હઝરત ઇમામે અસ્ર અલયહિસ્સલામનો લકબ ‘અલ-મહદી’

Print Friendly, PDF & Email

નબુવ્વત અને ઇમામતના ક્રમનો હેતુ લોકોની હિદાયત છે. (અજ્ઞાનતાના) અંધકારમાંથી મુક્તિ અપાવવી. ખરાબ ચારિત્ર્યથી પાક કરવા, માનવતાના ગુણોથી શોભાયમાન કરવા, પશુ જેવી ટેવો છોડાવવી અને ઇન્સાનને તેના નફસ ઉપર કાબુ મેળવવા માટે તૈયાર કરવો… પરસ્પર મેળ-મોહબ્બત, સતય અને વિશુધ્ધતાને અમલમાં મુકવા, દ્વેષ, ઇર્ષા, દુશ્માનવટથી દિલોને સાફ કરવા, બીજાઓના દુ:ખોને સમજવા, પોતાના (સ્વાર્થ) ઉપર બીજાને અગ્રતા આપવી, સંક્ષિપ્તમાં, બધી રીતે તેને ‘ઇન્સાને – કામિલ’ (સંપૂર્ણ-માનવ) બનાવવા અને અંબિયા અન અવલીયા અલયહેમુસ્સલામનો આદર્શ રહ્યો છે.
નફસાની ખ્વાહીશો – હીદાયતમાં અડચણ
ખ્વાહીશાતે નફસ ઉપર પ્રભુત્વ મેળવવા માટે પાકીઝા ફીતરત પરત્વે સંપૂર્ણ ઝુકાવ અને અકલની ઉચ્ચતા અનિવાર્ય છે. ખ્વાહીશાત એટલી બધી ખુશનુમા અને સુવાળી હોય છે કે જેવો ઇન્સાન તેના વિશે વચારે કે તરતજ તેને પોતાની તરફ મોહીલે છે. ઇન્સાન પહેલા ખ્વાહીશાતનો કેદી બને છે અને પછી ખ્વાહીશાતોના હાથે કતલ (બરબાદ) થઇ જાય છે. ખ્વાહીશાત પર પ્રભુત્વ મેળવવા માટે પુખ્ત બનવું જરૂરી છે. પુખ્તતા અને અકલી સમજણ એકાએક આવી જતી નથી. બાળક ધીરેધીરે સારા નરસાની પરખ કરતા શીખે છે. માનવ ધીમે ધીમે નેક અને બદની સમજણ પ્રાપ્ત કરે છે. ઇન્સાન તબક્કાવાર પ્રગતિ કરે છે. ઇન્સાની – અકલ એક પછી એક મંઝીલ સર કરતા કરતા મંજીલે કમાલ પ્રતિ આગળ વધે છે. આ સમજણ અને કમાલ અગાઉના હતા. પ્રવર્તમાન યુગમાં અકલ તો અમુક અંશે સંપૂર્ણ થઇ છે, પરંતુ પાકીઝા ફિત્રત સુધી પહોંચેલ નથી. જ્યારે અકલ બધી રીતે સંપૂર્ણ થઇ જશે, સમજણ પુખ્ત બની જશે, ફિત્રત જાગ્રત થઇ જશે ત્યોર સાચા માર્ગદર્શનના પ્રકાશમાં, ઇન્સાન પોતાની મેળે જ દીને-હક તરફ આવવા માંડશે. જ્યારે મખ્લુકાતની હકીકત મખ્લુક સ્પષ્ટ રીતે જાણી લેશે, તકદીરે આલમ દુનિયાના પ્રારબ્ધમાં તેની વિવશતા જાહેર થઇ જશે, ત્યારે ઇન્સાન ગૈર ખુદાના પૂજાથી પાછળ હટી જશે. એટું જ નહીં ખુદાએ – હકીકીની સામે સિજદામાં મસ્તક અટલું ઝૂકાવી દેશે. અને તે વખતે દીને-હક તમામ વિચાર ધારાઓ ઉપર પ્રભુત્વ મેળવી લેશે.
અંબિયાએ-કિરામ અને અવલિયાએ એઝામનો હેતુ ઇન્સાનોની હિદાયત છે. ખાસ કરીને આપણા નબીએ કરીમ હઝરત મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.)ને તો આખી સૃષ્ટિ માટે મોકલવામાં આવ્યા. તેઓ (સ.)ને બધી દુનિયાઓ માટે રહમત બનાવીને મોકલવામાં આવ્યા હતા. આપ (સ.અ.વ.)ની ઝાતે બાબરકત ઉપર જ દીને મોબીન પૂર્ણતાએ પહોંચ્યો હતો. દીનને વ્યાપાક અને વિસ્તૃત કરવાની જવાબદારી અવસીયાએ બરહક અલયહેમુસ્સસલામને સોંપવામાં આવી હતી. સમય અને સંજોગોએ અઇમ્મએ માસૂમીન (અ.સ.)ને એટલી ફુરસત ન આપી કે તેઓ દીને મોબીનને બાકાયદા પ્રચલીત કરી શકે અને દુનિયાના ખૂણે ખૂણામાં ‘હકીકીદીન’ પહોંચાડી શકે. વાત એ હદ સુધી પહોંચી ગઇ હતી કે કાતો તેઓ (અ.સ.) તલવાર લઇને મેદાનમાં આવી જાય અથવા મોન રહે. તલવાર ઉઠાવવામાં તેઓ (અ.સ.)ને પોતાનો હક તો મળી જાત પરંતુ સાથો સાથ દીનની પાયમાલી અને મુસલમાનોની ખૂનરેજી થવાનો પણ પ્રશ્ર્ન હતો. લોકો નવા નવા મુસ્લિમ બન્યા હતા અને તે લોકોમાં એટલી સમજણ ન હતી કે તેઓ સત્ય અને જૂઠ વચ્ચેનો ભેદ પારખી શકે તેમજ એ પરિસ્થિતિને પચાવી શકે. મૌલાએ કાએનાત હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.)ના શબ્દોમાં ‘અને હું વિચારવા લાગ્યો કે હું મારા કપાએલા હાથો વડે હુમલો કરૂં કે એ અંધેર ઉપર સબ્ર કરી લઉં જેના સદમાથી મોટી ઉમરની વ્યક્તિ વૃદ્ધ (અશક્ત) અને નાના (બાળકો) બુઢા થઇ જાય અને મોમિન રંજ અને સદમો ઉઠાવતો રહે એટલે સુધી કે તે પોતાના રબ સાથે મુલાકાત કરી લે. તો મને આ મુસીબત માટે સબ્ર કરવાનું જ યોગ્ય લાગ્યું. તેથી મે સબ્ર કરી એ રીતે કે એ સદમાથી મારી આંખોમાં કણાં પડ્યા હતા અને ગળામાં હડ્ડી ફસાઇ હતી.’
(નહજુલ બલગાહ, ખુત્બા : ૩)
લગભગ દરેક ઇમામની આવી જ પરિસ્થિતિ રહી હતી. તેથી અઇમ્મએ માસુમીન અલયહેમુસ્સલામે પોતાનું બધું ધ્યાન દીને હક અને તેની તાઅલીમાતની જાળવણી ઉપર કેન્દ્રિત કરી દીધું હતું તેથી જ તેઓએ અમુક લોકોની તરબીય્યત કરી અને તેઓને સંપૂર્ણ માનવના નમૂના બનાવ્યા જેથી કરીને દીને હક પોતાની તાઅલીમાત સાથે ઇલ્મી રીતે કિતાબોમાં અને અમલી રીતે અસ્હાબે કામિલના સ્વરૂપમાં રહે. હાલમાં દીનની જે શકલ નજરે પડે છે તે એ હઝરાતની તાલીમાત અને હિફાઝતનું પરિણામ છે. જો તે હઝારતે દીનની હિફાઝત કરી ન હોત તો દીન ખતમ થઇ ગયો હોત. તેઓના વજુદ અને તાઅલીમાતની અસર છે કે હવસખોર ઓલમા અને ઝાલિમ સત્તાધિશો દીનને જાહેર કરવા માટે મજબૂર બની ગયા હતા.
દીનને પ્રચલિત કરવાની અને હિદાયતે – કામિલની જવાબદારી છેલ્લા ઇમામ (અ.સ.)ને સોંપવામાં આવી છે. જેથી આપ (અ.સ.) ઝુહુર ફરમાવશે ત્યારે આખી દુનિયામાં દીન ફેલાવશે. દરેકને સેરાતે મુસ્તકીમ ઉપર લાવશે. દુનિયામાં કોઇ સરેાતે – મુસ્તકીમનું વિરોધી નહીં હોય. ઇન્સાન ખરા અર્થમાં ઇન્સાન હશે દુનિયાનો ખૂણે ખૂણો હઝરત ઇમામ મહદી (અ.સ.)ના ઝહૂરે – પૂર – નૂર પછી હીદાયત પામેલો હશે. તેથી આપ (અ.સ.)ને હાદી અને મહદી કહેવામાં આવે છે.
બધા ક્ષેત્રમાં હિદાયત
વૈચારીક હિદાયત, અમલની હિદાયત, અખ્લાકની હિદાયત, કાર્યોની હિદાયત, દિલની હિદાયત, સામુહિક હિદાયત, વ્યક્તિગત હિદાયત. – આમ જીવનનું કોઇ જ ક્ષેત્ર હિદાયતથી ખાલી નહીં હોય. ઇન્સાનો માટે જ નહીં, પરંતુ સમગ્ર કાએનાત હિદાયત પામશે. ફીત્ના – ફસાદ, દુષ્કાળ અને મોંઘવારી, નવી નવી બિમારીઓ, નવી નવી મુશ્કેલીઓ, નવા કોયડાઓ…. આ બધી દુવિધાઓ ઇન્સાનના ખરાબ કાર્યોનાં પરિણામ છે. જ્યારે ઇન્સાન પોતાના ખરાબ કાર્યા છોડી દેશે અને સેરાતે મુસ્તકીમ (હિદાયતના સીધા માર્ગ) ઉપર આવી જશે, ત્યારે ફિત્ના ફસાદનો આપમેળે જ અંત આવી જશે. દુષ્કાળ દૂર થઇ જશે. સમગ્ર ધરતી હરિયાળી થઇ જશે. ડર અને આતંકનો અંત આવી જશે. ચારે બાજુ અમ્નો – અમાન હશે. રિવાયતોમાં હઝરત ઇમામે અસ્ર અલયહીસ્સલામનો લકબ ‘અલ-મહદી’ના અનુસંધાનમાં એ સ્પષ્ટ જોવા મળે છે કે : હઝરત (અ.સ.)ને મહદી એ માટે કહેવામાં આવે છે કે : ‘તેઓ (અ.સ.) લોકોનું છુપી વાતો પ્રત્યે માર્ગદર્શન કરશે. તેઓ લોકોના તમામ રહસ્યો અને ભેદોને જાણતા હશે. એટલે સુધી કે કે જો કોઇ ઘરની ચાર દિવાલોની વચ્ચે કોઇ વાત કરશે તો તે દિવાલો હઝરત (અ.સ.)ની સામે સાક્ષી આપશે.’ એક રિવાયત પ્રમાણે હઝરત (અ.સ.) ખોવાઇ ગયેલી વસ્તુઓ પ્રત્યે લોકોને માર્ગદર્શન આપતા હોઇ તેઓ (અ.સ.)ને મહદી (અ.સ.) કહેવામાં આવે છે.
(બેહાર : ૫૧/૩૦)
બીજી એક રિવાયતમાં આ પ્રમાણે બયાન કરવામાં આવ્યું છે કે : જનાબે જાબિરે – જોઅફીની રિવાયત છે કે : હું હજરત ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની ખિદમતમાં હતો, ત્યારે એક શખ્સ હાજર થયો. અને અર્ઝ કરવા લાગ્યો : ખુદા આપની ઉપર રહમત નાઝિલ કરે. આ પાંચસો દિરહમ મારા માલની ઝકાત છે, તેને આપ કબુલ કરીને ખર્ચ કરો. હઝરતે ફરમાવ્યું : તું પોતે જ મુસલમાન પાડોશીઓ, યતિમો, ફકીરો, અને ભાઇઓમાં વ્હેંચી દે. કારણકે ઇમામે વક્તની ખિદમતમાં એ વખતે ઝકાત પેશ કરવી વાજીબ છે, જ્યારે અમારા કાએમનો ઝુહુર થશે અને તેઓ તેને સમાન રીતે વ્હેંચી દેશે. અને સારા અને ખરાબ વચ્ચે અદલો ઇન્સાફથી હુકુમત કરશે. જેઓ તેમની પૈરવી કરશે તેણે ખુદાની પૈરવી કરી ગણાશેજે તેમના હુકમની અવગણના કરશે તેણે ખુદાનો વિરોધ કર્યો ગણાશે.
તેઓને ‘મહદી’એ માટે કહેવામાં આવે છે કે ખુદા ગુપ્ત બાબતો પ્રત્યે તેઓની રાહૂનમાઇ કરશે. તે તૌરેત માનનારાઓની તૌરતથી અને ઇન્જીલના માનનારાઓની ઇન્જીલથી ઝબુરની માનવાવાળઓને ઝબુરથી અને મુસલમાનો વચ્ચે કુરઆને કરીમથી ફૈસલો કરશે.
દુનિયાની સમગ્ર સંપત્તિ જે જમીનના પેટાળમાં છે અને જમીનની ઉપર છે તે બધી તેઓ પાસે ભેગી થઇ જશે અને તેઓ લોકોને કહેશે : આવો, જે માલ માટે તમે લોકો એક બીજાના જીવ લઇ લેતા હતા, પરસ્પરનો સંબંધ તોડી નાખતા હતા, બીજાનું રક્ત વહાવતા હતા, હરામ કાર્યો કરતા હતા, આવો, એ માલ લઇ લો. ખુદાવંદે આલમ તેઓને એ સ્થાન અને મરતબો આપશે જેવો મરતબો આ પહેલા કોઇને અપાયો ન હતો.
હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ ફરમાવે છે કે : તેઓ મારાથી છે, તેઓનું નામ મારૂં નામ છે. ખુદાવંદે આલમ તેઓના વજૂદમાં મારી સુરક્ષા કરશે. તેઓ મારી સુન્નત ઉપર અમલ કરશે. ઝમીને ખુદાને એવી રીતે અદલો- ઇન્સાફ અને નૂરથી ભરી દેશે, જે રીતે તે ઝુલ્મો-અત્યાચાર અને બુરાઇઓથી ભરી હશે.
(બેહાર, ૫૧/૨૯)
હઝરત અલ્લામા મજલીસી (રહ.) ઉપરોક્ત હદીસના હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના આ વાક્ય ‘ખુદાવંદે આલમ તેઓના વજૂદમાં મારી સુરક્ષા કરશે.’નું વિવરણ આ પ્રમાણે કરે છે ‘ખુદાવંદે આલમ મારો હક અને એહતેરામ તેને અતા કશે. તેઓની મદદ કરશે. તેઓને ટેકો આપશે. એટલે સુધી કે વિશ્ર્વના લોકો રસુલે ખુદા (સ.અ.વ.)ના એહતેરામ અને હકની રીતે તેઓને ઓળખશે.’ ‘અલ-મહદી’ લકબ હઝરત વલી અસ્ર અલયહિસ્સલામ માટે કદાચ એ માટે મખ્સુસ કરવામાં આવ્યો હોય કે આપ (અ.સ.)નાજ ઝમાનામાં સમગ્ર દુનિયામાં હિદાયત હશે કોઇ એક વ્યક્તિ પણ ગુમરાહ નહીં હોય.
અમુક લોકો એ પ્રશ્ર્ન કરે છે કે મહદીનો અર્થ ‘હિદાયત પામેલા’ છે. અને હાદીનો અર્થ ‘હિદાયત કરનાર’ છે આ અર્થમાં હઝરત મહદી હિદાયત પામેલા છે હિદાયત કરનાર નથી.
આ પ્રશ્ર્નનો જવાબ એ છે કે જે હિદાયત પામેલ હશે, તેજ હિદાયત કશે, જે હિદાયત પામેલ નહીં હોય તે શું હિદાયત કરશે. જે મુજસ્સમ (સંપૂર્ણ) હિદાયત પામેલા હશે તેજ મુજસ્સમ હાદી છે. જેણે ઇલ્મ મેળવ્યું હશે તે જ મોઅલ્લીમ બનશે. જો કોઇ પોતેજ ઇલ્મથી કોરો હોય તે બીજાને શું ઇલ્મ આપે?
ગૈબતે – કુબરા અને ગૈબતે – સુગરાનો સંપૂર્ણ ઇતિહાસ સાક્ષી છે કે જેણે દિલના ઉંડાણથી હઝરત ઇમામ મહદી (અ.સ.) પાસેથી હિદાયત ચાહી તો હઝરત (અ.સ.)મે તેને હિદાયત આપી, કોઇને પણ હિદાયતથી વંચિત ન રાખ્યા. આજે પણ જે સાચા દિલથી હિદાયત મેળવવાની ઇચ્છા રાખે છે તેને તેઓ અવશ્ય હિદાયતથી નવાઝે છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *