શહાદતે હુસયન અ.સ.ની આગાહીઓ

Print Friendly, PDF & Email

શહાદતે હુસયન અ.સ.ની આગાહીઓ

હઝરત રસુલે ખુદા સ.અ.વ.ની રીસાલતના મોઅજીઝાઓ પૈકી એક મોઅજીઝો એ પણ છે કે આપના પવિત્ર મુખેથી પવિત્ર વહી દ્વારા કરવામાં આવે બધીજ આગાહીઓ સત્ય પુરવાર થઈ છે.

આં હઝરત સ.અ.વ. એ ભવિષ્યના બનાવો અને સમયકાળની આગાહી તેમના પવિત્ર જીવન દરમ્યાન કરી, તે પ્રસંગો બન્યા છે અને પ્રકાશમાં આવ્યા છે. આગાહીઓ અને પ્રસંગો બંનેને ઈતિહાસે તેના પાનાઓમાં સુરક્ષિત કરી લીધા છે, જેથી કરીને ઈસ્લામના ઈતિહાસની સાથે ન્યાય કરનારા બુદ્ઘિજીવીઓ કયારેય ન તો તેનો ઈન્કાર કરી શકે નતો તેમાં શંકા અને ફેરફારનો અવકાશ રહે. દુનિયાની સત્તા લાલસામાં ભ્રષ્ટ થએલા અને ભોગ વિલાસની હયવાની લઝઝત ઉપર મરી ફીટવાવાળી વ્યકિતાઓએ આ આગાહીઓનું બીજુ અર્થઘટન કરવાની કોશીશ જરૂર કરી, પરંતુ ન તો આ આગાહીઓમાં ફેરફાર કરવાની હિંમત હતી અને જ્યારે બનાવ બની ગયો ત્યારે ન તેની સચ્ચાઈનો ઈન્કાર કરવાની તાકત હતી. રસુલે અકરમ સ.અ.વ.એ માત્ર એક બે કે દસ આગાહીઓ નથી કરી બલ્કે સેંકડો આગાહીઓ કરી છે, જે પોત પોતાના સમયમાં ઈસ્લામી જમ્હુર સમક્ષ સાચી પડી છે. દાખલા તરીકે જ્યારે સીફફીનની લડાઈમાં અમ્માર યાસીર શહિદ થઇ ગયા ત્યારે અમરૂ આસનો ચહેરો ભયથી પીળો પડી ગયો અને તેણે મોઆવીયાહને કહ્યું, અમ્માર કતલ થઈ ગયા અને રસુલે અકરમ સ.અ.વ.ની હદીસ સાચી સાવિત થઈ (એટલે આપણે જફાકાર વર્ગમાં છીએ) જેથી મોઆવીય્યાહે કહ્યું: અમ્માર ના મૃત્યુની જવાબદારી તેની ઉપર છે તેને ઘરમાંથી બહાર લાવ્યા અને આ લડાઈમાં સમાવેશ કર્યો.

જ્યારે મૌલાએ કાએનાતને આ ખબર મળી ત્યારે આપે કહ્યું, અમીર હમઝાને રસુલે ખુદા સ.અ.વ. જંગમાં લાવ્યા હતા તેથી શું અમીર હમ્ઝાની શહાદતની જવાબદારી મઆઝલ્લાહ રસુલ સ.અ.વ. ઉપર છે? અથવા હઝરત આયશા ઉપર જો આપના કુતરાઓ ભોંકયા તે એ વાતની દલીલ છે, કે સાચા રસુલે અકરમ સ.અ.વ.ની ખબર સાચી છે હઝરત આયશાએ અલીની વિરૂધ્ધ જમલની લડાઈમાં જવું બાતીલથી મળેલુ છે.

ખુદાવંદે તઆલા જે હય્ય અને કય્યુમ છે, જે કદીર અને કદીમ છે જ્યારે પોતાના હબીબ દ્વારા જનાબે અમ્મારની શહાદતની ખબર અને હઝરત આયેશાની જમલની લડાઈમાં ભાગ લેવાની ખબર આપી શકે છે તો આતલા મોટા કારનામાની ખબર ન પહોંચાડે જેના કારણથી તેના પસંદ થએલો દીન કયામતની સવાર સુધી સુરક્ષિત અને અકબંધ રહી ગયો અને તેની તરફ આંગળી ઉઠાવવાની પણ કોઈની હિંમત બાકી ન રહી.

કરબલાના અઝીમુશ્શાન પ્રસંગનો સંબંધ અમ્બીયા અને અવસીયાના વારસાથી છે, તેથી જ્યારથી અબ્બીયાનો સીલસીલો શરૂ થયો છે, આ મહાન બનાવની ખબર તેની સાથેજ શરૂ થઈ છે. એ માટે કે વિલાયત (વલી) અને વિસાયત (વસી)નો વારસો ફરજીયાત છે.

આથી આપણે જોઈ રહ્યા છે કે ઉંડુ નીરીક્ષણ કરનારા ઈતિહાસકારો, ઊંડા સમુદ્રમાંથી તથ્ય શોધવાવાળા વિદ્ઘાનો આપણા માટે હ. આદમ અ.સ.થી લઈને ખાતમ સ.અ.વ. સુધી ઈમામ હુસયન અ.સ.ના કત્લ વિષે મળી આવતી આગાહીઓનો એક પ્રમાણભૂત આધાર હંમેશના માટે સંગ્રહી લીધો છે અને ઈતિહાસે પણ એ આગાહીઓને સુરક્ષિત કરી લીધી છે કે જે ઈમામ હુસયન અ.સ.ની શહાદત થયા પહેલા આપના (પૈયગમ્બરોના) વસીઅ અને નિખાલસ બંદાઓની સત્ય ઝબાનોથી થઇ હતી.

જો કે બધીજ આગાહીઓનો આ લખાણમાં સમાવેશ થઈ શકતો નથી તેથી ખૂબજ જરૂરી એવી થોડી આગાહીઓની ચર્ચા નીચે મુજબ કરવામાં આવી છેઃ

હઝરત આદમ અલયહિસ્સલામ

હઝરત આદમ અ.સ.ને જ્યારે જમીન ઉપર ઉતારવામાં આવ્યા ત્યારે જન્નત છુટી જવાનું દુ:ખ – તરકે અવલા માટે અફસોસ-આટલા મોટા જગતમાં એકલવાયાપણુ અને બધા દુ:ખોથી વિશેષ દુ:ખ બધી મુસીબતોથી મોટી મુસીબત જનાબે હવ્વાનો વિરહ – તેથી આપ દિવસ રાત ઈસ્તીગફાર, રોકકળમાં પસાર કરતા હતા અન જનાબ બારીએ તઆલાને જનાબે હવ્વાને મળવાની દોઆ કરતા રહ્યા. હેરાન પરેશાન માટીમાં રગદોડાતા નયનવાની જમીન ઉપરથી પસાર થયા ત્યાં પહોંચીને આપ રૂદન કરવા લાગ્યા આપનું હૃદય અહીં ઘણુ વધારે બેચૈન થવા લાગ્યુ, એવી રીતે જાણે દુ:ખ અને રંજ આપના અસ્તિત્વને હલબલાવી રહ્યું હોય. આપે બારગાહે ઈલાહીમાં ફરિયાદ કરી: અય અલ્લાહ! શું મારાથી એક વધુ તરકે અવલા થયું છે કે આ જમીન ઉપર આવ્યા પછી બેચૈની, બેકરારી, ગ્લાનતા અને ગમગીનીમાં વધારો થઈ ગયો. ખુદાવંદે મોતઆલએ વહી મારફતે હ. આદમ અ.સ.ને જાણ કરી: “એ આદમ! તમારાથી ન કોઈ ગુનાહ થયા છે ન તરકે અવલા. પરંતુ આ એ ભુમી છે કે જ્યાં મારા ખાસ બંદા અને તમારા પુત્ર એવી રીતે શહિદ થશે કે તે મદદ મેળવવા માટે અવાજ બુલંદ કરશે કે છે કોઈ કે જે મારી મદદ કરે અને તે સમયે તેના કોઈ નાસીર કે મદદગાર ન હશે. તેની તરસની તીવ્રતા એટલી હશે કે સમગ્ર જગત તેને ધુમાડાની જેમ દેખાશે. આવી પરિસ્થિતિની અંદર જફાકારોએ તેમની ઘેરી લીધા હશે અને તેમને ગરદન પાછળથી શહીદ કરવામાં આવશે.” જનાબે આદમ અ.સ. અરજ કરી: “એ અલ્લાહ! હું શું કરૂં જેથી મારા દુ:ખની તીવ્રતા ઓછી થઇ જાય?” પરવરદિગારે કહ્યું: “અય આદમ! યઝીદ ઉપર અને હુસયનના કાતીલો ઉપર લઅનત કરો.” હઝરત આદમ અ.સ.એ યઝીદ ઉપર લઅનત કરી જેથી આપનો ગમ ઓછો થયો અને હજુ કરબલાથી અરફાતની પહાડીયો તરફ થોડા ડગલા ભર્યા કે જનાબે હવ્વા સાથે મુલાકાત થઈ. (બેહારૂલ અન્વાર, દર હાલાતે ઈમામે હુસયન અ.સ., ભાગ-૧)

હઝરત નૂહ અલયહિસ્સલામ

હઝરત નૂહ અ.સ.ની કવ્મ ઉપર અઝાબ આવ્યો, તોફાન આવ્યું, આખી દુનિયા ડુબી ગઈ સિવાય કે થોડી વ્યકિતાઓ, જેની સંખ્યા ૮૨ ની હતી અને જે નૂહની કશ્તીમાં સવાર થઈ ગયા હતા. જ્યારે આ વહાણ તોફાની મોજાઓનો સામનો કરીને કરબલાની જમીન ઉપર પહોંચ્યું તો મોટા મોટા મોજાઓના વમળ વચ્ચે આ વહાણ એવી રીતે હાલક ડોલક થવા લાગ્યુ કે જાણે તે ડૂબી જશે. હઝરત નૂહે બારગાહે ઝુલજલાલમાં અરજ કરી કે: એ મારા અલ્લાહ હું સમગ્ર જમીન ઉપર વહાણ મારફતે ફરતો રહ્યો પરંતુ આ રંજ અને અફસોસ અને જબરદસ્ત ભય કયાંય નસિબ ન થયો જે આ ભૂમી ઉપર થયો. આ સમયે જીબ્રઈલ અ.સ. આવ્યા અને કહ્યું: એ નૂહ! આ તે જમીન છે કે જ્યાં મારા હબીબ મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ.ના નવાસા અને મારા સર્વશ્રેષ્ઠ વસી અલી અ.સ.ના પુત્ર શહિદ થશે. આપે પુછયું: તેમનો કાતિલ કોણ હશે? હ. જીબ્રઈલ અ.સ.એ ફરમાવ્યું: તેનો કાતિલ યઝીદ હશે. જેના ઉપર જમીન અને આસમાનવાળા લઅનત કરે છે. તેથી હ. નૂહ અ.સ.એ પણ યઝીદ ઉપર સતત લઅનત કરી અને વહાણ આ તોફાનના વમળમાંથી મૂકત થયું.

હઝરત ઈબ્રાહીમ અલયસિહસ્સલામ

હઝરત ઈબ્રાહીમ અ.સ. એક વખત પોતાના ઘોડા ઉપર બેસીને કરબલાની ભૂમી ઉપર પહોંચ્યા. ઘોડો ઠાકર ખાઈને પડી ગયો અને તેની સાથે હ. ઈબ્રાહીમ અ.સ. પણ મોઢા ભેર પડી ગયા. ખલીલે ખુદાએ હાથોને ઉંચા કરીને પોતાના રબને યાદ કર્યો અને કહ્યું: શું મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ જેથી મને આ સજા મળી. તે વખતે જીબ્રઈલે અમીને આવીને હ. ઈબ્રાહીમ અ.સ.ને ખબર આપી કે એ નબી અલ્લાહ! આપનાથી કોઈ ભુલ નથી થઈ પરંતુ આ એ સરજમીન છે કે જ્યાં હ. ઈસ્માઈલના પુત્ર, મોહમ્મદ સ.અ.વ.ના નવાસા અને અલીના જીગરના વ્હાલાની શહાદત થશે તેનું નામ હુસયન અ.સ. છે. હ. ઈબ્રાહીમ અ.સ. એ જ્યારે હુસયન અ.સ.નું નામ સાંભળ્યું ત્યારે આપ રૂદન કરવા લાગ્યા. આપ પુછયું કે તેને કોઈ કત્લ કરશે? જીબ્રઈલે અમીને કહ્યું તેને સૌથી વધુ ઝુલ્મ કરનાર વ્યકિત યઝીદ કત્લ કરશે અને કહ્યું કે જ્યારે કલમને લવ્હ ઉપર નામ લખવા માટે કહેવામાં આવ્યુ ત્યારે તેણે મારી પરવાનગી વગર યઝીદના નામથી આગળ લઅન લખ્યું. પરવરદિગારે કલમની આ તજવીજથી ખુઈ જઈને કહ્યું: તેં આ સારૂં કામ કર્યું છે. તેથી હ. ઈબ્રાહીમ અ.સ.એ યઝીદ ઉપર ઘણી નફરત કરી. જેની બરકતથી ઘોડો બોલ્યો આમીન. અને પછી ઘોડાએ કહ્યું: એ ખલીલે ખુદા! આપ મારી પીઠ ઉપરથી પડી ગયા તેથી મને સખ્ત અણગમો થયો પરંતુ હવે ખબર પડી આ ઘટના તે શકીના દુષ્કૃત્યથી હતી. (બેહારૂલ અન્વાર)

હઝરત ઈસ્માઈલ અલયહિસ્સલામ

હ. ઈસ્માઈલ અ.સ.ના ઘેટાં ફુરાત નદીના કિનારા ઉપર ચરી રહ્યા હતાં. એક વખત ભરવાડે હ. ઈસ્માઈલ અ.સ.ને આવીને કહ્યુઃ કેટલાય દિવસથી આ ઘેટાએ પાણી નથી પીધું. હ. ઈસ્મોઈલ અ.સ.એ આવીને ઘેટોને પુછયુઃ પાણી ન પીવાનું કારણ શું છે? તે વખતે ઘેટાએ હ. ઈસ્માઈલ અ.સ.ને સંપૂર્ણ શુધ્ધ અરબી ભાષામાં કહ્યુઃ અમને ખબર મળી છે ક આ ભૂમી ઉપર આપના પુત્ર આખર જમાનાના નબીના નવાસા ત્રણ દિવસના તરસ્યા શહીદ કરી નાખવામાં આવશે. અમે ઈચ્છીએ છે કે અમે તે જનાબનું અનુસરણ કરીએ. હ. ઈસ્માઈલ અ.સ.એ સવાલ કર્યો તે જનાબ અ.સ.નો કાતીલ કોણ હશે? તેઓએ જવાબ આપ્યોઃ યઝીદ, જેની ઉપર જમીન અને અસમાનવાળા લઅનત કરશે. તેથી હ. ઈસ્માઈલે પણ યઝીદ ઉપર લઅનત કરી અને ફરમાવ્યુઃ ખુદાવંદા! તું હુસયનના કાતિલ ઉપર લઅનત કર.

હઝરત મૂસા અલયહિસ્સલામ

હ. મૂસા અ.સ.ના બારામાં રિવાયત છે કે એક વખત આપ કરબલાના રણમાંથી પસાર થયા ત્યારે આપના પગરખાંની દોરી તૂટી ગઈ અને કાંટાથી આપના પગ ઝખ્મી થયા. આપે ફરમાવ્યું: બારે ઈલાહા! મને કયા ગુનાહની સજા મળી રહી છે. પરવરદિગારે વહી દ્વારા ફરમાવ્યું: આ સજા નથી પરંતુ અહિં મોહમ્મદે મુસ્તુફા સ.અ.વ.ના નવાસાનું ખુન વહાવવામાં આવશે. તેનો કાતિલ યઝીદ હશે. જેના ઉપર જીન, ઈન્સાન, પશુ, પક્ષીઓ વિગેરે લઅનત કરશે. અમે ઈચ્છા કરી કે તમારૂં લોહી પણ એમના પવિત્ર લોહીમાં ભળી જાય. આ સાંભળીને હ. મુસા અ.સ.એ પણ યઝીદ ઉપર લઅનત કરી. (બેહાર)

હઝરત સુલયમાન અલયહિસ્સલામ

રિવાયતમાં છે કે એક વખત હ. સુલયમાન પોતાની ખાસ જાજમ ઉપર બેઠા અને હવાને હુકમ કર્યો કે તેમને ઉડાડીને લઈ જાય. હવાએ હુકમ મળતાંજ તે જાજમને જમીન ઉપરથી ઉંચકી અને પોતાના ખભા ઉપર લઈને ઉડવા લાગી. જ્યારે આ જાજમ કરબાલાના રણમાં પહોંચી તે તે ધ્રુજવા લાગી, હવા થંભી જવા લાગી અને ધીરે ધીરે જાજમ જમીન ઉપર ઉતરી ગઈ. જ. સુલયમાને હવાને સખત શબ્દો સંભળાવ્યા. જેનો હવાએ જવાબ આપ્યો: આ તે ભૂમી છે જેની ઉપર હુસયન અ.સ. શહીદ થશે. તેથી મારાથી આગળ જઈ શકાયું નહી. હ. સુલયમાને હવાને પુછયું: આ હુસયન કોણ છે? હવાએ કહ્યું: તે અહમદે મુખ્તારના નવાસા અને હયદરે કરા<રના પુત્ર છે. તેનો કાતિલ યઝીદ હશે. હ. સુલયમાને યઝીદ ઉપર નફરીન કરી અને આપની સાથે તમામ જીન અને ઈન્સાને નફરીન કરી, જેની બરકતથી હવા ફરી ચાલવા લાગી. સુલયમાનની જાજમ ફરી હવાની લહેર સાથે ઉડવા લાગી. (બેહારૂલ અન્વાર)

હઝરત ઈસા અલયહિસ્સલામ

રિવાયતમાં છે કે એક વખત હ. ઈસા અ.સ. ફરવા માટે નીકળ્યા અને કરબલાના રણમાં પહોંચ્યા. હ. ઈસા અ.સ. પોતાના અન્સારો સાથે હતા. આ મૌકા ઉપર એક સિંહે આપનો રસ્તો રોકયો. હ. ઈસા અ.સ.એ પુછયું: એ સિંહ તું મારો રસ્તો કેમ રોકી રહો છે? સિંહને ખુદાવંદે મોતઆલએ વાચા આપી અને કહેવા લાગ્યો: એ નબી અલ્લાહ, આ તે સરજમીન છે જ્યાં નબીના નવાસા શહીદ થશે. જ્યાં સુધી તેના કાતિલો ઉપર લઅનત નહીં કરો ત્યાં સુધી હું તમને આગળ વઘવા નહીં દઉં. તેથી હ. ઈસા અ.સ.એ હુસયન અ.સ.ના કાતિલો ઉપર લઅનત કરી. તે પછી સિંહ રસ્તામાંથી હટી ગયો.

હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલય્હે વ આલેહી વસ્સલમ

હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. તરફથી ઈમામ હુસયન અ.સ.ની શહાદતના બારામાં અહલે સુન્નત અને અહલે તશય્યોઅની ઘણી આગાહીઓ નકલ કરી છે. જેવી કે: સવાએકે મોહરકા, ઝખારેઉલ અબકી, તઝકેરતુલ ખવાસ, કન્ઝીલુલ ઉમ્માલ, મકતલે ખ્વારઝમી, ઉસદુલ ગાબા, તલ્ખીસ અઝ તાલીફે લુતફુલ્લાહ સાફી બનામે અઝમતે હુસયન. આ લેખ સંક્ષિપ્તમાં લખવાનો હોવાથી અહિં માત્ર ચાર હદીસોથી પૂર્તી કરવામાં આવી છે.

ખ્વારઝમીની રિવાયત છે કે અબુ અલી સલામી બયહાકીએ તેના ઈતિહાસમાં નોંધ કરી છે કે પયગમ્બરે ઈસ્લામ સ.અ.વ. ઈમામ હુસયન અ.સ.ને ફરમાવ્યું: એમાં શક નથી કે તારો દરજ્જો બેહિશ્તમાં છે જે તને તારી શહાદત પછી નસીબ થશે.

સિબ્તે ઈબ્ને જવ્ઝીની રિવાયત છે કે જ્યારે ઈમામ હુસયન અ.સ. કરબલાની ભૂમી ઉપર પહોંચ્યા તો તેની માટી ઉપાડીને સુંઘી પછી પૂછયું કે આ જમીનનું નામ શું છે અસ્હાબોએ કહ્યું તેને કરબલા અને દેહી ભાષામાં નયનવા પણ કહે છે. પછી આપે ફરમાવ્યું કરબ અને બલા. તે પછી આપે ફરમાવ્યું કે મારા નાની ઉમ્મે સલમાએ મને જાણ કરી છે કે એક દિવસ જીબ્રઈલ રસુલે ખુદાની ખીદમતમાં હાજર થયા અને તે વખતે એ હુસયન, તમે મારી પાસે બેઠા હતા. ત્યારે રસુલે ખુદાએ ફરમાવ્યું: ઉમ્મે સલમા મારા પુત્રને મારી પાસે મોકલો પછી હું રસુલે ખુદાની ખીદમતમાં હાજર થયો ત્યારે આપે મને પોતાની અબામાં લઈ લીધો તે પછી જીબ્રઈલ અમીને પુછયું: શું આપ એને દોસ્ત ગણો છો? નાનાએ કહ્યું: હા. તે પછી જીબ્રઈલે કહ્યું: આપની ઉમ્મત તેને કત્લ કરશે. જો આપ કહો તો તે જમીન આપને દેખાડી શકું છું. હ. રસુલે ખુદા સ.અ.વ. એ રજા આપી. તેથી જીબ્રઈલે કરબલાની જમીન હઝરતને દેખાડી. જ્યારે ઈમામે હુસયન અ.સ.એ કરબલાની માટી સુંઘી તો કહ્યું કે આજ તે કરબલાની જમીન છે જેની ખબર જીબ્રઈલે આપી હતી અને રસુલે ખુદાને દેખાડી હતી, કારણકે આ માટીમાં તેજ ખુશ્બુ છે જે મેં તે સમયે સુંઘી હતી.

ઈબ્ને અસીર ગુરફા બઝદી (જે અહલે સુફફામાંથી હતો) એ આ રિવાયતની નોંધ કરી છે કે એક દિવસ અલી અ.સ.ની સાથે હતો. મારા દિલમાં તે હઝરત માટે થોડી શંકાઓ ઉત્પન્ન થઈ. તે પછી હું આપની સાથે બહાર આવ્યો. આપ એક જગ્યા ઉપર આવીને રોકાઈ ગયા અને ફરમાવ્યુઃ

આ તે જગ્યા છે જ્યા આપના (હ. ઈ. હુસયન અ.સ.) ઘોડા અને ઉંટ બાંધવામાં આવશે અને જ્યાં આપનું લોહી વહેશે.

મારા મા બાપ તેમના ઉપર ફીદા થાય તેમની માટે ખુદા સિવાય કોઈ નહિ હોય.

ગુરફા કહે છે કે જ્યારે ઈમામ હુસયન અ.સ. શહિદ થઈ ગયા ત્યારે મેં તે જગ્યા ઉપર પહોંચીને જોયું તો હઝરત સય્યદુશ્શોહદા અને આપના કુટુંબીજનો અને અન્સારો તે જગ્યા ઉપર માર્યા ગયા છે અને તેજ જગ્યા છે જેના વિષે હઝરતે ખબર આપી હતી પછી મેં અલ્લાહથી માફી માંગી અને હઝરત અલી અ.સ. માટે મારા દિલમાં જે શંકાઓ હતી તે દૂર થઈ ગઈ.

સોવૈદ બીન ગફલાથી રિવાયત છે કે એક દિવસ હઝરત અમીરૂલ મોઅમેનીન અ.સ. સમક્ષ હું હાજર હતો ત્યારે એક વ્યકિતએ હઝરતને અરજ કરી: એ અમીરૂલ મોઅમેનીન! જ્યારે હું વાદીઉલ-કોરાની ઘાટીમાં ગયો ત્યારે મેં જોયું કે ખાલીદ બીન અરફતા મરેલો પડયો છે. મેં તેના માટે ઈસ્તિગફાર કર્યો.

હઝરતે ફરમાવ્યું કે તે એ સમય સુધી નહિ મરે જ્યાં સુધી તે નીચ વૃત્તિવાળા લશ્કરમાં અને ગુમરાહીમાં ન ભળી જાય અને લશ્કરનો અલમદાર હબીબ બીન હમ્માર હશે.

એક વ્યકિત તે બેઠકમાંથી ઉભો થયો અને કહેવા લાગ્યો. એ અમીરૂલ મોઅમેની હું આપનો દોસ્ત છું અને મારૂં નામ હબીબ બીન હમ્માર છે.

હ. અલી અ.સ.એ કહ્યું કે હા તું તે લશ્કરનો ધ્વજ ધારણ કરનાર હશે. બસ બનવાકાળ, ઈબ્ને ઝીયાદે ઉમર બીન સાઅદને હ. ઈમામ હુસયન અ.સ. સામે લડાઈ માટે કુફા મોકલ્યો. તેણે લશ્કરના વડા તરીકે ખાલીદ બીન અરફતાની નિમણુંક કરી અને તે લશ્કરનો ધ્વજ હબીબ બીન હમ્મારના હાથમાં હતો. અને તે લશ્કરની ટુકડી સાથે આખુ લશ્કર કુફા આવ્યું.

યઅકુબી કહે છે કે મદીના શહેરમાં જે વ્યકિતએ સૌથી પહેલો આક્રોશ કર્યો તે ઉમ્મુલ મોઅમેનીન જનાબે ઉમ્મે સલમા છે.

અંતમાં ઝોહેર બીન કયને બજલીને યાદ કરતા, વાચકોનું ધ્યાન દોરવું જરૂરી છે કે ઝોહેર ન ફકત ઉસ્માનીથી હતા બલ્કે હ. સય્યદુશ્શોહદા અ.સ.ની પાસે પણ તંબુ ઉભા કરવામાં કરાહ્ત મહસુસ કરી રહ્યા હતા. જ્યારે હઝરત સય્યદુશ્શોહદા અ.સ.એ પોતાના પ્યારા પુત્ર અલી અકબરને મોકલીને આપને બોલાવ્યા, તે સમયે આપ જમી રહ્યા હતા અને આપની પત્નિ દયલમ જે ઉમરની પુત્રી હતા, પાસે બેઠા હતા અને આપનો કોળીયો ગળા નીચે નહોતો પહોંચ્યો કે દયલમે કહ્યું: અજબ છે કે તમને ફાતેમાહ સ.અ.ના લાલ યાદ કરે અને તમે જવા માટે વિલંબ કરો છો. ઝોહેર બહુજ કચવાતે મને (અણગમા સાથે) હઝરત અ.સ.ની ખીદમતમાં હાજર થયા. પણ પાછા ફર્યા પછી પોતાના સાથીઓને કહ્યું: હું તો ઈમામ હુસયન અ.સ.ની તરફ જઈ રહ્યો છું અને તેમનીજ સાથે મારે શહિદ થવું છે. પોતાની પત્નિ દયલમને કહ્યું: હવે તું આઝાદ છો. દયલમે કહ્યું: શું કયામતના દિવસે રસુલે ખુદા પાસે મારી સીફારીશ કરશો? (અમુક રિવાયત મુજબ તેણી ઝોહયર બીન કયન સાથે ગયા હતા) ઝોહયર બીન કયને વાયદો કર્યો અને પોતાની શહાદતની ખબર ઈમામ હુસયન અ.સ.એ તે રીતે આપી: મને યાદ છે કે હું એક વખત બલનજર જે તુર્કસ્ટાનનો એક ઈલાકો છે ત્યાં લશ્કરની સાથે જેહાદ કરવા ગયો હતો. વિજય અને સફળતા અમારી તરફ આવી હતી. અમારા હાથમાં માલે ગનીમતનો ઘણો સામાન પણ આવ્યો હતો. હું તેથી ખુબજ ખુશ હતો. સલમાને ફારસી જે મારી સાથે હતા તે કહેવા લાગ્યા:

જ્યારે તમે આલે મોહમ્મદ અ.સ.ની સાથે હશો ત્યારે આથી વધુ ખુશ થશો અને તેમની સાથે જેહાદમાં આ માલે ગનીમતથી કેટલીય વધુ ખુશી નસીબ થસે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *