અસ્બાતુ અર્-રજઅતે

Print Friendly, PDF & Email

અકીદએ ઇમામ મહદી (અજ.)  ‘અસ્બાતુ અર્-રજઅતે’ હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ઇમામત અગાઉ લખાયેલું પુસ્તક

હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની વિલાદત (હી.સ. ૨૫૫)ની પહેલા બુર્ઝુગ મરતબાવાળા ઔલમા અને અઇમ્મએ માઅસૂમીન અલયહેમુસ્સલામના અસ્હાબે કેરામ રિઝવાનુલ્લાહ અલયહીમે હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામ વિશે રિવાયતો બશારતો…. વગેરે પર આધારિત ઘણી કિતાબો લખી છે.
આ એક અફસોસજનક હકીકત છે કે તે કિતાબો પૈકી મોટા ભાગની કિતાબો યુગના અકસ્માતોનો ભોગ બની ગઇ અને તે કારણે આપણા સુધી પહોંચી ન શકી. એ કિતાબો પૈકીની એક અત્યંત મહત્ત્વની કિતાબ જે ખુદાવંદે આલમની ઇનાયતોથી આપણા સુધી પહોંચી, તેનું નામ ‘અસ્બાતુર – રજઅહ’ છે. આ ખૂબજ જુની કિતાબ છે, આ કિતાબ જલીલૂલ કદ્ર સહાબીએ ઇમામ (અ.સ.) જનાબ ફઝલ બિન શાઝાન નૈશાપૂરીએ લખેલી છે.
જનાબ અબૂ મોહમ્મદ ફઝલ બિન શાઝાન બિન ખલીલ નૈશાપૂરી ઇમામ અલીનકી અલયહિસ્સલામના જલીલુલ કદ્ર સહાબી, બુઝુર્ગ મર્તબાવાળા ફકીહ અને મોતકલ્લીમ (પ્રખર વક્તા) હતા. તેઓ હી.સ. ૨૬૦માં ઇન્તકાલ પામ્યા. આ એ વર્ષ છે જે વર્ષમાં હઝરત ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામની શહાદત થઇ, અને હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ઇમામતનો પ્રારંભ થયો. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે : ‘અસ્બાતુર – રજઅહ’ નામની કિતાબ હી.સ. ૨૬૦ પહેલા લખવામાં આવી છે. અથવા મોડામા મોડી એ જ વર્ષમાં લખાઇ છે. તેમજ આ કિતાબ કેટલી જૂની છે તે પણ જાણવા મળે છે. આ રીતે આ કિતાબ અત્યંત મહત્ત્વની છે. હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામના અકીદા વિશે આ કિતાબનું એક આગવું અને મહત્વપૂર્ણ સ્થાન છે.
કુતુબે – રેજાલ (રેજાલના પુસ્તકો)માં જનાબ ફઝલ બિન શાઝાનના ૮૦ (એંશી) પુસ્તકોનો ઉલ્લેખ જોવા મળે છે. ‘અલગયબત’ અને ‘અસ્બાતુર – રજઅહ’ આ બન્ને કિતાબો હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામ, તેઓ (અ.સ.)ની ગયબતના ઝમાનાની પરિસ્થિતિ અને ઝુહુર….. વગેરે બાબતો ઉપર આધારિત છે. ‘અલ – ગયબત’ નામની કિતાબ જનાબ સૈયદ મોહમ્મદ મીર લવ્હી ઇસ્ફહાની મરહુમ (વફાત ૧૦૮૩)ના ઝમાના સુધી હતી. તેઓ એ પ્રકાશિત કરેલી કિતાબ ‘કિફાયતુલ – મહદી’માં મજકૂર કિતાબમાંથી સીધે – સીધી હદીસો લઇને નોંધી છે. પરંતુ ‘અલ – ગયબત’ નામની તેઓની કિતાબ હાલમાં અપ્રાપ્ય છે. જે કિતાબોમાં તેનો સંદર્ભ (રેફરન્સ) આપીને કોઇ વાત લખવામાં આવી હોય, તેમાંથી એ કિતાબ (અલગયબત)માં વર્ણવાએલ બાબતો જાણી શકાય છે.
‘અસ્બાતુર – રજઅહ’ પણ સંપૂર્ણ (મૂળ સ્વરૂપમાં) આપણા સુધી પહોંચી નથી. ખુદાની ઇનાયતોથી માત્ર તેનું સંક્ષિપ્ત સ્વરૂપ બાકી રહેલે છે. નવમી સદીના મશહૂર આલિમ, સાહેબે – કિતાબ ‘અલ અન્વારૂલ મસ્ફીયહ’ જનાબ સૈયદ બહાઉદ્દીન અલી નયલી નજફીએ આ સંક્ષિપ્ત કાર્ય કરેલ છે. જેની અમુક પ્રતો મૌજુદ છે. તેમાંની એક પ્રત આયતુલ્લાહુલ ઉઝમા હઝરત સૈયદ મોહસીન હકીમ રહમતુલ્લાહ અલયહના પુસ્તકાલયમાં મૌજુદ છે. બીજી પ્રત શયખ મોહમ્મદ સમાવી મરહૂમ નજફે – અશરફમાં તેમજ ત્રીજી પ્રત કૂતુબે ખાનએ – આસ્તાને – કુદસ – રઝવી (લાઇબ્રેરી) મશહદ (ખુરાસાન – ઇરાન)માં મૌજુદ છે. આ ત્રણેય પ્રતો એ એક ભાગની નકલ છે, જેને જનાબ શયખ હુર્રે આમેલી રહમતુલ્લાહ અલયહ (વફાત – ૧૧૦૪) સંપાદન કરેલ છે.
આ કિતાબનું મહત્ત્વ એ રીતે પણ વધારે છે કે તે હઝરત ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામની શહાદત પહેલા લખવામાં આવી છે. આ કિતાબમાં હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામ વિશેની રિવાયતો અને બશારતો મૌજુદ છે. આ કિતાબમાં હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની હક્કાનીયત પર શંકા ઉપસ્થિત કરતા દુશ્મનોના પાયા વિહિન આક્ષેપોનો જવાબ આપવામાં આવ્યો છે. મોટા ભાગના ઉપર છલ્લું જ્ઞાન ધરાવતા લેખકો એવો એઅતરાઝ કરે છે કે હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ગયબતનો અકીદો હઝરત ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામની વફાત પછી ઘડી કાઢવામાં આવ્યો છે હકીકતમાં આ કિતાબ હઝરત ઇમામ અસ્કરી અલયહીસ્સલામની વફાત અને હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ગયબતની પહેલા લખવામાં આવી છે, અને આ કિતાબમાં હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ગયબત અને બીજી વિશેષતાઓનો ઉલ્લેખ છે.
જનાબ ફઝલ બિન શાઝાને આ કિતાબમાં જે રિવાયતોનો ઉલ્લેખ કર્યો છે. તે જલીલૂલકદ્ર અસ્હાબે અઇમ્માથી નકલ કવરામાં આવી છે. હાઝરત ઇમામ જાઅફર સાદિક અલયહીસ્સલામની અને તેઓની પહેલાના અઇમ્મા અલયહેમુસ્સલામની હદીસો સફવાન બિન યહ્યા, મોહમ્મદ બિન અલી ઉમરે અને હસન બિન અલી બિન ફઝાલ જેવા મોઅતબર અસ્હાબથી નકલ કરવામાં આવી છે. હઝરત ઇમામ અલી નકી અલયહીસ્સલામ અને હઝરત ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામની રિવાયત ફક્ત એક સંદર્ભથી અહમદ બિન ઇસ્હાક કુમ્મી, અબદુલ્લાહ બિન હસન કાતિબ અને મોહમ્મદ બિન અલી બિન હમઝહ વગેરે જેવા મુસ્તનદ (સ્વિકૃત) રાવીઓ દ્વારા નોંધવામાં આવી છે.
જનાબ સૈયદ અલી બિન અબ્દુલ કરીમ નયલી મરહૂમ જેઓએ આ કિતાબનો ખુલાસો લખેલ છે, તેઓએ માત્ર ૨૦ હદીસો ચૂંટી છે. જો કે મૂળ કિતાબ ઉપલબ્ધ નથી. તેથી મૂળ કિતાબ પૈકી આટલો (વીસ હદીસનો) ખજાનો સુરક્ષિત રહી શક્યો છે.
જો કે કિતાબનું નામ ‘અસ્બાતુર રજઅહ’ છે, પરંતુ માત્રા સાતમી અને સોળમી હદીસ રજઅતના વિષયને લગતી છે. આસંક્ષિપ્ત લેખ ‘અસ્બાતુર રજઅહ’ના તરજૂમા ઉપર આધારિત છે. આ ખાસ અંકના સ્થળ સંકોચને ધ્યાનમાં રાખીને હદીસોના સંદર્ભ લખવામાં આવ્યા નથી. પરંતુ માત્ર હદીસોનો અનુવાદજ પ્રસ્તુત કરવામાં આવે છે. હદીસોનું મૂળ લખાણ પણ નોંધવામાં આવ્યું નથી. આ ઉપરાંત જે હદીસો ઇમામ મહદી અલયહીસ્સલામ વિશેની નથી તેને પણ પ્રસ્તુત કરેલ નથી. જે બિરાદરો આખી મૂળ કિતાબનો અભ્યાસ કરવા માગતા હોય તેઓ ‘તરાસના’ નામના સામયીકના વર્ષ ૪ હિજરી સન ૧૪૦૯ના અંક નં. ૫નો અભ્યાસ કરી શકે છે. હદીસોનો શક્ય તેટલો સહેલો અનુવાદ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અલબત્ત અમુક જગ્યાએ સ્પષ્ટતા માટે ( ) કૌંસમાં શબ્દોનો વધારો કરવામાં આવ્યો છે. હવે આપની સમક્ષ એ અનુવાદ પ્રસ્તુત છે.
“મુખ્તસર – અસ્બાતુર – રજઅહ કિતાબનો અનુવાદ
હદીસ નં. ૧
હઝરત ઇમામ અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામે જનાબ સોલયમ બિન કયસનાં એક પ્રશ્ર્નના ઉત્તરમાં ફરમાવ્યું હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમે તેઓનો પવિત્ર હાથ મારી છાતી ઉપર રાખીને દુવા ફરમાવી હતી કે ખુદા મને ઇલ્મ, ફહમ (ઉંડી સમજણ) હિકમત અને નૂર અતા કરે અને ફરમાવ્યું કે : ખુદાયા, આમને તાલીમ આપ, સ્મરણશીક્ત અતા કર અને જે બાબતોની મેં તેમને તાલીમ આપી છે તે તેમની યાદાશ્તમાંથી ચાલી ન જાય.
મેં એક દિવસ હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ને અર્ઝ કરી : મારા મા-બાપ (સ.અ.વ.) આપ ઉપર કુરબાન, જે દિવસથી આપ (સ.અ.વ.)એ મારા હકમાં એ દુવા ફરમાવી છે, ત્યારથી હું કોઇ વસ્તુ ભુલ્યો નથી. જે વાતોની આપે મને તાલીમ આપી છે તે પણ ભૂલ્યો નથી. આપે જે વાતો મને શિખ્વી છે તે લખી લીધી છે. શું આપ મારા ભૂલી જવા વિશે ચિંતિત છો?
આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું : ………અય બિરાદર! હું તમારી જહાલત (અજ્ઞાનતા) અને ભૂલી જવા વિશે ફીકરમંદ નથી. હું તમારા માટે દુવા કરવા માંગુ છું. નિશંક, ખુદાવંદે આલમે તમારી અને તમારા સાથીઓની ઇતાઅતનો ઉલ્લેખ મારી અને તેની (અલ્લાહની) ઇતાઅતના વર્ણન સાથે કર્યો છે. મારા જાનશીન ગણાવ્યા છે. તેઓ વિશે ફરકમાવ્યું છે કે : “અય સાહેબે – ઇમાન, ખુદા, રસૂલ, અને તમારી વચ્ચેના વલીએ અમ્રની ઇતાઅત કરો.
મેં પુછ્યું : અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.) તે હઝરાત કોણ છે? ફરમાવ્યું ….. તે મારા અવસીયા છે. લોકો તેઓની મદદ ન કરે તો તેઓ (અવસીયા) માટે નુકસાનકારક વાત નથી. તેઓ કુરઆનની સાથે છે. કુરઆન અને આ (અવસીયા) હૌઝે કૌસર ઉપર મારી મુલાકાત ન કરે ત્યાં સુધી એક બીજાથી જુદા નહીં થાય. તેઓ મારફત મારી ઉમ્મતની મદદ થશે. તેઓના કારણેજ વર્ષા થાય છે. તેઓના લીધેજ બલાઓ દૂર થાય છે. તેમના વસીલાથી જ દુવાઓ કબુલ થાય છે.
મેં અર્ઝ કરી : ખુદાના રસૂલ (સ.અ.વ.) તેઓના નામ બયાન ફરમાવી દો. ફરમાવ્યું : અય ‘અલી’ તેઓમાંથી તમે પહેલાં છો, ત્યાર પછી મારો આ ફરઝન્દ (પોતાનો હાથ મુબારક ઇમામ હસન અલયહીસ્સલામના માથા ઉપર રાખ્યો) તેના પછી મારો આ ફરઝન્દ (પોતાના હાથ મુબારક ઇમામ હુસૈન(અ.સ.)ના માથા ઉપર રાખ્યો ત્યાર પછી હુસૈન (અ.સ.)ના ફરઝન્દ જેનું નામ તમારા નામથી છે તે ઝયનુલ અલયહીસ્સલામના ફરઝન્દ જેનું નામ તમારા નામથી છે તે ઝયનુલ આબેદીન અલયહીસ્સલામ તેની વિલાદત તમારા જમાનામાં થશે, તેઓને મારા સલામ કહેજો. તે પછી તેમના ફરઝન્દ મોહમ્મદ બાકિર અલયહીસ્સલામ છે. જેઓ મારા ઇલ્મનો પ્રસાર કરનારા અને વહીએ – ઇલાહીના સંરક્ષક છે. તેઓ પછી તેમના ફરઝન્દ જાઅફર સાદિક અલયહીસ્સલામ, તેમના પછી તેઓના ફરઝન્દ મુસા કાઝીમ અલયહીસ્સલામ, તેમના પછી તેમના ફરઝન્દ અલી રઝા અલયહીસ્સલામ, તે પછી તેમના ફરઝન્દ મોહમ્મદ તકી અલયહીસ્સલામ, તેઓના પછી તેમના ફરઝન્દ અલી નકી અલયહીસ્સલામ, તેઓ પછી તેમના ફરઝન્દ હસને ઝકી અલયહીસ્સલામ અને તેમના પછી હુજ્જતે કાએમ (અજ.) છે. તેઓ અવસીયા અને ખોલફાના ક્રમની અંતિમ કડી છે. તેઓ (અ.સ.) મારા દુશ્મનો પાસેથી બદલો લેશે. ઝમીન જે રીતે ઝુલ્મો જૌરથી ભરી હશે, તેને અદલો – ઇન્સાફથી ભરી દેશે.
ત્યાર બાદ હઝરત અલી અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામે ફરમાવ્યું : ખુદાની કસમ, હું એ તમામ લોકોને ઓળખું છું, જે હજરે – અસ્વદ અને મકામે ઇબ્રાહીમની વચ્ચે તેઓની બયઅત કરશે, હું તેઓના અન્સારના નામ અને તેઓના કબીલાથી પણ પરિચિત છું.
હમ્માદ બિન ઇસા કહે છે કે : આ હદીસ મેં મારા આકા હઝરત ઇમામ જાઅફર સાદિક અલયહીસ્સલામની સામે બયાન કરી. હઝરતે રૂદન ફરમાવ્યું અને કહ્યું સોલયમેં સાચું કહ્યું છે. કારણકે મારા પિતાએ તેમના વાલિદે બુઝુર્ગવાર, અલી ઇબ્નુલ હુસયન પાસેથી, તેઓએ પોતાના પિદરે – બુઝુર્ગવાર હુસયન બિન – અલી (અ.સ.)થી આ હદીસ મને બયાન કરી છે તે ઓએ હઝરત અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામને આ હદીસ એ વખતે સંભળાવી હતી. જ્યારે સોલયમ તેઓને પ્રશ્ર્ન પૂછી રહ્યા હતા.
હદીસ નં. ૨
હઝરત ઇમામ હસન અલયહીસ્સલામે ફરમાવ્યું : મે મારા નાના હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ને આં હઝરત પછી નોકબાઅ… ઇમામો વિશે પુછયું : આં હઝરત (સ.અ.વ.) ફરમાવ્યું : મારા પછી ઇમામ, નોકબાઅ…. બની ઇસ્રાઇલની સંખ્યા જેટલા ૧૨ (બાર) હશે. ખુદાવંદે આલમે તેઓ (અ.સ.)ને મારૂં ઇલ્મ અને ફહમ અતા કરેલ છે. અને અય ‘હસન’ (અ.સ.) તમો તેઓમાંથી છો. પછી મેં પુછયું : અય, ખુદાના રસૂલ અમો એહલેબયત (અ.સ.)ના ‘કાએમ’નો ઝુહુર ક્યારે થશે? ફરમાવ્યું : અય હસન (અ.સ.) તેઓનું દ્રષ્ટાંત કયામત જેવું છે. ખુદાવંદે – આલમે આસમાન અને ઝમીનના રહેવાસીઓથી, તેઓના ઝુહુરની વાત ગુપ્ત રાખી છે તેઓ અચાનક જ ઝુહુર ફરમાવશે.
હદીસ નં : ૩
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલયહીસ્સલામે ફરમાવ્યું : હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમે હઝરત અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામને ફરમાવ્યું કુરૈશ તમારી ઉપર પ્રભુત્વ મેળવશે. તમે હકીકતને વ્યક્ત કરશો. અને બધા ભેગા મળીને તમારા પર ઝુલ્મ અને સીતમ કરશે. જો તમને કોઇ મદદગાર મળે તો તેમનો મૂકાબલો કરજો અને જો મદદગાર ન મળે તો સબ્ર કરજો. અને જીવની હિફાઝત કરજો. શહાદત તો તમારી પાછળ પાછળ છે.
નિશંક જે લોકોએ તમારી ઉપર તમારી અવલાદ ઉપર અને તમારા શીયાઓ ઉપર ઝુલ્મ કર્યો છે તેઓ પાસેથી દુનિયામાં મારો ફરઝંદ બદલો લેશે. અને આખરેતમાં ખુદાવંદે – આલમ આ ઝાલિમોને સખ્ત અઝાબ આપશે.
હઝરત સલમાને ફારસીને પુછયું કે : અય ખુદાના રસૂલ (સ.અ.વ.) તે બદલો લેનાર કોણ છે? ફરમાવ્યું : મારા ફરઝંદ હુસૈન (અ.સ.)નાં નવમાં ફરઝંદ, જેઓ એક લાંબા કાળની ગયબત પછી જાહેર થશે. ખુદાના હુકમનો જનસાધારણમાં પ્રસાર કરશે, ખુદાના દીનને જાહેર કરશે, ખુદાના દુશ્મનો પાસેથી બદલો લેશે, અને જમીન જે રીતે ઝુલ્મો – જૌરથી ભરી હશે, તેવી જ રીતે તેને અદલો – ઇન્સાફથી ભરી દેશે.
જનાબે – સલમાને પુછ્યું : અય ખુદાના રસુલ (સ.અ.વ.) તેઓ ક્યારે જાહેર થશે? આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું : તેનું ઇલ્મ ફક્ત ખુદાને છે. પરંતુ તેની કેટલીક નિશાનીઓ છે. જેમ કે આસમાની અવાજ, પૂર્વ અને પશ્ર્ચિમમાં બયદા (નામની જગ્યા જે મકકા અને મદીનાની વચ્ચે છે તે) માં જમીનનું ઘસી જવું.
હદીસ નં. ૪
અબૂ ખાલિદ કાબલીનું બયાન છે કે : હું મારા આકા હઝરત ઇમામ ઝયનુલ આબેદીન અલયહીસ્સલામની ખિદમતમાં હાજર થયો. તેઓનાં હાથમાં એક સહીફો (પુસ્તક) હતો. જે તેઓ વાંચી રહ્યા હતા અને રડી રહ્યા હતા. મેં અર્ઝ કરી : અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.) મારા મા-બાપ આપની ઉપર કુરબાન થાય આ ક્યું પુસ્તક છે?
ફરમાવ્યું : આ લવ્હનો એક ભાગ છે જે ખુદાએ, રસુલે ખુદા (સ.અ.વ.)ને ભેટ રૂપે આપ્યું છે. આમાં ખુદાનું નામ, તેના રસૂલ (સ.અ.વ.) અમીરૂલ મોઅમેનીન (અ.સ.) મારા કાકા હસન બિન અલી (અ.સ.), મારા વાલિદે બુઝુર્ગવારનુ: નામ છે. આમાં મારૂં નામ, મારા ફરઝંદ – મોહમ્મદ બાકિર (અ.સ.)નું નામ, તેઓના ફરઝંદ જાઅફર સાદિક (અ.સ.)નું, તેઓના ફરઝંદ મુસા કાઝિમ (અ.સ.), તેમના ફરઝંદ અલી રઝા (અ.સ.), તેમના ફરઝંદ મોહમ્મદ તકી (અ.સ.), તેમના ફરઝંદ અલી નકી (અ.સ.), તેમના ફરઝંદ હસન ઝકી (અ.સ.) અને તેમના ફરઝંદ હુજ્જત (અ.સ.) જેઓ ખુદાના હુકમથી કયામ કરશે, તે બધાના નામ મોજૂદ છે. તેઓ ખુદાના દુશ્મનો પાસેથી બદલો લેશે એમની ગૈબત લાંબી હશે. પછી તેઓ ઝાહીર થશે. જમીન જે રીતે ઝુલ્મો – જોરથી ભરપુર હશે તેવીજ રીતે તેને અદલો – ઇન્સાફથી ભરી દેશે.
હદીસ નં. ૫
હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલયહીસ્સલામે ફરમાવ્યું : હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમે. હઝરત અલી બિન અબી તાલિબને ફરમાવ્યું મોમીનો પરખુદ એમને પોતાને પોતા પર ઇખ્તેયાર હોય, તેના કરતા મને તેમના પર વધારે ઇખ્તેયાર તથા વિલાયત છે. મારા પછી તમને આ ઇખ્તેયાર હાસિલ છે. તે પછી હસન (અ.સ.) તે પછી હુસૈન (અ.સ.), તે પછી અલી ઇબ્નુલ હસૈન (અ.સ.), તેના પછી મોહમ્મદ બિન અલી (અ.સ.), તે પછી જાઅફર બિન મોહમ્મદ (અ.સ.) પછી મુસા બિન જાઅફર (અ.સ.), તે પછી અલી બિન મુસા (અ.સ.), તે પછી મોહમ્મદ બિન અલી (અ.સ.), તેના પછી અલી બિન મોહમ્મદ (અ.સ.), અને તેના પછી હસન બિન અલી (અ.સ.)….. બધાને એક પછી એક ક્રમાનુસાર અને અખત્યાર હાસિલ છે અને પછી હુજ્જત બિન હસન (અ.સ.)ને. તેઓ પર ખિલાફત અને વસાયતનો અંત આવી જશે. તેઓ લાંબા સમય સુધી ગયબત કરશે. અને ત્યાર પછી જાહેર થશે. તેઓ (અ.સ.) દુનિયા જે રીતે ઝુલ્મ અને અત્યાચારથી ભરેલી હશે. તેને અદલો ઇન્સાફથી ભરી દેશે.
હદીસ નં. ૬
ઇમામ જાઅફર સાદિક અલયહીસ્સલામે ફરમાવ્યું : હઝરત અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામને હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની હદીસ ‘હદીસે સકલૈન’માં આવતા ‘ઇતરત’ શબ્દનો અર્થ પૂછવામાં આવ્યો ત્યારે હઝરતે ફરમાવ્યું : “હું, હસન (અ.સ.), હુસૈન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ની નસ્લમાંથી નવ ઇમામ ‘ઇતરત’ છીએ. જેમાંના નવમાં ‘મહદી અજ.’ છે. આ લોકો ખુદાની કિતાબથી જુદા નહીં થાય અને ખુદાની કિતાબ તેઓથી જુદી નહીં થાય, એટલે સુધી કે હવ્ઝે કૌસર પર હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની મુલાકાત કરે.
હદીસ નં. ૭
હઝરત ઇમામ મોહમ્મદે બાકીર (અ.સ.) ફરમાવે છે : હઝરત ઇમામ હુસૈન (અ.સ.) પોતાની શહાદતની એક રાત પહેલા, પોતાના સહાબીઓને સંબોધીને ફરમાવ્યું : હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ મને કહ્યું : ‘હે મારા ફરઝંદ! તમો સરઝમીને ઇરાક તરફ સફર કરશો જ્યાં એક જગ્યાનું નામ કરબલા અથવા ઉમુરા છે ત્યાં પહોંચશો. તમો અને તમારા સાથે તમારા અમુક સાથીઓ શહીદ થશો. રસુલે ખુદા (સ.અ.વ.)એ જે ફરમાવ્યું હતું એ સમય પાસે આવી ગયો છે. હું આવતી કાલે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પાસે જઇશ. તમારમાંથી જે કોઇ પાછા જવા માગતા હોય તો આ રાતમાંજ પાછા જઇ શકે છે. મારા તરફથી પૂરી રજા છે. કોઇ રોક નથી. ઇમામે (અ.સ.) બહુજ તાકીદ કરી પણ કોઇ પણ જવા તૈયાર ન થયા. બધાએ કહ્યું : ખુદાની કસમ આપથી જુદા નહીં થઇએ. જ્યાં આપ જશો ત્યાં અમો પણ સાથે આવશું.
આ સાંભળી ઇમામે હુસૈન (અ.સ.)એ ફરમાવ્યું : તમોને જન્નતની બશારત થાય. ખુદાની કસમ, શહાદત પછી જ્યાં સુધી ખુદા ચાહશે ત્યાં સુધી આપણે બરઝખમાં રહેશું. અને પછી ખુદાવંદે આલમ આપણને બધા અમારા કાએમ (અજ.)ના ઝુહુર વખતે આપણી કબ્રોથી બહાર કાઢશે પછી તેઓ (કાએમ (અજ.)) ઝાલીમોથી બદલો લેશે આપણે બધા એ આપણી આંખોથી જોઇશું. (એ ઝાલીમોની હાલત એ હશે કે) તૌક, ઝંજીરો અને જુદી જુદી રીતના અઝાબ અને સંકજામાં સપડાએલા હશે.
પુછવામાં આવ્યું કે : અય ફરઝંદે રસુલ (સ.અ.વ.) આપના ‘કાએમ’ (અજ.) કોણ છે? ફરમાવ્યું : મારા ફરઝંદ મોહમ્મદ બીન અલી (અ.સ.)ની નસ્લમાંથી સાતમાં ફરઝંદ હુજ્જત બીન હસન (અજ.) બીન અલી બીન મોહમ્મદ બીન અલી બીન મુસા બીન જઅફર બીન મોહમ્મદ બીન અલી (અ.મુ.સ.) મારા ફરઝંદ છે. એક બહુજ લાંબી મુદ્દત સુધી ગૈબતમાં રહ્યા પછી ઝુહુર ફરમાવશે. જમીનને અદલ – ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને જૌરથી ભરેલી હશે.
હદીસ નં. : ૮
અબુ ખાલિદ કાબલીનું બયાન છે કે : હું મારા આકા ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ની ખિદમતમા હાજર થયો અને અર્ઝ કરી : અય ફરઝંદે રસુલ (અ.સ.) આપ મને એ લોકો વિશે જણાવો કે એ લોકો કોણ છે જેઓની ઇતાઅત કરવી અને તેઓ સાથે મોહબ્બત કરવી ખુદાએ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પછી વાજીબ ગણાવી છે.
હઝરતે (અ.સ.) ફરમાવ્યું : અય કાબલી, બેશક ઉલીલ-અમ્ર એ હઝરાત છે જેઓને ખુદાવંદે – આલમે લોકોના માર્ગદર્શક અને પેશ્વા બનાવ્યા છે. એન તેઓની ઇતાઅત અલી બિન અબી તાલિબ (અ.સ.) તેઓ પછી મારા કાકા, ‘હસન’ (અ.સ.) ત્યાર પછી મારા વાલિદ ‘હુસૈન’ (અ.સ.) અને તેઓ પછી આ ક્રમ મારા સુધી પહોંચ્યો. આમ કહ્યા: પછી ઇમામ મૌન રહ્યા.
મેં અર્ઝ કરી કે : આ રિવાયત હઝરત અમી‚રૂલ મોઅમેનીન (અ.સ.)થી નકલ કરવામાં આવી છે કે ધરતી હુજ્જતે ખુદાથી ખાલી રહી શકતી નથી. આપ (અ.સ.)ની પછી હુજ્જતે ખુદા કોણ છે?
હઝરતે (અ.સ.) ફરમાવ્યું : મારો ફરઝંદ મોહમ્મદ (અ.સ.) જેનું નામ આસમાની કિતાબોમાં ‘બાકિર’ છે. તેઓ ઇલ્મને ખૂબજ પ્રસરાવશે – ફેલાવશે – તેઓ મારા પછી ખુદાની હુજ્જત અને ઇમામ છે. તેઓ પછી તેઓના ફરઝંદ ‘જાફર’ (અ.સ.) જેઓનું નામ આસમાની કિતાબોમાં ‘સાદિક’ છે. મેં અર્ઝ કરી તેઓનું નામ સાદિક કેમ છે? વાસ્તવમાં તો તેમને બધાજ સાદિક છો! ફરમાવ્યું : મારા વાલિદે તેઓના બુઝુર્ગવારો પાસેથી અને તેઓ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી રિવાયત કરી છે કે : જ્યારે મારા ફરઝંદ જાફર (અ.સ.) બિન મોહમ્મદ બિન અલી બિન હુસયન બિન અલી બિન અબી તાલિબની વિલાદત થાય ત્યારે તેમનું નામ સાદિક રાખશે. કારણકે તેની પાંચમી પેઢીમાં એક એવો ફરઝંદ હશે, તેનું નામ પણ જાફર હશે, પરંતુ તે ઇમામતનો ખોટો દાવો કરશે તેનું નામ ‘જાફરે કઝઝાબ’ છે. તે ખુદા તરફથી ખોટી વાતોનો સંબંધ જોડશે. તેનામાં જે બાબતોની લાયકાત નહી હોય તેવી બાબાતોનો દાવો કરશે. આ એ છે જે વલીએ એ ખુદાની ગયબતનો પરદો ચીરવાનો પ્રયત્ન કરશે.
ત્યાર પછી ઇમામે ખૂબજ ‚દન ફરમાવ્યું : અને કહ્યું : જાણે કે હું જાફરે કઝઝાબને જોઇ રહ્યો છું કે તે ગયબતે ઇલાહીમાં સુરક્ષિત વલીએ ખુદાની શોધખોળ માટે પોતાના સમયના હાકીમને ઉશ્કેરી રહ્યો છે. અને પોતાને પોતાના પિતાના પ્રતિનિધિ તરીકે જાહેર કરી રહ્યો છે. જ્યારે કે તે તેમના મરતબાનો જાણકાર છે અને જો તેના હાથમાં તેઓ આવી જાય તો તેમને કત્લ કરી નાખવા માટે લોલુપ છે. તે પોતાના ભાઇના વારસાની લાલચ કરશે અને નાહક તે લઇ લેશે. મેં અર્ઝ કરી : અય ફરઝંદે રસુલ (સ.અ.વ.) શું આ બધું થશે? ફરમાવ્યું: ખુદાની કસમ! બેશક (થશે) આ બધું આ સહફામાં લખેલું છે. જેમાં રસુલે ખુદા (સ.અ.વ.) પછી અમારી ઉપર પડનારી દરેક મુસીબતોનો ઉલ્લેખ છે.
મે અર્ઝ કરી : અય ફરઝંદે રસુલ (સ.અ.વ.) એ પછી શું થશે? ફરમાવ્યું : હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) પછી અંબિયા અને અવસીયાના બારામાં વસી અને ઇમામની ગયબત કાયમ રહેશે. અય અબૂ ખાલિદ, બેશક તેઓની ગયબતના જમાનામાં લોકો, જેઓ તેઓ (અ.સ.)ની ઇમામત ઉપર શ્રદ્ધા રાખતા હશે અને તેઓના ઝહુરની (આગમનની) પ્રતિક્ષા કરતા હશે તેઓ (અગાઉના) દરેક જમાનામાં લોકોથી ઉત્તમ છે. કારણકે ખુદાવંદે આલમે તેઓને એટલી અકલ અને ફહમ (સમજણ) અતા કરી છે કે તેઓની નજરોમાં ગયબત – દીદાર (રૂબરૂ મુલાકાત) સમાન છે. ગયબતના જમાનામાં તેઓનું સ્થાન હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની સાથે શમશીર ચલાવનારા જેટલું છે. તે લોક નિશંક અમારા નિર્મળ ભાવનાવાળા અને સાચા શિયા છે. એ લોકો છૂપી અને જાહેર રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના દીનનું આમંત્રણ આપશે.
ઇમામ અલયહીસ્સ્લામને ફરમાવ્યું : ઝુહુરનો ઇન્તેઝાર કરવો એ શ્રેષ્ઠ ખુશહાલી છે.
હદીસ નં. : ૯
મોહમ્મદ બિન અબ્દુલ જબ્બારનું બયાન છે કે : મારા આકા હઝરત હસન (અસ્કરી) બિન અલી અલયહીસ્સલામને અર્જ કરી અય ફરઝંદે રસુલ (સ.અ.વ.) હું આપ ઉપર કુરબાન થઇ જાઉં. હું એ જાણવા માંગુ છું કે આપ (અ.સ.)ની પછી લોકો ઉપર ખુદાની હુજ્જત અને ઇમામ કોણ છે?
ફરમાવ્યું : મારા પછી ઇમામ અને હુજ્જતે ખુદા મારા ફરઝંદ છે, જે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના હમનામ અને હમ કુન્નીયત (સમાન નામ અને કુન્નીયતવાળા) છે. તેઓ હુજ્જતે ખુદાના ક્રમની અંતિમ કડી છે. તેઓ ખુદાના અંતિમ ખલીફા છે.
અર્ઝ કરી : તેઓન કોની કુખથી પેદા થશે? ફરમાવ્યું: કયસરે રૂમની પૌત્રીની કુખથી પેદા થશે .તેઓ લોકોની નજરોથી લાંબા સમય સુધી ગાયબ રહેશે. પછી જાહેર થશે. દજ્જાલ સાથે જંગ કરશે. ઝમીન જે રીતે ઝુલ્મ અને અત્યાચારથી પૂર્ણ હશે તેને (તેવી જરીતે) અદલો – ઇન્સાફથી ભરી દેશે. આ કારણોસર તેઓ (અ.સ.)ના ઝહુર પહેલા તેઓના નામ અને કુન્નીયનો ઉલ્લેખ કરવાની પરવાનગી નથી.
હદીસ નં. ૧૦
અહમદ બિન ઇસ્હાકનું બયાન છે કે : મેં હઝરત ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામ પાસેથી સાંભળ્યું : એ ખુદાની હમ્દો સના કે જેણે જ્યાં સુધી મેં મારો જાનશીન જોઇ ન લીધો ત્યાં સુધી મને દુનિયામાંથી ઉઠાવી ન લીધો. તે સુરત અને સીરત (દેખાવ અને અમલ)માં રસુલે ખુદા (સ.અ.વ.) સાથે સૌથી વધારે મળતા છે. ખુદાવંદે આલમ ગયબતના દિવસોમાં તેઓની સુરક્ષા કરશે. તે પછી તેઓને જોહર કરશે. પછી તેઓ ઝમીનને એ રીતે અદલો ઇન્સાફથી ભરી દેશે કે જે રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરી હશે.
હદીસ નં. ૧૧
મોહમ્મદ બિન અલી હમ્ઝહનું બયાન છે કે : મેં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ને આ પ્રમણે ફરમાવતા સાંભળ્યા કે : વલીએ ખુદા, હુજ્જતે ખુદા મારી પછી મારા જાનશીન ૧૫મી શાઅબાન હી.સ. ૨૫૫ની રાત્રે સવારના સમયે ખત્ના થયેલા વિલાદત પામ્યા. તેઓને સૌથી પહેલા જન્નતનાં ખાઝીન ‘રીઝવાન’ અલ્લાહના મુકર્રબ ફરીશ્તા એની સાથે મળીને કવસર અને સલસબીલના પાણીથી નવડાવ્યા. ત્યાર પછી મારા ફુઇ જનાબે હકીમા બિન્તે ઇમામ મોહમ્મદ તકી (અ.સ.)મેં નવડાવ્યા.
ત્યાર પછી રાવીએ તેઓની માતા વિશે પુછયું : હઝરત ફરમાવ્યું : તેઓની માતા શાહઝાદી છે. તેઓને ક્યારેક ‘સોસન’ ક્યારેક ‘રયહાના’ અને ક્યારે ‘ફયસલ’ કહેવામાં આવે છે. ‘નરજીસ’ પણ તેઓના નામોમાંથી એક નામ છે.
હદીસ નં. ૧૨
ઇબ્રાહીમ બિન મહંમદ બિન ફારસ નૈશાપૂરીનું બયાન છે કે : અમરૂ‚ બિન અવ્ફ નાસ્બી (એહલેબૈત (અ.સ.)નો દુશ્મન) હતો. અને શિયાઓના લોહીનો તરસ્યો હતો. મને એ જાણકારી મળી કે તે મને કત્લ કરી નાંખવા માગે છે. હું ડરી ગયો, મેં મારા બાળ બચ્ચા અને મિત્રોથી વિદાય લીધી. હું ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામના ઘરે ગયો. તેઓ (અ.સ.) પાસેથી પણ વિદાય મેળવીને હું ભાગી જવા માગતો હતો. જ્યોર હું ઇમામ (અ.સ.)ના ઘરે ગયો ત્યારે મેં એક બાળકને ઇમામ (અ.સ.) પાસે બેસેલા જોયા જેનો ચહેરો પૂનમના ચાંદ જેવો ચમકતો હતો. હું તે બાળકની નૂરાનીયતથી એટલો બધો પ્રભાવિત થઇ ગયો કે મારી મુશ્કેલીઓને ભૂલીજવાની સ્થિતિમાં આવી ગયો. તે બાળકે પોતે કહ્યું : અય ઇબ્રાહીમ ડરીશ નહીં. ખુદાવંદે આલમ તેની (દુશ્મની) બુરાઇથી તને સુરક્ષિત રાખશે.
આ સાંભળીને મારા આશ્ર્ચર્યમાં અનેક ગણો વધારો થઇ ગયો. મેં ઇમામ હસન અસ્કરી (અ.સ.)ને અર્ઝ કરી: અય મારા આકા, હું આપ ઉપર કુરબાન, આ કોણ છે? મારા દિલની વાત બયાન કરી રહ્યા છે. ફરમાવ્યું : મારા ફરઝંદ છે, મારી પછી મારા જાનશીન છે. તેમની ગયબત લાંબી હશે. જ્યારે ઝમીન ઝુલ્મો – જૌરથી ભરાઇ જશે, ત્યારે તેઓ જાહેર થશે. અને દુનિયાને અદલો -ઇ ન્સાફથી ભરી દેશે.
મેં તેઓનું નામ પુછયું : ફરમાવ્યું : રસુલે ખુદા (સ.અ.વ.)નું નામ અને કુન્નીયત તેજ તેનું નામ અને કુન્નીયત છે. કોઇ તેમના નામ અને કુન્નીયતથી યાદ કરે તે યોગ્ય નથી. એટલે સુધી કે ખુદાવંદે આલમ તેઓની હકુમત અને સલ્તનતને જાહેર કરી દે. અય ઇબ્રાહીમ તમે જે કાંઇ જોયું અને મારી પાસેથી જે કાંઇ સાંભળ્યું છે. તેને યોગ્ય (પાત્ર) વ્યક્તિ સમક્ષ જ બયાન કરજો, તે સિવાય કોઇ સમક્ષ બયાન કરતા નહીં.
રાવી કહે છે કે : મેં ઇમામ હસન અસ્કરી (અ.સ.) અને ઇમામ મહદી અલયહીસ્સલામ ઉપર દુરૂદ મોકલી. ખુદાવંદે આલમના ફઝલના સહારે ઇમામ મહદી અલયહીસ્સલામની વાતોથી આશા બાંધીને ઘરની બહાર નીકળ્યો. મારા કાકા અલી બીન ફારસે મને ખુશખબર આપ્યા કે : મોઅતમદ અબ્બાસીએ પોતાના ભાઇને મોકલ્યો છે. અને તેને હુકમ આપ્યો છે કે અમરૂ‚ બીન અવ્ફને કતલ કરી નાખે. એણે અમરૂ ધરપકડ કરી અને તેના ટુકડે – ટુકડા કરી નાખ્યા.
વલ – હમ્દો – લિલ્લાહે રબ્બીન આલમીન.
હદીસ નં : ૧૩
અબ્દુલ્લાહ બિન હુસય્ન કાતિબે હઝરત ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામથી આ રિવાયત નોંધી છે.
બની ઉમ્મીયા અને બની અબ્બાસે અમારી વિરૂદ્ધમાં બે કારણોસર તલવારો બુલંદ કરી હતી.
(૧) એક તો એ કે તેઓ જાણતા હતા કે ખિલાફતમાં તેઓને કોઇ હક નથી. તેઓને એ વાતનો ડર હતો કે : અમેં ખિલાફતનો દાવો કરીશું તો ખિલાફત અમોને મળી જશે.
(૨) બીજું એ કે તેઓને મુત્વાતીર (નીરંતર) ખબરો ધ્વારા એ વાતની જાણ થઇ ચૂકી હતી કે અમારા કાએમના હાથે ઝાલિમોની હુકુમતનો અંત આવશે. તેઓને પોતેજ પોતાને ઝાલિમ હોવામાં જરા પણ શંકા ન હતી. તેથી તેઓ એહલેબયતે – રસુલ (સ.અ.વ.)ને કત્લ કરી નાખવા માગતા હતા. તેઓનો વંશ નાબૂદ કરી નાખવા માંગતા હતા, જેથીતે કાએમની વિલાદત થવા ન દે. અથવા તો તેઓને કત્લ કરી નાંખે. પરંતુ ખુદાએ તેઓને પોતાના કામની જાણ થવા ન દીધી. મુશ્રીકોને તે વાત અણગમતી હોવા છતાં ખુેદા પોતાના નૂરને સંપૂર્ણ કરવા ઇચ્છતો હતો.
હદીસ નં. ૧૪
હઝરત ઇમામ જાફર સાદિક અલયહીસ્સલામે ફરમાવ્યું : અંબિયા અને અવસીયા અલયહેમુસ્સલામના મોઅજીઝા પૈકી કોઇ મોઅજીઝો એવો નથી જેને ખુદાવંદે આલમ અમારા કાએમના હાથો વડે જોહર ન કરે. જેથી દુશ્મનો ઉપર હુજ્જત તમામ થઇ જાય.
હદીસ નં. : ૧૫
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ સલ્લમે ફરમાવ્યું : કયામતની પહેલા દસ વસ્તુઓ અવશ્ય જાહેર થશે.
(૧) સુફયાની (૨) દજ્જાલ (૩) ધૂમાડો (૪) જમીન ઉપર ચાલનાર (દાબ્બતુલ – અર્ઝ)નું બહાર નીકળવું, (પ) કોઅમ (અ.સ.)નો ઝુહુર (૬) પશ્ર્ચિમ દિશામાંથી સૂર્યોદય થવો, (૭) જનાબે ઇસા (અ.સ.)નું નાઝીલ થવું, (૮) પૂર્વમાં જઝીરતુલ – અરબમાં જમીનનું ધસી જવું, (૯) સર ઝીમને અદનના ઉંડાણમાંથી આગ નીકળવી, (૧૦) લોકોનું કયામત તરફ આગળ વધવું.
હદીસ નં . ૧૬
હઝરત ઇમામ જાફર સાદિક અલયહીસ્સલામે ફરમાવ્યું: સુફયાનની બુરાઇ, દજ્જાલ અને બીજા ફીત્નાઓથી ખુદાની પનાહ મેળવો.
પુછવામાં આવ્યું : અય ફરઝંદે રસુલ (સ.અ.વ.) અમે દજ્જાલને તો જાણીએ છીએ અને આપની હદીસોના પ્રકાશમાં તેના કામોથી વાકેફ છીએ પરંતુ આ સુફયાની અને બીજા ફીત્ના ફેલાવનારા કોણ છે?
ફરમાવ્યું : શામની એક સૂકી જમીનમાંથી સુફયાની નીકળશે. તે ઉત્બહ બિન – અબુ સુફયાનના વંશમાંથી હશે. તે મલઉન પ્રારંભમાં તો ઝોહદ વ્યક્ત કરશે…… પછી ખિલાફતનો દાવો કરશે. લોકો તેમની બયઅત કરશે. એ ઓલમા તેની પૈરવી કરશે જે હકીકત છુપાવતા હતા અને બાતિલને જાહેર કરતા હતા. આ ઓલમાઓ એમ કહેશે કે આ જમીન પર સૌથી બહેતર શખ્સ આ (સુફયાની) છે.
સુફયાનીનું પ્રકટ થવું અને યમનની સરઝમીન પરથી સફેદ વાવટાઓ સાથે યમાનીનું નીકળવું, એકજ મહીના અને એકજ વર્ષમાં થશે.
સુફયાનીની હુકુમત ૨૦ વર્ષ સુધી રહેશે.
હદીસ નં. ૧૭
હઝરત ઇમામ જઅફર સાદિક અલયહિસ્સલામે ફરમાવ્યું : ખુરાસાની, સુફયાની અને યમાનીનું ખુરૂઝ (પ્રગટ થવું, બહાર આવવું) એકજ મહિના અને એકજ વર્ષમાં થશે. તે ત્રણેયના ધ્વજમાંથી એક પણ ધ્વજ યમાની કરતા વધારે હીદાયત પામેલા નહીં હોય. કારણકે તેની હક તરફ હિદાયત કરવામાં આવશે.
હદીસ નં. ૧૮
હઝરત ઇમામ જઅફર સાદિક અલયહીસ્સલામે ફરમાવ્યું : અમારા કાએમ રઅબ દ્વારા સફળ થશે. ખુદા તરફથી તેમની મદદ થશે. તેઓ (અ.સ.) માટે ઝમીન સમથળ થઇ જશે. તેઓ માટે તમામ ખજાનાઓ જાહેર થઇ જશે. ખુદાવંદે આલમ તેઓ મારફત તમામ મઝહબો ઉપર દીને ઇસ્લામને પ્રભુત્વ આપશે. ભલે તે બાબત મુશ્રીકોને ભારે કેમ ન પડે? તેઓની હુકુમત પૂર્વથી માંડીને પશ્ર્ચિમ સુધી રહેશે. તેઓ ધરતી પરની તમામ બરબાદીઓને આબાદ કરશે. હઝરત ઇસા રૂહુલ્લાહ બિન મરિયામ અલયહીસ્સલામ નાઝીલ થશે તેઓ (અ.સ.)ની પાછળ નમાઝ પડશે.
એક માણસે પુછ્યું : અય ફરઝંદે રસુલ આપના કાએમ ક્યારે ઝુહુર ફરમાવશે? ફરમાવ્યું : જ્યારે પુરૂષો સ્ત્રી જેવા અને સ્ત્રીઓ પુરૂષો જેવી થઇ જશે. પુરૂષો – પુરૂષોથી અને સ્ત્રી – સ્ત્રીઓથી સંતોષ મેળવશે. ઔરતો સવારી કરશે. ખોટી સાક્ષી કબુલ કરવામાં આવશે. ઇન્સાફને ઠોકર મારવમાં આવશે. લોકો ખૂન, બદકારી, રિશ્ર્વત, વ્યાજખોરીને સામાન્ય સમજશે. ખરાબ લોકો સારા લોકો ઉપર પ્રભુત્વ મેળવશે. શામથી સુફયાની અને યમનથી યમાની બહાર આવશે. બયદાઅ નામની જગ્યાએ જમીન ઘસી જશે. આલે મોહમ્મદ (સ.અ.વ.) અલયહેમુસ્સલામની નસ્લમાંથી એહમદ બિન હસન નામનો માણસ જેનો લકબ “નફસે – ઝકીયહ’ છે તેને હજરે – અસ્વદ અને મકામે – ઇબ્રાહીમની વચ્ચે કત્લ કરવામાં આવશે. આસમાનમાંથી અવાજ બલંદ થશે કે “હક અલી અને તેના શિયાઓ સાથે છે. તે વખતે અમારા કાએમ જાહેર થશે.
જ્યારે તેઓ જાહેર થશે ત્યારે (તેઓની) પીઠ ખાનએ કાઅબા તરફ હશે. ૩૧૩ માણસો તેઓની આજુ બાજુમાં ભેગા થઇ હશે. તેઓ આ આયતથી વાતચીતનો પ્રારંભ કરશે.
બકીયતુલ્લાહે – ખયરૂલ – લકુમ – ઇન – કુન્તુમ મૂઅમેનીન.
હું હુજ્જતે ઇલાહીની અંતિમ હુજ્જત છું, ખુદાની હુજ્જત છું અને તમારી વચ્ચે ખલીફએ – ખુદા છું. લોકો તેઓને આ રીતે સલામ કરશે. “અસ્સલામો અલય્ક યા બકીયતુલ્લાહે ફી અરઝેહી. અને જ્યારે તેઓની આજુબાજુ ૪૦૦૦ માણસો એકઠા થઇ જશે ત્યારે તેઓ મક્કાથી કયામ કરશે. (તે વખતે) જમીન ઉપર ખુદા સિવાય બીજા કોઇ ગૈરની ઇબાદત નહી થાય અને જે ગૈર ખુદાની ઇબાદત કરશે તેને બાળી નાખવામાં આવશે. આ બાબત લાંબા સમયની ગયબત પછી બનશે.
ઉપરોક્ત હદીસ હઝરત ઇમામ મોહમ્મદ બાકીર અલયહિસ્સલામથી પણ નોંધવામાં આવી છે.
હદીસ નં. ૧૯
હઝરત ઇમામ જાફર સાદિક અલયહિસ્સલામે ફરમાવ્યું. અમુક લોકો પોતાના બિસ્તર ઉપરથી ગાયબ થઇ જશે. અસ્હાબે બદ્રની જેમ તેઓની સંખ્યા ૩૧૩ હશે. તેઓ સુબ્હના સમયે મક્કા પહોંચી જશે. આ ખુદાનો કૌલ છે કે : “તમે જ્યાં પણ હશો ખુદા તમને લઇ આવશે.
(સુરએ બકરહ : ૧૪૮)
આજ લોકો કાએમ (અ.સ.)ના અસ્હાબ છે.
હદીસ નં : ૨૦
એક માણસે હઝરત ઇમામ જાફર સાદિક અલયહિસ્સલામને પુછયું કે : આપના કાએમ ક્યા જમાનામાં જાહેર થશે? ફરમાવ્યું : જ્યારે ગુમરાહી વધી જશે, હિદાયત ઘટી જશે, ફીત્ના ફસાદમાં વૃદ્ધિ થશે, કલ્યાણ અને સુધારણામાં ઘટાડો થઇ જશે. પુરૂષો પુરૂષોથી અને સ્ત્રીઓ સ્ત્રીઓથી (જાતિય) સંતોષ મેળવશે. ફોકહા દુનિયા તરફ થળી જશે. શોઅરા શેર અને શાયરી દ્વારા ઇઝઝત મેળવશે. અમુક સાહેબાને – બિદઅત વાંદરા અને સુવ્વર બની જશે. સુફીયાની કત્લ થશે. તે વખતે દજ્જાલ નીકળશે. અને લોકોની ગુમરાહીમાં વધારો કરશે. તે વખતે ૨૩મી માહે મુબારક રમઝાનની રાતે ‘કાએમ’ના નામો અવાજ પોકારવામાં આવશે. તેઓ આશુરાના દિવસે કયામત કરશે. હું જાણે તેઓને જોઇ રહ્યો છું કે તેઓ હજરે અસ્વદ અને મકામે – ઇબ્રાહીમ વચ્ચે ઉભા છે. જીબ્રઇલ તેઓની સામે ઉભા રહીને અવાજ બુલંદ કરી રહ્યા છે કે : બયઅત ખુદા માટે છે. પછી હઝરત મહદી (અ.સ.)ના માનનારાઓ તેઓ તરફ આવશે.
(ખુદાયા તેઓ (અજ.)ની બયઅત અને પયરવી કરનારાઓમાં અમારી ગણત્રી ફરમાવ. બેહક્કે મોહમ્મદ વ આલેહીત તાહેરીન.
“અને ચોક્કસ અમે પહેલી યાદદેહાની પછી ઝબૂરમાં પણ એ વાત લખી દીધી છે કે. બેશક અમારા નેક બંદાઓ જમીનના વારસ બનશે.”
(કુરઆને કરીમ, સુરએ અમ્બીયા : ૧૦૫)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *