અને તબરાનીએ હદીસે મહદીને પોત પોતાની કિતાબોમાં નકલ કરી છે.. શું આથી એ સાબિત નથી થતું કે મહદવિય્યતનો અકીદો એક સર્વગ્રાહી અકીદો છે અને મુસલમાનો તેના ઉપર એક મત છે, એટલા માટે જ આવા પ્રખર સત્યવાદી આલીમોએ મહદવિય્યતની હદીસોને નકલ કરી?

(4) નિયમ: ‘ઈન્નલ જરૂરહ મુકદ્દમ અલલ તઅદીલ’આ હદીસના આલીમોએ બનાવેલા નિયમ છે અને તેનો સ્ત્રોત અને મૂળ હદીસ અને કુરઆન નથી. પછી જ્યાં આ નિયમને હદીસના આલીમોએ સ્વીકાર્યો છે, ત્યાં હદીસના ઘણા આલીમોએ રદ પણ કર્યો છે. તો અલ્લામાએ શા માટે મહદવિય્યતની હદીસોને નબળી દર્શાવવા માટે માત્ર આ એક ન નિયમનો સહારો લીધો?

(5) ભુલ કે યાદશકિતના કારણે કોઈ હદીસને નબળી દશર્વિીને હદીસની સચ્ચાઈ ઉપર હુમલો કરવો તો યોગ્ય નથી, કારણ કે મહદવિય્યતની હદીસો શબ્દોમાં, ક્રમબધ્ધ અર્થમાં ક્રમબધ્ધ, સમજવામાં ક્રમબધ્ધ અને દરેક રીતે સિલસિલાબધ્ધ છે.

(6) ખુદ ઈબ્ને ખલ્દુન એ સ્વિકારે છે: ‘તમામ મુસલમાનોમાં અને દરેક ઝમાનામાં એ વાત સર્વગ્રાહી અને મશ્હુર ચાલી આવે છે કે આખર ઝમાનામાં એહલેબૈત (અ.મુ.સ.)ના ખાનદાનમાંથી એક એવી વ્યકિત જાહેર થશે જે દીનને પરિપૂર્ણતા સુધી પહોંચાડશે અને ન્યાય ફેલાવી દેશે…’

આ મસઅલો (મહદવિય્યતનો) મુસલમાનોની ઉમ્મતના સમૂહો સાબીત કરી રહ્યા છે, જે આ અકીદાની તરફેણની એક સચોટ દલીલ છે. જો અમે લેખને લંબાવવા માંગીએ તો બીજી શ્રેષ્ઠ દલીલો રજુ કરી શકાય તેમ છે. પરંતુ અહિં તેનો અવકાશ નથી. વધુમાં શઅબાનના અગાઉના અંકમાં મહદવિય્યતની હદીસો સિલસિલાબંધ એક નહી પરંતુ અનેક લેખોમાં સાબિત થઈ ચૂકી છે. તેથી ઈબ્ન ખલ્દુનની હદીસે મહદીને નબળી અને આકસ્મિક બતાવવી તે પાયા વગરનું સાબિત થઈ જાય છે.

અંતમાં યાદ રાખવું જોઈએ કે ઈબ્ને ખલ્દુનની હયસીય્યત ઈસ્લામી જગતમાં ‘હદીસકાર’ની નહિ પરંતુ ‘ઈતિહાસકાર’ની છે. તેથી હદીસની સચ્ચાઈ જાણવા માટે તેની તરફ રજુ થવું યોગ્ય નથી બલ્કે હદીસકારના મંતવ્યને અગ્રતા આપવી જોઈએ.

એહલે સુન્નતના આલીમો પૈકી અહમદ બિન મોહમ્મદ બિન સીદ્દીક શાફેઈએ ઈબ્ન ખલ્દુનના આ મંતવ્યને રદ કરીને એક કિતાબ લખી છે: ‘અબરાઝુલ વહમુલ મકનુન મીનકલામે ઈબ્ને ખલ્દુન.’

આ કિતાબ અરબી ભાષામાં આશરે 150 પાનાની ભરેલી છે. દમિશ્કમાં આ કિતાબ સન 1347 હી. માં પ્રકાશિત થઈ હતી. તેમાં ઘણીજ વિદ્વતાપૂર્વક સંપાદકે, હદીસે મહદીને સર્વમાન્ય લેખીને ઈબ્ન ખલ્દુનને પછડાટ ખવરાવી છે.

એ ખુદા! તમામ મુસલમાનોને ગુમરાહીથી સુરક્ષિત રાખ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *