ઇમામે અસ્ર અલયહિસ્સલામના અસહાબો અને તેઓની ખાસ ખૂબીઓ

Print Friendly, PDF & Email

પ્રસ્તાવના :
આપણે સૌ જાણી છીએ કે કામના પ્રકાર અને તેના હેતુ પ્રમાણે વ્યક્તિઓને શોધવામાં આવે છે. જો એક સામાન્ય મકાન બનાવવું હોય તો તેના માટે એન્જીનીયરની લાયકાત કાંઇક ખાસ હશે પરંતુ એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવાનો હોય તો તેના માટે જે એન્જીનીયરની જરૂર પડશે તેની ખૂબીઓ અને લાયકાતો પહેલા એન્જીનીયરની સરખામણીમાં ઘણી જુદી હશે. હવે જો તમે આખા દેશ માટે એક સંયુક્ત પ્રોજેક્ટ બનાવવા ચાહો છો તો તે માટે તેના એન્જીનીયરો અને જવાબદારીઓ વહન કરવા માટેની લાયકાતો બિલ્કુલ જુદી હશે. અહિ દરેકનુ ખૂબજ બારીકીથી પરીક્ષણ કરવામાં આવશે. જવાબદારીઓ ખૂબજ મહત્વની હોવાથી તેના દરેક પાસા ઉપર ધ્યાન રાખવામાં આવશે. હવે જો આ પ્રોજેક્ટનું સમગ્ર દુનિયામાં અમલીકરણ કરવાનું હોય તો તે માટે વ્યક્તિઓની લાયકાતો એક બીજાથી જુદી હશે. તેની વ્યવસ્થા તેના સંપર્કો, તેની વ્યક્તિઓ દરેકથી સ્વતંત્ર અને ઉચ્ચ હશે. આ મહાન અભિયાનમાં જોડાઇ જવું તે દરેકના માટે શક્ય નથી. તેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ પસંદગી પામેલો અને ચૂંટાએલો હશે. તે એવી વ્યક્તિઓ હશે કે જેઓનું ચારિત્ર્ય, જેઓનો સ્વભાવ અને જેઓનું ચિંતન આ અભિયાન અને આ હેતુ સાથે સંપૂર્ણ રીતે બંધબેસતું હશે. તેઓ પૂરેપૂરી રીતે આ રંગમાં રંગાએલા હશે.
આ સંક્ષિપ્ત પૂર્વ ભૂમિકા પછી આવો આપણે જોઇએ હઝરત વલી અસ્રનું અભિયાન શું હશે? માત્ર થોડી બાબતોની ચર્ચા કરીએ છીએ. :
(1) સમગ્ર જગતમાં ન્યાય અને ઇન્સાફ સ્થાપિત કરવો:
જ્યારે પણ હઝરત વલી અસ્ર અને તેમના નુરાની ઝુહુરની ચર્ચા થાય છે ત્યારે મગજમાં આ વાક્ય ઘુમરાય છે:
يَمْلَاُئ الارض قسطًا و عدلاً کَمَا مُلِئَتْ بعد ظلمًا و جورًا
તે દુનિયાને એવી રીતે અદલ અને ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે તે જુલ્મ અને અત્યાચારથી ભરાઇ ગઇ હશે. એટલે હઝરત ઇમામે અસ્ર અલયહિસ્સલામના ઝુહુરનો એક હેતુ આખી દુનિયામાં અદલ અને ઇન્સાફ સ્થાપવો.
(2) દીને ઇસ્લામનું પ્રભુત્વ :
ખુદાવન્દે આલમ કુરઆને કરીમમાં ફરમાવે છે :
ہُوَالَّذِیْٓ اَرْسَلَ رَسُوْلَہٗ بِالْہُدٰى وَدِیْنِ الْحَقِّ لِیُظْہِرَہٗ عَلَی الدِّیْنِ کُلِّہٖ۝۰ۙ وَلَوْ کَرِہَ الْمُشْرِکُوْنَ۝۹ۧ
(સુરએ સફ, આયત : 9)
તરજુમો : તે (અલ્લાહ) એજ તો છે જેણે પોતાના રસુલને હિદાયત તથા સત્ય ધર્મ (ઈસ્લામ) સાથે મોકલ્યો કે જેથી તે તેને સઘળા ધર્મો પર પ્રબળ કરી દે, પછી ભલેને તે મુશરીકોને નાપસંદ (કેમ ન) લાગે.
(3) શીર્કનો અંત :
સુરએ નુરની આયત 55 માં અલ્લાહ ફરમાવે છે :
یَعْبُدُوْنَنِیْ لَا یُشْرِکُوْنَ بِیْ شَـیْــــًٔـا۝۰ۭ
તરજુમો : તેઓ મારી જ ઇબાદત કરશે અને કોઇ વસ્તુને મારી શરીક નહિ બનાવે ;
હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ સુરા આલે ઇમરાનની -38મી આયત
وَ لَهٓ اَسْلَمَ مَنْ فِي السَّمٰوٰتِ وَ الْاَرْضِ طَوْعًا وَّکَرْھًا
ની તફસીર આ રીતે બયાન કરી છે.
“જ્યારે કાએમનો ઝુહુર થશે ત્યારે દુનિયાનો કોઇ ભાગ એવો નહિ હોય જ્યાંથી أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَ أَنَّ مُحَمَّداً رَسُولُ اللَّهِ નો અવાજ ન આવી રહ્યો હોય.”
(બેહાર – 52, પા. 340, ભાગ : 89)
આથી સ્પષ્ટ થાય છે કે હઝરત વલી અસ્ર અલયહિસ્સલામના ઝુહુર પછી દુનિયામાં ચારે તરફ તૌહિદનો ધ્વજ લહરાઇ રહ્યો હશે. કુફ્ર અને શિર્કનું નામ કે નિશાન સુદ્ધાં નહિ હોય. અલ્લાહની જમીન ઉપર અલ્લાહની અને માત્ર અલ્લાહની જ ઇબાદત થશે. દરેક, ‘વહદહ લાશરીક’ ખુદાની સામે માથું ઝુકાવેલો હશે.
(4) બીજા હેતુઓ :
આયતો, રિવાયતો અને દોઆઓમાં બીજા પણ હેતુઓ બયાન કરવામાં આવ્યા છે. ટૂંકમાં દોઆએ નુદબાના થોડા વાક્યો રજુ કરીએ છીએ. આ દોઆ ખૂબજ વિશ્ર્વાસપાત્ર દોઆ છે. ઇમામે અસ્ર અલયહિસ્સલામની બારગાહમાં સંપર્કનું ઘણું જ મહત્વનું માધ્યમ છે. આ દોઆ જુમ્આના દિવસે પડવાની ઘણી તાકીદ કરવામાં આવી છે.
અ. વાજીબાત અને સુન્નતનોનું સંશોધન
બ. મિલ્લત અને શરીઅતનું નવજીવન
ક. કુરઆને મજીદની હદોનું નવનિમાર્ણ
ખ. દીન અને દીનદારોના નવજીવન
ગ. જાલીમ અને અત્યાચારીઓની સત્તાઓનો નાશ
ઘ. શીર્ક અને દંભનો નાશ
ચ. ગુનેહગારોની નાબુદી
છ. નાફરમાની અને મતભેદોનો અંત
જ. અસત્ય બોલનારા, જુઠ્ઠાઓ, આક્ષેપો અને બદનામી, નિંદા અને ફજેતી કરનારાઓનો નાશ,
ઝ. દોસ્તોને સન્માન અને ગૌરવ અપાવનારા, તેમજ દુશ્મનોનું અપમાન અને બદનામી કરનારા.
ટ. તકવા અને પરહેઝગારી ઉપર લોકોને ભેગા કરવા
થ. છૂટા છવાયા પરેશાન લોકોને ભેગા કરવા
(5) હઝરત વલી અસ્રથી મખ્સુસ સલવાતમાં કાંઇક આ રીતે બયાન કરવામાં આવ્યું છે :
1, દીનના દરેક દુશ્મનોના મૂળ સ્વરૂપનો નાશ
2, દીનના દુશ્મનોના સરદારોનો અંત
3, અસત્ય આચરનારને સજા કરવી.
4, કુફ્ર અને નિચતાના દરેક ધ્વજને નમાવી દેવા.
પ, એ શક્તિઓના ટૂકડે ટૂકડા કરી નાખવા જે દીનની દુશ્મન છે.
6, તે લશ્કરોને પરાસ્ત કરવા જેનો હેતુ સાચા દીનને નુકસાન પહોંચાડવાનો છે.
7, તે મિમ્બરોને તોડી પાડવા જેનો હેતુ સાચા દીને ઇસ્લામની વિરૂદ્ધ ઝેર ઓકવાનો છે.
8, દીનના દુશ્મનોની તલવારોને તોડવી
9, મૂર્તિઓના મસ્તક ઝૂકાવી દેવા
10, મજબુત કિલ્લાઓને વિરાન કરવા
11, ફીત્ના અને ઝઘડાઓના બધા દરવાજાઓને બંધ કરી દેવા.
12,જુલ્મના મહેલોને તોડી પાડવા
13, જમીનના બધા ખજાનાઓને બહાર લાવવા.
14, દરેક નિચાણ અને ઉંચાણ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું.
આ બાબતોથી ખૂબ સારી રીતે અંદાજ આવી જશે કે નુરાની ઝુહુર પછી હઝરત વલી અસ્ર અલયહિસ્સલામની જવાબદારી માત્ર હુકમો બયાન કરવાની નથી. બલ્કે ખુદાવન્દે આલમના સંપૂર્ણ દીનને પૂરે પૂરી રીતે અમલીકરણ કરવાનું છે. તે કામ કરવાનું છે જે અત્યાર સુધી કોઇએ પણ નથી કર્યું.
અત્યાર સુધી જેટલા અમ્બીયાઓ આવ્યા તેઓનું કામ અલ્લાહનો સંદેશો પહોંચાડવાનું હતું.
و ما علينا الا البلاغ انما انت منذر لست عليهم بمصيطر
આપનું કામ સંદેશો પહોંચાડી દેવાનું છે. આપનું કામ ખતરાઓથી માહિતગાર કરવાનું છે. આપની તેઓના ઉપર જબરદસ્તી નથી.
يَا ايھا الرسلو بلغ
એ રસુલ ! સંદેશો પહોંચાડી આપો.
હુકમોનું અમલીકરણ તબ્લીગથી વધુ મુશ્કેલ :
હઝરત વલીએ અસ્ર (અજ.) ની જવાબદારી માત્ર ખુદાનો સંદેશો પહોંચાડવો, તે નથી. બલ્કે તેને પૂરે પુરી રીતે આખી દુનિયામાં સૌના માટે અમલમાં મૂકવાનો છે. અમ્બીયા (અ.સ.) એ હુકમોની તબ્લીગમાં અસંખ્ય મુશ્કેલીઓ સહન કરી છે. તેઓને સૌથી વધુ સખત દુ:ખોનો સામનો કરવો પડ્યો છે. જનાબે નુહ (અ.સ.) ની પવિત્ર જીભ ઉપર આ વાક્ય હતું. “કદાચને, મારી પાસે કોઇ મજબુત સહારો હતે.
જ્યારે હુકમોની તબ્લીગના માર્ગમાં આટલી બધી મુશ્કેલીઓ હતી ત્યારે હુકમોના અમલીકરણના સમયે કેટકેટલી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડતો હશે !
દોસ્તો અને મદદગારોની ખાસ ખૂબીઓ :
આ ટૂકંમાં દર્શાવેલી બાબતો ઉપર વિચાર કરવાથી એ હકીકત સમજાય જશે કે હઝરત વલી અસ્ર અલયહિસ્સલામ ના મદદગારો અને નિસાર થનારાઓની ખાસખૂબીઓ કઇ હશે ? તેઓ કેટલા ઉચ્ચ દરજ્જાના ચારિત્ર્યવાન હશે?
ખુદાવન્દે આલમનો મોટો અહેસાન છે કે તેણે આપણને અહલેબયત અલયહેમુસ્સલામના રક્ષણ હેઠળ રાખ્યા છે. ઇલ્મના શહેરના દરવાજાની રિવાયતોમાં ઇમામે અસ્ર અલયહિસ્સલામના અસહાબોની ખાસ ખૂબઓની ચર્ચા કરવામાં આવી છે. જો આ ખૂબીઓ કે તેમાંની કોઇ એક આપણામાં જોવા મળે તો ખુદાના શુકર અદા કરીએ. જો ખુદા ન કરેને આપણું અસ્તિત્વ તે ખૂબીઓથી શણગારેલુ ન હોય તો ખુદા પાસે દોઆ કરીએ કે આ બધી ખૂબીઓને પ્રાપ્ત કરવાની તૌફીક આપે.
સામૂહિક ગુણ :
હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ એક રિવાયતમાં હઝરત ઇમામ મહદી અલયહિસ્સલામના અસહાબોના સામૂહિક ગુણોની ચર્ચા કરી છે.
* જેમના દિલ લોખંડ કરતા વધુ મજબૂત હશે.
* અલ્લાહ ઉપર સંપૂર્ણ યકીન રાખતા હશે. તેમના દિલોમાં શંકા ઉદભવશે નહિ.
* પથ્થરોથી વધુ સખત. જો પહાડની તરફ નજર કરે તો તેને ઉખેડી નાખે.
* પોતાનો ધ્વજ લઇને જે શહેરમાં જશે તેને જીતી લેશે.
* તેજ ગતિવાળા શિકારી પક્ષી છે જે ઘોડા ઉપર સવાર છે.
* બરકતના માટે ઇમામ અલયહિસ્સલામની સવારીના જીનને સ્પર્શ કરતા હશે.
* ઇમામને ઘેરી લીધા હશે દરેક આફત અને બલાથી તેમનું રક્ષણ કરતા હશે.
* ઇમામની દરેક ઇચ્છા દિલો જાનથી પૂરી કરશે. ,
* રાત્રીઓમાં સૂઇ નહિ જાય.
* નમાઝમાં મધમાખીની જેવા તાલબધ સ્વરમાં ઇબાદત કરતા હશે.
* રાત ઇબાદતમાં પસાર કરશે. સવારે ઘોડાઓ ઉપર સવાર થઇને મદદ માટે તૈયાર દેખાશે.
* ઇમામના માટે કનીઝથી વધુ આજ્ઞાંકિત અને અનુસરણ કરનારા હશે.
* તેઓ ખુદ પ્રકાશિત જ્યોત છે તેઓના દિલ નુરાની દિપિકાઓ જેવા હશે. ,
* ખુદાથી ડરનારા, વહદાનિય્યતની સાક્ષી આપનારા
* ખુદાની રાહમાં શહાદતની તમન્ના ધરાવનારા
* તેમનો તરિકો ‘યા લેસારતીલ હુસયન’ (અ.સ.)
* જ્યારે ચાલશે ત્યારે રૂઆબ અને ધાક, એક મહિનાની સફરના અંતરથી તેમની આગળ વ્યાપેલા હશે.
* ખુદાની ખુશ્નુદી મેળવનારા
* ખુદા તેઓની મારફતે ઇમામે હકની મદદ કરશે.
(બેહાર – ભાગ – 52, પા. 307-308, હ. 82)
સંખ્યા :
ઇમામ મોહમ્મદ તકી (અ.સ.) એ ફરમાવ્યું : ખુદા તેમના સાથીદારોને તેમની આજુબાજુ ભેગા કરશે. તેઓની સંખ્યા બદરના સૈનિકોની જેમ 313 હશે. તેઓ દુનિયાના જુદા જુદા ભાગોમાંથી ભેગા થશે. અને આ જ છે ખુદાના તે કથનનું અર્થઘટન : “તમે જ્યાં પણ હો ખુદા તમને લઇ આવશે. નિશંક અલ્લાહ દરેક ચીજ ઉપર કુદરત ધરાવે છે.
(સુરા બકરહ : 149) (બેહાર – 52/283 હ. 10)
એ તે સંખ્યા છે જેના પછી હઝરત ખાનએ કા’બાથી પોતાના ઝુહુરની જાહેરાત કરશે. આ બધી વ્યક્તિઓ “અહલે ઇખ્લાસ નિખાલસતા ધરાવનારી હશે. જ્યારે આ સંખ્યા દસ હજાર સુધી પહોંચી જશે, ત્યારે ઇમામ ખુદાના હુકમથી સત્તાનો દોર સંભાળશે અને દુશ્મનોને કતલ કરશે.
(સંદર્ભ ઉપર મુજબ)
કેવી રીતે ભેગા થશે ?
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું : જ્યારે અમારા કાએમ સત્તા ઉપર આવશે ત્યારે ખુદા પૂર્વ અને પશ્ર્ચિમમાં વસવાટ કરનારા લોકોને ભેગા કરશે. આ લોકો એવી રીતે ભેગા થશે, જેવી રીતે પાનખરમાં પાંદડાઓ ભેગા થાય છે.
(સવાએકે મોહરેકા પા. 163, મુન્તખબુલ અસર પા. 477)
આં હઝરતની બીજી એક રિવાયત મુજબ આ લોકો પલક ઝપકમાં ભેગા થઇ જશે.
(ઇલ્ઝામુન નાસેબ પા. 200)
રાત પોતાના ઘરોમાં પસાર કરશે અને સવાર થતા સુધીમાં મક્કએ મોકર્રમા પહોંચી જશે.
(બેહાર, 52/286 હ. 21)
વાદળો ઉપર સફર કરશે :
‘તેઓમાંથી અમૂક, દિવસમાં વાદળ ઉપર સફર કરશે. ઇમામ તેઓના નામથી, તેઓના બાપદાદાના નામથી, તેઓના ખાનદાનની પરંપરા અને રીત ભાતથી ઓળખતા હશે. રાવીએ પૂછ્યું, કોનું ઇમાન સૌથી વધુ હશે. ફરમાવ્યું: “જે દિવસમાં વાદળો ઉપર સફર કરશે.’
(સંદર્ભ ઉપર મુજબ)
ઉચ્ચકક્ષાના બહાદુર અને ઇબાદત કરનારા હશે :
હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે.
હું કાએમ અને તેમના સાથીદારોને કુફામાં જોઇ રહ્યો છું. તેઓના કપાળ ઉપર સજદહના સ્પષ્ટ નિશાનો હશે. દિવસમાં વનરાજ (જંગલનો સિંહ) જેવી બહાદૂરી, રાતે દરજ્જા મુજબના ઇબાદત કરનારા. તેઓના શરીર પોલાદથી પણ વધુ મજબુત હશે. એક એકની શક્તિ ચાલીશ મરદની બરાબર હશે. તેઓ માત્ર કાફરો અને મુનાફિકોને કતલ કરશે.
(બેહાર 52/386, હ. 202)
તલવારો ઉપર તેઓના નામ કોતરાએલા હશે :
દરેકની તલવાર ઉપર તેમના તથા તેમના ખાનદાનના નામ કોતરાએલા હશે. ચહેરાનો દેખાવ પણ ઓળખ માટે લખેલો હશે.
(બેહાર, 53/369, હ. 155)
અને આ તલ્વારો આકાશમાંથી આવશે.
(બેહાર, 52/256 હ. 121)
જમીન પાર કરશે :
ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) એ ફરમાવ્યું : દુનિયાના જુદા જુદા ભાગોમાંથી તેમના શીયાઓ તેમની પાસે ભેગા થશે. જમીન તેઓના માટે સંકોચાઇ જશે. તેઓ તેમની (ઇમામ અ.સ.ની) સેવામાં હાજર થઇને બયઅત કરશે. (ઇરશાદે મુફીદ 341 મુન્તખબુલ અસર 198)
આ રિવાયતોથી એમ જણાય છે કે ઇમામે ઝમાના અલયહિસ્સલામના સાથીદારો દુનિયાના જુદા જુદા ભાગોમાંથી તેમની સેવામાં હાજર થશે. અમૂક લોકો એવી રીતે પહોંચશે કે રાતે પોતાના ઘરમાં પોતાના બિછાના ઉપર હશે અને સવારે ઇમામની સેવામાં હશે. અમૂક પલક ઝપકતા પહોંચશે. બનવા જોગ છે કે 313 વ્યક્તિઓ પલક ઝપકતા ભેગા થઇ જાય અને બાકીની વ્યક્તિઓ બીજી રીતે ઇમામની સેવામાં હાજર થાય. આ તફાવત તેઓના ઇમાનના દરજ્જાના કારણે પણ હોઇ શકે છે. અમુક વ્યક્તિઓ તો પાણી ઉપર ચાલશે. જ્યારે તેઓ નદીના કાંઠે પહોંચશે ત્યારે પોતાના પગો ઉપર કાંઇક લખશે અને પાણી ઉપર ચાલશે. (બેહાર 52/ 327 હ. 43)
ઘણાં વધુ આજ્ઞાંકિત, ખુશ્બુવાળા અને નસીબદાર:
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ઉબય બીન કઅબને હઝરત કાએમ (અ.સ.) ની વિગતોનું વર્ણન કરતા ફરમાવ્યું:
ખુદાવન્દે આલમ દુનિયાના જુદા જુદા ભાગોમાંથી બદ્રવાળાની સંખ્યાની બરાબર તેમના સાથીદારોને ભેગા કરશે તેમની પાસે એક એવું આસમાની પવિત્ર પુસ્તક છે કે જેમાં તેમના સાથીદારોની સંખ્યા, તેઓના નામ, તેઓના શહેર, તેઓનો સ્વભાવ, તેઓનું વિશેષ નામ અને તેઓનો દેખાવ લખેલા છે. આ લોકો તેમના અનુસરણ અને આજ્ઞાપાલનમાં ઘણા વધુ પ્રયત્નશીલ હશે.
તે પછી આં હઝરત (સ.અ.વ.) એ તેઓના મહત્વને આ રીતે જાહેર કર્યું. :
એ ઉબય ! નસીબદાર છે તે લોકો જે તેમની સાથે મુલાકાત કરે. ખુશ કિસ્મત છે તે જે તેમની સાથે મોહબ્બત કરે, ખુશ કિસ્મત છે તે જે તેમની સાથે ચર્ચા કરે. તે તેઓને વિનાશમાંથી મૂક્તિ અપાવશે. ખુદા, તેના રસુલ અને તમામ ઇમામોના સ્વિકારના કારણે તેઓના માટે જન્નતના દરવાજા ખોલી દેશે. તેઓનું ઉદાહરણ તે કસ્તુરીની જમીનની જેમ છે જેની સુગંઘ ફેલાય છે, બદલાતી નથી. આકાશમાં તેનું ઉદાહરણ પ્રકાશમય ચંદ્રની જેમ છે. જેનો પ્રકાશ ક્યારે પણ પૂરો નથી થતો.
(બેહાર 52/310 – 311 હ. 4)
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ઇમામે ઝમાના અલયહિસ્સલામના સાથીદારોની કસ્તુરી સાથે સરખામણી કરી છે. કસ્તુરી સર્વશ્રેષ્ઠ ખુશ્બુ છે. આ ખુશ્બુ તેઓના શરીરની પણ હોય શકે છે અને તેઓના સંસ્કાર અને ચારિત્ર્યની પણ એટલે કે તેઓના ઇમાન અને અમલથી સમગ્ર વાતાવરણ મહેકી ઉઠશે.
તેમની ચંદ્રથી સરખામણી કરવામાં આવી છે. ચંદ્ર પ્રકાશની નિશાની છે. પરંતુ ચંદ્રનો પ્રકાશ તેનો પોતાનો નથી. પરંતુ સૂર્યના પ્રકાશનો પડછાયો છે. ચંદ્રનો સમગ્ર પ્રકાશ સૂરજના કિરણોના કારણે છે. ચંદ્ર પોતાના અસ્તિત્વમાં તે કિરણોને સમાવી લે છે તેથી પ્રકાશમય બની જાય છે. ઇમામ અલયહિસ્સલામના સાથીદારોની ચંદ્રની સાથે સરખામણી કરવામાં આવી છે. એટલે તેઓના જીવનનો પ્રકાશ ઇમામતના સૂર્ય હઝરત વલી અસ્ર અલયહિસ્સલામની રોનકની અસર છે. ઇમામ અલયહિસ્સલામના ચારિત્ર્યનું પ્રતિબંબ છે. જે તેમના જીવનમાં દેખાય છે. આ બાબત પણ વિચારવા જેવી છે કે દુનિયા આ વ્યક્તિઓને સામાન્ય માનવી ગણે પરંતુ આસમાનવાળા આ સૌને પ્રકાશિત ચંદ્ર ગણે છે.
એક રિવાયતમાં આ રીતે છે.
ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ ફરમાવ્યું : જ્યારે કાએમ (અ.સ.) નો ઝુહુર થશે ત્યારે ખુદાવન્દે આલમ એક પછી એક હરોળમાં મહોરવાળા ઇબાદત કરનાર, નાઝીલથવાવાળા મલાએકાઓ થકી તેઓની મદદ કરશે. જીબ્રઇલ તેઓની આગળ હશે, મીકાઇલ જમણી તરફ, ઇસરાફીલ ડાબી તરફ. ચારે બાજુએ એક મહિનાની સફરના અંતરે રાખેલ, આગળ ચાલશે. ખુદાવન્દે આલમના ખાસ ફરિશ્તાઓ તેમની સવારીની સાથે હશે. સૌ પ્રથમ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) હશે, તેમના પછી હઝરત અલી (અ.સ.) તેમની પાસે ખાસ તલવાર હશે. જેનાથી તેઓ રોમ, ચીન, તૂર્કી, સિન્ધ, હિન્દ, કાબુલને જીતશે.
મુબારકબાદને પાત્ર છે એ લોકો જે તેમને સમજે અને તેમના અન્સારોમાં જોડાઇ જાય. બદનસીબ અને ખરેખર બદનસીબ છે તે લોકો જે તેમના હુકમનો વિરોધ કરે અને તેઓની ગણતરી દુશ્મનોમાં થાય.
(બેહાર, 52/229-248, હ. 99),
તેનાથી વધુ ખુશ-કિસ્મતી શું હશે, તે ઇન્સાનની જે એવી હસ્તીના અન્સારોમાં ભળેલો હોય જેના અન્સારોમાં (મદદ કરવાવાળાઓમાં) અલ્લાહની બારગાહના માનવંતા ફરિશ્તાઓ હોય.
બધા એક સરખા હશે – બધા જવાન હશે :
હઝરત અલી બીન અબી તાલીબ (અ.સ.) મે ફરમાવ્યું: મહદી (અ.સ.) ના બધા અન્સારો જવાન હશે. તેમાંના કોઇ વૃદ્ધ નહિ હોય. માત્ર આંખોના સુરમાની બરોબર અથવા ખાવામાં નિમકની બરાબર, બલ્કે તેનાથી પણ ઓછા હશે.
(ગયબતે નોઅમાની પા. 170, રોઝગારે રેહાઇ ભા. 1/415, હ.-480)
અહિં શક્ય છે કે જવાનનો અર્થ નિય્યત અને ઇરાદો હોય.
ખુદાવન્દે આલમે કુરઆને કરીમમાં મૂર્તિ ખંડનના પ્રસંગે જનાબે ઇબ્રાહીમ (અ.સ) ને માટે ‘ફતા’ (જવાન)નું અર્થઘટન કર્યું છે.
قَالُوْا سَمِعْنَا فَـتًى یَّذْکُرُہُمْ یُقَالُ لَہٗٓ اِبْرٰہِیْمُ۝۶۰ۭ
(સુરએ અમ્બીયા , આયત : 60)
(અમે એક જવાનના બારામાં સાંભળ્યું છે જેને ઇબ્રાહીમ કહે છે.)
જો કે તે સમયે જનાબે ઇબ્રાહીમ (અ.સ.) ની ઉમર 80 વરસની હતી. આથી ખબર પડી કે જે મૂર્તિનું ખંડન કરે છે, તેને ‘ફતા’ કહેવામાં આવે છે. આ વાત પહેલે આવી ચૂકી છે કે હઝરત વલી અસ્ર અલયહિસ્સલામ પોતાના ઝુહુર પછી મૂર્તિઓને ખંડિત કરશે.
હઝરત અલી (અ.સ.) એ એક બીજી રિવાયતમાં આ રીતે ફરમાવ્યું છે :
હું તેઓને (વલી અસ્ર અલયહિસ્સલામના અસહાબોને) જોઇ રહ્યો છું. તેઓનો રંગ એક છે, કદ એક છે, સુંદરતા, ચહેરો અને મોઢું એક છે, પહેરવશે સમાન છે. તેઓ સંપીને પોતાની ગુમ થએલી વસ્તુને શોધી રહ્યા છે. તેઓ હેરાન પરેશાન છે કે એટલામાં એક માણસ ખાનએ કાબાની છેલ્લી દિવાલના પરદામાંથી જાહેર થશે. આ માણસ રૂપ, રંગ, ચારિત્ર્ય તથા સંસ્કાર, દેખાવ અને ચહેરામાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) સાથે વધુ સામ્ય ધરાવતો હશે. આ લોકો પૂછશે اانت مھدي ‘શું આપ મહદી છો?’ તેઓના જવાબમાં કહેશે, “હા, હું મહદી છું. પછી સૌ તેમની બયઅત કરશે.
(અલ મલાહીમ વલ ફતન,પા.122, રોઝગારે-રબ્બાની 1/416, હ. 482)
આ એક રંગ અને સમાનતાનું કારણ કદાચ એ હોઇ શકે કે તે લોકો સમાન વિચાર સરણી ધરાવતા હશે. તેઓના સુખ દુ:ખ એક હશે. તેઓએ પોતાના જીવનમાં ઇમામ મહદી અલયહિસ્સલામના અકીદાને એવી રીતે વણી લીધો હશે કે બધા એક જ રંગે રંગાઇ ગયા હશે. અને તેઓની રીતભાત ઇમામ મહદી અલયહિસ્સલામની રીતભાત જેવી હશે.
બુદ્ધિ પરિપૂર્ણ હશે – જોવા અને સાંભળવાની શક્તિ તેજ હશે :
હઝરત ઇમામ મહદી અલયહિસ્સલામના અસહાબોની એક ખૂબી એ હશે કે અક્કલ સંપૂર્ણત હશે. તેઓના સંસ્કાર અને ચારિત્ર્ય સર્વશ્રેષ્ઠ હશે.
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ની રિવાયત છે : જ્યારે અમારા કાએમ (અ.સ.) નો ઝુહુર થશે ત્યારે તેઓ લોકોના માથાઓ ઉપર હાથ ફેરવશે જેથી તેમની (લોકોની) બુદ્ધિઓ પરિપૂર્ણ થઇ જશે અને ચારિત્ર્ય સર્વશ્રેષ્ટ થઇ જશે.
(બેહાર, 52/329, હ. 47-336-71)
હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ એક હદીસમાં ફરમાવ્યું :
بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ
મારી નિમણુંક એટલા માટે કરવામાં આવી છે કે ચારિત્ર્યની ઉંચાઇઓને તેની પરાકાષ્ટાએ પહોંચાડી દઉં.
આથી સ્પષ્ટ થાય છે કે પયગમ્બરે ઇસ્લામ (સ.અ.વ.) ની નિમણૂંકનો હેતુ હઝરત મહદી અલયહિસ્સલામના ઝુહુરથી પરિપૂર્ણ થશે. એ વાત વિચારવા જેવી છે કે રિવાયતમાં અક્કલ પરિપૂર્ણ થવાની ચર્ચા પહેલાં છે અને ચારિત્ર્યની પૂર્ણતાની ચર્ચા પછી છે. તેથી સ્પષ્ટ થાય છે કે ચારિત્ર્યનો સદ્ગુણ પ્રાપ્ત કરવા માટે અક્કલ પરિપૂર્ણ હોવી જરૂરી છે. એટલે કે હકીકતમાં સાચો બુદ્ધિશાળી ખરાબ ચારિત્ર્યનો ન હોય શકે.
ઇમામે અસ્ર (અ.સ.) ના ઝુહુર પછી લોકોની માત્ર અક્કલ પરિપૂર્ણ નહિ થાય બલ્કે તેઓની જોવાની અને સાંભળવાની શક્તિ પણ તેજ થશે.
હઝરત ઇમામ સાદિક (અ.સ.) ની રિવાયત છે :
“જ્યારે અમારા કાએમ (અ.સ.) નો ઝુહુર થશે ત્યારે ખુદાવન્દે આલમ લોકોની જોવાની અને સાંભળવાની શક્તિને એટલી સતેજ કરી દેશે કે ઇમામ (અ.સ.) અને લોકો વચ્ચે કોઇ સંદેશાવાહક – કાસિદ નહી હોય. ઇમામ (અ.સ.) લોકોની સાથે સીધે સીધી વાતચીત કરશે લોકો પોતાની જગ્યાએથી ઇમામ (અ.સ.) ની વાતોને સાંભળશે અને ઇમામ (અ.સ.) ને જોશે. (બેહાર, 52/336, હ. 72)
કુરઆનના મોઅલ્લીમો, કુરઆનના હાફીઝો :
હઝરત અલી (અ.સ.) એ એક રિવાયતમાં ફરમાવ્યું : હું મસ્જીદે કુફામાં મારા શીયાઓને જોઇ રહ્યો છું. ઠેક ઠેકાણે તંબુઓ ઊભા કરવામાં આવ્યા છે. અને તેઓ લોકોને કુરઆને કરીમની તાલીમ આપી રહ્યા છે અને એવી રીતે તાલીમ આપી રહ્યા છે, જેવી રીતે તે ઉતર્યું હતું.
(બેહાર, 52/364, હ. 139-40-41)
આ રિવાયતમાં હઝરત અલી (અ.સ.) એ ઇમામે અસ્ર (અ.સ.) ના અસહાબોને પોતાના શીયા તરીકે ગણ્યા છે. આનાથી ઇમામે અસ્ર (અ.સ.) ના દરજ્જાનો અંદાજ આવે છે અને તે પણ સમજાય છે કે ઇમામો (અ.સ.) ઇમામે અસ્ર (અ.સ.) ના અસહાબોને કેવી રીતે ચાહે છે. તેઓને ‘મારા શીયા’ થી ઓળખ કરાવી રહ્યા છે, તેથી કેટલો બધો સ્વજન હોવાનો એહસાસ થાય છે.
આજ કાલ કુરઆને કરીમની તાલીમ આપનારાઓને કોઇ ખાસ માનની દ્રષ્ટિથી નથી જોતું. દુનિયાનું શિક્ષણ આપનાર શિક્ષકો અને પ્રોફેસરોનું સન્માન કરવામાં આવે છે. પરંતુ “મોલવી સાહેબ બસ એમ જ ગણના કરવામાં આવે છે.
લોકોને કદાચ એ વાતનો ખ્યાલ નથી કે ઉસ્તાદનું મૂલ્ય કિતાબ અને લેખોના મહત્વની સાથ જોડાએલું છે. જ્યારે દુનિયાની કોઇપણ કિતાબ કુરઆને કરીમથી વધુ ઉચ્ચ નથી. અને કોઇ પણ લેખ કુરઆનના અર્થો અને મતલબથી ઉચ્ચતર નથી. તેથી સૌથી વધુ લાયક સન્માનને પાત્ર કુરઆનના મોઅલ્લીમ છે.
એક બીજી રિવાયતમાં હઝરત અલી (અ.સ.) એ આ રીતે ફરમાવ્યું છે :
તે જમાનામાં લોકોને એ રીતે તેજ કરવામાં આવશે જે રીતે લુહાર કમાનને તેજ કરે છે. કુરઆનથી તેઓની આંખો નુરાની બની જશે અને તફસીરથી તેઓના કાન જીવંત થઇ જશે. તેઓ સવાર સાંજ હિકમતના જામ પીશે.
તેઓની આજુબાજુમાં ખુદાના એવા બંદાઓ ભેગા થશે જે આપના સંદેશાને જીવંત રાખશે. આપની મદદ કરશે આપના વઝીર બનશે આપના સામ્રાજ્યની મહત્વની જવાબદારીઓને નિભાવશે. ખુદાએ જે કામ આપને સોંપ્યું છે તેમાં આપની મદદ કરશે.
(યનાબીઉલ મોવદ્દહ, 95/3, ઇલઝામુન નાસીબ 192/ રોઝગારે રીહાઇ, ભાગ – 1, પા. 418-487)
જો આપણે ઇમામે અસ્ર (અ.સ.) ના અસહાબોમાં જોડાવા માગતા હોઇએ તો આપણે સંપૂર્ણ રીતે કુરઆને કરીમની સાથે વૈચારિક એકતા સાધવી જોઇએ.
એક દીલ :
હઝરત અલી (અ.સ.) એ ઇમામે અસ્ર (અ.સ.) ના અસહાબોનું મહત્વ આ શબ્દોમાં બયાન કર્યું :
તે એવા લોકો છે જે ખુદા ઉપર પોતાની ધીરજનો એહસાન નથી જતાવતા. ખુદાની રાહમાં પોતાની કુરબાનીઓને મોટી નથી ગણતા. જ્યારે કોઇ ઘટના ઘટે છે અને આશાઓ તૂટી જાય છે, ત્યારે પોતાની આંખોને તલવારની ચમકથી પ્રકાશિત કરે છે. પોતાના ઇમામ (અ.સ.) ના હુકમથી ખુદાની નજદિકી મેળવે છે. બધા બોડમાંથી નીકળેલા સિંહ જેવા છે. જો તેઓ પહાડને પોતાની જગ્યાએથી ઉખેડી નાખવા માગે તો ઉખેડી શકે છે. આ એવા લોકો છે જેમણે સાચી રીતે અલ્લાહની વહદાનિય્યતનો સ્વિકાર કર્યો છે.તેઓ રાતોમાં ખુદાના ડરથી એવી રીતે રૂદન કરે છે જેવી રીતે મા પોતાના જવાન દીકરાના મૃત્યુ ઉપર રડે છે. રાત્રે ઇબાદત કરે છે અને દિવસો રોઝામાં પસાર કરે છે.
તે બધાના સંસ્કારો અને ચારિત્ર્ય એક સમાન છે. તેઓના હૃદય એક બીજા માટેની મોહબ્બત, દિલેરી અને શુભ ભાવનાઓથી ભરપુર છે.
(ઇલ ઝામુનનાસીબ પા. 199, રોઝગારે રેહાઇ ભા.1 પા. 144 હ. 477)
ઇમામે ઝમાના (અ.સ.) એ જનાબ શયખ મુફીદ (અ.ર.) ના નામે લખેલ એક પત્ર (તવકીઅ) માં ફરમાવ્યું છે:
“ખુદા આપણા શીયાઓને તાબેદારી કરવાની સદબુદ્ધિ આપે. જો તેઓ સૌ એક સંપ થઇને પોતાના વચનને પું કરતે તો અમારી બરકતથી ભરેલી મુલાકાતમાં વિલંબ ન થતે.
આ પત્રથી જાણવા મળે છે કે લોકો તાબેદારી તો કરે છે પરંતુ તે તાબેદારીમાં એક સંપનથી, સમૂહમાં નથી. મસ્જીદમાં બંદગી કરનારાઓ છે. પરંતુ તેઓના દિલ એક બીજા માટે ચોખ્ખા નથી. ઇમામની મુલાકાતની શરત માત્ર બંદગી નથી. એક સંપ થઇને સામૂહિક રીતે વચનને પાળવાનું છે. એવું લાગે કે શરીર જુદા જુદા છે પરંતુ દિલ અને તેની ધડકન એક છે. તે પછીની રિવાયત ઉપર ધ્યાન આપીએ.
ઇમામ (અ.સ.) ના આશિકો :
હઝરત અલી (અ.સ.) એ ફરમાવ્યું :
ખુદા તે લોકોના દિલોને નજદિક કરી દેશે. (તેઓ એક બીજાથી ઘણા નજદિક હશે.) તેઓ કોઇના જવાથી વધુ પડતા ગમગીન નહિ થાય. તેમજ ન કોઇના આવવાથી વધુ પડતા ખુશ થશે. તેઓની સંખ્યા બદરના અસહાબો જેટલી 313 હશે. ભૂતકાળમાં કે ભવિષ્યમાં તેમની જોડ નહિ હોય ન ભૂતકાળના લોકો તેઓની ઉપર વર્ચસ્વ જમાવી શકશે અને ન પાછળથી આવનારા તેઓને પહોંચી શકશે. તેઓ તાલુતના અસ્હાબો જેટલી સંખ્યામાં (313) હશે. જેમણે (સફળતા પૂર્વક) નહેર પસાર કરી હતી.
(મુન્તખબુલ અસર, પા. 166, રોઝગારે રેહાઇ, પા. 140, હ. 464)
ખુદાવન્દે આલમે તાલુતના અસ્હાબોની કસોટી એવી રીતે કરી હતી કે રસ્તામાં એક નહેર મળશે પરંતુ સખત તરસ લાગી હોવા છતાં તેમાંથી પાણી ન પીતા. પરંતુ જ્યારે આ લોકો નહેરની નજદિક પહોંચ્યા ત્યારે મોટા ભાગના લોકોએ મનાઇ કરી હોવા છતાં પાણી પીધું માત્ર થોડા લોકો (313) એવા હતા કે જેમણે તેઓના રહેબરની સૂચના ઉપર અમલ કર્યો અને પાણી ન પીધું અને કસોટીમાં પાર ઉતર્યા.
આ હદીસથી જાણવા મળે છે કે હઝરત વલી અસ્ર (અ.સ.) ના તામામ અન્સારો પોતાના ઇમામની પૂરેપૂરી તાબેદારી કરશે અને તેઓ એક બીજાથી ઘણા વધારે નજદિક હશે.
ઇમામ (અ.સ.) ની બારગાહના પ્રતિષ્ઠીત લોકો:
હઝરત ઇમામ સાદિક (અ.સ.) ની એક રિવાયતમાં છે કે જ્યારે ઇમામે ઝમાના (અ.સ.) નો ઝુહુર થશે ત્યારે ઇમામ (અ.સ.) હજરે અસવદ અને મકામે ઇબ્રાહીમની વચ્ચે ઊભા રહીને ઊંચા અવાજે પોકારશે :
“એ મારા પ્રસિદ્ધિ કરનારાઓ, સરદારો, એ મારા ખાસ લોકો, અને એ લોકો, જેઓને ખુદાવન્દે આલમે આ દુનિયામાં મારા ઝુહુરની પહેલા મારી મદદ માટે ભેગા કર્યા છે. મારી તાબેદારી કરતા કરતા મારી પાસે ચાલ્યા આવો.
હઝરત (અ.સ.) નો આ અવાજ પૂર્વ અને પશ્ર્ચિમમાં દરેક જગ્યાએ સંભળાશે. એટલે સુધી કે લોકો પોતાની ઇબાદતની મેહરાબ અને પોતાના બિછાનાઓમાં તે અવાજને સાંભળશે. એક જ અવાજ દરેકના કાનમાં સંભળાશે. લોકો જલ્દી જલ્દી ઇમામ (અ.સ.) ની સેવામાં હાજર થશે.
(ગયબતે તુસી, પા. 284, ઇલઝામુનનાસીબ, 188, રોઝગારે રેહાઇ ભાગ – 1, પા. 425,હ. 506)
આજના ઈલેક્ટ્રોનિક મીડીયાના જમાનામાં એક અવાજ દરેક જગ્યાએ એક સાથે સાંભળવો તે કોઇ મુશ્કેલ નથી. અવાજો અને ફોટાઓ હવાના મોજાઓ ઉપર સફર કરે છે. જો દુનિયાના ગુનેગાર માણસો આ વાતાવરણના મોજાઓથી લાભ ઉઠાવે છે અને એક સમાચાર એકજ સમયે દુનિયાના ખુણે ખુણામાં પહોંચાડી દે છે તો પછી દુનિયાની કઇ વસ્તુ છે જે ઇમામને તાબે નથી અને કોની મજાલ છે કે જે જમાનાના ઇમામના હુકમનું ઉલ્લંઘન કરે.
બીજા કેટલાક સંયુક્ત ગુણો :
જનાબે ઇદરીસ (અ.સ.) ના પવિત્ર પુસ્તકમાં (સહિફામાં) આ વાત લખેલી છે : જ્યારે શયતાને ખુદા પાસે કયામત સુધીની મુદ્દત માગી ત્યારે ખુદાએ તેને કયામતને બદલે “વક્તે મઅલુમ (નક્કી કરેલા સમય) સુધીની મોહલત આપી અને ફરમાવ્યું : આ મારો અંતિમ ફેંસલો છે. તે દિવસે હું દુનિયાને કુફ્ર, શિર્ક અને ગુનાહોથી પાક કરીશ.
આ સમય માટે મેં મારા એવા બંદાઓને પસંદ કર્યા છે, જેમના દિલોમાં ઇમાન થકી પરીક્ષા કરવામાં આવી છે અને તેઓના દિલોને ગુનાહોથી દૂર, નિખાલસ, યકીન, પાક અને સાફ, તકવા અને પહરેઝગારી, સચ્ચાઇ, સબર, સંયમ અને ધાર્મિકતાથી ભરી દીધા છે. મેં તે લોકોને સૂરજ અને ચાંદને દઅવત આપનાર તરિકે નિમ્યા છે. દુનિયામાં તેઓને મારા ખલીફા નિમ્યા છે. પોતાના પસંદ કરેલા દીન ઉપર તેઓને સત્તા આપી છે. તેઓ માત્ર મારી ઇબાદત કરશે. કોઇને મારો ભાગીદાર નહિ બનાવે. નમાઝ સમયસર પડશે. સમયસર ઝકાત આપશે. અમ્ર બીલ મઅરૂફ અને નહિ અનીલ મુન્કરનો અમલ કરશે. ખુદા તેઓની વચ્ચે મોહબ્બત અને રહેમત કાયમ કરશે. તેઓ એક બીજા સાથે ઝઘડા નહિ કરે. મોટા નાના ઉપર રહેમ કરશે. નાના મોટાઓનું માન જાળવશે. સાચા દીન ઉપર ટકી રહેશે અને તેના મુજબજ ફેંસલાઓ કરશે.
આ છે મારા વલીઓ. મેં તેઓના માટે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ને નબી અને અલી મુરતુઝા (અ.સ.) ને અમીન બનાવ્યા અને આ લોકોને તેમના મદદગાર બનાવ્યા.
આ તે લોકો છે જેમને મેં મારા નબી મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને મારા અમીન અલી મુરતુઝા (અ.સ.) ના માટે ચૂંટી કાઢ્યા. તેઓને મારા ગેબી ઇલ્મમાં છુપાએલા રાખ્યા અને આ બધું જરૂર બનશે. તે દિવસે હું તારા બધા સવાર બહાદુરોને અને લશ્કરને તબાહ અને બરબાદ કરીશ. જા, તને “વક્તે મઅલુમ (મેં નક્કી કરેલ સમય) સુધી છોડી દીધો.
(સઅદ અલ સઉદ, સય્યદ ઇબ્ને તાઉસ પા. 34 બેહાર, 52/585 – 248, હ. 194)
આ એક રિવાયતમાં ઇમામે ઝમાના (અ.સ.) ના અસહાબોના આશરે 30 વિશેષ લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. દરેક લક્ષણ તેની જગ્યાએ ખાસ અભ્યાસ માગી લે છે.
કઠોર કસોટી :
શરૂઆતમાં દશર્વ્યિા મુજબ હઝરત વલી અસ્ર (અ.સ.) ના મિત્રો અને મદદગારોમાં ભળી જવાની દરેકની તમન્ના છે. આ અંગે ઇમામે સાદિક (અ.સ.) ની એક રિવાયત છે. “જો મને હઝરત કાએમ (અ.સ.) નો જમાનો મળતે તો આખી જીંદગી તેમની સેવા કરતે.
હઝરત અલી (અ.સ.) એ પણ તે લોકોને પોતાના અસ્હાબ તરીકે દર્શાવ્યા છે.
(બેહાર, 52/131,હ. 32)
તો શું આ દરજ્જે પહોંચવું સહેલું છે ? હરગીઝ નહિ. આ દરજ્જો મેળવવા માટે કઠોર પરીક્ષામાંથી પસાર થવું પડશે. હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) એ ફરમાવ્યું:
કાએમ (અ.સ.) ની સાથે અરબોની સંખ્યા ઓછી હશે. અરજ કરી : આપે જે ગુણો દર્શાવ્યા છે તે મુજબ તો સંખ્યા વધારે હશે. ફરમાવ્યું : લોકોને જરૂરને જરૂર અજમાવવામાં આવશે, પરખવામાં આવશે, ચુંટી કાઢવામાં આવશે અને તેમાંથી ઘણા લોકો નીકળી જશે.
(બેહાર, 52/348, હ. 98)
સીધી સાદી વાત છે કે આટલી મહાન ક્રાન્તિ માટે લોકોને સહેલાઇથી ચૂંટવામાં નહિ આવે. તેઓને કઠોર કસોટીઓમાંથી પસાર થવું પડશે.
ઇમામના હાથો ઉપર બયઅત કરશે :
હઝરત અલી બીન અબી તાલીબ (અ.સ.) એ એક રિવાયતમાં આ શરતો દર્શાવી છે :
ઇમામે ઝમાના અલયહિસ્સલામના અસ્હાબો આ શરતો ઉપર તેમની બયઅત કરશે :
1. ક્યારેય ચોરી નહિ કરીએ.
2. ખરાબ કાર્યો નહિ કરીએ.
3. કોઇ મુસલમાનને ગાળ નહિ આપીએ.
4. કોઇને નાહક કતલ નહિ કરીએ.
5. કોઇને બેઆબરૂ નહિ કરીએ.
6. કોઇના ઘર ઉપર હુમલો નહિ કરીએ.
7. કોઇને કારણ વગર નખ નહિ મારીએ.
8. સોનુ, ચાંદી, ઘઉં અને જવની સંગ્રહખોરી નહિ કરીએ.
9. કોઇ યતીમનો માલ ખાશુ નહિ.
10. ખાત્રી કર્યા વગર સાક્ષી નહિ આપીએ.
11. કોઇ મસ્જીદને જમીન દોસ્ત નહિ કરીએ.
12. દારૂ નહિ પીઇએ.
13. રેશમી કપડા નહિ પહેરીએ.
14. કોઇનો રસ્તો બંધ નહિ કરીએ.
15. રસ્તા ઉપર શાંતિ ભંગ નહિ કરીએ.
16. સજાતિય વ્યવહારની નજદિક નહિ જઇએ.
17. ઘઉં અને જવની સંગ્રહખોરી નહિ કરીએ.
18. થોડા ઉપર રાજી રહેશું.
19. પવિત્રતાની તરફદારી કરશું.
20. નજાસતથી દૂર રહેશું.
21. અમ્ર બીલ મઅરૂફ કરશું.
22. નહિ અઝ મુન્કર બજાવશું.
23. જાડા કપડાં પહેરશું.
24. માટીને તકીયો બનાવશું.
25. ખુદાની રાહમાં એવી રીતે લડશું જેવી રીતે લડવાનો હક હશે.
હઝરત ઇમામે ઝમાના (અ.સ.) તેઓની પાસેથી આ વાયદો લેશે.
1. તેમની સાથે સાથે ચાલશે.
2. તેમની જેવા કપડા પહેરશે.
3. તેમની જેવા વાહનોમાં સફર કરશે.
4. તેમની પસંદગી મુજબ કામ કરશે.
5. થોડા ઉપર રાજી અને સંતોષી રહેશે.
6. અલ્લાહની મદદથી દુનિયાને ન્યાય અને ઇન્સાફથી ભરી દેશે. જેવી રીતે તે જુલ્મ અને અત્યાચારથી ભરાઇ ગઇ હશે.
7. ખુદાની એવી રીતે ઇબાદત કરશે જે ઇબાદત કરવાનો હક છે.
8. તે તેઓના માટે કોઇ ચોકીદાર કે દરવાન નહિ નિમે.
(રોઝગાર રેહાઇ, ભાગ – 1, પા. 465, હ. 564, ઇલઝામુન નાસીબ પા. 201, મુન્તખબુલ અસર, 469)
ઇમામ (અ.સ.) આ બધી શરતો ઉપર પોતાના અસહાબો પાસેથી બયઅત લેશે અને જ્યારે અસહાબો આ શરતોને પુરી કરશે ત્યારે ઇમામ (અ.સ.) એવી રીતે તેઓનું ધ્યાન રાખશે, કે તેઓની સાથે રહેશે. તેઓના જેવું જીવન પસાર કરશે. આને કહે છે ભરપુર મોહબ્બત.
એ યુસુફે ઝહેરા, ગુલે નરગીસ
આ ખુશ નસિબી આપની
મહેરબાનીઓ વગર શક્ય નથી.
એક નજરે કરમ અમો ગુનેહગારોની તરફ
યા અબા સાલેહ – અલ મહદી – અદરિકના !!

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *