અકીદએ ઇન્તેઝાર ઉડતી નજરે

Print Friendly, PDF & Email

ઇન્તેઝારનો પાયો
ઇન્સાનને પોતાની કુદરતી જરૂરતો પુરી કરવા માટે જેમ જેમ જાહેરી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમ તેમ દીલમાં (તે જરતો પુરી થવાની) આશાઓ પણ વધતી જાય છે. અને ત્યારે તે આશાઓને સાથે શરઇ મર્યાદામાં રહીને કુદરતી જરૂરતો પુરી કરવાના પ્રયત્નો કરે છે ત્યારે તે ઇન્તેઝાર રચનાત્મક સ્વરૂપમાં ફેરવાઇ જાય છે. આનાથી ઉલટુ જો માત્ર આશા રાખીને બેસી રહીએ અને શરઇ હદોને તોડીને પ્રયત્નો કરવા લાગીએ તો તે ખંડનાત્મક અથવા અકુદરતી ઇન્તેઝાર કર્યો ગણાશે.
ઇન્તેઝારની પ્રેરણા
કુરઆનની નજરે :
(1) ફકુલ ઇન્નમલ ગયબો લિલ્લાહે ફન્તઝેરૂ ઇન્ની મઅકુમ મેનલ મુન્તઝેરીન (સુ. યુનુસ આ. 20)
(અય રસુલ) તુ કહી દે કે ગૈબનો માલિક તો અલ્લાહ જ છે માટે તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોનારાઓમાંથી છું.
(2) (અય રસુલ) તું કહી દે કે (ભલે) તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોનારાઓમાંથી છું. (સુ. યુનુસ 102)
(3) (અય રસુલ) તમે તઓને કહી દો, તમે પણ ઇન્તેઝાર કરો અમે પણ બેશક ઇન્તઝાર કરીએ છીએ. (સુ. અન્આમ આ. 159)
આ વિષયનો ઉલ્લેખ સુરએ અઅરાફ આયત 71, સુ. હદ આયત 122, સુ. સજદા આયત 30માં પણ મળે છે.
હદીસોમાં:
(1) કાલ રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ: “અફઝલો – અઅમાલે ઉમ્મતી – ઇન્તેઝારૂલ – ફરજ મારી ઉમ્મતનો શ્રેષ્ઠ અમલ ઝુહુરનો ઇન્તેઝાર કરવો તે છે. (મુન્તખબુલ અસ્ર પા. 234)
(2) કાલ રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ : “અફઝલો – એબાદતે – ઇન્તેઝારૂલ – ફરજ ઝુહુરનો ઇન્તેઝાર કરવો એ શ્રેષ્ઠ ઇબાદત છે. (યનાબીઉલ મવદ્દહ પા. 439, સોનને તિરમીઝી જી. 5 પા. 555, 3/571)
(3) કાલ મઅલી અલયહીસ્સલામ:
“અફઝલો – અઅમાલ – શીઅતેના – ઇન્તેઝારૂલ – ફરજ. અમારા શિયાઓનો શ્રેષ્ઠ અમલ ઝુહુરનો ઇન્તેઝાર કરવો છે. (મુન્તખબુલ અસ્ર 223, અસબાતુલ હોદા જી. 3 પાના. 478 યવ્મુલ ખલાસ પા. 248 કમાલુદ્દીન પા. 377)
(4) અન – અલ હસન – અલ – અસ્કરી (અ.સ.)
“અલય્ક – બીસ – સબ્ર – વ – ઇન્તેઝારીલ – ફરજ (મુન્તખબુલ અસ્ર – 234) સબ્ર કરવી અને ઇન્તેઝાર કરવો તમારા માટે વાજીબ કરવામાં આવ્યું છે.
(5) કાલ રસુલુલ્લાહ સલ્લલ્લાહો અલયહે વઆલેહી વસલ્લમ: “અફઝલો – જેહાદે – ઉમ્મતી – ઇન્તેઝારૂલ – ફરજ મારી ઉમ્મતનો શ્રેષ્ઠ જેહાદ ઝુહુરનો ઇન્તેઝાર કરવો છે. આવી અનેક હદીસો શિયા અને સુન્ની કિતાબોમાં ભરેલી પડી છે. તહકીક કરનારા વિદ્વાનો આ બાબતથી અજાણ નથી.
શું મહદી (અ.સ.) નો ઇન્તેઝાર એ રચનાત્મક ઇન્તેઝાર છે ખરો?
કુરઆન અને હદીસોમાં જે રીતે ઇન્તેઝારની પ્રેરણા આપવામાં આવી છે, તેનો સંબંધ પ્રકૃતિ સાથે છે. એટલા માટે કે ખુદા માનવ – સ્વભાવ (પ્રકૃતિ)ની વિરૂદ્ધનો કોઇ હુકુમ આપતો નથી.
હવે જ્યારે એ વાત સાબિત થઇ ચૂકી તો આપણે એ જોવાનું રહે છે કે ઇમામ મહદી (અ.સ.) નો ઇન્તેઝાર આપણને કઇ દીશા તરફ લઇ જાય છે. આ ઇન્તેઝાર રચનાત્મક છે કે ખંડનાત્મક ? આ પ્રશ્ર્નનો સીધો જવાબ એ છે કે “ઇમામનો ઇન્તેઝાર (તેઓના ઝુહુર પછી) દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેનાર છે, અને અદલો ઇન્સાફ એ સમાજનો રચનાત્મક પ્રગતિનો ભાગ છે. એટલે જે ઇન્સાફની વિરૂદ્ધનું કાર્ય એટલે કે ઝુલ્મ કરે તો તે ખંડનાત્મક કાર્યો કરનાર ગણાય છે. અને ઇમામ (અ.સ.) નો ઇન્તેઝાર કરનારો કદી ખંડનાત્મક કાર્ય કરનાર અને ઝાલીમ હોઇ શકતો નથી. કારણ કે એ વાતની ખબર છે કે ઇમામ (અ.સ.) નો ઝુહુર થતાં જ તેઓ ઝુલ્મનો અંત લાવી દેશે.
“શું એ વાત શક્ય છે કે કોઇ પોતાના કાતિલનો ઈન્તેઝાર કરે કે તે ઝુહુર ફરમાવીને તેની ગરદન ઉડાવી દે?” જો કોઇ આ વાતનો જવાબ હકારમાં (પ્રમાણિત કરીને) આપે તો લોકો તેને પાગલ, દિવાનો અને મજનુન કહેશે. કેમ કે એ વાત બુદ્ધિગમ્ય નથી.
હવે વાચકોને એ વાત સમજાઇ થઇ હશે કે એવા ઇન્તેઝાર કરનારાઓ વિનાશકારી છે. આ તેવા ઇન્તેઝારનો ખંડનાત્મક ઇન્તેઝાર કહેવામાં આવશે. એવા ઇન્તેઝારમાં સખતી હશે અને ઇન્તેઝાર કરનાર વિચારશે કે જેનો ઇન્તેઝાર છે તે જેટલા મોડા આવે (ઝુહુર ફરમાવે) તેટલું સારૂં છે કારણ કે ત્યાં સુધી અમે ઝુલ્મ કરતા રહીએ, ગુનાહ કરતા રહીએ હરામ અને હલાલની ભેળસેળ કરતા રહીએ. પરંતુ તેનાથી ઉલટુ સાચો મુન્તઝીર હંમેશા ડરતો રહેશે કે ક્યાંક (ઓચિંતાજ) હઝરત (અ.સ.) આવી ન જાય ! અને ત્યારે હું ઝુલ્મ કરતો હોઉ તેઓ મને ગુનાહ કરતો જોઇ જાય તો ? આવા ડરને કારણે તે ગુનાહથી દુર રહેશે, ઝુલ્મ નહીં કરે એટલું જ નહીં ઝુલ્મની વિરૂદ્ધ અવાજ બલંદ કરશે અને મઝલુમોની મદદ કરશે. આ બધા કામ કરવાથી તે એક બેહતરીન ઇન્સાન બની જશે અને સદ્દગુણોની શ્રેષ્ઠતાને આંબી જશે. અલ્લાહનો ખૌફ અને માનવતાની મિત્રતા તેના જીવનનો મૂળ હેતુ થઇ જશે. તે અદલ અને ઇન્સાફ માટે પોતાની જાન કુરબાન કરી દેતા પણ અચકાશે નહીં કારણ કે તેને એ વાતની ખબર છે કે તેના આકા અને મૌલા ઇમામે ઝમાના અલયહીસ્સલામ જ્યારે તશરીફ લાવશે ત્યારે કાર્યોને જોઇને તેને ગળે લગાડી દેશે અને કહેશે કે ખરેખર તમે અમારી મોહબ્બતમાં ઉન્મત હતા અને એ જ કાર્યો કરતા હતા જે અમારી ખુશીનું કારણ બને છે. અને અમારી નારાજગી અને ગુસ્સાનું કારણ બને તેવા કામોથી દૂર રહેતા હતા.
“બેશક, ઇમામે ઝમાના (અ.સ.) નો ઇન્તેઝાર રચનાત્મક છે અને તે માનવતાનો શ્રેષ્ઠ માર્ગ છે.”
બારે ઇલાહા, અમોને એવા કાર્યોથી દૂર રાખ જે ઇમામે ઝમાના (અ.સ.) ની નારાજગીનું કારણ બને અને એવા કાર્યોથી તૌફીક આપ જે અમને અમારા ઝમાના (અ.સ.)ની નઝદીક કર દે. અમે દુનિયામાં તેઓની મોહબ્બતથી અને આખેરતમાં તેમની શફાઅતથી વિમુખ ન રહીયે.
(આમીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *