હઝરત મહદી અલયહિસ્સલામની દોઆ, તરજુમો અને સારાંશ

Print Friendly, PDF & Email

આ દોઆની શરૂઆત ‘અલ્લાહુમ્મર્ઝુકના તવફીકત્તાઅતે’થી થાય છે. જેને પ્રખર હદીસકાર શયખ અબ્બાસે કુમ્મી (રહ.) એ તેમની પ્રસિધ્ધ કિતાબ ‘મફાતીહુલ જીનાન’માં આલમે રબ્બાની અને આરીફે નુરાની શયખ કફ અમીની ‘મીસ્બાહુલ મુતહજ્જીદ’માંથી નકલ કરી છે. જગ્યાના અભાવને કારણે દોઆની સનદથી ચર્ચા કર્યા વગર અર્થઘટન તરફ આગળ વધીએ છીએ. યાદ રહે કે આ દોઆ દરેક નમાઝ પછી અથવા તો જ્યારે પણ તક મળે ત્યારે પડવી જોઈએ. (‘મફાતીહુલ જીનાન’માં આ દોઆ મુનાજાતે ખમ્સ અશરહની પહેલા છે)

(1) અલ્લાહુમ્મર્ઝુકના તવફીકત્તાઅ: દોઆની શરૂઆત અલ્લાહુમ્મથી થાય છે. જેનો અર્થ છે ‘એ ખુદા’ખરેખર તો આ શબ્દ ‘યા અલ્લાહ’હતો. પરંતુ અરબીના કાયદા મુજબ અમુક વખતે સંબોધનની પહેલા લાગેલા શબ્દ ‘યા’ને કમી કરીને એક તશ્દીદવાળા મીમને લગાડી દેવામાં આવે છે. અર્ઝુકના એટલે અમને રોઝી (રીઝક) આપ. ‘રીઝક’સામાન્ય વપરાશમાં ખોરાક અને ખાવા પીવા માટે વાપરવામાં આવે છે પરંતુ ‘રીઝક’નો ઉપયોગ દુનિયાની અથવા આખેરતની કાયમી રીતે આપવામાં આવેલી વસ્તુઓ માટે પણ થાય છે. બીજા શબ્દોમાં પરવરદિગારે આલમે કોઈપણ આપેલી વસ્તુઓ અથવા નેઅમત, રીઝક કહેવામાં આવે છે. પછી તે નેક કાર્ય કરવાની શકિત હોય, ખોરાક હોય અથવા જ્ઞાન-ઈલ્મ હોય અથવા સમયની વિશાળતા હોય. રોઝી આપવી તે ખુદાવંદે આલમનો ગુણ છે એટલે કે દરેક સર્જનને રોઝી આપનાર માત્ર ખુદા છે. તેથી તે ફરમાવે છે: ઈન્નલ્લાહ હોવર રઝઝાકો ઝુલ કુવ્વતીલ મતીન. (ઝારેયાત-58) આ આયતમાં ‘હોવ’ નું રઝઝાક ઉપર અવલંબવું તાકીદની દલીલ છે. એટલે માત્ર અલ્લાહ અને અલ્લાહના હાથમાંજ રીઝક છે. તેથી બીજી દોઆઓ અને મુનાજાતની જેમ સૃષ્ટિના સર્જનહારની સમક્ષ આ દોઆની પણ શરૂઆત આજીજી અને નમ્રતા સાથે થાય છે. તેથી દોઆ કરવામાં આવે છે કે તું જે રોઝી આપી શકે છે અને તારી પાસે જ અમે રોઝી માગીએ છીએ. (ધ્યાન આપવા લાયક વાત એ છે કે કુરઆને કરીમમાં બીજા ઉપર પણ રોજીની જવાબદારી નક્કી કરવામાં આવી છે અને રોઝી આપનાર કહેવામાં આવ્યા છે, પરંતુ આ બધા વસીલા-માધ્યમો દ્વારા છે) હવે એ સ્પષ્ટ થઈ ગયું કે રીઝકનો ઉપયોગ કાયમી અતા માટે પણ થાય છે. તો આવો, આપણે જોઈએ કે આપણા ઈમામ ઈમામે અસ્ર (અ.સ.) એ ‘અરઝુકના’ સમુહમાં કઈ વસ્તુઓ માટે દોઆ કરી છે. આપણે કઈ કઈ નેઅમતોને (વસ્તુઓને) માગવાની કેવી રીત છે તે શીખવી છે. ‘તવફીક’‘વકફ’થી બન્યું છે. એટલે કે બે વસ્તુઓ વચ્ચે સરખાપણું શોધવું અને તેને ‘ઈસ્લાહ’ના અર્થમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સુધારણા અને સફળતા પણ તવફીકની ઈસ્લાહમાં સમાએલા છે. જે માત્ર અલ્લાહ તઆલાની તરફથી તેના બંદાઓને આપવામાં આવે છે. તેથી ઈરશાદે બારી છે : ‘વમા તવફીકી ઈલ્લા બીલ્લાહ’ (હુદ-88) અને મારી તવફીક અને સફળતા નથી પરંતુ અલ્લાહની તરફથી. તેથી અર્થ એ નીકળ્યો કે બધી ખુબીઓના ભંડાર બારી તઆલાની જાત છે. તેથી કોઈને ખુબીઓ મેળવવી હોય તો તેની પાસે ખુદાવંદે આલમની બારગાહમાં ફકીરી હાથ લંબાવવા સિવાય બીજો કોઈ સ્ત્રોત નથી. વધુ સ્પષ્ટ રીતે કહી શકાય કે રહેમત અને બરકતની લાગણી, યોગ્યતા અને હિમ્મત, નેકી અને બંદગી, ઈઝઝત અને સફળતા અને ભલાઈ, બધી તવફીકોનો સ્ત્રોત બુઝુર્ગ અને મહાન અલ્લાહની જાત છે. જેમકે શકય છે કે કોઈ માણસ બહુ શકિતશાળી હોય પરંતુ તવફીક ન થવાના કારણે અમલથી અલીપ્ત હોય અને તેનાથી તદદન ઉલ્ટું, એક ખુબજ વૃધ્ધ અને દુબળો મોઅમીન તવફીકના કારણે શરદીની રાતોમાં ઉઠીને નમાઝે શબ પડતો હોય. આ બધુ સાચું છે પણ એ યાદ રાખી લેવું જોઈએ કે ખુદાનું કોઈ કામ કે હુકમ કારણ વગર કે હેતુ વગર થતો નથી. તેથી તવફિક માટે પણ તેનો હેતુ અને કારણનું હોવું જરૂરી છે. તે માટે ખુદાવંદે કરીમે તવફીકનો આધાર માનવીની નિય્યત ઉપર રાખ્યો છે. રિવાયતોમાં મળે છે. અત્તવફીકો અલા કદરીન નિય્યતે.

અત્તાઅત: અર્થાત: ઈચ્છા સાથેનું વલણ કઈ તરફ પ્રેરાય છે. સામાન્ય અર્થમાં તાબેદારી અને સ્વિકારવાના અર્થમાં ઉપયોગ થાય છે. આ દોઆમાં તાબેદારીનો અર્થ પરચરદીગારના હુકમોનું પાલન કરવું. ખુદાની તાબેદારી દુનિયા અને આખેરતમાં ઈન્સાનની સફળતાનું કારણ છે. મુશ્કેલીઓ દુર થાય છે. અલ્લાહનો ગઝબ દુર થાય છે. ઝઘડામાં સુલેહ થાય છે. મોઅમીન માટે ઈઝઝત અને બરકતનું કારણ છે. લોકોની બુરાઈઓથી સુરક્ષિત રહેવાની રીત છે. એટલુજ નહિ પરંતુ મહત્ત્વની વાત એ છે કે મૃત્યુની હકીકતને સ્વિકાર કરવાની જાહેરાતનું શ્રેષ્ઠ માધ્યમ છે. (અર્થાત અલ્લાહના હુકમોનું પાલન કરવાવાળાને મૌતાનો ડર નથી રહેતો – મૌતની હકીકતને હસીને સ્વિકાર કરે છે.) વાજીબાત અદા કરવા માટે પરીવર્તનકાળ છે. પણ અજબ રંગ દેખાય છે દુનિયાનો કે લોકો વાજીબાતથી એ રીતે નાસી જતા હોય છે જે રીતે ભુખ્યા સિંહના ભયથી નાસી રહ્યા હોય.

અમીરૂલ મોઅમેનીન અલી બીન અબી તાલીબ (અ.સ.) એ ફરીયાદ કરી છે: ‘દઆહુમ રબ્બોહુમ ફનફરૂ વ વલ્લવ વ દઆહોમુશ્શયતાનો ફસ્તજાબુ વ અકબલુ’(નહજુલ બલાગાહ. ખુ. 166) તરજુમો જ્યારે તેઓનો પરવરદિગાર તેઓને દાઅવત આપે છે ત્યારે તે નાસી જાય છે અને પાછા ફરી જાય છે, પરંતુ જ્યારે શયતાન તેઓને બહેકાવે છે ત્યારે તેઓ તુરતજ લબ્બેયક કહે છે. અને તેની દાઅવત સ્વિકારે છે. એ વાત યાદ રહે કે જે કાંઈ નેઅમતો છે તે તાબેદારી વગર પ્રાપ્ત થઈ શકતી નથી. કારણકે તાબેદારી પણ બાકીના તમામ હુકમો ઉપર અગ્રતા ધરાવે છે.

(2) વબોઅદલ મઅસીય્યહ: ‘અને ગુનાહ અને નાફરમાનીથી દુર રાખ.’ અહિં અક્ષર ‘વાવ’સંધી છે શબ્દોને જોડે છે. આગળનો શબ્દ માઅસીય્યા ‘અસા’થી બન્યો છે એટલે નાફરમાની અને આ ‘ઈતાઅત’નો વિરોધી શબ્દ છે. બીજા શબ્દમાં: અલ ખોરૂજ મેનત તાઅત’ ગુનાહોથી દુર રહેવું તે ખરેખર ખુદાની નેઅમત છે. નાફરમાની ‘ખીઝલાન’નું કારણ છે. એટલે ખુદા તેના બંદાઓને તેઓના હાલ ઉપર છોડી દે છે અને તેની તવફીકોથી અળગા કરી દે છે. ‘ખીઝલાન’નું પરીણામ કાંઈજ નથી સિવાય કે અજ્ઞાનતામાં વધારો. જ્યારે માણસ કોઈ ગુનાહ કરે છે ત્યારે તે ફકત અલ્લાહ તઆલાની નાફરમાની નથી કરતો બલ્કે રસુલે અકરમ (સ.અ.વ.) અને તેની એહલેબૈત (અ.મુ.સ.) સાથે પોતાની દુશ્મનીની જાહેરાત કરે છે. તેથી હઝરત અલી (અ.સ.) ફરમાવે છે: ‘બેશક મોહમ્મદ (સ.અ.વ.)ના દોસ્ત અને ચાહનારા એજ છે જે ખુદાવંદે આલમની તાબેદારી કરે. પછી ભલે તેને આપની સાથે કોઈ લોહીનું સગપણ ન હોય. અને આપનો દુશ્મન તે છે જે રબ્બુલ આલમીનની નાફરમાની કરે, પછી ભલે તે આપના ગમે તેટલા નજીકના સગા પણ કેમ ન હોય.’ (નહજુલ બલાગાહ ખુ. 96)

આશ્ચર્ય છે આદમની અવલાદ ઉપર! જ્યારે આ દુનિયા તેને ક્રુરતા, વિનાશ અને આફત તરફ આમંત્રણ આપી રહી છે ત્યારે તે ઝડપથી તેની તરફ દોડી રહ્યો છે.

(3) વસીદકન નીય્યહ: અને સાચી અને નિખાલસ નીય્યતની તવફીક અર્પણ કર. નીય્યત ‘નુવી’શબ્દથી બનેલો છે. એટલે ઈરાદો કે વાયદો કરવો. નીય્યત કાર્યનું મુળ અને પાયો છે અને કાર્યો નીય્યતનું ફળ છે. જો નીય્યત મજબુત હોય તો શરીરની નબળાયને અવગણવામાં આવે છે. તેથી હદીસમાં મળે છે: ‘નિય્યતુલ મોઅમેને ખ્યરુન મીન અમલેહી વ નીય્યતુલ કાફેરે શર્રરૂન મીન અમલેહ’મોઅમીનની નીય્યત તેના અમલથી વધુ સારી હોય છે અને કાફીરની નીય્યત તેના અમલથી વધુ ખરાબ હોય છે. અહિં ઈમામે અસ્ર દોઆ કરી રહ્યા છે કે પરવરદિગાર! અમારી નિય્યતોને પાક અને પાકીઝા ફરમાવ. એટલે કે દરેક પ્રકારના દંભ, બનાવટ ખુશામત, બહાના, કુફ્ર વગેરેને અમારી નિય્યતથી બરતરફ ફરમાવ. જો નીય્યત પાક હશે તો અઅમાલ કબુલ થશે. નહિ તો ઈન્સાન ગમે તેટલા અઅમાલ કરે તેનો સ્વિકાર થવાની કોઈ જામીનગીરી નથી. હ. અલી (અ.સ.) ફરમાવે છે: મન હસોનતલ નિય્યતોહુ ઝાદલ્લાહો ફી રીઝકેહ.’ જેની નીય્યત નેક હશે અલ્લાહ તઆલા તેની રોઝીમાં વધારો કરશે. આજ સાચી નીય્યત માટે ઈમામે સાદિક (અ.સ.) ફરમાવે છે: ‘જો સાચી નિય્યત રાખશે તો નરમ દીલનો માલીક બનશે. કારણકે દિલને ત્યારે શાંતી, સ્વસ્થતા પ્રાપ્ત થશે જ્યારે બધા કામોમાં તેની નિય્યત નિખાલસતાપૂર્ણ અલ્લાહના માટે હશે.’ ખરાબ નિય્યતના કારણે માનવી રોઝીથી અળગો થઈ જાય છે, બલાઓ ઉતરી આવે છે અને બરકતોનો નાશ થાય છે.

(4) વ ઈરફાનલ હુરમહ: ઈરફાન અને મારેફત એટલે જાણકારી અને ઓળખ. હુરમત એટલે એ વસ્તુઓ જે શરીઅતે હરામ ગણી છે. તેથી શબ્દોનો તરજુમો આ રીતે થશે. ‘પરવરદિગાર! અમને હરામ વસ્તુની ઓળખ કરાવી આપ. (જેથી અમે તેનાથી દુર રહી શકીએ) બુધ્ધીશાળીની નિશાની એ છે કે તે ગુનાહોથી પરહેઝ કરે. ખાસ કરીને હરામ ખાવા અને પિવાથી, જેનાથી માણસનું લોહી અને માંસ બને છે. જ્યારે માણસ એ વસ્તુને ખાય છે, જે શરીઅતે હરામ ગણી છે, આસમાન અને જમીનના બધા ફરિશ્તાઓ તેની ઉપર લાઅનત – મલામત કરે છે. જે ઈબાદત હરામ ખાવાની સાથે કરવામાં આવે છે તે એવી રીતે છે જે રીતે પાણી ઉપર ઘરનું બાંધકામ. રિવાયતોમાં છે કે એક કોળીયો હરામનો ન ખાવો તે હજાર મુસ્તહબ નમાઝોથી વધુ સાં છે. પરંતુ માણસ હરામથી કયારે બચી શકે છે? તે ત્યારેજ શકય છે જ્યારે તે તેને ઓળખે અને તેનાથી જાણકારી મેળવે. જે શકિત ધરાવતો હોવા છતાં હરામથી દૂર રહે, અલ્લાહ તઆલા તેની ઉપર જહન્નમની આગ હરામ કરી દેશે અને તેને જન્નતમાં દાખલ કરશે.

(5) વ અકરીમ્ના બિલ હોદા વલ ઈસ્તેકામહ: અને અમારી ઉપર હિદાયત અને સીધા માર્ગ દ્વારા મહેરબાની ફરમાવ. શ્રેષ્ઠ હીદાયત અલ્લાહની હિદાયત છે. અને તે ક્ષેત્રની જવાબદારી અલ્લાહે કોઈને નથી આપી. એટલે સુધી કે ખુદ રસુલે અકરમ (સ.અ.વ.)ને કહેવામાં આવ્યું છે: ‘(એ નબી!) તમે જેને ચાહો તેને હિદાયત નથી કરી શકતા પરંતુ અલ્લાહ જેને ચાહે છે તેને હિદાયત કરે છે.’ (કસસ : 56) જ્યારે હિદાયત કરનાર અલ્લાહ છે અને તે મેળવનાર તેનો બંદો છે, તો હવે સવાલ એ પેદા થાય છે કે બંદો હિદાયત કેવી રીતે મેળવે? બીજા શબ્દોમાં અલ્લાહની હિદાયત એટલે અલ્લાહ તબારક વ તઆલાના દીનનો હકદાર કોણ છે? તે કોણ લોકો છે જે હિદાયતથી અળગા રહી જાય છે? આ સંદર્ભમાં આયતો અને રિવાયતોના પ્રકાશમાં અમૂક આમાલોની ચર્ચા યોગ્ય લેખાશે, જેના દ્વારા ઈન્સાન પોતાની જાતને હિદાયતને લાયક બનાવી શકે. જેમકે: (1) ખુદા ઉપર ઈમાન (2) પરહેઝગારી (3) તવબા અને ગુનાહોથી પરહેઝ કરવાનો પાકો નિશ્ચય (4) ગુનાહોથી દૂર રહેવું (5) અલ્લાહના માર્ગમાં સંઘર્ષ કરવો (6) અલ્લાહના હુકમોનું પાલન કરવું (7) દીનનો ઉમંગ દિલમાં રાખવો (8) ધીરજ (9) યકીન (10) નિખાલસ નિય્યત (11) સલાહ – મશ્ર્વેરો કરવો (12) અલ્લાહનો ઝીક્ર કરવા (13) અઈમ્મા (અ.મુ.સ.)નું અનુસરણ કરવું.

હવે આવો, જોઈએ કે તે કઈ કઈ વસ્તુઓ છે જેના કારણે માણસને હિદાયતથી અળગતો કરી દેવામાં આવે છે:

(1) ઝાલીમ, જુએ તો તે બીજા ઉપર ઝુલ્મ કરે કે પોતાના નફસ ઉપર તે ગુનાહોમાં પરિણમે છે.

(2) કુફ્ર.

(3) નાફરમાની અને બદકાર્યો: બેશરમી સાથે ગુનાહિત કાર્યો કરવા.

(4) ઈસ્રાફ અથવા ખોટો ખર્ચ.

(5) જુઠાણું – (બોલવામાં કે કાર્યોમાં)

(6) નફસની ખ્વાહિશની પૈરવી – પોતાનો નફસ જેમ કહે તેમ કર્યે જવું, કોઈ કાબુ વગર.

(7) ઈમામો (અ.મુ.સ.)ની આગેવાની ત્યજી દેવી. એમને પોતાના ઈમામ (અ.સ.) અને માર્ગદર્શક ન માનીને અમલ કરવો.

(8) દીનની બાબતોમાં શંકા કરવી.

ઈસ્તેકામત, એટલે ધર્મમાં સ્થિરતા, ફકત સીધા માર્ગે ચાલીને જ મેળવી શકાય. જેમકે કુરઆનના પહેલા પ્રકરણમાં છે: ‘એહદેનસ સેરાતલ મુસ્તકીમ’એટલે અમને સીધા માર્ગ પર સાબિત કદમ રાખ. સીધો માર્ગ એટલે હક્કનો માર્ગ. સુરએ હુદ આ. 112 માં ફરમાન છે: ‘ફસ્તકીમકમા ઓમીરતઅ’એટલે જેવી રીતે તમને હુકમ આપવામાં આવ્યો છે તેવી રીતે દ્રઢતા – સ્થિરતાથી કામ લ્યો. અલ્લાહ તઆલા એ લોકોને દોસ્ત નથી રાખતો અને તેઓથી નફરત કરે છે, જેઓમાં સ્થિરતા (સાબિત કદમી) નથી. અલ્લાહે એ લોકોને બશારત આપી છે જે તેની (અલ્લાહની) રાહમાં સાબિત કદમ છે. જે કોઈ પોતાના દીન, દુનિયા અને આખેરતની સલામતી ચાહતો હોય તેણે સ્થિરતા – દ્રઢતાથી કામ લેવું જોઈએ અને તે માટે અલ્લાહ પાસે દોઆ માંગવી જોઈએ. હઝરત અલી (અ.સ.)નું ફરમાન છે : જેમાં ‘ઈસ્તેકામાત’ સ્થિરતા હોય, તે જન્નતમાં જશે અને જેના કદમ ડગમગાશે એ જહન્નમમાં દાખલ થશે. (ન.બા., ખુ. 119)

હિદાયરત અને સ્થિરતાની અગત્યતા સમજવા પછીજ ઈન્સાન ‘અકરીમ્ના’(અમારા પરકરમ કર) શબ્દની ગંભીરતા સમજી શકે છે. આ બે નેઅમતો જેને મળી જાય એને જાણે સાચી ઈઝઝત અને કરમ મળી ગયા.

(6) વ સદ્દીદ અલસેનતેના બીસ્સવાબે વલ હિકમહ:

અને અમારી જીભોને સાચી વાતો અને અકલમંદીવાળી ગુફતેગુની તરફ હિદાયત કર.

‘સદ્દીદ’એટલે સહી રસ્તાની તરફ માર્ગદર્શન કરવું. ‘અલ-સેનત’- લેસાન (જીભ)નું બહુવચન છે. ‘સવાબ’ એટલે હક અને સાચી વાતો. ‘હિકમત’ એટલે અકલમંદી ભર્યા વિચાર-આચાર.

ઈન્સાનની જીભ તેના વ્યકિતત્વનું એક અજોડ અંગ છે, અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે : ‘અલ-લેસાનો મીઝાનુલ ઈન્સાન’એટલે જીભ જ ઈન્સાનની કિમતનું ત્રાજવું છે. (જેના થકી ઈન્સાનની કિમત તોલી શકાય છે.)

જેવી રીતે સ્ત્રીની સુંદરતા તેના દેખાવમાં હોય છે તેવી રીતે મર્દની સુંદરતા તેની જીભમાં હોય છે. આ જીભ દરેક ભલાઈ અને બુરાઈની ચાવી છે. મોઅમીનના ઈમાનમાં તે સમય સુધી પુખ્તતા આવી નથી શકતી જ્યાં સુધી તેની જીભમાં પુખ્તતા પ્રાપ્ત ન થાય. ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે કે મોઅમેનીન માટે જરૂરી છે કે પોતાની જીભનું એ રીતે રક્ષણ કરે જે રીતે તે સોના અને ચાંદીનું રક્ષણ કરે છે. તેમાંજ તેની સલામતી છે. આ નાની એવી વસ્તુનો ફીત્નો તલ્વાર અને ભાલા કરતા પણ વધુ ખરાબ હોય છે. તેથી આપણે દોઆ કરવી જોઈએ કે ખુદાયા, તું અમારી જીભોનું રક્ષણ કર, એવી રીતે કે સચ્ચાઈ અને હિકમત ભરી વાતો સિવાય તેમાંથી કાંઈજ ન નિકળે. એટલે આપણે સમજી વિચારીને શબ્દો બોલવા જોઈએ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે: લેસાનુલ આકેલે વરાઓ કલ્બેહી વ કલ્બુલ અહમકે વરાઓ લેસાનેહી. (નહજુલ બલાગાહ હ. 40)

બુધ્ધીવાનની જીભ તેની બુધ્ધીની પીઠ પાછળ છે પરંતુ મૂર્ખની બુધ્ધી તેની જીભની પાછળ છુપાએલી છે.

(7) વમ્લાઅ કોલુબના બીલ ઈલ્મે વલ્મઅરેફહ: ‘અને દિલોને જ્ઞાન અને મઅરેફતથી ભરપૂર કરી દે.’ ‘ઈમ્લા’શબ્દ ‘મલા’થી બન્યો છે. એટલે ફેરવી નાખવું. ઈલ્મ અને મઅરેફત એવી વસ્તુઓ છે કે જેનું વિવરણ આ ટુંકા લેખમાં કરવું મુશ્કેલ છે એટલુંજ નહિ અશકય પણ છે. અલ્લામા મોહમ્મદ બાકિર મજલીસીએ બેહારૂલ અન્વારમાં ઈલ્મ અને મઅરેફત અને અક્કલની ચર્ચા બે ગ્રંથોમાં કરી છે. ટૂંકમાં એ કે ઈલ્મ મેળવવું તે દરેક મુસ્લિમ ઉપર વાજીબ છે. આપના અઈમ્મા (અ.મુ.સ.) એ આ વિષય ઉપર ઘણો ભાર મૂકયો છે. તેની વિગતવાર સ્પષ્ટતા અને ખુલાસાઓ કરીને તે પ્રાપ્ત કરવા માટે બેહદ તાકીદ કરી છે. અફસોસ એ વાતનો છે કે આટલી તાકીદ પછી પણ આજે આપણી કૌમમાં એવી રીતે અજ્ઞાનતા અને ગુમરાહીઓની આંધી ચાલી રહી છે, જેની ધુળ અને માટીમાં ઈન્સાનના ઈલ્મ, મઅરેફત અને ઈમાનના મુલ્યો અપમાનિત થઈ રહ્યા છે. તે જોઈને આપણા ઝમાનાના ઈમામ (અ.સ.)ને ચોક્કસ રંજ અને અફસોસ થતો હશે. આપણી ફરજ એ છે કે આપણે ખુદ ઈલ્મ પ્રાપ્ત કરીએ એટલુંજ નહી બીજાને પણ તેનું શિક્ષણ આપીએ. મઅરેફતના અનુસંધાનમાં એ દશર્વિવું જરૂરી છે કે આપણી જવાબદારી એ છે કે ખુદા અને રસુલ (સ.અ.વ.)ના બતાવેલા હુકમો ઉપર અમલ કરીએ અને તે બાબતોથી દુર રહીએ જેનાથી આપણને (હરામ અને મકરૂહ નથી) રોકવામાં આવ્યા છે. અને મનાઈ કરવામાં આવી છે. પછી આ દોઆ માટે હાથ ઉંચા કરીને કહે: ‘પરવરદિગાર! તારી મઅરેફત અતા ફરમાવ. જો તે અમને તારી મઅરેફત ન આપી તો અમે તારી હુજ્જત એટલે ઈમામે અસ્રને નહિ ઓળખી શકીએ. અન જો તેમ થયું તો ચોક્કસ અમે અમારા દીનથી ફરી જશું.’

(8) વ તહહીર બોતુનના મેનલ હરામે વશ્શુબહહ:

‘અને અમારા પેટને હરામ અને નજીસ ખોરાકથી પાક અને પાકીઝા ફરમાવ કોઈ પણ ખોરાક જે આપણા પેટમાં દાખલ થઈ રહ્યો છે તે બે હરામ માધ્યમો દ્વારા થાય છે. એક તો તે હરામ નાણાથી મેળવવામાં આવ્યો હોય એટલે કે આવકનું સાધન હરામ હોય અથવા ખુમ્સ અદા કરવામાં ન આવ્યું હોય. બીજું એ કે ખોરાક ખુદ નજીસ હોય અથવા કોઈ નજીસ વ્યકિત પાસેથી મેળવવામાં આવ્યો હોય. જેમકે કોઈ કાફીરના હાથથી તે મેળવવો. જેમાં તેનો પસીનો અને રૂતુબત ભળેલી હોય. આ બન્ને વસ્તુઓ શરીઅત મુજબ હરામ અને નાજાએઝ છે. જ્યારે તે માણસના પેટમાં જાય છે ત્યારે તે તેમાં ખુદાની વિરૂધ્ધ વિદ્રોહની લાગણી ઉભી કરે છે. એટલાજ માટે રિવાવતોમાં કહેવામાં આવ્યું છે કે હરામ કોળીયાથી પરહેઝ કરવી બે હજાર સુન્નત નમાઝોથી બહેતર છે. માત્ર એટલુંજ નથી કે હરામ ખોરાક ખાવાથી આપણી ભાવી પેઢી ઉપર ખરાબ અસર પડે છે પરંતુ જેટલું હરામ લોહી તેની રગોમાં હરતું ફરતું થશે તેટલોજ તે ખુદાથી દૂર થતો જશે. ખાસ કરીને આપણા દેશના મોઅમીનો આ બાબતને જાએઝ ઠરાવવાની કોશીશ કરે છે અને બહાના શોધી કાઢે છે કે આ દેશમાં તો અશકય છે કે કોઈ માણસ પરહેઝ કરી શકે છે તો તે અનંત જીવન અને અલ્લાહની ખુશી ખાતર આટલી કુરબાની નથી આપી શકતો? યાદ રહે હરામ ખાનારાઓની નમાઝ અને દોઆ કબુલ થતી નથી અને આપણા ઝમાનાના ઈમામની નારાજગીનું કારણ બને છે.

(9) વકફુફ અયદેયના અનીઝઝુલ્મે વસ્સરેકહ: ‘અમારા હાથોને ઝુલ્મ (ગુનાહે કબીરા) અને ચોરીથી રક્ષણ ફરમાવ. જે લોકો બીજા ઉપર ઝુલ્મ કરે છે, અલ્લાહ તઆલા ન તો તેઓને હિદાયત કરે છે ન દોસ્ત બનાવે છે, ન તો તેને સફળતા આપે છે. બલ્કે તેઓના માટે ગુમરાહી અને તિરસ્કાર સિવાય કાંઈ જ નથી. ઝુલ્મ બધા ગુનાહોનું મૂળ છે. પરવરદિગાર કુરઆને મજીદમાં ફરમાવે છે: વ લકદ અહલકનલ કોરૂન મીન કબ્લેકુમ લમ્મા ઝલમૂ. (યુનુસ 13) અને બેશક અમે તમારી પહેલાની કૌમોને તેઓના ઝુલ્મના કારણે હલાક કરી. ઝુલ્મ ત્રણ પ્રકારના હોય છે. સૌથી પહેલા શીર્ક એટલે કોઈ વસ્તુને અલ્લાહમાં ભળેલી ગણવી. જેને કુરઆને કરીમે મોટો ઝુલ્મ કહ્યો છે, જેનો તેની જાત સાથે સંબંધ હોય. બીજો, ખુદ પોતાના ઉપર ઝુલ્મ કરવો. એટલે ગુનાહો કરવા. ત્રીજો, બીજા ઉપર ઝુલ્મ અને જબરદસ્તી કરવી એટલે બીજાનો હક ઓળવી લેવો. ઝુલ્મનો એક વધુ પ્રકાર પણ છે. જેને ઈમાનમાં ઝુલ્મ કહેવામાં આવે છે. તે છે દીનના કોઈ હુકમ કે સિધ્ધાંતમાં શક કરવો. (જુઓ તફસીરે અય્યાશી સુરા અનઆમ : 82 હેઠળ) શીર્કનો જે સૌથી વધુ ખરાબ ઝુલ્મે છે તે કોઈ નબળા અને વૃધ્ધની ઉપર અત્યાચાર કરવો. કોઈ ફકીર, નિરાધાર કે કોઈ મજબુર સાથે ઝુલ્મ અને બળજબરીનું લણ અપનાવવું. હઝરત અલી (અ.સ.) ફરમાવે છે: ‘જ્યારે તમારો હાથ ઝુલ્મ માટે ઉંચો થાય ત્યારે અલ્લાહના ન્યાયને યાદ કરવો અને તમને કોઈ ઉપર સત્તા અને જો-હુકમી મળેલી હોય તો અલ્લાહની સત્તા અને જોહુકમી જે તમારી ઉપર છે તેને યાદ કરો. (બેહાર ભાગ 75 પાના 322)

જે માણસનો હાથ ઝુલ્મ અને ચોરી માટે લંબાશે તે કયામતના દિવસે ઘણો પરેશાન હશે. પરવરદિગારે આલમ તેની પવિત્ર કિતાબમાં ફરમાવે છે કે: ‘વયવમ યઅઝઝુઝ ઝાલેમો અલા યદયહે યકુલો યા લયતનીત તખ્ખઝતો મઅર્રસુલે સબીલા (ફુરકાન 27) અને (કયામતના) દિવસે ઝાલીમ પોતાના હાથને કાપી કાપીને ચાવશે અને કહેશે: ‘અફસોસ હું રસુલ (સ.અ.વ.)ના દેખાડેલા માર્ગે ચાલતે.’

(10) વગ્ઝુઝ અબ્સારના અનીલ ફોજુરે વલ ખેયાનહ:

“અને ગુનાહો અને મર્યાદાના ઉલ્લંઘનથી અમારી આંખોને નીચી કરી દે. દોઆનું આ વાકય સુરા નૂરની એ આયતને ટેકો આપે છે જેમાં આ હુકમ થયો છે: “મોઅમીનોને કહી દો કે તેઓ પોતાની આંખો નીચી કરી લે અને મોઅમીન સ્ત્રીઓને કહી દો કે તેણીઓ પણ પોતાની આંખો નીચી કરી લે. કુરઆને કરીમના મોઅજીઝાઓમાંથી એક એ છે કે ખુદાની કિતાબે માનવ-સ્વભાવ અને ઈન્સાનની પ્રકૃતિનું ચિત્ર દોરીને એવી રીતે તેના જીવનના ક્રમનું શિક્ષણ આપ્યું છે, જેનાથી માનવીનો નફસ તેના કાબુમાં રહે છે, અને રૂહાનીયત અને અર્ટઘટનમાં સ્પષ્ટીકરણ પેદા થાય છે. જગતના કોઈપણ ચિંતન-મનનના ક્ષેત્ર કે બુધ્ધિજીવીઓએ આ પ્રકારની બાબતો રજૂ કરી નથી અને ન કરી શકે છે. તેનું એક ઉદાહરણ એ છે કે ઈસ્લામમાં નામહેરમ ઉપર નજર હરામ છે. તેજ આ આંખોની બદકારી અને ચોરી છે. કયામતના દિવસે બધી આંખો રડશે સિવાય કે તે આંખો કે જે હરામ ઉપર નઝર પડતાંજ નીચી નમી ગઈ હોય. જે આંખો નામહેરમને જોવા માટે ટેવાએલી છે, જહન્નમમાં તે આંખોમાં આગના સળીયા નાખવામાં આવશે. નામેહરમ ઉપર નઝર કરવી તે તે ઝેર જેવું છે જેનાથી ઈબ્લીસ ઈમાનનો નાશ કરવામાં સફળ થઈ જાય છે. તેની વિરૂધ્ધ જે અલ્લાહના ડરથી આ ઝેરથી દુર રહેશે તો તેના દિલમાં એક મીઠાસ અને અકલપ્ય ખુશી અનુભવશે. આ જ તે સ્થાન છે જ્યાં આ ખુલ્લી હકીકત ઉપર ચિંતન અને મનન કરવું જોઈએ કે જે હરામને જોવાનો આગ્રહ રાખી રહ્યો છે તે ગયબતના ઝમાનામાં ઈમામ અસ્ર (અ.સ.)ના નૂરથી પ્રકાશિત ચહેરા ઉપર કેવી રીતે નઝર નાખી શકશે?

(11) વસ્દુદ અસ્માઅના અનીલ લગ્વે વલ ગીબહ:

બેહુદી વાતો અને ગીબત સાંભળવાનું બંધ કરી દે. ‘અસ્માઅ’તે સમ્આનું બહુ વચન છે. તેનો અર્થ છે કે કાનોની બકવાસ એટલે લાભ વગરની બેહુદી વાતો. કુરઆને મજીદમાં ઈરશાદ છે: ‘વલ્લઝીન હુમ અનિલ લગ્વે મોઅરેઝુન (મુઅમેનુન: 30)

મોઅમીન એ છે કે જે નકામી વાતોથી અળગો રહે છે. દરેક તે વાત જેમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, રસુલ (સ.અ.વ.) અને એહલેબય્ત (અ.મુ.સ.)ની ચર્ચા ન હોય તે બકવાસ અને નકામી છે. સંગીત અને ગાવું બકવાસ છે અને તે સાંભળવું હરામ છે. જે માણસ નકામી વાતોને છોડી દે છે તેના સન્માનમાં વધારો થાય છે.

ગીબત એટલે કોઈ મોઅમીનની એબ, દોષ, ત્રુટી કે ગુનાહને તેની ગેરહાજરીમાં કહેવી. જે વાતો કહેવામાં આવે છે જે તે તેનામાં હોય તો તે ગીબત છે અને ન હોય તો બોહતાન, તોહમત કે આપેક્ષ છે. ખુદાવંદે આલમે મોઅમીનોને એક બીજાની ગીબત કરવાની મનાઈ કરી છે. (હુજરાત:12) તમારામાંથી કોઈપણ એ પસંદ કરશે કે તે પોતાનું મૃત્યુ પામેલા ભાઈનું માંસ ખાય? ગીબત કરવી પોતાના મૃત્યુ પામેલા ભાઈનું માસ ખાવા બરાબર છે. માત્ર ગીબત કરવીજ હરામ નથી. બલ્કે તેને સાંભળવી પણ હરામ અને નાજાએઝ છે. જો આપણી પાસે સત્તા હોય તો ગીબત કરનારને તુરતજ રોકી દેવો જોઈએ કે આ ગીબત છે, અલ્લાહને પસંદ નથી અને હરામ છે.

(12) “વતફઝઝલ અલા ઓલમાએના બીઝઝોહદે વન્નસીહહ. અને મહેરબાની કર અમારા આલીમો અને બુધ્ધિજીવીઓ ઉપર કે તેઓને પરહેઝગારી અખ્તયાર કરવાની તૌફીક અને તાકતની સાથે સારા કાર્યો અને નસીહત કરવાની હિમ્મત પ્રાપ્ત થાય. ખરેખર હિમ્મત અને મહેનતથી બધા આલીમો જો પોતાની ફરજો અદા કરે તો વિશ્વાસપુર્વક કામના મોટા ભાગના પ્રશ્ર્નો દુર થઈ જશે. અહિં ઈમામે અસ્ર (અ.સ.) પોતાની ઉમ્મતના વિધ્વાનો માટે દોઆ કરે છે કે ખુદા! રહેમ અને મહેરબાની કર અમારા આલીમો ઉપર. એ વાત છુપી નથી કે જો કૌમના શિક્ષિત અને બુધ્ધિજીવી વર્ગ ભરપુર તબ્લીગ ન કરે અને સમાજની વચ્ચે સતત અમ્રબીલ મઅરૂફ અને નહિ અનીલ મુન્કરનો અમલ ન કરે તો તે પોતાની ફરજમાંથી પીછેહઠ કરે છે. જેનું પરિણામ કૌમમાં ફસાદ અને ગુનાહ સિવાહ બીજુ કાંઈ નથી.

(13) વ અલલ મોતઅલ્લેમીન બીલ જોહદે વર્રગબહ:

અને ઈલ્મ પ્રાપ્ત કરનારને (તવફીદ દે) કે તે ઈલ્મ મેળવવા માટે સંઘર્ષ કરે અને શોખથી ઈલ્મ પ્રાપ્ત કરે. આ વાત ખુબી પૂર્વક યાદ રહે કે ઈલ્મ પ્રાપ્ત કરવાનો હેતુ માત્ર ખુદાની ખુશી માટે હોવા જોઈએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું ‘જે ચાર હેતુઓ માટે ઈલ્મ શીખે તે જહન્નમનો હકદાર હશે. માત્ર આલીમો સાથે નકામી ચર્ચા માટે અથવા મુર્ખ અને જાહીલો સાથે નકામી બહેસ અને ચર્ચા માટે, અથવા લોકોનું ધ્યાન પોતાની તરફ દોરવા માટે અથવા અમીરો અને માલદારો પાસેથી માલ, દોલત મેળવવા માટે.’ (બેહાર, ભાગ-2, પાના 38)

(14)  વ અલલ મુસ્તમેઈન બિલ ઈત્તેબાએ વલ મવએઝહ:

અને સાંભળનારાઓ ઉપર મહેરબાની કર. તે (સાચા કથનને) અનુસરે અને તાબેદારી કરે અને નસીહત અને બોધપાઠને સાંભળે. ઈત્તેબાઅ એટલે અનુસરણ અને તાબેદારી. ઈત્તેબાઅ અને ઈતાઅત ખુદાની થવી જોઈએ “ફમન તબેઅ હોદાય ફલા ખવ્ફુન અલયહીમ વલા હુમ યહઝનુન (બકરહ:38) તેથી જેણે મારી ઈત્તેબાઅ અને ઈતાઅત કરી, ન તેની ઉપર ભય ફેલાશે ન તો તે ગમગીન થશે. બોધપાઠ હૃદયનું જીવન છે. જેનાથી ગફલત દૂર થાય છે. શ્રેષ્ઠ બોધપાઠ આપનાર અલ્લાહની કિતાબ છે. તેથી આપણા માટે જરૂરી છે કે વારંવાર તેની તરફ રજુ થઈએ અને બોધપાઠ પ્રાપ્ત કરીએ.

(15) વ અલા મર્ઝલ મુસ્લેમીન બિશ્શેફાએ વર-રાહઅ: અને જે મુસલમાન બિમાર છે તેને તંદુરસ્તી અને રાહત આપીને મહેરબાની કર.

(16) વઅલા મવતાહુમ બિર-રા’ફતે વર્રહમહ: અને તેઓના (મુસલમાનોના) મરનારાઓ (અમ્વાત) ઉપર તારી રહેમત અને મગ્ફેરત ઉતારીને મહેરબાની કર.

ઉપરોકત બન્ને વાકયોમાં ઈમામે અસ્ર (અ.સ.) મુસલમાનોની બિમારીની શફા અને મૃત્યુ ઉપર બારગાહે ઈલાહીમાં ઈલ્તેમાસ (વિનંતી) કરે છે. આ વાકયોથી આપણે બોધપાઠ લેવો જોઈએ કે આપણે આપણા બિમારો અને મરહુમોને ભુલી જવા ન જોઈએ. આપણા માટે જરૂરી છે કે બિમારોની ખબર અંતર પૂછવા જવું જોઈએ. તેના સાજા થવા અને તંદુરસ્તી માટે દોઆ કરે. મરહુમીનને માટે કુરઆનની તિલાવત કરે અને કબ્રસ્તાન જઈને તેઓના માટે રહેમતની દોઆ કરે.

(17) વ અલા મશાયેખેના બિલ વકારે વસ્સકીનહ: અને અમારા બુઝુર્ગોને તેજસ્વિતા અને શાંતિ આપ. ‘મશાએખ’શયખનું બહુવચન છે. એટલે બુઝુર્ગ અથવા વૃધ્ધ માણસ. કૌમની ઉન્નતિ અને પ્રગતિ માટે બુઝુર્ગોનું ચારિત્ર્ય ઘણું મહત્ત્વનું હોય છે. જવાનોની સ્થીરતા, જોશ અને ગાંડપણને નિયંત્રિત કરવા માટે બુઝુર્ગોનું ડહાપણ અને અનુભવ જરૂરી છે. અને સાથે એ પણ તાકીદ છે કે બુઝુર્ગોએ તે નવજવાનોની સાથે મળીને કામ કરવું જોઈએ. તેઓએ વાતનું ધ્યાન રાખે કે તેઓની આબરૂ, મોભો, પ્રભાવ અને વ્યકિતત્વનું વજન બાકી રહે અને તે મુશ્કેલીઓની ગડમથલમાં પોતાની તેજસ્વીતા ન ગુમાવી બેસે. કૌમમાં બુઝુર્ગોનું ઉદાહરણ તે નાખુદા (વહાણ ચલાવનાર ખલાસી) જેવું છે જે તોફાની દરિયામાં પોતાની સુધબુધથી વહાણને કાબુમાં રાખે છે અને કિનારા સુધી હંકારી જાય છે.

(18) વ અલશ્શબાબે બિલ એનાબતે વત્તવબહ: અને જવાનોને તારી તરફ પાછા ફરવાની અને તવબાની તવફીક આપ. જવાની ગાંડપણનો એક ભાગ છે. જવાનો માટે જરૂરી છે કે જવાનીની શકિતનો અલ્લાહની તાબેદારીમાં ઉપયોગ કરે. કારણ કે આ શકિત, આ ઉમંગ, આ તરવરાટ ટુંકા સમય માટે હોય છે. જેમ જેમ ઉમર વધતી જશે તેમ તેમ આ જોમ અને શકિત ઘટતી જશે. જે સમય જતા વૃધ્ધાવસ્થામાં પલટાઈ જશે. આ તરવરાટ સુસ્તી અને આળસમાં વેડફાઈ જશે. આપણા માટે જરૂરી છે કે આ અમૂલ્ય નેઅમતોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરીએ. ઈમામ બાકિર (અ.સ.) ફરમાવે છે કે જો હું કોઈ જવાનને જોઈશ કે તે દીનનું શિક્ષણ નથી લઈ રહ્યો તો હું તેને મારીશ. યકીનથી ઈમામ ઝમાના (અ.સ.)ના ઝહૂર પછી દરેક શીઆ જવાનો જે દીનનું ઈલ્મ નહિ મેળવતા હોય તેઓને આપ સજા કરશે. એ શીઆ જવાનો! જો હજુ સુધીનું જીવન ગુનાહમાં પસાર થયું હોય તો અલ્લાહની રેહમતથી નિરાશ ન થતા. તૌબા કરો અને તેની તરફ પાછા ફરો. જેથી જીવનનો ખરેખરો આનંદ માણી શકો.

(19) વ અલન-નેસાએ બિલ હયાએ વલ ઈફફહ: અને અમારી સ્ત્રીઓને લજ્જા અને ચારિત્રયની તવફીક આપ. આજના યુગમાં જ્યારે ઈમામે ઝમાના (અ.સ.) શીઆ સ્ત્રીને હીજાબ વગર જોતા હશે ત્યારે યકીનથી આ કહેતા હશે અને તડપીને દોઆ કરતા હશે. ‘એ ખુદા! તેઓને હયા અર્પણ કર.’ હદીસમાં છે કે જે સ્ત્રીનો એક વાળ કોઈ ના મહેરમ જોઈ જાય, તે સ્ત્રીને એજ વાળથી લટકાવવામાં આવશે. (જો આ બેહયાઈ જાણી જોઈને હોય) અફસોસ એ વાતનો છે કે આ પશ્ર્વિમી સંસ્કૃતિનું આંધળુ અનુસરણ છે. અમુક લોકો ન માત્ર અલ્લાહની નાફરમાની કરે છે બલ્કે તેના બહાના અને કારણો દર્શાવે છે. અને કહે છે કે કુરઆન અને હદીસમાં પરદાની વાત કયાંય નથી. આશ્ર્ચર્ય છે. પરદાની ચર્ચા લંબાણપૂર્વકની છે. જેનો અહિં અવકાશ નથી. એક વાત ચોક્કસ છે કે કુરઆન અને એહલેબયત (અ.મુ.સ.)ની હદીસોમાં તેની સ્પષ્ટ રીતે તાકીદ કરવામાં આવી છે. જો કોઈને તેની વિગતવાર ચર્ચા કરી હોય તો તે અમારી સંસ્થાનો સંપર્ક સાધે. અલ્લાહને ખાતર ‘લા તકફો મા લયસ લહુ બેહી ઈલ્મે.’ (કુરઆન) જે બાબતનું જ્ઞાન ન હોય તેની ઉપર પોતાનો મત રજુ ન કરો. હયા, ઈમાન અને શરાફતની દલીલ છે. ચારિત્ર્ય શ્રેષ્ઠ ઈબાદત છે. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે કે: ‘ઝકાતુલ જમાલીલ એફાફો.’ રૂપ અને ખુબસુરતીની ઝકાત હયા અને ચારિત્ર્ય છે.

(20) વ અલલ અગ્નેયાયે બિત્તવાઝોએ વસ્સઅહ: ધનવાન અને સંપત્તિ ધરાવતા લોકોને તવફીક આપ કે તેઓ ઉદારતા અને સખાવતથી કામ લે. સંપત્તિ આપણામાં અભિમાન ન લાવે. અમીરી અલ્લાહની નેઅમત છે. તે જ્યારે ચાહે ત્યારે આંચકી શકે છે. ઈતિહાસમાં કારૂન અને ફીરઓનનાં ઉદાહરણ છે. જ્યારે અલ્લાહે દૌલત આપી છે ત્યારે તેનાંથી આપણા ભાઈઓને મદદ અને સહકાર આપીએ, જેઓને આ નેઅમતથી અલિપ્ત રાખવામાં આવ્યા છે. ‘વ અહસેનો કમા અહસનલ્લાહો એલયક.’ અને લોકો ઉપર એવી રીતે એહસાન કરો જેવી રીતે અલ્લાહે તમારી ઉપર એહસાન કર્યો છે. આપણા દિલમાં એ વિચાર કયારેય પણ ન આવે કે આ સંપત્તિ બુધ્ધિ અને મહેનતનું પરિણામ છે. નહી, એવું નથી. મઅસુમ (અ.મુ.સ.)નું કથન છે: અલ્લાહ મૂર્ખાઓને એટલા માટે ધન આપે છે કે બુધ્ધિમાન માટે એ સ્પષ્ટ થઈ જાય કે રોજી આપનાર અલ્લાહ છે, અક્કલ નહિ.

(21) વ અલલ ફોકરાએ બિસ્સબરે વલ કનાઅ: જ્યાં ઈમામે અસ્ર (અ.સ.) શ્રીમંતોને નિખાલસતા અને ઉદારતાની શીખ આપે છે ત્યાં આપ (અ.સ.) ગરીબોને ધીરજ અને સંતોષની વાત કરી રહ્યા છે.

શ્રીમંતો માટે તેઓનું ધન તેઓની કસોટી છે અને ગરીબો માટે તે ન હોવું તેની પરીક્ષા છે. માનવીએ કયારેય પોતાની ગરીબી અને ફકીરીની ફરિયાદ ન કરવી જોઈએ. પરંતુ તેના માટે જરૂરી છે કે તે રોઝી મેળવવા માટે મહેનત અને મજુરી કરે. દરેક સ્થિતિમાં અલ્લાહનો શુક્ર અદા કરે. સંતોષ ખુદ એક અમુલ્ય સંપત્તિ છે. સંતોષ એ શુક્ર છે અને ફરિયાદ એ કુફ્ર છે. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે: ‘અલ કાનેઓ ગનીય્યુન વ ઈન જાઅ વ અરા.’ સંતોષી માણસ સંપત્તિવાન અને શ્રીમંત છે. પછી ભલે તે ભૂખ્યો અને કપડાં વગરનો કેમ ન હોય. સંતોષથી ઈઝઝત મળે છે. અલ્લાહ તઆલા એવા માણસોના થોડા આમાલ પણ સ્વિકારી લે છે. યાદ રહે, જે થોડા ઉપર સંતોષ નથી કરતો તે વધારે ઉપર પણ કયારેય સંતોષી નહી બને.

(22) વ અલલ ગોઝાતે બીન્નસરે વલ ગલ્બહ: અને સિપાહીઓને મદદ અને વિજય અતા ફરમાવ. અહિં ઈમામે અસ્ર (અ.સ.) તે સૈનિકો માટે દોઆ કરે છે કે જેઓ દીનના માર્ગમાં દિવસનો આરામ અને રાત્રીની ઉંઘ ખોઈ બેઠા છે.

(23) વ અલલ ઓસરાએ બિલ્ખલાસે વરર્હિહ: અને કેદીઓને અને બંદીવાનોને આઝાદી અને રાહત આપ. નિશંક જે ઈમામના બાપ દાદાઓએ તેઓના જીવનનો એક લાંબો ગાળો ઝુલ્મી અને અત્યાચારી રાજ્યકર્તાઓના કૈદખાનામાં પસાર કર્યો છે, તેને કૈદીઓની લાચારીનો ખૂબજ ભારે એહસાસ થતો હશે.

(24) વ અલલ ઉમરાએ બિલ અદલે વશ્શફકહ: અને ઉમરાઓ અને હાકીમોને તવફીદ આપ કે તે ન્યાય અને પ્રેમથી કામ લે.

(25) વ અલ ર્રઈય્યતે બિલ ઈન્સાફે વ હુસ્નીસ્સીરહ: અને રૈયતને (પ્રજાને) ન્યાય અને સદવર્તનથી કામ કરવાની તૌફીક અતા ફરમાવ. જો દરેક શહેરી અને નાગરીક આ નસીહતો પર અમલ કરે તો ખરેખર આ દુનિયા એક અમન અને રક્ષણની જગ્યા થઈ જાય.

(26) વ બારીક લીલ હુજજાજે વઝઝુવ્વારે ફીઝઝાદે વન્નફકતે વ અકઝે મા અવજબ્ત અલયહીમ મેનલ હજ્જે વલ ઉમ્રહ બેફઝલેક વ રહમતેક યા અરહમરર્હિેમીન: અને હાજીઓ અને ઝવ્વારોના રસ્તાના ખર્ચ અને આવકમાં બરકત આપ. અને તેઓને હજ અને ઉમરા કરવામાં મદદ કર. જે તે તેઓની ઉપર ફરજ અને વાજીબ કર્યા છે.

દોઆના અંતમાં ઈમામે અસ્ર (અ.સ.) હાજીઓ અને ઝવ્વારો માટે ખાસ દોઆ કરે છે કે અલ્લાહ તઆલા તેઓની રોઝીમાં વધારો કરે. તેઓના ખર્ચામાં બરકત થાય કે તેઓ પોતાની ફરજ પૂરી કરી શકે. આ ટૂંકા વિવરણની સમાપ્તિ ઈમામ સાદિક (અ.સ.) ની હદીસથી કરીએ છીએ: ‘મન અરાદલ્લાહો બેહીલ ખયર કઝફ ફી કલબેહી હુબ્બલ હુસયન વ હુબ્બહ ઝીયારતેહી.’ અલ્લાહ જેના માટે નેકી અને ભલાઈ ચાહે છે તેના માટે તેના દિલમાં ઈ. હુસૈન (અ.સ.)ની મોહબ્બત અને ઈ. હુસૈન (અ.સ.)ની ઝીયારતની મોહબ્બત અને ઈચ્છા પૈદા કરી દે છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *