ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની અસરો અને બરકતો

Print Friendly, PDF & Email

ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની અસરો અને બરકતોના વિષય પર કલમ ઉઠાવતા પહેલા હું આમ વિચારવા લાગ્યો કે મારી નસોમાં જે લોહી દોડી રહ્યું છે, શું કોઇ એવો સમય પણ આવશે, જ્યારે શરીરમાં દોડતુ લોહી મારી આંખોમાંથી ટપકવા લાગે?

રગોમેં દૌડતે ફિરનેકે હમ નહીં કાએલ

જો આંખ હી સે ન ટપકે તો ફિર લહુ ક્યા હય

(ગાલિબ)

શું મારામાં એવી તાકાત પૈદા થઇ જશે જે લોહી મારી રગોમાં દોડી રહ્યુ છે, તે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની કલ્પના કરવાથી એટલું બધુ પ્રભાવિત થઇ જાય કે મારી આંખોથી આંસુના બદલે ખુનના ટીપા બનીને ટપકવા લાગશે કે જેથી આ ટીપાઓમાંથી એક ટીપુ ઉઠાવીને આ આર્ટીકલને આપી દઉ, જે કદાચ એ વાતને પ્રતિબિંબિત કરી શકે કે આખરે આ ઝિયારત (ઇમામ હુસૈન(અ.સ.)ની શું અસરો અને બરકતો છે?

આસાર અને બરકાતના અર્થો:

બરકાત:

બરકતનું બહુવચન છે. જ્યારે દાવતે ઝુલ્અશીરાનો બંદોબસ્ત થયો તો ખત્મી મરતબત હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)એ મૌલાએ મુત્તકીયાન હઝરત અલી (અ.સ.)ને ખોરાકની વ્યવસ્થા કરવાનો હુકમ આપ્યો, ખોરાક ઓછો હતો અને મક્કાવાળા વધારે હતા, પરંતુ બધાએ પેટ ભરીને ખાધુ અને છતા પણ ખોરાક બચી ગયો, આને કહે છે, બરકત. પરિભાષામાં એક શખ્સ અગર ખુબજ ઓછી આવક ઘરે લઇને આવે છે, અને તે ઘરમાં બધા એવી રીતે ઝીંદગી વિતાવતા હોય કે, ખુશહાલી તેના ઘરમાં વરસાદના વાદળની જેમ વરસતી હોય, આ છે બરકત.

આસાર:

અસરનું બહુવચન છે. રિવાયતમાં મળે છે કે, એક વખત હઝરત ઇસા(અ.સ.) પોતાના હવારીઓની સાથે એક જગ્યાએથી પસાર થઇ રહ્યા હતા, જ્યા ખુબજ શોર બકોર હતો, આપ(અ.સ.)એ કારણ પુછ્યું તો માલુમ થયુ કે, અહીં શાદી છે. આપ(અ.સ.)એ ફરમાવ્યું કે કાલે અહીં માતમ હશે. દુલ્હન મરી જશે. પરંતુ અમુક લોકો જ્યારે બીજા દિવસે ત્યાં ગયા તો જોયુ કે ત્યાં એવો જ ખુશીનો માહોલ છે. હઝરત ઇસા(અ.સ.) ત્યાં ગયા અને દુલ્હનને કહ્યું: તે કઇ નેકી અંજામ આપી? દુલ્હને કહ્યું: કાંઇ નહીં, હાં પરંતુ એક સાઇલ આવ્યો હતો, તેને સદકો આપ્યો હતો. હઝરત ઇસા(અ.સ.)એ બિસ્તર હટાવવા કહ્યું, જોયુ તો એક સાપ બિસ્તરની નીચે મરેલો પડ્યો હતો, તો આપ(અ.સ.)એ ફરમાવ્યું: આ સદકાની અસર હતી કે દુલ્હનની જાન બચી ગઇ, નહિતર આજે અહીં માતમ થાત.

(બેહાલ અન્વાર, ભાગ:4, પાના:94 બાબ:3)

એક સદકાની અસર ઇન્સાનની જાન બચાવી દે છે, તો ઝિયારતે ઇમામ હુસૈન(અ.સ.)ની અસરો ઇન્સાનને ન જાણે કેટલીયે મુશ્કેલીઓ અને મુસીબતો, બિમારી અને પરેશાની, દુશ્મની, ગુમરાહી, મતભેદ વિગેરેથી સુરક્ષિત રાખે છે.

અબુલહસન જમાલુદ્દીન અલી ઇબ્ને અબ્દુલ અઝીઝ ઇબ્ને અબી મોહમ્મદ અલ-ખલફી અલ-મુસલી હિલ્લી જે ખુબજ બુઝુર્ગ મરતબાના શાએરે એહલેબૈત હતા. હિલ્લામાં રહેતા હતા અને હિ.સ. 750 માં તેમનો ઇન્તેકાલ થઇ ગયો. લોકોની દરમિયાન તેમની કબ્ર ખુબજ મશહુર અને મઅફ છે. મરહુમ કાઝી નુલ્લાહ શુસ્તરી શહીદે સાલીસે પોતાની કિતાબ મજાલિસ, પાના: 463 પર અને મરહુમ મોહદ્દીસે નૂરીએ રિયાઝુલ જન્નતમાં લખ્યુ છે કે: તેમના વાલેદૈન નાસેબી હતા. તેમની વાલેદાએ આ નઝર કરી હતી કે તેમને ત્યાં ફરઝંદ પૈદા થશે તો તે (તેના થકી ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે જવાનો રસ્તો બંધ કરાવશે અને ઇમામ હુસૈન (અ.સ.)ના ઝાએરોને કત્લ કરાવશે) જ્યારે તેમનો દિકરો જવાન થયો તો એ હેતુસર (એટલે કે ઝાએરોને કત્લ કરવાની નિય્યતથી) તે મુસય્યબ પહોંચ્યો, જે કરબલાની નજીક છે અને ઝાએરોનો ઇન્તેઝાર કરવા લાગ્યો. એ દરમિયાન તેને ઉંઘ આવી ગઇ અને કાફલો આગળ નિકળી ગયો. તેણે પોતાને આલમે મહેશરમાં પામ્યો અને તેને જહન્નમમાં લઇ જવાનો હુકમ જારી થઇ ચુકયો હતો, પરંતુ તેને જહન્નમની આગ નુકસાન પહોંચાડી શકી નહી, કારણકે તેના શરીર ઉપર ઝાએરીનના કદમોની ખાક પડી હતી.

(અલ ગદીર, ભાગ:6, પાના:12)

મોહતરમ વાંચકો ઝિયારતે ઇમામે હુસૈન(અ.સ.)ની આ એક સામાન્ય અસર છે. પરંતુ એમ કહીએ કે હજી ઝાએરીન લોકોએ ઝિયારત પણ કરી ન હતી, માત્ર ઇરાદો કયોૅ હતો અને ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે નિકળ્યા હતા. તેઓના પગોની ધૂળ જહન્નમની આગથી નજાત માટે પરવાનો બની ગઇ.

હું આ જ વિચારોમાં ડુબેલો હતો કે, આખરે શું કારણ છે કે ખુદાવંદે મુતઆલે સય્યદુશ્શોહદા ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતમાં આટલી બધી બરકતો (જેનો ઉલ્લેખ આપણે હમણા કરીશુ) રાખી છે કે અચાનક મારી નઝરોથી હઝરત મુસા કલીમુલ્લાહ (અ.સ.)ની એ વાતચીત પસાર થઇ કે જેમાં આપ (અ.સ.)એ બારગાહે રબ્બુલ ઇઝ્ઝતમાં અરજ કરી કે પરવરદિગાર! મને હઝરત મોહમ્મદ(સ.અ.વ.) અને તેમની ઉમ્મતના દરજ્જાઓ બતાવ. ખુદાવંદે આલમે ઇરશાદ ફરમાવ્યું: મુસા! તમારામાં એ જોવાની તાકાત નથી. અલબત્ત હું તમને તેમના જલીલ અને અઝીમ મરતબાઓમાંથી ફકત એક દરજ્જો બતાવું છું, જેના લીધે મેં તેઓને તમારી ઉપર અને તમામ મખ્લુકની ઉપર ફઝીલત અતા ફરમાવી છે. આથી મુસા(અ.સ.)ની નઝરોની સામેથી આસ્માની મલકુતના પરદાઓ કટાવી દેવામાં આવ્યા. જ્યારે તેમણે આ મંઝેલતના નુરો અને અલ્લાહની નઝદીકીને જોઇ તો તેમની હાલત એવી થઇ ગઇ કે પોતાની જાન, જાન પૈદા કરવાવાળાના હવાલે કરવાની નઝદીક થઇ ગયા અને બારગાહે રબ્બુલ ઇઝ્ઝતમાં અરજ કરી પરવરદિગાર! તુએ તેઓને કયા કારણે આટલી બધી બુઝુગીૅ અતા કરી છે? ખુદાવંદે આલમે ફરમાવ્યું: એ ખુબીના કારણે જે મને સૌથી વધારે પસંદ છે, અને તે છે ઇસાર.

અય મુસા! તેઓમાંથી જે શખ્સ મારી પાસે એ હાલતમાં આવશે કે તેણે પોતાની જીંદગીમાં થોડો સમય તેના પર વાપયોૅ હોય (મતલબ કે ઇસાર કયોૅ હોય) તો તેનો હિસાબ લેવામાં મને શરમ આવશે અને હું તેને જન્નતમાં મકામ અતા કરીશ કે જે તે ચાહશે.

(મજમુઅએ વરામ, ભાગ:1, પાના: 173)

હવે, મારા માટે એ વાત સ્પષ્ટ હતી જે ખુદા એક ખાકી બંદાને જેણે થોડો સમય ઇસાર કયોૅ અને તેને આટલુ બધુ અતા કરે છે, તો એ નુરાની ઝાત અને મુજસ્સમએ ઇસ્મતો તહારત જેણે પોતાની પુરી જીંદગી ઇસારમાં વિતાવી હોય તો આખરે તેને આટલી ફઝીલત ન મળે તો કોને મળશે?

તેમાં જરાએ શક નથી કે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતના આસાર અને બરકતો બયાન કરવું મુશ્કેલ જ નહી, પરંતુ અશક્ય છે. મોહતરમ વાંચકો માટે નીચે લખેલ રિવાયતોને જુદા-જુદા શિર્ષક હેઠળ વર્ણન કરવાની ખુશનસીબી હાસિલ ક છું, જેથી આ આપણા ઝિયારતના ઉત્સાહમાં ઇ શકે.

  1. ગુનાહોની બક્ષીશ:

અંબીયા(અ.મુ.સ.) અને ચૌદ મઅસુમીન (અ.મુ.સ.) સિવાય દરેકથી ગુનાહ થઇ શકે છે અને ખુદાએ રબ્બુલ ઇઝ્ઝત એ ગુનાહો પર સજા રાખી છે. પરંતુ ઇન્સાની ફિતરત સજા ચાહતી નથી, તકલીફને પસંદ નથી કરતી, બક્ષીશ અને આરામ ચાહે છે. આથી પોતાના ગુનાહોને બક્ષવાનો બેહતરીન ઝરીઓ ઝિયારતે ઇમામ હુસૈન(અ.સ.) છે, જેના વિષે હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

મન્ અતા કબ્ર અબા અબદિલ્લાહે અલયહિસ્સલામ આરેફન્ બે હક્કેહી ગફરલ્લાહો લહૂ મા તકદ્દમ મિન્ ઝમ્બેહી વમા તઅખ્ખર

“જે શખ્સ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના હકની મઅરેફત સાથે ઝિયારત કરશે તો અલ્લાહ તેના પાછલા અને આગલા તમામ ગુનાહો માફ કરી દેશે.

(સવાબુલ આમાલ, પાના: 86, સવાબો મન ઝાર કબ્રલ હુસૈન(અ.સ.)

બીજી જગ્યાએ હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

જ્યારે કોઇ શખ્સ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત માટે ઘરેથી ીકળે છે અને પોતાના ખાનદાનને અલવિદાઅ કયર્િ બાદ પહેલુ કદમ રાખે તેના ગુનાહ માફ થઇ જશે અને કબ્રે હુસૈન(અ.સ.) સુધી જેમ જેમ આગળ વધતો જશે તેમ-તેમ પાકીઝા અને પવિત્ર થતો જશે. જ્યારે પવિત્ર મઝાર સુધી પહોંચી જશે તો ખુદા તેને સંબોધીને કહેશે કે મારા બંદા મારી પાસે દુઆ માંગ હું તને અતા કરીશ, મને પુકાર કે હું તને જવાબ આપીશ, મારી પાસે તલબ કર કે હું દુઆ પુરી કરીશ, પોતાની હાજતોનો મારી પાસે સવાલ કર કે હું તેને પુરી કરીશ. રાવી કહે છે કે: હઝરતે ફરમાવ્યું: આ અલ્લાહ પર હક છે કે તેણે જે કાંઇ ખર્ચ કર્યુ તેને અતા કરવામાં આવે.

(સવાબુલ આમાલ, પાના:32)

  1. હજ અને ઉમરાથી અફઝલ હોવું:

ઇબાદતમાં સૌથી મુશ્કેલ ઇબાદત હજ અને ઉમરા છે અને આ જ એ ઇબાદતો છે, જેમાં ખુદાએ અપવાદ રાખ્યો છે, એટલે આ ઇબાદતમાં કિફાલત શર્ત છે. રિવાયતોમાં સય્યદુશશોહદા(અ.સ.)ની ઝિયારતને હજ અને ઉમરાથી અફઝલ ગણાવવામાં આવી છે. ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી ફરમાવે છે:

ઝિયારતો કબ્રિલ્ હુસૈને(અ.સ.) તઅ્દેલો ઇન્દલ્લાહે ઇશ્રીન હિજ્જતન્ વ અફ્ઝલમિન્ ઇશ્રીન હિજ્જતિન્

“હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત 20 હજની બરાબર છે, પરંતુ 20 હજથી અફઝલ છે.

(સવાબુલ અઅ્માલ, પાના:92)

(અહીં હજથી મુરાદ વાજીબ હજ નથી પરંતુ મુસ્તહબ હજ છે)

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

મન્ અતા કબ્રિલ્ હુસૈને(અ.સ.) આરેફન્ બે હક્કેહી કાન કમન્ હજ્જ મેઅત હિજ્જતિમ્ મઅ રસુલિલ્લાહે

“જે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના હકની મઅરેફતની સાથે ઝિયારત કરશે, તો તે એ શખ્સની જેમ છે, જેણે 100 વખત રસુલુલ્લાહ(સ.અ.વ.)ની સાથે હજ બજાવી લાવે.

  1. ફરીશ્તાઓનું દુઆ કરવું:

આપણા સમાજમાં મોટે ભાગે આ સાંભળવા મળે છે કે, અમારી દુઆઓ કબુલ નથી થતી અને દુઆ કરીને થાકી ગયા છીએ. અલ્લાહ ક્યારે અમારી દુઆ સાંભળશે તેની ખબર નથી, વિગેરે વિગેરે. . અઝીઝાને ગિરામી! હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ઝાએરો માટે ફરિશ્તાઓ દુઆ કરે છે, ફરિશ્તાઓ માાસુમ હોય છે, તેઓની દુઆ કબુલ થાય છે. કદાચ, એટલાજ માટે ઇમામ જઅફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:

લા તદઅ્ ઝિયારતલ્ હુસૈને(અ.સ.) અમા તોહિબ્બો અન્ તકુન ફીમન્ તદ્ઉ લહૂલ્ મલાએકતો

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતને તર્ક ન કરો, શું તમે એ પસંદ નથી કરતા કે તમારા માટે ફરિશ્તા દુઆ કરે.

(કામિલુઝ્ ઝિયારાત, પાના:119, હદીસ:3)

મંય્ યદ્ઉ લે ઝુવ્વારેહી ફિસ્સમાએ અક્સરો મિમ્મંય્ યદ્ઉ લહુમ્ ફિલ્ અર્ઝે

ઇમામ હુસૈન(અ.સ.)ના ઝાએરો માટે ઝમીન કરતા આસ્માન પર વધારે દુઆ કરવાવાળા છે.

(કામિલુઝ્ ઝિયારાત, પાના:117, હદીસ:2)

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

ચોક્કસ! ચાર હજાર ફરિશ્તાઓ વિખરાએલા અને ખાક નાખેલા વાળોની હાલતમાં હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્ર પર કયામત સુધી ગીર્યા કરી રહ્યા છે, તેઓના સરદાર ફરિશ્તાનું નામ મન્સૂર છે. જે શખ્સ પણ ઝિયારત માટે જાય છે, તે તેનું સ્વાગત કરે છે. આ બધા ફરિશ્તા જ્યાં સુધી તે હયાત છે, તેનાથી જુદા નહીં થાય, અગર બિમાર પડી જશે તો તેની અયાદત કરશે, અગર મૃત્યુ પામશે તો તેની નમાઝે જનાઝા પડશે અને મૃત્યુ બાદ તેના માટે ઇસ્તિગફાર કરશે.

(સવાબુલ આમાલ, હદીસ:15)

  1. ઝિયારતે ઇમામે હુસૈન(અ.સ.)નું મહત્વ:

ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની મહત્વતાના બારામાં મઅસુમીન(અ.મુ.સ.)એ જે કાંઇ પણ હદીસો દ્વારા તઅલીમ આપી છે, તે એવી છે, કે જેટલું એના પર ચિંતન મનન કરવામાં આવે કશ્ફ અને ઇલાહી કરામતોના પદર્ઓિ ઉઠતા દેખાય છે. અગર અન્અમ્તની તફસીર શક્ય હોત તો કદાચ તેનું મહત્વ કલમની નીચે આવી શકત.

  1. ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત જાણે અર્શે ખુદા પર અલ્લાહની ઝિયારત છે:

રાવીએ ઇમામ સાદિક(અ.સ.)ને સવાલ કર્યો કે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતનો શું સવાબ છે? આપ (અ.સ.)એ  ફરમાવ્યું:

કાન કમન્ ઝારલ્લાહ ફી અર્શેહી

જાણે તેણે ઇલાહી અર્ષ પર અલ્લાહની ઝિયારત કરી.

(કામિલુઝ્ ઝિયારાત, પાના:147, હદીસ:2)

બશીર દહાન કહે છે, હું દર વર્ષે અલ્લાહના ઘરની હજથી મુશર્રફ થતો હતો, પરંતુ ગયા વર્ષે જઇ શક્યો નહીં. જ્યારે પછીના વર્ષે હજ કયર્િ બાદ ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ની મુલાકાત કરવા ગયો તો  ઇમામ (અ.સ.)એ પુછ્યું: અય બશીર! ગયા વર્ષે હજ કરવા માટે કેમ નહોતો આવ્યો? મેં કહ્યું: હું તમારા પર કુરબાન થાવ! મારી પાસે લોકોની અમુક અમાનતો છે, અને મને ડર હતો કે કયાંક ખોવાઇ ન જાય, આથી મેં અરફાનો દિવસ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્ર પાસે પસાર કર્યો. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:

તો તમે એ લોકોની સરખામણીમાં કશુ જ ખોયુ નથી, જેઓ મેદાને અરફાતમાં મવજુદ હતા. અય બશીર! જે કોઇ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત તેઓના હકની મઅરેફત સાથે કરે તો એવું છે કે જાણે તેણે અલ્લાહની ઝિયારત અર્શ પર કરી.

  1. ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતથી ઉમ્ર અને રિઝ્કમાં વધારો થવો:

દરેક ઇન્સાનને મૌત આવનારી છે અને એ પણ યકીન છે કે, મૌત બરહક છે, લાંબી ઉમ્રની ખ્વાહિશનું એક તત્વ પણ તેની ફિતરતની અંદર મળી આવે છે, આથી આપણે આપણી રોજીંદી જીંદગીમાં જોઇએ છીએ કે લોકો કેટલીએ ન જાણે કેટલીય મહેનત અને સંઘર્ષ કરે છે કે તેઓ તંદુરસ્ત રહે તેઓની જીંદગી લાંબી હોય, જુદા-જુદા પ્રકારની દવાઓની શોધ થઇ છે, જેી ઇન્સાની જીંદગીમાં વધારો થાય. એજ રીતે દરેક ઇન્સાન બેહતરીન રિઝક ચાહે છે. વધારે પીયા અને દૌલતને દોસ્ત રાખે છે. આસાન રિઝક ચાહે છે. ખુદાવંદે આલમે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતમાં એ અસર અને બરકત રાખી છે કે જે કોઇ પણ તેમની ઝિયારત માટે જશે ખુદાવંદે આલમ તેને લાંબી જીંદગી અને વિશાળ રિઝક અતા કરશે.

મોહમ્મદ બિન મુસ્લીમ ઇમામ બાકિર(અ.સ.)થી વર્ણન કરે છે:

મો શીઅતના બે ઝિયારતે કબ્રિલ્ હુસૈન(અ.સ.) ફ ઇન્ન ઇત્યાનહૂ યઝીદો ફીર્ રિઝ્કે વ યમુદ્દો ફિલ્ ઓમોરે વ યદ્ફઓ મદાફેઇસ્સુએ વ ઇત્યાનહુ મુફ્તરઝુન્ અલા કુલ્લે મોઅમેનિન્ યોકિર્રો લહૂ બિલ્ ઇમામતે મેનલ્લાહે

અમારા શીઆઓને હુકમ આપો કે તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરે, કારણકે તેમની ઝિયારતથી રિઝ્કમાં વધારો થાય છે, ઉમ્ર તુલાની થાય છે, બલાઓ દુર થાય છે, તેમની ઝિયારત દરેક એ મોઅમીન પર વાજીબ છે જે એ વાતનો સ્વિકારે છે કે (ઇમામ હુસૈન(અ.સ.)ની) ઇમામત અલ્લાહની તરફથી છે.

(વસાએલુશ્ શીઆ, ભાગ:14, પાના:413)

ઇમામ સાદિક(અ.સ.) ફરમાવે છે:

લા તદઅ્ ઝિયારતલ્ હુસૈનિબ્ને અલીય્યીન (અ.સ.) વ મુર અસ્હાબક બે ઝાલેક યમુદ્દુલ્લાહો ફી ઓમોરેક વ યઝીદુલ્લાહો ફી રિઝ્કેક વ યોહ્યીકલ્લાહો સઇદન્ વલા તમૂતો ઇલ્લા સઇદન્ (શહીદન્) વ યક્તોબોક સઇદન્

ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતને તર્ક ન કરો અને પોતાના દોસ્તોને પણ તેનો હુકમ આપો, કારણકે તેનાથી જીંદગી લાંબી થાય છે, રિઝ્કમાં વધારો થાય છે, જીંદગી ખુશ કિસ્મત બને છે અને સઆદત(શહાદત)ની મૌત નસીબ થાય છે અને અલ્લાહ તેનું નામ ખુશનસીબ લોકોમાં લખી આપે છે.

(કામિલુઝ્ ઝિયારાત, પાના:152, હદીસ:5)

  1. ઝિયારતે ઇમામે હુસૈન(અ.સ.) ગમ દુર થવા અને હાજતો પુરી થવાનો સબબ:

પુરી દુનિયામાં કદાચ એક માણસ પણ નહીં મળે કે જે ગમઝદા, પરેશાન હાલ અને મુસીબતમાં ગિરફતાર ન હોય. અગર કોઇકવાર કોઇ એવો મળી જાય તો જર તેને કોઇ હાજત અને ઇચ્છા હશે. ખુદાવંદે મોતઆલે  ઝિયારતે ઇમામે હુસૈન(અ.સ.)ને ગમ દૂર થવા અને હાજતો પૂરી થવાનો ઝરીઓ બનાવ્યો છે.

મોહમ્મદ બિન મુસ્લીમ હઝરત ઇમામ મોહમ્મદ તકી (અ.સ.)થી રિવાયત કરે છે:

ઇમામ હુસૈન(અ.સ.)ને કરબલામાં મઝલુમ, પરેશાન હાલતમાં, પ્યાસા અને મુસીબતની હાલતમાં કત્લ કરવામાં આવ્યા. તો એમનો હક અલ્લાહ ઉપર એ છે કે, જે કોઇ પરેશાન હાલ, મુસીબતઝદા, ગુનેહગાર, ગમઝદા, પ્યાસા, અને બિમાર તેમની ઝિયારત માટે આવશે અને તેમની કબ્રની નઝદીક નમાઝ અદા કરીને અલ્લાહની નઝદીકીનો ઇચ્છુક હશે, અલ્લાહ તેના ગમોને દૂર કરશે, તેમની હાજત પૂરી કરશે, તેના તમામ ગુનાહો માફ કરી દેશે, તેની જીંદગી લાંબી કરી દેશે અને તેના રિઝ્કમાં વધારો કરી દેશે. અય બસીરત ધરાવનારાઓ! આનાથી ઇબ્રત હાસિલ કરો.

(બેહાલ અન્વાર, ભાગ:98, પાના:46)

  1. ઝાએરે ઇમામ હુસૈન(અ.સ.)નું શફાઅત કરનાર હોવું:

ચોક્કસ! આપણામાંથી કોઇપણ એવો દાવો નથી કરી શકતુ કે આપણે આપણા આમાલના આધારે જન્નતમાં ચાલ્યા જશુ. આપણા આમાલમાં કેટલીએ ખામીઓ મળી આવે છે. ક્યારેક રિયાકારી, ક્યારેક શિર્ક, ક્યારેક હસદ તો ક્યારેક હું પદ … હાં, જે ચીજ આપણને નજાત આપી શકે છે તે ફક્ત અને ફક્ત એહલેબૈત (અ.મુ.સ.) અને તેમના ચાહવાવાળાઓની શફાઅત છે. આથી સૈફ તમ્માર રિવાયત કરે છે કે મેં ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા:

ઝાએલ્ હુસૈને(અ.સ.)મુશફ્ફેઉન્ યવ્મલ્ કેયામતે લે મેઅતે રજોલિન્ કુલ્લોહુમ્ કદ્ વજબત્ લહોમુન્નાર મિમ્મન્ કાન ફિદ્ દુનિયા મેનલ મુસ્રેફીન

કયામતના દિવસે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ઝાએર 100 એવા ગુનેહગારોની શફાઅત કરશે, જેઓ પર જહન્નમ વાજીબ થઇ ગઇ હશે. જેઓ દુનિયામાં ઇસ્રાફ કરવાવાળાઓમાં હતા.

(બેહાલ અન્વાર, ભાગ:98, પાના: 77, હદીસ:36)

અબ્દુલ્લાહ બિન શોએબ તમીમી હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત વર્ણવે છે:

કયામતના દિવસે મુનાદી નિદા આપશે, ક્યાં છે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના શીઆઓ? તો એક સમુહ ઉભો થશે કે જેની સંખ્યા અલ્લાહ સિવાય કોઇ ગણી નથી શકતું અને તેઓ લોકોથી અલગ થઇ જશે. પછી મુનાદી નિદા આપશે: ક્યાં છે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રના ઝવ્વારો? તો એક ખુબ જ મોટો સમુહ ઉભો થશે, તેઓને કહેવામાં આવશે કે, તમે જેને ચાહો તેનો હાથ પકડીને જન્નતમાં લઇ જાવ તો એ લોકો તેઓને જન્નતમાં લઇ જશે, જેમને તેઓ દોસ્તી રાખતા હતા, ત્યાં સુધી કે તેઓમાંથી એક શખ્સ કહેશે, અય ફલાં ઇબ્ને ફલાં! શું તમે મને નથી ઓળખતા હું એક દિવસ તમારા એહતેરામ માટે ઉભો થયો હતો, તો એ ઝાએર તેને પણ પોતાની સાથે જન્નતમાં લઇ દાખલ થઇ જશે અને કોઇ તેને રોકશે નહીં.

(બેહાલ અન્વાર, ભાગ: 98, પાના: 27)

અય અલ્લાહ તબારક વ તઆલા! અમને સૌને એ દિલ અતા ફરમાવ, જેની અંદર ઝિયારતના શૌખનો દરીયો મોજ મારતો હોય. અમારા મૌલા અને આકાની તશ્નાલબીનો વાસ્તો ઝિયારતના શૌખની પ્યાસ ક્યારેય ઓછી ન થાય અને અમે વારંવાર આપની પવિત્ર કબ્રની ઝિયારતથી સૈરાબ થઇએ તો પણ શૌખ સૈરાબ ન થાય. કદાચ! કયારેક આપણું નસીબ જાગી જાય અને આ ઝિયારતના રસ્તામાં અમારા મૌલા અને આકા હઝરત હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.) કે જેઓ મુન્તકીમે ખુને હુસૈન(અ.સ.) છે, અમને પોતાના દીદારથી મુશર્રફ કરી દે. . . .(આમીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *