ગયબતનો ઝમાનો અને ઇલ્મ હાંસિલ કરવાનું મહત્વ

Print Friendly, PDF & Email

પ્રસ્તાવના:
ઇન્શાઅલ્લાહ અમે આ લેખમાં ઉપરોક્ત વિષય બાબત જુદા જુદા દ્રષ્ટિકોણથી ઉડતી નજર કરશું.
આજનો ઝમાનો:
હાલનો ઝમાનો ઇમામે ઝમાના(અ.સ.)નો ગયબતનો સમયગાળો છે. જે અન્ય ઝમાનાઓથી અલગ છે, કારણ કે આ સમય ઇન્સાનની તરક્કીનો આશ્ર્ચર્યજનક સમય છે.
છેલ્લી ચાર સદીઓમાં ઇન્સાને પ્રગતિના જે સોપાનો પસાર કર્યા છે તેની મિસાલ માનવ ઇતિહાસમાં જોવા મળતી નથી.
આ તરક્કી જીંદગીની કોઇ મખ્સુસ શાખા સુધી મર્યાદિત નથી પરંતુ માનવ જીવનના તમામ પાસાને સંપૂર્ણ રીતે આવરી લીધી છે. આ સમયને ચિંતકોએ જ્ઞાન અને વિજ્ઞાનનો સમય કહ્યો છે.
વિજ્ઞાનની તરક્કીએ ઇન્સાનની જીંદગીને આરામથી ભરી દીધી છે.
કુરઆને કરીમે પણ આખરી ઝમાનાના લોકોની ઇલ્મી તરક્કી અને પયગમ્બરે ઇસ્લામે પણ આખરી ઝમાનાના ઇન્સાનની ભૌતિક પ્રગતિનો ઉલ્લેખ કરેલ છે. માઅસુમીન (અ.મુ.સ.)એ પણ આ સમયની પરિસ્થિતિને પોતાની હદીસોમાં બયાન કરેલ છે.
પરંતુ વિજ્ઞાને જ્યાં એક બાજુ રાહતના બેશુમાર માધ્યમો પુરા પાડ્યા છે ત્યાં એવા ગુનાહોને પણ જન્મ આપ્યો છે જેનો ભૂતકાળમાં વિચાર પણ નહોતો થઇ શકતો. જે ગુનાહો કરવા માટે અગાઉના ઝમાનામાં મહેનત અને સંઘર્ષ કરવો પડતો તે આજના ઝમાનામાં એક કોમ્પ્યુટરની ક્લીકથી શક્ય છે. તે ટેલિવીઝન હોય કે ઇન્ટરનેટ, તે માહિતી વધારવાની સાથો સાથ દીમાગને ભ્રષ્ટ કરીને હજારો નફસોને ખતરામાં મુકી શકે છે. ઝુલ્મ અને સરમુખ્તયારશાહી તેમજ બેશરમી એ સ્વતંત્ર વિચારધારા અને ઇન્સાની હકોની જાળવણીનો પોશાક પહેરી લીઘો છે.
અખ્લાકીયાત અને ઇન્સાનીયતે પોતાનો ભરોસો ગુમાવી દીધો છે અને મઝહબી સંસ્થાઓને અને શર્મ અને હયા તથા દીનથી વળગી રહેવાને રૂઢીચુસ્તતા નામ દેવામાં આવી રહ્યું છે.
ફાસિકો અને ફાજિરોના પોતાના બનાવેલા વ્યવહાર પર વાહ વાહ થઇ રહી છે અને દૌલતમંદોના વખાણ કરવામાં આવી રહ્યા છે. તેમજ તેમની જીંદગીને નમુનો બનાવવામાં આવી રહ્યો છે જેની આગાહી અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ કરી હતી તે સમય આવી ચુક્યો છે. આપ(અ.સ.) ફરમાવે છે:
“કસમ છે એ ખુદાની કે જેના કબ્ઝએ કુદરતમાં મારી જાન છે! તમે તમારી પસંદીદા ચીજ (ઝુહુરે કાએમ)ને નહી પામો ત્યાં સુધી કે આંખમાં સુરમાં જેટલા મોઅમીનો રહી જશે અથવા દાળમાં નમક જેટલા. તેનું ઉદાહરણ આ છે કે ઇન્સાન ઘઉંના દાણાઓને સાફ સુફ કરીને સંગ્રહ કરે છે. અમૂક દિવસો બાદ તેમાં ધનેડા પડી જાય છે. પછી તેને ચાળણીથી ચાળે છે અને સાફ કરે છે અને સારા દાણાને અલગ કરે છે આ કામ અમૂક દિવસો પછી ફરી કરે છે અને આ કામ વારંવાર કરે છે અને અંતે સારા દાણા ખુબ જ ઓછા વધે છે. ઇમામ(અ.સ.) ફરમાવે છે તમને પણ આ રીતે ચાળવામાં આવશે ત્યાં સુધી કે અમુક લોકો સિવાય કોઇ ઇમાન પર બાકી નહી રહે નિરર્થક વાતોથી સુરક્ષિત રહેશે.
(બેહારૂલ્ અન્વાર, ભાગ:૫૨, પાના:૧૧૫)
આજના ઝમાનાએ આપણી જીંદગીને રાહત અને આરામથી ભરપુર તો ચોક્કસ બનાવી દીધી છે, પરંતુ આધ્યાત્મીક્તા અને રૂહાનીયતની હાલત ખરાબ છે. શું આ મસઅલાનો કોઇ ઉકેલ છે ખરો?
ઇલ્મનું મહત્વ:
કોઇ પણ ચીજને હાંસિલ કરવા માટે ઇલ્મની જરૂરિયાત એ મૂળભૂત જરૂરત છે અને આ હકીકત સુર્ય કરતા વધારે સ્પષ્ટ છે.
કોઇ પણ ચીજના વિશે અનુભવ હાસિલ કરવા માટે તેનું ઇલ્મ હોવું જરૂરી છે.
એ વાત સ્પષ્ટ છે કે મુસલમાન હોવા માટે ઇસ્લામની જાણકારી હોવી જરૂરી છે. ઇમાનના માટે અકાએદથી જાણકાર હોવું જરૂરી છે. રસુલે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યું:
“દરેક મુસલમાન પર ઇલ્મ હાસિલ કરવું વાજીબ છે, જાણી લો કે અલ્લાહ ઇલ્મ તલબ કરવાવાળાને દોસ્ત રાખે છે
(કાફી, ભાગ:૧, પાના:૩૫, હદીસ:૧)
ઉપરોક્ત હદીસ પરથી એ વાત તો સ્પષ્ટ છે કે ઇલ્મ હાસિલ કરવું દરેક મુસલમાન મર્દ અને ઔરત પર વાજીબ છે. વિચારવા લાયક મુદ્દો એ છે કે તે ઇલ્મ જ વખાણવા લાયક અને મુલ્યવાન છે જે અલ્લાહ અને એહલેબૈત(અ.મુ.સ.)ની મોહબ્બતનું કારણ હોય. આવો આપણે એવા શખ્સ પર નઝર કરીએ જે ઇલ્મ હાસિલ કરવાથી ગાફીલ હોય, આ બારામાં એક હદીસ જે માસુમ(અ.સ.)થી મનકુલ છે, વાંચકોની ખિદમતમાં રજૂ કરીએ છીએ.
રાવી કહે છે કે મેં અબુ અબ્દીલ્લાહથી નસીહત સાંભળી..
“તમારા માટે જરૂરી છે કે દીનને ઉંડાણથી સમજો, એ બદ્દુઓની જેમ ન બનો જે દીનના વિશે ઉંડાણથી સમજણ નથી રાખતા. ક્યામતના દિવસે અલ્લાહ ન તો તેઓની ઉપર નજર કરશે અને ન તો તેઓના આમાલ પાકીઝા કરશે.
(કાફી, ભાગ:૧, પાના:૩૦, હદીસ:૧)
ઇલ્મે દીન ઇન્સાનને જન્નતની નજીક કરે છે અને જેહાલત તેમજ અજ્ઞાનતા ઇન્સાનને અલ્લાહની રહેમતથી દૂર કરે છે. ઇલ્મ એ નૂર છે, જે ઇન્સાની વિચારધારાને રોશન કરે છે અને તેમાં વિકાસ પૈદા કરે છે. ઇમામ મુસા કાઝીમ(અ.સ.) એક લાંબી હદીસમાં હિશામને નસીહત કરતા ફરમાવે છે…
“અલ્લાહના હુકમોની વધારે જાણકારી રાખનારની અકલો મજબુત હોય છે, અને જેની અકલો મજબુત હોય છે તે દુનિયા અને આખેરતમાં મહાન મરતબા પર પહોચી જાય છે.
(કાફી, ભાગ:૧, પાના:૧૩, હદીસ:૧૨)
એક ઉદાહરણ થકી ઇલ્મની મહત્વતા અને અજ્ઞાનતાની બુરાઇને સ્પષ્ટ કરીએ છીએ. ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:
“અજ્ર અને સવાબ અક્લ ઉપર આધારીત છે. બની ઇસ્રાઇલમાં એક શખ્સ એક ટાપુ ઉપર ઇબાદતમાં મશ્ગુલ હતો. આ ટાપુ લીલોછમ હતો. તેના પર નદીઓ વહેતી હતી. એક ફરિશ્તો તે આબિદ પાસેથી પસાર થયો. તેણે અલ્લાહથી તે આબિદના સવાબ અને બદલા વિશે પુછ્યુ. જ્યારે અલ્લાહે ફરિશ્તાને તે આબીદના અજ્ર અને સવાબ વિશે જણાવ્યું તો તેની ઇબાદતની સરખામણીમાં તેનો સવાબ ખૂબ જ ઓછો લાગ્યો.
અલ્લાહે તે ફરિશ્તાને આબિદની સાથે રહેવાનો હુક્મ કર્યો તે ફરિશ્તો ઇન્સાની સ્વરૂપમાં જાહેર થયો. આબિદે પુછ્યુ તો તેણે જવાબ આપ્યો કે મેં તારી ઇબાદત અને રૂહાનીયત વિશે સાંભળ્યું છે અને મારી એ ઇચ્છા છે કે હું પણ તારી સાથે ઇબાદત કરૂ. તે ફરિશ્તાએ આબિદની સાથે એક દિવસ પસાર કર્યા પછી પુછ્યું:
“તમારી આ લીલીછમ જગ્યા પર તમારી ઇબાદતની જગ્યા બહુ જ ખુબસુરત છે અને ખૂબ જ યોગ્ય છે કે તેનો ઇબાદતગાહ તરીકે ઉપયોગ થાય ત્યારે આબિદે કહ્યું: તે સાચું કહ્યુ, પરંતુ આ જગ્યા પર એક વસ્તુની ખોટ છે. પુછ્વા પર તેને જવાબ આપ્યો `આપણા પરવરદિગાર પાસે કોઇ જાનવર નથી. કાશ તેની પાસે એક ગધેડો હોત, જેથી તે આ ઘાસ ખાઇ લેત.’ ફરિશ્તાએ પુછ્યું: શું તારા પરવરદિગાર પાસે ગધેડો નથી? તેણે જવાબ આપ્યો `અગર હોત તો આ ઘાસ આવી રીતે બરબાદ ન થાત’ અલ્લાહે ફરિશ્તા ઉપર વહી મોકલી કે અમે દરેક શખ્સને તેની અક્લ મુજબ સવાબ આપીએ છીએ.
(કાફી, ભાગ:૧, પાના:૧૧, હદીસ:૮)
આથી આપણા માટે જરૂરી છે કે ઇલ્મ હાસિલ કરીએ જેથી અક્લવાળા બનીએ.
ઇમામ બાકિર(અ.સ.)ની આ હદીસ ઘણીવાર આપણી નજરોથી ગુજરે છે..
“એવો આલિમ જે પોતાના ઇલ્મનો ઉપયોગ કરે તે ૭૦,૦૦૦ આબીદોથી બહેતર છે.
(કાફી, ભાગ:૧, પાના:૩૩, હદીસ:૮)
આપણે આ ટુંકી ચર્ચા પછી આ નતીજા ઉપર આવ્યા કે કોઇ ઇલ્મનો સ્ત્રોત છે, જેના તરફ રૂજુઅ થવાથી આપણને ઇલ્મ અને યકીનની મંઝિલો દેખાવા લાગે છે અને તેજ આપણા માટે નજાત આપનારા છે. આથી ઇમામ બાકિર(અ.સ.)એ સમલા બિન્તે કુહૈલ અને હકમ ઇબ્ને અતીબાને ફરમાવ્યુ:
“તમે બંને પૂર્વમાં જાવ કે પશ્ર્ચિમમાં અમારી સિવાય તમને ક્યાંય સાચુ ઇલ્મ મળશે નહી. (આથી સાબિત થયુ કે હકીકી ઇલ્મના સ્ત્રોત મઅસુમીન(અ.મુ.સ.) છે.)
(કાફી, ભાગ:૧, પાના:૩૯૯, હદીસ:૩)
અમે આ સ્થળે કુર્આન જે ઇલાહી કલામ છે અને જેમા તમામ સુકી અને ભીની અજાએબીઓ તેમાં સમેટાયેલું છે, અને હદીસો જે અહલેબૈત(અ.મુ.સ.)થી મરવી છે, વાંચકોની માટે રજુ કરવાની ખુશનસીબી હાસિલ કરીએ છીએ.
એક સામાજીક દ્રષ્ટીકોણ:
એક મોમીનની બે જવાબદારીઓ છે. એક એ કે તે પ્રગતિના રસ્તે હોય અને બીજુ એ કે તે બીજાઓને તેમના કાર્યોમાં મદદ કરે, ભલે પછી તે તેના કુટુંબીજનો હોય અથવા દોસ્ત હોય કે સમાજ.
ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:
“અલ્લાહ તઆલાની ઇબાદત મોમીનનો હક અદા કરવાથી બહેતર કોઇ ચીજથી નથી થઇ શકતી.
(કાફી, ભાગ:૧, પાના:૧૭૦, હદીસ:૪)
આથી આ પ્રશ્ર્નનો ઉકેલ સામાજીક અને વ્યક્તીગત બન્ને ધોરણે થવો જોઇએ.
ઇલ્મ ઇમાનને કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે?
અગાઉના પાનાઓમાં ઇલ્મની ફઝીલત બયાન થઇ ચુકી છે, હવે પ્રશ્ર્ન એ પૈદા થાય છે કે શું ઇલ્મમાં એ તાકાત જોવા મળે છે જે આપણા નફ્સમાં ઉભી થતી ખ્વાહીશાતોને કાબુમાં રાખી શકે? શું આપણે સામાજીક અને વ્યક્તિગત રીતે આ ગયબતના ઝમાનામાં સિરાતે મુસ્તકીમ પર સાબિત કદમ રહી શકીએ છીએ?
આ સવાલનો જવાબ છે હાં. પરંતુ દરેક ચીજની જેમ આ બાબતમાં પણ ખુદા અને અહલેબૈત(અ.મુ.સ.)ની મદદ જરૂરી છે.
પહેલુ કદમ:
ઇન્સાન એક સામાજીક પ્રાણી છે. પરંતુ તેના શ્રેષ્ઠ હોવાનો આધાર ઇલ્મ પર રહેલો છે. આ ઇલ્મને હાંસિલ કરવા માટે ખુદાવંદે મોતઆલે કુર્આને કરીમ અને હદીસે મઅસુમીન (અ.મુ.સ.)ને ઝરીઓ કરાર દીધેલ છે.
આથી આપણી વ્યક્તિગત અને સામાજીક બન્ને પ્રકારની ઘણી જવાબદારીઓ છે જેને આપણે અમુક હદીસો દ્વારા બયાન કરીશુ. જે વિચારવા લાયક છે. ઇન્સાની જીંદગી બે પ્રકારની હાલતોથી ખાલી નથી હોતી. એક એ હાલત જે મુશ્કીલો અને દુ:ખના સમયે થાય છે. અને બીજી એ પરિસ્થિતિ જે ખુશી અને તંદુરસ્તીના સમયે પૈદા થાય છે. અક્લમંદ અને સમજદાર શખ્સે મુશ્કેલીના સમયમાં શું રીત અપનાવવી જોઇએ?
ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:
“આલે દાઉદની હિકમતમાંથી એક હિકમત એ છે કે અક્કલમંદ પોતાના ઝમાનાની હાલતથી આગાહ હોય, પોતાનાથી આગાહ હોય અને પોતાની જીભને મહફુઝ રાખે.
(કાફી, ભાગ:૨, પાના:૧૧૬, હદીસ:૨૦)
ઇમામ જઅફરે સાદિક(અ.સ.)નું આ વાક્ય કેટલુ સ્પષ્ટ છે!!
“અક્કલમંદ શખ્સ દીની અને દુન્યવી શિક્ષણ હાસિલ કર્યા પછી પોતાની હાલતનો તાગ લગાવે છે અને ખામોશીની સાથે આગળ વધી જાય છે.
એક શિક્ષિત વ્યક્તિ માટે સમાજના પ્રશ્ર્નોને સમજવા અને તેનો યોગ્ય ઉકેલ શોધવો એ મુશ્કેલ કામ નથી.
કારણકે આપણે ગયબતના ઝમાનામાં જીવન પસાર કરી રહ્યા છીએ, જેથી હવે આપણે જાણવુ પડશે, ઓળખવુ પડશે, મઅરેફત હાંસિલ કરવી પડશે તે ઝાતની કે જે આપણી જવાબદારીઓ બાબતે આપણને આગાહ કરે.
આથી ગયબતના ઝમાનામાં સૌથી મહત્વની જવાબદારી મઅરેફત છે.
મિકયાલુલ મકારિમના ૧૭૦ થી ૧૭૫ પાનાઓનો અહીં ટુંકસાર રજુ કરીએ છીએ.
હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:
“અય ફુઝૈલ! પોતાના ઇમામને ઓળખો. અગર તમે તમારા ઇમામની સહીહ મઅરેફત રાખો છો તો આ અમ્ર માં જલ્દી થવી તેનાથી તમને કોઇ નુકસાન નહીં પહોંચે. કારણકે જે શખ્સ પોતાના ઇમામની મઅરેફત રાખતા મૃત્યુ પામે તો તેની મિસાલ એવી છે, જાણે કે તે ઇમામ(અ.સ.)ના ખૈમામાં હાજર હોય અથવા તેમના અલમની નીચે બેઠો હોય.
(કાફી, ભાગ:૧, પાના:૩૭૧)
રાવી કહે છે કે ફરી ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
“આ એવુ છે કે જાણે કે તે રસુલે ખુદા (સ.અ.વ.)ની સાથે શહાદતના દરજ્જા પર પહોંચ્યો હોય
(કાફી, ભાગ:૧, પાના:૩૭૧)
આજ કિતાબમાં ભરોસાપાત્ર સનદોથી ફુઝૈલ ઇબ્ને યસરથી રિવાયત છે કે મેં ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી સાંભળ્યુ..
“જે શખ્સ એવી હાલતમાં મૃત્યુ પામે કે તેનો કોઇ ઇમામ ન હોય, તે જાહેલીય્યતની મૌત મર્યો, અને જે ઇમામની મઅરેફત સાથે મરી જાય તેને આ અમ્ર (ઝુહુર)નું વહેલુ થવુ કે મોડુ થવુ કાંઇ નુકસાન નહીં પહોંચાડે, અને જે ઇમામે વક્તની મઅરેફત ની સાથે મૃત્યુ પામે તો એવુ છે કે જાણે તે ઇમામ(અ.સ.)ની સાથે ખૈમામાં હાજર હોય.
(કાફી, ભાગ:૧, પાના:૩૭૧)
તફસીરે બુરહાનમાં મોઆવિયા ઇબ્ને વહબ ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત નક્લ કરે છે કે આપ (અ.સ.)એ ફરમાવ્યુ:
“ઇન્સાનની સૌથી બેહતરીન અને મહત્વની જવાબદારી એ છે કે તે અલ્લાહની મઅરેફત હાસિલ કરે અને તેની ઉબુદિય્યતની કબુલાત કરે અને તેના પછી રસુલે ખુદા(સ.અ.વ.)ની મઅરેફત અને તેમની નુબુવ્વતની ગવાહી આપે અને ત્યાર પછી ઝમાનાના ઇમામની મઅરેફત પછી દરેક હાલતમાં તેમની ફરમાંબરદારી કરે.
(તફસીરે બુરહાન, ભાગ:૨, પાના:૩૪, હદીસ:૩)
આથી ગયબતના ઝમાનામાં મઅરેફતને તમામ ઇલ્મ પર પ્રધાનતા અને અગ્રતા હાસિલ હોવી જોઇએ. આ વાસ્તવિક ઇલ્મ છે અને તેને હાસિલ કરવુ અને શિખવાડવુ બંને ફરજીયાત અને જરૂરી છે.
આ હદીસમાં મઅરેફતની મહત્વતા બયાન થઇ છે.
ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) પોતાના ફરઝંદને નસીહત કરતા કહે છે:
“બેશક! મઅરેફત એટલે હદીસ જાણવી અને સમજવી અને હદીસને જાણવું એ મોઅમિનને ઇમાનના ઉંચામાં ઉંચા ઇમાનના દરજ્જાસુધી પહોંચાડે છે.
આવો એક ઉદાહરણ થકી આને સાબિત કરીએ..
ક્યારેક કોઇ ડોક્ટરને સિગરેટ ફુંકતા અથવા શરાબ પીતા જોઇએ છીએ. તે જાણે છે કે બંને ચીજો નુકસાનકર્તા છે, પરંતુ અગર એ જ ડોક્ટર ખુદા ન કરે કેન્સરની બિમારીમાં ફસાઇ જાય, તો તે છતા શું તે સિગરેટ પીશે? નહી.
ઇલ્મે યકીન:
ઇલ્મ નૂર છે, જેનુ ઠેકાણું ઇન્સાનનું દિલ છે. શબ્દ દિલ સમજુતી માંગી લે છે, ઇન્શાઅલ્લાહ આવતા અંકોમાં) એટલે કે એ ઇલ્મ જે અઇમ્મએ મઅસૂમીન (અ.મુ.સ.) અને પવિત્ર હસ્તીઓના થકી હાસિલ થતુ હોય.
ઇલ્મ અને યકીનની એક અલગ ચર્ચા છે. આ લેખમાં બસ એટલુ લખી દેવુ પુરતુ છે કે મુરસલે આઝમ(સ.અ.વ.) થી લઇને તમામ મઅસુમ ઇમામો(અ.મુ.સ.)એ ગયબતના સમયમાં ઇલ્મ હાસિલ કરવાની અને યકીનથી દિલને નૂરાની રાખવા માટેની તાકીદ કરી છે. આથી મુરસલે અઅ્ઝમ (સ.અ.વ.)ની એક દુઆ છે..
“અય મારા અલ્લાહ! મને મારા ભાઇઓથી મુલાકાત કરાવ અસ્હાબે પુછ્યુ: શું અમે તમારા ભાઇઓ નથી? આપ (અ.સ.)એ ફરમાવ્યુ: નહીં, તમે મારા અસ્હાબ છો, મારા ભાઇ એ લોકો છે જે આખરી ઝમાનામાં હશે અને જેઓ જોયા વિના મારા પર ઇમાન લાવશે…..
પછી આપ(અ.સ.)એ તેઓનો મરતબો બતાવ્યો.
(બેહારૂલ અન્વાર, ભાગ:૫૨, પાના: ૧૨૫)
આવો નવેસરથી વાયદો કરીએ કે આ મહાન ખિદમતને અંજામ આપીશુ અને ઇમામ(અ.સ.)ની સામે માથુ જુકાવી દેશુ અને એ અહદ કરીશુ કે શક્ય તેટલો તેમનો બચાવ કરીશુ જેવી રીતે આપણે દુઆએ અહદમાં પઢીએ છીએ.
“અય અલ્લાહ! આજની સવાર અને દરેક સવારે મારી ગરદનમાં તેમની બયઅત અને તેમની મદદના વાયદાની તજદીદ કરૂ છુ. હું ક્યારેય તેનાથી મોઢુ નહી ફેરવુ અને ન ક્યારેય તેનાથી દુરી કરીશ.
આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *