બનાવટી મહદી

Print Friendly, PDF & Email

દુનિયાને ત્રાસ સિતમથી છુટકારો અપાવનાર અને ન્યાય – ઇન્સાફ દ્વારા પવિત્ર રહેબર અને સુધારક પર એવી એક સર્વમાન્ય શ્રદ્ધા રહેલી છે. – એઅતેકાદ રહેલો છે કે જેના પર તમામ આસમાની મઝહબો, પછી તે યહુદીયત, ઇસાયત કે મજૂસીયત હોય, બધા જ એકમત છે.
કુરઆન કરીમ સિવાયની અન્ય આસમાની કિતાબોમાં તેહરીફ (ફેરફાર) હોવા છતાં એવા વાક્યો મળી આવે છે કે જેમાં આલમી રહેબર (વિશ્ર્વમાર્ગદર્શક) ની બશારત (વધામણી) આપવામાં આવી છે. બધા જ ઇસ્લામી ફીર્કાઓ આ વાત પર સંમત છે કે – ઇલાહી અને આલમી રેહબર, પયગમ્બર (સલ.) ના પાકીઝાહ ખાનદાનમાંથી હશે, જેમનું નામ ‘મહદી’ હશે કુરઆન કરીમમાં એવી સંખ્યાબંધ આયતો છે.જેને અઇમ્મએ મઅસુમીને (અ.મુ.સ.) તેમના વિશે સંબંધિત હોવાનું (મહદી વિશે હોવાનું) જણાવયું છે. થોકબંધ રિવાયતોએ હઝરતની વિશિષ્ઠતાઓ (ખુસૂસીયાત) વિશે અસ્તિત્વ ધરાવે છે. રસૂલે અકરમ (સ.અ.વ.) અને ‘અઇમ્મહ મઅસુમીન’ ની તવઝીહાત (સ્પષ્ટતાઓ) ની બિના પર લોકોએવા મુસ્લિહ અને અદલ ઇન્સાફની બુનિયાદો પર રચાયેલી મજબૂત આલમી હકૂમત (વિશ્ર્વ સરકાર) ની સ્થાપ્ના અંગે રાત – દિવસ ઇન્તેઝાર કરી રહ્યા છે.
હ. મહદી (અ.સ.) ના ઝહુર અને કિયામના મુસ્તહકમ અકીદા (અવિચળા શ્રદ્ધા) સહિત, સિતમના શિકાર મોમેનીન અને પરેશાન – નિરાશ્રિત મઝલૂમીન તેમનો બેચેનીથી ઇન્તેઝાર કરી રહ્યા છે. આ ઇન્તેઝાર ખુદગર્ઝ, મતલબપરસ્ત, દુનિયાની રંગીનીઓના ગુલામ, આખેરત અને અન્જામથી ગાફિલ એવા સત્તાધારીઓની નિગાહોમાં ખટકવા લાગ્યો – એ લોકો મોકાનો, તકનો ગેરલાભ લઇને પોતાને જ ‘મહદી’ રૂપે જાહેર કર્યાં. જ્યારે સત્તાધીશોનો જુલ્મ વધુ સખ્ત થઇ જતો, જુલ્મ અને અન્યાય સામાન્ય થઇ જતો, સમાજના નિર્બળ વર્ગો રઇસોની લાલસામાં કચડાવા લાગતા. ત્યારે પોતાની ધ્વજ ફરકાવવા લાગી જતા. અને પોતાને ‘મહદી’ તરીકે બતાવતા. આવા સંબંધોથી તેઓ લોકોના પાકીઝા અકીદાથી રમત રમતા અને ખૂબ ખૂબ ગેરલાભ પ્રાપ્ત કરતા. આ ટૂંકા લેખ દ્વારા કેટલાક નામધરી બનાવટી આવા મહદીઓનો અત્રે ઉલ્લેખ કરીશું જેથી જાણી શકાય કે આવી જુઠ્ઠા હંગામીઓથી અસલ હકીકતને કશી અસર પહોંચી શકે એમ નથી. અલબત્ત એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે જઅલી મહદીઓ (બનાવટી તકલાદી) નું અસ્તિત્વ દર્શાવે છે કે કોઇક અસલી મહદી જરૂર હોવા જોઇએ, જેમની બુનિયાદ પર તેમનો સિક્કો ચલાવવામાં આવી રહ્યો છે! કારણ કે જો હકીકતનું વજૂદ નહી હોય તો નકલનું વજૂદ પણ નથી હોઇ શકતું.
આપે આપની ઝિંદગીમાં 50 અથવા 100 રૂપિયાની નકલી નોટો જોઇ હશે. પરંતુ આપે કોઇ દિવસ 25 અથવા 75 રૂપિયાની નકલી નોટો નહિ જોઇ હોય! કારણ? કારણ કોઇ હકીકત જેવું નથી એટલે તેની નકલ પણ નથી.
ફિરઓને ખુદાઇનો દાવો કર્યો, કારણ? કારણ કે અસલ ખુદા છે – ‘મુસયલેમહ’ અને ગુલામ અહમદ કાદિયાનીએ નુબૂવતનો દાવો કર્યો – એટલા માટે કે આં હઝરત (સ.અ.વ.) ની નુબૂવત, ઇન્કાર કરી ના શકાય એવી હકીકત છે. – એ જ હાલત ‘મહદીયત’ ના અકીદા વિશેની છે. કારણ કે હ. મહદી (અ.સ.) નું વજૂદ અને તેમનો ઝહુર અને કિયામ એક માન્ય હકીકત છે.
આ હકીકતને લીધે જ અમૂક લોકોએ તેનો ગેરલાભ લઇને મહદી હોવાનો દાવો કર્યો. આ બાર સદીઓમાં જુઠ્ઠા મહદીઓની નામાવલિ સારી એવી છે. અહી માત્ર અમૂકનો ઉલ્લેખ કરીશું જેથી નકલ અને અસલની હકીકત વાઝેહ (સ્પષ્ટ) થઇ જાય.
ઇસ્લામના શરૂઆતના કાળમાં મુત્તકી અને પરહેઝગાર શખ્સોમાંના કોઇ એકે પણ એવા પ્રકારનો કોઇ દાવો કર્યો નહી હતો. પરંતુ તેમના ઇન્તેકાલ પછી સમયની હકૂમતની ઝાલિમ રીતીનીતિના વિરૂદ્ધ બગાવત કરનારાઓએ તેમના નામોનો ખોટો ઉપયોગ કર્યો. જેમ કે હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના ફરઝંદ રશીદ જ. મોહમ્મદ હનફીયહ, હ. ઇમામ ઝૈનુલ આબેદીન (અ.સ.) ના ફરઝંદ જ. ઝૈદ બિન અલી — આ બુઝુર્ગોએ કદી પણ પોતાને મહદી નથી કહ્યા, પણ તેમના ઇન્તેકાલ બાદ ખુદગર્ઝ મતલબપરસ્ત શખ્સોએ પોતાના નાપાક ઇરાદાઓને માટે એમને મહદી તરીકે બતાવ્યા.
આથી વિરૂદ્ધ ઇતિહાસના પાલવમાં અમૂક એવા શખ્સો વિશેની માહિતી પણ મળે છે, જેઓએ પોતાને મહદી બનાવી જાહેર કર્યા.
(1) અબૂ મોહમ્મદ અબ્દુલ્લાહ મહદી : શરૂઆતમાં આ શખ્સ ઝાહિદ અને પરહેઝગાર હતા. તેઓએ હિજરી સન 297માં આફ્રિકા ખાતે મહદવીયતતનો દાવો કર્યો અને ‘અલકાઇમ’ ઇલ્કાબ રાખ્યો. ‘‘હજ્જતુલ્લાહ નામનો સિક્કો ચાલુ કર્યો. એણે ઉત્તર આફ્રિકામાં ‘ફાતેમીયીન હકૂમત’ નામે છોડ વાવ્યો. એ હુકૂમત પાંચમી સદી સુધી કામય રહી. હિ.સ.ન. 344માં તેનો ઇન્તેકાલ થઇ ગયો.
(2) મોહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન તોમરત : હિ.સન 458માં દુનિયામાં આવ્યો હતો. હિ.સન 524માં આ દુનિયાથી ચાલ્યો ગયો. હિ. સન. 522માં મહદવીયતનો દાવો કર્યો. એણે કેટલાય યુદ્ધો લડ્યા. ઉત્તર આફ્રિકા અને સ્પેન પર છવાઇ ગયો, તે પછી એક સદી સુધી તેનો જાનશીન ત્યાં શાસક તરીકે રહ્યો.
(3) સૈયદ મોહમ્મદ જોનપુરી : હિ. સન 846માં જન્મ્યો અને હિ. સન 910માં દુનિયાથી રૂખ્સત થઇ ગયો. તેના બાપનું નામ સૈયદ ખાન ઉવૈસી અને માતાનું નામ ‘અખા મલક’ હતું. એણે હિ. સન 901 માં મહદવીયતનો દાવો કર્યો. અનેક લોકોએ તેની ‘બયઅત’ કરી. અમૂક સંશોધકો તેના સૈયદ હોવા વિશેનો ઇન્કાર કરે છે.
(4) મિર્ઝા ગુલામ અહમદ કાદિયાની : પંજાબના કસ્બા કાદિયાનીમાં હિ. સન.1250 માં જન્મ્યા. અંગ્રેજી શિક્ષકો પાસેથી તાલીમ મેળવી. તે પછી અંગ્રેજી હકૂમતમાં નોકરી કરી. તેરમી સદીના અંતમાં પોતાને “મહદી – યે – મવઊદ અને “મસીહે મવઊદ તરીકે દર્શાવ્યા. લગભગ 80 જેટલી કિતાબ લખી છે. તેમની તઅલીમાતમાં એક અગત્યની તાલીમ અંગ્રેજ હકૂમતની ઇતાઅત અને ફરમાબરદારી વિશેની છે અને અંગ્રેજી હકૂમતનો વિરોધ કરવો કે તેની બગાવત કરવી (વિદ્રોહ કરવો) હરામ છે. (“તિરયાકુલ કુલૂબ)
તેઓએ પોતાની ઝિંદગીના વિવિધ સમયમાં સંખ્યાબંધ દાવા કર્યા. ક્યારેક પોતાને પયગમ્બર પણ બતાવ્યા. હિ. સન. 1326માં તેમનો ઇન્તેકાલ થયો એને કાદિયાનમાં દફન કરવામાં આવ્યા.
(5) મિરઝા અલી મોહમ્મદ શીરાઝી (બાબ) : હિ. સન. 1235માં શીરાઝ ખાતે જન્મ થયો. એના બાપ્નું નામ મિર્ઝા રઝા બઝઝાઝ અને માનું નામ ફાતેમાબેગમ હતું. જવાનીમાં સૈયદ રિશ્તે (સૈયદ રિશ્તી શેખ અહમદ એહસાઇના શાગિર્દ હતા. ઉસ્તાદ અને શાગિર્દ, બન્નેએ અજીબ – ગરીબ નઝરિયાત – (ચિત્ર – વિચિત્ર દ્રષ્ટિકોણ બયાન કર્યા હતા.) ની તાલીમ અને નઝરિયાતથી ખૂબ પ્રભાવિત થયો. અમૂક દિવસો તાલીમ હાસિલ કરીને પછી પોતાના વતનમાં પાછો ફર્યા અને જુદા જુદા શહેરોમાં વેપારમાં મશ્ગૂલ થઇ ગયો. હિ. સન 1260 માં ઝમાનાના ઇમામના નાઇબ હોવાનો દાવો કર્યો. તે વખતે ઇરાની હકૂમમત અમુક અંશ – ઇસ્લામી હતી. એને ગિરફતાર કરવામાં આવ્યો. કૈદ કરવામાં આવ્યો એણે વારંવાર તૌબા કરી. વારંવાર ભૂલો કર્યા પછી એને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. તેને આલિમોએ દીવાનો હોવાનો ચૂકાદો આપ્યો અને તેને કેદમાં નાખવામાં આવ્યો. કેદખાનામાં ધીરે ધીરે એણે મહદવીયતનો દાવો કર્યો, પછી તરક્કી કરીને પયગમ્બરીનો દાવો કર્યો અને અંતમાં ખુદા હોવાનો દાવો કર્યો. રૂસ અને તેના હિતેચ્છુઓની મદદથી લોકો તેની આસપાસ ભેગા થવા લાગ્યા અને તેના તરફદારો વચ્ચે કેટલીએ લડાઇઓ થઇ – આ અંગે આ વાત પણ ધ્યાન આપવા જેવી છે કે તેને માન્ય રાખવા લાગ્યા જેની બીન પર હુકમત અને તેના તરફદારોમાં એવા પણ શખ્સો હતા જેઓ તેના મહદવીયત – વિશેના દાવાથી અજાણ હતા. તેને ફક્ત સમયના ઇમામના નાઇબ તરીકે જાણતા હતા. તેની તરફથી ફેલાવવામાં આવેલી બદઅમની – ફીત્ના – ફસાદની બિના પર ઇરાની હકૂમતે રૂસી આગોશના પરવર્દહને ફાંસી આપી દીધી અને તેને હિ. સ. 1266માં ગોળીએથી મારી નાખવામાં આવ્યો.
તેના માનવાવાળા “બાબી ઇરાન અને અન્ય બીજી કંઇક જગ્યાઓમાં મળી આવે છે. એ પછી આ જ ફીર્કામાંથી એક બીજો ફિર્કો વજૂદમાં આવ્યો, જેની રાહબરી – હુસૈનઅલી બહાઉલ્લાહના હાથોમાં હતી. આ સંબંધથી એ ફિર્કો – ‘બહાઇ’ નામે મશહુર થયો જે આજે પણ ગુમરાહીઓ ફેલાવી રહ્યો છે.
(6) મહદી સૂદાની : (અહમદ બિન અબ્દુલ્લાહ સૂદાની) – ઇ.સ. 1848 માં જન્મ્યો. ઓગણીસમની સદીમાં મિસર અને સુદાન પર અંગ્રેજોનો કબ્જો હતો અને આ દેશોની આમજનતા લોકો અંગ્રેજી હકૂમતની જુલ્મોની ચક્કીમાં પીસાઇ રહ્યા હતા. વાતાવરણ ક્રાન્તિ માટે તૈયાર થઇ રહ્યું હતું. અહમદ કાઢી મૂકવામાં આવેલો દરવેશ હતો. એણે તકનો લાભ અને મહદવીયતનો દાવો કર્યો.
ન્યાય માટે તરસ્યા અને જુલ્મ – સિતમથી ત્રાસેલા આમજનતાના લોકોએ આ સરાબ (ઝાંઝવા) ને નદી સમજી લઇને તેને કાંઠે એકઠા થઇ ગયા. એણે અંગ્રેજોને અનેક વખત શિકસ્ત આપી. જે સમયે તેની ફતેહ અને કામયાબીનો ઉરૂજ (ઉદય) હતો તે જ સમયે અજલ (મૌત) ને હાથે ગિરફતાર થઇ ગયો. ઇ.સ. 1855માં તાવની હાલતમાં આ દુનિયાથી ચાલ્યો ગયો અને એની મૌતે તે બનાવટી હોવાની વાત પર સચ્ચાઇની મહોર મારી દીધી.
આ ટૂંકમાં નિબંધ નીચે મુજબ પરિણામો જાણવા મળે છે :
(1) ખોટા અને બનાવટી ‘મહદી’ઓનો વુજૂદ, અસલી ‘મહદી’ના વુજુદની દલીલ છે.
(2) મહદીનો કયામ અને ઇન્કીલાબ (ક્રાન્તિ), ક્રાન્તિ અને ચળવળના મૂળ છે. તેથી જ ખોટા મહદીઓના દુકાન – ધંધા ચાલતા રહ્યા. પણ એમાંથી એક પણ સાચા નહોતો. કારણ કે બીજી બધી ખાસિયતો સિવાય, દુનિયામાં અદલ અને ઇન્સાફનો ફેલાવો કરવો એ પણ એક ખાસિયત હોવી જોઇએ. પરંતુ આમાંથી કોઇપણ અદ્દલ અને ઇન્સાફ (ન્યાય) ન ફેલાવી શક્યા. એટલું જ નહિ પણ હજી આજ સુધી દુનિયા જુલ્મ અને અન્યાયથી છલકી રહી છે. દુનિયામાં જુલ્મ અને અન્યાય ભર્યા હોવા – એ જ એમના જૂઠા અને બનાવટી હોવાની દલીલ છે.
(3) ઇસ્લામના જુદા જુદા ફિરકાઓમાંથી બનાવટી મહદીઓનું જાહેર થવું, એ વાતની દલીલ છે કે ઇસ્લામના દરેક ફિરકામાં ‘અકીદએ – મહદી’ (‘મહદી’ની માન્યતા) વજુદ ધરાવે છે. આ એક સંપૂર્ણ ઇસ્લામી જગતની માન્યતા છે, ન કે કોઇ એક ફિરકા કે પંથની માન્યતા કે અકીદો છે. ‘મહદી’ ના અકીદાનો સંબંધ દરેક પંથથી છે અને ઇસ્લામના દરેક ફિરકાઓ હકીકી ‘મહદ એ – મુન્તઝર’ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *