ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.)

Print Friendly, PDF & Email

ઇમ્તેહાન અને પરિણામ હઝરત ઇસ્માઇલ(અ.સ.)-ઇમામ હુસૈન(અ.સ.)-ઇમામ મહદી(અ.સ.)

ઇમ્તેહાનગાહે નબુવ્વતમાં જે કુરબાનીની શરૂઆતનો શરફ હઝરત ઇસ્માઇલ(અ.સ.)ના હિસ્સામાં આવ્યો તેનો અંત આશુરે હુસૈની છે. નબીનું સ્વપ્ન ઇતાઅતે ખુદાવંદીની તાબીર માંગી રહ્યુ હતુ. નબીની ઔલાદ ગમે તેમ, દરેક રીતે, દરેક પ્રકારે નબુવ્વતના ગુણોને જાણતા હોય છે. તેથી ઝબ્હ થઇ જવામાં ન હિચકિચાહટ, ન ડર, ન કોઇ સોચ, ન કોઇ માનસિક પરેશાની, પરંતુ પોતાના વાલિદ જે નબીયે ખુદા હતા તેમના જોયેલ સ્વપ્નને અગ્રતા આપતા એટલે કે હુકમે ઇલાહી ઉપર અમલ માટે પોતાના પૂરા તન અને મનની તાકત સાથે તૈયારી અને રઝામંદી જાહેર કરી. અહીં ફિતરતે ઇન્સાનીનો તકાઝો આ વિચારને ઢંઢોળે છે કે અગર કુરબાની માટે ઘેટુ ન આવતે અને હઝરત ઇસ્માઇલ(અ.સ.) રાહે ખુદામાં કુરબાન થઇ ગયા હોતે તો શું થતે? નિઝામે કાએનાતે દુનિયાનો શું હાલ થતે? નબુવ્વતના સિલસિલામાં દુનિયાના લોકોની ફિક્રનો અંદાઝ ક્યાં પહોંચ્યો હોતે? આ વાત જરા જનાબે ઇસ્માઇલ(અ.સ.)ના માતાથી પુછો. દિકરાના ગળામાં તેનું નિશાન જોઇને પોતાનાથી જ સવાલ શા માટે પુછી રહ્યા હતા કે મારો પુત્ર ઇસ્માઇલ ઝબ્હ થઇ જતે તો શું થતે? આ જ સદમામાં જનાબે ઇસ્માઇલ(અ.સ.)ની માતા જનાબે હાજરા(સ.અ.) બિમાર પડી ગયા અને વધારે સમય જીવતા ન રહ્યા, વફાત પામ્યા. કોઇને શું ખબર કે જનાબે હાજરા(સ.અ.)ના દિલનું દર્દ કેવી રીતે ઉમટી રહ્યુ હતુ?

સમયને પસાર થવાનું હતુ, તેને કોણ રોકી શકે તેમ હતુ? સમય પસાર થતો રહ્યો.એક ‘સંસ્કૃતિ’ આવી સમયની સાથે પસાર થઇ ગઇ અને નવી ‘સંસ્કૃતિ’એ જન્મ લીધો. ફરી પૂરાતન સંસ્કૃતિ પર છવાઇ અને તેની જગ્યા બીજી તહઝીબે લઇ લીધી. આમ વર્તમાન સમય ભુતકાળની પાછળ છુપાઇ ગયો અને નવા નવા ઝમાનાની સવારનો ઉદય થયો. આવી રીતે ઝમાનાના દૌર પસાર થતા રહ્યા, પરંતુ કાબા કે જે મક્કએ મુકર્રમામાં ઇન્સાનિયતનું દિલ બનીને ધડકી રહ્યુ હતુ તે હઝરતે ઇસ્માઇલ(અ.સ.)ની દાસ્તાન દોહરાવી રહ્યુ હતુ અને સવાલ પોતાની જગ્યાએ ઉભો હતો કે અગર હઝરતે ઇસ્માઇલ(અ.સ) ઝબ્હ થઇ જતે તો શું થતે? ન હજની રસમો હોતે ન કુરબાનીઓ, ન તવાફે કાબા હોતે ન સફા અને મરવાની સઇ, ન મીનાનો કયામ હોતે ન મુઝ્દલફામાં એક રાત કાંકરીઓ ભેગી કરવામાં પસાર કરવામાં આવત, ન અરફાતમાં હઝરતે ઇસ્માઇલ(અ.સ.)ની યાદમાં હાજીઓના કાફલા રોકાતે ન દુઆઓની અવાજોથી મયદાને અરફાત ગુંજતે, ન તો આ સરઝમીનથી વિદાય થતી વેળાએ દિલમાં જુદાઇનું દર્દ ઉઠતે ન ઇમામ હુસૈન(અ.સ.)ની ‘દુઆએ અરફા’ જેવી અઝીમ નેઅમત આપણને નસીબ થતે. અહીં આ લેખના વાંચકોના ધ્યાનને તે ઇલાહી નિઝામ તરફ દોરવુ મકસૂદ છે કે અલ્લાહ તઆલાના દરેક કાર્યમાં એક બહુ મહાન અને અઝીમ રાઝનો મકસદ છુપાયેલો રહે છે. જનાબે ઇબ્રાહીમ(અ.સ.)નું સ્વપ્ન અલ્લાહનો હુક્મ હતો. હુક્મ ઉપર અમલ કરવો તે નબુવ્વતની ફરજ હતી. ઘેંટાનું ઝબ્હ થવુ તે ઇસ્માઇલ(અ.સ.)ની નસ્લના બાકી રહેવાની ખુશ-ખબરી હતી. હજના હુકમો તેની હર સાલ યાદ અપાવવા માટેની તાકીદ હતી અને ‘ઝિબ્હે અઝીમ’ (મહાન કુરબાની)નું વાક્ય કરબલાની દાસ્તાનની કિતાબે મઅરેફત(ઓળખાણ)ની શરૂઆત  (પ્રસ્તાવના) હતી. તેની છણાંવટમાં પોતાના અદ્લ અને ઇન્સાફના કાયમ થવાની કુર્આની આયતોનો ચિરાગ પ્રજ્વલિત કરી દીધા. ક્યારેક કહ્યુ: જ્યારે ઝમીન મુર્દા થઇ જશે તો અલ્લાહ તેને નવી હયાત અતા કરશે, ક્યારેક કહ્યુ: ખુદાના નુરને ઝુલ્મની ફુંકોથી બુજાવી શકાતુ નથી. ક્યારેક ફરમાવ્યુ: ખુદાનો દીન છવાઇને રહેશે. કદી આયતે વધીને ગફલતમાં પડેલાઓને સાવચેત કર્યા: અમો તેઓને ઇમામ અને ઝમીનના વારિસ બનાવીશુ, જેઓને ઝમીન પર કમઝોર કરી નાંખવામાં આવ્યા છે અને અંતમાં આમ કહીને મોઅમેનીન, સાલેહીન અને નેક કામો કરનારાઓને યકીન અપાવ્યુ કે બકીય્યતુલ્લાહે ખયરૂલ લકુમ ઇન કુનતુમ મોઅમેનીન…

બસ, જે રીતે હઝરતે ઇસ્માઇલ(અ.સ.)ને ઝબ્હ થવાથી બચાવીને ઝિબ્હે અઝીમ(મહાન કુરબાની) એટલે કે કરબલાના બનાવ અને શહાદતો દરમ્યાન એક લાંબી મુદ્દત અને સમયગાળો છે, તેવી જ રીતે આશુરાએ હુસૈની અને કરબલાના શહીદોનો બદલો લેનારના ઝુહૂરમાં એક અજાણ મુદ્દતનો સમયગાળો છે, એટલે કે અગર ‘ઝિબ્હે અઝીમ’ પર ‘નફ્સે મુતમઇન્ના’ની મહોર અલ્લાહે કે જેની કુદરત દરેક વસ્તુ પર છવાયલી છે, તેણે લગાવી દીધી છે. અને તે સોનેરી મહોર એ રીતે ચમકી રહી છે કે તેનાથી આશા અને ઇન્તેઝારના ચિરાગ હંમેશા જગમગતા રહેશે. તો ઝુહૂર નઝદિક હોય કે દૂર પરંતુ જરૂર થઇને રહેશે કે જેની ખુશ-ખબરી ખુદાવંદે મુતઆલે વારંવાર આપી છે. આ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો વાયદો છે, આ ફૈસલો કુર્આને કરીમની આયતોમાં મહફુઝ છે. તે કાદિરે મુત્લક છે, જેની કુદરત દરેક ચીજ ઉપર છવાયેલી છે. તેની મશીય્યતના કારણો બયાન થઇ ચુક્યા છે. હુઝૂરે સરવરે કાએનાત(સ.અ.વ.)એ જગ્યાએ જગ્યાએ ચેતવી દિધા છે, દરેક રીતે હુજ્જત તમામ કરી દીધી છે, તમામ નિશાનીઓ વર્ણવી દેવામાં આવી છે.

ઝુહૂરે પુર નૂરે ઇમામે વક્ત(અ.સ.) નઝદિક થઇ રહ્યુ છે, નિશાનીઓ જાહેર થઇ રહી છે, પરંતુ તેમનું રહેઠાણ ક્યાંક નઝદિકના ભવિષ્યમાં સજાવવામાં આવી રહ્યુ છે. તે નઝદીકના સમયની દરેક પળ જ્યારે વર્તમાનમાંથી પસાર થઇ ભવિષ્યમાં સરી જાય છે તો પોતાની પાછળ પોતાની નિશાનીઓ, જીવિત નિશાનીઓ, રૂહ પરવર નિશાની દિલના સુકૂનની સબીલની નિશાનીઓ છોડી જાય છે, જે અવાજ આપી રહ્યુ છે, તૈયાર રહો, હજારો તાગુતી ચાલો ચારે તરફ ફેલાયેલ છે. અગર ઝુહુરનો સમય જે કરીબ છે. અગર તેને વધારે કરીબ કરવો છે તો ઇસ્તેગાસા અને ફરિયાદનો સહારો લેવો પડશે. ફરિયાદમાં અસર પૈદા કરવા માટે ગુનાહોથી દુરી અને પરહેઝગારીથી નઝદીકી સિવાય અન્ય કોઇ ચારો નથી. જરૂરી છે કે ઇસ્તેગાસામાં અસર પૈદા કરવા માટે તેની રૂહાનીયત, તેની અસલીયત, તેની તિવ્રતાના માટે કોઇ એવા ઉંચા અવાજવાળા ઇસ્તેગાસાની તરફ દિલમાં લગાવ અને દર્દ પૈદા કરવું જોઇએ કે જેના જવાબમાં આસમાનવાસીઓ અને તમામ મલાએકા તડપી જાય. આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાના મુબારક હોઠોથી રૂખ્સતના સમયે ઇસ્તેગાસા બલંદ કરી હતી, ત્યારથી લઇને આજ સુધી અને આજથી લઇ ઝુહુરની સવાર સુધી પુરી દુનિયામાં આ ઇસ્તેગાસાની ગુંજ (અવાજ) મૌજુદ છે. રાવી અકબાએ ઇમામે માસુમ હઝરત ઇમામ મોહમ્મદે બાકિર(અ.સ.)ને પુછ્યું: મારા માઁ-બાપ આપના પર કુરબાન! આશુરાના દિવસે જો અમે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રે મુબારકથી દુર હોઇએ તો કેવી રીતે આજુ બાજુના મોઅમીનોને મળીએ અને તેઓને પોતાના ઇમામે મઝલુમ(અ.સ.)ની તઅઝીયત કેવી રીતે પેશ કરીએ? અને તેનો શું સવાબ અને બદલો છે? તેમજ તેની રીત શું હોવી જોઇએ? આપ(અ.સ.)એ ફરમાવ્યું: તેનો સવાબ એક હજાર ઉમરા, એક હજાર હજ, એક હજાર જેહાદ જે તેણે મારી સાથે કરી હોય અને હું તેનો ઝામીન છું કે અને તેની રીત એ બતાવી કે તેઓ એક-બીજા મોઅમીનને કહે “અઅ્ઝમલ્લાહો ઓજુરના બે મોસાબેનલ્ હુસૈન(અ.સ.) વ જઅલના વ ઇય્યાકુમ મેનત્ તાલેબીન બે સારેહી મઅ વલીય્યેહી અલ ઇમામીલ મહદી મિન આલે મોહમ્મદીન અલય્હેમુસ્સલામ “ખુદા મુસીબતે ઇમામ હુસૈન(અ.સ.)માં આપણી જઝામાં વધારો કરે અને મને તેમજ આપને પણ તે લોકોમાં શુમાર કરે જે તેમના વલી ઇમામ મહદી(અ.સ.)ની સાથે તેમના ખુને નાહકનો બદલો લેવાવાળા છે.

અઝાએ હુસૈનીમાં પોતાના તન, મન અને ધનની બાજી લગાડી દેનાર મુસાફરોનો એક મોટો કાફલો પોતાની મુઠ્ઠીઓમાં હાલતથી નીકળી રહેલ આગના અંગારા માટે ઉમ્મીદની રોશનીમાં પોતાના આકા અને મૌલાના ખૈમાગાહની તરફ વધી રહ્યો છે. આ મીલ્લતે ઇસ્લામીયાના તે ખુદાના બંદા છે, જેઓ ઝાહેરી રીતે કમઝોર કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેઓએ સબ્ર અને અડગતાના મજબુત દિલ પહેરી રાખ્યા છે. આ તે દિલ છે જેના દિલની હર ધડકનથી સદા આવી રહી છે કે ઇમામે વક્તના ઝુહુરનો સમય આવી ગયો છે અને અગર ઝીંદગીએ વફા ન કરી તો પોતાના વારિસોથી તે જ રાહ પર સાબીત કદમીના માટે વસિય્યત કરી જાય છે.

અય મુશ્કીલોને હલ કરનાર પરવરદિગાર તને વાસ્તો કરબલાના નાના એવા મુજાહીદ અલી અસગર(અ.સ.)ના ખુને નાહકનો તું અમારા આકા અને મૌલા ઇમામે અસ્ર(અ.સ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી ફરમાવ.

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *