આગાહી અને જાગૃતિ

Print Friendly, PDF & Email

એક શીઆ બિરાદર જે શીઇય્યતની હકીકતને ફક્ત વિષય તરીકે અભ્યાસ નથી કરતો પરંતુ ઇમાન અને માઅરેફતનો એક દીવો પ્રગટાવી તેની રોશનીમાં લાંબા વિચારોનો ભાર ઉપાડીને નજાત માટે દરેક શક્ય પળોને હાથમાંથી જવા નથી દેતો, જે તેને પોતાના ઇમામે અસ્ર(અ.ત.ફ.શ.)થી નજદીક કરી દે. એવા શખ્સ માટે આ ઝમાનો, આ યુગ અને સમય કેટલા સખ્ત ઇમ્તેહાનનો છે તેને સંક્ષિપ્તમાં બયાન કરવુ કેવી રીતે? તે માટે આખી ઝીંદગી જોઇએ. હા, અલબત્ત આ ઉદાહરણ કંઇક અંશે તે બાબતને સમજાવી શકે કે જાણે હથેળી પર કોઇએ આગ મૂકી દીધી હોય અને કહે કે મુઠ્ઠી બંધ કરી લ્યો. આ જ તો રિસાલત મઆબ(સ.અ.વ.)ની આગાહી પણ છે, જે આખરી ઝમાનામાં સૌથી વધારે ચોંકાવી દેનારી નિશાનીઓમાંથી એક નિશાની છે. કોઇ કે કહ્યુ છે કે “ઝમીન પર અત્યારે ઇસ્લામ જેવી રીતે અજાણ્યાઓના અને એક એકના ખુલ્લમ ખુલ્લા અને છુપા બંનેના હુમલાના નિશાન બનેલ છે. તેના માટે સલમાન રશ્દી અને તસ્લીમા નસ્રીનનો ઉલ્લેખ બુધ્ધિશાળી અને અકલમંદો માટે પુરતો છે. દુનિયામાં આજુબાજુથી સાજીશો માથુ ઉંચકી રહી છે અને મોટી યોજના સાથે ઇસ્લામના દુશ્મનો મશ્ગુલ છે. તે સાજીશ જ શું જે કોઇ કોમની વ્યક્તિઓ ખાસ કરીને જવાનો પર પોતાનો રંગ ચડાવવામાં નિષ્ફળ જાય અને હવે તો પરિસ્થિતિ અહી સુધી પહોંચી છે કે હિંમતની એ હાલત છે કે લોકોએ સામી છાતીએ જાહેરી રીતે ગુમરાહીના આતશબાજીના કારખાના ખોલી નાખ્યા છે.

દુનિયાની આસપાસના ષડયંત્રો પરથી નજર હટાવીને પોતાની આસપાસ દ્રષ્ટિ કરીએ અને સામૂહીક રીતે ઉલટ તપાસ કરીએ, શું ગુમરાહ કરનારા પરિબળો ઇસ્લામનું નામ લઇને બરબાદી અને તબાહીના મૈદાનમાં ઝડપથી દીવસે અને દીવસે આગળ નથી વધી રહ્યા? એવુ કયુ કુટુંબ છે જ્યાં દુન્યવી તાલીમ હાસિલ કરવાની ચર્ચા નથી થઇ રહી? તે ઘરોમાં ઇંગ્લીશ છાપુ – વર્તમાન પત્ર ન આવવુ અને દુનિયાની હાલતથી અજાણ રહેવુ તે પ્રગતીના માપદંડથી નીચે ઉતરવાનુ કારણ બતાવવામાં આવે છે. અમારા એક મિત્ર બહુ જ ભણેલા-ગણેલા છે અને વિજ્ઞાનની દુનિયામાં મશ્હુર છે. આમ છતા પણ મઝહબમાં પાબંદી માટે કોઇ છુટછાટ નથી કરતા તેમના ઘરે અંગ્રેજી અખ્બાર સવારના આવે છે તો વાંચવા પહેલા જે બુરા લેખ અને ફોટાઓ હોય છે તેને કાતરથી કાપી નાખે છે.

આ ભયાનક જમાનામાં જ્યાં સચ્ચાઇ અને ખુલુસતાના સિક્કાની બદલે કશુજ નથી મળતુ પરંતુ બજારમાં એવા સિક્કાઓ જોઇને તેમના ઉપર લાનત અને મેણાટોણા તેમજ મજાક ઉડાડવામાં આવે છે. જે તેના બદલે જીગરના દર્દની દવા માંગે છે. તેવા શખ્સની અવાજ ત્યાં કેવી રીતે સંભળાશે જ્યાં રાજકારણ, એશો આરામ, ઘમંડ, સંગ્રહખોરી, જુઠ અને સચ્ચાઇની ભેળસેળનો રોજ નવા નવા ઘોંઘાટ ઉઠે છે અને અગર કોઇ ઘડી ભર માટે આવા શખ્સનો અવાજ સાંભળી પણ લે તો તેની પર શું અસર થવાની છે? અય મારા રહીમ અને કરીમ ખુદાએ બુઝુર્ગ અને સૌથી મહાન ખુદા! અગર આવી હાલતમાં જ્યાં લોહી સસ્તુ અને પાણી મોંઘુ છે અને અમારા ઝમાનાના ઇમામ(અ.સ.)ની નઝરે ઇનાયત ન હોત તો ન જાણે ક્યા અઝાબમાં ફસાએલા હોતે જ્યાં મૌત માંગવાથી મૌત પણ ન મળતે.

જ્યારે દિલના દર્દના બયાનમાં કલમ શબ્દોનો  સહારો લઇને હાલત વર્ણવી રહી હતી તો અચાનક ગદીરે ખુમમાં ઇમામે અસ્ર(અ.સ.)નો ઝિક્ર યાદ આવ્યો. જેણે દિલના  સુકૂનનો રસ્તો બતાવ્યો. એવી રીતે કે જ્યારે રાકેમુલ હુરુફ પોતાના દિમાગને ગવાહની હૈસીયતથી ઉપરોક્ત વર્ણવેલ અનુભવનું વિશ્ર્લેષણ કરી રહ્યુ હતુ અને ક્રમ માટે પરિસ્થિતિની કડીઓ જોડી રહ્યો હતો તો એવુ લાગ્યુ કે જાણે કોઇ મને ઠપકો આપી રહ્યુ છે અને મારી ટીકા કરી રહ્યુ છે અને કહી રહ્યુ છે કે એવું નથી ગાફિલ માયુસીથી બહાર નીકળ. આશા અને ઇંતેઝારના ચિરાગોથી જીંદગીનો માર્ગ પ્રકાશિત છે. ગૈબની અવાજો પર કાન ધરીને સાંભળ, ઇતિહાસના દરવાજામાંથી અવાજ આવી રહી છે.

જે ૧૪૦૦ વર્ષ પહેલા ધગધગતા ગદીરે ખુમના મૈદાનમા અવાજ બુલંદ થઇ હતી. એક લાખથી વધુ હાજીઓનો સમૂહ હતો. સૂરજ મધ્યાહને પહોચેલ હતો. અરબનો ધગધગતો તડકો જાણે આગ વરસાવી રહ્યો હતો. રહેમતના ઇમામ- રસુલે હાજીઓના આ સમૂહમાં જ્યાં દુર-સુદુર સુધી ફક્ત હાજીઓજ જોવામાં આવી રહ્યા હતા. દરેક હાજીએ કાબાનો તવાફ કરેલ હતો-મીનામાં રોકાણ કર્યુ હતુ- મુઝ્દલફામાં એક રાત વીતાવી હતી. અરફાતના મૈદાનમાં આખો દિવસ ઇબાદત અને દુઆઓમાં પસાર કર્યો હતો- શૈતાનને કાંકરીઓ મારી હતી. આ સમૂહને આવી કયામતના તડકા અને ગરમીમાં રસુલે ઇસ્લામેં પોતાની અંતિમ હજથી પાછા ફરતી વખતે રોકાણ કરવાનો હુક્મ કર્યો. કાફલો રોકાઇ ગયો. મૌલા અલી(અ.સ.)ના સર પર તાજે વિલાયત રાખીને પોતાના જાનશીન મુકર્રર કર્યા અને બીજુ મહત્વનું એલાન કે જેનો ઝિક્ર ખૂબજ ઓછો થાય છે અને જેની મહત્વતાનું દામન કયામત સુધી ફેલાએલ છે તે એ કે પોતાના ૧૨ ઇમામોનો ઝિક્ર જેમાં આપે પોતાના આખરી જાનશીનનો જાહેરમાં ઝિક્ર કર્યો અને ફરમાવ્યું તેમનું નામ મારુ નામ હશે તેમની કુન્નીયત મારી કુન્નીયત હશે અને તે મહદી-ઇમામે આખેરૂઝ્ઝમાન હશે.

આજે આપણે સૌ ઇમામ(અ.સ.)ના ઝમાનામાં અય્ને યકીનની સાથે જીવન વીતાવી રહ્યા છીએ- થોડુક વિચારવાની વાત છે ઇમામે અસ્ર(અ.સ.) આપણી આંખોથી અદ્રશ્ય છે. આપણને દેખાતા નથી ગાયબ છે અને ગૈબતની ચાદર આપણી અને ઇમામ(અ.સ.)ની વચ્ચે આડશરૂપ છે. પરંતુ તેનો મતલબ એ તો નથી કે આપણે ઇમામતને જાણી લઇએ,  ઓળખી લઇએ અને ઇમામતના હોદ્દા પર રહેલ ઇમામ(અ.સ.)ની ખુશ્નુદી અને રેઝાને ભુલી જઇએ તેમનાથી ગફલત વર્તીએ? તેઓ આપણને એક એકને જોઇ રહ્યા છે, એક એક શખ્સના દિલના ધબકારા સાંભળી રહ્યા છે. આ ઇમામતના હોદ્દા પર રહેલા ઇમામ હાકિમે વક્ત છે અને રહેશે. જાહેરી અને જાએઝ હુકુમતની સાથે ઇમામે વક્ત એટલે કે ઉલીલ અમ્રની હુકુમતના તમામ કાનૂનો પણ અમલમાં છે. યાદ રાખવું જરૂરી છે કે આ દુનિયામાં જ અમલમાં છે. આપના કાર્યકરો અને નોકરિયાતો, આપના એલચી દરેક ખુણામાં આપ પર નજર રાખી રહ્યા છે. હવે જોવાનું એ છે કે એ ઝાત જેનો સિલસિલો નબુવ્વતથી મળે છે અને જે તમામ મખ્લુક પર અલ્લાહની તરફથી હુજ્જત છે અને હુકુમત કરી રહ્યા છે. તેઓ પોતાના શીઆઓથી શું ઇચ્છે છે? અગર આપના શીઆ નજરોથી ગાએબ ઇમામ(અ.સ.)ને સારી રીતે સમજી લે અને તેમની સાથે સુસંગતતા રાખે એ ઐતીહાસીક બનાવો જે બયાન કરે છે કે આપ કેવી રીતે તશ્રીફ લાવે છે, કેવી રીતે વારંવાર પોતાના ચાહવાવાળાઓને દીદાર કરવાનો શરફ અતા કરે છે અને મદદ કરતા રહે છે તો માલુમ થઇ જશે કે આપ આપના શીઆઓની હાલતથી એક પળ માટે પણ ગાફીલ નથી અને આ જ બાબત ઇમામે અસ્ર(અ.સ.)એ ફરમાવ્યું છે. અગર આવા પ્રશંસનીય સિફતો કોઇ કૌમની વ્યક્તિ ધરાવતી હોય તો તેના દિલમાં ઇમામ(અ.સ.)ના મદદગાર બનવાની તમન્ના જાગી ઉઠે છે. નુસ્રતનો અરમાન, તેની તમન્ના એક અજીબો ગરીબ લઝ્ઝતથી તાબીર કરવામાં આવી છે.

એટલે કે એ સ્વાદનો કે જેને ઇમામ(અ.સ.)ની નુસ્રતનો સ્વાદ કહે છે એક અનોખી લઝ્ઝતના એહસાસનું નામ છે. તેમાં શહાદતની લઝ્ઝત એક અજીબો ગરીબ એહસાસને જન્મ આપે છે અને આપના હુક્મની ઇતાઅતનો આનંદ જ કંઇક અલગ છે અને શહાદત મેળવવાની પરિસ્થિતિ પણ કંઇક જુદી જ છે જેનામાં આ કૈફ મળશે તે કામ્યાબ થશે હંમેશની કામ્યાબી, બુલંદ દરજાતની તરફ આગળ વધવાની હિંમતની કામ્યાબી આ તેના માટે એક નવી દુનિયાનો રસ્તો તૈયાર કરી દે છે.

પરંતુ – પરંતુ જરાક પાછળ ફરીને જોઇએ જેઓ ગફલતમાં રહ્યા – ખુલ્લમ ખુલ્લા ગુનાહો કર્યા – સંબંધ, માલ અને દૌલતની મૂર્તિઓ પર પણ યકીન રાખ્યુ અને દુન્યવી શોહરત માટે સમાજમાં સત્તા પર રહ્યા તેઓએ ઇમામ(અ.સ.)ની તાકાત, કુદરત ગઝબ અને કહેરને નથી જાણ્યો જે તમામ સજીવોને ઘેરી લીધેલ છે. તે જે તશરીઇ ઇરાદામાં માલિકી ધરાવે છે જે ખુદાના તરફથી તેમને આપવામાં આવી છે તે ખુદાના જાનશીની ઝાતે બા બરકત છે કે જેની કુદરતમાં સલતનત છે પરીક્ષાના મૈદાનમાં પરીક્ષા તો થવાની જ છે અને તે સારા અમલની કસોટી પર થશે. આથી સજા પણ છે અને જઝા પણ છે આ દુનિયામાં પણ છે અને અને આખેરતમાં તો છે ને છે જ. “સીરૂ ફીલ્ અર્ઝે ફન્ઝોરૂ કય્ફ કાન આકેબતુલ્ મુજરેમીન

આથી જ્યાં હુક્મની અમલની આગાહી છે ત્યાં જાગૃતિ પણ છે. ગોશ્ત અને ચામડાનો બનેલો આદમી ધ્રુજી ઉઠશે જો તે સતત કત્એ રહેમી કરે, લાલચ અને લોભને પોતાની રીત બનાવી લે, ઝાલીમ લોકોની રીતભાતને અપનાવે અને ફખ્ર કરે, દિલને દુખાવવાની બાબતને પોતાની વ્યક્તિત્વની સજાવટ સમજે, સમાજની તરફ એ જરૂરતમંદ લોકોને તુચ્છતાની નજરોથી જુએ જે પોતાના ઇમામ(અ.સ.)ની યાદમાં સાદગી ભર્યુ જીવન જીવી રહ્યા છે. તો યાદ રહે કે વક્તના ઇમામ(અ.સ.) પાસે સમયનો ચાબુક પણ છે જે ને આપના જદ્દના અઝાદારોના આંસુ વરસવાથી રોકી રહ્યા છે અને તેમના તરફથી આવવાવાળી બક્ષીશો, ઇનાયતો, રહેમતોના દરેક સમયે આવવાવાળા સીલસીલાને તુટવા નથી દેતી. તેનું એક પુર છે જે આપના ખૈમાગાહથી આપના શીઆઓ તરફ આવી ચાલતુ આવ્યુ છે. પરંતુ અગર કોઇ વ્યક્તિગત ફાયદા માટે શીઇય્યતની હદોની પરવા ન કરે  અને હઝરતે હુજ્જત(અ.સ.)ની નારાઝગીનું કારણ બને તો પછી તેને આપ(અ.સ.)નો રહેમ અને કરમ જ બચાવી શકે છે.

ખુલાસો એ છે કે જ્યારે ઇમામે વક્ત(અ.સ.)ની હુકુમતમાં આપણે જીવન પસાર કરી રહ્યા છીએ અને આપણને એ ખબર છે કે આપ(અ.સ.) તમામ ઝમીન અને કાએનાત પર અલ્લાહ તઆલાની તરફથી જાનશીન છે અને તમામ મખ્લુકે ખુદા અને તેના બંદાઓ ઉપર આપની વિલાયતનો હુકમ અમલી છે, તો પછી હવે દરેક બંદા પર ખાસ કરીને હઝરતે હુજ્જત(અ.સ.)ના શીઆઓ ઉપર લાઝિમ છે કે તેઓ જાગૃત રહે એ ફરમાનો અને હુકમો તરફ જે આપના દરબારથી જારી થાય છે અને બદલતા હાલાતો પર જારી થતા રહે છે. આપની હુકુમત અને ઇમામત ગૈબતના એક કેન્દ્રથી શરૂ થઇ ઉંચા મરાજએ એક અતુટ સંબંધનો સિલસિલો કાયમ છે અને તે ોત છે જ્યાંથી હુકમોની પાબંદી જેને આપણે તકલીદ કહીએ છીએ. જેને આપણે આપણી દરેક ઇચ્છાઓ કરતા અગ્રતા આપીએ છીએ, અને આપણા અસ્તિત્વને આપણી મરજી મૂજબ અલગ નથી થવા દેતા. ત્યારે જ તો આપણને હક છે કે ઇન્સાની બુલંદીઓની મંઝીલોની તરફ નજર ઉઠાવીને જોઇ શકીએ, જ્યાં કરામતો જલ્વાગર છે. તેના માટે જરૂરી છે કે આશાનો ચિરાગ અક્કલની રોશનીની સાથે આપણને રસ્તો દેખાડતો રહે અને ઇન્તેઝારે ઝુહુરે પૂર નૂરની તમન્ના અર્ધુ ખેંચી કાઢેલ તીર જે જીગરમાં લાગેલ છે તેની ખટક અને દુખાવાના લઝ્ઝતથી આપણી પર ગફલતની નીંદ હાવી ન થઇ શકે અને આપણે દરેક સવારે નમાઝની પછી આપણા આકા અને મૌલાથી બયઅત ફરીથી તાજી કરીએ એ રીતથી જે આપણા ઓલમાએ આપણને અતા કર્યો છે. આ બયઅતનો એક ભાગ આ મુજબ છે.

“અય અલ્લાહ! હું દરેક સવારે અને મારી જીંદગીના તમામ દીવસોમાં તે વાયદો અને અહદ અને તે હઝરત(અ.સ.)ની બયઅતને જે મારી ગરદન પર છે તેને દોહરાવું છું, એવી રીતે કે ક્યારેય તેનાથી ફરી નહી જઇશ અને ન મારી ગરદનને ખાલી કરીશ. અય ખુદા! મને તેમના દોસ્તો અને મદદગારોમાંથી બનાવ અને મને એ લોકોમાં શુમાર કરજે જે હઝરત(અ.સ.)નો બચાવ કરે છે અને તેમની જરૂરતો પુરી કરવામાં જલ્દી કરે છે, અને તેમના હુકમોની ફરમાંબરદારી કરે છે અને તેમના પવિત્ર વુજુદની હિમાયત કરે છે અને તેમની ખ્વાહીશાત પુરી કરવામાં એક બીજાથી આગળ વધે છે અને તેમની સામે શહાદત પર બિરાજમાન થાય છે. આમીન સુમ્મ આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *