ઇમામે – ઝમાના (અ.સ.) ની લાંબી જીંદગી

Print Friendly, PDF & Email

મુસલમાનોની બહુમતી હઝરત હુજ્જત (અ.સ.) ની હયાતીનો ઇન્કાર એટલા માટે કરે છે કે કોઇ પણ વ્યક્તિની આટલી બધી લાંબી ઉમ્ર હોય તે શક્ય નથી. ઇમામીયા ફીરકામાં માનનારા તેમના અકીદાની ‚એ હઝરત (અ.સ.)ના અસ્તિત્વને માની લે છે, પરંતુ પોતાના ઇલ્મ અને અકલની દ્રષ્ટિએ આટલી લાંબી ઉમ્ર હોવાનું તેમના ગળે પણ ઉતરવું નથી. આજના પ્રગતિના યુગમાં જ્યારે લાંબી ઉમ્ર હોવાના વિષયમાં રોજબરોજ નવા – નવા સંશોધનો થતા રહે છે. એટલે કોઇની લાંબી ઉમ્ર હોવાનું અશક્ય રહ્યું નથી.
કુરઆને શરીફ જે આસમાની કિતાબ છે. તેની સૌથી પહેલા લાંબી ઉમ્રના પૂરાવા મળે છે. જેમ કે હ. નૂહ (અ.સ.) ની ઉમ્ર ખૂબ જ લાંબી હતી. તેઓએ તેમની જીંદગીમાં સાડા નવસો વર્ષ જેટલા લાંબા કાળ સુધી રીસાલતનું કાર્ય કર્યું હતું. આ ઉપરાંત તબિબ શાસ્ત્રના નિષ્ણાંતોજે ઓ આ વિષયમાં સતત પ્રયોગો કરી રહ્યા છે. અને એવા પરિણામ સુધી પહોંચ્યા છે કે લાંબી ઉમ્ર હોવાનું શક્ય છે. કેટલાક વૈજ્ઞાનિકો એવી દવાઓ અને ખોરાક તૈયાર કરવાનું સંશોધન કરી રહ્યા છે,જેનાથી ઇન્સાનની ઉમ્ર લાંબી થઇ શકે છે.
આયતુલ્લાહ શહીદ આકાઅ મોહમ્મદ બાકીરુસ્સદ્દ (તાબસરાહ) તેમના સામાયિક ‘અલ – મુકતતફ’ ના અંક નંબર ૩-૧૯૫૯ માં તેમની કિતાબ ‘અલ – મહદી’ માંથી એક લેખ રજુ કરેલ છે જેનો સારાંશ અત્રે રજુ કરીએ છીએ.
ઉચ્ચકક્ષાના વિશ્ર્વાસનીય વૈજ્ઞાનિકો કહે છે કે પ્રાણીઓના શરીરના તમામ સ્નાયુઓમાં એટલી યોગ્યતા હોય છે કે તે હંમેશા જીવંત રહી શકે છે અને ઇન્સાનો માટે પણ હજારો વર્ષ જીવવું શક્ય છે. તે માટેની શર્ત એ છે કે ઇન્સાન એવું કોઇ કાર્ય ન કરે જેનાથી તેની જીવવાની શક્તિ તૂટી જાય. આ બાબત એ ઇન્સાનોની કલ્પના કે અંદાજ માત્ર નથી, પણ લાંબાગાળાના વૈજ્ઞાનિક પ્રયોગો પછી તેઓ આ નિર્ણય સુધી પહોંચી શક્યા છે….
ડાયમંડ વૈલૅ જોન્સ – જેઓ હાફકીન્સ યુનિવર્સિટીના પ્રોફેસર છે, કહે છે : ‘એ વાત સાબિત થઇ ચૂકી છે કે માણસના શરીરના તમામ કોશો હંમેશા જીવંત રહેવાની ક્ષમતા ધરાવે છે. આ બાબતનો પ્રયોગ સૌ પહેલા પ્રાણીઓના શરીર ઉપર કરનાર વૈજ્ઞાનિકનું નામ જેક લુબ હતું. ત્યાર પછી વૉરન લોરેન્સે તેની પત્ની સાથે મળીને પ્રયોગો કરીને આ વાત સાબિત કરી હતી.’
એક ચકલીના ગર્ભના ટૂકડાઓ કરીને મીઠાના – ખારા પાણીમાં સુરક્ષિત રાખી શકાય છે. આ પ્રકારના પ્રયોગો નિયમીત રીતે કરવામાં આવ્યા. એટલે સુધી કે ડૉક્ટર એલેક્સ કાર્લે બીજા પ્રયોગો કરીને સાીબત કર્યું કે જે પ્રાણીના શરીરના ભાગો – અવયવો ઉપર પ્રયોગો કરવામાં આવ્યા હતા, તેમા વૃદ્ધાવસ્થા કે અશક્તિના ચિન્હો જણાયા ન હતા. એટલે સુધી સાબીત થઇ ગયું કે જે પ્રાણીઓના શરીરના ભાગો પર પ્રયોગ કરવામાં આવ્યા હતા તે પ્રાણી લાંબા સમય સુધી જીવંત રહી શક્યા તેઓએ ઇ.સ. ૧૯૧૨માં પ્રયોગો શરૂ કર્યા અને ઘણા જ પ્રયોગો અને મનોમંથન પછી નીચે મુજબના તારણો કાઢ્યા :
(૧) જ્યાં સુધી શરીરના એ ભાગોના જીવંત સ્નાયુઓને એવો અકસ્માત ન નડે જેનાથી તેને મળતો ખોરાક (લોહી – પ્રોટીન – વિટામીન વગેરે) નો પૂરવઠો સમાપ્ત કે ઓછો થઇ જાય કે તે નાશ પામે, ત્યાં સુધી તે જીવંત રહી શકે છે.
(૨) આ સિવાય તે સ્નાયુઓ જીવતા રહે છે, તેનો વિકાસ એ વૃદ્ધિ સતત થતા રહે છે.
(૩) સ્નાયુઓના પોષણ માટે જે ખોરાક જોઇએ છે તેનું પોષણ એ તેની વૃદ્ધિનું માપ હોય છે.
(૪) સમયના વીતવાની તેના પર કોઇ જ અસર થતી નથી. તેમજ તેનામાં અશક્તિ કે વૃદ્ધાવસ્થાના મામૂલી ચિન્હો પણ જણાતા નથી. એનાથી ઉલટું બીજા વર્ષે પણ તે પહેલા વર્ષ જેટલા જ તંદુરસ્ત દેખાય છે.
જ્યારે એ કોશો – સ્નાયુઓ – જેનાથી માણસ ઉતપન્ન થયો છે તેના વિશેની વિગત આમ છે તો પછી પ્રશ્ર્ન એ થાય કે માણસનું મૃત્યું કેમ થાય છે? અને સામાન્ય રીતે તે સો વર્ષથી વધુ કેમ જીવતો નથી!
આ પ્રશ્ર્નનો જવાબ એ છે કે પ્રાણીઓ અને ઇન્સાનો શરીરમાં અસંખ્ય જુદા જુદા ભાગો હોય છે. જેમાંના કેટલાક ભાગ એક બીજાથી જુદા પ્રકાર – પ્રકૃતિના હોય છે. તેમ છતાં, બધા અવયવો ભાગો, કોશો, સ્નાયુઓ વગેરે સંપૂર્ણ રીતે જીવંત સંપર્ક હોય છે. આ સંપર્ક એવી રીતે હોય છે કે એક સ્નાયુ કે કોશ જીવંત હોય તો જ બીજો કોશ કે સ્નાયુ જીવંત રહી શકે છે. શરીરના કેટલાક કોશની નબળાઇ કે મૃત્યુના કારણે આખા શરીરનું મૌત અથવા નાશ થાય છે. ક્યારેક બીજા જીવાણુંના અચાનક હુમલાની અસરથી પણ માણસનું અચાનક મોત થાય છે આવા કારણોસર જ માણસનું સરેરાશ આયુષ્ય સિત્તેર એંશી વર્ષથી વધારે હોતું નથી. નિશંક, એ વાત સાબિત થઇ ચૂકી છે કે ઇન્સાનના મોતનું કારણ એ સિત્તેર કે એંશી વર્ષની વય થઇ જવી એ નથી પરંતુ સાચું કારણ બિમારીઓ કે રોગ હોય છે. રોગના જીવાણું શરીરના જે ભાગ પર હુમલો કરે તેને નિષ્ક્રીય અને નકામો બનાવી દે છે. જીવાણુંના હુમલાથી એક અવયવ નિષ્કાર્ય બની જતા તેની અસર શરીર બીજા ભાગો પર પડે છે અને બીજ બધા ભાગ પણ શિથિલ થઇ જાય છે પરિણામે ઇન્સાનનું મોત થાય છે. એટલા માટે જ જો કોઇ વેજ્ઞાનિક કોઇ એવી દવા કે સાધનોની શોધ કરે જેના કારણે તે રોગ અને બિમારીઓ નાબુદ થઇ જાય અથવા તેના જીવાણું ની અસર શરીરના કોશો અને અવયવો પર થતી અટકી જાય તો પછી ઇન્સાનની લાંબી જીંદગી શક્ય બને.
આપણે એ વાત પણ જાણી લીધી કે ઇન્સાનની લાંબી ઉમ્ર હોવી એ અશક્ય વાત નથી. એ વાત નિશંક છે કે ખુદાવંદે – કદીર એ વ્યક્તિને હજારો વર્ષ સુધી જીવંત અને સુરક્ષિત રાખી શકે છે કેમ કે લાંબી ઉમ્ર અતા કરવાની વાત, તેની હયાતીની શરતોનું પાલન થવું વગેરે તમામ વાતો ખુદાવંદે – અઝઝવ જલની શક્તિ અને કુદરતની વાત છે. ખુદા એવી વ્યવસ્થા ઊભી કરી શકે છે જે હાલની વ્યવસ્થા કરતા ઉચ્ચ હોય. કેટલાક મોઅજીઝામાં કુદરતના કરીશ્મા નજરે પડે છે. જેમ કે પયગમ્બરે ખુદા હઝરતે ઇબ્રાહીમ (અ.સ.) માટે આગ ઠંડી થઇ જવું, જનાબે મુસાની લાઠીનું અજગર બની જવું, જ. ઇસા (અ.સ.)ના એજાજની મુર્દાનું સજીવન થવું વગેરે વગેરે. આ બધા મોજીઝા એ સામાન્ય બનાવોથી વિપરીત છે. આ મોજીઝા માટે ખુદાવંદે – તઆલાયે બીજી એક વ્યવસ્થા ઊભી કરી હતી. જેનાથી આ મોઅજીઝા થયા. આ બધા મોઅજીઝા વીશે માત્ર મુસલમાનો જ નહી પણ યહુદી અને નસરાઓ પણ ઇમાન ધરાવે છે.
આ બધી વાતો જાણ્યા પછી ઇમામે ઝમાના (અ.સ.) ની લાંબી ઉમ્ર હોવાનું અશક્યમાનીએ તો પછી હ. નૂહ (અ.સ.) ની લાંબી ઉમ્ર વીશે કોઇ શંકાને સ્થાન રહેતું નથી. કેમ કે, જો લાંબી ઉમ્ર વીશેની કુરઆને – શરીફની આયતો – તફસીર અને જીવશાસ્ત્રના આધુનિક સંશોધન અને રહસ્યસ્ફોટ સંપૂર્ણ રીતે માનવાને લાયક રહેશે નહી. અને જો એમ કહીએ છે પણ સામાન્ય રીતે કુદરતી અને તબિબશાસ્ત્ર દ્રષ્ટિએ કોઇની લાંબી ઉમ્ર હોવાના દાખલા મળતા નથી. તો તેનો જવાબ એ છે કે ઇમામે ઝમાના હઝરત હુજ્જત ઇબ્નીલ હસન (અજ્જલલ્લાહો તઆલા ફરજહૂ) ની ઉમ્ર પણ અંબીયા (અ.સ.) ના અગાઉ ઉલ્લેખાએલા મોઅજીઝાની જેમ ખુદાની મરજી અને રહેમથી છે. જે જાહેરી રીતે હાલના કુદરતી અને તબિબશાસ્ત્રના નિયમોથી વિ‚રૂદ્ધ જણાય છે.
આ વાતનો સારાંશ એ છે કે જે ઇન્સાન ખુદાવંદે અઝઝવજલની અપાર કુદરતી કૃપાઓમાં શ્રદ્ધા રાખતો હોય અને અંબિયા (અ.સ.) ના મોઅજીઝા પર પણ યકીન અને ઇમાન ધરાવતો હોય તેણે એ હઝરત વીશે જરા પણ શંકા રાખવી ન જોઇએ કેમ કે આવી શંકા કરનાર ખુદાવંદે તઆલાનો ઇન્કાર કરનાર ગણાશે. નિશંક એવા ઇન્સાનનું ઇમાન, અમલ અને બધા જ નેક કાર્યો વ્યર્થ અને બરબાદ થઇ જવાની પૂરેપૂરી સંભાવના છે.
“ઈન્નલ્લાહ અલા હુલ્લે શયઇન કદીર
‘ખચીતજ, અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવે છે.’
***

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *