ઇમામે ઝમાના (અલયહીસ્સલામ) મજબૂત આશ્રય સ્થાન

Print Friendly, PDF & Email

વ બેકુમ યોનફ્ફેસુલ હમ્મ વ યકશેફૂઝ ઝરરા
“આપના થકી જ અમને ગમથી મુક્તિ મળે છે અને અમારી પરેશાનીઓ દૂર થાય છે. (ઝિયારતે જામેઆ)
“વલવ લા ઝોક લનઝલ બે કોમુલ – અઅવાઓ વ સતલમકોમુલ અઅદાઓ.
જો અમે તમારી હીફાઝત ન કરતે તો કેટલીય બલાઓ તમને ઘેરી વળત અને દુશ્મનો તમને નિસ્ત નાબૂદ કરી દેત. (તૌકીએ હઝત હુજ્જત, એહતેજાજે તબરસી 2/497)
ઇન્સાન વિરોધભાસી ગુણોનો માલીક છે. ક્યારેક ઇન્સાન એટલો બધો નીડર અને બહાદૂર હોય છે કે મોટા મોટા યુદ્ધમાં વિજય મેળવી લે છે. જંગલો અને રણમાંથી એકલો જ પસાર થઇ જાય છે. સમુદ્રોના ઉંડાણ અને અવકાશમાના અત્યંત ઉચ્ચ વાતાવરણમાં પ્રયાસ પણ કરે છે. તો તેજ ઇન્સાન ક્યારેક એટલો બધો ડરપોક અને ભયભીત થઇ જાય છે કે અંધકાર ને પોતાના જ પડછાયાથી ડરવા લાગે છે. મુશ્કેલીઓ દૂર થવામાં વિલંબ થાય, ત્યારે વહેમ અને (નકામી) નિરર્થક વાતો નો શિકાર બની જાય છે. મુશ્કેલીઓ એવી હોય છે જે મોટા મોટા વીરલાઓને પણ પીગળાવી દે છે. જ્યારે મુશ્કેલીઓ તો હોય પણ કોઇ મુશ્કલી કુશા (મુશ્કેલીઓનો નીવડો લાવનાર) ન હોય તેવા સંજોગોમાં મુશ્કેલીમાં ફસાએલા ઇન્સાનની હાલત જોવા જેવી થતી હોય છે. જો મુશ્કીલ કુશા મૌજુદ હોય તો મોટામાં મોટી મુશ્કેલીઓ પણ આસાન થઇ જતી હોય છે. અને અસાધ્ય રોગોનો પણ ઇલાજ થઇ જાય છે. દિલ સ્વસ્થ રહે છે, ઇરાદા દ્રઢ રહે છે. વિચાર અને હોશો હવાસ કાબુમાં રહે છે.
ખુદાવન્દે આલમે આપણને અનેક પ્રકારની નેઅમતો આપી છે તેની સાથે એક અત્યંત મહત્વની નેઅમત પણ અતા કરી છે, અને તે છે મુસીબતો, પરેશાનીઓ, દુ:ખ, દર્દ તકલીફ….. વગેરેમાં એહલેબયત અલયહેસ્સલામનો વસીલો અને વાસ્તો. આ એક એવી અઝીમ નેઅમત છે જેના લીધે મોહીબ્બે એહલેબયત અલયહેમુસ્સલામ ક્યારેય કોઇ પણ મુશ્કેલીમાં ગભરાતો નથી. જેમ જેમ તેન મુશ્કેલીઓ અને દુ:ખોમાં વધારો થતો જાય છે, તેમ તેમજ એહલેબયત અલયહેમુસ્સલામથી તવસ્સુલ (નિમિત્ત મધ્યસ્થતા) અને નીકટતામાં વધારો થતો જાય છે. હઝરત વલીએ અસ્ર અરવાહોના ફીદાહના લકબો પૈકીનો એક લકબ ‘અલ ગવ્સ’, ‘ગવ્સુલ ફોકરા’ છે. જેનો અર્થ “ફરિયાદમાં મદદે પહોંચનાર “ગરીબો અને ફકીરોની ફરિયાદમાં તેમની મદદ કરનાર થાય છે.
આ એક સ્પષ્ટ હકીકત છે કે આપણા અઇમ્મા અલયહેમુસ્સલામ તમામ સિફાતે કમાલ (બધીજ શ્રેષ્ઠ સિફતો) ના માલિક છે, કોઇ એક (માઅસુમ) માં કોઇ એક સિફતે કમાલ ઓછી નથી. અમૂક અઇમ્મા સાથે અમૂક સિફાતો એ માટે ખાસ જોડવામાં આવી છેકે તેઓમાં એ સિફાત વધારે જાહેર (વ્યક્ત) થઇ છે. દાખલા તરીક હઝરત ઇમામ મુસા બિન જઅફર અલયહીસ્સલામને “અલ કાઝિમ” એ માટે કહેવામાં આવે છે કે : ‘કાઝિમ’ ની (ગુસ્સાને કાબુમાં રાખવાની) એ સિફત આપના જીવનનમાં વધારે પ્રમાણમાં વ્યક્ત થતી હતી. હકીકતમાં દરેક ઇમામ “કાઝેમુલ ગયઝ” છે. હઝરત ઇમામે ઝમાના અલયહીસ્સલામ, (આપણી જાન તેઓ ઉપર કુરબાન થઇ જાય)ની પવિત્ર ઝાત સાથે “અલ ગવ્સ” અથવા “ગવસુલ ફોકરા”નો લકબ જોડાએલ છે જે એ વાતન સ્પષ્ટ કરે છે કે ફરિયાદ કરનારને મદદ કરવાની સિફત આપનામાં વધારે છે આ સિફતથી એ વાત સ્પષ્ટ થાય છે કે આપણા અઇમ્માએ માસુમની અલયહેમુસ્સલામ સિફાતને કમાલે ઇલાહી (અલ્લાહની સિફાતો કમાલાતા) ના કેન્દ્ર અને અરીસા સમાન છે.
“અલ ગવ્સ શબ્દમાં કોઇ શરત કે પ્રતિબિંબ નથી. જેનાથી એ જાણવા મળે છે કે આપ દરેકની ફરિયાદમાં મદદ કરનાર છે. દુનિયાના કોઇ પણ ખૂણામાંથી કોઇપણ વ્યક્તિ, કોઇપણ સમયે, કોઇપણ મુશ્કેલીમાં મદદ કરવા માટે પોકારે તો આપ (અજ.) તેની મુશ્કેલીને પોકારે છે એવું નથી બનતું બલ્કે સૈકંડો, હજારો, લાખો લોકો દુનિયાના ખૂણેખૂણામાંથી પોત-પોતાની ભાષામાં આપ (અજ.) ને પુકારે અરે, અમૂ લોકો તો એવા હોય છે જેઓ તેમની જીભથી ફરિયાદ પણ કરતા નથી પણ તેઓ ખુદ પોતેજ “ફરિયાદની શકલ હોય છે. જેનો ભાવાર્થ નીચેના મુદ્દાઓમાં તારવવામાં આવ્યો છે, જે અત્રે રજુ કરવામાં આવે છે.
(1) એક અવાજ (એકનું પોકારવું) બીજા અવાજમાં અવરોધરૂપ બનતું નથી. દરેક ઇન્સાનની એ મર્યાદા હોય છે કે તે એક વખતમાં માત્ર એક જ માણસનો અવાજ સાભળી શકે છે અને એકજ માણસને જવાબ આપી શકે છે. જો કોઇ માણસને એક સાથે રૂણા બધા લોકો બોલાવવા માંડે તો તે બધાને જવાબ આપી શક્તો નથી. એટલુંજ નહીં, તે એ પણ નક્કી કરી શક્તો કે ખરેખર તેને કોણ બોલાવી રહ્યું છે !
ઇમામ અલયહીસ્સલામ દરેક ફરિયાદ કરનારની મદદ કરે છે એ દર્શાવે છે કે આપ (અજ.) એક જ વખતે બધાને અવાજ સાંભળે છે દરેકનો અવાજ ઓળખે છે. અને દરેકની મુશ્કેલીઓને દૂર પણ કરે છે.
(2) લોકો માત્ર એક જ ભાષામાં તો ઇમામ (અ.સ.) ને બોલાવતા નથી? બલ્કે પોતપોતાની ભાષામાં અને લહેજામાં સંબોધન કરે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ઇમામ અલયહીસ્સાલમ દુનિયાની બધી જ ભાષાઓ અને લહેજાઓથી વાકેફ છે. સમગ્ર કાએનાતના ઇમામ હોવાની આ ખાસીયત છે. એ લોકો ઉમ્મતની ઇમામત ક્યાંથી કરી શકવાના કે જેઓ બધા લોકોની ભાષા અને બયાનથી પણ વાકેફ નથી?
(2) લોકો માત્ર એકજ ભાષામાં તો ઇમામ (અ.સ.) ને બોલાવતા નથી ? બલ્કે દરેક પોતપોતાની ભાષામાં અને લહેજામાં સંબોધન કરે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ઇમામ અલયહીસ્સલામ દુનિયાની બધી ભાષાઓ અને લહેજાઓથી વાકેફ છે. સમગ્ર કાએનાતના ઇમામ હોવાની આ ખાસીયત છે. એ લોકો ઉમ્મતની ઇમામત ક્યાંથી કરી શકવાના કે જેઓ બધા લોકોની ભાષા અને બયાનથી પણ વાકેફ નથી?
(3) ઇમામને પોકારવા (મદદ માંગવા) માટેનો કોઇ ખાસ સમય નક્કી હોતો નથી પરંતુ ફરિયાદ કરનાર તો હંમેશા ફરિયાદ કરતા હોય છે. કારણ કે મુશકેલી (આવવા) નો પણ કોઇ સમય નક્કી હોતો નથી ક્યારે કોની ઉપર કઇ મુશ્કેલી આવી પડે તેની કોઇને ખબર હોતી નથી. તેથી (મદદ માંગનારની) ફરિયાદનો સમય નક્કી હોતો નથી. ઇમામ (અ.સ.) હંમેશા દરેકની ફરિયાદ દૂર કરતા હોય છે. જેમાં તેઓને ઉંઘ (સ્વપ્ન) કે જાગૃતિની હાલત અવરોધરૂપ બનતી નથી. આથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે જે ઇમામ (અ.સ.) ની શક્તિમર્યાદા એટલી વિશાળ હોય કે તેઓની ગયબત (હોવી કે) જાહેર હોવું એ બન્ને વચ્ચે કોઇ પ્રશ્ર્ન રહેતો નથી. તેઓ (અ.જ.) ગયબતમાં પણ એવી જ રીતે ફરિયાદને દૂર કરે છે. જેવી રીતે જાહેર હોય ત્યારે ફરિયાદ દૂર કરશે. કારણ કે ઇમામ (અ.જ.) હાજર હોય તો પણ તેઓ કોઇ એકજ જગ્યાએ હાજર હોવાની બાકીની જગ્યાના લોકોની નજરથી ગાયબ જ રહેવાના. આથી એ વાત સાબિત થાય છે કે ગયબત એ ફરિયાદ કરનારની મદદ કરવા માટે અવરોધ બનતી નથી.
(4) ઇમામની મદદ કોઇ ખાસ ફરિયાદ પુરતી મર્યાદીત નથી. બલ્કે કોઇ પણ મુશકેલીઓમાં ઇમામ (અજ.) મદદ કરેજ છે. જેમ કે ગરીબાઇ, ભુખમરો, બીમારી રોગ, ઘર, મકાન, અવલાદ, તાલીમ અને તરબીયત, આર્થિક સામાજીક પ્રશ્ર્નો રાજકીય કે સુરક્ષાની મુશકેલી, ઝીલ્લત, ઇઝ્ઝત, તૌફીકાત, દુનિયા, બરઝખ, આખેરત વગેરે…….. વગેરે………. કોઇ પણ અને ગમે તેવી સખ્ત મુશ્કેલીમાંથી ઇમામ (અજ.) મુક્તિ અપાવે છે. જેનાથી ઇમામ અલયહિસ્સલામ અત્યંત (અમર્યિદિત) શક્તિમાન હોવાનું જાણવા મળે છે. જમીન, આસમાન, વનસ્પતિ, પ્રાણીઓ, પશુઓ, ઇન્સાનો જીન્ન, ફરિશ્તા દરેક પર આપ (અજ.) નો કાબુ છે અને દરેક આપ (અજ.) ના ફરમાંબરદાર છે.
નોંધપાત્ર વાત તો એ છે કે જ્યારે તેઓ (અજ.)મ કોઇ મુશકેલીને દૂર કરવા ચાહે છે ત્યારે તેઓ માધ્યમ અને સાધન પણ પોતે જ શોધી લે છે. એટલે કે કોઇ બિમારને સાજો કરવા માટે ડોકટર કે તબીબને સમય અને દવાનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ જ્યારે ઇમામ (અજ.) શફા (પુન:તંદુરસ્તી) આપવા ઇચ્છે છે ત્યારે આંખના પલકારામાં જરૂર પડે છે કે ન તો દવાની જરૂર પડે છે. તેઓ જ્યારે વૃક્ષને ફળદાર કરવા ચાહે છે ત્યારે જમીનમાં બીજ વાવતા જ ફળદાર વૃક્ષ તૈયાર થઇ જાય છે.
ઉપરની કેટલીક બાબતો ઉપર વિચાર કરવાથી સમજાય છે કે ઇમાઉમે ઝમાના અલયહિસ્સલામ ખુદાવન્દે આલમની સિફત ‘ગયાસલ મુસ્તગીસીન’ ના સંપૂર્ણ કેન્દ્ર અને સંપૂર્ણ દર્પણ (સમાન) છે. જેવી રીતે તેઓ દરેકનો અવાજ સાંભળે છે અને દરેકની ભાષા જાણે છે. હંમેશા દરેકની ફરિયાદ સાંભળે છે અને દરેકની મુશ્કેલીઓને દૂર કરે છે. આમાં ફર્ક માત્ર એટલો છે કે આ સિફત ખુદાવન્દે આલમની ઝાતી સિફત છે. અને તેણે જે ઇમામ (અ.સ.) ને આ સિફત અતા ફરમાવી છે તે (અલ્લાહ) ખાલીક છે અને આ (ઈમામ અજ.) મખ્લુક છે તે વાજીબ છે અને આ મુમ્મકીન છે.
આ ચર્ચાને વધુ ન લંબાવતા અમે કેટલીક દોઆઓ અને ઇસ્તગાસાનો ઉલ્લેખ કરીશું જેથી મુશ્કેલીઓમાં આપણા ઇમામ અલયહિસ્સલામને એ દોઆના શબ્દોથી યાદ કરી શકાય. પરંતુ તેની સાથો સાથે દોઆ કરવાના અમૂક આદાબનો ઉલ્લેખ પણ કરીશું કેમ કે જેને મદદ માટે બોલાવવા છે તેને બોલાવવા (દોઆ કરવા) ના આદાબથી વાકેફ થવું ખાસ જરૂરી છે.
(1) બા વઝુ હોવું. શરીર ઉપર પાકીઝા કપડા પહેરવા.
(2) ઇસ્તગફાર કરવો (ગુનાહોની માફી માંગવી)
(3) મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર દુરૂદ અને સલામ મોકલવી.
(4) ઇમામ અલયહિસ્સલામને હાઝીર નાઝીર જાણવા (હાજર અને નજરની સામે હોય તેમ માનવું) જાણે કે હઝરત તેને (દોઆ કરનારને) જોઇ રહ્યા છે. અને તે પોતે હઝરત (અજ.) ની સામે ઉભો છે. (જાણે કે) હજરત તેની વાતોને સાંભળી રહ્યા છે, કેમ કે હઝરત તેની દરેક મુશ્કેલીઓને હલ કરવાની શક્તિ ધરાવે છે. ખુદાવન્દે આલમ તરફથી જે કોઇની પણ ઉપર ફૈઝ અને બરકત નાઝીલ થાય છે તે બધા એ હઝરત (અજ.) ના વસીલાથી જ નાઝીલ થાય છે. શબે કદ્રમાં બધાજ કાર્યો સાહેબલ અમ્ર (અજ.) ની ખિદમતમાં આવે છે.
(5) એ વાત નિશ્ર્ચિતપણે માનવી કે ઇમામ (અ.સ.) શિયાઓ અને તેઓના દોસ્તોને તેઓના વાલેદૈન અને સગાસંબંધીઓ કરતા પણ વધારે માનવંતા (દોસ્ત) ગણે છે. એક રિવાયતમાં છે કે અમે અમારા શિયાઓને એટલા બધા માનવંતા (દોસ્તી) રાખીએ છીએ કે જ્યારે તેમને તાવ આવે છે ત્યારે તેની ગરમી અમે મેહસુસ કરીએ છીએ. આની અસર એ છે કે જેની સામે આપણે આપણા પ્રશ્ર્ન (મસાએલ) રજુ કરીએ છીએ તે આપણા વાલેદૈન કરતા પણ આપણી ઉપર વધારે શફીક અને મહેરબાન છે. તેથી આપણી મુશ્કેલીઓને તેઓ અવશ્ય અને અનીવાર્યપણે હલ કરી આપશે.
(6) ખુદાવન્દે આલમની બારગાહમાં આપણા તમામ ગુનાહોની વાસ્તવિક તૌબા કરવી. જેથી હૃદયના ઉંડાણપૂર્વક ઇમામે અસ્ર અલયહિસ્સલામથી નઝદીક થઇ શકાય. (જુએ તે આંતરિક ગુનાહ હોય અથવા બાહ્ય ગુનાહ હોય.)
(7) જે કોઇ બિરાદરે મોમીનને સતાવયો હોય અથવા તેનું દિલ દુભાવ્યું તો તેને (પોતાનાથી) રાજી કરી લેવો જોઇએ. જો આપણ દિલ સાફ નહીં હોય તો આપણે ઇમામે અસ્ર અલયહિસ્સલામની ખિદમતમાં દ્વેષપૂર્ણ દિલ લઇને કેવી રીતે જઇશું ? કેમ કે, ભાઇઓના દિલ દુખાવવા ખુદા, રસૂલ અને ઇમામને પસંદ નથી.
(8) ત્યાર પછી દોઆ (કરવી-માંગવી) શરૂ કરે અને તેના કબુલ થવાની ખાત્રી રાખે.
ઉપર જણાવ્યા મુજબની કેટલીક દુઆઓ અને ઇસ્તગાસાની વિગત અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
(1) યા મોહમ્મદો, યા અલીય્યો, યા ફાતેમતો, યા સાહેબઝઝમાને અદરીકની વલા તોહલીકની.
(2) રણમાં અથવા કોઇ વિશાળ અને એકાંત જગ્યામાં માથું ખુલ્લુ રાખીને આ શબ્દોમાં ફરિયાદ કરે.
યા અલ કાસિમ અગીસ્ની યા અબા સાલેહ અલ મહદી અદરીકની અદરીકની વલા તદઅની ફઇન્ની ઝલીલુન આજેઝુન.
અનુવાદ : અય અબુલ કાસિમ (આ ઇમામની કુન્નિયત છે.) મારી ફરિયાદ પહોંચો, અય અબા સાલેહ અલ મહદી (આ પણ ઇમામે ઝમાના અ.સ. ની કુન્નિયત અને લકબ છે.) મારી મદદ ફરમાવો, મને એકલો અટુલો ન છોડી દો હું ઝલીલ છું, બીચારો છું, મજબુર-નિરાધાર છું.
(3) એક દોઆ આ પ્રમાણે છે.
અલ્લાહમ્મ ઇન્ની અસઅલોક બેહક્કે વલીય્યકે વ હુજ્જતેક સાહેબઝઝમાન ઇલ્લા અઅનતની બેહી અલા જમીએ ઓમૂરેઇ વ કફ્ફયતની બેહી મઓનત કુલ્લે મૂઝીન વ તાગીન વ બાગીન વ અઅનતની બેહી ફકદ બલગ મજહદી વ કફતયની કુલ્લ ઓદુવવીન વ હમ્મીન વગ ગમ્મીન વ દયનીન વ વલદી વ જમીએ અહલી વ ઇખ્વાની વ મન યોઅનેની અમ્રોહુ વ ખાસ્સતી આમીન રબ્બલ આલમીન.
(બેહારુલ અન્વાર ભાગ 94, પાના નં. 35)
પરવરદિગાર હું તારા વલી, તારી હુજ્જત (હુજ્જતે આખિર) સાહેબઝઝમાનના હકના માધ્યમ દ્વારા તને સવાલ કરી રહ્યો છું. મારી મુશ્કેલીઓ સમસ્યાઓ માં મારી મદદ ફરમાવ. દરેક મૂઝી ત્રાસદાયક બગાવત કરનાર સરકશથી બુરાઇથી માં રક્ષણ કર. હઝરત (અજ.) દ્વારા મારી મદદ કર. મારા પ્રયત્નો પરાકાષ્ટાએ પહોંચી ગયા છે. મારા પરથી અને મારી અવલાદ, મારા તમામ કુટુંબીજનો, મારા ભાઇઓ, અને દરેક એવી વ્યક્તિઓ જેની જવાબદારી મારી ઉપર છે તે બધા ઉપરથી દરેક પ્રકારના દુશ્મનો, ગમ, મુસીબતો અને કર્ઝ (દેવા) ને દૂર રાખ. મારી નજદિકના તમામ લોકોને નજાત અતા કર. આમીન અય તમામ દુનિયાઓના પરવરદિગાર.
(4) અબુલ હસન મહમદ બિન અહમદ બિન અબીલ લયસ (રહ.) ને એ જમાનાના બાદશાહ તરફથી કત્લ થઇ જાવાનો ભય હતો. એ જોખમના કારણે તેમણે શહેર છોડી દીધું અને કબ્રસ્તાનમાં શરણ લીધું હઝરત ઇમામે ઝમાના અલયહિસ્સલામે તેઓને નીચે મુજબની દોઆની તાલીમ આપી, જે પઢવાની બરકતથી અબુ હસનને કત્લ થવાથી મુક્તિ મળી અને તેનો જીવ બચી ગયો. તે દોઆ નીચે પ્રમાણે છે.
અલ્લાહુમ્મ અઝોમો બલા વ બરેહલ ખફાઅ વન કતઅર રજાઅ વન કશફલ ગેતાઓ વ ઝાકતિલ અરઝો વ મોનેઅતીસ્સમાઓ વ એલય્ક યા રબ્બે અલ મુશ્તકા વ અલય્કલ મોઅવ્વલો ફીશ્શીદ્દતે વર ખાએ અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીંવ વ આલે મોહમ્મદીન ઉલીલ અમ્રીલ લઝીન ફરઝત અલય્ના તાઅતહમ વ અરરફતના બેઝાલેક મન્ઝેલતહુમ ફફરીંજ અન્ના બે હક્કેહીમ ફરજન આજેલન કરીબન કલમહીલ બસરે અવ હોવ અકરબો યા મોહમ્મદો યા અલીય્યો યા અલીય્યો યા મોહમ્મદો, ઇકફેયાની ફ ઇન્નકોમા કાફેયાય, વન સોરાની ફ ઇન્નકોમા નાસેરાય, યા મવ્લાય યા સાહેબઝઝમાન, અલ ગવ્સ, અલ ગવ્સ, અલ ગવ્સ,અદરીકની અદરીકની, અદરીકની
(5) મિરઝા મોહમ્મદ સઇદના પગમાં દર્દ શરૂ થયું ધીરે ધીરે બંને પગ ઉપર સોજા ચડી ગયા. તે દર્દ એટલું વધી ગયું હતું કે તેઓ સીધા ચાલી શક્તા ન હતા, તેથી લંગડાઇને ચાલતા હતા. તેઓએ ડોક્ટરો પાસે ઇલાજ કરાવ્યો પણ થોડા સમય પૂરતો ફાયદો થયો. થોડા દિવસ પછી પાછો દુખાવો શરૂ થઇ ગયો એટલું જ નહીં બંને પગમાં રસી થઇ ગઇ. તેમજ તેની અસર આખા શરીરમાં થઇ થઇ. શરીરમાં જગ્યા જગ્યાએથી રસી નીકળતી હતી. તેને કોઇ પણ દવાથી કોઇ ફાયદો થતો ન હતો. તેના દર્દમાં દિવસે દિવસે વધારો થતો હતો છેવટે તેની હાલત એવી થઇ ગઇ કે તે જમીન પર પગ માંડી શક્તો ન હતો. તેના શરીરમાં એટલું બધું લોહી વહી ચૂક્યું હતું કે શરીર ઉપર માત્ર ચામડી અને હાડકા બાકી રહ્યા હતા. તેને સતત દર્દ થતું હોવાને કારણે તેનો સ્વભાવ ચીડીયો થઇ ગયો હતો. તેની આ બીમારીને લીધે કુટુંબના બધાજ સભ્યો પરેશાન થઇ ગયા હતા. તેનું આખુ શરીર એટલું બધું સડી ચૂક્યું હતું કે કોઇ તેના શરીરના એક ભાગમાંથી રસી બહાર આવી જતી હતી. યોગાનુયોગ એવો થયો કે એ દિવસોમાં “નાઇન” શહેરમાં “વબા” (પ્લેગ) ની બીમારી ફાટી નીકળી હતી. તેથી પ્લેગાન ડરથી તે લોકો બીજે ગામ ચાલ્યા ગયા. ત્યાં આકા યુસુફ નામના એક નિષ્ણાંત તબિબ હતા. તેમને મિરઝા મોહમદની તબિયત દેખાડવામાં આવી, લાંબા સમય સુધી જોયા પછી તેણે દર્દીના માસા અબ્દુલ વહાબને ખુણામાં લઇ જઇને કાંઇ કહ્યું જેનાથી એમ જણાઇ આવતું હતું કે આ જાણકાર અને નિષ્ણાંત તબિબ પણ તેના ઉપચાર કરવા માટે લાચાર છે. તે પછી તો તેના ઘરના સભ્યોની નિરાશામાં વૃદ્ધિ થઇ ગઇ. તેઓ વધુ હતાશ થઇ ગયા. એવામાં એવી જાણકારી મળી કે એક ગામમાં મિરઝા અબૂ તાલીબ નામનો એક માણસ ખૂબજ મુત્તકી અને પરહેઝગાર છે. તેની પાસે હઝરત ઇમામ અસ્ર અલયહિસ્સલામની ખિદમતમાં પ્રસ્તુત કરવા માટે એક અરીઝા અને એક ‘ઇસ્તેગાસા’ છે. જે અરીઝા ખૂબજ અસરકારક અને અકસીર છે. બીમાર માણસની માતા મિરઝા અબુ તાલીબની પાસે પહોંચી. તેણે પોતાના બીમાર ફરઝંદની શફા માટે અરીઝા લખવાની વિનંતી કરી. જુમ્આના દિવસે તેઓએ એક અરીઝા લખી આપી. બીમાર માણસની માતા તે અરીઝા લઇને એક કુવા પાસે અરીઝા નાખવા માટે ગઇ. જ્યારે તેણીએ તે અરીઝા નાખી દીધી તો તે અરીઝા અધવચ્ચે જ રહી ગઇ. આ જોઇને તે સ્ત્રી ખૂબજ રડવા લાગી. બીમારના ભાઇએ રાતના એક સ્વપ્ન જોયું કે : ઇમામે અસ્ર અલયહિસ્સલામ તશરીફ લાવ્યા છે. તેઓના હાથ મુબારકમાં એક નેઝો છે. જે નેઝાને તેઓ (અજ.) એ મારા ભાઇના પડખા પરા રાખ્યો અને ફરમાવ્યું : ઉઠો અને તમારા (ખાલુ) માસાનું સ્વાગત કરો. (તેના માસરા ઘણા સમયથી પ્રવાસમાં ગયા હતા, તેના વિશેના કોઇ સમાચાર ન હતા તેથી તેમના વિશે પણ કટુંબીજનો ચિંતિત હતા.) મારો ભાઇ ઉઠ્યો અને ઉભો થઇને દરવાજા સુધી માસાના સ્વાગત માટે ગયો. આ સ્વપ્ન જોયા પછી બીમારના ભાઇની આંખો ખુલી ગઇ. સવારનો સમય છે, ઘરના બધા લોકો સુતા છે, તે તુરતજ પોતાના બીમાર ભાઇની પાસે આવ્‌યો. તેને જગાડ્યો અને કહ્યું : ભાઇ ઉઠો, તમને ઇમામે અસ્ર અલયહિસ્સલામે શફા આપી છે. આમ કહેતા તેના હાથ પકડીને તેને ઉઠાડ્યો. જે બીમાર ભાઇ રાત સુધી જમીન ઉપર પગ પણ મૂકી શક્તો ન હતો, તે ખૂરજ સારી રીતે ઘરમાં ચાલી રહ્યો હતો. તેના આખા શરીરમાં રોગનું કોઇ નામો નિશાન નહોતું. તે અરીઝા અને ઇસ્તગાસા નીચે મુજબ છે.
બિસ્મિલ્લાહીર રહમાનીર રહીમ તવસ્સલ્તો – એલય્ક યા અબલ કાસિમ મોહમ્મદીબ્ની હસનીબ્ને અલીય્યીબ્ને મોહમ્મદીબ્ને અલીય્યીબ્ન મુસબ્ને જઅફરીબ્ને મોહમ્મદીબ્ને અલીય્યીબ્નીલ હસયનીબ્ને અલીય્યીબ્ને અબી તાલેબન્નબા ઇલ અઝીમે વસ્સેરાતિલ મુસ્તકીમે વ ઇસ્મતીલ અજ્જીન બેઉમ્મેદ સય્યદતે નેસાઇલ આલમીન વ બે આબાએકત્તાહેરીન વ બે ઉમ્મહાતેકત્તાહેરાતે બે યાસીન વલ કુરઆનિલ હકીમ વલ જમબરૂતીલ અઝીમ વ હકીકતીલ ઇમાન વ નૂરીન્નૂર વ કેતાબી મસ્તુરીન અન તકૂન સફીરી એલલ્લાહે તઆલા ફીલ હાજતે લે ફૂલાં અવહલાક ફૂલા બિન ફૂલા (ફૂલાં ની જગ્યાએ પોતાની હાજત બયાન કરવી.)
ઉપર મુજબની અરીઝા લખીને વહેતા પાણીમાં અથવા કૂવામાં નાખી દેવી અને તે વખતે નીચે મુજબ કહેવું, ઉસ્માન બિન સઇદ અને મોહમ્મદ બિન ઉસ્માન (આ બંને બુઝુર્ગ મરતબાવાળા હઝરત ઇમામે અસ્ર અલયહિસ્સલામના પહેલા અને બીજા નાએબ ખાસ છે. જેઓ લોકોના મસાએલને હઝરત વલીએ અસ્ર અલયહિસ્સલામની ખિદમતમાં રજૂ કરે છે.)
યા ઉસ્માન બિન સઇદ વ યા મોહમ્મદ બિન ઉસ્માન અવસેલા કિસ્સત એલા સાહેબીઝઝમાન સલવાતુલ્લાહ અલયહ.
ખુદાવન્દા, અમને બધાને હઝરત બકીય્યતુલ્લાહ, વલીએ અસ્ર ઇમામે ઝમાના, હઝરત હુજ્જતીબ્નીલ હસન અલ અસ્કરી અરવાહના ફીહાદની વધુને વધુ નીકટ ફરમાવ. તેઓ સાથે તવસ્સુલ (વસીલો માધ્યમ) અને ઇસ્તગાસા કરવાની (મદદ માટે પોકારવાની) તૌફીકાત ઇનાયત ફરમાવ. તેઓની ચરણરજમાં અમને દુનિયાના ફીત્ના ફસાદ, અખ્લાકની તબાહી, દીનની બરબાદી, દિલના અયબો, બે તૌફીકી, બે અમલી વગેરે બૂરાઇઓથી મુક્તિ આપ.
પરવરદિગાર અમારી બધાની અન્સારે હુસૈન અલયહિસ્સલામના સદકામાં ઇમામે ઝમાના અલયહિસ્સલામના મુખ્લીસ ગુલામોમાં ગણત્રી કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *