ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહૂર માટે વિનંતી અને દુઆ

Print Friendly, PDF & Email

ગૈબતે ઇમામ (અ.સ.) ના અંધકારમય એન ઝંઝાવાતી સમયગાળામાં એજ લોકોને રાહેનજાત અને સદ્દભાગ્ય પ્રાપ્ત થશે જે ઇમામે ઝમાના (અ.સ.) ની યાદમાં સતત અશ્રુ વહાવતા રહે છે. તેમના ઝુહૂરની દુવા કરતા રહે છે અને પોતાના નેક કાર્યોથી ઇમામે ઝમાના (અ.સ.) ના અસ્તિત્વ પર પૂરેપૂરી શ્રદ્ધા ધરાવે છે.
સાદીકે આલે મોહમ્મદ (સ.અ.વ.) એ અબ્દુલ્લાહ બીન સનાનને ફરમાવ્યું : “ઇમામે ઝમાના (અ.સ.)ની ગૈબતના જમાનામાં માત્ર એજ વ્યક્તિને નજાત મળશે જે ડૂબતા માણસની જેમ દુઆ કરે.”
શું તમે ડૂબતા માણસની હાલતની કલ્પના કરી શકો છો? જ્યારે દરિયો ભયાનક સ્વ‚પ ધારણ કરીને તોફાની બને છે ત્યારે કશ્તી ને હલાક – ડોલક કરી નાખે છે. વાદળોનો ભયાનક ગડગડાટ હય્યુ હચમચાવી નાખે છે મુશળધાર વરસાદ વરસે છે. ચારે બાજુ અંધકાર છવાઇ જાય છે. સમુદ્રની ઉંચી લહેરોના થપેડાતી કશ્તીના લોકો બેચેની અને ગભરાટની હાલતમાં સમુદ્રમાં પડી જાય છે એ સમુદ્રની વણથંભી લહેરો માણસોને ઉછાળતી પછાડતી લોકોને મૌતના હવાલે કરવાની તૈયારીમાં હોય છે.
આ પ્રકારે જે ઇન્સાનો સમુદ્રના તોફાનોમાં ફસાયા હોય, જેની કશ્તી ભાંગી – તૂટીને વિખેરાઇ ગઇ હોય તેના ઉતારૂઓ સમુદ્રમાં ડૂબવા લાગ્યા હોય તેવા ઇન્સાનો ડૂબતા ઇન્સાનો કહેવાય છે. હવે આપ જ વિચારો કે તે રીતે ડૂબતા ઇન્સાનો બચવા માટે અને પોતાની સલામતી માટે કઇ રીતે દુવા કરતા હશે? એવા ઇન્સાનો ખુદાને મદદ માટે કેવી રીતે પૂકારતા હશે? કેટલી આજીજી સાથે દુવા કરતા હશે?
ઇમામે ઝમાના (અ.સ.) નો એક આશિક શીયા ઇમામે ઝમાના (અ.સ.) ની ગૈબતના જમાનામાં તોફાન, ડરાવનારી સમુદ્રની લહેરોની વચ્ચે, તોફાની સમુદ્ર જેવા સમાજના અંધકારભર્યા વાતાવરણમાં પોતાની સત્યપૂર્ણ અને ખૂશનસીબ કશ્તીને વીખરાતી જુવે ત્યારે પોતાના આકા અને ઇમામે ઝમાના (અ.સ.) નીજુદાઇમાં બેચેની અને મુંઝવણ અનુભવે છે અને કોઇપણ દંભ કે દેખાવ વગર નિષ્કપટ ભાવે દીલના ઊંડાણથી પોકારી ઉઠે છે.
અયના બકીય્યતુલ્લાહ! ઇમામે ઝમાના (અ.સ.) ક્યાં છે? આમ કહીને પોતાની આંખોની આંસુની ધારા અને દીલની વરાળ સાથે કહે છે :
“ક્યાં છે અમારી સુધારણા કરનાર ! જેના ઇન્તેઝારમાં અમે તડપી રહ્યા છીએ. અમારી અધુરાશ અને અપૂર્ણતાને દૂર કરનાર ક્યાં છે? પોતાના દોસ્તોને ઇઝઝત આપનાર અને દુશ્મનોને અપમાનીત કરનાર ક્યાં છે? એ મહાન હસ્તી ક્યાં છે! જેના આગમન અને ઇન્કેલાબ મે સૌ આતુર છે ક્યાં છો અય દીનને જીવંત કરનાર અય જુલ્મો સિતમનું નામો નિશાન ધરતી પરથી મીટાવી દેનાર ક્યાં છો? અય સય્યદશ્શોહદા હ. અબુ અબદીલ્લાહના ખૂનનો બદલો લેનાર, મારી જાન આપના ઉપર ન્યોછાવર કરૂં‚ છું. મારા મા – બાપ આપના ઉપર ફીદા કરૂં છું. અય પાકો – પાકીઝા એ માનવંત પિતાના પૂત્ર, અમારા માટે એ વાત કેટલી સખ્ત છે કે બધાને હંમેશા બધે જોઇ શકીએ પણ આપના ફરિશ્તા સમા પ્રતિભાળી ચહેરાની ઝિયારત થઇ ન શકે! બધાનો અવાજ સંભળાય પણ. આપની જોશીલી અને જીવનદાયક આવાજ ન સંભળાય! (દુવા – એ – નુદબાહ)
એવું હોઇ શકે કે તેઓના અસંખ્ય ચાહનારા હોવા છતાં તેમના ઝુહૂરની દુવા ન કરે અને તેમની આવાઝ પર ‘લબ્બૈક’ ન કહે? ના, હરગીઝ નહી! તેઓ મહેરબાની, એહસાન, બક્ષીસ સખાવત અને દાનના સ્ત્રોત છે. મહાનતાના પ્રતિક છે. તેઓ મૌલા, આકા અને ખુદાવંદે – આલમની રહેમતના દ્વાર છે.
વિખ્યાત માનવંત શીયા આલિમ અને ચિંતક મરહૂમ સૈયદ ઇબ્ને તાઉસ (ર.અ.) તેમના પૂત્ર અને તમામ શીયાઓને – આલે – મોહમ્મદ (અ.સ.) ને સંદેશો આપતા ફરમાવે છે.
“એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે જેમનું ચારિત્ર્ય, કાર્યો અને વાતચીત તેમના ઝમાનાના ઇમામ (અ.સ.) વીશેની તેમની શ્રદ્ધા સાથે બંધબેસતા નથી. ઇમામે ઝમાના (અ.સ.) ના પવિત્ર અસ્તિત્વ વીશે તેમની શ્રદ્ધા મજબુત છે અને તેમનો ઝુહૂર થશે તેમ પણ તેઓ ખાત્રીપૂર્વક માને છે. પરંતુ તેઓ પોતાની વાતચીત અને અમલમાં ઇમામે ઝમાના (અ.સ.) ની યાદ અને તેમના ઝુહૂર માટેની આતુરતાને ભુલાવી દે છે કોઇ શીયા ઇમામ (અ.સ.)ની ઇમામત અને ઝહુર વિષે શ્રદ્ધા રાખતો હશે પણ જ્યારે તેને પૈસાનું કે દુનિયાની બીજી કોઇ વસ્તુનું નુકસાન થશે કે દુનિયાની બીજી કોઇ બાબતમાં નિષ્ફળતા જશે ત્યારે તે પોતાની બધી શક્તિને પૈસા કે બીજી જે વસ્તુનું તેને નુકસાન કઇ રીતે ભરપાઇ થાય તેના રસ્તાઓની શોધમાં લાગેલો રહેશે. પરંતુ શું તે માણસ આ દુનિયાની નજીવી અને નાશવંત વસ્તુઓ માટે જેટલી કોશિશ કરે છે, તેટલી કોશિશ તે પોતાના શ્રેષ્ઠ માનવંત ઇમામ, આકા, માલીક, વલીએ-નેઅમત, દુનિયાની સુધારણા કરનાર, કાફિરોને નાબૂદ કરનાર, તેમના ચાહકોના ‚રૂહે – રવાં અને જાનો દીલ, ઇમામે ઝમા (અ.સ.)ના દીદાર માટે કરે છે ખરો? તો પછી શું તેની દોસ્તી અને વિલાયતની આ ભાવના પોકળ નથી?!
નિસંશય, તેણે ઇમામ (અ.સ.)ના દીદાર માટે તૃષાતુર રહેવું જોઇએ. ઇમામ (અ.સ.) ની મુલાકાત માટેની પ્યાસ અનુભવવી જોઇએ. તેણે સમજી લેવું જોઇએ કે ઇમામે ઝમાં (અ.સ.) એ એક માત્ર હસ્તી છે જે તેની તૃષાને તૃપ્ત કરી શકશે. બાકી બધી વાતો મૃગજળસમી છે, વ્યર્થ, નિરર્થક છે લોક સ્વાર્થી અને તક સાધુ છે.
બધા દર્દોની એક માત્ર દવા ઇમામે ઝમાના (અ.સ.) નો ઝુહૂર છે. તેઓ બધી તકલીફોના મુક્તિદાતા બની રહેશે તેમની યાદ તમામ મુશ્કેલીઓમાં રાહત દેનાર છે, અને તમામ સફળતાનું રહસ્ય છે. કિતાબ “મફાતી હુલ – જીનાન” જે મહાન માઅસુમીન (અ.સ.) ના કલામોના સંગ્રહ છે, તેના વાંચનની ટેવ કેળવવી જોઇએ. જ્યારે એ કિતાબના પાના ઉલટાવીએ છીએ તો તેમાં ઇમામે ઝમાના (અ.સ.) વીશેની એક ખાસ દુવા વારીદ થઇ છે એ નજરે ચડે છે,જેમા ઇમામે ઝમાનાની ગૈબતની દુવા છે. તે દુવાનો કેટલોક અંશ નમૂનારૂ‚પે પ્રસ્તુત છે.
– અલ્લાહુમ્મા અરર્રફની નફસક
* ખુદાવંદા, મને તારી ઝાતની માઅરેફત અતા કર.
– ફ ઇન્નકા લમ તોઅરરીફની નફસક લમ અઅરીફ રસુલક
* કારણ કે અય ખુદા જો મને તારી માઅરેફત પ્રાપ્ત નહી થાય તો તારા પયગમ્બર (સ.અ.વ.) ને કઇ રીતે ઓળખી શકીશ?
– અલ્લાહુમ્મ અર્રરીફની રસૂલક
* અય ખુદા, તારા રસૂલની ઓળખ અતા કર.
– ફ ઇન્નક લમ તો અરરફની નબીય્યક, લમ અઅરીફ હુજ્જતક
* કારણ કે જો તે તારા નબીની ઓળખ નહી કરાવી, તો તારી ‘હુજ્જત’ ને નહી ઓળખી શકું.
– અલ્લાહુમ્મા અરરીફની હુજ્જતક
* અય પરવરદીગાર, તું તારી હુજ્જતની માઅરેફત મેળવવાની પ્રેરણા અતા કર.
– ફ ઇન્નક લા તોઅરરીફની હુજ્જતક ઝલલ’તો અન દીની.
* કારણ કે જો તું મને તારી હુજ્જતનો પરિચિય નહી કરાવે તો ગુમરાહ થઇને ભટકી જઇશ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *