નજમુ અસ્-સાકિબે

Print Friendly, PDF & Email

કિતાબ “નજમુસ સાકિબે” માં ઇમામે ગાયબ (અજ.)નો અહેવાલ

હઝરત ઇમામ મહદી (અ.સ.) ની માન્યતાનું પવિત્ર ઇસ્લામ ધર્મમાં એટલું મહત્વ છે અને એટલું ઉચ્ચ સ્થાન મેળવેલ છે કે દરેક સમય અને યુગના વિખ્યાત વિદ્વાનો અને હદીસવેત્તાઓ આપના વિષે પુસ્તકો લખવાનું અથવા પોતાના પુસ્તકના અમૂક ખાસ પ્રકરણો આપ (અજ.) ના બારામાં અનામત રીતે લખવાનું બહુમાન મેળવેલ છે અને તેને પોતાના માટે આખેરતની મુક્તીની મૂડી ગણાવી છે. હજારો પુસ્તકો જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા રાવીઓ -હદીસ વેત્તાઓએ લખ્યા છે.
પુસ્તકોના સંગ્રહમાં અલંકારરૂપ હદીસવેત્તા આયતુલ્લાહ ફીલ આલમીન અલ્હાજ આકાએ મીર્ઝા હુસૈન નૂરી તબરી નુરલ્લાહે મરકદહ શરીફનું ઉચ્ચ કક્ષાનું પુસ્તક ‘નજમુસ – સાકિબ દર અહવાલે ઇમામે ગાયબ (અજ.)’ ને એક બહુમુલ્ય અને દિવ્ય મનઝેલત – સ્થાન પ્રાપ્ત છે.

વિલાદત :-

હદીસવેત્તા નૂરી (ર.અ.) હિ.સ. 1254માં ‘નૂર’ નામના એક ગામડાંમાં જનમ્યા હતા. આપના બુઝુર્ગ પિતાશ્રી જનાબ મીર્ઝા મોહમ્મદ તકી (ર.અ.) હતાં. નાનપણથી જ પિતાશ્રીનો આધાર ગુમાવી દીધો હતો. શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણ પોતાના વતન નૂરમાં મેળવ્યું. પછી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તહેરાન, સામર્રા, કાઝમૈન, કરબલા અને નજફની સફર કરી. ત્યાં તે વખતનાં ઉચ્ચ કક્ષાના વિદ્વાનો પાસેથી વિશિષ્ટ જ્ઞાન મેળવ્યું. ખાસ કરીને હદીસની વિદ્વતામાં સૌથી શ્રેષ્ઠ દરજ્જો મેળવ્યો.
66 વર્ષની ઉમરે હિ.સ. 1320માં નજફે અશરફમાં મૃત્યું પામ્યા. હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના પવિત્ર સહેનમાં કિબ્લાના દરવાજાના પૂર્વ બાજુના ચોગાનમાં દફન કરવામાં આવ્યા.
અલ્લામા શય્ખ આકા બુઝુર્ગ તહેરાની (સાહેબુઝઝરીઆ) જનાબ સય્યદ મોહમ્મદ કાશાની નોંધ કરે છે ‘સાત વર્ષની પછી જ્યારે હદીસવેત્તા નુરીની બાજુમાં દફન કરવા માટે કબર ખોદવામાં આવી તો જોયું કે બાજુમાં મોહદ્દીસે નુરીની લાશ સંપૂર્ણ તાજી છે. કફનનો રંગ પણ બદલાયો ન હતો.’ આ પ્રસંગથી જાણી શકાય છે, અહલેબૈત (અ.સ.) ની ખીદમત કરનાર અને તેમના માર્ગમાં બલીદાન આપનાર હંમેશા જીવંત રહે છે.

ઉસ્તાદો :-

હદીસવેત્તા નૂર (ર.અ.) એ ઉચ્ચ કક્ષાના વિદ્વાનો પાસેથી ઇલ્મ પ્રાપ્ત કર્યું હતું. જેવા કે મૌલા મોહમ્મદ અલી મોહલ્લાતી પાસેથી શરૂઆતની તાલીમ મેળવી, આકાએ શેખ અબ્દુરરહીમ બુરૂજરદી પાસેથી તહેરાનમાં તાલીમ લીધી, આયતુલ્લાહ શય્ખ અબ્દુલ હુસૈન તહેરાની અને એ સમયના અજોડ ઉસ્તાદ, ઉસ્તાદુલ ફોકહા હઝરત આયતુલ્લાહ શય્ખ મુરતુઝા અન્સારી (ર.અ.) પાસેથી ઇરાકમાં શિક્ષણ મેળવ્યું. પછી સૌથી મહાન મરજએ વક્ત (એ સમયના મરજઅ) હઝરત આયતુલ્લાહલ ઓઝમા મીર્ઝા મોહમ્મદ હસન શીરાઝી (જેમણે તમાકુનો મશહુર ફત્વો આપ્યો અને ઇસ્લામના દુશ્મનોની બધી યોજના ઉપર પાણી ફેરવ્યું) પાસેથી ઇલ્મી નૂરનું જ્ઞાન મેળવ્યું. આ ઉસ્તાદોના શિક્ષણે અને તરબીયત (ઉછેર) હદીસવેત્તા નૂરીને સંપૂર્ણપણે નૂરથી પ્રકાશિત કરી દીધા.
જ્ઞાનની મંઝેલત (ઉચ્ચ સ્થાન) :-

અલ્લામા શય્ખ આકા બુઝુર્ગ તહેરાની લખે છે ‘હદીસવેત્તા નૂરી ભૂતકાળના વિદ્વાનોમાં એક સર્વશ્રેષ્ઠ નમૂનો હતા. તેમના સમયમાં તેમના જેવા વિદ્વાન કોઇ ન હતા. તે પોતાની ઉચ્ચતામાં એકલા અને અજોડ હતાં. ખુદાવંદે આલમની એક અમૂલ્ય અતા કરેલી હસ્તી હતા. અમર્યાદિત ગુણો અને ખૂબીઓ તેમનામાં ઠાંસી ઠાંસીને ભર્યાં હતાં. જેને તેમની જવાનીમાં જ ‘જલીલુલ કદ્ર’ બનાવી દીધાં હતાં. તેમણે પોતાનું સમગ્ર જીવન ધર્મની સેવામાં વ્યતિત કર્યું. તેઓ પોતાના લખાણોથી દરેક જમાનામાં જીવંત અને ઉજ્જવળ રહેશે. તેમણે ઇલ્મના માર્ગમાં પોતાની જાતને વકફ કરી દીધી હતી. તેમના હમ અને ગમ, સઇ અને કોશીષ ફક્તે રિવાયતોને ભેગી કરવી, અપ્રાપ્ય રિવાયતોને મેળવવી, રિવાયતો ચકાસવી, ગોઠવવી, તેની સ્પષ્ટતા કરવી, પૃથક્કરણ કરવું. હદિસના ક્ષેત્રમાં તેમણે ઘણા બહુ મુલ્ય ખજાના મેળવ્યા છે. એવું લાગે છે કે ખુદાવંદે આલમે તેમને અહલેબૈત (અ.સ.) ની અસરો – નિશાનીઓ ભેગી કરવા માટે જ પૈદા કર્યા હતાં.’ (મુસ્તરકુલ વસાએલ, ભાગ-1, નવુ પ્રકાશન)

હદીસવેત્તા બુઝુર્ગ શેખ અબ્બાસ કુમી પોતાના ઉસ્તાદના બારામાં ફરમાવે છે : ‘દરેક જ્ઞાનો નિષ્કર્ષ તેમની પાસે હતો. હદીસનું ઇલ્મે અને ઇલ્મે રેજાલ (હદીસ બયાન કરવાવાળાઓના જીવન ચરિત્રનું જ્ઞાન)માં જબરદસ્ત કૌશલ્ય મેળવ્યું હતું. રિવાયતોના ગુઢ અર્થો ઉપર તેમની ઉંડી દ્રષ્ટિ હતી. તે આ બધી બાબતો ઉપર એટલું પ્રભત્વ ધરાવતાં હતાં કે બુદ્ધિ આશ્ર્ચર્ય પામે છે.’(ફવાએદુલ રઝવીય્યહ, પાના નં. 152)

અલ્લામા મુર્તુઝા મુતહહરી (ર.અ.) ફરમાવે છે : ‘જો હદીસવેત્તા નૂરી કોઇપણ હદીસને બિન – શિયા સ્ત્રોતમાંથી નોંધે તો તેનો અર્થ એ છે કે કોઇપણ શિયા હદીસવેત્તાએ તેની નોંધ નથી કરી, કારણકે એ અશક્ય છે કે શીયા સ્ત્રોતમાં કોઇ હદીસ હોય અને તે મોહદ્દીસ નૂરીના ધ્યાન બહાર રહી ગઇ હોય.’ (ગુફતારે માહ, ભાગ – 1, પાના નં. 98)

શિષ્યો : –

આમ તો ઈતિહાસકારોમાં દરેક તેમનાથી ફાયદો મેળવ્યો છે. પરંતુ આ વિષયમાં સાહેબુઝ ઝરીઆ અને સાહેબે ‘તબકાતે ઇસ્લામ’ શીયા અલ્લામા આકા બુઝુર્ગ તહેરાની (ર.અ.) અને સાહેબે ‘સફીનતુલ બેહાર’, સાહેબ મોઅલ્લીફ ‘મફાતીહલ જીનાન’ અલ્લામા શય્ખ અબ્બાસે કુમી (રહ.) ના નામો વિખ્યાત, વધુ પ્રકાશિત અને જાણીતા છે.

પ્રકાશનો :-

અનેક સામુહિક અને અન્ય જવાબદારીઓ હોવા છતાં પણ મોહદ્દીસ નૂરી (રહ.) એ આશરે 30 પુસ્તકો લખ્યા છે. તેમાંનું દરેક પુસ્તક તેના કૌશલ્યમાં અજોડ છે. મહાન પુસ્તક ‘મુસ્તદરકુલ વસાએલ’ના બારામાં ઉચ્ચ સ્થાન ધરાવતા ફકીય્યહ અને ઉસુલી હઝરત આયતુલ્લાહલ ઉઝમા આકાએ મુલ્લા મોહમ્મદ કાઝીમ ખુરાસાની (કિફાયતુલ ઉસુલના કર્તા એ પોતાના દર્સે ખારીજમાં (હૌઝે ઇલ્મીયામાં અપાતા એક વિષયનું શિક્ષણ) 500 મુજતહેદોના મજમામાં ફરમાવ્યું : ‘બીજા પુસ્તકોની સાથે સાથે ‘મુસ્તદરકુલ વસાએલ’નો અભ્યાસ જરૂર કરવો જોઇએ. તે વગર ઇજતેહાદ થઇ ન શકે. (મુજતહેદ ન બની શકાય.)’(મુસ્તદરકુલ વસાએલ, ભાગ – 1, નવું પ્રકાશન)

થોડાં પુસ્તકો :-

  1.  મુસ્તદરકુલ વસાએલ – અલ મસાએલ – આ પુસ્તક પહેલા ત્રણ ભાગમાં મોટી સાઇઝમાં છપાયું હતું. હવે ‘ફાઉન્ડેશન આલે બય્ત અલ અખ્બારે અસ્રાત, કુમ’ એ વધુ સંશોધન અને શોધખોળની સાથે 18 ભાગોમાં પ્રકાશિત કર્યું છે.
  2.  દારૂસ-સલામ ફીમા યતઅલ્લકો બીર રૂયા વલ ગનામ-4 ભાગ, આ પુસ્તક નિદ્રા અને સ્વપ્નના બારામાં છે.
  3. મસાલેમુલ – બહર ફી ઇસ્તદરાકુલ બેહાર અસસાબેઅ અશર.
  4. જન્નતુલ માવા ફી મન ફાઝ બે લેકાઇલ હુજ્જત (અ.સ.) ફીલ ગયબતીલ કુબરા – આ કિતાબમાં એ લોકોના કિસ્સા બયાન કર્યા છે જેઓને ઇમામ (અ.સ.) સાથે મુલાકાત કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આ પુસ્તક અલ્લામા મજલીસી (રહ.) ની બેહારૂલ અન્વારના છેલ્લા ભાગના અંતમાં સમાવેશ કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે.
  5. ફયઝુલ કુદસી ફી અહવાલલ અલ્લામહ મજલીસી- તેમાં અલ્લામા મજલીસી (રહ.) ના જીવનના પ્રસંગો છે. આ પુસ્તક પણ ‘બેહારૂલ અન્વાર’માં પ્રકાશિત થયું છે.
  6. અસ સહીફતુસ સાનીય અલવીયા.
  7. અસ સસહીફતુલ રાબેઅસ સજાદીયા.
  8. નજમુસ સાકિબ દર અહવાલે ઇમામે ગાએબ (અજ.)
  9. લુઅ – લુઓ મરજાન – આ પુસ્તકમાં વક્તાઓ (પ્રવચન કરનારા) માટે સલાહ – સુચનો અને નસીહતો છે.
  10. કશફુલ ઉસ્તાર ફી અહવાલે ઇમામુલ ગાએબ (અજ.) અનીલ અબ્સાર.

ઇબાદત અને તકવા – પરહેઝગારી :

હદીસવેત્તા નૂરી (અ.ર.) ઇબાદત અને તકવા-પરહેઝગારીના નમૂનારૂપે હતાં. શય્ખ અબ્બાસે કુમી ‘મફાતિહલ જીનાન’ ના કર્તાના કથન પ્રમાણે મોહદ્દીસ નૂરી (અ.ર.) ઇબાદત માટે ખાસ કાળજી લેતાં. તે જબરદસ્ત મુત્તકી અને પરહેઝગાર હતાં. રાત્રીની નિરવતામાં તેમની નમાઝે શબ અને ખુદાની બારગાહમાં મુનાઝાત ક્યારે પણ ચૂકાઇ નથી. તેમનામાં દરેક ખૂબીઓ ઠાંસી ઠાંસીને ભરી હતી.(ફવાએદૂર રઝવીયા, પા. 153)

મોહદ્દીસ નૂરી (અ.ર.) એ દરેક કામના માટે ખાસ સમય ફાળવ્યો હતો. નમાઝે અસ્રથી સૂયર્સ્તિનો સમય લેખન-કાર્ય માટેનો સમય હતો. નમાઝે મગરિબથી સુવાના સમય સુધી અભ્યાસનો સમય હતો. હંમેશા વઝુ કરીને સુતા હતા. સુબ્હથી બે કલાક પહેલા જાગી જતા હતા. વઝુ અને તહારત પછી એક કલાક પહેલા હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના હરમ પર તશરીફ લઇ જતા હતા. આ સમયે પવિત્ર હરમનો દરવાજો બંધ રહેતો હોવાથી ત્યાં બહાર નમાઝે શબ પડતા. જ્યારે ખાદીમ દરવાજો ખોલતો ત્યારે મોહદ્દીસ નૂરી (અ.ર.) પહેલા જવ્વાર તરીકે હરમમાં પ્રવેશ કરતાં અને હરમના ખાદીમની સાથે પોતે પણ બાકીના દરવાજા ખોલતા અને પવિત્ર હરમની શમાના દિવસે અસરના સમયે લખવાનું કામ કરતા ન હતાં. પરંતુ હરમ તશરીફ લઇ જતાં હતાં અને સુર્યાસ્ત સુધી દોઆઓમાં મગ્ન રહેતા હતાં. (તબકાતે અઅલામશ શીયા – ઝૈલ મોહદ્દીસે નૂરી)

મોહદ્દીસે નૂરી અને કાએમીય્યતનો પ્રશ્ર :

ઇમામત અને વિલાયત ઈસ્લામના પાયાના અને મહત્વના સિદ્ધાંતો છે. ઇમામની મઅરેફત, તેમની મોહબ્બત અને તેમનું અનુસરણ દરેક ઉપર ફરજ છે. દરેક શીયાની પહેલી જવાબદારી છે કે પોતાના ઝમાનાના ઇમામની ઓળખ પ્રાપ્ત કરે. એ જાણી લે કે તેઓ કઇ બાબતથી ખુશ થાય છે અને ક્યા કાર્યોથી નારાજ થાય છે. ગયબતના ઝમાનામાં સૌથી શ્રેષ્ઠ કાર્ય ઇમામે વક્તના જાહેર થવાની પ્રતિક્ષા છે. અહીં વિદ્વાનો અને માર્ગદર્શકોની જવાબદારી છે કે તે સમાજને – સાધારણ જનતાને તેની જવાબદારીઓની જાણ કરે. ઇમામ અસ્રનીવધુ નઝદિક કરે. જો આ ન થાય તો પછી કોની નયાબતમાં (કોના તેનૃત્વમાં) ધર્મનો ઝંડો ઉંચો કરી રહ્યો છે?

મોહદ્દીસે નૂરી (અ.ર.) તે ખુશનસીબત વિદ્વાનોમાંથી છે જેમણે આ ક્ષેત્રમાં અવર્ણનીય કાર્યો છે. એક કવિએ પોતાના શેરોમાં ઇમામ મહદી (અ.સ.) ના અકીદા ઉપર થોડો વિરોધ કર્યો. તેના વિરૂદ્ધમાં આખી વિગતવાર કિતાબ લખી નાખી અને તેનું નામ કશફૂલ અસ્તાર ફી અહવાલુલ ઇમામુલ ગાયબ (અ.સ.) અનીલ અબ્સાર રાખ્યું.
એ જાહેર કરવા માટે કે ગયબતના સમયમાં ઇમામ અસ્ર (અ.સ.) કેવી રીતે શીયાઓનો ખ્યાલ રાખે છે અને કેવી રીતે તેઓનું ધ્યાન રાખે છે, એક પુસ્તક લખી નાખ્યું ‘જન્નતુલ માવા ફી મન નાઝ બે લેકાઇલ હુજ્જત (અ.સ.) ફીલ ગયબતીલ કુબરા’

આ પુસ્તકમાં ખુશનસીબ વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓને ઇમામ (અ.સ.) ની મુલાકાતનું બહુમાન પ્રાપ્ત થયું છે. પહેલુ પુસ્તક ત્રણ ભાગોમાં વહેંચાએલું છે. પહેલા ભાગમાં અહલે સુન્નતના એ વિદ્વાનોનું ઉલ્લેખ છે જેમણે હઝરત (અ.સ.) ના અસ્તિત્વનો સ્વિકાર કર્યો છે. બીજા ભાગમાં ગયબત ઉપરના વિરોધના જવાબ આપેલા છે. ત્રીજા અને અંતિમ ભાગમાં બીજા શંકાઓ જવી કે ‘સરદાબ’ની મનઘડત વાતનો જવાબ છે.

નજમુસ-સાકિબ દર અહવાલે ઇમામે ગાયબ (અજ.):-

આ પુસ્તક ઇમામે અસ્ર સંબંધી એક સંપૂર્ણ પુસ્તક છે. આ પુસ્તકની વધુ વિગતો પહેલા આ પ્રસંગ ઉપર ધ્યાન આપીએ.

‘એક દિવસ ઉચ્ચ કક્ષાના એક વિદ્વાને અલ્લામા મોહદ્દીસે નૂરીને એવી સ્થિતિમાં જોયા કે સામર્રા શહેરમાં કયામત જેવી ગરમીની બપોરે બહાર ફરતાં જોયાં. તેમણે પુછ્યું , આ કયામત જેવી ગરીમીમાં આપ બહાર કેમ ફરી રહ્યા છો? તેમણે ફરમાવ્યું, હું હમણા સરદાબમાં (ભોંયરામાં) સુઇ રહ્યો હતો. મેં ખૂબજ સુંદર સ્વપ્ન જોયું જેની ખુશીમાં બહાર ચાલ્યો આવ્યો.’

ફરમાવ્યું : મેં મારા માતુશ્રીને સ્વપ્નમાં જોયા. મને કહી રહ્યા છે ખુદા તમને દુનિયા અને આખેરતમાં ઇઝઝત આપે. તમે મને સ્ત્રીઓમાં ઇઝઝત આપી છે. હું દરરોજ જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ની સેવામાં જાઉં છું મને પોતાની નઝદિક બેસાડે છે અને ‘ઉમ્મુલ હુસૈન’ કહીને સંબોધે છે. તમે જે પુસ્તક લખવાનું શરૂ કરો છો તેની મને જાણ કરે છે. આજે જ્યારે તેમની સેવામાં હાજર થઇ ત્યારે વધુ માન આપ્યું અને ફરમાવ્યું :

જનાબ ઝહેરા (સ.અ.) એ હદીસવેત્તા મીર્ઝા હસૈને નુરી (ર.અ.)ના માતુશ્રીને ફરમાવ્યું : ‘ઉમ્મુલ હુસયન, તમારા પુત્ર હુસૈને મારા પુત્ર મહદીના બારામાં એક પુસ્તક લખવાનું શરૂ કરેલ છે અને તેનું નામ ‘નજમુસ સાકિબ’ રાખ્યું છે.’ આ કહીને જનાબે ઝહેરા (સ.અ.) ના નુરાની ચહેરા ઉપર ખુશી છવાઇ ગઇ.

(નજમુસ સાકિબ, હુજ્જતુલ ઇસ્લામ શય્ખ ઇસ્લાઇલ રજબી (તાબ સરાહ)નું પુસ્તકાલય)

 

આ કિતાબ 12 ભાગોમાં સંકલીત છે. :-

ભાગ – 1 હ. મહદી (અ.સ.) ની વિલાદત,
ભાગ – 2 હ. મહદી (અ.સ.) ના નામ અને લકબ,
ભાગ -3 હ. મહદી (અ.સ.) ની વિશિષ્ઠતાઓ અને મહાનતા,
ભાગ – 4 હ. મહદી (અ.સ.) વિશેનો અકીદો અને તેની સચ્ચાઇ,
ભાગ – 5 હ. મહદી (અ.સ.) હ. ઇ. અસ્કરી (અ.સ.) ના ફરઝંદ,
ભાગ – 6 હ. મહદી (અ.સ.) ના 40 મોઅજીઝા,
ભાગ – 7 હ. મહદી (અ.સ.) ની ઝિયારત – ગૈબતે કુબરામાં અને આપ (અ.સ.) ની સાથે મુલાકાતનો શરફ હાસીલ કરવાવાળા શખ્સોના 100 કિસ્સાઓ,
ભાગ-8 હ. મહદી અ.સ.ની ગૈબતમાં દિદારની શક્યતાઓ,
ભાગ-9 હ. મહદી અ.સ.ની ગૈબતમાં લોકોની ફરીયાદ સાંભળવી તથા મુશ્કેલોને દુર કરવી,
ભાગ-10 હ. મહદી અ.સ.ની ગૈબતમાં શીયાઓની દસ જવાબદારીઓ,
ભાગ – 11 હ. મહદી (અ.સ.) થી આપણા સુધી પહોંચેલી અને દોઆઓ જે ખાસ પ્રસંગો અને ખાસ દિવસો માટે મખ્સુસ છે.
ભાગ-12 હ. મહદી અ.સ.થી નઝદીકી હાસીલ કરવાના આમાલ અને શિષ્ટતા.

ફક્ત ઉપર આપેલા કિતાબના જુદા જુદા ભાગોનું વર્ણન જોવાથી ખબર પડે છે કે આ કિતાબ ઇમામે ઝમાના હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી (અ.સ.) વિશે કેટલી સંપૂર્ણ છે.
કાશ કોઇને એ તૌફીક અને સઆદત નસીબ થાય કે આ કિતાબને ઉર્દૂ તેમજ ગુજરાતી ભાષામાં તરજુમો કરે, જેથી લોકોની જાણકારી અને મોહબ્બતે ઇમામે અસ્ર (અજ.) માં વધારો થાય અને પોતાના ઇમામ અ.સ. ની વધારે નઝદીકી હાસીલ કરી શકે.

ઇન – તઝેરૂલ ફરજ વલા તયઅસુ મીન રવહિલ્લાહ, ફ ઇન્ન અહબ્બલ અઅમાલે એલલ્લાહ અઝઝ વ જલ્લ ઇન્તેઝારૂલ ફરજ
(એ લોકો! ઝુહુરની પ્રતિક્ષા કરો. અને અલ્લાહ તઆલાની રહેમતથી નિરાશ ન થાવ. બેશક! અલ્લાહ તઆલાની નઝદીક સૌથી વધુ પ્રિય કાર્ય ઝુહુરની પ્રતિક્ષા છે.)
જે લોકો આ ‘ખરેખર માર્ગદર્શક’ના ચાહક છે અને જેઓ હંમેશા તેમના હૃદયમાં તેની યાદને સાચવી રાખે છે – અને ખુદાવંદે આલમે આપેલી પ્રેરણાને સંચિત કરી છે કે ‘તે સમગ્ર જગતને અદલ અને ઇન્સાફથી ભરપુર કરી દેશે.’- તેવા લોકો હંમેશા જાગૃત, અડગ, ખુશ અને ઉત્કંઠાથી ભરપુર હોય છે. પછી તે લોકો ક્યાં છે?

જેઓના ગુણો આપણ છઠ્ઠા માર્ગદર્શક ઇમામ સાદિક (અ.સ.)ની મુબારક જીભથી વર્ણવવામાં આવ્યા છે:
‘મન સરરહુ અંય યકુન મીન અસ્હાબીલ કાએમે ફલ યનતઝેરૂ વલ યઅમલ બીલ વરએ વ મહાસેનીલ અખ્લાકે વ હોવ મુનન્તઝેરૂન.’
(જે કાએમ આલે મોહમ્મદ (અ.સ.) નો સંગાથ ઇચ્છે છે તે પોતાનામાં પ્રતિક્ષાની લાગણી ઉત્પન્ન કરે અને સંયમી, મીતાહારી અને શ્રેષ્ઠ સદ્ગુણો પ્રાપ્ત કરે. તેજ વ્યક્તિ સાચી રીતે પોતાના ઇમામની પ્રતિક્ષા કરનાર છે.)
એ ઇમામની પ્રતિક્ષા કરવાવાળા સમૂહો! નીકળી પડો! તમને મુબારક થાય! જલ્દી કરો! કારણકે તે પ્રભાત પ્રકાશિત થવામાં જ છે. તે પ્રભાતનું લશ્કર આવ્યું જ સમજો! જે ઝુલ્મ, અત્યાચાર, બળજબરી અને અન્યાયોના અંધારાઓ ઉપર હમલો કરશે. ‘ઇમામ’ પ્રતિક્ષા કરે છે અલ્લાહના હુકમની અને તમે? તેના હુકમના મુન્તઝીર રહો.
સમગ્ર જગત પ્રતિક્ષામાં છે – કાએમ આલે મોહમ્મદ (અ.સ.) – ખુદાની બાકી રહેલી હુજ્જત આ યુગ, આ સમયના ખરેખર માર્ગદર્શક !
આખરી તો એક રોઝ કરેગી નઝર વફા
વો યારે ખુશ ખેસાલ લબે બાન હી તો હય
ઝુહુરનો હુકમ થવામાં જ છે. તે સ્થાન લેવાના જ છે.
કાબાની દિવાલ પાછળથી અવાજ આવવા ચાહે છે : ‘હું કાએમે ઝમાના છું, હું જગતને અદલ અને ઇન્સાફથી ભરી દઇશ. જ્યારે કે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાઇ ચૂકી હશે.’
ઇમાનવાળાના દિલમાં તનમનાટ વ્યાપેલો છે. જગત પોતાના વિકૃત સ્વરૂપ્ને બદલીને ‘વસંતની બહાર’બનાવા ચાહે છે. ક્યાં છે તેના સાથી અને મદદગાર, તેની સાથે કદમ મેળવી ચાલનારા અને તેના અવાજમાં સૂર પુરાવવાવાળા? ક્યાં છે? પ્રતિક્ષાની સ્થિતિમાં રડવા અને તડપવાવાળા? સફળતા નઝદીક છે.
ખુદાનો આ વાયદો છે :

‘વઅદલ્લાહલ્લઝીન આમનુ મીનકુમ વ અમેલુસ્સલેહાતે લે યસતખલેફન્નહમ ફીલ અર્ઝે …… યઅબોદુનની લા યશુરેકુન બી શયઆ’(સુ. નુર, આયત 55)
ખુદાવંદે આલમે ઇમાન લાવનારા શુદ્ધ ચારિત્ર્યવાન બંદાઓને વાયદો કર્યો છે કે તેઓને જમીન ઉપર ખલીફા બનાવશે ….. જેઓ માત્ર મારી ઇબાદત કરે છે અને મારો કોઇ સાથીદાર નથી માનતા.

ખુદાવંદે આલમ વાયદાની વિરૂદ્ધ નથી કરતો… પરંતુ ક્યારે અને ક્યા સમયે?
બહુજ ઝડપથી…. પ્રભાત નઝદીક છે- જે પ્રભાત માટે આંખો જાગૃત છે. આ તિમિરમય રાત્રીઓમાં આ આંખોએ ઊંધની મજાજ ક્યારે માણી છે? અંધકારમાં મુખ ઉપર હવા ઉડી રહી છે. …. લ્યો અંધકાર વધુ છવાઇ ગયો. ઘનઘોર અંધકારમય રાત વધુને વધુ ગાઢ થઇ રહી છે. આવું કેમ ન બને? ‘હવે સત્કારનો પ્રકાશ નઝદીક છે.’

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *