ઈમામે ઝમાના (અ.સ.)ના બારામાં ૧૪ સવાલો (ભાગ-૨)

Print Friendly, PDF & Email

بِسْمِ ﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ صَلَّی اهُٰ عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا

પ્રસ્તાવના :-

આજની દુનિયામાં આપણને જુદી જુદી મઝહબી માન્યતા ધરાવતા લોકો જોવા મળે છે તેમાંથી અમુક વકતાઓ છે, અમુક લેખકો છે, જે પોતાના વિચારોને વ્યકત કરવામાં કુશળ હોય છે અને બીજા સાધારણ દરજ્જાના એ લોકો પણ છે, જેઓ પોતાના વિચારોમાં ખોવાઈને કોઈપણ ખોટી માહિતીથી પ્રભાવિત થઈ જાય છે. તેઓ પોતાની ખોટી માન્યતા સાચી સાબિત કરવા બધા જ પ્રયત્નો કામે લગાડે છે, પરંતુ નકલી અને જુઠ કયારેય અસલી અને સાચુ નથી બની શકતું. આથી હકથી ગુમરાહી તેમનો અને તેમના પ્રચારકોનો અંત બને છે.
આ બારામાં એક દાખલો ઇબ્ને ખલ્દુન છે. ઈબ્ને ખલ્દુન ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના વિષે શક ધરાવે છે જ્યારે કે રીસાલતે મઆબ(સ.અ.વ.)ની ભવિષ્યવાણી ઉપર તમામ ઇસ્લામી ફીરકા એ વાત ઉપર એકમત છે કે આપ (સ.અ.વ.) ના બાર જાનશીન હશે અને તે બધા જ ઔલાદે ફાતેમા (સ.અ.)માંથી હશે અને બારમાં જાનશીન ઇમામ મહદી (અ.સ.) હશે, જે આ દુનિયાને અદ્લ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે, જેવી રીતે આ દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. એવીજ રીતે બીજી પણ નિશાનીઓ આપ હઝરત(સ.અ.વ.) એ બયાન ફરમાવી છે.
બીજો દાખલો જલાલુદ્દીન સીયુતીનો છે, તેણે પોતાની અજ્ઞાનતા જાહેર કરતા લખ્યું છે કે બાર જાનશીન પયગંબરે ઇસ્લામના વખતના ચાર ખલીફાઓ છે, ચાર બની ઉમય્યાથી છે અને બે બની અબ્બાસથી છે, અને બે ખલીફા વિષે જાણકારી નથી. પરંતુ ભરોસાપાત્ર હદીસો સાબિત કરે છે કે આખરી ઝમાનામાં બારમાં જાનશીન કયામ કરશે અને તે દુનિયાને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે.
બીજી એક મશ્હુર હદીસ કે જે તમામ મુસલમાનો સ્વીકારે છે:
‘જે પોતાના ઝમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી જાય તો તે જેહાલતની (કુફ્રની) મૌતે મરશે.’
આવી સ્પષ્ટ હદીસોનો ઇન્કાર થઈ શકતો નથી. આથી તેનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે જેના થકી પાયા વગરનો બચાવ કરવામાં આવે છે. આ ઘોંઘાટમાં ઈમામ માટે રડનારનો અવાજ દબાઈ જાય છે. એ અવાજ કે જે મઝલુમોના આખરી ઈમામ હઝરત હુજ્જત ઈબ્નિલ હસન (અ.ત.ફ.શ.) તરફ બોલાવે છે તે સંભળાતો નથી. આથી ઈન્કાર કરવાવાળા જ નહીં પણ માનનારાઓમાં પણ શંકાઓ ઉભી થાય છે.
આ કિતાબ લખવાનો મકસદ શંકાશીલ લોકોના દીલોમાંથી શક દુર કરવાનો છે. તેમજ બીજો લોકો જેના દિમાગમાં સવાલ ઉભા થાય તેના જવાબ આપવાનો છે. આજના ગુનાહિત અને ભ્રષ્ટ વાતાવરણમાં આપણી જાતને બચાવવાનો આ એક પ્રયત્ન છે. સાથોસાથ આપણા ઝમાનાના ઈમામ (અ.સ.) ની મઅરેફતને મજબુત કરવાની કોશીશ છે.
આ દુનિયાની ઝીંદગી થોડાક દિવસની છે અને પોતાના મહિના અને વર્ષો પસાર કરીને ખત્મ થઇ જશે. પરંતુ આખેરતમાં તેમાં કરેલા આઅમાલનો હિસાબ થશે, જેમાંથી કોઇ બચવાનું નથી. ફકત એજ બચી શકશે જે ઈમામ (અ.સ.) ના રક્ષણમાં હશે.
અય અલ્લાહ તબારક વ તઆલા! એ ઝાત કે જે તારી આખરી હુજ્જત છે, તેની ઉપર અમારા ઇમાન અને યકીનને આખરી શ્ર્વાસ સુધી કાયમ રાખજે. આમીન સુમ્મ આમીન.

સવાલ : ૧ ઇમામ(અ.સ.)ના અસ્તિત્વના બારામાં શંકા-કુશંકા નાબુદ કરવા માટે ઇમામે ઝમાના(અ.સ.)નું નામ કુરઆનમાં શા માટે વર્ણવવામાં નથી આવ્યું?

જવાબ : કુરઆને કરીમમાં ઇલાહી શખ્સીયતોનું વર્ણન ત્રણ રીતે કરવામાં આવ્યું છે અને દરેક માટે ખાસ કારણસર અલગ રીત અપનાવવામાં આવી છે. ક્યારેક નામ થકી, ક્યારેક સંખ્યા વડે અને ક્યારેક લાક્ષણીક્તા વડે ઓળખાવવામાં આવ્યા છે.
ભલે ઇમામે ઝમાના(અ.સ.)નું નામ કુરઆનમાં ન હોય, પરંતુ ઇમામે ઝમાના(અ.સ.)ની ખુસુસીયાત અને ઇમામે ઝમાના(અ.સ.)ની હુકુમતના બારામાં કુરઆનમાં દર્શાવવામાં આવ્યું છે. કુરઆને શખ્સીયતોનું વર્ણન કરવા માટે આખી દુનિયાને આવરી લેતી મસ્લેહતનું ધ્યાન રાખ્યું છે. ક્યારેક મસ્લેહતના કારણે શખ્સીયતોની સિફાત બયાન કરવામાં આવી છે. જેમકે ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં આવું જ કરવામાં આવ્યું છે. આથી:-
(૧) આવી હુકુમતને સ્થાપવાના બારામાં કયારેક વિસ્તારથી અને ક્યારેક ઇશારામાં ખુલાસો કરવામાં આવ્યો છે. સુરએ તૌબા, આયત નં. ૩૩ અને સુરએ સફ, આયત નં. ૯ ની જે આયતોમાં ઇસ્લામને આખી દુનિયામાં ફેલાવવાની ખુશખબરી આપવામાં આવી છે જેમકે,
`જેથી તેને (ઇસ્લામને) આખી દુનિયા ઉપર ફેલાવી દે.’
અહીં ઇશારો તે હુકુમતના બારામાં છે. કેમકે તફસીરકારો કહે છે કે આ આયતમાં જેમાં ઇસ્લામનો પરચમ આખી દુનિયા ઉપર લહેરાવવાની વાત કરવામાં આવી છે તે વાયદો પુરો નથી થયો.
આ સિવાય સુરએ અંબીયા આયત નં. ૧૦૬ માં ખુદાવન્દે આલમ ફરમાવે છે:
“અમે ઝીક્ર એટલે કે કુરઆનના પહેલા ઝબુરમાં લખી દીધુ છે કે જમીનના વારસ અમારા નેક બંદાઓ બનશે.
આ આયત આપણને ખુશખબરી આપી રહી છે કે, નેક લોકો જમીનના વારસ બનશે અને આખી દુનિયાના રાજ્યની લગામ સંભાળશે અને ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે અલ્લાહનો આ વાયદો હજુ સુધી પુરો નથી થયો.
(૨) જો ઇમામે ઝમાના(અ.સ.)નું અસલ નામ (કુરઆનમાં) નથી લેવામાં આવ્યુ તે મસ્લેહતના કારણે છે અને આ મઅરેફત તથા ફઝીલત ધરાવનારા લોકોથી છુપુ નથી, તે માટે કે જે કારણના લીધે હ.અલી(અ.સ.)નું નામ નથી લેવામાં આવ્યુ તેજ કારણના લીધે ઇમામે ઝમાના(અ.સ.)નું નામ નથી લેવામાં આવ્યુ. અગર જો અઇમ્માહ (બાર ઇમામો અ.સ.)ના નામ (કુરઆનમાં) લેવામાં આવ્યા હોત તો બદ્ર, ઓહદ, અને હોનૈનનો છુપાએલો કીનો પાછો જીવંત થઇ જાત. આ કારણસર અલ્લાહ તઆલાએ આ વાતને આવી રીતે બયાન કરી છે.
“અમારા નેક બંદાઓ જમીનના વારસ થશે”
જનાબે લુકમાન અને જનાબે ઝુલ્કરનૈનના નામથી ભવિષ્યમાં આવનારા લોકો સાથે સરખામણી થઈ ન શકે. ભુતકાળમાં થઇ ગયેલા લોકોના બારામાં હસદ અને કીનાને ભડકાવી નથી શકાતો અને ન તો તકસાધુઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે. પરંતુ ભવિષ્યમાં આવનારા લોકો માટે આ જોખમ હોય છે. શું તમે એમ વિચારો છો કે ફક્ત કુરઆનમાં નામ આવવાથી મુશ્કીલ હલ થઇ જશે? શું તમો એમ વિચારો છો કે જો ઇમામે ઝમાના(અ.સ.)નું નામ કુરઆનમાં લેવામાં આવે તો ઈતિહાસનાં આ લાંબા સમયગાળામાં શું શક્ય નથી કે સ્વાર્થી અને શોહરતના ભુખ્યા લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવતે અને અમુક લોકો પોતાના ખાસ હેતુ પુરા કરવા ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્તિત્વનો જ ઇન્કાર કરી દેતે? ઇતિહાસના અનુભવથી એ વાતની ખબર પડી જાય છે કે અગર ઇમામે ઝમાના(અ.સ.)નું નામ કુરઆનમાં સ્પષ્ટપણે આવત તો પણ સ્વાર્થી અને જુઠા લોકો મહદવીય્યતનો જુઠો દાવો કરત અને પોતાનું નામ “મહદીએ મવઉદ” રાખત, જેથી વહેતી ગંગામાં પોતાના હાથ ધોઇ લે અને તેમના નામ અને લોકોના ઇન્તેઝારનો ખોટો ફાયદો ઉપાડી લે.
શું અલ્લાહે રસુલે ખુદા(સ.અ.વ.)નું નામ ઇન્જીલમાં જણાવ્યું ન હતું? હા! બેશક જણાવ્યું હતું પરંતુ દુનિયા પરસ્ત લોકોએ તેનો ખોટો ઉપયોગ કર્યો. આ કારણના લીધે ઇમામે ઝમાના(અ.સ.)ની લાક્ષણીક્તાઓ (કુરઆનમાં) બયાન કરવામાં આવી છે, જેથી એ લોકો જેના દીલ મઅરેફતથી ભરાએલા છે, તેઓ ઇમામે ઝમાના(અ.સ.)ને ઓળખી લે અને સાચા ઇમામ તથા જુઠા દાવેદારમાં ફરક કરી શકે.

સવાલ : ૨ શું ઇમામે ઝમાના(અ.સ.)નું અસલી નામ ગયબતના ઝમાનામાં લેવું જાએઝ છે?

જવાબ : ઇમામે ઝમાના(અ.સ.)ને તેઓની કુન્નીયત અથવા લકબથી યાદ કરવા દા.ત. હુજ્જત, કાએમ, મહદી, સાહેબુઝ્ઝમાન(અ.સ.) વિગેરે કહેવું યકીનન જાએઝ છે અને આમાં કોઇ શક નથી. પરંતુ શું ઇમામ(અ.સ.)નું અસલ નામ એટલે કે “મીમ હે મીમ દાલ” લઇ શકાય છે કે નહીં તે માટે ઓલમાની અલગ અલગ રાય છે. પરંતુ સંશોધનથી ખબર પડે છે કે ઇમામે ઝમાના(અ.સ.)નું મશ્હુર નામ લેવુ ઘણી રીતે શક્ય છે.
(૧) કિતાબમાં લખવાનુ જાએઝ હોવામાં કોઇ શક નથી કારણકે નામ લેવાની દલીલ અહીં મનાઇ નથી કરતી. આ સિવાય હંમેશા મુત્તકી અને પરહેઝગાર આલિમો જેમકે જ. કુલૈનીથી લઇને અત્યાર સુધીના આલિમોની રીત રહી છે કે તેઓએ પોતાની કિતાબોમાં ઇમામે ઝમાના(અ.સ.)નું નામ લખ્યું છે અને આ માટે કોઇએ વાંધો પણ ઉપાડ્યો નથી.
(૨) ઇમામે ઝમાના(અ.સ.)નું નામ ઇશારા અથવા કુન્નીયતથી લઇ શકાય છે જેમકે ઇમામે ઝમાના(અ.સ.)નું નામ રસુલે ખુદા(સ.અ.વ.)નું નામ છે. ઇમામે ઝમાના(અ.સ.)ની કુન્નીયત રસુલે ખુદા(સ.અ.વ.)ની કુન્નીયત છે. આ પણ જાએઝ છે એ જ દલીલથી જે અગાઉ દર્શાવી. આ સિવાય શીઆ અને સુન્ની હવાલાથી સંખ્યાબંધ રિવાયતો મળે છે જેમાં ખુલાસો છે કે:
`મહદી મારા ફરઝંદો માંથી છે તેમનું નામ મારૂં નામ છે અને તેમની કુન્નીયત મારી કુન્નીયત છે.’
(કમાલુદ્દીન વ તમામુન્નેઅમહ, શૈખે સદુક, પા: ૨૮૬)
એ વાત યાદ રહે કે આ બે રીતે નામ લેવું ત્યારે જ જાએઝ થશે કે જ્યારે ડર અને ખૌફ ન હોય કારણકે ડર અને ખૌફ એવી બાબતોમાંથી છે કે જે દરેક જાએઝને હરામ બનાવવાનું કારણ બને છે.
(૩) ઇમામે ઝમાના(અ.સ.)નું નામ દોઆ તથા મુનાજાતમાં પણ લેવું સ્પષ્ટ રીતે જાએઝ છે.
(૪) ઇમામે ઝમાના(અ.સ.)નું નામ સમાજમાં દર્દે દીલ બયાન કરવા માટે ખાનગીમાં લેવામાં આવે તે યકીનન જાએઝ છે. કારણકે અસલ નામ લેવાની મનાઇ કરતી દલીલ અહીં લાગુ પડતી નથી. નામ લેવાનું જાએઝ હોવું અને નામ લેવાનું જાએઝ ન હોવાની દલીલો કોઇ બીજી દલીલ સાથે ટકરાશે નહીં. જ્યારે કે રસુલે ખુદા(સ.અ.વ.)ની એક હદીસના સંદર્ભમાં આવ્યું છે કે:-
`કાફિર સિવાય આપ (ઇમામે ઝમાના અ.સ.)ના કયામ પહેલા જાહેરમાં કોઇ તેમનું નામ નહીં લે.’
(મુસ્તદરકે વસાએલ, મીરઝા હુસૈન નુરી, ભાગ:૨ પા:૩૮૦)
(૫) ઇમામે ઝમાના(અ.સ.)નું નામ ડર અને ખૌફ દા.ત. દુશ્મનોની બેઠકોમાં જેમનાથી તકય્યા કરવો વાજીબ છે ત્યાં ઇમામે ઝમાના(અ.સ.)નું નામ લેવુ બેશક હરામ છે અને આમાં કાંઇ ઇખ્તેલાફ નથી. જેમકે આના હરામ હોવા ઉપર ઘણી રિવાયતો વારિદ થઈ છે.
(૬) ઇમામે ઝમાના(અ.સ.)નું નામ તે મજલીસો અને બેઠકોમાં લેવું જ્યાં કોઇ પ્રકારનો ડર અને ખૌફ ન હોય તે બારામાં ઘણી બહેસ અને ચર્ચા થઇ છે. અમુક ફોકહાનું કહેવુ છે કે ઘણી રિવાયતો મૌજુદ છે કે આ જગ્યાએ પણ ઇમામે ઝમાના(અ.સ.)નું નામ લેવાની મનાઇ કરે છે. આ રીવાયતો માંથી એક રિવાયતમાં ઇમામ હાદી(અ.સ.)એ ફરમાવ્યું :
`મારા પછી મારો જાનશીન મારો દીકરો હસન છે. તમે મારા જાનશીન પછી શું કરશો?’
રાવીએ કહ્યુ: `અલ્લાહ મને તમારા ઉપર કુરબાન કરે, કેમ?’
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
`એ માટે કે તમે ઇમામને વ્યકિતગત રીતે જોઈ નહીં શકો અને તેઓનું નામ લેવું તમારા માટે જાએઝ નહીં હોય.’
રાવી કહે છે મેં કહ્યું: તો પછી અમે તેમને કઇ રીતે યાદ કરીએ?
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
`તમે કહો હુજ્જતે આલે મોહમ્મદ (અ.સ.).’
(ઉસુલે કાફી, કુલૈની, પા: ૩૨૮)
ખુદ ઇમામે ઝમાના(અ.સ.)ની તવકીઅ (પત્ર) માં ઇમામ(અ.સ)થી વારિદ થયેલ છે કે:
`મલ્ઉન છે, મલ્ઉન છે તે શખ્સ જે લોકોની મહેફીલમાં મારૂં નામ લે.’
(કમાલુદ્દીન, ભાગ-૨, પાના નં. ૪૮૩, હ. ૧, બેહારૂલ અન્વાર, ભાગ: ૫૩ પા: ૧૮૪)
અમુક ફોકહા કહે છે કે: ઇમામે ઝમાના(અ.સ.)નું અસલ નામ તકય્યાની જગ્યા ઉપર લેવું હરામ છે અને બીજી તરફ એવી રિવાયતો પણ મૌજુદ છે, જે ઇમામ(અ.સ.)ના નામને લેવાને જાએઝ ઠેરવે છે. બન્ને પ્રકારની રિવાયતોનો સુમેળ કરવાનો એકમાત્ર રસ્તો આ છે જે બીજી દલીલો પણ રજુ કરતા આ વાત સહીહ લાગે છે. આ બારામાં શીઆઓના મહાન આલિમ અલી બિન ઇસા અરબેલી કહે છે કે: મારો ફતવો ઇમામ(અ.સ.)ના અસલી નામ લેવામાં મનાઇના બારામાં ફકત તકય્યાના સમયે છે પણ અત્યારે ઇમામ(અ.સ.)નું નામ લેવામાં કોઇ વાંધો નથી.
(કશફુલ ગુમ્માહ, અલ્લામા અરબેલી, ભાગ: ૨ પા:૫૨૦)
તેથી ઉપરની વાતોના અનુસંધાનમાં કહી શકાય કે: ઇમામે ઝમાના(અ.સ.)નું નામ લેવુ એટલે કે મોહમ્મદ ઇબ્ને હસને અસ્કરી(અ.સ.) કહેવું અત્યારે કે જ્યારે આપણા માટે તકય્યા જરૂરી નથી, જાએઝ છે.
(કવાએદુલ ફકીહ ભાગ: ૩ પા: ૧૨૪)

સવાલ : ૩ શું ઇમામે ઝમાના(અ.સ.) ઇમામ હુસૈન(અ.સ.)ના દિકરા છે અને ઇમામ હસન(અ.સ.)ના નહીં?

જવાબ : ઇસ્લામી રિવાયતોથી જે વાત યકીની રીતે જાણવા મળી છે તે એ છે કે ઇમામે ઝમાના(અ.સ.) ઇમામે હુસૈન(અ.સ.)ના ફરઝંદોમાંથી છે જેમકે, હોઝયફા રસુલે ખુદા(સ.અ.વ.)થી રિવાયત કરે છે કે…
રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:
`અગર જો દુનિયાની ઉમ્રમાં એક દિવસથી વધારે બાકી ન હોય (તો) અલ્લાહ તઆલા એ દિવસને એટલો લાંબો કરી દેશે કે મારી ઔલાદમાંથી મારૂં નામ ધરાવનાર કયામ કરે.’
સલમાને અર્ઝ કરી: `(તે) આપના કયાં ફરઝંદથી પૈદા થશે?’ રસુલે ખુદા(સ.અ.વ.)એ ઇમામ હુસૈન(અ.સ.)ના ખભા ઉપર પોતાનો હાથ રાખીને કહ્યું: `આમનાથી’
આ સિવાય અબુ વાઇલ કહે છે: હ.અલી (અ.સ.) એ ઇમામ હુસૈન(અ.સ.)ની તરફ જોઇને ફરમાવ્યું:
`આ મારો દિકરો સરદાર અને આકા છે. જેવી રીતે અલ્લાહ તઆલાએ તેને સરદાર અને આકા નામ આપ્યુ છે. તેમની નસ્લથી પયગંબર(સ.અ.વ.)ના હમનામ (રસુલે ખુદા(સ.અ.વ.)ના નામ જેવુ જ નામ) અને પયગંબર(સ.અ.વ.)ના જેવા જ અખ્લાક અને કિરદારમાં પૈદા થશે, જ્યારે લોકો ગફલતમાં હશે અને હક મટી ચૂક્યો હશે અને ઝુલ્મો સિતમની બોલબાલા હશે, ત્યારે તેમનો ઝુહુર થશે અને અલ્લાહની કસમ! અગર જો (તેઓ) કયામ ન કરે અને હાથમાં તલવાર ન લે તો લોકો તેમને કત્લ કરી નાખશે. તેમના ઝુહુરથી આસમાનના લોકો ખુશ થશે અને તેઓ જમીનને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે જ્યારે કે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.’
(કિતાબુલ ગયબત, શૈખ તુસી, પાના:૧૧૬)
બીજી અમુક રિવાયતો છે જે ઇમામે ઝમાના(અ.સ.)ને ઇમામે હસન(અ.સ.)ના ફરઝંદોમાં ગણાવે છે. દા.ત. ઉપરોક્ત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની હદીસમાં ઇમામ હુસૈન(અ.સ.)ના બદલે ઇમામ હસન(અ.સ.)નું નામ લેવામાં આવ્યુ છે. પરંતુ એ અશક્ય નથી કે જે હદીસોમાં ઇમામે ઝમાના(અ.સ.)ને હ.ઇમામ હસન(અ.સ.)ના ફરઝંદોમાં ગણવામાં આવ્યા છે તે જુઠી હોય. કેમકે બની અબ્બાસે જુઠ્ઠા રાજકીય કારણોસર એવી હદીસો બનાવી લીધી કે ઇમામે ઝમાના (અ.સ.) બની અબ્બાસમાંથી છે. આવા જ જુઠ્ઠા કારણોએ ઇમામે ઝમાના(અ.સ.)ને ઇમામ હસન(અ.સ.)ની ઔલાદમાં ગણાવ્યા છે. આ કારણોમાંથી એક કારણ એ હતુ કે ઇમામ હસન(અ.સ.)ની ઔલાદે હુકુમત હાસિલ કરવા માટે તે નામનો ઉપયોગ કર્યો. શું દલીલ છે કે ઇમામે ઝમાના(અ.સ.) ઇમામે હુસૈન(અ.સ.)ની ઔલાદમાંથી છે, નહીં કે ઇમામ હસન(અ.સ.)ની ઔલાદમાંથી? અને શા માટે ઇમામ હસન(અ.સ.)ની ઔલાદમાંથી કોઇ ઇમામ નથી?
આ વાતને નજરસમક્ષ રાખીને કે આ વાત અલ્લાહની મસ્લેહતમાંથી છે રિવાયતો અને દલીલોમાંથી આ વાતોને જાણી શકાય છે.
જેમકે ઇમામે રેઝા(અ.સ.)એ એક સવાલના જવાબમાં ફરમાવ્યું:
`તે એ માટે (કે) અલ્લાહે ઇચ્છયુ કે ઇમામે હુસૈન (અ.સ.)ની ઔલાદમાંથી હોય અને ઇમામ હસન (અ.સ.)ની ઔલાદમાંથી ન હોય (અને) જે કંઇ અલ્લાહ તઆલા અંજામ આપે છે તેના બારામાં ક્યારેય પણ કોઈ સવાલ કરી શકાતો નથી.’
(ઇલ્ઝામુન્નાસીબ, શૈખ હાએરી યઝદી, પાના:૪૭)
બીજી રિવાયતમાં ઇમામ સાદિક(અ.સ.)એ જ.મુસા અને જ. હા‚રુનના સંજોગો બાબતે ઇશારો કર્યો અને આ બાબતને તેમની બાબત જેવી ગણાવી જેમકે હિશામ બિન સાલિમે હઝરત ઇમામ સાદિક (અ.સ.)થી સવાલ કર્યો કે ઇમામ હસન (અ.સ.) અફઝલ છે કે ઇમામ હુસૈન (અ.સ.)?
ઇમામ સાદિક(અ.સ.)એ જવાબ આપ્યો:
`ઇમામ હસન(અ.સ.)’ રાવીએ પુછ્યુ: તો પછી ઇમામત ઇમામ હુસૈન(અ.સ.)ની નસ્લમાં શા માટે ઠહેરાવવામાં આવી? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`અલ્લાહ તઆલા ચાહતો હતો કે હ. મુસા અને હઝરત હા‚રુનની સુન્નત ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.) માં પણ બાકી રહે, શું તમે જાણો છો કે હઝરત મુસા અને હઝરત હા‚રુન બન્ને નબીઓ હતા જેવી રીતે ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.) બન્ને ઇમામો છે? અલ્લાહે નબુવ્વતને હઝરત હા‚રુનની ઔલાદમાં મુકી, નહીં કે હઝરત મુસાની ઔલાદમાં, જો કે હઝરત મુસા (અ.સ.) (હઝરત હા‚રુનથી) અફઝલ હતા…’
(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ, શૈખ સદુક, પાના:૪૨૬)
આ વાત તો બધા માટે સ્પષ્ટ છે કે અઇમ્મએ માસુમીન (અ.મુ.સ.) રૂહાની રીતે એક બીજાથી વધુ અફઝલ નથી, જો કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે રિવાયતોમાં વધુ ફઝીલત અને મહાનતા જોવા મળે છે, તેથી ઇમામે હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.)ની વચ્ચે રૂહાની ફઝીલતનો સવાલ પૈદા થતો નથી. તેવીજ રીતે હઝરત સૈયદુશ્શોહદા(અ.સ.)ની શહાદતના બારામાં જે રિવાયતોમાં આવ્યું છે, તેનાથી ઇમામત હ. ઇમામ હુસૈન અ.સ. ની ઔલાદમાં હોવાની બાબત જોવા મળે છે.
ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:-
જીબ્રઇલ હ.રસુલે ખુદા(સ.અ.વ.) પાસે આવ્યા અને કહ્યું `અય મોહમ્મદ (સ.અ.વ.)! અલ્લાહ તઆલા આપને ફાતેમા(સ.અ.)થી એક મુબારક બાળકની ખુશખબરી આપે છે અને તેને તમારા બાદ તમારી ઉમ્મત શહીદ કરી દેશે.’ પયગંબરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યુ: `અય જીબ્રઇલ! મને પૈદા કરનારને આ વાત કહી દયો કે મારી પછી મારી ઉમ્મત જેને શહીદ કરી દે તો પછી મને ફરઝંદની ખ્વાહીશ નથી.’
જીબ્રઇલ(અ.સ.) આસમાન ઉપર ચાલ્યા ગયા અને પાછા ઉતર્યા અને આજ વાતને દોહરાવી અને પાછો આજ જવાબ મળ્યો, પાછા ગયા અને પાછા આવ્યા અને કહ્યુ તમારો પાળવાવાળો તમને સલામ કહેવડાવે છે અને તમને ખુશખબરી આપે છે કે તે બાળકની ઝુર્રીય્યત (નસ્લ, પેઢી)માં ઇમામત, વિલાયત અને વિસાયત (વસીઓ) કરાર દેશે. હ.રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું: `તો હું રાજી છું.’
પછી રસુલે ખુદા (સ.અ.વ.)એ આ ખબરને જનાબે ઝહરા (સ.અ.)ને પહોંચાડી અને કહ્યું: “અલ્લાહ તઆલાએ મને ખુશખબર આપી છે કે અલ્લાહ તમને એક ફરઝંદ અતા કરશે પરંતુ મારી ઉમ્મત મારા પછી તેને શહીદ કરી નાખશે જ.ઝહરા (સ.અ.) એ પયગંબરે અકરમ(સ.અ.વ.)ની ખિદમતમાં પૈગામ મોકલ્યો “તો પછી મને ફરઝંદની ખ્વાહીશ નથી જેને આપની ઉમ્મત આપના પછી શહીદ કરે.”
બીજી વાર પયગંબરે અકરમ(સ.અ.વ.) એ કોઇની સાથે જ.ઝહરા (સ.અ.) ને આ પૈગામ મોકલ્યો અને ફરમાવ્યું “અલ્લાહ તે ફરઝંદના વંશમાં ઇમામત, વિલાયત અને વિસાયત રાખશે તે સમયે જનાબે ઝહરા(સ.અ.)એ પોતાની ખુશ્નુદી જાહેર કરી.”
(ઉસુલે કાફી, શૈખ કુલૈની, ભાગ:૧, પાના:૪૬૪)
ઇમામ સાદિક(અ.સ.)એ પણ ફરમાવ્યું:
`અલ્લાહે ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના કારણે આ ઇનામ આપ્યુ કે ઇમામતને ઇમામ(અ.સ.)ના વંશમાં રાખે અને ઇમામ (અ.સ.)ની તુરબતમાં શિફા આપી અને ઇમામ(અ.સ.)ની કબ્ર ઉપર દોઆ કબુલ થશે.’
(આમાલી, શૈખ તુસી, પાના:૩૧૭)

સવાલ : ૪ કેવી રીતે ઇમામે ઝમાના(અ.સ.) પાંચ વર્ષની વયે ઇમામત અને રહબરી માટે યોગ્યતા ધરાવે છે?

જવાબ : જેમકે ઇસ્લામી હદીસોમાં આવ્યુ છે, ઇમામે ઝમાના(અ.સ.) તેમના વાલિદે બુઝુર્ગવાર હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની શહાદત પછી સીધા જ કોઇ ફાસલા વગર મુસલમાનોના પેશ્વા છે. એટલે કે હજુ પાંચ જ વર્ષ થયા હતા અને મુસલમાનોની ઇમામતની જવાબદારી તેમના ખભે આવી ગઇ અને ઇમામ(અ.સ.) પાસે એ તમામ યોગ્યતાઓ હતી જે એક ઇમામ માટે જરૂરી અને અનિવાર્ય હોય છે. મુસલમાનોની હિદાયત માટે તેમની પાસે વિશાળ ઇલ્મ અને જાણકારી હોવી જોઈએ અને તે કુરઆનના શિક્ષક હોવા જોઈએ કારણકે તોજ લોકો તેમની પયરવી ઉપર ભરોસો કરે અને તેમને સ્વિકારે.
હાં, બેશક અઇમ્મા(અ.મુ.સ.) એવા ‚રૂત્બા ઉપર ફાએઝ હતા કે તેમના તમામ નાના-મોટા માનનારાઓ, તેમના તરફ રજુ થઈને પોતાને સફળ બનાવી શકતા હતા. આથી આપણે જોઈએ છીએ કે એક નાનું બાળક ઈમામતનો હોદ્દો ધારણ કરે છે અને આખરી ઈમામ તરીકે લોકો જાહેરમાં તેમજ ખાનગીમાં તેમને સંપૂર્ણ ઈમાન વડે સ્વિકારે છે અને પોતાની જાન માલ તેમના માટે કુરબાન કરવા તૈયાર હોય જ્યારે કે તેઓને તેમના રહેઠાણની પણ ખબર નહોતી. તેઓ તેમની ઈમામતના બારામાં કદી સવાલ નથી કરતા. આનું કારણ એ છે કે તેમના સંપર્કમાં હોવાને લીધે તેમને તેમની ક્ષમતામાં ભરોસો હતો અને તેમના ઈલાહી જ્ઞાનથી તેઓ માહિતગાર હતા. ચાહે તે બાળક હોય કે વૃધ્ધ.
અશક્ય ધારણા તરીકે આપણે માની પણ લઇએ કે લોકો અજ્ઞાનતામાં હતા, તો શા માટે હુકુમત અને તે સમયના બાદશાહો કે જે વિરોધી હતા તેમણે ઈમામના બાળપણ ઉપર વિરોધ ન કર્યો અને હકીકત ઉપરથી પર્દો ઉઠાવવાની કોશિષ ન કરી? શું તેમના માટે એ શક્ય ન હતુ? જો ઇમામ(અ.સ.) પણ અન્ય બાળકોની જેમ હોતે અને તેમના વિચારવાની રીત પણ ઉપર છલ્લી હોતે અને ખરેખર વિશાળ ઇલ્મ ન હોતે તો ઇમામ(અ.સ.)ના દુશ્મનો અને હુકુમતના માટે આ જ શ્રેષ્ઠ હુમલો હોતે કે તેઓ ઇમામ(અ.સ.)ની યોગ્યતા અને ક્ષમતા ઉપર આંગળી ઉઠાવતે અને શીઆઓ ઉપર એઅતેરાઝ કરતે અને આસમાનના સીતારાઓ ઉપર એઅતેરાઝ કરતે? કારણકે જ્યારે ચાલીસ-પચાસ વર્ષનો બુઝુર્ગ માણસ જે પોતાના સમયનો ઇલ્મી અને અન્ય બાબતોનો અનુભવ ધરાવતો હોય અગર તેના નકામા હોવાને સાબિત કરી દેવામાં આવે તો સામાન્ય લોકો તેને સહન નથી કરી શક્તા. તો એક બાળક વિષે કે જે સામાન્ય મુસલમાનોની રહબરી કરી રહ્યા હોય, તેના વિશે એવો એઅતેરાઝ કરવામાં આવે, તો તેના માટે તો ખૂબ જ મોટી મુશ્કેલી થશે.
જો ઇમામ બાળપણમાં વિશાળ ઇલ્મ અને કૌશલ્ય ન ધરાવતા હોય, તો તે સમયની હુકુમત ખૂબજ સરળતાથી ગુંચવણ અને ઇખ્તેલાફ પૈદા કરી શકતી હતી અને લોકોને ઇમામતથી દૂર કરી શકતી હતી.
પરંતુ આ બાબતે સમગ્ર ઇતિહાસમાં તેઓની ઘેરી ચૂપકીદી એ વાતની સાબિતી છે કે બાળપણમાં કોઇનું માસુમ ઇમામ હોવુ, એ એવી હકીકત છે, જે ઇમામોની જીંદગીમાં વાકેઅ થઇ છે. હુકુમત અને તે સમયના બાદશાહો પણ તે બુઝુર્ગવારોની ઇમામતની હકીકતને સમજતા હતા. અને ઇલ્મ તથા અમલના મૈદાનમાં તેઓએ જોઇ લીધુ હતુ અને તેઓ જાણતા હતા કે જો તેઓ તેમના બાળપણનું બહાનુ કાઢવા જશે, તો પણ સફળ નહીં થાય. કારણકે ઇમામનું બાળપણ હોવા છતાં ચાહે સવાલ-જવાબ હોય કે લોકો કોઇ મુશ્કેલીમાં ફસાઇ ગયા હોય અને તેમાંથી બહાર નિકળવાનો પ્રશ્ન હોય, તેઓ કોઇ એક પણ એવી વાત રજુ નથી કરી શકતા કે જેનાથી ઇમામતને કોઈ આંચ આવે.
તારણ:-
બાળપણમાં ઇમામત અને રહબરી એ એક એવી હકીકત છે કે જે ઇમામે ઝમાના(અ.સ.)થી પહેલા ઇમામે જવાદ(અ.સ.) તેમજ ઇમામ હાદી(અ.સ.)ને અનુક્રમે ૭ તથા ૮ વર્ષની વયે આ જવાબદારી મળી છે અને ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના વિશે તે પોતાની સંપૂર્ણતાએ પહોંચી ગઇ.

સવાલ : ૫ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) તરફથી કયા કયા મોઅજીઝા અને કરામતો જાહેર થઇ છે?

જવાબ : ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)થી ઘણા મોઅજીઝા અને કરામતો જાહેર થયા છે અને તેના વર્ણન માટે એક સંપૂર્ણ કિતાબની જરૂર પડે. પરંતુ અહીં અમુક ઉદાહરણો રજૂ કરવામાં આવે છે.
(૧) ઇરાકના એક માણસે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) માટે અમુક નાણા મોકલ્યા. ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ પૈસા પરત મોકલી દીધા અને સાથે સંદેશો મોકલ્યો કે “આ માલમાંથી તારા કાકાના દીકરાના ૪૦૦ દિરહમ અલગ કરી લે તે માણસ પાસે એક ખેતર હતુ, જેમાં તેના કાકાનો દિકરો ભાગીદાર હતો. પરંતુ તે માણસ તેના કાકાના દીકરાનો હક અદા નહોતો કરતો અને જ્યારે તેણે હિસાબ કર્યો તો તેને જણાયું કે તેનો હક ૪૦૦ દિરહમ થતો હતો. તેણે જ્યારે આ પૈસા અલગ કરી લીધા તો ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) એ તેના પૈસા કબુલ કરી લીધા.
(ઉસુલે કાફી, મર્હુમ કુલૈની, ભાગ:૧ પાના:૫૧૭)
(૨) ઇબ્ને શાઝાન કહે છે: “મારી પાસે સેહમે ઇમામ (અ.સ.)ના ૪૮૦ દિરહમ ભેગા થયા હતા. હું ચાહતો ન હતો કે ૫૦૦થી ઓછા હોય. એટલે મારા પૈસામાંથી ૨૦ દિરહમ તેમાં મેળવી દીધા અને ઇમામ(અ.સ.)ના વકીલ (અસદી) પાસે મોકલાવી દીધા. પરંતુ મે નહોતુ લખ્યું કે આમાં થોડા પૈસા મારા પણ છે. જવાબ લખાએલો આવ્યો કે ૫૦૦ દિરહમ કે જેમાં ૨૦ દિરહમ તારા હતા, તે મને મળી ગયા છે.
(ઉસુલે કાફી, મર્હુમ કુલૈની, ભાગ:૧ પાના:૫૨૩)
(૩) ઇમામે ઝમાના (અ.સ.) નો એક મોઅજીઝો કે જે તાજેતરમાં જ ઘટીત થયો છે, તે આકા એ મુત્તકી હમદાનીની પત્નીનો છે. તે કહે છે કે માહે સફર હિ.સ. ૧૩૯૭, સોમવારના દિવસે મારી પત્ની, મારા બે જવાન બાળકોના શમીરાનના પહાડ ઉપરથી પડીને મૃત્યુ થવાથી ગમ અને પરેશાનીને લીધે કોમામાં ચાલી ગઇ અને ડોક્ટરોની સલાહ મુજબ અમે સારવારમાં લાગી ગયા, પરંતુ કોઇ ફાયદો ન થયો.
આ બનાવના ૪ દિવસ પછી આકાએ મહદી કાઝેમી કે જેઓની તહેરાનના વેપારીઓ અને માનવંતા લોકોમાં ગણના થાય છે, તેમના ભાણેજની સાથે તહેરાનથી આવ્યા, જેથી બહેનને (ટેક્ષી)થી સારવાર માટે તેહરાન લઇ જાય. રાત્રે ૧૧ વાગ્યે હું થાક્યો પાક્યો મારા રૂ‚મમાં સુવા માટે ચાલ્યો ગયો. અચાનક ખ્યાલ આવ્યો કે આજે શબે જુમ્આ છે. દોઆ અને મુનાજાતની શબ છે, તવસ્સુલ અને રાઝો નિયાઝની શબ છે. આ રાત્રિમાં મેં અમુક આયતોની તિલાવત અને શબે જુમ્આની થોડી દોઆઓ પઢીને ઇમામે ઝમાના(અ.સ.)ની બારગાહમાં ઇસ્તેગાસા કરી અને ગમથી ભરેલા હૃદયે સુઇ ગયો. અચાનક મને એવુ લાગ્યું કે મારી પત્નીના ‚રૂમમાંથી ચીસાચીસ અને જોર-જોરથી વાતચીત સંભળાઇ રહી છે. પછી અવાજ થોડો મોટો થયો અને ત્યારબાદ સન્નાટો છવાઇ ગયો. મેં વિચાર્યુ કે મહેમાન છે જેથી એ તરફ વધારે ધ્યાન ન આપ્યું, ત્યાં સુધી કે નમાઝે સુબ્હની અઝાનનો અવાજ મારા કાનોથી ટકરાયો. હું વુઝુ કરવા માટે નીચે ગયો. મેં જોયુ કે ફળીયાની લાઇટ શરૂ છે અને મારી મોટી દીકરી કે જેના હોઠોં ઉપર મેં ભાઇઓના મૃત્યુ બાદ સ્મિત નહોતુ જોયું તે ફળીયામાં આંટા મારતી હતી.
મેં તેણીને પુછયું : `કેમ બેટા સુતી નથી?’ તેણીએ જવાબ આપ્યો : `બાબા, મને ઉંઘ નથી આવતી’ મેં પુછયુ : `કેમ ?’ તેણીએ જવાબ આપ્યો : `એટલા માટે કે લગભગ ૪ વાગ્યે મારી માઁને શિફા મળી ગઈ હતી. હું રાહ જોઇ રહી હતી કે તમે આવો તો હું તમને ખુશખબરી સંભળાવું’ પછી મેં પુછયુ : `કોણે શિફા આપી?’ તેણીએ જવાબ આપ્યો : માઁ એ અમોને રાત્રે ૪ વાગ્યે ખૂબજ વ્યાકુળતાથી જગાડ્યા અને કહ્યું: `આકાને વિદાય કરો.’ અમે બધા જાગી ગયા અને અમે જોયુ કે માઁ કે જે પોતાની જગ્યાએથી ચાલી નહોતી શકતી તે ઉઠીને બહાર આવ્યા. હું માઁની પાછળ-પાછળ બહાર આવી અને દરવાજા પાસે માઁની નજીક પહોંચી ગઇ અને મેં કહ્યું : `માઁ! આપ ક્યાં જઇ રહ્યા છો?
માઁએ જવાબ આપ્યો : `એક આકા આલિમના લિબાસમાં મારા માથા પાસે આવ્યા અને મને કહ્યું : `ઉઠો’ મેં કહ્યું : `હું ઉભી નથી થઇ શકતી.’ તેમણે ઉંચા અવાજથી કહ્યું : ઉઠો, અને હવે ન દવા ખાઓ કે ન રડો.’ હું તેમની હયબતથી ઉભી થઇ ગઇ. ફરીવાર મને કહ્યું : `હવે ન દવા ખાઓ કે ન રડો.’ અને જેવા તેઓ દરવાજા તરફ વળ્યા કે મેં તમોને જગાડ્યા કે આકાનો એહતેરામ કરો અને તેમનું સ્વાગત કરો.’
જ્યારે માઁનું ધ્યાન ગયુ કે અમો દરવાજા પાસે ઉભા છીએ, તો માઁએ કહ્યું : “બેટા ઝહરા! હું સ્વપ્ન જોઇ રહી છું કે જાગી રહી છું? શું હું પોતે મારા પગે ચાલીને અહીંયા આવી છું? મેં કહ્યું : “માઁ! આકાએ આપને શિફા આપી છે. અને પછી હું માઁને લઇને ઓરડામાં આવી. હા! એક શબ્દ “ન રડો” કહેવાથી તેના દિલમાંથી ગમ અને શોક દૂર થઇ ગયો.
(શિફતગાને ઈમામ મહદી(અ.સ.) પાના:૧૭૨)
(૪) જલીલુલકદ્ર આલિમ શમ્સુદ્દીન મોહમ્મદ ઇબ્ને કારૂન એક બનાવ બયાન કરે છે જે ૭૧૨ હી.સ. માં બન્યો કે એક પરહેઝગાર માણસનું નામ નજ્મ અને તેનો લકબ અસ્વદ હતો. તે ફુરાતના કાંઠે આવેલા દકુસા નામના ગામમાં રહેતો હતો. તે નેક અને નેકી કરનારો હતો અને તેની એક પત્ની હતી. જેનું નામ ફાતેમા હતુ. તેણી નેક અને સાલેહ હતી અને તેમને બે બાળકો હતા.
એક દિવસ અચાનક તે બંને પતિ પત્ની અંધ થઇ જાય છે અને ખૂબજ પરેશાન થઇ જાય છે. પતિ પત્ની બંને લાંબી મુદ્દત સુધી આવી હાલત પસાર કરતા રહ્યા. ત્યાં સુધી કે એક રાત્રે તેની પત્નીએ અનૂભવ્યુ કે તેણીના ચહેરા ઉપર હાથ ફેરવવામાં આવ્યો અને કોઇને કહેતા સાંભળ્યા : `અલ્લાહ તઆલાએ તારી આંખોનું નૂર પરત કરી દીધુ છે. જા તારા પતિ પાસે જા અને તેની ખિદમતમાં બેદરકારી ન દાખવતી.’
ઔરતે આંખો ખોલીને જોયુ કે ઘર નૂરથી ભરાએલું છે અને તેણી સમજી ગઇ કે આકા હઝરત ઇમામે ઝમાન(અ.સ.)એ તેણીને શિફા આપી છે.
(બેહારૂલ અન્વાર, લે. અલ્લામા મજલીસી, ભાગ :૫૨, પાના: ૭૪)

સવાલ : ૬ શું પયગંબરે અકરમ(સ.અ.વ.) અને અઇમ્મએ માસૂમીન(અ.મુ.સ.) એ ગયબત વિશે અગાઉથી જાણ કરી હતી?

જવાબ : ગયબત એક એવી હકીકત છે જેના વિશે હઝરત પયગંબરે અકરમ(સ.અ.વ.) અને માસૂમ ઇમામો (અ.મુ.સ.) એ અગાઉથી લોકોને આગાહ કર્યા હતા ત્યાર પછી ગયબત વાકેઅ થઇ છે. ઇમામે ઝમાન(અ.સ.)ની ગયબત કોઇ નવો બનાવ નથી. બલ્કે તેનો પાયો દીનના મૂળમાં જોવા મળે છે. દા.ત. હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું : “ખુદાની કસમ જેણે મને ખુશખબરી આપનાર નબી બનાવીને મોકલ્યો મારા દિકરાઓમાંથી કાએમ(અ.સ.) અલ્લાહ સાથેના વાયદા મૂજબ ગયબત ઇખ્તેયાર કરશે અને તેની ગયબત કંઇક એ રીતે હશે કે લોકો કહેવા લાગશે કે `અલ્લાહ તઆલાને આલે મોહમ્મદ(સ.અ.વ.)ની જરૂરત નથી અને બીજા લોકો તેમની વિલાદતમાંજ શંકા કરવા લાગશે. તેથી જે કોઇને પણ ગયબતનો સમય મળે, તેણે પોતાના દીનની હિફાઝતમાં સાવચેત રહેવું જોઇએ અને શૈતાનને શકના રસ્તેથી આવવા દેવો ન જોઇએ. ક્યાંક એવુ ન બને કે શૈતાન તેને મારા દીનથી બહેકાવી દે અને મારા દીનથી બહાર કાઢી દે, બિલ્કુલ એજ રીતે કે જે રીતે તેણે તમારા માઁ-બાપને જન્નતમાંથી બહાર કઢાવી દીધા. અલ્લાહે શૈતાનને કાફિરોનો દોસ્ત અને રહનુમા બનાવ્યો છે.’
(ઇસ્બાતુલ હોદા, શૈખ હુર્રે આમેલી, ભાગ:૬, પાના:૩૮૬)
આવીજ રીતે અસ્બગ બિન નોબાતા વર્ણવે છે કે હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) ઇમામે ઝમાન(અ.સ.)ને યાદ કરે છે અને ફરમાવે છે કે :
`જાણી લો કે તે એવી રીતે ગયબત ઇખ્તેયાર કરશે કે નાદાન લોકો કહેશે કે અલ્લાહ તઆલાને આલે મોહમ્મદ(સ.અ.વ.)ની જરૂરત નથી.’
(ઇસ્બાતુલ હોદા, શૈખ હુર્રે આમેલી, ભાગ:૬, પાના:૩૯૩)
આ સિવાય ઘણી બધી હદીસો, હદીસોની કિતાબમાં પ્રખ્યાત છે.

સવાલ : ૭ ગયબતે સુગરા અને ગયબતે કુબરાનો શું અર્થ થાય છે? અને તેની શરૂઆત ક્યારે થઇ?

જવાબ : આપણા ૧૧માં ઇમામ હ.ઇ. હસન અસ્કરી (અ.સ.)ની શહાદત હિ.સ. ૨૬૦માં થઇ. અલ્લાહ તઆલાના હુકમથી ઇમામત અને રહબરીની જવાબદારી તેમના ફરઝંદ હ.ઇ. મહદી(અ.સ.)ને સોંપવામા આવી. ઈમામ(અ.સ.)ના દુશ્મનોએ ઇમામ(અ.સ.)ના કત્લનો પાકો ઇરાદો કર્યો હતો.
આજ કારણથી ઇમામ(અ.સ.)એ તેના વાલિદે બુઝુર્ગવારને દફન કર્યા પછી અલ્લાહના હુકમથી સરદાબે મુકદ્દસથી ગયબત ઇખ્તેયાર કરી.
ઇમામ(અ.સ.)ની ગયબતને બે ભાગમાં વહેંચી શકાય છે. ગયબતે સુગરાને ગયબતે સુગરા એ માટે કહેવામાં આવે છે કે આ થોડી મુદ્દતની ગયબત હતી. જેની શરૂઆત હિ.સ. ૨૬૦થી થઇ જે વર્ષે હ.ઇ. હસન અસ્કરી (અ.સ.) ની શહાદત થઇ અને હિ.સ.૩૨૯ કે જેમાં ઇમામ(અ.સ.)ના અંતિમ નાએબે ખાસનો ઇન્તેકાલ થયો, ત્યારથી ગયબતે કુબરાની શરૂઆત થઇ. તે ગયબતમાં બે બાબતો ખાસ કરીને ઉલ્લેખનીય છે. (૧) સમયની મુદ્દતની દ્રષ્ટિએ અને (૨) ફાયદાની દ્રષ્ટિએ. સમયની મુદ્દતની દ્રષ્ટિએ એટલા માટે કે આ ગયબત આશરે ૭૦ વર્ષ (૬૯ વર્ષ ૬ મહીના અને ૧૫ દિવસની હતી) એટલા માટે તેને ગયબતે સુગરા કહેવામાં આવે છે અને ફાયદાની દ્રષ્ટિએ એટલા માટે કે આ ગયબતમાં અમૂક રસ્તાઓ ખુલ્લા હતા. એટલે કે તેનું ક્ષેત્ર મર્યાદિત હતુ, એ છતાં કે ઈમામે ઝમાન(અ.સ.) લોકોની નજરોથી ગાએબ હતા. પરંતુ તમામ લોકોની નજરોથી છુપા ન હતા. અમુક લોકો હતા જે ખાસ પ્રકારે ઇમામ(અ.સ.)ના સંપર્કમાં હતા અને આ ખાસ નાએબો (પ્રતિનિધિઓ) હતા, કે જેઓ લોકોના કામ કરતા હતા. લોકોના સવાલો અને પત્રો ઇમામ(અ.સ.) સુધી લઈ જતા અથવા પહોંચાડતા અને ઇમામ (અ.સ.) ના જવાબો લોકો સુધી પહોંચાડતા હતા અને ઘણીવાર અમુક ખાસ સમુહો અને લોકો આ નાએબોની મારફતે ઇમામ(અ.સ.)ની બારગાહ સુધી પહોંચતા હતા.
(ખૂરશીદે મગરીબ, મોહમ્મદ રેઝા હકીમી, પાના:૪૩)
અલબત્ત અમુક ઇતિહાસકારો ગયબતે સુગરાની શરૂઆતને ઇમામ(અ.સ.)ની વિલાદતના સમયને ગણાવે છે, એટલે કે ૨૫૫ હિજરીથી શરૂ થાય છે અને હિ.સ. ૩૨૯માં પૂર્ણ થાય છે. આ હિસાબે ગયબતે સુગરાની મુદ્દત ૭૫ વર્ષ થાય છે. આ મૂજબ ગયબતે સુગરાના સમયે ૭૮ વર્ષના સંપુર્ણ ઇન્સાન હતા. પરંતુ ઇમામ(અ.સ.)ના અંતિમ નાએબની વફાત પછી આ રસ્તો લોકોના માટે બંધ થઇ ગયો અને ફકીહો તથા મરાજેઅ (મુજતહીદો) દીની તથા દુન્યવી બાબતોમાં લોકોના આમ નાએબ ગણાવા લાગ્યા અને એટલા માટે કે ઇમામ(અ.સ.)થી સંપર્કના તમામ ખાસ માધ્યમો બંધ થઇ ગયા હતા અને ગયબતનો સમય લાંબો હોવાથી આ ગયબત ગયબતે કુબરા કહેવાવા લાગી.
હઝરત ઈમામ જઅફરે સાદિક(અ.સ.) આ વિશે ફરમાવે છે કે:
`હઝરત કાએમ(અ.સ.) બે ગયબત ધરાવે છે એક લાંબી એટલે કે ગયબતે કુબરા અને બીજી નાની એટલે કે ગયબતે સુગરા.’
(બેહારૂલ અન્વાર, અલ્લામા મજલીસી(અ.ર.), ભાગ:૫૨, પાના:૧૫૫)

સવાલ : ૮ ગયબતે કુબરા ઉપર ગયબતે સુગરાની શું અસર અને નિશાની છે?

જવાબ : એ વાત ઉલ્લેખનીય છે કે ઇમામે ઝમાન(અ.સ.)ની ગયબત વાકેઅ થવા પહેલા મઅસુમ ઇમામો(અ.મુ.સ.)એ અને ખાસ કરીને નવમાં ઇમામ(અ.સ.) પછીના ઇમામો(અ.મુ.સ.)એ ગયબત માટેની પૂર્વભુમિકા તૈયાર કરી છે.
એ અર્થમાં કે લોકોનું ઇમામો(અ.મુ.સ.) પાસે આવવુ-જવું બહુ ઓછુ હતું અને એ માટે કે હ. ઇમામ હાદી (અ.સ.) અને હ. ઇમામ હસન અસ્કરી (અ.સ.) તે સમયની હુકુમતની ચાંપતી નજર હેઠળ હતા અને સામાન્ય લોકોનું ઇમામ(અ.સ.)થી મળવું પ્રતિબંધિત હતું અને બીજી તરફ આ બંને ઇમામો ખાસ દોસ્તો સિવાય અને એ લોકો કે જેઓ તેમની દીની અને દુન્યવી મુશ્કેલીઓના ઉકેલ માટે ઇમામો (અ.મુ.સ.) પાસે આવતા હતા બહુ થોડા લોકોની સાથે ઉઠક બેઠક હતી.
એ માટે કે ઇ. ઝમાના (અ.સ.)ની ગયબતનો સમય નજીક હતો, લોકો માટે જરૂરી હતુ કે આવી આદત કેળવી લે અને રાજકીય લેહાઝથી અને પોતાની મુશ્કેલીઓના લેહાઝથી પોતાના એ બુઝુર્ગો તરફ રજુ થાય જેઓ દીન અને મઝહબની હિફાઝત કરનારા હતા અને ગયબતમાં પોતાને હેરાન-પરેશાન ન પામે.
ઇમામે ઝમાન(અ.સ.) પણ ખુદને લોકોથી દૂર રાખતા હતા, જેથી લોકો ગયબતે કુબરા માટે તૈયાર થઇ જાય.
હકીકતમાં `ગયબતે સુગરા’ એ `ગયબતે કુબરા’ ની પ્રસ્તાવના અને તેના માટે મૈદાન તૈયાર કરવાનુ કામ કર્યુ છે અને જો અચાનક ગયબતે કુબરા શરૂ‚ થઇ જતે તો લોકોના આશ્ર્ચર્યનું અને અમુક લોકો દ્વારા ઇન્કારનું કારણ બની જતે અને લોકોના માટે ગુમરાહીનું કારણ બનતે અને લોકોના માટે પોતાના ઇમામ(અ.સ.)થી બિલ્કુલ સંપર્કનું કપાઇ જવું એ ગયબતે કુબરામાં અસહ્ય થઇ જતે.
પરંતુ ઇમામ(અ.સ.)એ ગયબતે સુગરામાં ૭૦ વર્ષ પોતાના ખાસ નાએબોના મારફતે લોકોથી સંપર્ક રાખ્યો, ત્યાં સુધી કે અમુક લોકોને ઝિયારતની રજા પણ આપી, જેથી ધીરે ધીરે લોકો ગયબતે કુબરાથી પરિચિત થાય અને ટેવાઇ જાય.
આ રીતે આ સવાલનો જવાબ જણાઇ ગયો કે, શા માટે ઇમામ(અ.સ.)ના માટે ૨(બે) ગયબતો થઇ? અને શા માટે પહેલાથી ગયબતે કુબરાની શરૂઆત ન થઇ?

સવાલ:૯ ઇમામે ઝમાના(અ.સ.)ની ગયબતનું કારણ શું છે?

જવાબ : ઇમામે ઝમાના(અ.સ.)ની ગયબતના કારણો અને પરિબળો જાણતા પહેલા એ જરૂરી છે કે એ વાત જાણી લઇએ કે રિવાયતો ઉપરથી જાણવા મળે છે કે ગયબતનું ખરેખર અને હકીકી કારણનું ઇલ્મ ઇન્સાનને નથી,સિવાય કે અલ્લાહ અને મઅસૂમ ઇમામોને. તેનું સંપૂર્ણ ઇલ્મ કોઇની પાસે નથી. જેમકે અબ્દુલ્લાહ ઇબ્ને ફઝલ હાશમી રિવાયત કરે છે કે મેં ઇમામ સાદિક(અ.સ.)થી સાંભળ્યુ છે કે ઇમામ(અ.સ.) ફરમાવી રહ્યા છે:
`સાહેબે અમ્રને માટે ગયબત હશે અને તે જરૂર થશે, અને (તે ગયબત) એવી રીતે હશે કે બાતિલ-પરસ્ત લોકો શંકામાં પડી જશે.’
રાવી કહે છે કે મેં કહ્યું: ફરઝંદે રસુલ(સ.અ.વ.)! શા માટે ગયબત હશે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`તેનું કારણ બતાવવાની અમને રજા નથી.’
રાવી કહે છે કે મેં કહ્યું: તેમની ગયબતમાં શું હિકમત છે, ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`તે જ હિકમત છે જે અગાઉના નબીઓ અને અલ્લાહની હુજ્જતનું લોકોથી ગયબતમાં રહેવાની હિકમત હતી. કાએમ (અ.સ.) ની ગયબતની હિકમત જાહેર નહીં થાય, સિવાય કે તેઓના આવવા પછી. બિલ્કુલ એ રીતે જેવી રીતે જ. ખિઝર(અ.સ.) દ્વારા હોડીમાં કાણું પાડવું, દિવાલને ઉભી કરવી અને બાળકના કત્લનું કારણ હઝરત મુસા (અ.સ.) માટે જાહેર ન થયું, સિવાય તે સમયે કે જ્યારે જુદાઇનો (છુટા પડવાનો) સમય આવ્યો.’
(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ, શૈખે સદુક(અ.ર.), પાના: ૪૮૨)
આ રિવાયત અને આના જેવી બીજી રિવાયતો ઉપરથી એ જાણવા મળે છે કે ગયબતના હકીકી કારણને બતાવી નથી શકતા અને જે કારણ બતાવવામાં આવે છે, અગરચે તે કારણ હોય શકે છે પરંતુ ગયબતની પાછળનું હકીકી કારણ અલ્લાહ જાણે છે.
પરંતુ ઇમામે ઝમાના(અ.સ.)ની ગયબતના કારણો જે રિવાયતોથી બયાન કરીએ છીએ તે આ પ્રમાણે છે:
(૧) પરીક્ષા અને કસોટી:
ઈમામ(અ.સ.)ની ગયબતના કારણે જે નિફાક છુપો છે તે જાહેર થઇ જાય, કે જેથી ચાહવાવાળાની હકીકી મોહબ્બત અને ઇમામ(અ.સ.)ના હકીકી શીઆ કે જેઓ ઇમામ(અ.સ.)ની ખાલિસ વિલાયતથી ભરપૂર છે, તેઓ એવા લોકોથી છુટા પડી જાય કે જેઓએ નિફાકનો ચેહરો પહેરેલો છે અને જાહેરી રીતે ઇમામ(અ.સ.)ની વિલાયતનો દમ ભરે છે. બીજા શબ્દોમાં મોઅમીન મુનાફિકથી અલગ થઇ જાય.
જઅફરે જોઅફી કહે છે, મેં ઇમામ બાકિર(અ.સ.)ને પુછ્યું: તેમનો ઝુહુર ક્યારે થશે? ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`અફસોસ! અફસોસ! ત્યાં સુધી ઝુહુર નહીં થાય જ્યાં સુધી ખાલિસ ન થઇ જાય. (ઇમામ(અ.સ.)એ આ શબ્દો ત્રણવાર કહ્યા) અને ફસાદ કરનારાઓ અને ગુનાહોમાં ડુબેલા લોકો ચાલ્યા ન જાય અને પાકો-પાકીઝા લોકો બાકી રહે.’
(બેહારૂલ અન્વાર, અલ્લામા મજલીસી(અ.ર.), ભાગ:૫૧, પાના:૧૧૩)
અને ઇમામ મુસા ઇબ્ને જઅફર(અ.સ.)એ ફરમાવ્યું:
`જ્યારે સાતમાં ઇમામના પાંચમાં ફરઝંદ ગયબત ઇખ્તેયાર કરે તો તમે તમારા દીનના બારામાં સાવચેત રહેજો. એવુ ન બને કે કોઇ તમને તમારા દીનથી બહાર કરી દેય! અય મારા ફરઝંદ! સાહેબે અમ્ર યકીનન ગયબત ઇખ્તેયાર કરશે, અને એવી રીતે ગયબત ઈખ્તેયાર કરશે કે અમુક મોઅમીનો પોતાના દીનથી પલ્ટી જશે. યકીનન અલ્લાહ તઆલા ગયબત થકી પોતાના બંદાઓનુ ઇમ્તેહાન લેશે.’
(બેહા‚રૂલ અન્વાર, અલ્લામા મજલીસી(અ.ર.), ભાગ:૫૧, પાના:૧૧૩)
(૨) ઝાલિમ અને સીતમગરોના હાથો ઉપર બયઅત ન કરવું:
ઘણી બધી રિવાયતોમાં ગયબતનું એક કારણ કોઇની બયઅત ન કરવુ, તે બતાવવામાં આવ્યુ છે. હસન ઇબ્ને ફેઝાલ કહે છે કે અલી ઇબ્ને મુસા અર્-રેઝા(અ.સ.)એ ફરમાવ્યું:
`જાણે કે હું મારા શીઆઓને જોઇ રહ્યો છું કે મારા ત્રીજા ફરઝંદ (ઇમામ હસન અસ્કરી અ.સ.)ની પછી પોતાના ઇમામને શોધવા અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા છે, પરંતુ તેઓ તેમને નહીં પામી શકે.’
રાવી કહે છે કે મેં પુછયું: કયા કારણથી?
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: `કારણકે તેઓ નજરોથી ગાએબ હશે.’
રાવી કહે છે મેં પુછયું: શા માટે નજરોથી ગાએબ હશે?
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`એટલા માટે કે જ્યારે તેઓ તલ્વાર લઇને કયામ કરે તો તેમની ગરદન ઉપર કોઇની બયઅત ન હોય.’
(બેહા‚રૂલ અન્વાર, અલ્લામા મજલીસી(અ.ર.), ભાગ:૫૧, પાના:૧૫૨)
(૩) દુશ્મનોથી ઈજાનો ભય:
ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદતથી તમામ ઝાલિમો ડરી ગયા અને કારણકે તેઓની ઝાલિમ હુકુમતોનો તેમના હાથે અંત આવશે તે આ લોકો જાણતા હતા અને જાણે છે. તેથી ઇમામ(અ.સ.)ની જાનને ખતરો હતો. તેથી ગયબતનું એક કારણ ઇમામ(અ.સ.)નો જીવ જોખમમાં હોવુ બતાવવામાં આવ્યુ છે. જેમકે ઝોરારહ ઇબ્ને અઅયોન ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયત કરે છે કે ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`અય ઝોરારહ! અમારા કાએમ (અ.સ.) નું ગયબતમાં જવું જરૂરી છે.’
મેં કહ્યું: તે શા માટે?
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`પોતાના જીવનના ખૌફ અને ડરના કારણે, પછી ઇમામ(અ.સ.)એ પોતાના હાથથી પોતાના પેટ તરફ ઇશારો કર્યો.’
(કમાલુદ્દીન વ તમામુન નેઅમાહ, શૈખ સદુક(અ.ર.) પાના:૩૪૨)
અલબત્ત આ વાત અલ્લાહના ઈચ્છવાના કારણે અને હઝરતના ઝુહુરના માટે છે. નહીંતર ઇમામ પોતાના પવિત્ર બાપ-દાદાની જેમ અલ્લાહની રાહમાં શહીદ થવાથી નથી ડરતા. શૈખ તુસી રહમતુલ્લાહે અલય્હ લખે છે કે હઝરતનાં ઝુહુરમાં કોઇ ચીજ રૂકાવટ નથી, સિવાય તેમની ઝિંદગી માટે ખતરો છે. આ સિવાય બીજુ કશું હોતે તો ઇમામ(અ.સ.)નું ગાએબ હોવું જરૂરી ન હતું, બલ્કે ઇમામ જાહેર થઇ જતા અને તેનો સામનો કરતે. અંબીયા (અ.સ.) અને અઈમ્મા (અ.સ.) દરેક પ્રકારની મુશ્કેલી અને મુસીબતોને સહન કરતા અચકાતા નથી.
(મહદીએ મવઉદ, તરજુમો અને નિગારશ અલી દવાની, પાના:૮૫૨)

સવાલ : ૧૦ શું જ‚રૂરત છે કે માસુમ ઇમામો ફક્ત બાર જ હોય? શું ઈમામોની સંખ્યા બાર સુધી મર્યાદીત કરવા માટે કુદરતી નિયમો બદલવા પડયા?

જવાબ : શીઆઓનાં મુળભુત અકીદાઓ માંથી એક અકીદો ઇમામતનો છે. ઇમામત નબુવ્વતનો જ સિલસિલો / અનુસંધાન છે. તેના વગર ખિલ્કતનો મક્સદ હાસિલ કરવો ઈન્સાન માટે શકય નથી. આ મકસદ છે અલ્લાહથી નઝદીકી હાંસિલ કરવી. ઇમામ ઇન્સાનોમાં એક સંપૂર્ણ ઇન્સાનનું ઉદાહરણ છે અને તે ભૌતિક દુનિયા અને રૂહાની દુનિયા વચ્ચેની કડી છે. હદીસો મુજબ અગર ઇમામ અને હુજ્જતે ખુદા ન હોય તો આખી દુનિયા તબાહ અને બરબાદ થઇ જશે. ઇમામ સજ્જાદ(અ.સ.) ફરમાવે છે:
`અમે મુસલમાનોના પેશ્વા, ધરતી ઉપર અલ્લાહની હુજ્જત, મોઅમીનોના સરદાર અને દરેક ઇન્સાનના રહબર અને મુસલમાનોની બાબતો ઉપર વલી છીએ. અમે જમીન માટે આરામ અને સુકુનના કારણ છીએ બિલ્કુલ એવી રીતે જેવી રીતે સિતારાઓ આસમાન માટે અમાનના સબબ છે. અમારા લીધે આસમાન જમીન ઉપર નથી પડી જતું ત્યાં સુધી કે જ્યાં સુધી અલ્લાહ ચાહે નહીં. અમારા લીધે અલ્લાહની રેહમતથી વરસાદ નાઝિલ થાય છે અને જમીન માંથી બરકતો નીકળે છે, અગર અમે આ જમીન ઉપર ન હોતે તો જમીન તેના રેહવાવાળાઓને ગળી જાત.’
પછી ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
`જે દિવસી અલ્લાહે હ. આદમ (અ.સ.)ને પૈદા કર્યા ત્યારથી લઇને આજ સુધી જમીન ક્યારેય પણ હુજ્જતે ખુદાથી ખાલી નથી રહી. આ હુજ્જત હંમેશા હોય છે. ચાહે પછી તે હુજ્જત જાહેર હોય અને લોકોની સામે હોય અથવા પછી ગાએબ અને છુપી હોય, અને કયામત સુધી ધરતી તેમનાથી ખાલી નહીં રહેશે અને જો અગર એમ ન હોત તો અલ્લાહની ઇબાદત અને પરસ્તીશ ન થાત.’
(યનાબીઉલ મવદ્દત, કુન્દુઝી, ભાગ:૩ પાના:૧૪૭)
આ ટૂંકી પ્રસ્તાવના પછી તે મસઅલાને બયાન કરીએ કે:-
શા માટે ઇમામો બારથી વધારે નથી?
એ વાત જાણવી જ‚રૂરી છે કે એક પછી એક ઈમામના આવવામાં કોઈ ગાળો કદી નથી રહ્યો એ અર્થમાં કે જ્યારે પણ કોઇ ઇમામ આ દુનિયા માંથી જતા હતા અથવા શહાદત પામતા તો બીજા ઇમામ તેમની જગ્યા લેતા હતા. એટલા માટે કે થોડા સમય માટે પણ જો ગાળો પડે તો ભવિષ્યમાં શંકા ઉભી થાય અને ઈલાહી મકસદ ખતરામાં પડે. ગુમરાહ કરતા વિચારો, મુંજવણ, અને ફસાદ દિને ઈસ્લામની સત્યતાની રાહમાં આવી જાત અને તોફાની લોકોને જુઠા દાવા કરવાની અને બિદઅત દાખલ કરવાની તક મળી જાત અને તેઓ ઈમાનનો નાશ કરવામાં મશ્ગુલ થઈ જતે અને હક રસ્તા સુધી પહોંચી ન શકાત.
બીજી બાજુ ઝાલિમ હાકીમોએ જ્યારે જોયું કે કોઇ છે કે જે તેમના ઝુલ્મની સામે પડકાર ફેંકી શકે છે અને કમજોરને બચાવી શકે છે અને તેમને હરાવી શકે છે તો તેમણે તેમને રસ્તામાંથી દૂર કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કર્યા. તેઓએ અંબીયા (અ.સ.) અને ઈલાહી હુજ્જતોના અલ્લાહની રાહમાં પ્રયત્નોને સંપૂર્ણપણે નાબુદ કરવાની યોજના ઘડી.
રસુલે ખુદા (સ.અ.વ.) એ ઈમામોની સંખ્યા દર્શાવીને અને પહેલા ઈમામ અલી (અ.સ.) થી છેલ્લા ઈમામ હ. મહદી (અ.સ.) સુધીના બધા ઈમામોના નામો પણ બતાવીને તે લોકોની યોજનાઓને નાકામ્યાબ બનાવી દીધી.
હા! અલ્લાહની હિકમતનો એ તકાઝો છે કે ઇમામે ઝમાના (અ.સ.)ની વય મુબારક એટલી લાંબી હોય કે દુનિયાની સુધારણા માટે જમીન તૈયાર થઇ જાય. આ બારામાં મખ્સુસ હદીસો અને ઈમામે ઝમાના (અ.સ.) ના અસ્તિત્વએ હ. મહદી (અ.સ.) ની માન્યતાને મજબુત કરી છે. આથી જુઠ્ઠા દાવેદારો ઇતિહાસમાં ઘણા થઇ ગયા. અગર આપણે પયગંબર(સ.અ.વ.)પછીની ત્રણ સદીઓનો ઝમાનો જેમાં ઇમામ(અ.સ.) એ જીવન પસાર કર્યુ છે તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ તો આપણે જાણીશું કે ઇસ્લામી સમાજે પોતાના તમામ હેતુ હાંસિલ કરી લીધા અને જીંદગીના તમામ ક્ષેત્રોમાં તરક્કી કરી લીધી છે અને ઈસ્લામી શિક્ષણ સામાન્ય લોકો સુધી પહોંચી ગયા છે.
અગર ઈમામતનો સિલસિલો ગયબતના થકી ચાલુ ન રહ્યો હોત તો અમ્રબિલ મઅ‚રૂફ અને અંબીયા (અ.સ.) ના પ્રયત્નો અને કુરબાનીઓ ધીરે ધીરે ભુંસાય જતે.
(જઝીરએ ખિઝરા, અફસાના યા હકીકત? અલ્લામા જાફર મુર્તુઝા સાહેબ આમેલી ના તરજુમામાંથી)
અને એ સવાલ કે શા માટે ઈમામે ઝમાના (અ.સ.) માટે કુદરતી કાનુન બદલવામાં આવ્યો તો તેનો જવાબ એ છે કે આ કંઇ પહેલીવાર નથી બન્યુ કે અલ્લાહે ઉચ્ચતર હેતુ માટે કુદરતી કાનુનની અવગણના કરી. અગાઉ પણ આવા દાખલાઓ જોવા મળે છે. દા.ત.
જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) ને આગમાં નાખવામાં આવ્યા તો જ. ઇબ્રાહીમ(અ.સ.)ને બચાવવા માટેનો એક માત્ર રસ્તો કુદરતી કાનૂનને તોડવાનો હતો.
આથી તેણે આગને હુક્મ આપ્યો કે `ઇબ્રાહીમ (અ.સ.) માટે સલામતી સાથે ઠંડી થઇ જા.’ અને તેમજ થયુ.
હ. મુસા (અ.સ.) ના સમયે પણ આપણે કુદરતી કાનુનને તુટતો જોઈએ છે. દરીયાને હુકમ આપવામાં આવ્યો કે બે હિસ્સામાં વહેંચાઈ જાય અને દરમ્યાનમાં રસ્તો કરે. હ. ઇસા (અ.સ.) ના સમયે રોમન લોકોને એમકે તેઓ હ. ઈસા (અ.સ.) ની ધરપકડ કરી રહ્યા છે પણ હકીકતમાં તેમણે કોઈ બીજાને ગિરફતાર કર્યો હતો, પયગંબરે અકરમ (સ.અ.વ.) ને ઘરમાં ઘણા બધા કુરૈશીઓએ ઘેરામાં લઈ લીધા અને કલાકો સુધી તેમની ઘાતમાં રહ્યા કે જેથી તેમને કત્લ કરી શકે, પરંતુ પયગંબરે અકરમ(સ.અ.વ.) તેઓની વચ્ચેથી બહાર ચાલ્યા ગયા અને તેઓની આંખો જોઈ ન શકી.
તારણ એ નિકળે છે કે જ્યારે પણ મસ્લેહત ખાતર હુજ્જતે ખુદાની હિફાઝતનો પ્રશ્ર્ન સામે આવ્યો તો અલ્લાહે પોતાના મીશનની હિફાઝત માટે કુદરતી કાનુનને તોડીને તેની સુરક્ષા કરી છે અને અલ્લાહનો લુત્ફ તેમજ ફઝલો કરમ બંદાઓની સાથે રહ્યો છે.
આનાથી ઉલ્ટુ અગર કોઇ હુજ્જતે ઇલાહીની તબ્લીગનો સમય પૂરો થઇ ગયો હોય અને તેમણે પોતાની જવાબદારી અદા કરી લીધી છે તો કુદરતી કાનુન મુજબ જ જીંદગી પૂરી કરે છે અવા તો શહાદત મેળવે છે.
એ વાત આર્શ્ર્યની છે કે લોકો ઉપર દર્શાવેલ બધા ઉદાહરણોમાં કુદરતી કાનુનના તુટવાનું સ્વિકારે છે. પરંતુ ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) ની લાંબી વયના મસઅલામાં શીઆની માન્યતાનો વિરોધ કરે છે અને તાજ્જુબની સાથે કહે છે કે શું આ શક્ય છે? બલ્કે કહે છે કે આ વાત અક્લની વિરૂધ્ધ છે.

સવાલ : ૧૧ એમાં શું વાંધો હતો કે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.) આખરી ઝમાનામાં પૈદા થાત જેથી ગયબતની જરૂરીયાત જ ઉભી ન થાય?

જવાબ : આ સવાલનો જવાબ અમે ટુંકાણમાં આપીશુ જેથી પુનરાવર્તન(રીપીટ) ન થાય.
૧. ભરોસાપાત્ર ઇસ્લામી રિવાયતોથી માલૂમ થાય છે કે ઇલાહી મશિય્યત મૂજબ માસૂમ ઇમામોની સંખ્યા ફકત અને ફકત ૧૨ છે અને બધાજ ઇમામો પયગંબરે અકરમ(સ.અ.વ.)ના કુટુંબમાંથી છે અને તેઓમાં આખરી ઇમામ મહદી(અ.સ.) છે.
૨. મોઅતબર રિવાયતોથી જાણવા મળે છે કે ઇલાહી મશીય્યત એ છે કે અલ્લાહની હુજ્જત ન હોય તો જમીન અને તેના રહેવાવાળા હલાક અને નાશ પામે.
૩. આપણે જાણીએ છીએ કે ૧૧ માં ઇમામ(અ.સ.) ૨૬૦ હીજરીમાં સામર્રા શહેરમાં શહાદત પામ્યા છે.
આ ત્રણ બાબતોનું પરિણામ એ આવે છે કે જો ઇમામે ઝમાના(અ.સ.) જન્મ્યા ન હોત તો ૨૬૦ હી.સ. થી લઈને આજ સુધી દુનિયા અને તેના રહેવાવાળા હુજ્જતે ખુદા વિના રહેત. જ્યારે કે એ શકય નથી કે દુનિયા ઈલાહી હુજ્જત વગર અસ્તિત્વમાં રહી શકે.

સવાલ : ૧૨ એમાં શું વાંધો હતો કે ઇમામે ઝમાના(અ.સ.) ગાએબ ન થાત અને અલ્લાહ તઆલા કત્લ થવાથી તેમની હિફાઝત કરત?

જવાબ : આ સવાલના જવાબમાં શૈખે તુસી(ર.અ.)ના જવાબને પુરતો સમજીશું. તેઓ ફરમાવે છે કે `અલ્લાહ લોકોનું ઈમ્તેહાન લેવા માંગે છે વાજીબાતના બજાવી લાવવામાં અને હરામથી દુર રહેવામાં. આ કાર્ય અલ્લાહ પોતાની હુજ્જત વડે આસાન કરે છે. હવે તેમને શહીદ થવાથી બચાવવા માટે અલ્લાહને આ સંપર્ક તોડવો પડે અને પરિણામે લોકોના ઈમ્તેહાનનો જે મૂળ મકસદ હતો તે બાતિલ થઈ જશે. બીજું એ શકય છે કે આવી પરિસ્થિતિમાં લોકો ગુમરાહ થઈ જશે.’
(મહદીએ મવઉદ, તરજુમાકાર: અલી દવાની, પાના:૮૫૨)

સવાલ : ૧૩ કહેવામાં આવે છે કે ઇમામે ઝમાના(અ.સ.) એકાંતમાં ઝીંદગી જીવે છે. જ્યારે કે એક રહબર અને પેશ્વાએ લોકોની વચ્ચે રહેવું જોઇએ. આવી હાલતમાં એ સવાલ થાય છે કે ગાએબ ઇમામ(અ.સ.) લોકોને કેવી રીતે ફાયદો પહોંચાડી શકે?

જવાબ : આ વાત જાણવી જરૂરી છે કે ઇમામ(અ.સ.)ની ગયબતનો મતલબ એ નથી કે ઇમામ(અ.સ.)નું અસ્તિત્વ જોવામાં નથી આવતું અને ઇમામ(અ.સ.)નું વુજુદ વાસ્તવિક્તાના બદલે કાલ્પનિક છે, બલ્કે ઇમામ(અ.સ.) પણ એક સ્વભાવિક ઝીંદગી અને શારીરિક અસ્તિત્વ રાખે છે. ફક્ત ફર્ક એ છે કે ઇમામ(અ.સ.)ની વય લાંબી છે. ઇમામ(અ.સ.) સમાજની વચ્ચે જીવન પસાર કરે છે પરંતુ તેમને કોઇ ઓળખી શકતું નથી.
એ વાતનો ઇન્કાર નથી થઇ શકતો કે ઇમામ લોકોની દરમ્યાન હોય તો લોકો માટે વધારે ફાયદાકારક છે. પરંતુ એવું નથી કે ઇમામ અગર આપણી સામે ન હોય તો ઇસ્લામી ઉમ્મત માટે કોઇ ફાયદો અને બરકત જ ન હોય, પરંતુ ઇમામનું વ્યક્તિત્વ એવું છે કે લોકોને ઇમામ પોતાની તરફ આકર્ષે છે. એવી ઘણી હદીસો છે કે જેમાં ગયબતના સમયમાં ઇમામ(અ.સ.)ના વુજુદથી તનારા ફાયદાઓના બારામાં રજુઆત થઇ છે. તેમાંથી અમુક ફાયદાઓ તરફ ઇશારો કરીએ છીએ.
(૧) ઇમામ(અ.સ.) નેઅમતો મળવાનો ઝરીઓ અને આ ધરતીની સુરક્ષાનું કારણ છે.
એ વાત બયાન કરવામાં આવેલ છે કે અઇમ્મએ માઅસુમીન(અ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.) ધરતી માટે સુરક્ષાનું કારણ છે. અગર જમીન એ ઇલાહી હુજ્જતોથી ખાલી થઇ જાય તો જમીનના બધા જ લોકો જમીનની સાથે હલાક-બરબાદ થઇ જાય. એટલા માટે કે ઇમામ(અ.સ.)ના વુજુદની બરકતો ઘણી બધી છે. પછી તે હાજર હોય કે ગાયબ હોય તેમાં કંઇ ફરક પડતો નથી.
પયગંબરે અકરમ(સ.અ.વ.)એ આ રહસ્યનું ખૂબ સુંદર રીતે વર્ણન કર્યુ છે અને આ સવાલના જવાબમાં ફરમાવ્યું છે કે હઝરત મહદી(અ.સ.)ના વુજુદનો ગયબતના ઝમાનામાં શું ફાયદો છે?

اَیْ وَالَّذِیْ بَعَثَنِیْ بِالنُّبُوَّۃِ اِنَّہُمْ لَیَنْتَفِعُوْنَ بِہٖ یَسْتَضِیْعُوْنَ بِنُوْرِ وَلَایَتِہٖ فِی غَیْبَتِہٖ کَانْتِفَاعِ النَّاسِ بِالشَّمْسِ وَاِنْ جَلَّلَہَا السَّحَابُ

`હા! અલ્લાહની કસમ કે જેણે મને નબી બનાવીને મબ્ઉસ કર્યો છે, લોકો તેમના વુજુદથી એવી રીતે ફાયદો મેળવશે અને તેમની વિલાયતના નૂરથી એવી રીતે ફાયદો મેળવશે જેવી રીતે લોકો સુરજથી ફાયદો મેળવે છે જ્યારે તે વાદળાઓની પાછળ હોય છે.’
(યનાબીઉલ્ મવદ્દત, કુન્દુઝી, ભાગ:૩, પાના:૪૮૫)
ઇમામે ઝમાના(અ.સ.) આ બારામાં ફરમાવે છે કે:
`જેવી રીતે સુરજથી જ્યારે કે તે વાદળાઓની પાછળ હોય છે, ફાયદો ઉઠાવવામાં આવે છે તેવી રીતે ગયબતના ઝમાનામાં મારાથી લોકો ફાયદો ઉઠાવશે. યકીનન હું જમીનમાં આરામ અને શાંતિનું કારણ છું, જેવી રીતે તારાઓ આસમાનના રહેવાસીઓની માટે સુરક્ષાનું કારણ છે.’
(કમાલુદ્દીન વ તમામુન નેઅમહ, શૈખે સદુક, પાના:૪૮૫)
(૨) મહદવીય્યતના અકીદાની મોઅમીનો ઉપર અસર:
ઇમામે ગાએબ અને હ. મહદી (અ.સ.) માં અકીદાથી મોઅમીનોમાં ભવિષ્યના વિશે આશાનું કિરણ જોવા મળે છે અને ઇમામ(અ.સ.)ના ઝુહુર પછી પવિત્ર જીવનની એક આશા પૈદા થાય છે. શીઆ સમાજ પોતાના જીવંત અને મવજુદ ઇમામના અકીદા વડે ઈમામના પાછા ફરવાની આશા કરે છે જેની સાથે હજારો કાફલાના દિલ હશે. જો કે તેઓ આ ઇમામ(અ.સ.)ને પોતાની દરમ્યાન નથી જોતા પરંતુ પોતાની જાતને તેમનાથી અલગ પણ નથી સમજતા. હ. મહદી (અ.સ.) માં માન્યતા વિના તેમની પરિસ્થિતિ કંઈક જુદીજ હોત.
હા! ઇમામ ગયબતમાં હોવા છતાં હંમેશા પોતાના શીઆઓની હાલત અને મુશ્કેલીઓથી સુમાહિતગાર હોય છે. ઇમામે ઝમાના(અ.સ.) ના માનવાવાળા હંમેશા ઇમામે ઝમાના(અ.સ.)ના લુત્ફ, કરમ અને દયા તેમજ ઇમામ(અ.સ.)ની ઇનાયતને હાંસિલ કરવા માટે તથા દુનિયાની હાલતને સારી બનાવવા માટે કોશીશ કરે છે અને હંમેશા ઇમામ(અ.સ.)નો ઇન્તેઝાર કરે છે.
જેમકે ખુદ ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું છે:
`અમે તમારા કામની સંભાળ અને તમારી હાલતથી હંમેશા સુમાહિતગાર હોઇએ છીએ અને તેમાં બેદરકારી નથી કરતા અને કયારેય પણ તમારી યાદથી ગાફીલ નથી રહેતા, માટે તમે લોકો ઇલાહી તકવા ઇખ્તેયાર કરો. જેથી તમારી તરફ જે ફિત્નો આવે છે તેનાથી અમે તમને બચાવીએ.’
(૩) દીને ખુદા અને ઇસ્લામની શરીઅતની હિફાઝત:
ઇમામે ઝમાના(અ.સ.)ના વુજુદ અને ગયબતનો ફાયદો એ છે કે ઇમામે ઝમાના(અ.સ.)ના આશીકો અને ઇમામે અસ્ર (અ.સ.)ના સિપાહીઓ ઝુહુરની આશામાં દીનનો બચાવ કરવા માટે તૈયાર રહે છે.
હઝરત અલી(અ.સ.) આ બારામાં ફરમાવે છે:
`તે ઇમામ(અ.સ.)ની બરકતથી અમુક લોકો દીનનો બચાવ અને ફિત્નો ખત્મ કરવા માટે તૈયાર રહેશે, બિલ્કુલ એવી રીતે જેવી રીતે લુહારના હાથમાં તીર અને તલ્વાર ધારદાર થાય છે. તેઓની આંખો કુરઆનથી રૌશન થાય છે અને તેમના કાનો કુરઆનની તફસીર સાંભળતા હશે અને તેમને રાત દિવસ હિકમત અને ઇલાહી ઇલ્મથી તૃપ્ત કરવામાં આવે છે.’
(નહજુલ બલાગાહ, સુબ્હી સાલેહ, ખુત્બો:૧૫૦, પાના:૨૦૮)
આ સિવાય ગયબતના સમયમાં ઇમામ(અ.સ.)ના વુજુદથી બીજા પણ અમુક ફાયદા હદીસમાં બતાવવામાં આવ્યા છે. પરંતુ આપણે અહીં માત્ર આ ૩ ફાયદા પુરતા સમજીશું.

સવાલ : ૧૪ શા માટે ઇમામે ગાએબની સરખામણી એ સુરજથી આપવામાં આવે છે જે વાદળની પાછળ છુપાએલો હોય ?

જવાબ : અમે ઘણીબધી હદીસો વર્ણવી છે કે જેમાં ઇમામે ઝમાના(અ.સ.)એ ફરમાવ્યું છે:
`જ્યાં સુધી ગયબતના સમયમાં મારાથી ફાયદો હાંસિલ કરવાની વાત છે તો તેનું ઉદાહરણ તે સુરજ જેવું છે જ્યારે વાદળ તેને લોકોની નજરોથી છુપાવી લે છે.’
હવે આપણે એ કારણોનું વર્ણન કરીશું જે કારણોને લીધે ઇમામ(અ.સ.)ની સરખામણી વાદળ પાછળના સુરજથી કરવામાં આવી છે.
(૧) જેવી રીતે લોકો ઘટાટોપ વાદળોની પાછળ રહેલા સુરજના નિકળવાનો ઇન્તેઝાર કરે છે, જેથી તેના વુજુદનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવે, ગયબતમાં ઇમામ(અ.સ.)ના શીઆઓ દરેક પળ ઇમામ(અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છે અને હરગીઝ તેનાથી નિરાશ નથી અને આ એજ આશા છે કે જે તેમને ઝીંદગીના દરેક તબક્કામાં કામ્યાબ અને સફળ બનાવે છે. તેમજ શુજાઅત, બહાદુરી અને ચળવળ બક્ષે છે.
(૨) જે શખ્સ આ તમામ નિશાનીઓ અને બરકતો, મોઅજીઝા, કરામતો, હદીસો અને રિવાયતો હોવા છતા ઇમામ(અ.સ.)ના અસ્તિત્વનો ઇન્કાર કરે છે તેઓ એ લોકોની જેમ છે જે સુરજનું વાદળ પાછળ ચાલ્યા જવાથી સુરજનો ઇન્કાર કરે છે, જો કે સુરજના અસ્તિત્વથી આખી દુનિયાને ફાયદો મળી રહ્યો છે.
(૩) આપણે જાણીએ છીએ કે સુરજના અમુક કિરણો દેખાય છે અને જ્યારે તે ભેગા થાય છે તો સાત મશ્હુર રંગો પૈદા થાય છે, અને અમુક અદ્રશ્ય કિરણો હોય છે જેને અલ્ટ્રા વાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણો નામ આપવામાં આવ્યું છે. તેવી રીતે નબી અવા ઇમામ લોકોને કેળવણી આપે છે દીનના એહકામના અમલી પાસા વડે તેમજ રૂહાની પાસા વડે. રૂહાની તરબીયત આંતરિક આકર્ષણ વડે કરવામાં આવે છે. તેઓ રૂ‚હાની તરબીયત લોકોના દિલોમાં અને વિચારોમાં કરે છે જેને આપણે તકવીની તરબીયત કહી શકીએ છીએ. આ સ્થાને શબ્દો, વાક્યો-વાતચીત અને અમલ કામ નથી કરતા પરંતુ આ સમયે માત્ર આંતરિક આકર્ષણ કામ કરે છે. જેવી રીતે અમુક નબીઓ અને મહાન રેહનુમાઓ વિશે મળે છે કે, તેઓ અમુક ગુમરાહો અને ગુનાહોમાં ડુબેલા લોકોની એક નજરથી ઝીંદગી બદલી નાખે છે.
(૪) જેવી રીતે સુરજની કિરણો એટલા જ પ્રમાણમાં ઘરમાં આવે છે જેટલી દરવાજા અને બારીની પહોળાઇ હોય છે. આ જ રીતે લોકો ઇમામ(અ.સ.)ના વુજુદથી એટલા જ પ્રમાણમાં ફાયદો ઉઠાવે છે જેટલા તેઓ નફસાની ખ્વાહિશાતથી અને ગુમરાહીથી દૂર રહે છે અને ઈમામની સાથે સંપર્ક જાળવે છે.
(૫) ભલેને સુરજ ગમે તેટલો વાદળાની પાછળ છુપાએલો રહે પણ પોતાના પ્રકાશ અને નૂરથી દુનિયાને વંચિત નથી રાખતો અને વાદળાની પાછળ રહીને આસમાનને પ્રકાશિત રાખે છે એવીજ રીતે ઇમામે ઝમાના(અ.સ.) ગયબતમાં હોવા છતા ઇમામ(અ.સ.)ના નૂરે પુરી દુનિયાને મુનવ્વર કરેલ છે. એટલા માટે કે અગર ઇમામ(અ.સ.)નું નૂર ન હોત તો માઅસુમીન(અ.સ.)ની રિવાયત મુજબ જમીન અને જમીનના રહેવાવાળા તબાહ અને બરબાદ થઇ જાત. ખુલાસો એ છે કે ઇમામ(અ.સ.) જમીન માટે સલામતીનું કારણ છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *