ઇમામે ઝમાના (અ.સ.) ની વિલાદતે બા સઆદતના સાક્ષીઓ

Print Friendly, PDF & Email

પ્રસ્તુત લેખનો સારાંશ એ છે કે હઝરત મહદી અલયહીસ્સલામનો દેખાવ ધ્યાન આકર્ષક હશે અને તેઓનો ધ્યાનઆકર્ષક દેખાવ અરબી ભાષાનાં શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. તેના શબ્દો અને મહાવરાનો પૂરે પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમ કે : “અજલલ જબહતે અકનલ અન્ફે, કવ્કેબે – દુર્રી અબયઝો, મુશરેબુન હમરહ, વજહુલ અકમર, જબીનુલ અઝહર અને જલાબીબુન” વગેરે. આ ઉપરાંત બીજી અગણિત બીજી હદીસોમાં શબ્દો અને મહાવરાનો ઉપયોગ થયો છે. લંબાણ થઇ જવાની શક્યા જોતા અહિં તેનું વિગતવાર વર્ણન કર્યું નથી.
હઝરત મહદી રૂહી વ અરવાહોનાલહ ફીદાની વિલાદત વિશે ઘણી રીતે એઅતેરાઝ કરવામાં આવ્યા છે, પરંતુ અત્રે અમે લેખને સંક્ષિપ્ત કરવાના હેતુથી ફક્તે બે એઅતેરાઝનો ઉલ્લેખ કરીન તેનો જવાબ આપવાની કોશિશ કરીશું તેમજ એ પણ અપેક્ષા રાખીશું કે સમજુ અને અકલમંદ લોકોને આ બે એઅતેરાઝના જવાબથી બીજા એઅતેરાઝના જવાબ પણ મળી જશે.
સૌથી પહેલા પ્રકારના એઅતેરાઝમાં અમૂક લોકો કહે છે કે : જો હઝરત મહદી (અ.સ.) ની વિલાદત થઇ ચૂકી છે તો અમને સહીહ બુખારી અથવા ‘મુસ્લિમ’ (ગૈરે શિયા હઝરાતની હદીસો વગેરેની કિતાબોમાં આ બંને નામ છે.) માં બતાવી દો. તે પછી અમે માની લેશું. હકીકતમાં આ એઅતેરાઝનો પાયો ન તો અકલ અને સમજણ ઉપર છે અને ન તો શરીયત ઉપર છે બલ્કે વિલાદતનો ઇન્કાર કરીને ખુદા – એ – અઝઝ વ જલ્લ ની કુદરતે કામેલા ઉપર શંકા થઇ રહી છે. આ ઉપરાંત આ એઅતેરાઝ કેટલો બોદો અને અર્થહીન છે, કે જરા પણ દૃષ્ટિ અને સમજ ધરાવનારી વ્યક્તિને આવો અએતેરાઝ સાંભળીને હસવું આવી જાય. શું એ વાત વ્યાજબી છે કે દરેક વાત સાચી હોવાની કસોટી સહીહ બુખારી કે સહીહ મુસ્લીમ થી જ કરવામાં આવે ? એટલું સારું છે કે ઇમામ ઝમાનાની વિલાદતની ઐતિહાસિક સાબિતી કુરઆને મજીદમાં હોવાની સાબિતી માંગવામાં નથી આવી ! ઉપરના એઅતેરાઝના ઘણા જવાબ આપી શકાય તેમ છે. પરંતુ અમે માત્ર ત્રણ જવાબ આપીને સંતોષ માનીએ છીએ.
(1) શું ઇતિહાસની કોઇ મહાન વ્યક્તિની વિલાદતની તારીખ વિગત – એટલે સુધી કે રસૂલે ખોલફાએ રાશેદીનની વિલાદતની તારીખ માટે સહીહ બુખારી અથવા તો સહીહ મુસ્લીમને માપદંડ ગણવામાં આવી છે ? જો આ પ્રશ્ર્નનો જવાબ નકારમાં હોય તો પછી અમારી પાસે આ બાબતનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે ?
(2) સહીહ બુખારી અને મુસ્લીમ, હદીસોમાની કિતાબોની છે. ઇતિહાસની નથી. આ ઉપરાંત જ્યારે કે ઇમામ બુખારી ખુદનું અસ્તિત્વ હીજરી 255 અથવા 256 સુધી જોવા મળતું નથી અને તેઓના જમાનામાં હઝરત (અ.સ.)ની વિલાદત થઇ ન હતી તો પછી તેઓ તેમની કિતાબમાં તેનો ઉલ્લેખ ક્યાંથી કરે ? અલબત સિહાહે સિત્તામાં તે લોકો એ રસૂલે કરેલી આગાહીઓનો ઉલ્લેખ અવશ્ય કર્યો છે. જેમ કે મહદી અવલાદે ફાતેમા (સ.અ.) માંથી હશે. ઇમામે હુસૈન (અ.સ.)ના ફરઝંદમાંથી હશે અને જમીનને અદલો ઇન્સાફથી ભરી દેશે તો પછી પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે તેમની વિલાદત વિશે કેવી રીતે અને ક્યાંથી ખાત્રી કરવી ? આ વિશે અમે લેખના ઉતરાર્ધમાં સાક્ષીઓ રજુ કરીશું.
(3) આજના યુગમાં આપણે કોઇની જન્મ તારીખની ખાત્રી કરવા માંગતા હોઇએ તો તે માટેનો પુરાવો મ્યુનીસીપાલનું કોર્પોરેશનનું રજીસ્ટર હોઇ શકે અથવા જીલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતનું જન્મ તારીખનું રજીસ્ટર આધાર પૂરાવો હોઇ શકે. આમ, હઝરત મહદી અલયહીસ્સલામ માટે પણ આપણે ઇતિહાસનું રજીસ્ટર અથવા તો બીજા શબ્દોમાં ઐતિહાસિક કિતાબોનો આધાર લેવો પડશે. આ બાબતમાં કોઇ પણ સદીના ઇસ્લામના તટસ્થ ઇતિહાસકાર પાસેથી જાણકારી મેળવી શકાય. જો આ વિષયના અનેક ઇતિહાસકારોના કથન વિધાનો વાંચવાની ઇચ્છા હોય તો “દાનીશમંદાને આમ્મા અ વ – મહદી – એ મવઉદ નામની કિતાબમાં એકસો વીસ ઇતિહાસકારોના વિધાનો નોંધવામાં આવ્યા છે, જે વાંચીને યકીન કરી શકાય છે.
બીજો એઅતેરાઝ ઇસ્લામના દુશ્મનો અને ખાસ કરીને ઇમામે ઝમાના અલયહીસ્સલામના દુશ્મનો કરી રહ્યા છે અને તે એ કે : શિયા કિતાબોમાં હઝરત મહદી અલયહીસ્સલામની વિલાદતના સાક્ષી માત્ર બે રાવી છે. જે પૈકી એક બિચારી સ્ત્રી છે, જે ઇમામ મોહમ્મદ તકી અલયહીસ્સલામની નેક દુખ્તર જનાબે હકીમા ખાતુન અને એક ઇમામ હસન અસ્કરી (અ.સ.) ખાદીમ ઓક્યદ. આ બંને સાક્ષીઓ અપૂરતા છે. કારણ કે પહેલા રાવી સ્ત્રી છે. ઇસ્લામમાં સ્ત્રીની ગવાહી અડધી ગણવામાં આવે છે. અને બીજા સાક્ષી તરીકે બીચારો ખાદીમ છે. એવું બની શકે કે તેની કોઇ ગૈર સમજ થઇ ગઇ હોય.
ઉપરના એઅતેરાઝના જવાબ પ્રસ્તુત કરતા પહેલા અમે એહલેબયત (અ.સ.) ના દોસ્તદારો અને ઇમામે ઝમાના (અ.સ.) ના ખાદીમોએ એ વાતનો બોધપાઠ લેવો જોઇએ કે : ઇમામે ઝમાના અલયહીસ્સલામ વિશે એઅતેરાઝ કરનારા દુશ્મનોએ આ એઅતેરાઝ કરતા પહેલા કેટલી શિયા કિતાબોનો અભ્યાસ કર્યો હશે ? અને હકીકત જાણી લીધા પછી હકીકત પ્રત્યે આંખ આડા કાન કરીને આ એઅતેરાઝ કર્યો હશે ? આપણે બધાએ પણ ઇમામ અલયહીસ્સલામના ખાદીમ હોવાના સંબંધને કારણે વધુમાં વધુ અભ્યાસ કરવો જોઇએ.
આ લેખ વધારે લાંબો ન થઇ જાય એ વાતને લક્ષમાં રાખીને અહીં ફક્ત બેહારૂલ અન્વારની રિવાયતો પ્રસ્તુત કરીએ છીએ. ફક્ત બેહારની તેરમી જીલ્દ (જુની આવૃત્તિ) નો અભ્યાસ કરવામાં આવે તો ઇમામ (અ.સ.) ની વિલાદતની ખબર આપનાર ઓછામાં ઓછા 18 (અઢાર) રાવીઓના નામ મળી આવે છે. જેમાંથી કેટલાકનો ઉલ્લેખ અત્રે કરી રહ્યા છીએ.
ફરઝંદની વિલાદત વિશે ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની બે લેખિત ગવાહી
(1) મોઅલ્લા ઇબ્ને મોહમ્મદનું બયાન છે કે ઇમામે હસન અસ્કરી (અ.સ.) ની આ વિષય પરની તૌકીઅ વારીદ થઇ. જેમાં લખ્યું હતું. “…. જ્યારે ઝબીરી કત્લ થઇ ગયો, એ માણસને એ જ બદલો મળવો જોઇએ જે ખુદાના વલીઓ વિશે ખુદા પર તહોમત મૂક્તો હતો. તે (ઝબીરી) એ ચાહતો હતો કે તે મને એવા સંજોગોમાં કત્લ કરી નાખે કે મારો વંશ આગળ વધે નહીં પરંતુ જોયું કે ખુદાની કુદરત કઇ રીતે જાહેર થઇ. એટલે સુધી કે હુજ્જતની વિલાદત થઇ ચૂકી. (બેહારુલ અન્વાર પુસ્તક 13, પાના નંબર 3 જુની આવૃત્તિ)
(2) અહમદ બિન હસન કુમ્મીનું બયાન છે કે : “…. ઇમામ હસન અસ્કરી (અ.સ.) નો પત્ર આવ્યો કે ફરઝંદની વિલાદત થઇ છે જે (વાતને) ગુપ્ત અને છુપી રાખી અમે ફક્ત કેટલાક ખાસ લોકોને જ તેની જાણ કરી.
પૌત્રની વિલાદત વિશે દાદાની ખુશ ખબર
(3) તતિમ્મએ ખબર બુશર બિન સુલયમાન …. “અબુલ હસન ઇમામ અલીનકી અલયહીસ્સલામે તેઓના બહેન હકીમાને ફરમાવ્યું : અય બિન્તે રસુલિલ્લાહ તેમને (નરજીસને) તમારા ઘેર લઇ જાવ અને ત્યાં તેમને સુન્નત અને ફર્ઝ બાબતોની તાલીમ આપો.
“ફ ઇન્નહા ઝવજતો – અબી મોહમ્મદ (સ.) વ ઉમ્મુલ કાએમ (અ.સ.) કારણ કે તેણી ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના પત્ની અને હઝરતે કાએમ (અ.સ.) ની માતા છે. ઇમામ (અ.સ.) પોતે જે વાત ઇરશાદ ફરમાવે તે બાત અનીવાર્ય પણે બનતી હોય છે. આ ઉપરાંત ઉપરનું અરબી વાક્ય “ખબર આપનાર છે. જે વાત અરબી વ્યાકરણની દૃષ્ટિએ અનીવાર્ય પણે (અચૂક) થનાર હોય તે વાત માટે વાપરવામાં આવે છે. તેથી આ વાક્ય પણ એ વાતની દલીલ છે કે જે બનાવની ખબર આપવમાં આવી છે તે અવશ્ય બનશે.
આકાઝાદા (પુત્ર) વિશે કનીઝની ગવાહી
(4) ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામની કનીઝ નસીમાએ ઇબ્રાહીમ બિન મોહમ્મદ સમક્ષ બયાન કર્યું કે : હઝરત હુજ્જત (અ.સ.) ની વિલાદતના બીજા દિવસે હું તેઓની સામે ગઇ. મને છીંક આવી ત્યારે આપે (ઇમામે ઝમાના અલયહીસ્સલામે) “યરહમોકલ્લાહ” કહ્યું. (બેહાર પુસ્તક 13, પાના નંબર 3 અને 114)
(5) નસીમ અને મારીયા બંનેનું એકમતે બયાન છે કે : “જ્યારે ઇમામે ઝમાના (અ.સ.) ની વિલાદત થઇ (અને તેમની માતાના પેટમાંથી બહાર તશરી લાવ્યા) ત્યારે આપે (ઇમામે અ.સ.) જમીન ઉપર ઘૂંટણ ટેકવી દીધેલા હતા અને શહાદતની આંગળી (હાથની પહેલી આંગળી) આસમાન તરફ બુલંદ હતી પછી હઝરત અલયહીસ્સલામને છીંક આવી ત્યારે ફરમાવ્યું : ‘અલ-હમ્દો-લિલ્લાહે રબ્બીલ આલમીન.’ (સંદર્ભ ઉપર મુજબનું પાનું -3)
ઇમામ (અ.સ.) ના ફરઝંદની વિલાદત વિશે ઘરના ગુલામોની સાક્ષી
(6) ઇમામ હસન અસ્કરી (અ.સ.) ના ખાદીમ અબૂ ગાનીમ નું બયાન છે કે : અબુ મોહમ્મદ ઇમામ હસને અસ્કરી (અ.સ.) ને ત્યાં એક ફરઝંદ પૈદા થયા. તેમનું નામ ‘મીમ – હય – મીમ – દાલ’ રાખ્યું. આપ (અ.સ.) ત્રીજા દિવસે તે નવજાત શિશુને પોતાના અસ્હાબ સમક્ષ લઇ ગયા અને કહ્યું “હાઝા – સાહેબો – કુમ – મિન – બઅદી – વ – ખલીફતી અ અલયકુમ. (મારા પછી આ તમારા માર્ગદર્શક અને મારા ખલીફા થશે.) આ એજ કાએમ છે જેમનો ઇન્તેઝાર કરવામાં આવશે. જ્યારે દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરપુર થઇ જશે ત્યારે તેઓ તેને અદલો ઇન્સાફથી પૂર્ણ કરશે. (બેહાર પુસ્તર 3, પાના નંબર 3)
(7) ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામના ખાદીમે અબુ નસ્રનું બયાન છે કે હું ઇમામ ઝમાના (અ.સ.) ની ખિદમતમાં હાજર થયો. તેઓ લાલ સંદલ (ચંદન) મંગાવ્યું. મેં તે લાવી આપ્યું. મેં તે લાવી આપ્યું. ત્યારે આપે (અ.સ.) પૂછ્યું : શું તું મને ઓળખે છે ? ત્યારે મેં કહ્યું : આપ મારા આકા, અને અકાના ફરઝંદ છો. ફરમાવ્યું…… “હું ખાતેમુલ અવસીયા છું.” (બેહાર પુસ્તક 13, પાના નંબર 114)
ઇમામ (અ.સ.) ના ફરઝંદ વિશે અસ્હાબની ગવાહી
(8) ઇમામ હસન અસ્કરી અલયહીસ્સલામના સહાબી ઇબ્રાહીમનું બયાન છે કે : હઝરતે ચાર ઘેટા મારી પાસે મોકલ્યા તેની સાથે એક લખાણ મોકલ્યું. (જેમાં લખ્યું હતું) બિસ્મિલ્લા હિર રહમા નીર રહીમ.
આ મારા ફરઝંદ મહદી તરફથી છે. તમે પણ ખાવ અને અમારા શિયાઓને પણ ખવરાવો.
(9) અહદમ બિન ઈસ્હાકનું બયાન છે કે “…. પછી ઇમામ હસન અસ્કરી (અ.સ.) પૂનમના ચાંદ જેવા લગભગ ત્રણ વર્ષના ફરઝંદને ખભા ઉપર લઇને, પધાર્યા, અને ફરમાવ્યું કે જો તને જાણ કરવા પાછળના કોઇ હેતું ન હોત તો હરગીઝ હું તને (મારા ફરઝંદને) દેખાડત નહીં. આ મારો ફરઝંદ હમનામ અને હમ કુન્નીયતે રસુલ્લાહ (રસૂલ્લાહ સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ) (એટલે રસુલ (સ.અ.વ.) નું નામ અને એમની કુન્નીયત) છે. (બેહાર પુસ્તક 13, પાના નંબર 113)
બજારમાંથી ગોશ્ત લાવી આપનારની ગવાહી
(10) હમઝા બીન નસ્રે તેના પિતાથી રિવાયત કરી છે તેમનું બયાન છે કે: વિલાદતના પ્રસંગે ઘરવાળાઓએ ખુશી મનાવી. જ્યારે શાહઝાદાને શણગારવામાં આવ્યા ત્યારે મને ગોશ્તની સાથે ગૂદેદાર (પાયની ઘી સાથેની) નળી ખરીદી લાવવાનો હકમ આપવામાં આવ્યો. અને મને કહેવામાં આવ્યું કે આ અમારા નાના આકા માટે છે. (બેહાર પુસ્તક 13 પાના નંબર 8)
વિલાદતની મુબારક બાદી પાઠવનારની સાક્ષી
(11) હસયન બિન હસન અલવીને બયાન છે કે ….. ‘હું સામરામાં ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની પાસે એમના ફરઝંદ કાએમની લિાદતની મુબારકબાદી માટે હાજર થયો.’ (બેહાર, પુ. 13 પાના નંબર 6)
પિતાની બિમારી વખતે સારવાર
(12) ઇસ્માઇલ બિન અલી નવબખ્તીનું બયાન છે. “.. ફરઝંદે મુસ્તગી (એક પ્રકારના ગુદરના નામ) નો અર્ક પિતાને પીવરાવ્યું પછી નમાઝ માટે વુઝુ કરાવ્યું. તે પછી બીમાર પિતાએ ફરમાવ્યું : બેટા મુબારક થાય, તમે સાહેબુઝઝમાન અને મહદી છો. (બેહાર, પુસ્તક 13, પાના નંબર 110)
પિતાના જનાઝામાં પુત્રની હાજરી
(13) અહમદ બિન અબ્દુલ્લાહ હાશમીનું બયાન છે. “….. હું ઇમામ હસન અસ્કરી (અ.સ.) ની વાફત પછી તેમના ઘરે ગયો. હઝરતનો જનાઝો કાઢવામાં આવ્યો. અમે 39 માણસો બેઠા બેઠા પ્રતિષ્ઠા કરી રહ્યા હતા. તેવામાં એક બાળક આવી પહોંચ્યો. અમે તેમના પ્રભાવથી હબતાઇ ગયા. અમે બધા તેઓની પાછળ નમાઝે જનાઝા પડ્યા. (બેહાર પુસ્તક 13, પાના નંબર 107)
ઉપરની સાક્ષીઓ ઉપરાંત બીજી બેશુમાર બાબતો હઝરત હુજ્જત અલયહિસ્સલામની વિલાદતની સાબિતિ રુપે મૌજુદ છે, જે લંબાણ થવાના કારણે પ્રસ્તુત કરવામાં આવતી નથી. આ સંક્ષિપ્ત લેખના વાંચકોએ એ હકીકત જાણી લીધી હશે કે હઝરતની વિલાદતની સાબિતી ફક્ત હકીમાખાતુન અથવા ખાદીમ અકીદનું બયાન જ નથી, પરંતુ આ બંને ગવાહ ન હોત તો પણ હઝરત (અ.સ.) ની વિલાદત સાબિત થઇ જતી હતી.
અંતમાં એક આલીમે દીનનું કથન પ્રસ્તુત કરીએ છીએ જે ઉપરના એઅતેરાઝનો એક વધુ જવાબ પણ થઇ શકે છે કે : ખાદીમથી વધુ આકાની નઝદીક બીજુ કોણ રહી શકે છે? તેથી ખાદીમની ગવાહી તો વધારે ભરોસાપાત્ર ગણી શકાય. તેમાં ખાદીમની ગેર સમજ થવાનો કોઇ પ્રશ્ર્ન જ રહેતો નથી. ખુદાવન્દે આલમ ગયબતના જમાનામાં અને ઝુહુર પછી પણ બધાને હઝરત હુજ્જત અજ્જલલ્લાહ તઆલા ફરજહના અદના ગુલામોમાં શામીલ કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *