ઇન્તેઝાર : મહત્ત્વ અને પૂર્વભૂમિકા

Print Friendly, PDF & Email

(1) ઇન્તેઝાર વાજીબ છે:
ખુદાવન્દે આલમની બારગાહમાં દરેક દીની અમલની કબુલીય્યત માટે અમૂક શરતો છે આ શરતો અમલ કરનારની સાથે સંકળાએલી છે. આ એ જ કાર્યો છે જેને ‘દીન’ શબ્દના નામથી યાદ કરવામાં આવે છે. એ દીન કે જે સાચો દીન હોય અને અલ્લાહની મરજી મુજબનો હોય. હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ના ફરમાન મુજબ માત્ર દીનદાર માણસના નેક અમલ કબુલ કરવામાં આવશે. અર્થાંત જો કોઇ બેદીન માણસ નેક કાર્યો કરશે તો તેના કાર્યો અલ્લાહની બારગાહમાં કબુલ નહીં થાય. આપ(અ.સ.)એ ફરમાવું:
أَيُّهَا النَّاسُ دِينَكُمْ دِينَكُمْ تَمَسَّكُوا بِهِ لَا يُزِيلُكُمْ أَحَدٌ عَنْهُ لِأَنَّ السَّيِّئَةَ فِيهِ خَيْرٌ مِنَ الْحَسَنَةِ فِي غَيْرِهِ لِأَنَّ السَّيِّئَةَ فِيهِ تُغْفَرُ وَ الْحَسَنَةَ فِي غَيْرِهِ لَا تُقْبَلُ
“એ લોકો! તમારા દીનનું રક્ષણ કરો. તમારા દીનનું રક્ષણ કરો. તેની સાથે જોડાએલા રહો (સાવધાન રહો.) કે કોઇ તમને તમારા દીનથી ફેરવી ન નાખે. કારણકે બેદીન થઇને નેક કામ કરવા કરતા દીનદાર થઇને બુરા કામ કરવા બહેતર છે. કારણકે દીન હોવાના લીધે માણસના બુરા કામો બક્ષી દેવામાં આવશે. પરંતુ જો માણસ બેદીન હશે તો તેના સારા કામો પણ કબુલ નહીં થાય.
(મઆનીઉલ અખ્બાર, પાના નં. 185-186)
તેથી દરેક કામ શરૂ કરતા પહેલા આપણી ફરજ છે કે દીન શું છે તે જાણીએ કારણકે દીન જ દરેક અમલના કબુલ થવાની મહત્વની શરત છે અને આ બાબત ફક્ત ત્યારે જ સ્પષ્ટ થશે – સમજાશે, જ્યારે માણસ અહલેબયત(અ.સ.)ની હદીસો તરફ રજુ થશે.
એક દિવસ એક માણસ ઇમામ બાકીર(અ.સ.) પાસે આવ્યો. તેના હાથમાં એક લખાણ હતું. તે માણસ તે લખાણને ખોલે તે પહેલાં ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
هَذِهِ صَحِيفَةُ مُخَاصِمٍ يَسْأَلُ عَنِ الدِّينِ الَّذِي يُقْبَلُ فِيهِ الْعَمَلُ
“આ એ ચર્ચા કરનારનું લખાણ છે જે એ દીન અંગે સવાલ પૂછવા માગે છે જેના થકી દીન કબુલ થાય છે.
તે માણસે કહ્યું : “અલ્લાહ આપની ઉપર રહમત ઉતારે. હું એજ પૂછવા માંગુ છું. પછી ઇમામ બાકીર(અ.સ.)એ ફરમાવ્યું :
اِشْهَدْ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَ أَنَّ مُحَمَّداً عَبْدُهُ وَ رَسُولُهُ وَ تُقِرُّ بِمَا جَاءَ مِنْ عِنْدِ اللَّهِ وَ الْوَلَايَةِ لَنَا أَهْلَ الْبَيْتِ وَ الْبَرَاءَةِ مِنْ عَدُوِّنَا وَ التَّسْلِيمِ لَنَا وَ التَّوَاضُعِ وَ الطُّمَأْنِينَةِ وَ انْتِظَارِ أَمْرِنَا فَإِنَّ لَنَا دَوْلَةً إِنْ شَاءَ اللَّهُ جَاءَ بِهَا
“(દીનનો અર્થ) એ વાતની ગવાહી આપવી કે અલ્લાહની સિવાય બીજો કોઇ મઅબુદ નથી, તે એક અને એકલો છે. તેનો કોઇ ભાગીદાર નથી. અને એ કે મોહમ્મદ(સ.અ.વ.) તેના બંદા અને તેના રસુલ છે અને દરેક એ બાબતને સ્વિકારવી કે જે આપ(સ.અ.વ.) અલ્લાહની તરફથી લઇને આવ્યા છે. અને અમે અહલેબયત(અ.સ.)ની વિલાયત અને મોહબ્બત અને અમારા દુશ્મનોથી દૂરી અને બેઝારી, અને અમારા હુકમની સામે સંપૂર્ણ તાબેદારી અને વરઅ અને પરહેઝગારી અને વિનમ્રતા અને અમારા કાએમ(અ.ત.ફ.શ.)નો ઇન્તેઝાર કારણકે બેશક અમારી હુકુમત આવશે. જ્યારે અલ્લાહ જેને ચાહશે ત્યારે સ્થાપી દેશે.
(ઉસુલે કાફી, કિતાબુલ ઇમાન વલ કૂફ્ર, પ્ર. દઆએમુલ ઇસ્લામ, ભાગ-13)
આ ઉપરથી જણાય છે કે ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહૂરનો ઇન્તેઝાર દીનના હુકમોમાંથી છે કે જેના કારણે આપણો દીન બારગાહે ઇલાહીમાં કબુલ થાય છે. આજ વિષય ઉપર બીજી હદીસ ગયબતે નોઅમાની પ્ર. 11 હ. 16માં ઇમામ સાદિક(અ.સ.)થી નોંધવામાં આવી છે.
આથી દીનનો કોઇપણ અમલ અલ્લાહની બારગાહમાં કબુલ નહીં થાય જો તે ઇમામ મહદી(અ.સ.)ના ઇન્તેઝારની સાથે અંજામ આપવામાં નહી આવ્યો હોય. અહીં અમલ કબુલ થવાનો અર્થ તે અમલના સવાબના હકદાર થવું અને અલ્લાહની જાતની નજદિકીનું કારણ બનવું છે. જરૂરી છે કે કોઇપણ અમલના સવાબનો હક મેળવવા માટે તે અમલના પાયામાં રહેલી બધી શરતોને પૂરી કરવામાં આવે. નહિતર અમલ કરનારની બધી કોશીશો ઉપર પાણી ફરી વળશે. હા, જો અલ્લાહ ચાહે તો તેના ફઝલો કરમના કારણે એક અધુરી ઇબાદતને જે પોતાની શરતો અનુસાર ન હોય તો કબુલ કરી લે. આ એક જુદીજ ચર્ચા છે. પરંતુ જે અલ્લાહનો વાયદો છે તેમાં આ શરતો સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.
(2) ઇમામે ઝમાના(અ.સ.)નો ઇન્તેઝાર વાજીબ હોવો :
મઅસુમીન(અ.સ.)ની અસંખ્ય હદીસોમાં કાએમે આલે મોહમ્મદ(અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરવાને દીનના હુકમોમાં ગણાવવામાં આવ્યો છે, જેની રીતસર ઓળખાણ કરાવવામાં આવી છે. જેમ કે ઇમામ મોહમ્મદ તકી(અ.સ.) ફરમાવે છે :
إِنَّ الْقَائِمَ مِنَّا هُوَ الْمَهْدِيُّ الَّذِي يَجِبُ أَنْ يُنْتَظَرَ فِي غَيْبَتِهِ
“બેશક, અમારા કાએમ એ મહદી(અ.સ.) છે જેમનો ઇન્તેઝાર તેમની ગયબતમાં વાજીબ છે.
(કમાલુદ્દીન, ભાગ – 2, પાના નં. 377, પ્ર. 36, હ. 1)
ઉપર દર્શાવેલ હદીસમાં શબ્દ ‘વાજીબ’ છે. તે સૂચવે છે કે ઇમામે ઝમાના (અ.સ.)ની ગબયતમાં દરેક શીયા અને ચાહનારાની ફરજ છે કે તે પોતાની જાતને ઇન્તેઝારના સદ્ગુણોથી સજાવી દે અને દરેક તે માણસ જે અલ્લાહની ઇબાદત કરવા ચાહતો હોય તેણે આ વાજીબ કાર્ય પ્રત્યે હરગીઝ બેદરકારી ન દાખવવી જોઇએ.
પરંતુ અહિં એક સવાલ એ ઊભો થાય છે કે શું ઇન્તેઝાર એક સ્વેચ્છીક કાર્ય છે કે જેને વાજીબ ઠરાવી શકાય? શું મૂળભૂત રીતે ઇન્તેઝાર માટેનો હુકમ આપવો યોગ્ય છે? આ સવાલનો જવાબ એ છે કે દરેક તે માણસ જે પોતાનામાં ઇન્તેઝારની કૈફીયતને અનુભવે છે તે એમ કહી શકશે કે કોઇ પણ પૂર્વભુમિકા વગર આ હાલત માણસમાં પૈદા નથી કરી શકાતી અને જો તેની બધી જ પૂર્વભુમિકા અને પ્રાથમિક તબક્કા સંપૂર્ણપણે મૌજુદ હોય તો ઇન્તેઝારની હાલત આપમેળે પેદા થઇ જશે. પછી કોઇ હુકમ કે આજ્ઞાનો મોહતાજ નહીં રહે. એટલે એમ કહી શકાય કે ઇન્તેઝાર તે ખાવા પીવાની જેમ આપણી મરજી મુજબનું કામ નથી કે જેનો હુકમ આપી શકાય. જો કોઇ ચાહતો હોય કે આ હાલતને પોતાની જાતમાં પેદા કરે, તો તેણે સૌપ્રથમ તેની પૂર્વભુમિકાને હાસીલ કરવી પડશે.
એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે બીજી બાબતોની જેમ ઇન્તેઝારના પણ દરજ્જા હોય છે અને તેમાં પણ ઉત્કંઠા અને સુસ્તી જોવા મળે છે. દરેક તબક્કા માટે કોઇ ખાસ પૂર્વભૂમિકા જરૂરી છે. ઇન્તેઝારની લઘુત્તમ હાલત એ છે કે માણસ ઝુહરની ઘટનાને શક્ય સમજે. ઇન્તેઝારની ઉત્કંઠા અને સુસ્તીનો સંબંધ આ બાબત સાથે છે. એટલે માણસ ઝુહરની જેટલી વધારે અપેક્ષા રાખશે ઇન્તેઝાર તેટલોજ વધારે ઉત્કટ થતો જશે. ખૈર ઇન્તેઝારને ઉત્કટ બનાવવા માટે જે પૂર્વભુમિકાઓ અથવા પરિબળો હોવા જરૂરી છે તે નીચે મુજબ છે.
1. યકીન: માણસ પોતાના દિલના ઉંડાણમાં ખાત્રીપૂર્વક માને કે આ બાબત ચોક્કસ બનશે જ, આ બાબતે તેના દિલમાં જરાપણ શંકા કે કુશંકા ન હોવી જોઇએ. આ ઇલ્મ અને યકીન જેટલું વધારે દ્રઢ હશે ઇન્તેઝારની કૈફીયતમાં એટલો જ વધારો થશે.
2. નજીક માનવું: ઇન્તેઝાર કરનારે આ બનાવને નજીક જાણવો જોઇએ. તેને આ ઘટના બનવાની ખાત્રી હોય પરંતુ તે એમ વિચારે કે હજી આ બનાવ બનવા માટે ઘણો સમય બાકી છે તેવા સંજોગોમાં ઇન્તેઝારની કૈફીયત ઘણી કમઝોર હશે. તેની વિરૂદ્ધ તેને જેટલી નજીક ગણે તેટલી વધુ બેચેનીથી આ બાબતનો ઇન્તેઝાર કરશે.
3. મોહબ્બત કરવી અથવા પસંદ કરવું: જો આપણને ખાત્રી હોય કે એક બનાવ બનવાનો છે અને આપણે એ પણ જાણતા હોઇએ કે તે નજદીકમાંજ બનશે, પરંતુ આપણે તે બાબત પ્રત્યે ઉત્કંઠા ધરાવતા ન હોઇએ અથવા તે બાબત ગમતી ન હોય તો આપણે ખરેખર એવું નહી ઇચ્છીએ કે આ બનાવ બને. પરંતુ આપણા કોઇ સગા, સબંધી કે મિત્રના આવવાના સમાચાર સાંભળીએ છીએ તો આપણે તેનો ઇન્તેઝાર કરવામાં એક અજબ પ્રકારની ઉત્કંઠા અનુભવીએ છીએ.
4. તૈયારી: જેટલી વધુ તૈયારી હશે તેટલી જ વધારે બેચેનીથી આ બાબતનો ઇન્તેઝાર કરશું. દાખલા તરીકે એક વિદ્યાર્થી પરીક્ષાની ભરપુર તૈયારી કરે તો પછી ખરેખર તે પરીક્ષાનો અને પરિણામનો આતૂરતાથી ઇન્તેઝાર કરશે. તેને ખાત્રી છે કે તે ચોક્કસ સફળ થશે.
આવી જ રીતે લગ્ન પ્રસંગે ક્યા પક્ષના લોકો જાનૈયાઓનો ઇન્તેઝાર ત્યારેજ કરશે જ્યારે બધી તૈયારી થઇ ગઇ હોય, એવું ન બને કે મહેમાનો આવી પહોંચે અને સ્ટેજ કે જમવાનું તૈયાર ન હોય. આમ થાય તો બદનામી થશે.
ઉપરોક્ત ચાર કાર્યો ઇમામે ઝમાના(અ.સ.)ના આગમનના ઇન્તેઝાર માટે પણ કરવા જોઇએ.
(1) ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહરનું યકીન :
માણસ ઇમામ(અ.સ.)ના ઝુહુર અંગે જેટલું વધારે જ્ઞાન અને યકીન પ્રાપ્ત કરશે તેટલો જ વધુ તે આપ(અ.સ.)નો ઇન્તેઝાર કરશે. અલ્લાહ ન કરે અને જો તેના દિલમાં ઝુહૂર અંગે શંકા કુશંકા પેદા થશે તો તેનો અકીદો તો નબળો થશેજ તેની સાથે સાથે ઇન્તેઝાર કરવાની આતૂરતા ભાંગી જશે. શક્ય છે કે ઝુહુર બાબતે વધુ પડતી શંકા કરવાથી ઇન્કારની હદ સુધી પહોંચી જાય. જેના પરિણામે કુફ્રની સ્થિતિમાં આવી જવાય.
આ અંગે પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની ઘણી મશહર હદીસ, જેની નોંધ શીયા અને સુન્ની આલીમોએ કરી છે, તે આ રીતે છે.
مَنْ اَنْکَرَ خُرُوْجَ الْمَھْدِيٍّ فَقَدْ کَفَرَ
“જેણે મહદી(અ.સ.)ના ઝુહુરનો ઇન્કાર કર્યો તે કાફીર છે.
(2) ઝુહુરને નજીક માનવું :
શક્ય છે કે કોઇ વ્યક્તિ ઝુહુર ઉપર યકીન ધરાવતો હોય પરંતુ ઝુહર થવામાં ઘણો સમય લાગશે તેમ માનતો હોય તેવા સંજોગોમાં તેનો ઇન્તેઝાર કમજોર અને સુસ્ત ગણાશે, પરંતુ જો ઝુહુરને નજીક માને તો તેનો ઇન્તેઝાર ઘણો પાકો ગણાશે. આ બાબત રિવાયતોમાં આ રીતે આવેલી છે.
إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيداً وَ نَرَاهُ قَرِيبًا
“તે લોકો (કાફરો) ઇમામ (અ.સ)ના ઝુહુરને દૂર સમજે છે અને અમે તેને નજદીક જાણીએ છીએ.
(દોઆએ અહદ – મફાતિહુલ જીનાન)
તેથી આ અકીદો આપમેળે ઇન્તેઝારના ઉચ્ચ દરજ્જા ઉપર લઇ જશે.
(3) ઇમામ(અ.સ.)ના ઝુહરને ચાહવું :
ખરેખર ઇન્તેઝાર કરનાર (મુન્તઝીર) એ હશે જે ઇમામ(અ.સ.)ના આગમન માટે આતૂર હશે. જેવી રીતે એક મોહીબ પોતાના મહેબુબના માર્ગને તાકી રહ્યો હોય. પોતાના મહેબુબની મુલાકાતની ઇચ્છા, તેના ચહેરાની એક ઝલક માટે તે દુનિયાની દરેક નેઅમતો અને પોતાનું સર્વસ્વ કુરબાન કરવા માટે તૈયાર છે.
مَتٰي تَرَانَا وَ نَراکَ
“મૌલા! તે સમય ક્યારે આવશે જ્યારે આપની કૃપા દ્રષ્ટિ અમ ફકીરો ઉપર પડશે અને અમે આપની ઝિયારતથી મુશર્રફ થઇશું.
(દોઆએ નુદબા)
આ છે ઇન્તેઝાર કરનારની જીવનશૈલી.
(4) તૈયારી :
આપણે આપણી જાતને ઇમામ(અ.સ.)ના ઝુહૂર માટે જેટલી તૈયાર કરશું તેટલો વધુ ઇન્તેઝારની આતુરતામાં વધારો થશે. તૈયારી વગરનો ઇન્તેઝાર ખોટો અને નકામો છે. સિબ્તે જઅફર લખે છે.
‘અલ અજલ’ જો કહતે હંય, આ ગયે તો ક્યા હોગા
ક્યા હય અપની તૈયારી, પેશ હમ કરેંગે ક્યા.
અને કહે છે :
યે હમારે મક્રો રીયા, શાતેરાના અય્યારી
ક્યા હમારે સૌમો સલાત ઔર યે અઝાદારી
કિતના હય ખુલુસ ઉન મેં કિસ કદર રીયાકારી
ક્યા ઇમામ કે ખાતીર હમને કી હય તૈયારી?
ક્યસે મુંહ દિખાએગે જબ ઇમામ આએગેં
જ્યારે આ ચાર પરિબળો અસ્તિત્વમાં આવે છે તો ઇન્તેઝારની આતુરતા આપમેળે પૈદા થઇ જાય છે. આ પૂર્વભુમિકાઓ જેટલી દ્રઢ હશે તેટલો જ ઇન્તેઝારમાં વધારો થશે.
તેથી જો આપણે ઇન્તેઝારની ફરજને પુરી કરવા માગતા હોઇએ તો આપણા માટે જરૂરી છે કે આપણે તેની આ પૂર્વભુમિકાઓને મજબુત કરવી જોઇએ. ઇન્તેઝારનો હુકમ તે આ પૂર્વ તૈયારી કરવાનો હુકમ છે.
ઉપર દર્શાવેલી પહેલા અને બીજા મુદ્દાની તૈયારી માટે આપણે કુરઆને કરીમ અને મઅસુમીન(અ.સ.)ની હદીસોનો વધુને વધુ અભ્યાસ કરવો જોઇએ. તેમાં દર્શાવેલી આગાહીઓ ઉપર યકીન રાખીને તેને સૌથી વધારે મહત્વ આપવું જોઇએ. આ બધું માણસના અખત્યારમાં છે. ત્રીજા પ્રકારની તૈયારીમાં આપણે ઇમામ(અ.સ.)ની મઅરેફત મેળવવી જોઇએ જેથી કરીને તેમની મોહબ્બતની જવાળા આપણાં અંતરમાં જીવનના અંત સુધી ભડકતી રહે. આપણે તેમના ઝુહુરનો ઇન્તેઝાર એવી રીતે જ કરીએ જે રીતે એક મા પોતાના ખોવાએલા બાળકને શોધી રહી હોય અને તેના મિલનનો ઇન્તેઝાર કરતી હોય.
આવો! આ લેખના અંતમાં ઇમામે ઝમાના(અ.સ.)ની પવિત્ર બારગાહમાં આંસુ સભર અરજ કરીએ:
اَلسَّلَامُ عَلَيْکَ يَا مَوْلاَيَ اَنَا مَوْلاَکَ اَتَقَرَّبُ اِلَي اللّٰهِ تَعَالٰي بِکَ وَ بِآلِ بَيْتِکَ وَ اَنْتَظِرُ وَ اَنْتَظِرُ وَ ظُھُوْرَکَ وَ ظُھورَ الحَقِّ عَليٰ يَدَيْکَ وَ اَسْاَلُ اللّٰهَ اَنْ يُصَلِّيَ عَليٰ مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ وَ اَنْ يَجْعَلَنِيْ مِنَ الْمُنْتَظِرِيْنَ لَکَ
“સલામ થાય આપ ઉપર એ મારા આકા અને મૌલા! હું આપનો ગુલામ છું. હું આપના થકી અને આપના અહલેબયત(અ.સ.)ની થકી અલ્લાહ તઆલાની નજદિકી ચાહુ છું. હું આપના ઝુહુર અને આપના હાથો ઉપર હકના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યો છું. હું અલ્લાહ પાસે આ દોઆ કરૂં છું કે તે મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ(અ.સ.) ઉપર દરૂદ મોકલે અને મારી ગણતરી આપના મુન્તઝીરોમાં કરે. આમીન…..
(મફાતિહુલ જીનાન, પાના નં. 59-60, ઝિયારતે રોઝે જુમઆ)

આખર ઝમાનામાં દીન અને કુરઆન
ઇસ્લામ ધર્મ અલ્લાહની નઝદીક સૌથી વધુ પસંદ કરેલો ધર્મ છે. કુરઆન અલ્લાહ તરફથી ઉતારવામાં આવેલ એ કિતાબ છે જે કયામત સુધી મુત્તકી અને પરહેઝગાર લોકોની હિદાયત કરતી રહેશે. હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.) છેલ્લા નબી છે. જેમને ઇસ્લામની તબલીગ માટે નબી તરીકે નિમવામાં આવ્યા છે. ઇસ્લામ અને અલ્લાહની કિતાબના રક્ષણ માટે પરવરદિગાર તરફથી આં હઝરત(સ.અ.વ.)ની બાદ એક પછી એક એવા બાર રક્ષકોને સર્વ સત્તાધિકારી તરીકે ઇમામતના ઉચ્ચ હોદ્દા ઉપર નિમવામાં આવ્યા. બારમા સત્તાધીશને લાંબું આયુષ્ય આપ્યું, તેમને ગયબતના પરદામાં રાખીને લોકોની હિદાયત માટે પોતાની હુજ્જત પૂરી કરી અને વાયદો કર્યો કે નક્કી કરેલા સમયે આપ(અ.સ.)ને જાહેર કરશે એટલે કે આપ(અ.સ.) જાહેર થઇને દુનિયાને ન્યાય અને ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે તે જુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.
અજ્ઞાનતાની ચર્ચાને બાજુ ઉપર રાખીએ તો એવો ક્યો મુસલમાન હશે કે જે આ હકીકતને હદીસો અને અક્લની રોશનીમાં નકારી શકે અને દિલના ઉંડાણમાંથી યકીન ન ધરાવતો હોય. અલ્લાહે દીનના રક્ષણના બધાજ સાધનો પુરા પાડી દીધા અને જીવનના તમામ તબક્કામાં હિદાયતના માર્ગોને પ્રકાશિત અને સ્પષ્ટ કરી દીધા. ઇસ્લામ આવ્યો અને તેના બીજે તેની શક્તિથી પથરાળ જમીનને નરમ અને નાજુક બનાવીને તેને વાતાવરણના પરિબળોથી એવી ફળદ્રપતા આપી દીધી, જેથી ઇસ્લામના મૂળો એટલા મજબુત થયા કે તે સમગ્ર જગતમાં ફેલાઇ ગયા. અરબસ્તાનના કેન્દ્ર મક્કી, મદની અને તેવી જ રીતે શામથી શામી, ઇરાનથી ઇરાની, અફઘાનથી અફઘાની, તૂર્કીથી, તૂર્ક, આફ્રીકાથી આફ્રીકી, ટૂંકમાં વિશ્ર્વવ્યાપી સ્તરે સમજદાર લોકો ઇસ્લામનો પરચમ લઇને ઉભા થયા અને જોત જોતામાં ઇસ્લામે દુનિયાની વસ્તીના ધોરણે બીજા નંબરનું સ્થાન મેળવી લીધું.
આપણે આ ખુશ્નુમા બયાનને વાંચીને શું એ તારણ ઉપર આવી શકીએ છીએ કે ઇસ્લામ સુલ્હ, શાંતિ અને સલામતીની શિતળ છાયામાં, ફુલી ફાલીને આખી દુનિયામાં છવાઇ ગયો? કે પછી લડાઇના મૈદાનના અંધારીયા ફિતનાઓમાં જ્યારે ઘોડાઓ દોડી રહ્યા હતા ત્યારે એક અવાજ પણ બુલંદ થઇ હતી કે ઇસ્લામના ઇતિહાસમાંથી લોહીની દુર્ગંધ આવી રહી છે. શું આ એજ ઇસ્લામ છે જેના રક્ષણ અને સલામતિ માટે અલ્લાહ તઆલાએ ઉપર દર્શાવેલ તમામ સાધનો પૂરા પાડી દીધા હતા અથવા આ જેનો ઉલ્લેખ છે એ બીજો કોઇ ઇસ્લામ છે. જે દિલોને નહિ પરંતુ પ્રદેશો ઉપર કબજો મેળવતો હતો. ખરો ઇસ્લામ તો ગઇ કાલે પણ ગરીબ અને મઝલુમ હતો અને આજે પણ તેની મઝલુમીય્યત વધતા વધતા પરાકાષ્ટા તરફ આગળ વધી રહી છે. ‘સહીહ મુસ્લિમ’માંથી રસુલે ખુદા(સ.અ.વ.)ની પવિત્ર જીભ ઉપરથી નીકળેલી એક હદીસની ચર્ચા કરવી જરૂરી છે. જેથી અલ્લાહની બારગાહમાં હાથ જોડીને દોઆ કરીએ કે પરવરદિગાર! આપણને આપણી વિચારસરણીનું જાત નિરીક્ષણ કરવાની અને આખેરતના મુકામ ઉપર ફૂંકી ફૂંકીને ડગ ભરવાની તૌફીક આપે.
اِنَّ الْاِسلامَ بَدَاَ غَريبًا و سَيَعُوْدُ غيربًا کَمٰا بَدَاَ فَطُوْبٰي لِلْغُرَبَآئِ
“બેશક! ઇસ્લામ શરૂઆતમાં ગરીબ હતો અને અંતમાં પણ ગરીબ રહશે તે માટે તે ગરીબો જે તેની સાથે છે તેના માટે ખુશખબરી છે.
(સહીહ મુસ્લિમ, ભાગ – 1, પાના નં. 90)
જો નિષ્પક્ષપણે ઇસ્લામના 1400 વરસના ઇતિહાસનું અવલોકન કરવામાં આવે અને પૂર્વગ્રહને એકબાજુ મૂકીને સંશોધન કરવામાં આવે તો જાણી શકાશે કે 73 ફીરકાઓમાંથી માત્ર 12 ઇમામોવાળો એક જ ફીરકો એવો છે જે આ હદીસની કસોટી ઉપર પૂરો ઉતરે છે. તેમાં પણ ધીરે ધીરે બીજી સંસ્કૃતિની અસરો ઝડપથી વધી રહી છે. અહિં શરૂઆતના ઇસ્લામની વાત થઇ રહી હતી. શરૂઆતમાં ગરીબ ઇસ્લામની હાલત એ હતી કે
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ જેને પોતાની જીભ ચુસાડી હોય, ફાતેમા ઝહરા(સ.અ.)એ ચક્કી પીસીને જેને ઉછેર્યા હોય તેને ત્રણ દિવસના ભૂખ્યા તરસ્યા કરબલાના રણમાં શહીદ કરી દેવામાં આવ્યા. મુસલમાનોએ લાખોની સંખ્યામાં તે લોહીમાં પોતાના હાથોને રંગીન કર્યા પછી આલે મોહમ્મદ(અ.સ.)ને કેદી બનાવીને કુફા અને શામની બજારોમાં ફેરવવામાં આવ્યા. કાશ કે હદીસના નકલ કરનારે તેના દરેક લોહી ભીના શબ્દો ઉપર ભૂતકાળના ઇતિહાસમાં શરૂઆતના ઇસ્લામની ગુરબત વિષે અંદાજ કર્યો હોત! આપણે ઇસ્લામની આ જ ગુરબતનું માતમ કરીએ છીએ. અને યકીન ધરાવીએ છીએ કે ઇસ્લામ હંમેશા બાકી રહેશે. આપણે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે દીનને ત્યજી દેવામાં આવશે અને કુરઆનને માંડલી ઉપર માત્ર બરકતની ખાતર રાખવામાં આવશે ત્યારે જેણે ભાલાની અણી ઉપર સુરે કહફની તિલાવત કરી હતી તેને યાદ કરીને આપણું જીવન પસાર કરી દેશું.
જ્યારે ઇસ્લામના શરૂઆતના યુગમાં આ ગુરબત હતી ત્યારે અંતિમ યુગમાં જ્યારે દુનિયા અન્યાય અને અત્યાચારથી ભરાઇ ગઇ હશે ત્યારે દીન અને કુરઆનની ગુરબતની શું સ્થિતિ હશે? હ. રસુલે ખુદા(સ.અ.વ.)એ સાચુંજ કહ્યું છે-
يُوْضَعُ الدِّيْنُ و تُرفَعُ الدُّنْيَا
“દીનને (ખુણામાં) મૂકી દેવામાં આવશે અને દુનિયા છવાઇ જશે.
(ઇલઝામુન્નાસીબ, પાના નં. 181)
આ અંતિમ યુગ છે કે તે હજુ ઘણો દૂર છે તેમ તો કહી શકાય નહિ પરંતુ વર્તમાન યુગમાં ઇસ્લામની જે ગુરબત અને લાચારી જોવા મળે છે તે હદીસોની આગાહીઓ મુજબનો આ ઝમાનો દેખાઇ રહ્યો છે. મરહુમ આયતુલ્લાહ મુરતુઝા મુતહર્રીના કથન મુજબ સ્વાદિષ્ટ અને મધુર ફળો પાકતા થોડો સમય લાગે છે, તો સૂર્યનો પ્રકોપ અને ગરમીમાં ઔર વધારો થશે અને દીન અને કુરઆનના વિરોધમાં હજુ વધારે સખ્તાઇ થશે.
આખર ઝમાનામાં દુનિયા જુલમ અને અત્યાચારથી ભરાઇ રહી હશે આ વિશેની પુષ્કળ હદીસો સંગ્રહાએલી છે. સમાજ, રહેણી કરણી અને વિચારધારા જેવા બધા પાસાઓને સ્પર્શતી બાબતોનું ચિત્ર આ હદીસોમાં રજુ કરવામાં આવ્યું છે. જેને સૌથી સાચા મઅસુમીન(અ.સ.)થી નોંધવામાં આવી છે. જેના જાહેર થવાથી હઝરત હુજ્જત(અ.સ.)ના ઝુહુરના નઝદીક હોવાનો અણસાર આવે છે. આપણે અહીંયા અમૂક એવી હદીસોની ચર્ચા કરીશું જે દીન અને કુરઆનની ગુરબતને અને તેને ત્યજી દેવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને તે આજની પરિસ્થિતિ સાથે કેટલી બધી સામ્યતા ધરાવે છે.
تجتمِعُ الْاَجْسَادُ وَالْقُلُوْبُ مُخْتَلِفَۃٌ وَ دِيْنُ اَحدِھِمْ لَعَقَۃٌ عَلَي لِسَانِهٖ
“લોકો (શારીરિક રીતે) એક જગ્યાએ ભેગા થશે. પરંતુ તેઓના દિલ એક બીજાથી જુદા જુદા હશે, વેર વિખેર હશે અને દીન એક કોળિયાની જેમ હશે, જે કોઇની જીભ ઉપર ફરી રહ્યો હોય અને પછી તેને થુંકી નાંખવામાં આવતો હોય.
(નહજુલ ફસાહા, ઇલઝામુન્નાસીબ, પાના નં. 181)
سَيَأْتِي عَلَى أُمَّتِي زَمَانٌ لَا يَبْقَى مِنَ الْقُرْآنِ إِلَّا رَسْمُهُ وَ لَا مِنَ الْإِسْلَامِ إِلَّا اسْمُهُ يُسَمَّوْنَ بِهِ وَ هُمْ أَبْعَدُ النَّاسِ مِنْهُ
“અમારી ઉમ્મત ઉપર એક એવો સમય આવશે જ્યારે કુરઆન એક નિશાની સિવાય બાકી નહી રહે અને ઇસ્લામ નામનો બાકી રહી જશે. જાહેરમાં મુસલમાન હશે જેમાંથી મોટા ભાગના લોકો ઇસ્લામથી દૂર હશે.
(મુન્તખબુલ અસર, પા. નં. 427, બેહાર, ભાગ – 52, પા. નં. 195)
اِضَاعَۃُ الصَّلوٰت و اَتّباعُ الشَّھَوَاتِ وَالْمَيْلُ اِلَي اَلْاَھْوَائِ
“તે જમાનામાં નમાઝ બરબાદ થઇ જશે. વાસનાઓ પાછળ લોકો ભાગશે અને દિલની ઇચ્છાઓને અનુસરશે.
(ઇલઝામુન્નાસીબ, પાના નં. 182)
આજનો જમાનો આ હદીસનું પ્રતિબિંબ છે. બહુમતિ લોકો એક એવા તબક્કા સાથે સંબંધ ધરાવે છે કે જે લોકો ઇસ્લામની હદો અને તેની જવાબદારીઓથી પર છે. રહેણીકરણી અને ઉઠબેસ વિગેરેમાં એક મિશ્ર સંસ્કૃતિનું અનુસરણ કરનાર છે. જ્યાં નમાઝ એક જુનવાણી રિવાજ અને નવરાશના સમયનો અમલ ગણવામાં આવે છે. અને વાસનાઓ સંતોષવા માટે તન, મન અને ઘનથી લાગેલા છે. બહુ ઓછા એવા કુટુંબો છે જે નબળા અને ગરીબ નથી, બલ્કે માલ – મિલ્કત અને જર જાગીરના વારસદાર હોવા છતાં દીન અને કુરઆનના મુલ્યોને પોતાની છાતી સરસા ચાંપી રાખેલા છે. એક વધુ હદીસમાં આ રીતે આવેલું છે.
اَلْغُرْبَائُ فِي الدُّنْيَا اَرْبَعَوٌ قُرآنٌ في جوفِ ظَالِمٍ وَ مَسْجِدٌ فِي نادِي قومٍ لاَ يُصَلّٰي فِيْهِ و مُصْحَفٌ في بيتٍ لاَ يُقْرَ افيه وَ رجُلٌ صَالِح مَعَ قَوْمِ سُوْئٍ
“દુનિયામાં ગરીબ ચાર પ્રકારના છે.
1. અત્યાચારીઓના દિલમાં કુરઆન,
2. મસ્જીદ એ વિસ્તારમાં જ્યાં નમાઝ કોઇ ન પડતું હોય.
3. મુસ્હફ (કુરઆન) એ ઘરમાં જ્યાં તેની તિલાવત ન થતી હોય.
4. અને એક નેક માણસ, જે એવી કૌમમાં હોય જે આઝાદ અને સંસ્કાર વગરની હોય.
(રોઝગારહાઇ, ભાગ – 2, પાના નં. 796)
ક. આજે મસ્જીદો અને ઇમામવાડાઓમાં જે લોકો બોમ્બ ધડાકા કરી રહ્યા છે, જેઓ જેમની છાતીમાં કુરઆન છે છતાં પણ આ કામોને જાએઝ ગણે છે. તેઓ અનાથો અને વિધવાઓ જે નિર્દોષ છે તેઓની ફરિયાદ સાંભળીને હસે છે. રસુલ(સ.અ.વ.)નો કોલ સાચો છે. ગરીબ છે તે કુરઆન, જે અત્યાચારીઓના દિલોમાં છે.
ખ. જો શહેરો, વસ્તીઓ અને વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવે તો એવી કેટલાય જગ્યાઓ છે, જ્યાં મસ્જીદો રૂદન કરે છે કે ‘નમાઝીઓ નથી રહ્યા.’
ગ. મુસ્હફ (કુરઆન) એવા ઘરોમાં છે જ્યાં તેની તિલાવત ન થતી હોય. જો ક્યાંક તિલાવત થતી હોય, તો પણ કુરઆને મજીદ ઉપરનું ચિંતન અને મનન ભૂતકાળની વાત બની ગઇ છે.
ઘ. એક અસંસ્કારી કૌમમાં નેક માણસનું અસ્તિત્વ તેના માટે ભારે ગુરબતના દિવસો છે. જ્યાં નાના નાના બાળકોમાં રાજકારણ અને દેશના રાજકીય આગેવાનોના બારામાં પણ રસ લેવામાં આવતો હોય, ત્યાં એ કેવી રીતે શક્ય છે કે કુરઆન ઉપર ચિંતન- મનનના આહવાનને લોકો કબુલ કરે. તે લોકો નથી જાણતા કે કુરઆન એઅલાન કરી રહ્યું છે કે તમે કુરઆન ઉપર ચિંતન અને મનન કેમ નથી કરતા?
ياتي علٰي اُمَّتي زمانٌ الصابرُ منهُم علٰي دينه کالْقابِضِ عَلَي الْجَمْرِۃِ
“મારી ઉમ્મતના ઉપર એક એવો જમાનો આવશે જ્યારે સબર કરનારા પોતાના નિયમ અને સિદ્ધાંત ઉપર અડગ રહેશે. તે એ એવા હશે જાણે અંગારાઓને પોતાની મુઠ્ઠીમાં સમાવી લીધા હોય.
(નહજુલ ફસાહત, ભાગ-2, પાના નં. 645, ગયબતે નોઅમાની, પા. 173)
يَکُوْنُ حجٌّ الملوکِ نُزهۃً وَ حجُّ الْاَکْنِيَائِ تِجَارۃً و حج الْفُقْرَائِ مَسْالَۃً
“બાદશાહ રાજકારણના અને પર્યટનના હેતુથી મક્કા (હજ માટે) જશે. માલદાર લોકો વેપાર ધંધા માટે અને જરૂરતમંદ લોકો ભીખ માગવા માટે જશે.
(જામેઉલ અખ્બાર, પાના નં. 81)
اِذَا ظَھَرَتِ الْمَعَارِفُ فِي حَرَمَيْنِ وَ عَمِلَ فِيْهِمَا بِمَا لاَ يُحِبُّ اللّٰهُ ﻻَ يَمْنَعُ مِنْ ذَالِکَ مَانِعٌ وَلاَ يَحُوْلُ دُوْنَ ذَالِکَ الْعَمَلِ الْقبِيْحِ
“જ્યારે હરમયન શરીફમાં લહવો લઅબ(અય્યાશી અને રમત-ગમત)ના સાધનો દેખાવા લાગશે અને તે ત્યાં પ્રચલિત થઇ જશે જેને અલ્લાહ પસંદ નથી કરતો અને કોઇ તેનો મુકાબલો નહિ કરે એટલે કે તેની વિરૂદ્ધમાં પગલાં નહિ ભરે, આ પવિત્ર સ્થળે અસંસ્કારી અને બિન શોભાસ્પદ પ્રવૃતિઓને અટકાવવા માટેના કોઇ પગલાં ભરવામાં નહિ આવે. (તે આખર જમાનો હશે.)
(ઇલઝામુલ નાસેબ, પાના નં. 184, મુન્તખબુલ અસર, પા. નં. 429)
“અફસોસ છે કે મક્કા અને મદીનામાં ગીત સંગીતનો અવાજ બુલંદ થાય છે અને અરબસ્તાનમાં ગૂંજતો રહે છે. તે એક દુ:ખદ હકીકત છે. હાજી અને બીજા સાંભળનારાઓ તેની તરફ આકર્ષાય છે. તેનો વિરોધ કરવા માટે કોઇ તૈયાર નથી.
(રોઝાગારે રહાઇ, પાના નં. 796)
આ અંગે એક અજબ હદીસ જોવામાં આવી, જેમાં આખર જમાનામાં કુરઆનની આયતોને સંગીતની ધૂન ઉપર પડવાનું લખાએલું છે. આ વાંચ્યા પછી એમ લાગે છે કે આ જ આખર ઝમાનો છે.
يُتَّخَذُ الْقُرْآنُ مَزَامِيْرَ وَ يُوضَعُ عَلَي اَلْحٰانِ الْاَغَانِيْ يُقراُ بِلاَ خَشْيَۃٍ
“કુરઆને મજીદને સંગીતની લયમાં પડવામાં આવશે અને તિલાવત કરતી વખતે પરવરદિગારનો ડર કે ભય તેમાં નહીં જોવા મળે.
(બશારતુલ ઇસ્લામ, પાના નં. 26)
આનાથી વધારે ભરોસાપાત્ર હદીસ કે જે હાલના ઝમાનાનું ચિત્ર રજુ કરતી હોય તે ઘણી ઓછી જોવા મળે છે. આજે કુરઆનની આયતો લયમાં અને સંગીતના સૂરમાં પડવું સામાન્ય લોકો માટે રિવાજ બની ગયો છે. કુરઆનની આયતોથી પડનારના દિલમાં ન તો અલ્લાહનો ડર પેદા થાય છે ન તો તેની રૂબુબીય્યત, તેના કલામોની ન તો ઉચ્ચતા અને ભવ્યતાની કોઇ અસર જાહેર થાય છે, અને ન તો સાંભળનારના દિલમાં આ આયતોને સાંભળીને કોઇ મઅરેફતનું કિરણ ફૂટે છે, ન જ્ઞાનમાં વધારો થાય છે. જે લોકો અરબી નથી જાણતા તેઓ માત્ર ‘અલ્લાહ’ ‘અલ્લાહ’ સાંભળે છે. જ્યાં જ્યાં આ વાક્ય વાચક મિત્રોને સંભળાય ત્યાં તેઓ આ હદીસ ઉપર ઉંડાણથી વિચાર કરે અને લોકોને ગુમરાહીથી બચાવવા માટે શક્ય તેટલી કોશીશ કરે.
لَا يَظْهَرُ الْقَائِمُ حَتَّى يَكُونَ أُمُورُ الصِّبْيَانِ وَ يَضِيعَ حُقُوقُ الرَّحْمَنِ وَ يَتَغَنَّى بِالْقُرْآن‏
“કાએમ(અ.સ.)નો ઝુહુર ત્યાં સુધી નહીં થાય સિવાય કે મઝહબના અમ્ર (મઝહબના હુકમો)ને બાળકોના હાથમાં સોંપી દેવામાં આવશે, અલ્લાહના હક્કોને પાયમાલ કરવામાં આવશે અને કુરઆનને સંગીતની ધુનમાં પડવામાં આવશે.”
(ઇલઝામુન્નાસીબ, પાના નં. 178)
આ હદીસમાં પણ ઉમ્મતના લોકોનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે અલ્લાહના હકોથી લોકો મોઢું ફેરવી લેશે. તે લોકો કુરઆને મજીદને સંગીતની ધુનમાં પડશે. આ આખર ઝમાનામાં તે લોકો કે જેમના માટે કુરઆને મજીદ હિદાયત લઇને આવ્યું છે તેઓ અલ્લાહની બેશુમાર રહેમતો અને નેઅમતોના બદલામાં તેનો હક અદા કરતા નથી. અલ્લાહની પ્નાહ! અલ્લાહના અમૂક બંદાઓ જે પરહેઝગાર અને અલ્લાહની તાબેદારી કરનારા છે તે અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં જરૂર આભાર માને છે જે રીતે આભાર માનવો જોઇએ. આ એ જ લોકો છે જેઓ કાએમે આલે મોહમ્મદ(સ.અ.વ.)ના માટે તન, મન અને ઘનથી ખિદમત કરીને પોતાની ફરજ બજાવી લાવે છે.
يُکْفَرُ بِاللّٰهِ جَھْرَۃً…… وَ تَوَخَّرُ الصلوٰۃُ وَ تُشْتَمُ الآبَائُ وَالْاُمَّھاتُ
આ હદીસમાં જે નિશાનીઓ દર્શાવવામાં આવી છે તે આખર ઝમાનામાં જ્યારે દેખાશે ત્યારે આપ(અ.સ.)નો ઝુહુર થશે. જેનો તરજુમો આ પ્રમાણે છે.
“જાહેરમાં અલ્લાહનો ઇન્કાર થશે. નમાઝ મોડી પડવામાં આવશે અને મા બાપને (ખૂબ) ગાળો આપવામાં આવશે.
(બશરતુલ ઇસ્લામ, પાના નં. 75)
મા બાપને ખૂબજ શરમજનક ગાળો સામાન્ય છે, દરેક ઘરમાં ઝોહરૈનની નમાઝ ખાસ કરીને જ્યારે સૂરજ આથમવા લાગે છે ત્યારે મા બૂમ પાડે છે કે ‘નમાઝનો સમય જઇ રહ્યો છે, જલ્દી પડી લો નહિતર કઝા થઇ જશે,’ તેમ છતાં આ કાંઇક ઠીક છે, પરંતુ ઘણા ઘરો એવા છે કે જો જુમઆની નમાઝ અદા થઇ જાય તો એ ઘણી મોટી વાત છે!!!
سَيَأْتِي عَلَيْكُمْ مِنْ بَعْدِي زَمَانٌ ، لَيْسَ فِيهِ شَيْ‏ءٌ أَخْفَى مِنَ الْحَقِّ وَ لَا أَظْهَرَ مِنَ الْبَاطِلِ وَ لَا أَكْثَرَ مِنَ الْكَذِبِ عَلَى اللَّهِ وَ رَسُولِهِ، وَ لَيْسَ عِنْدَ أَهْلِ ذَلِكَ الزَّمَانِ سِلْعَةٌ أَبْوَرَ مِنَ الْكِتَابِ إِذَا تُلِيَ حَقَّ تِلَاوَتِهِ، وَ لَا أَنْفَقَ مِنْهُ إِذَا حُرِّفَ عَنْ مَوَاضِعِهِ، وَ لَا فِي الْبِلَادِ شَيْ‏ءٌ أَنْكَرَ مِنَ الْمَعْرُوفِ وَ لَا أَعْرَفَ مِنَ الْمُنْكَرِ،
“મારા પછી તમારા માટે એક એવો ઝમાનો આવશે જ્યારે દુનિયામાં કોઇ બાબત એટલી છુપાએલી નહિ હોય જેટલો ‘હક’ અને કોઇ બાબત એટલી જાહેર નહિ હોય જેટલું ‘બાતિલ’. એવી કોઇ ચીજ સામાન્ય નહિ હોય જેટલું કે અલ્લાહ અને રસુલ ઉપર બોહતાન અને (બજારમાં) કોઇ સામાન એટલો સસ્તો નહિ હશે જેટલી કે કુરઆનની શુદ્ધ તિલાવત. અને સૌથી વધુ કિંમતી સામાન હશે કુરઆનનું ખોટું અર્થઘટન અને પાયા વગરના ખુલાસાઓ જેનુ કોઇ અસ્તિત્વ ન હશે. શહેરોમાં કોઇ ચીજ ‘મઅરૂફ’ની જેવી સૌથી વધુ ખરાબ અને ‘મુન્કર’ની જેવી સૌથી વધુ સારી દેખાશે નહીં.
(યનાબીઉલ મવદ્દહ, ભાગ -3, પાના નં. 106, હ. 203)
અલ્લાહ, અલ્લાહ, આપણા રસુલે અકરમ(સ.અ.વ.)ની આગાહી કેટલી સચોટ છે. આ ઝમાનાને કેટલી અનુરૂપ છે? સુજ્ઞ વાંચકો, આપણે અલ્લાહના આ સૌથી પ્રિય બંદા જ. રિસાલતે મઆબ(સ.અ.વ.)ની આપણી ઉપર કેટલી મોટી મહેરબાની છે કે તેમણે આપણને આ ઝમાનાની આ પરિસ્થિતિથી આગાહ કરી દીધા. શયતાનની અસરોએ દુનિયાને જકડી રાખી છે. આજે અમ્ર બિલ મઅરૂફ કાચા ઘડામાં પાણીની જેમ છે. તેની કોઇ અસર નથી, હા, ‘મુન્કર’ વેપાર, સ્વાર્થવૃત્તિ, પોતાનો સ્વાર્થ પાર પાડવું ગીબત મજાક મસ્તી કરવી, વ્યભિચારી બની જવું વિગેરે તેના પૂરા લશ્કરની સાથે સમાજ ઉપર છવાઇ રહ્યું છે. અલ્લાહ તઆલા પોતાના સાચા હબીબના સદકામાં મોઅમીનો અને નેક લોકોને પોતાની મહેરબાનીથી આ ઝમાનાની બુરાઇઓના હમલા સામે આપણી હિદાયત કરતો રહે અને આ કાંટાળા માર્ગમાંથી પસાર થવાની તૌફીક અતા કરે. પયગમ્બર(સ.અ.વ.) ફરમાવે છે :
وَ رَأَيْتَ النَّاسَ قَدِ اسْتَوَوْا فِي تَرْكِ الْأَمْرِ بِالْمَعْرُوفِ وَ النَّهْيِ عَنِ الْمُنْكَرِ وَ تَرْكِ التَّدَيُّنِ بِهِ
“અને તમે જૂઓ છો કે લોકો અમ્ર બીલ મઅરૂફ અને નહિ અનીલ મુન્કરને છોડી દેવા માટે એકમત થઇ ગયા છે અને દીનનો વિરોધ કરવામાં આગળ પડતો ભાગ ભજવે છે. તકવા વગરના લોકો દુનિયાના જાહીલો સાથે ભળી ગયા છે.
(બેહારૂલ અન્વાર, ભાગ – 52, પાના નં. 259)
આખર ઝમાના માટે જે હદીસો આવેલી છે, તે ખરેખર સાચી પડી રહી છે. એક જગ્યાએ કહેવામાં આવ્યું છે.
اِذَا کَثُرَ الْجَوْرُ وَ الْفَسَادُ وَ ظَھَرَ الْمُنْکَرُ وَ اُمِرَ النَّاسُ بِه وَ نَھَوْا عَنِ الْمَعْرُوْفِ وَ کَثُرَ الْقَتْلُ وَاسْتَخَفَّ النَّاسُ بِالدِّمَائِ
“જ્યારે ફિત્ના ફસાદ વધી જાય ત્યારે તેનું કારણ મુન્કેરાત (મનાઇ કરવામાં આવેલી બાબત ઉપર અમલ કરવો) હશે. લોકો સાથે મળીને બીજાને મુન્કેરાત તરફ દોરશે અને નેક અમલોથી રોકી લેશે. કત્લે આમ ઘણી થશે. અને લોકો ખૂના મરકીને સામાન્ય ગણશે.
(બેહારૂલ અન્વાર, ભાગ – 52, પાના નં. 193)
આપણા રોજીંદા જીવનમાં જે અનુભવો થઇ રહ્યા છે તેના અનુસંધાનમાં નીચેની હદીસથી આખર ઝમાનો દેખાઇ રહ્યો છે.
اِذَا اسْتَحَلُّوْا الْکَذِبَ وَ اتَّبَعُوْا الْاَھْوَائَ وَ استُعْلِنَ الْفُجُوْرُ وَ قَوْلُ الْبُھْتَانِ وَ صُدِّقَ الْکَاذِبُ وَ ائتُمِنِ النْمَائِنُ شَھِدَ الشَّاھِدُ مِنْ غيرِ اَنْ يُسْتشھَدُ وَ شھِد الآخَرُ قَضَائً لِذِمامٍ بَغيرِ حَقِّ عَرَفَه فَعِنْدَ ذَالِکَ الْوحَا اَلْوَحَا
“લોકો જ્યારે જુઠને યોગ્ય ઠરાવશે અને વાસનાઓનું અનુસરણ કરશે. બેદીનીભર્યું વર્તન પ્રર્વતતું હશે, ચારે તરફ આક્ષેપો થતા હશે. જુઠ્ઠાઓને સાચા માનવામાં આવશે. અને વિશ્વાસઘાતીઓને વિશ્વાસપાત્ર ગણવામાં આવશે, સાક્ષીઓ જોયા વગર કોઇકના કહેવાથી સાક્ષી આપશે. અને બીજાઓના કરારો બાબતે ખોટી સાક્ષી આપશે. જો કે તેઓ તે બાબતને જાણતા પણ નહિ હોય. તેવા સંજોગોમાં દરેક જગ્યાએ આગ વરસી રહી હશે.
(ઇમામ મહદી, પાના નં. 219)
દુનિયા એટલી નાની થઇ ગઇ છે કે દુનિયાના ખુણે ખુણાના તાજા સમાચારો લોકોને ટી.વી અને ઇન્ટરનેટ મારફતે મળી રહે છે. તેના પરિણામે સ્થિતિ કેટલી માનવતા વિહોણી બની રહી છે તે દરેક વ્યક્તિ પોતાની આંખોથી જોઇ શકે છે. શું તે સાચું નથી કે આંતર- રાષ્ટ્રીય સ્તરે જુઠે સચ્ચાઇનું મહોરૂં પહેરી લીધું છે? શું અધર્મીઓ સાથે વ્યક્તિગત અને સામાજીક સાંઠગાંઠ સામાન્ય નથી? શું ખયાનત કરનારા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વાસપાત્ર નથી બની ગયા, જ્યારે કે જાણે છે કે મહાસત્તાઓનો તેમાં શું સ્વાર્થ છે? શું આજે અદાલતોમાં નાની અદાલતોથી લઇને મોટામાં મોટી અદાલતોમાં, એટલે સુધી કે આંતરરાષ્ટ્રીય અદાલતોમાં ખોટા સાક્ષીઓની ભરમાર નથી? શું મારામારી અને કાપાકાપી સામાન્ય નથી બની ગઇ? શું બોમ્બના ધડાકાઓથી આગ નથી વરસતી? દરેક દિશામાં દરેક બાજુએ આગ વરસે છે અને વરસતી રહેશે. કદાચ એ ઝમાનો પણ આવશે કે વાદળોમાં વરસવા માટે એક ટીપું પાણી બાકી નહિ રહે. તે સમયે જમીનની અંદરના ભંડારો, લીલોતરી અને વસંતનો સિલસિલો મૃત:પાય બની જશે. તે સમયે જરૂર બતુલના લખ્તેજીગરના આગમનો પગરવ સંભળાશે, મૃત:પાય જમીનમાં નવજીવન આવશે. દશેય દિશાઓ મહેકી ઉઠશે. બાતીલના ઓછાયા સમેટાઇ જશે. હકનું નુર પ્રકાશવા લાગશે. નુરની ઠંડી કિરણોથી લોકોના લોહીના કણેકણમાં ખુશી અને આનંદ પ્રસરી જશે. અલ્લાહ તઆલાનો વાયદો પૂરો થઇને રહેશે. તે પોતાના તે બંદાઓ જેને આ દુનિયામાં કમજોર બનાવી દેવામાં આવ્યા છે તેઓની ઉપર જરૂર અહેસાન કરશે અને તેઓને પોતાના વારસદાર બનાવશે. જ્યારે ઇમામ બાકિર(અ.સ.)ને પૂછવામાં આવ્યું :
وَنُرِیْدُ اَنْ نَّمُنَّ عَلَی الَّذِیْنَ اسْتُضْعِفُوْا فِی الْاَرْضِ
“અને અમોએ એવો ઇરાદો કર્યો છે કે જેમને તે ભૂમિમાં (ઝલીલ અને) કમજોર કરી નાખવામાં આવ્યા હતા તેમના પર ઉપકાર કરીએ.
(સુરએ કસસ : 5)
આ લોકો કોણ હશે? ત્યારે આપે ફરમાવ્યું:
તે ઇમામે ઝમાના(અ.સ.)ના 313 સાથીદારો છે, જે હઝરતે હુજ્જત(અ.સ.)ના પ્રતિનિધિઓ તરીકે આખી દુનિયા ઉપર હુકુમત કરવામાં આપ(અ.સ.)ના મદદગાર બનશે.
હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની એક હદીસની નોંધ કરવામાં આવે છે કે જેની 1400 વર્ષ પહેલા કલ્પના પણ લોકો નહોતા કરી શકતા. મૌલા(અ.સ.)એ તે વાત પોતાની હદીસમાં વર્ણવી છે. તેમાં તે માહિતી આપી છે જે આજે દીનની એક બિમારી છે.
اِذَا دَرَجَ الدَّارِ جُوْنَ وَ قلّ الْمُﺆمِنُوْنَ ذَھَبَ الْمُجْلِبُوْنَ
“આ ઉમ્મત ઉપર એ સમય આવશે જ્યારે ‘મૂડી’ માણસો પોતાના ‘મૂડ’ મુજબ કાર્યો કરશે અને જે યકીન રાખનારા હશે તે લઘુમતિમાં હશે. આગાહી કરનારા અને ચેતવણી રાખનાર ચાલ્યા જશે.
(રોઝગાર રેહાઇ, પાના નં. 805)
અહિં સૌથી વધુ રસપ્રદ શબ્દ ‘ધીરજ’ છે. આજના યુગમાં કામ કરનારા પોતાના મૂડ ઉપર કામ કરે છે. આજે સમગ્ર જીવનમાં જો કોઇ વસ્તુ કામ કરતી હોય તો તે માનવીનો મૂડ છે. ઇમામ અલી(અ.સ.)એ પોતાની આંખોથી આજના જીવનની ચડ ઉતરને જોઇ અને તે સમયે તેની આગાહી કરી. લોકો કહે છે :
જાનતા હં સવાબે તાઅતો ઝોહદ
પર તબીઅત ઉધર નહિ આતી
દીન ઉપર અમલ, તેની ફરજો જાણવી, કુરઆન ઉપર ચિંતન અને મનન આ બધી વાતો બરાબર છે પરંતુ તેનો આધાર તબીયત અને કામ કરવાની પદ્ધતિ ઉપર છે. અલ્લાહ રહેમ કરે તેઓની ઉપર જેઓની ઉપર મૂડ છવાએલો રહે છે.
આ અંતિમ હદીસ :
وَ ضُيِّعَتِ الصَّلوٰتُ وَ عُوْصِرَتِ الصَّمٰوَاتُ فَحِيْنِئِذٍ تَکُوْنُ السَنَّۃُ کَالشَّھْر وَالشَّھْرُ کَالْاُسبوعِ وَ الْاُسْبُوْعُ کَالْيَوْمِ وَالْيَوْمُ وَالْيَوْمُ کَالسَّاعَۃِ
(જ્યારે મૂડ ઉપર નમાઝનો આધાર હશે તો પછી કેવી નમાઝ…… તેથી)
“આખર ઝમાનામાં નમાઝ બરબાદ થઇ જશે. આસમાન પથરાએલા હશે. વરસ મહિનાઓની જેમ, મહિનાઓ અઠવાડિયાની જેમ, અઠવાડિયા દિવસની જેમ અને દિવસો કલાકોની જેમ પસાર થઇ જશે.
(ઇલઝામુન્નાસીબ, પાના નં. 104)
નમાઝ એક અમૂલ્ય ઇબાદત છે તેમાં કોઇ શંકા નથી. આસમાનનો ફર્શ બિછાવેલો છે. એટલે કે માનવીઓની નજીક આવી ગયો છે. હવે આપણે અવકાશયાત્રીઓ થઇ ગયા છીએ. ચાંદ અને ગ્રહોની તરફ સફર શરૂ થઇ ગઇ છે. ઘોડાના બદલે એરોપ્લેનમાં મુસાફરી કરીએ છીએ. જેના કારણે દુનિયાનાં એક છેડાથી બીજા છેડા સુધીની મુસાફરી વરસોની બદલે કલાકોમાં બદલાઇ ગઇ છે. આ હદીસમાં આ ઝમાનાની સૌથી મોટી ખાસીયત લખી છે તે છે જીંદગીનું ઝડપી ગતિથી પસાર થઇ જવું. જેને આપણે ‘ફાસ્ટ લાઇફ’ કહીએ છીએ. એટલે વરસ એવી રીતે પસાર થશે જેવી રીતે મહિનો પસાર થયો, અને અઠવાડિયું એક દિવસની જેમ પુરૂં થશે અને દિવસ એ રીતે પૂરો થશે જેમ કે માત્ર એક કલાક પસાર થઇ!!!
આ રીતે બાળપણ, જવાની ઝડપથી પસાર થઇ જશે. જવાની આંખના પલકારામાં વૃદ્ધાવસ્થામાં બદલાઇ જશે. નફસનો હિસાબ કિતાબ અને ઇસ્તગફારની મોહલત ક્યારે અને કેવી રીતે મળશે તે પોતે જાણી નહિ શકે. એટલા માટે કે નમાઝ અઘરી લાગશે. મોજશોખમાં અને રમત ગમતમાં દિલ લાગશે કે જ્યારે આ મસ્તીમાંથી આંખો ખુલશે ત્યારે મોડું થઇ ચુક્યું હશે. તે વાતાવરણમાં બરાડતો રહેશે-
ગઝલ કિસને છેડી મુજે સાઝ દેના
ઝરા ઉમ્રે રફતા કો આવાઝ દેના
મોહતરમ વાંચકો! સાહેબઝઝમાન સમયની લગામ હાથમાં લઇને આપણી કૌમના લોકોને બોલાવી રહ્યા છે. આવો, કાફલાના કાફલા, ટોળાના ટોળા…… આપના અવાઝ ઉપર લબ્બયક કહીને વર્તમાન યુગનું રેખા ચિત્ર આવનારી પેઢી માટે છોડીને આપણા મૌલાની મંઝીલ સુધી પહોંચવા માટે ઝડપ કરીએ.
સાચું છે કે આપણા મૌલા માત્ર એક ડગલું વધીએ તો આપણી તરફ દસ ડગલા ભરીને નજીક આવે છે. તેથી આપણે દીન અને કુરઆનની બુઝુર્ગીને સ્થાપિત કરવા માટે ઉપર દર્શાવેલ હદીસના પ્રકાશમાં તન, મન અને ધનથી લાગી જઇએ જેથી આપણા મૌલા આપણાથી રાજી રહે. આમીન……

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *