દિવ્ય જ્યોતની એક ઝલકમાં જ. ઝયનબ (અ.સ.)ની કારકીર્દીના ઉચ્ચ શીખરો

Print Friendly, PDF & Email

ખુશનસીબ વિલાદત :

‘ઝિન્દગાની એ ફાતેમા ઝહેરા’ના કર્તાના મત મુજબ આપની વિલાદત હિજરતના છઠ્ઠા વરસમાં થઇ. પરંતુ ઇતિહાસકારો આપની વિલાદતનું વરસ હિજરી સન પાંચ દર્શાવે છે.

હદીસે કિસાઅ સાક્ષી છે કે આ દુનિયાની હસ્તી, આ વિશ્ર્વનું અસ્તિત્વ, આ નૂરના પ્રમાણ, જેને આપણે સૂરજ અને ચંદ્ર કહીએ છીએ, આ ઘુઘવાટ કરતા સાગરો, તેમાં ચાલતી હોડીઓ, આ પહાડ,  આ જમીન, આ વાતાવરણ સર્વ તે પવિત્ર  નુરની -જેમને આપણે પંજેતન કહીએ છીએ તેમની દ્રષ્ટિનું કેન્દ્ર જનાબે ઝયનબ છે. જે રીતે રસુલે અકરમ (સ.અ.વ.) એ ઇમામ હુસયન અલયહિસ્સલામ માટે ફરમાવ્યું કે હું હુસયનથી છું. જો આવીજ રીતે આવું અર્થપૂર્ણ વાક્ય ઇમામ હુસયન (અ.સ.) કહે કે “હું ઝયનબ (અ.સ.) થી છું તો આ વાક્ય પણ તેના અર્થ અને મતલબમાં સાચુ ઉતરશે. આપનો ઉછેર એવા વાતાવરણમાં થયો જેમાં જનાબે રસુલે ઝમન (સ.અ.વ.), ખયબર શીકન અલી (અ.સ.) , શહઝાદીએ કવનયન જનાબે ફાતેમા (સ.અ.), અને આપ ના નુરે અયન હસનૈન (અ.સ.) ના શ્ર્વાસોની બેહિશ્તી ખુશ્બુ દરેક ખુણામાંથી પ્રસરી રહી હતી. આપ ના નિવાસસ્થાન ઉપર ફરિશ્તાઓની આવન જાવન રહેતી હતી અને દરેક સૂર્યના કિરણની સાથે સમયના પ્રહુરો ખુદાની બંદગીમાં વ્યસ્ત રહેતા.

આપનું નામકરણ અને મુબારક નામ :

અરબના સામાજિક રિવાજ મુજબ નવજાત શિશુનું નામ ઘરના વડીલ રાખતા હતા. તેથી જ્યારે મવલાએ કાએનાતને જનાબે ફાતેમા (સ.અ.) કહ્યું, “બાળકીનું નામ પાડો ત્યારે આપ (અ.સ.) એ ફરમાવ્યું કે આપ ના વડીલ પિતાશ્રી મુસાફરીથી પાછા ફરે પછી જ આ બાળકીનું નામ રાખી શકાય. જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) સફરથી પાછા આવ્યા અને ફાતેમા (સ.અ.) ના ઘરમાં ગયા ત્યારે હઝરત અલી (અ.સ.) એ બાળકીને આખરી જમાનાના નબી (સ.અ.વ.) ના ખોળામાં આપીને અરજ કરી : “યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! આપ આનું નામ રાખો. રસુલે ખુદા (સ.અ.વ.) એ કહ્યું, “યા અલી ! આપ ના બધા બાળકો મારા બાળકો છે, પરંતુ આ બાળકીનું નામ શ્રેષ્ઠ અને બુઝુર્ગ ખુદાજ રાખશે. આ ખુદાની ઇચ્છા છે.

પછી જીબ્રઇલ (અ.સ.) આવ્યા અને કહ્યું : “બાળકીનું નામ ખુદાવંદે મોતઆલે ‘ઝયનબ’ રાખ્યું છે અને એજ લવ્હે મહફુઝમાં લખેલું છે.

(કિતાબ નમુના એ સબ્ર-અકબર અસદી)

ઝયનબ એટલે પિતાની શોભા. જનાબે ઝયનબ ઇમામ અલી (અ.સ.)ની શોભા હતા. પુત્રીએ પોતાના નામની લાજ રાખી લીધી. અને એ સાબિત કરી આપ્યું કે કરબલાની શેરદીલ ખાતુને અલી (અ.સ.) અને હુસયન ઇબ્ન અલી (અ.સ.) ના નામનો જગતના ચારે ખુણામાં ડંકો વગાડી દીધો અને બહાદુરી અને સુંદર શૈલીની વાકછટાનો ઝંડો દુનિયાના અંત સુધી સૌથી ઉંચો કરી દીધો. એવી હસ્તીઓ, જેમની ચર્ચાથી પત્થર ઉપર નરમ ઘાસ જામી જાય, સૂર્યની સખત ગરમી હૃદયને ઠંડકથી આરામ આપે અને બપોરના  સૂર્યના કિરણોને સવારની નરમી, ખુશી અને ઉન્માદ આપે, પોતાના જન્મની સાથે જ કરામતો અને મોઅજીઝા થવાની ખબર આપે છે. તેમના અસ્તિત્વની આજુબાજુ ઇલાહી અસરો પરિક્રમા કરે છે. તે દરેક સ્થાન અને બધા પ્રસંગોમાં ખુદાની મરજી નજર સમક્ષ રાખે છે. આવી જ હસ્તીઓનો પ્રકાશપૂંજ જનાબે ઝયનબ (અ.સ.), ઉલ્યા મકામ, છે. જનાબે ઝયનબ (અ.સ.) નું માનવ-સ્વરૂપે જાહેર થવું ઇસ્લામના બાકી રહેવા માટે કુદરત તરફથી અસબાબ ભેગા કરવાનું હતું. જો ઇમામ હુસયન (અ.સ.) ની શહાદતનો બંદોબસ્ત અલ્લાહ તરફથી હતો  અને ઇસ્લામને બાકી રાખવા  માટેની જામીનગીરી હતી તો યાદ રાખો કે આ ઘટના ઉપર ઝયનબ (અ.સ.) ની કેદની સોનેરી મોહર વગર રીસાલતની પુખ્તતા જાણે મજબુત સનદ માગી રહી હતી. તે માટે જનાબે ઝયનબ (અ.સ.) ને ખુદાએ કરબલા માટે આરક્ષિત કરી દીધા હતા. જેથી ઇતિહાસકારો માલદારોના હાથે વેચાઇ ગયા પછી પણ આ ઘટનાને કોઇ આંચ ન પહોંચાડી શકે, જે તેનો નાશ કરવામાં સફળ થાય.

આ એક સંપુર્ણ સાબિત થએલી હકીકત છે કે કરબલા એક ઇલાહી મીશનનું નામ છે. જ્યારે એક એવો જમાનો આવી ગયો કે સમયની ડોર પકડીને શયતાની શક્તિઓ પોતાના કેન્દ્ર ઉપર એકઠી થઇ રહી હતી ત્યારે તેની સામે “ખુદાઇ મીશન જેના આગેવાન અહલેબયત (અ.સ.) હતા, દરેક ડગલું ફૂંકી ફુંકીને મુકી રહ્યા હતા. તેઓ પોતાના મીશનને સંપૂર્ણ કરવા માટે કાર્યરત રહીને પોતાના નિશ્રિત સ્થાન તરફ આગળ ધપી રહ્યા હતા. જેથી શરીઅતે મોહમ્મદી ઉપર કોઇ આફત ન આવવા પામે. ઇમામ હુસયન (અ.સ.) ના બારામાં રસુલે ખુદા (સ.અ.વ.) એ દરેક દ્રષ્ટિકોણથી અને અસંખ્ય વખત કૌમને ઓળખ પણ કરાવી અને શહાદતની આગાહી પણ કરી, એટલે સુધી કે અબ્દુલ્લાહ બીન ઉમરે ઇમામ હુસયન (અ.સ.) ને મદિનાથી વિદાય કરવાના સમયે રોક્યા છે અને આપને આપની શહાદતના બારામાં આ કહીને આગાહી પણ આપી છે કે મેં રસુલે ખુદા (સ.અ.વ.) પાસેથી સાંભળ્યું. એટલે કે હબીબે ખુદા (સ.અ.વ.) એ આપેલી શહાદતની ખબરથી હર કોઇ માહિતગાર છે. (સુખનાને કિતાબે ઇમામે હુસયન (અ.સ.)) આજ વિષય પર જનાબે ઝયનબ (અ.સ.) ની પણ ચર્ચાઓ છે કે આપ આ ભવ્ય શહાદતની પછી કેવી રીતે એક મહત્વનો ભાગ ભજવશે.

સ્વપ્ન અને તેનું રહસ્ય :

જનાબે ઝયનબ (અ.સ.) માત્ર ત્રણ વરસના હતા ત્યારે આપે એક સ્વપ્ન જોયું અને તે પોતાના નાના રસુલ (સ.અ.વ.) ને કહ્યું : “અલ્લાહના રસુલ  (સ.અ.વ.) ! કાલે રાત્રે મેં સ્વપ્ન જોયું કે સખત આંધી ચડી રહી છે અને તેના અંધકારમાં દુનિયા ડુબી ગઇ છે. મેં તે આંધીમાં એક ખૂબજ મોટા ઝાડનો સહારો લીધો, પરંતુ તે પણ ઉખડી પડ્યું અને હું જમીન ઉપર પડી ગઇ. પછી મેં તે ઝાડની એક ડાળીનો સહારો લીધો, પરંતુ તે પણ વધુ સમય ટકી ન શક્યું.  તે પછી મેં તે ઝાડની ત્રીજી ડાળમાં રક્ષણ મેળવ્યું. પરંતુ તે પણ તુટી ગઇ. તે પછી મેં બે એક સાથે જોડાએલી ડાળોના નીચે આશરો લીધો, પરંતુ આંધીના જોરથી તે પણ તૂટી ગઇ અને હું જાગી ગઇ.

જનાબે રસુલે ખુદા (સ.અ.વ.) એ સ્વપ્નને સાંભળીને ખૂબ રડ્યા અને કહ્યું : ઝયનબ (અ.સ.) ! જે ઝાડની નીચે તમે પહેલીવાર રક્ષણ લીધું તે તમારા નાના છે જે ટૂંક સમયમાં આ દુનિયામાંથી વિદાય લેશે. તે પછીની બીજી બે ડાળીઓ તમારા મા બાપ છે કે તેઓ પણ દુનિયામાંથી ચાલ્યા જશે અને તે જોડાએલી બે ડાળો તમારા ભાઇ હસન (અ.સ.) અને હુસયન (અ.સ.) છે કે જેની મુસીબતમાં દુનિયા અંધકારમાં ડૂબી જશે.

(રિયાહિનુ – શ્શરીઇયહ ભા. 2, પા. 5)

આ સ્વપ્નનું પરિણામ જનાબે ઝયનબ (અ.સ.) ના જીવન અને કારકીર્દીનો એવો નિર્દેશ કરે છે જ્યાંથી કરબલા સ્પષ્ટ દેખાવા લાગે છે અને આપ કરબલાની તાબીરમાં અલ્લાહની મરજીને ઇચ્છાપૂર્વક તાબે થવું, વફાદારીની પ્રસંશાનું કેન્દ્ર અને અહમદે મુરસલ (સ.અ.વ.) ની દોઆઓની સાથે એ જોઇ રહ્યા છે કે ત્યાં જીવન ઉછળી રહ્યું છે અને મૃત્યુ મરી રહ્યું છે.

જનાબે રસુલે ખુદા (સ.અ.વ.) ની વફાત :

જનાબે ઝયનબ (અ.સ.) માત્ર પાંચ વરસના હતા ત્યારે જનાબે રસુલે ખુદા (સ.અ.વ.) ની વફાત થઇ ગઇ. અલ્લાહના હબીબે આ દુનિયાથી વિદાય લીધી. હવે અહીં મવલા અલી (અ.સ.) નું ઘર હતું, જેમાં હસનૈન (અ.સ.) હતા. જનાબે ઉમ્મે કુલસુમ (અ.સ.) અને જનાબે ઝયનબ (અ.સ.) ના માતા ફાતેમહ (સ.અ.) સાથે હતા અને પાડોશમાં બનીહાશીમના કુટુંબીજનો હતા.

બીજી તરફ મદીના જબરદસ્ત અને અસાધારણ કટોકટીનું ભોગ બનેલું હતું. સકીફાના કોલાહલવાળા વાતાવરણે સૌની અક્કલ ઉપર સત્યને ઓળખવા માટેની પ્રકાશની બારીઓને બંધ કરી દીધી હતી. સઅદ બીન ઓબાદહ સત્તા મેળવવાના સ્વપ્ના જોઇ રહ્યો હતો. કુરયશીઓ ઉપર સત્તાનો નશો છવાએલો હતો. થોડાક તૌહીદ અને હક પરસ્તીના ફરઝન્દો ઇમામ અલી (અ.સ.) સાથે રસુલ (સ.અ.વ.) ની કફન-દફનના કામમાં રોકાએલા હતા. જનાબે ઝહેરા (સ.અ.) ઉપર એવું દુ:ખ છવાએલું હતું કે મઅસુમાના રૂદનથી સમગ્ર વાતાવરણ શોકમય હતું. આવા શોકથી ભરપૂર વાતાવરણમાં પાંચ વરસની બાળકી તેની માતાને એ રીતે દિલાસો આપી રહી છે જે રીતે અલ્લાહના રસુલને મક્કામાં જનાબે ફાતેમાહ (સ.અ.) દિલાસો આપતા હતા.

જનાબે ઝહેરા (સ.અ.) ની વફાત :

જનાબે ફાતેમાહ (સ.અ.) રાત દિવસ તેના પિતાની વફાત ઉપર રડતા રડતા માત્ર 75 દિવસમાં આ દુનિયાથી વિદાય લઇને તેમના પિતાના જવારમાં (પડોશમાં) હાજર થઇ ગયા. જનાબે ઝયનબ (અ.સ.) કેવી રીતે સબર અને રઝાના તબક્કાઓમાંથી પસાર થયા હશે તેની કલ્પ્ના કરવી અશક્ય છે. હા, એક ઐતિહાસિક વાક્ય આપે ફરમાવ્યું:

“એ રસુલે ખુદા ! હકીકતમાં આજે અમે આપને ગુમાવ્યા છે.

(“ઝયનબે કુબ્રા અ. પા. 42)

ઉમ્મુલ બનીનનું અલી (અ.સ.) ના ઘરમાં આવવું :

જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.) ની વફાત પછી ઇમામ અલી (અ.સ.) ના ઘરની એકલતા દરેક વ્યક્તિને ખાવા ધાતી હતી. તેથી જનાબે ઝહેરા (સ.અ.) ની વસીયત મુજબ જનાબે અકીલ, જે અરબના ખાનદાનને જાણવામાં નિષ્ણાંત હતા, તેમના પ્રયત્નોથી એક નેક ખાતુન જેમનું નામ પણ ફાતેમા હતું, તેમની સાથે હ. અલી (અ.સ.) એ લગ્ન કરી લીધા. જે પાછળથી ઉમ્મુલ બનીનના નામથી જાણીતા થયા. જનાબે ઉમ્મુલ બનીને જે દિવસથી તે પવિત્ર ઘરમાં પગ મુક્યો ત્યારથી તેમના છેલ્લા શ્ર્વાસ સુધી હસનૈન (અ.સ.), જનાબે ઝયનબ (સ.અ.) અને જનાબે ઉમ્મે કુલસુમ (સ.અ.) ની સેવામાં એક કનીઝની જેમ પોતાની ફરજ બજાવતા રહ્યા. ઇતિહાસમાં આ બીબીના જેવી કારકિર્દી અન્ય કોઇ બીબીની જોવા મળતી નથી. સાચું છે કે પવિત્ર અહલેબયત (અ.સ.) ના વિશ્ર્વ વિશાળ પવિત્ર વાતાવરણમાં ખુદાવંદે કરીમે બેહિશ્તના ફુલોને નિચોવીને જે ચારિત્ર્ય પેદા કર્યું હતું તે આ અરબની જમીનના કુટુંબમાં ઉતાર્યું હતું. આપણા લાખો સલામ થાય આ બીબી ઉપર જેમણે ઇસ્લામના અસ્તિત્વ માટે હ. અબ્બાસ (અ.સ.) જેવો શોર્યવાન, ફરમાંબરદાર અને સદગુણી પુત્ર આપ્યો. જેમણે હ. ઇમામ હુસયન (અ.સ.) ને “આકા સિવાય બીજું કોઇ સંબોધન ન હતું કર્યું.

જનાબે અબ્બાસ (અ.સ.) શાહઝાદીની સામે જ્યારે પણ જતાં, ત્યારે એવા અદબપૂર્વક ઊભા રહેતા, જેવી રીતે કોઇ ગુલામ તેની શાહઝાદી સામે હાજર થાય છે.

લગ્ન જીવન :

સમય પસાર થતો ગયો અને એક એવો સમય પણ આવ્યો જ્યારે શરીઅતની પાબંદીના સૌથી ઉચ્ચ ધોરણવાળું ખાનદાન, જેને આપણે અહલેબયત (અ.સ.) કહીએ છીએ, તેના શરઇ તકાઝાઓ હેઠળ જનાબે ઝયનબ (અ.સ.) ના લગ્ન અબ્દુલ્લાહ બીન જઅફર સાથે થયા. અને આપનું ગૃહિણી તરીકેનું જીવન શરૂ થયું. જનાબે અબ્દુલ્લાહ તેમની બહાદુરી અને સખાવતના કારણે અરબ દેશોમાં એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. વધુમાં તે જઅફરે તૈયારના પુત્ર હતા. તેમની સખાવતનો એક પ્રસંગ વાંચકોના માટે નક્લ કરી રહ્યા છીએ. યાદ રાખો ! રસુલે ખુદા (સ.અ.વ.) જ્યારે પણ અબ્દુલ્લાહને જોતા ત્યારે ફરમાવતા :

“સલામ થાય તમારી ઉપર એ બે પાંખવાળાના પુત્ર !

પ્રસંગ આ છે. એક દિવસ જ્યારે ઘોડા ઉપર સવાર થઇને જઇ રહ્યા હતા ત્યારે એક માણસે તેમને ઇલ્કાબથી સંબોધી આપ ના ઘોડાની લગામ પકડીને સલામ કરી અને કહ્યું : આપ મને આપની તલવારથી કત્લ કરી નાખો. આપે ફરમાવ્યું, તારી અક્કલ ચાલી ગઇ છે. તેણે આપને જવાબ આપ્યો, મારો એક દુશ્મન છે જે ઘણો કઠણ હૃદયનો અને ઘણો જીદ્દી છે. તેણે મારૂં જીવવું મુશ્કેલ કરી દીધું છે. અને તે છે ફકીરી અને નાદારી. જનાબે અબ્દુલ્લાહે પોતાના ગુલામને હુકમ આપ્યો, “આને એક હજાર દીનાર આપી દો. પછી તે અરબ તરફ જોઇને ફરમાવ્યું, “એ બિરાદર અરબ! આ રકમ લ્યો અને જ્યારે તમારો દુશ્મન તમારી પાસે આવે ત્યારે મારી પાસે આવી જજો. તેણે પાછા ફરીને કહ્યું, “ખુદાની કસમ ! આપે એટલી મોટી રકમ આપી દીધી છે કે આખી જીંદગી આ દુશ્મનનો સામનો કરીશ અને તેને મારાથી દૂર રાખીશ.

(“રીયાહીનુ-શ્શરીયાઅ ભા. 3, પા. 221-222)

જ. અબ્દુલ્લાહ સાથે જ. ઝયનબ (અ.સ.) ની શરત :

જનાબે અબ્દુલ્લાહ સાથે લગ્ન કરતી વખતે જનાબે ઝયનબ (અ.સ.) ની બે શરતો હતી. (ઝયનબે કુબરા 3, પા. 65) પહેલી શરત એ હતી કે જનાબે ઝયનબ (અ.સ.) જ્યારે ઇચ્છે ત્યારે પોતાના ઘરે જઇ શકે. બીજી શરત એ કે જો જનાબે ઝયનબ (અ.સ.) તેમના ભાઇ હુસયન (અ.સ.) ની સાથે સફર કરવા ચાહે તો અબ્દુલ્લાહ ના નહિ પાડે. આ શરતો જનાબે અબ્દુલ્લાહે કબુલ કરી અને આપને જનાબે ઝયનબ (અ.સ.) સાથે શાદી કરવાની ઇઝ્ઝત મળી.

શું હજી પણ કોઇ શંકા રહે છે કે જનાબે ઝયનબ (અ.સ.) ની સફર, (હઝરત ઇમામ હુસયન (અ.સ.) ની સાથે મદીનાથી કરબલા સુધી,) અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની દ્રષ્ટિમાં ન હતી? શું આ અલ્લાહ સુબ્હાનહ વ તઆલા તરફથી ઇસ્લામની તબ્લીગની એક મહત્વની કડી નથી ?

કુફા :

જ્યારે ઇસ્લામની ગરદનથી ખીલાફતની દોરી તૂટી અને અલી (અ.સ.) એ જાહેરી ખીલાફતની બાગડોર સંભાળી ત્યારે આપે કુફાને પાટનગર બનાવ્યું. જનાબે ઝયનબે (અ.સ.) ખીલાફતના આ સમયગાળામાં એક જબરદસ્ત ઐતિહાસિક કામગીરી અદા કરી છે. અહીંથી જ આપ નો લકબ “આલેમાએ ગૈર મોઅલ્લેમા મશહર થયો.

આપ કુફાની સ્ત્રીઓને કુરઆનના પાઠો શીખવાડતા અને તફસીર બયાન કરતા. તેથી કુફામાં જનાબે ઝયનબ (અ.સ.) ની કારકીર્દી અને જીવન ચરિત્રનું એક એવું પાસું ઉપસી આવ્યું જે સ્ત્રી શિક્ષણ તરફ ઇસ્લામી સમાજનું દિશા સૂચન કરે છે. સ્ત્રીઓ કેવી રીતે પોતાનું જીવન પાક પાકીઝા બનાવી શકે છે અને ઇસ્લામની દિકરીઓ પાસેથી શરીઅત શું ઇચ્છે છે વિગેરેનો પદાર્થ પાઠ ઉપસી આવે છે. આ એક ઘણો વિશાળ વિષય છે. બસ એટલું જાણી લેવું જોઇએ કે એ સમયે આપની વાકછટાની ચર્ચા જગ જાહેર બની. તે જમાનાના મશહર વ્યક્તિ બશીર બીન ખોઝયમ અસદી જનાબે ઝયનબ (અ.સ.) ના બારામાં કહે છે.

ખુદાની કસમ ! મેં ઝયનબ (સ.અ.) થી વધારે સારી કોઇ વકતવ્ય આપનાર સ્ત્રી જોઇ નથી. તેઓ હઝરત અલી (અ.સ.) ની ભાષામાં વાત કરી રહ્યા હતા અને તકરીર કરવાનું તેમની પાસેથી શીખ્યા હતા. (ઝયનબે કુબરા પા. 70)

કુફામાં ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ જનાબે ઝયનબ (અ.સ.) ના વિદ્વતાભર્યા છટાદાર ખુત્બા (તકરીર) પછી ફરમાવ્યું :

તમે અલ્લાહ (સુ.વ.ત.) ના વખાણ કરવાવાળા છો. આપે કોઇ શિક્ષક વગર શિક્ષણ હાસીલ કર્યું છે.  કોઇની પાસેથી તાલીમ લીધા વગર સમજદાર છો. (ઝયનબે કુબરા પા. 80)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની શહાદત પછી જનાબે ઝયનબ (અ.સ.) તેમના ભાઇ ઇમામ હસન (અ.સ.) ની સાથે મદીના આવ્યા. આ સમય પણ સખત તકલીફો અને મુસીબતોનો હતો. જમાનો વિરૂદ્ધ હતો. એટલે સુધી કે ઇમામ હસન (અ.સ.) ની શહાદત જોઅદહ બિન્તે અશઅસે આપેલા ઝેરથી થઇ. આપ ના જીગરના ટૂકડાઓ થાળીમાં કપાઇ કપાઇને પડ્યા. આપને નાના (સ.અ.વ.) ની બાજુમાં દફન થવા ન દીધા. આપ (અ.સ.) ના જનાઝા ઉપર તીર વરસાવ્યા. અંતે આપને બકીઅના કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા. જનાબે ઝયનબ (અ.સ.) જ. ફાતેમા (સ.અ.) ના સ્થાને બીરાજતા હતા. અને બની હાશીમની સ્ત્રીઓ આવી અને આપ ના ભાઇનો પુરસો આપ્યો. આપે અહલેબયત (અ.સ.) ની દરેક વ્યક્તિને સાંત્વન આપ્યું અને સબર કરવા શીખ આપી. પરંતુ દુ:ખી બહેનને પોતાનું સ્વપ્નનું યાદ આવ્યું હશે અને જોડાએલી બીજી ડાળીની કડી ઉપર નજર પડી હશે. આગાહીઓ યાદ આવી હશે. અડગતાની સાથે કરબલાની તૈયારીના નિર્ણય ઉપર વિચાર કર્યો હશે. (અલ્લાહ ! જનાબે ઝયનબ (અ.સ.) શું હતા જેમ કે એક આશ્ર્ચર્ય સ્થાન હતા, એ મુસીબતો અને આફતોની સામે જે રાજ્ય સત્તાની તરફથી કાળી આંધીઓની સાથે આવી રહી હતી)

હિજરી સન 50 :

હિજરી સન 50 માં જનાબે ઇમામે હસન (અ.સ.) ની શહાદત થઇ અને ઇમામ હુસયન (અ.સ.) એ ઇમામતનો હોદ્દો ગ્રહણ કર્યો. હિજરી સન 60 માં મોઆવીયા મૃત્યુ પામ્યો અને યઝીદ ગાદી ઉપર આવ્યો. આ સમયગાળા દરમ્યાન જનાબે ઝયનબ (અ.સ.) ઇમામ હુસયન (અ.સ.) ની સાથે રહ્યા. તેમજ પોતાના ઘરે એટલે જનાબે અબ્દુલ્લાહના નિવાસસ્થાને પણ જતા રહેતા. આ ચૂપકિદીના સમયે પોતાના પાલવમાં હજારો હિદાયતો સમાવેલી હતી. તેથી મદીના જો કે મોઆવીયાની હકુમત હેઠળ હતું, પરંતુ અહલેબયત (અ.સ.) ની પાઠશાળા અને ઇસ્લામી શિક્ષણ અને શરીયતના હકમો પહોંચાડવાનું તે પવિત્ર ઘરમાંથી પ્રસરી રહ્યું હતું, જે ઘર જુદા જુદા મલાએકાઓના આવન જાવનનું કેન્દ્ર હતું.

હિજરી સન 60 માં રજબ મહિનો આવ્યો અને યઝીદની બયઅતનો ઇન્કાર કરવાને કારણે ઇમામ હુસયન (અ.સ.) ને મદીના છોડવું પડ્યું. આપે મક્કાની સફર કરી, કેટલું સમજી વિચારીને કે સમય અને સ્થળના નિર્ધારની પસંદગી અલ્લાહની મરજી, મનસુબા અને મિશન પ્રમાણે થતાં હોય છે! જનાબે ઝયનબે (અ.સ.) બીજી શરત જે લગ્ન વખતે કરી હતી તેના પર અમલ કરવાનો સમય આવ્યો. જનાબે ઝયનબ (અ.સ.) ઇમામ હુસયન (અ.સ.) ના કાફલા સાથે જોડાયા. જાણે કે ઇમામતની શહેનશાહીયતમાં વઝીર બનીને જોડાયા. મક્કામાં ઇમામ હુસયન (અ.સ.) 8 ઝિલ્હજ્જ સુધી રહ્યા. તે પછી આપે હજને ઉમરામાં બદલીને મક્કાથી વિદાય લીધી. મક્કાથી કરબલા સુધીની મુસાફરી 24 દિવસની હતી. તેમાં આપે 16 જગ્યાઓએ રોકાણ કર્યું હતું. (ઝયનબે કુબરા પા. 151)

ખોઝયમા, નામની જગ્યા જ્યાં આપની છઠ્ઠી મંઝીલ છે ત્યાં અહલેબયત (અ.સ.) ના કારવાને એક દિવસ રોકાણ કર્યું. સુબ્હના વખતે જનાબે ઝયનબ (અ.સ.) ઇમામ હુસયન (અ.સ.) પાસે આવ્યા અને કહ્યું : “ભાઇ ! અડધી રાતે મેં હાતીફ (ગૈબી ફરિશ્તો) ના મોઢે આ શેર સાંભળ્યા છે :

“એ મારી આંખો શહીદો ઉપર રડો કારણ કે મારા પછી કોણ તેઓની ઉપર રડશે. તે લોકો ઉપર રડો મૃત્યુ જેઓને પોતાની તરફ ખેંચી રહ્યું છે અને તેઓને તેઓના વાયદાના સ્થળે બોલાવી રહ્યું છે, જે ખુદાએ તેઓના માટે નક્કી કરેલ છે.

આ સાંભળી ઇમામ હુસયન (અ.સ.) એ ફરમાવ્યું :

” એ મારી બહેન, જે મુકદ્દરમાં છે, તે થઇને રહેશે.

(“મશીરૂલ અહઝાન ઇબ્ન નોમા)

ચૌદમી મંઝીલ રહીમીયા સ્થળની છે. જ્યાં હરણોએ આપ નો રસ્તો રોક્યો હતો. ઇમામ હુસયન (અ.સ.) બીજી મોહર્રમે કરબલાની જમીન ઉપર ઉતર્યા. તંબુઓ ઉભા કરવામાં આવ્યા. જનાબે ઝયનબ (અ.સ.) ઇમામ હુસયન (અ.સ.) પાસે આવ્યા અને ફરમાવ્યું, રણ ઘણું ડરામણું છે અને મને બીક લાગી રહી છે. આ સાંભળી આપે ફરમાવ્યું :

“બાબા અલી (અ.સ.) એ જંગે સિફ્ફીનથી પાછા ફરતી વખતે અહિં રોકાયા હતા અને ભાઇ હસન (અ.સ.) ના ખોળામાં માથું રાખી સૂઇ ગયા. થોડીવાર પછી જાગ્યા ત્યારે રડવા લાગ્યા. ભાઇ હસને (અ.સ.) જ્યારે રડવાનું કારણ પૂછયું ત્યારે આપે (અ.સ.) કહ્યું કે મેં સ્વપ્નામાં જોયું કે આ રણ જાણે કે લોહીની નદી છે. અને હુસયન તેમાં ડૂબી ગયો છે અને તે મદદ માટે પોકારે છે, પરંતુ કોઇ તેમની મદદે નથી આવતું. તે પછી મારી સામે જોઇને પૂછયું: “એ અબા અબ્દીલ્લાહ ! જો આવો સમય આવી જાય તો શું કરશો? મેં જવાબ આપ્યો.

“હું સબ્ર કરીશ.

જનાબે ઝયનબ (અ.સ.) ની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. ઇમામ હુસયન (અ.સ.) એ આપને સબ્ર કરવાની શીખ આપી.

(ઝયનબે કુબરા પા. 155)

જનાબે ઝયનબ (અ.સ.) નો મુકામ કરબલામાં બે મોહર્રમથી અગીયારમી મોહર્રમ સુધી હતો જાણે કે સદીઓની બેચેની, દુ:ખ અને મુસીબતની સફર હતી. જેની દરેક પળ અટકી અટકીને નૌહા અને માતમ કરતી પસાર થઇ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે સમયનો શ્ર્વાસ અટકી ગયો છે. સામે કુફા અને શામ વાસીઓની લશ્કરની ટૂકડીઓની જમાવટ દૂર સુધી થઇ રહી હતી. ફુરાત ઉપર પહેરો બેસાડવામાં આવી ચૂક્યો હતો. ઘોડા અને પ્યાદાની લશ્કરી કવાયત થઇ રહી હતી. દરરોજ તેમાં વધારો થઇ રહ્યો હતો. શસ્ત્રોના ટકરાવાના અવાજો, બરછીઓની લચક, ભાલાઓની ચમક, સજાવેલા નેજાઓ, કડકતી કમાનો તે પણ નજર પહોંચે ત્યાં સુધી. આ બાજુ હુસયન (અ.સ.)ની બહેન રહી રહીને પૂછી રહ્યા હતા :

“ભાઇ !  આપ ના દોસ્ત-અન્સાર અને મદદગારમાંથી કોઇ નથી આવ્યું. ભાઇ બહેન એકબીજાના મોઢા સામે જોઇને આસમાનની તરફ નજર કરે છે. સાત મોહર્રમથી હુસયન (અ.સ.) ના તંબુઓમાંથી પાણી ખતમ થઇ ગયું. બાળકોના અલ-અતશના અવાજો આઠ મોહર્રમની સવારથી ગુંજવા લાગ્યા. આ તંબુઓની પહેરાગીરી, ખબરદારી, દિલાસા અને આશ્ર્વાસનો બધું જનાબે ઝયનબ (અ.સ.) (ઉલ્યા મકામ) ઉપર હતું. આટલી બધી જવાબદારીઓનો બોજો ઉઠાવીને મોહર્રમના મુસીબતભર્યા ઐતિહાસિક દિવસો પસાર કરી રહ્યા હતા. એટલે સુધી કે શબે આશુર આવી પહોંચી. એક રાતની મોહલતમાં ભાઇ બહેન વચ્ચે ચર્ચાઓ થઇ હશે. નાના રસુલે ખુદા (સ.અ.વ.) ના જમાનાથી લઇને ત્યાર સુધીના બધા વાયદાઓ પૂરા કરવાની વાતો થઇ હશે. આ ઇમામ હુસયન (અ.સ.) ના કુટુંબીજનો, રિશ્તેદારો અને અન્સારોની ઇબાદતની રાત હતી. અહલે હરમના માટે પણ અલ્લાહની ઇબાદતમાં પસાર કરવાની રાત હતી. આ રીતે જમીન ઉપર ખુદાના આ ખાસ બંદાઓની રાત પસાર થઇ. જેની સવાર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના ઉપરોક્ત સપ્નાનું પરિણામ હતું. આ જમીન ઉપર લોહીની નદી ઉછળી અને રસુલ (સ.અ.વ.) ના ફરઝન્દે ડૂબીને ઇસ્લામની નાવને બચાવી લીધી.

ડૂબ કર પાર હો ગયા ઇસ્લામ, કૌન જાને યે કરબલા ક્યા હૈ

આશુરાની સવાર :

આશુરાની સવાર પડી. શહાદતનો સિલસિલો શરૂ થયો. એક પછી એક શહીદની લાશ આવવા લાગી. કયામતનું આ દ્રશ્ય જોતો જોતો સૂરજ ઉપર ચડી રહ્યો હતો. જનાબે ઝયનબ (અ.સ.) અને ઇમામ હુસયન (અ.સ.) ની કારકીર્દી અને સબ્ર અને રઝાના હિમાલય જેવા પહાડ તૂટી જાય તેવી હિંમતની કસોટી સાથે દિવસ પૂરો થઇ રહ્યો હતો. પૂર્વના કવિએ એક ઐતિહાસિક વાત લખી છે :

લૂ કે જકડ ચલ રહે થે ગૈઝમે થા આફતાબ

સૂર્ખ ઝર્રોકો સમન્દર ખા રહા થા પેચો તાબ

તશ્નગી ગર્મી તલાતુમ એક વહશત ઇઝતેરાબ

ક્યોં મુસલમાનો યે મન્ઝીલ ઓર આલે બુતુરાબ

કિસ ખતા પર તુમને બદલે ઉનસે ગીન ગીન કે લિયે

ફાતેમાને ઉનકો પાલા થા ઇસી દિન કે લિયે

અને પછી એ સમય પણ આવી ગયો જ્યારે :

ઝોહર કે હન્ગામ જબ ઝૂકને લગા કુછ આફતાબ

ઝવકે તાઅતને દિલે મવલામેં ખાયા પેચો તાબ

આકે ખયમેસે કીસીને દૌડકે થામા રકાબ

હો ગઇ બઝમે રિસાલતમે ઇમામત બારયાબ

તશ્નાલબ ઝર્રોં પે ખુને મશ્કે બુ બહને લગા

ખાક પર ઇસ્લામ કે દિલકા લહ બહને લગા

શામે ગરીબાં અને જનાબે ઝયનબ (અ.સ.) :

જનાબે ઇમામ હુસયન (અ.સ.) ની સહયોગી, ઇમામતની સલાહકાર અને આપની વસીયતોની અમાનતદાર અને અલી (અ.સ.) ની શેરદીલ પુત્રીની સાથે આ સાંજ જોડાયેલી છે. જ્યારે તંબુઓ બળી ગયા ત્યારે ઇમામે વકતના ફરમાનને આધિન પરદાનશીન, પરહેઝગાર અને પવિત્ર સ્ત્રીઓ અને હુસયન (અ.સ.)  ના બાળકોને લઇને જનાબે ઝયનબ (અ.સ.) બહાર આવી ગયા. હવે જનાબે ઝયનબ (અ.સ.) ના ચહેરાનો રંગ જુદો જ હતો. સુરક્ષા અને રખેવાળીમાં જનાબે ઝયનબ (અ.સ.) ઇમામ હુસયન (અ.સ.) અને અબ્બાસે જરી (અ.સ.) (બહાદૂર) બન્નેની ફરજો બજાવવા તૈયાર હતા. ઇતિહાસ એ બાબતમાં ખામોશ છે કે શામે ગરીબાંમાં પણ હુસયન (અ.સ.) ના કુટુંબીજનો સુધી પાણી પહોંચ્યું કે નહિ? પરંતુ એવી ધારણા છે કે જનાબે ઝયનબે (અ.સ.) પાણી પીધું ન હતું. જનાબે ઝયનબ (અ.સ.)  ના બે પુત્રો હતા. જેમણે લડાઇ લડી અને તેઓની લાશોને જોઇને આપે શુક્રનો સજદો અદા કર્યો હતો. હુસયન (અ.સ.) ની ગમખ્વાર સાબીર બહેનનો આ સજદો તેમના પિતા અને નાના પાસેથી પસાર થતો અલ્લાહની બારગાહમાં કેટલી શાનથી કબુલ થવાના તાજથી વધુને વધુ નવાજવામાં આવ્યો હશે. તેનું વર્ણન કરવું કોઇપણ કલમથી શક્ય નથી. ટૂંકમાં આ સાંજ એવી સાંજ હતી જ્યારે તંબુઓમાં આગ લાગેલી હતી. જનાબે ઝયનબ (અ.સ.) બેહદ દિલેરી સાથે પોતાના ભત્રીજા ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ને તંબુમાંથી બહાર લાવ્યા છે અને તે તંબુને સળગવામાંથી અડધો બચાવી લેવામાં આવ્યો. દુશ્મનનો એક સિપાહી કહે છે : જ્યારે તંબુઓ સળગી રહ્યા હતા ત્યારે મેં જોયું કે એક ઉંચા કદની ખાતુન એક તંબુની પાસે ક્યારેક અંદર જતી હતી, ક્યારેક બહાર આવતી હતી, ક્યારેક જમણી તરફ ક્યારેક ડાબી તરફ, ક્યારેક આસમાનની તરફ અને પછી પોતાના હાથ ઉપર હાથને મારે છે. મેં કહ્યું : તંબુ સળગી રહ્યો છે, આપ દૂર ચાલ્યા જાવ. તે ખાતુને જવાબ આપ્યો :

એ શખ્સ, અમારા એક બિમાર તંબુમાં છે. જે સખત બિમારીના કારણે બેસી – ઉઠી શકતા નથી. તેને હું આ આગની જવાળાઓમાં કેવી રીતે છોડી શકું ?

(રીયાહીનુ – શ્શરીઆ ભા. 3, પા. 106)

તે રાત્રે જનાબે ઝયનબે બધા બાળકોની ગણતરી કરી ત્યારે બે બાળકો ઓછા હતા. આ બિહામણી રાતના અંધારામાં જનાબે ઝયનબ  (અ.સ.) અને  ઉમ્મે કુલસુમ (અ.સ.) એ બાળકોને શોધવાનું શરૂ કર્યું તો એક જગ્યા ઉપર બન્ને બાળકો એકબીજાના ગળામાં હાથ નાખીને શહીદ થઇ ચૂક્યા હતા.

સફરમાં જનાબે ઝયનબ(અ.સ.) દ્વારા ઇમામ સજ્જાદ (અ.સ.)  ની સંભાળ લેવી :

ફાડા જો ગરેબાં શબે આફતકી સહરને

અગિયારમી મોહર્રમે અહલે હરમને કૈદી બનાવવામાં આવ્યા અને તેઓને અબાંડી વગરના ઊંટ ઉપર સવાર કરવામાં આવ્યા. જનાબે આબીદ (અ.સ.) ના હાથોમાં હાથકડી, પગમાં બેડી અને ગળામાં કાંટાળો તૌક પહેરાવી કુફા તરફ રવાના કરવામાં આવ્યા. જતી વખતે એ તરફથી આ કાફલાને પસાર કરવામાં આવ્યો જ્યાં શહીદોની લાશો લોહી અને માટીમાં ખરડાએલી પડી હતી. જ્યારે ઇમામ સજ્જાદ (અ.સ.) એ હૃદયદ્રાવક દ્રશ્ય જોયું ત્યારે તેમની રૂહ નીકળી જવાની અણી ઉપર હતી, આપ ના શરીરનો રંગ સંપૂર્ણ પીળો પડી ગયો. જનાબે ઝયનબ (અ.સ.) એ ભત્રીજાને કહ્યું : “બેટા સબર કરો. હું આ કેવો હાલ જોઇ રહી છું. આપ જમાનાના ઇમામ છો. પછી આપે ઉમ્મે અયમને કહેલી રસુલે ખુદા (સ.અ.વ.) ની હદીસ યાદ દેવડાવી કે જે અલ્લાહના વાયદાને બયાન કરે છે.

(ઝયનબે કુબરા પા. 207, કામીલુ ઝ્ઝીયારાત પા. 262 ઉપર વિગત લખી છે)

કુફામાં 12મી મોહર્રમ 61 હિજરીના આ કાફલો ઇબ્ને ઝીયાદના દરબારમાં પહોંચ્યો. કુફા શહેરના રસ્તાઓ ઉપર ભીડ જામી હતી. લોકો કૈદીઓ ઉપર ખજુર ફેંકી રહ્યા હતા. જનાબે ઝયનબ (અ.સ.) બાળકો પાસેથી ખજુર લઇને ફેંકી દેતા હતા અને કહેતા હતા કે અમે અહલેબયત (અ.સ.) ઉપર સદકો હરામ છે. કુફાના દરબારમાં જનાબે ઝયનબ (અ.સ.) ના ખુત્બાથી હલચલ મચી ગઇ. કુફામાં પહેલેથી સલીમ કુફીની કોશિષથી ઘણા લોકો સમાન વિચારતા બની ગયા હતા. જનાબે ઝયનબ (અ.સ.) ના ખુત્બાઓથી અને ખાસ કરીને તે ખુત્બા જેમાં કુફીઓની બેવફાઇ જે દ્રષ્ટિથી અને ઢબથી જાહેર કરી છે તે સાંભળીને લોકો પોતાના પાલવમાં માથું નાખીને પોતાના ગળામાં શરમિંદગીનો તોક પહેરી લીધો. એક ખંડેરમાં જનાબે ઝયનબ (અ.સ.) અને બીજા કૈદીઓને રાખવામાં આવ્યા.

(ઝયનબે કુબરાના હવાલાથી)

બહરૂલ ગરાએબનો એક પ્રસંગ છે. હારીસ શામી કહે છે કે ઇમામ હુસયન (અ.સ.) નું માથું એક ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યું હતું. એક બાળકી જેનું નામ રૂકૈયા હતું તે વારંવાર તે માથાની પાસે આવતી હતી અને કાંઇક વાતો કરતી હતી. મેં જોયું કે ઇમામ હુસયન (અ.સ.) નું માથું નીચે આવ્યું અને તે બાળકીના સામે હવામાં અટકી ગયું. બાળકીએ કહ્યું :

“બાબા ! આપ ઉપર સલામ થાય. આપ ના પછી અમારે ઘણી મુસીબતો ઉઠાવવી પડી. આપ ના પછી અમારે વતનથી દૂર રહેવાનું સહન કરવું પડ્યું. ઇમામ હુસયન (અ.સ.) એ કહ્યું :

“મારી બાળકી તમારી મુસીબતો અને સખ્તીયો હવે પુરી થઇ ગઇ. થોડા દિવસ પછી તું અમારી પાસે આવનાર છો.

જનાબે ઝયનબ (સ.અ.) ના જીવન ચરિત્રમાં કરબલાથી કુફાની સફર, ઇબ્ને ઝીયાદનો દરબાર, ઇબ્ને ઝીયાદની આમને સામને સવાલ અને જવાબ, અહલેબયત (અ.સ.) અને નબી (સ.અ.વ.) ના વારસદારોનું સન્માન અને ગુનાહના કારણે ખુદાની તરફથી અઝાબ વિગેરે જેવા કેટલાય વિષયો છે જેના રજીસ્ટરો આપે ખોલ્યા. જો જનાબે ઝયનબ (અ.સ.) ને આ બનાવમાંથી હટાવી કાઢી લેવામાં આવે તો હું માનું છું કે રિસાલતની તબ્લીગ અને ઇમામતનો પાયો આટલો મજબુત થઇ શક્યો ન હોત.

13મી મોહર્રમના જનાબે ઝયનબ (અ.સ.) નો આ કાફલો શામની તરફ રવાના થઇ ગયો. રસ્તામાં ઘણા શહેરોમાં આ યઝીદી ફૌજની સાથે અહલેબયત (અ.સ.) ની તરફદારીમાં ઝપાઝપી થઇ. જેમકે મવસુલ, સીસુર, ક્ધસરીન, હમાત, હમ્સ વિગેરે. જનાબે ઝયનબ (અ.સ.) એ તે લોકોનો આભાર માન્યો. હમાતના સ્થળે આપે લોકોને પુછયું :-“આ ક્યુ શહેર છે ? તો કહેવામાં આવ્યું કે હમાત છે. તેથી આપે દોઆ કરી :

“ખુદા આ શહેરને ઝાલીમોથી સુરક્ષિત રાખે.

(ઝયનબે કુબરા પા. 241, મુફતીઉલ આમાલ)

આજે શામનું શહેર સવારથી સાંજ સુધી સય્યદા ઝયનબ (અ.સ.) ના નામથી ગુંજી રહ્યું છે. અસંખ્ય ઝવ્વારોની આવન-જાવનનું કેન્દ્ર છે. મઝારે શરીફ ઉપર ઉચ્ચ ગુંબજની સાથે એક પરચમ લહેરાઇ રહ્યો છે, જાણે કે જાહેરાત કરી રહ્યો છે કે અહીં આખર જમાનાના રસુલ (સ.અ.વ.) ની તે નવાસીનું મરકદ છે જેણે કુફા અને શામ ઉપર વિજય મેળવ્યો અને આજદિન સુધી દિલો ઉપર તેમની જ હકુમત છે. આ શેહઝાદીની શાનો શવકતની સામે દબદબાભર્યા બાદશાહોના માથા ઝૂકી જાય છે અને ઇલ્મ અને વિદ્વતાની સામે આલીમો અને હદીસવેત્તાઓ માથા ઝુકાવે છે. આમ અને ખાસ લોકોની હાજત પુરી થવા વગર રહેતી નથી. આ જ તે શહેર છે જ્યાં યઝીદનો દરબાર હતો. જનાબે ઝયનબ (અ.સ.) ને કૈદ કરીને લાવવામાં આવ્યા હતા. શહેરના દરવાજા ઉપર આ કાફલાને રોકી રાખવામાં આવ્યો હતો અને કલાકો સુધી અહીં ઉભું રહેવું પડ્યું હતું. આ કારણને લીધે આ જગ્યાને બાબુસ્સાઅત (કલાકોનો દરવાજો) કહે છે. જનાબે ઇમામ સજ્જાદ (અ.સ.) ને કોઇએ પુછયું હતું “આપની ઉપર સૌથી વધુ મુસીબત ક્યાં પડી ? આપે ફરમાવ્યું : “અશ્શામ, અશ્શામ, અશ્શામ.

આપ (અ.સ.) ફરમાવે છે કે લોકો અમારી ઉપર ગરમ પાણી અને આગ ફેંકતા હતા. જેના લીધે મારૂં માથું પણ બળી રહ્યું હતું. શામની આ સફર જનાબે ઝયનબ (અ.સ.) ના પવિત્ર જીવનનું એક એવું કરૂણ પ્રકરણ છે જે તેના પાનાઓમાં ઇતિહાસની તે ઘટનાઓ અને પ્રસંગોને આવરી લે છે જે જોઇને ઇન્સાન તો શું નબીઓ, વસીઓ અને આસમાનના ફરિશ્તાઓ મોઢામાં આંગળા નાખીને આશ્રર્ય પામે છે. બજારોની ચમક દમક અને દુકાનોની સજાવટથી એ ખબર પડે છે કે લોકો આ કાફલા વિષે કાંઇપણ નહોતા જાણતા. માત્ર એટલુંજ કે એક ખારજીએ વર્તમાન ખલીફાની સામે બળવો કર્યો હતો. આ અજ્ઞાનતાના પરદાને જનાબે ઝયનબ (અ.સ.)ના ખુત્બાઓ અને આમને સામનેના જવાબોએ એવી રીતે ચીરી નાખ્યો કે આજે ચૌદસો વરસ પસાર થવા પછી પણ કોઇની હિમ્મત નથી કે સત્યના પ્રકાશ ઉપર પરદો પાડી શકે.

આપ (અ.સ.) યઝીદના દરબારમાં બંદિવાન થઇને આવ્યા. કેટલા નાજુક બનાવો બન્યા છે અને કેટલી ક્રાંતિ આવી છે તેનો એક વિસ્તૃત અહેવાલ છે. ટૂંકમાં એ કે યઝીદ તખ્ત ઉપર હાથમાં એક લાકડી, ઇમામ હુસયન (અ.સ.) નું માથું થાળામાં, લગાતાર આપ ના મુબારક દાંત ઉપર મારી રહ્યો હતો. જનાબે ઝયનબ (અ.સ.) એ તેને લલકાર્યો અને શરમાવ્યો. કોઇ શામીએ જનાબે સુકયનાની તરફ ઇશારો કર્યો કે મને આ બાળકીને કનીઝીમાં આપી દેવામાં આવે. જનાબે ઝયનબ (અ.સ.)એ બચાવ કર્યો. જ્યારે યઝીદને જનાબે ઝયનબ (અ.સ.) એ ખુત્બાઓથી પોતાનો પરાજય થતો લાગ્યો અને ઇમામ સજ્જાદ (અ.સ.) ના જવાબથી આપને કત્લ પણ ન કરી શક્યો ત્યારે તેણે શામના એક એવા કેદખાનામાં રાખ્યા જ્યાં રાત્રે ઝાકળ પડતી હતી અને બપોરે તડકો. જેના કારણે કૈદીઓના ચહેરાનો રંગ કાળો પડી ગયો હતો. આ કૈદખાનામાં જનાબે ઝયનબ (અ.સ.) ને મળવા હિન્દા આવે છે. (મીર સાહેબની આ એક કડી સંપૂર્ણ મરસિયો છે)

(કૈદખાનેમેં તલાતુમ હય કે હિન્દ આતી હૈ…………)

જનાબે સુકયનાનું મૃત્યુ થાય છે. ગુસ્લ આપનારી આશ્ર્ચર્યથી પૂછે છે કે આ બાળકીને શું રોગ હતો ? એટલા માટે કે કુરતું શરીર ઉપરથી નથી ઉતરતું. ભાઇએ કહ્યું આ ચાબખાથી પડેલા ઝખમોનું લોહી જમા થઇ ગયું હતું. (ઝયનબે કુબરા). કેવી રીતે દરેક પળ દુ:ખોનો પહાડ લઇને આવતી અને પસાર થઇ જતી, પરંતુ પોતાની નિશાની મૂકી જતી. એક દિવસ ઇમામ સજ્જાદ (અ.સ.) એ જોયું કે ફુઇ બેસીને નમાઝ પડી રહ્યા છે. તેનું કારણ પૂછતા આપે કહ્યું કે યઝીદ તરફથી એટલું ઓછું પાણી અને એટલો ઓછો ખોરાક આવે છે કે હું આ બાળકોને આપી દઉં છું અને હવે નબળાઇ એટલી વધી ગઇ છે કે બેસીને નમાઝ પઢવી પડે છે. હંમેશા ઇમામે વક્ત (અ.સ.) ઉપર નજર, ઇમામે વક્તની સંભાળ લેવા માટે તૈયાર, દિવસ હોય કે રાત, જનાબે ઝયનબ (અ.સ.) પોતાના કાફલાની દરેક વ્યક્તિ ઉપર નજર રાખતા હતા.

છેવટે યઝીદે કૈદીઓને છોડી દેવાનો હુકમ આપ્યો. શાહી મહેલનો એક ભાગ ખાલી કરી નાખવામાં આવ્યો. પહેલી મજલીસ યઝીદના જ મહેલામાં થઇ. શામની સ્ત્રીઓ કાળા કપડાં પહેરીને આવી. જનાબે ઝયનબ (અ.સ.) ના ખુત્બાઓથી દિવાલો અને દરવાજાઓમાંથી રડવાના અવાજો આવી રહ્યા હતા. આ લુંટાએલો કાફલો લેખક શેરઝન કરબલાના કથન મુજબ 40 દિવસમાં ફરી પાછો કરબલા આવ્યો. શહીદોની લાશોને કફન દફન મળ્યું. કરબલા સજીને જ્યારે તૈયાર થઇ ગઇ ત્યારે જનાબે ઝયનબ (અ.સ.) મદીના તશરીફ લાવ્યા. “ઝયનબે કુબરા ના લેખકના મંતવ્ય મુજબ જનાબે ઝયનબ (અ.સ.) પોતાના ભાઇની શહાદત પછી માત્ર દોઢ વરસ જીવતા રહ્યા. અને શામમાં રજબની પંદરમી તારીખે હિજરી સન 62 ના વફાત પામ્યા.

ઉસ્તાદ હદીસકાર કુમ્મી તેમના ઉસ્તાદ મીરઝા હુસયન નુરીથી રિવાયત કરે છે કે એક વખત શામ, મદીના અને હેજાઝમાં જબરદસ્ત દુકાળ પડ્યો. તેથી જનાબે અબ્દુલ્લાહ બીન જઅફર કદીયા રાવીયામાં, જ્યાં આપની જમીનો હતી, મદીનાથી ફેરબદલી કરી ત્યાં આવ્યા ત્યારે જનાબે ઝયનબ (અ.સ.) પણ આપની સાથે હતા. અહીંજ આપ બિમાર થયા અને વફાત પામ્યા અને ત્યાંજ દફન કરવામાં આવ્યા જ્યાં આપ (અ.સ.) નો રોઝો મુબારક છે.

(હદીયતુઝ્ ઝાએરીન પા. 353 – મરાકદે અહલેબયત દર શામ લેખક – સય્યદ અહમદ ફહરી પા. 75-76)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *