ગયબત અને સંપર્ક

Print Friendly, PDF & Email

ગયબત અને સંપર્ક

સમયગાળાના હિસાબે બે ગયબતો વચ્ચેનો તફાવત:

ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતની શરૂઆત ૮મી રબીઉલ અવ્વલ હી.સ. ૨૬૦માં હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત બાદ શરૂ થઇ. ગયબતનો આ પહેલો તબક્કો ચોથા નાએબે ખાસ શૈખ અબુલ હસન અલી ઇબ્ને મોહમ્મદ અસ સયમુરી (અ.ર.)ની વફાત સુધીનો છે. તેમની વફાત ૧૫મી શાબાન હી.સ. ૩૨૯ (શૈખ સદ્દુક (અ.ર.) પ્રમાણે હી.સ. ૩૨૮)માં થઇ. આમ ગયબતનો આ સમયગાળો ૬૮-૬૯ વર્ષનો હતો.

ગયબતના આ સમયગાળા પછી ગયબતનો બીજો તબક્કો શરૂ થયો અને તે હજુ પણ ચાલુ છે. પરંતુ આ તબક્કો કેટલા વર્ષનો હશે તે સમયનો ઉલ્લેખ અઇમ્મા (અ.સ.)ની હદીસોમાં ક્યાંય જોવા મળતો નથી. બલ્કે હદીસો મુજબ ઝુહુર થઇ જાય નહીં ત્યાં સુધી કોઇપણ આ સમય નિશ્ર્ચિત પણ કરી શક્તું નથી.

સમયગાળાના હિસાબે બન્ને ગયબતોમાં ફર્ક છે. એક ગયબત લાંબી છે અને બીજી ટૂંકી છે. ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત છે

َ قَالَ أَبُو عَبْدِ اللَّهِ ع‏ لِلْقَائِمِ غَيْبَتَانِ‏ إِحْدَاهُمَا قَصِيرَةٌ وَ الْأُخْرَى‏ طَوِيلَة

‘કાએમ (અ.સ.)ના માટે બે ગયબતો છે. બન્નેમાંથી એક ટૂંકી છે અને બીજી લાંબી છે.’

(કાફી, ભાગ – ૧, પાના નં. ૩૪૦, હદીસ નં. ૧૯, પ્રકરણ : બાબ ફીલ ગૈબત)

સંપર્કના હિસાબે બન્ને ગયબતમાં તફાવત:

આ તફાવત સંપર્કમાં કેવી રીતે રહેવું અને તેના પ્રકારના બારામાં છે.

ગયબતે સુગરા દરમ્યાન સંપર્ક:

ગયબતે સુગરાના સમયગાળામાં ઇમામ (અ.સ.) અને લોકોની દરમ્યાન ચાર નાએબે ખાસ સંપર્કનું માધ્યમ હતા.

તેમની નિમણુંક ખુદ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) એ પોતે કરી હતી.

તેઓ દીનના બારામાં અથવા દીની ફરાએઝના બારામાં જે કાંઇ બયાન કરતા હતા અથવા અમલ અંજામ આપતા તેમાં તેમને ઇમામ (અ.સ.)ની મોહરનો ટેકો હતો.

દા.ત. અગર તેઓ કોઇ દોઆની તાકીદ કરતા તો તેને ઇમામ (અ.સ.) તરફથી ગણવામાં આવતું.

દા.ત. સૈયદ ઇબ્ને તાઉસે ઉસ્માન બિન સઇદ અમ્રીથી જુમ્માના દિવસે નમાઝે અસ્ર પછી પઢવાની એક દોઆને નકલ કરી છે.

અગર લોકોનો કોઇ સવાલ કે હાજતો હોય તો લોકો નાએબે ખાસની સમક્ષ રજુ થતા અને તેઓ ઇમામ (અ.સ.)ની પાસેથી તેમનો ઉકેલ લઇ આવતા.

આમ જો કે ઇમામ (અ.સ.) ગયબતમાં હતા પરંતુ સંપર્ક માટેનું આવું પરોક્ષ માધ્યમ મૌજુદ હતું.

ગયબતે કુબરા દરમ્યાન સંપર્ક:

ગયબતે કુબરાના ઝમાનામાં આવી નિયાબત અને માધ્યમને બંધ કરી દેવામાં આવી છે અને લોકો ઇમામ (અ.સ.) સાથે આવા પ્રકારના સંપર્કથી મેહરૂમ (વંચિત) થઇ ગયા છે.

આજ મુખ્ય તફાવત છે.

અબ્દુલ્લાહ ઇબ્ને સેનાન કહે છે કે હું અને મારા પિતા ઇમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં પહોંચ્યા તો ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

كَيْفَ‏ أَنْتُمْ‏ إِذَا صِرْتُمْ‏ فِي‏ حَالٍ‏ لَا تَرَوْنَ فِيهَا إِمَامَ هُدًى وَ لَا عَلَماً يُرَى فَلَا يَنْجُو مِنْ تِلْكَ الْحَيْرَةِ إِلَّا مَنْ دَعَا بِدُعَاءِ الْغَرِيق‏

‘એ વખતે તમારી શું હાલત થશે જ્યારે તમને હિદાયત કરનારા ઇમામ નહીં દેખાય અને કોઇ સ્પષ્ટ નિશાન નહીં દેખાય. તે હયરતમાંથી કોઇ નજાત નહીં પામી શકે સિવાય કે જે દોઆએ ગરીક પઢે.’

(ગયબતે નોઅમાની, પાના નં. ૧૫૯)

(શૈખ નોઅમાની કહેછેકે અહી عَلَمٌ(સ્પષ્ટ નિશાની)થી મુરાદ ગયબતે સુગરાના ઝમાનાના નવ્વાબે ખાસ છે.) નાએબે ખાસનો દરજ્જો عَلَمٌ   એટલે કે નિશાની કે પરચમ નો હતો.

તેઓ એક નિશાની હતા. તેમના તરફ રજુ થવાથી હયરત અને ગુમરાહી દૂર થતી હતી.

પછી મારા પિતાએ કહ્યું

ھٰذَا وَ اللّٰهِ الْبَلَاء

અલ્લાહની કસમ આ બલા છે.

فَكَيْفَ‏ نَصْنَعُ‏ جُعِلْتُ‏ فِدَاكَ‏ حِينَئِذٍ

મારી જાન આપ્ના ઉપર કુરબાન થઇ જાય તો પછી તે સમયે અમારે શું કરવું જોઇએ?

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

إِذَا كَانَ‏ ذَلِكَ‏ وَ لَنْ‏ تُدْرِكَهُ‏ فَتَمَسَّكُوا بِمَا فِي أَيْدِيكُمْ حَتَّى يَتَّضِحَ لَكُمُ الْأَمْرُ.

‘જ્યારે એમ થાય; અને તમે તેને નહીં પામો; ત્યારે જે કાંઇ તમારા હાથમાં છે તેને વળગી રહો. એટલે સુધી કે તમારા માટે અમ્ર (ઇમામ અ.સ.) સ્પષ્ટ થઇ જાય.’

(ગયબતે નોઅમાની, પ્રકરણ : ૧૦, હ. ૪)

અહીં ما اَيْدِيْکُمْ(જે કાંઇ તમારા હાથમાં છે) થી મુરાદ ઉસુલે દીન અને ફુરૂએ દીન છે. જે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ની ગયબતના અગાઉના ઝમાનાની સાથે સુસંગત હોય જે તમારા હાથોમાં હતા અને શબ્દ امرઇમામતની બાબત તરફ નિર્દેશ કરે છે.

અહીં એ હુકમ આપવામાં આવ્યો છે કે ગયબતના સમયની શરૂઆત સુધીમાં જે કાંઇપણ તમારા સુધી પહોંચ્યું છે તમો તેની સાથેتَمَسَّکَ (વળગી રહેવું) રાખો. અને હઝરત વલીએ અસ્ર (અ.સ.)નો ઝુહુર ન થઇ જાય અને તેમના હુકમો તમારા માટે સ્પષ્ટ જાહેર ન થઇ જાય ત્યાં સુધી તમો તેને (مَا اَيْدِيْکُمْ) તમારા દીનનું માપદંડ બનાવી લો.

આવોજ હુકમ એક બીજી હદીસમાં પણ આપવામાં આવ્યો છે. હારિસ બિન મુગીરા નસરી ઇમામ સાદિક (અ.સ.)થી વર્ણવે છે.

قُلْتُ لَهُ إِنَّا نُرَوَّى بِأَنَّ صَاحِبَ هَذَا الْأَمْرِ يُفْقَدُ زَمَاناً فَكَيْفَ نَصْنَعُ‏ عِنْدَ ذَالِك‏

મેં આપ (અ.સ.)ને કહ્યું કે અમને વર્ણવવામાં આવ્યું છે કે એક મુદ્દત અમ્રે ઇમામતની ગેરહાજરીમાં પસાર થશે તો તેવા સમયે અમારે શું કરવું જોઇએ.

તો ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

قَالَ تَمَسَّكُوا بِالْأَمْرِ الْأَوَّلِ الَّذِي أَنْتُمْ عَلَيْهِ حَتَّى يُبَيَّنَ لَكُم‏

‘તમો અગાઉના અમ્ર કે જેની ઉપર તમો (બાકી) છો તેને વળગી રહો એટલે સુધી કે તમારા માટે સ્પષ્ટ થઇ જાય.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૧૩૩)

બીજી એક હદીસમાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

إِذَا أَصْبَحْتَ وَ أَمْسَيْتَ يَوْماً لَا تَرَى فِيهِ إِمَاماً مِنْ آلِ مُحَمَّدٍ فَأَحْبِبْ مَنْ‏ كُنْتَ‏ تُحِبُ‏ وَ أَبْغِضْ‏ مَنْ كُنْتَ تُبْغِضُ وَ وَالِ مَنْ كُنْتَ تُوَالِي وَ انْتَظِرِ الْفَرَجَ صَبَاحاً وَ مَسَاء

‘જ્યારે તમારે એવા સમયગાળામાંથી પસાર થવાનું થાય કે જેમાં તમે આલે મોહમ્મદ (સ.અ.વ.)માંથી કોઇ ઇમામને ન પામો તો પછી તમો તેની સાથે મોહબ્બત રાખો કે જેની સાથે તમો મોહબ્બત કરતા હતા અને તેનાથી બુગ્ઝ રાખો કે જેનાથી તમે બુગ્ઝ રાખતા હતા અને તેમની સરપરસ્તી રાખો કે જેની સરપરસ્તીમાં તમો હતા અને સવાર તથા સાંજ ફરજનો ઇન્તેઝાર કરો.‘’

(ગયબતે નોઅમાની, પ્રકરણ : ૧૦, પાના નં. ૧૫૮, હદીસ નં. ૩)

અહીંયા ઇમામ (અ.સ.)નો હુકમ એકદમ સ્પષ્ટ છે કે ગયબતે ઇમામના ઝમાનામાં મઝહબમાં કોઇ નવો હુકમ કે નવો અકીદો લઇ આવવો જોઇએ નહીં. બલ્કે એહલેબૈત (અ.સ.)નો વારસો અને હુકમો જે ગયબતની અગાઉ આવેલા છે તેનું રક્ષણ કરવું જોઇએ અને ઇમામ (અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરવો જોઇએ. જેથી તેમના ઝુહુર થકી નવા હુકમો અને જવાબદારી સ્પષ્ટ થઇ જાય.

મઝહબમાં કોઇએ પણ કોઇ નવી વસ્તુ (એટલે કે બિદઅત) દાખલ કરવી ન જોઇએ જે પહેલા ન હતી.

અગર જો કોઇ દીનમાં નવી વસ્તુ લઇ આવે તો કોઇએ પણ તેની પૈરવી ન કરવી જોઇએ.

ગયબત સંપર્ક કપાઇ જવાનું નામ નથી:

ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતે કુબરાના ઝમાનામાં સૌથી વધારે મહત્ત્વનો બુનિયાદી વસ્તુવિચાર એ છે કે ગયબતના કારણે આપણે એમ વિચારવું ન જોઇએ કે આપ (અ.સ.)ની સાથે સંપર્ક કરવાનો કોઇ દરવાજો કે કોઇ વસીલો બાકી નથી રહ્યો. નહીંતર આપ (અ.સ.)ના પાકીઝા અસ્તિત્વથી કોઇ ફાયદો મેળવી શકશે નહીં. ઇમામ (અ.સ.)ના વુજુદના સૂરજમાંથી ફાયદો મેળવવા માટે આપ (અ.સ.)ને રૂબરૂ જોવા પડે એવી કોઇ શરત નથી. જેમ કે અગાઉના અઇમ્મા (અ.સ.)ના ઝમાનામાં પણ ઘણા શીઆઓ એવા હતા કે જેમને તેમના ઝમાનાના ઇમામ (અ.સ.)ની ઝિયારત કરવાની તૌફીક નહોતી મળી. પરંતુ ઇમામ (અ.સ.)ની સાથે દીલથી સંબંધો જોડવાથી ગયબતના કારણે જે કાંઇ બાબતોથી આપણે વંચિત થઇ ગયા છીએ તેનું અમૂક વળતર મેળવી શકાય છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હદીસમાં ઇમામ (અ.સ.)ના વુજુદથી ફાયદો ઉઠાવવાની સરખામણી સૂરજને જ્યારે વાદળો ઢાંકી દે ત્યારે સૂરજથી મળતા ફાયદા સાથે કરવામાં આવી છે. જાબિર ઇબ્ને અબ્દુલ્લાહે અન્સારીએ પયગમ્બર (સ.અ.વ.)ને સવાલ કર્યો કે શું શીઆઓ ગયબતના ઝમાનામાં ઇમામે ઝમાના (અ.સ.)ના વજુદથી ફાયદો હાંસિલ કરી શકશે? તો આપ (સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું:

وَ الَّذِي بَعَثَنِي بِالنُّبُوَّةِ إِنَّهُمْ لَيَسْتَضِيئُونَ بِنُورِه‏ وَ يَنْتَفِعُونَ بِوَلَايَتِهِ فِي‏ غَيْبَتِهِ‏ كَانْتِفَاعِ‏ النَّاسِ‏ بِالشَّمْسِ‏ إِنْ‏ سَتَرَهَا سَحَاب‏

હા, તેની કસમ! કે જેણે મને નબુવ્વતની ઉપર મબઉસ કર્યો છે, બેશક તેઓ તેમના થકી તેમની ગયબતમાં તેમની વિલાયતના નૂરથી જરૂર મુનવ્વર થશે જેવી રીતે લોકો સૂરજથી ફાયદો ઉઠાવે છે જ્યારે કે વાદળોએ તેને ઢાંકી દીધો હોય છે.

આ સરખામણીના આધારે એમ કહી શકાય કે ગયબતના ઝમાનામાં ઇમામે ઝમાના (અ.સ.)ના વુજુદથી ફાયદો ઉઠાવવા માટે તેઓ કઇ જગ્યાએ છે તે જાણવું શર્ત નથી જેમકે સૂરજ. જ્યારે સૂરજ વાદળાઓની પાછળ છુપાએલો હોય છે ત્યારે તે આસમાનમાં કઇ જગ્યાએ છે તે સ્થળ પારખી શકાતું નથી પરંતુ તેનો પ્રકાશ જમીન પર જરૂર પહોંચે છે.

પહેલો મુદ્દો:

ગયબતના ઝમાનામાં ઇમામ (અ.સ.)નું મુબારક જીસ્મ સામાન્ય લોકોની નજરોથી છુપાએલું હોય છે. પરંતુ ઇમામ (અ.સ.)ના વુજુદનું નૂર દીલોને રોશની પહોંચાડે છે અને તેને ગુમરાહીથી બચાવી શકે છે.

બીજો મુદ્દો :

સૂરજને જોવા માટે વ્યક્તિની પાસે એવી આંખો હોવી જોઇએ કે જે તેને જોઇ શકે. તેની રોશનીથી ફાયદો ઉઠાવવા માટે પણ જોઇ શકે તેવી આંખોની જરૂર છે. ગયબતના ઝમાનામાં ઇમામ (અ.સ.)ના પાકીઝા વુજુદની બાબત પણ તેના જેવીજ છે. એટલે કે ઇમામ (અ.સ.)ના વુજુદથી ફાયદો મેળવવા માટે માણસનું દીલ આંધળું ન હોવું જોઇએ. જે ચીજ માણસના દીલ અને રૂહને પ્રકાશિત કરે છે તે ઇમામ (અ.સ.)નું નૂરે વિલાયત છે. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ પોતાની હદીસમાં જેનું વર્ગીકરણ શબ્દ يَنْتَفِعُوْنَ بِوِلَايَتِهથી કર્યું છે. એ અર્થમાં કે ઇમામ (અ.સ.)ની ગયબતમાં ઇમામ (અ.સ.)ના નૂરમાંથી આપ (અ.સ.)ની વિલાયત થકી નુર તલબ કરી શકાય છે.

બીજી એક રિવાયતમાં આપ (સ.અ.વ.)એ ફરમાવેલ છે.

وَ الَّذِي بَعَثَنِي بِالنُّبُوَّةِ إِنَّهُمْ لَيَسْتَضِيئُونَ بِنُورِه‏ وَ يَنْتَفِعُونَ بِوَلَايَتِهِ فِي‏ غَيْبَتِهِ‏ كَانْتِفَاعِ‏ النَّاسِ‏ بِالشَّمْسِ‏ إِنْ‏ سَتَرَهَا سَحَاب‏

‘હા, તેની કસમ! કે જેણે મને નબુવ્વતની ઉપર મબઉસ કર્યો છે, બેશક તેઓ તેમના થકી તેમની ગયબતમાં તેમનાથી જરૂર ફાયદો ઉઠાવશે અને તેમની વિલાયતના નૂરથી જરૂર મુનવ્વર થશે જેવી રીતે લોકો સૂરજથી ફાયદો ઉઠાવે છે જ્યારે કે વાદળાઓએ તેને ઢાંકી દીધો હોય છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૯૩)

અહી શબ્દ نور رلايتهસાબિત કરે છે કે ઇમામે ગાએબ (અ.સ.)ની વિલાયત નૂર છે. જે દિલ અને રૂહને નૂરાની બનાવે છે. અર્થાંત અગર કોઇ ચાહતું હોય તો તેણે પોતાના દિલને નૂરે વિલાયતથી મુનવ્વર કરવું જોઇએ.

નૂરે વિલાયતની બુનિયાદ ઇમામ (અ.સ.)ની મઅરેફત છે. જે એક કલ્બી અમ્ર છે. (દીલની બાબત છે) અને ઇમામ (અ.સ.)ને નજરથી જોવાની શરત નથી. મઅરેફત જેટલી ઉંડી અને સંપૂર્ણ હશે તેટલીજ વધારે તેની અસર જોવા મળશે. તેની અમૂક અસર દીલ ઉપર પણ પડશે અને અમૂક અસર શરીર ઉપર પણ પડશે.

દિલ પર પડતી અસરો છે મોહબ્બત, ઇન્તેઝાર અને ઇમામને તસ્લીમ થવું. દીલ અને શરીરનો લાઝેમો (જરૂરિયાત) છે તકવા, વરઅ અને ઇમામ (અ.સ.)નો ઝુહુર જલ્દી થાય તે માટેની દોઆ. ઇમામ (અ.સ.)ની વિલાયતનું નુર એ એવી બાબત નથી કે જે માત્ર દાવો કરવાથી કે વ્યક્તિગત રીતે ધારી લેવાથી હાંસિલ થઇ જાય. બલ્કે આ નૂરે વિલાયત મઅરેફત વડે અને મઅરેફતની તમામ અસરો અને જરૂરિયાતો વડે આવે છે તથા આજ નૂરે વિલાયત સૌથી પ્રાથમિક બાબત હતી જે મખ્લુકનું ઇમ્તેહાનનું માધ્યમ હતું. ચાહે પછી તેઓ અંબિયા હોય કે ફરિશ્તાઓ અને જે કોઇ આ ઇમ્તેહાનમાં કામ્યાબ થાય છે તેને ઉંચા દરજ્જા પ્રાપ્ત થાય છે.

ઇમામ (અ.સ.)ની વિલાયતની ધરી અને તેનો પાયો આપ (અ.સ.)ની મઅરેફત છે અને આ મઅરેફતનાં ભાગો છે, જેમ કે ઇમામ (અ.સ.)ના નામ અને સિફાતના થકી મઅરેફત. તથા આ મઅરેફતની અસરો અને લાઝેમાઓ (જરૂરિયાતો) છે, ઇમામ (અ.સ.)ની સાથે તસ્લીમ અને મોહબ્બત, ઇમામ (અ.સ.)નો ઝિક્ર, તેમના ઓલુમને શીખવા અને શીખવાડવા, ઇમામ (અ.સ.)ના ફરજ (ઝુહુર)નો ઇન્તેઝાર, ઇમામ (અ.સ.) માટે દોઆ કરવી, ઇમામ (અ.સ.)ની નુસરત (મદદ) કરવી, ઇમામ (અ.સ.)ની હાજરીને મેહસુસ કરવી અને દીનમાં તકવા ઇખ્તેયાર કરવો સૌથી વધારે મહત્ત્વના છે.

આ દરેક લાઝેમાઓ (જરૂરિયાતો) દેખાવાનો આધાર ઇમામે ઝમાના (અ.સ.)ની મઅરેફતના પ્રમાણમાં હોય છે. જેટલું મઅરેફતનું ધોરણ ઉંચું હોય છે તેટલીજ અસરો વધારે જોવા મળે છે. દા.ત. માણસ ઇમામ (અ.સ.) માટે વધારે કે ઓછી દોઆ કરે તો તેનો આધાર તેની મઅરેફત વધારે છે કે ઓછી છે તેના ઉપર છે.

ઇમામ સજ્જાદ (અ.સ.) ફરમાવે છે.

يَا أَبَا خَالِدٍ إِنَ‏ أَهْلَ‏ زَمَانِ غَيْبَتِهِ الْقَائِلِينَ بِإِمَامَتِهِ وَ الْمُنْتَظِرِينَ لِظُهُورِهِ أَفْضَلُ مِنْ أَهْلِ كُلِّ زَمَانٍ لِأَنَّ اللَّهَ تَبَارَكَ وَ تَعَالَى أَعْطَاهُمْ مِنَ الْعُقُولِ وَ الْأَفْهَامِ وَ الْمَعْرِفَةِ مَا صَارَتْ بِهِ الْغَيْبَةُ عِنْدَهُمْ بِمَنْزِلَةِ الْمُشَاهَدَةِ

‘અય અબા ખાલિદ! બેશક ગયબતના ઝમાનાના લોકો જેઓ ઇમામ (અ.સ.)ની ઇમામતને માને છે અને ઇમામ (અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છે તેઓ દરેક ઝમાનાના લોકો કરતા અફઝલ છે. કારણકે અલ્લાહ તબારક વ તઆલાએ તેઓને એવી અક્કલો અને એવી સમજદારી તથા એવી મઅરેફત અતા કરી છે કે જેના કારણે તેમની નઝદીક ઇમામ (અ.સ.)ની ગયબત મુશાહેદહ (નજરો સમક્ષ હોવું)ની જેવી થઇ ગઇ છે.’

(કમાલુદ્દીન, ભાગ – ૧, પ્રકરણ : ૩૧, પાના નં. ૨૧૯, હદીસ નં. ૨)

આવી હાલતનું મૂળ અને બુનિયાદ બે વસ્તુઓ ઉપર છે. પહેલું ઇમામતમાં અકીદો રાખવો અને બીજું ઝુહુરનો ઇન્તેઝાર કરવો.

પહેલી બાબત એજ મઅરેફત છે જે આપ (અ.સ.)ની વિલાયતની ધરી છે અને બીજી બાબત એ  મઅરેફતની સૌથી વધારે મહત્ત્વની અને અગત્યની અસર અને તેનો લાઝેમો (જરૂરિયાત) છે.

આ બન્નેના તબક્કાઓ અને દરજ્જા છે જે મઅરેફતના ઉત્કૃષ્ટ દરજ્જા ઉપર પહોંચે છે તેને માટે ગયબત પણ ઇમામ (અ.સ.)ને જોવા બરાબર લાગે છે.

ઇમામ (અ.સ.)ની મુલાકાતનો શોખ:

એહમદ ઇબ્ને ઇબ્રાહીમ કહે છે કે મેં મારા મૌલા ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.)ની મુલાકાત (દિદાર)ના મારા શોખની ફરિયાદ મેં બીજા નાએબ મોહમ્મદ બિન ઉસ્માન (અ.ર.)ને કરી.

તેમણે મને પુછયું: શું તું ઇમામ (અ.સ.)ને મળવા (જોવા) માંગો છો?

મેં કહ્યું : હા.

આપે કહ્યું : અલ્લાહ તમારા આ શૌખને કબુલ કરે અને અલ્લાહ ઇમામ (અ.સ.)ના ચહેરાના દીદાર તમને સરળતા અને સલામતી (عافيا) માં કરાવે.

અય અબુ અબ્દીલ્લાહ! તમે તેમની મુલાકાતની દરખાસ્ત ન કરો. કારણકે તમે તેમની મુલાકાતના મુશ્તાક (ઇચ્છા ધરાવનાર) તેમની ગયબતમાં બન્યા છો. પરંતુ તમે ગયબતના ઝમાનામાં તેમની સાથે રહેવાની માંગણી નથી કરી શકતા. કારણકે ગયબત એ નિશ્ર્ચિત હુકમમાંથી છે અને તેને તસ્લીમ થઇ જવું વધારે યોગ્ય છે. પરંતુ તમે ઝિયારતના થકી ઇમામ (અ.સ.)ની તરફ મુતવજ્જેહ થાવ.

સારાંશ :

ઇમામ (અ.સ.) ના દિદારના શોખને ખૂબજ વખાણવામાં આવ્યો છે.

આ તમન્ના અને શોખ માટે દોઆ કરવી પણ ખૂબજ ઇચ્છનીય છે. દોઆએ અહદમાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

اَللّٰهُمَّ أَرِنِي الطَّلْعَةَ الرَّشِيدَةَ وَ الْغُرَّةَ الْحَمِيدَةَ وَ اكْحُلْ‏ نَاظِرِي‏ بِنَظْرَةٍ مِنِّي إِلَيْه‏

‘અય અલ્લાહ! મને તેમના હિદાયત ધરાવનારા ચહેરા અને તેમના પ્રસંશનીય મુખને દેખાડી દે, તેમના દીદાર થકી મારી નજરોને રોશન કરી દે,’

(મફાતિહુલ જીનાન, ગયબતના ઝમાનામાં પઢવાની દોઆઓમાંથી)

ઇમામ (અ.સ.)ની મુલાકાત માટે દોઆ કરવી દર્શાવે છે કે આનું અમલી થવું અલ્લાહના ઇરાદા ઉપર આધારિત છે. કોઇપણ વ્યક્તિ તેમની સાથે રહેવા માટે માંગણી નથી કરી શકતો.

ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબત અલ્લાહ તઆલા તરફથી છે અને તે તેનો કતઇ હુકમ છે.

અલ્લાહના હુકમને તસ્લીમ (સમર્પિત) થવું શ્રેષ્ઠ રસ્તો છે. અલ્લાહની કઝાને તસ્લીમ થવું ઇમાનની નિશાની છે.

ઝિયારત થકી ઇમામ (અ.સ.)ની તરફ મુતવજ્જેહ થવું એટલે કોઇના ઘરે તેને મળવા જવું.

તવજ્જોહનો અર્થ કોઇને રૂબરૂ મળવાના અર્થમાં પણ આવે છે.

ઝિયારત એ માત્ર દિદાર કે માત્ર મુલાકાતથી જુદી બાબત છે. ઝિયારતથી મુરાદ કોઇના ઘરે હાજર થવાના અર્થમાં છે જ્યારે મુલાકાત રસ્તામાં હોય છે.

ઇમામે ઝમાના (અ.સ.)એ પોતેજ એક તવકીઅમાં મોહમ્મદ બિન અબ્દુલ્લાહને લખ્યું.

إِذَا أَرَدْتُمُ‏ التَّوَجُّهَ‏ بِنَا إِلَى‏ اللَّهِ‏ وَ إِلَيْنَا فَقُولُوا كَمَا قَالَ اللَّهُ تَعَالَى سَلَامٌ عَلَى آلِ يس‏

‘જ્યારે તમે અમારા થકી અલ્લાહ તઆલાની તરફ અને અમારા તરફ મુતવજ્જેહ થવા ચાહો તો એવી રીતે કહો કે જેવી રીતે અલ્લાહ તઆલાએ ફરમાવેલ છે.

સલામુન અલા આલે યાસીન……’

(એહતેજાજે તબરસી)

(ઝિયારતે આલે યાસીન માટે જુઓ, મફાતિહુલ જીનાન)

આથી ગયબતે કુબરાના ઝમાનામાં ઇમામે ઝમાના (અ.સ.) સાથે باب ارطباتસંપર્કનો દરવાજો જે ગયબતે સુગરાના ઝમાનામાં (નાએબે ખાસના સ્વરૂપે) હતો તે મૌજુદ નથી. પરંતુ એમ કહી શકાય કે એક દ્રષ્ટિકોણથી ઇમામ (અ.સ.)ની ઝિયારતની શક્યતાના રૂપમાં ‘દિલથી સીધે સીધો સંપર્કનો દરવાજો’ મોમીનોના માટે ખુલી ગયો છે. આ રસ્તો કોઇ૫ણ માધ્યમની જરૂરીયાતનો મોહતાજ નથી.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *