ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો

Print Friendly, PDF & Email

ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો

ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓ અને તેમાં છુપાએલી અસરો, રહસ્યો અને ઈશારાઓને સમજવા, એહસાસ કરવો, તેનાથી અસર પામવી અને પછી તે પોતાની ભાષા અને શબ્દો થકી રજુ કરવા, તેના ખુલાસા અને અર્થઘટન કરવા તે ભણેલા ગણેલા તો એક બાજુએ મોટા મોટા વિદ્વાનો, સ્કોલરો, જેનું જીવન લેખન, સંપાદન અને સંશોધનમાં પસાર થયું હોય, તેઓ પણ અમુક વિષયોને આવરી લેવામાં લાચાર છે. આ વાત કોઈ અતિશયોકિત કે અકીદતમંદીના કારણે નહીં, બલ્કે આ એક સંપૂર્ણ સાબિત થએલી હકીકત છે. દાખલા તરીકે અબ્દુલ્લા બીન જઅફર તૈયાર, જનાબ ઝયનબ (સ.અ.)ના શૌહર તે સમયે ઈમામની ખીદમતમાં હાજર થયા. જ્યારે આપ મક્કએ મોહર્રમાની બહાર આવી ચૂકયા હતા. અબ્દુલ્લા બીન જઅફર રીઝવાનુલ્લાહે અલયહાની સાથે યહ્યા બીન સઈદ, ઉમર બીન સઈદના ભાઈ પણ હતા. યઝીદે વલીદ બીન ઉતબાને હટાવીને મદીનાના વલી અમરૂ બીન સઈદને નીમ્યા હતા. અબ્દુલ્લા બીન જઅફર તે મહાન હસ્તીઓમાં ચોથી વ્યકિત છે જેમણે આપને આગળ વધવાથી રોકયા છે અને સાથે સાથે અમાનતમાં અને યહ્યા બીન સઈદને પણ સાથે લાવ્યા. જે માટે આપે ફરમાવ્યું: ‘મેં નાના રસુલે ઝમનને સ્વપ્નમાં જોયા છે. અને હવે મારા પગ પાછળ નહીં હઠે અને મેં આ સ્વપ્નની જાણ કોઈને કરી નથી.’

અબ્દુલ્લા બીન જઅફર (રઝી.) અને યહ્યા બીન સઈદને જવાબમાં આપે આ રીતે સંબોધન કર્યું:

મેં પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.) ને સ્વપ્નમાં જોયા. એમણે મને જે હુકમ ફરમાવ્યો છે, તેને હું અગત્યતા આપું છું. જેણે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ના હુકમને માન આપી અમલ કર્યો, સારા કામો કર્યા તેણે અલ્લાહની અને તેના રસુલની નાફરમાની ન કરી કહેવાય. ઉમર બીન સઈદ અમાનનામું મોકલ્યું છે અને સાથો-સાથ લડાઈની તૈયારી પણ કરી છે.

પરંતુ તમામ સલામત સ્થાનોમાં સૌથી વધુ સલામતિની જગ્યા ખુદાવંદે મોતઆલાની છે અને જે દીનમાં અલ્લાહથી નથી ડરતો તેને આખેરતમાં સલામતિ નસીબ નહીં થાય. ખુદાની હજુરમાં દરખાસ્ત કરૂ છું કે આ દુનિયામાં તેનો ડર બાકી રહે અને આખેરતમાં તેના રક્ષણમાં રહું. જો ખરેખર આ અમાનનામું ભલાઈ, સુલેહ અને શાંતિ ઉપર આધારિત છે તો દુનિયા અને આખેરતમાં તેનો બદલો મળશે. વસ્સલામ.’ (કિતાબુલ ઈરશાદ, તારીખે ઈબ્ને અસાકીર’)

આ રીતે થોડા છુપાએલા રહસ્યો ઉપરથી પરદો હટી જાય છે. પહેલું એ કે આ એક નાજુક ઈશારો છે જે ઉમર બીન સઈદ માટે છે. એટલે હશ્રમાં તેને અમાન નહીં મળે જે દુનિયાના માટે ખુદાનો ખૌફ નથી રાખતો, સત્યની સામે બળવો કરશે. આ ગુનાહ માફીને પાત્ર ન હશે. બીજું એ કે ઈમામ (અ.સ.)ને આ અલ્લાહ તરફની દઅવત છે. હવે અમાનનામાની કોઈ હેસીયત નથી રહી જાતી. હઝરતનું ચારિત્ર્ય, મહાનતા, બુઝુર્ગી, હિમ્મત અને મજબુતીના ચિરાગ ઝગમગી ઉઠે છે. પરંતુ તે સ્વપ્નું? તે હેતુ જે રિસાલતે મઆબનો છે તે શું છે? સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ આપના ખુત્બાઓના અસંખ્ય વિષયના શિર્ષકો નાજુક અને પાક હિદાયતોના ઈશારા, નહિ અનીલ મુન્કર અને અમ્ર બીલ મઅરૂફની તબ્લીગ અને તેનું અમલી સ્વરૂપના નમુના ઉભરાયા અને ઈલ્મી દુનિયામાં આ ખુત્બાઓના ઈલ્મી અર્થઘટનો થયા અને હજી સુધી આ સફર જારી છે. મદીનાથી મક્કા સુધી અને મક્કાથી કરબલા સુધી, ત્યાં સુધી કે શહાદતના સમયે જે વાકયો આપની મુબારક જીભથી નીકળ્યા તે ભેગા કરવામાં આવ્યા અને તેને જ્યારે કિતાબનું સ્વરૂપ આપવામાં આવ્યું ત્યારે તેના ઉપર સંશોધન થયું, ઈલ્મી ચર્ચાઓ થઈ અને શોધખોળની પછી આ ખુત્બાઓ અને કથનોની દુનિયા ઉપરની અસરો, તેના રહસ્યો અને ખુલાસાઓ પ્રકાશમાં આવતા ગયા. તૌહીદ, રીસાલત, ઈમામત, વિલાયત, વસાયત, કયામત, અલ્લાહનો ન્યાય, ખુદા મૌજુદ હોવાની હુજ્જત, દલીલો અને પછી માત્ર અલ્લાહનું વજુદ અને વજુદમાં પણ સ્પષ્ટતા અને પછી ‘લેકાએ રબ્બી’(અલ્લાહની મુલાકાત)ના ભેદ… જ્યાં અમ્બીયા અને મુરસલીન પણ આશ્ર્ચર્યના સમુદ્રમાં ડૂબેલા દેખાય છે, જેમ જેમ અલ્લાહની મઅરેફતના દરવાજા ખુલતા જાય છે. રીસાલતની અઝમત, ઈમામતની શાન, હીસાબ અને કિતાબના દિવસ ઉપરનું યકીન, ઈમાન, અમ્બીયાની સીરત, અવસીયાની સીરત એટલેકે પૂરી રીસાલતની તબ્લીગની ચાવી છે.

ઈમામ હુસૈન (અ.સ.) એ યઝીદની ફૌજની સામે એટલા ખુત્બા આપ્યા છે કે ઈતિહાસ સાક્ષી છે કે યઝીદની ફૌજમાંથી અવાજો આવવા લાગ્યા, ‘હુસૈન અમે તમારી વાતો ઘણી સાંભળી ચૂકયા, હવે તલ્વાર ઉઠાવો અને જંગ કરો.’ આ વાકય બતાવે છે કે ઈમામ હુસૈન (અ.સ.) એ હુજ્જત તમામ કરી દીધી અને પોતાની અવાજ દૂર દૂર સુધી લોકોના કાનોમાં ભરી દીધો. જેથી ખુદાની સામે કોઈ બાતીલ પરસ્ત અજ્ઞાનતાનું બહાનું રજુ ન કરી શકે. આટલી મોટી સંખ્યામાં ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓને નજર સામે આ થોડા પાનાઓના લેખમાં તેના અસરો અને રહસ્યો વિષે કહેવું અશક્ય છે. એટલું જ નહીં બલ્કે ગણતરીપૂર્વકના પસંદ કરેલા ખુત્બાઓના અર્થ અને હેતુઓ ઉપર પણ પ્રકાશ પાડવો મુશ્કેલ છે. પરંતુ તે કિતાબો જે આપના ખુત્બાઓ ઉપર લખવામાં આવી છે અને સહેજે સમજી શકાય તે ઉર્દુ ભાષામાં આવી રહી છે, સુજ્ઞ વાંચકો તેની તરફ પોતાનું ધ્યાન આપે અને તે વાંચવા માટે પોતાનો શોખ વધારે. તેના અર્થ અને હેતુને અને અસરોનો અભ્યાસ કરી લે તો કાંઈક મેળવી શકાશે અને એ તારણ જરૂર નીકળશે કે રિસાલતની તબ્લીગની 23 વરસની કિલ્લેબંધી રજબ મહીનામાં શરૂ થઈ હતી અને અસ્રે આશુર આપના ખુત્બાઓ થકી મજબુત બની ગઈ. જ્યારે ઈમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર જીભ ઉપરથી નીકળેલા કથનોને સમજવા માટેની લાયકાત અને તેના ઉપર અમલ કરવાની પ્રેરણા શહે મઝલુમના માતમદારોમાં પૈદા થઈ જાય છે. તેથી કુરઆનની વાતો દિલમાં ઉતરવા લાગે છે. મુરસલે આઝમની રિસાલતની તબ્લીગનો હેતુ અને સ્વરૂપની અસર દિલ કબુલ કરવા લાગે છે. અઈમ્મએ મઅસુમીનની કારકિર્દી વાંચીને કે સાંભળીને દિલને સાંત્વન મળે છે અને એવી ઈચ્છા થાય છે કે આ દુનિયામાં રહીને આખેરતને કંઈક સુધારી લઈએ. ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓની અસરને વિસ્તારથી ધ્યાન દોરવા માટે લેખકોએ જે લખ્યું છે તે આ પ્રમાણે છે: (1) કુરઆને મજીદની એક આયતે કરીમા, જેની તફસીર ઉમર બીન ખત્તાબથી આવી છે. (2) રીસાલતની તબ્લીગથી શરૂ થઈ બયઅતની સફર અને ઈમામ હુસૈન (અ.સ.)ને મક્કાથી ઈરાકની તરફ ન જવાની સલાહ (3) ઈતિહાસના થોડા મહત્વના વળાંક (4) પહેલી સફના તે કુકર્મો જે મલઉનની વંશાવળીની પૈદાઈશ હતા.

ઉપર દર્શાવેલા વિષયોનું વિસ્તારપૂર્વકનું વર્ણન આ લેખમાં સમાવી ન શકાય. તેથી અમે…

આબે દરીયા રા અગર નાતવાં કશીદ

હમ બકદર તશ્નગી બાયદ ચશીદ

‘જો દરીયાનું બધું પાણી ન પી શકાય, તો એટલું પીઓ કે તરસ બુજાવી શકાય.’

(1) કુરઆને મજીદમાં તે કથન જે કરબલાના જેહાદ અંગે છે અને આપના ખુત્બાઓને સમજવાની તૈયારી પૈદા કરે છે અને તેના પ્રકાશમાં તે ચારિત્ર્ય જેણે યઝીદને ખલીફા અને રસુલ (સ.અ.વ.)ના વારસદાર બનાવ્યો અને જે યઝીદીય્યતનો ઘડવૈયો છે તફસીરમાં તેની વાત આવી છે. તે છે કુરઆને મજીદ સુરા અલ-હજ્જની 78 મી આયત: ‘વ જાહેદુ હક્ક જેહાદેહી’ અને જે હક જેહાદનો છે, જેહાદ કરો. અહીં જે જેહાદ માટે અલ્લાહ તઆલા ઈરશાદ ફરમાવે છે તે જેહાદ ઈમામ હુસૈન (અ.સ.)ની જેહાદ છે અને સામેની જમાત જેની સાથે જેહાદ થશે, બૈહાકીએ લખ્યું છે, તે મોગીરહ છે. તફસીર આ રીતે છે:

ઈબ્ને મરૂદીયાએ અબ્દુલ રહેમાન બીન અવફથી રિવાયત કરી છે કે હઝરત ઉમર બીન ખત્તાબે અમને કહ્યું: શું તમે કુરઆનમાં આ આયત ‘જેવી રીતે તમે શરૂમાં જેહાદ કરી તેવી જ રીતે આખર ઝમાનામાં હક્કે જેહાદ અદા કરો.’ નહોતો પડતા? મેં કહ્યું, બેશક પડતા હતા. પરંતુ આખર ઝમાનો કયારે થશે? તો ઉમરે કહ્યું: ‘જે ઝમાનામાં બની ઉમય્યા હાકીમ હશે અને મોગીરહની અવલાદ વઝીર હશે.’ બયહાકીએ પણ આ રિવાયતને નકલ કરી છે. (જુઓ દુર્રે મન્સુર 4-371 મીસર પ્રકાશન)

મોગીરહની ઔલાદને યઝીદના ઝમાનામાં વઝીરનો હોદ્દો આપવામાં આવ્યો. મોઆવીયા મોગીરાથી નાખુશ હતો. મોગીરાએ યઝીદની વલી અહદીની વ્યવસ્થા ગોઠવી (અને પછી બંને દુધ અને સાકર બની ગયા) મોગીરાએ પોતાના દીકરા સાથે કુફાના 40 માણસોને યઝીદની બયઅત માટે મોકલ્યા. જ્યારે તે લોકોએ બયઅત કરી લીધી ત્યારે મોઆવીયાએ મોગીરાહના દીકરાને એકાંતમાં લઈ જઈને પુછયું: ‘તારા બાપે આ લોકોનું દીન અને ઈમાન કેટલામાં ખરીદ્યું?’ તેણે જવાબ આપ્યો, ‘ચાર સો દીનારમાં.’ મોઆવીયાએ કહ્યું, ‘છતાં પણ ઘણું સસ્તુ છે.’ આ રિવાયત ઉપરથી જે મોટી હસ્તીઓની (લીડરોની) ઓળખ થાય છે તે છે : (1) હઝરત ઉમર બીન ખત્તાબ (2) અબ્દુલ રહેમાન બીન અવફ (3) મોગીરા (4) મોગીરાનો દીકરો (5) મોઆવીયા (4) યઝીદ (7) તે ચાલીસ માણસો (કુફાના) જેમણે યઝીદના હાથ ઉપર બયઅત કરી અને તેઓના ઉપર ચારસો દીનારનો ખર્ચ થયો. આ વ્યકિતઓના ત્રણ દૌર છે, હઝરત ઉમરની ખિલાફતનો દૌર, મોઆવીયાની હકુમતનો દૌર અને યઝીદના દૌરની આગાહી. એટલે કે કુરઆને કરીમનો ચમત્કાર એ છે કે એક આયત થકી ત્રણ ઝમાનાના લીડરો જે એક લાઈનમાં ઉભા છે તેઓને ખુલ્લા પાડી દીધા. આ સફબંદીની સામે હકપરસ્તોની સફની ઓળખ ઈમામ હુસૈન (અ.સ.) એ આ રીતે કરાવી. તે પણ ત્રણ દૌરને પોતાના દામનમાં લીધા છે. જ્યારે વલીદ બીન ઉતબાએ યઝીદનું ફરમાન ઈમામ હુસૈન (અ.સ.)ને ફરમાવ્યું ત્યારે રાતનો સમય હતો. વલીદ બીન ઉતબાનું દારૂલ અમારા હતું અને ઈમામ હુસૈન (અ.સ.) એ ઈરશાદ ફરમાવ્યું:

یَا اَیُّہَا الْاَمِیْرُ! اِنَّا اَہْلُ بَیْتِ النَّبُوَۃِ وَ مَعْدِنُ الرِّسَالَۃِ وَ مُخْتَلَفُ الْمَلَائِکَۃِ وَ مَہْبِطُ الرَّحْمَۃِ بِنَا فَتَحَ اللہُ وَ بِنَا بَخْتِمُ۔ وَ یَزِیْدُ رَجُلٌ رَ جُلٌ شَارِبُ الْخَمْرِ وَ قَاتِلُ النَّفْسِ الْمُحْتَرمَۃِ مُعْلِنٌ بِالْفِسْقِ وَ مِثْلِیْ لَایُبَاعُ مِثْلَہٗ وَ لٰکِنْ نُصْبِحُ وَ تُصْبِحُوْنَ وَ نَنْظُرُ وَ نَنْظُرُوْنَ اَیُّنَا اَحَقُّ بِالْخِلَافَۃِ وَ الْبَیْعَۃِ

તરજુમો: ‘એ અમીર, અમે નબુવ્વતના એહલેબૈત છીએ, રીસાલતની ખાણ, મલાએકાઓની જવા-આવવાની જગ્યા અને રહેમતનું સ્થળ છીએ. અમારા થકી અલ્લાહ શરૂ કરે છે અને અમારા થકી જ ખત્મ કરશે. જ્યારે યઝીદ એક શરાબી, મોહતરમ લોકોનો કાતીલ અને ખુલ્લમ ખુલ્લો ગુનેહગાર-ગુનાહ આચરનાર. મારા જેવો શખ્સ તેના હાથ પર બૈયત ન કરી શકે. પણ થોભી જાવ, સવાર પડે ત્યાં સુધી. પછી જ આપણે જોશું અને તમે જોશો પરિણામ શું છે અને અમારામાંથી કોઈ ખિલાફતને અને બૈયતને લાયક છે.’

(સુખનાને ઈમામ હુસૈન (અ.સ.) મોહમ્મદ સાકિદ નજમી, પા. 12)

આ વાતચીતમાં ઈમામ હુસૈન (અ.સ.) એ વલીદને નીચે મુજબ નુકતાઓ ફરમાવ્યા:

(1) અમે ખત્મુલ મુરસલીનની એહલેબય્ત છીએ. તેનો ખુલાસો એ છે કે થોડા દિવસો પછી દુનિયાના લોકો એહલેબૈત ઉપર બહસ કરશે. આલે અબાના પાંચમાએ ઈતિહાસમાં એક પાયાની દલીલ લખી દીધી અને બતાવી દીધું કે એહલેબૈતની ખાસ ખૂબી વહી અને મલકુતી હોય છે. તેઓના દરજ્જા ઉપર પહોંચવા માટે ઈસ્મત અને તહારતની સનદ જોઈએ અને તેના માટે કુરઆને મજીદની જામીનગીરી લાવવી પડશે. તે શરીફોમાં શરીફ છે અને તે એવી રીતે જેહાદ કરે છે જે જેહાદ કરવાનો હક છે.

(2) અમે રિસાલતના ખજાના છીએ. અમે અલ્લાહના રહસ્યો અને ઈશારાઓનું જ્ઞાન ધરાવીએ છીએ. અમે તમારી જેવા દેખાઈએ છીએ. તમારી જેવા છીએ નહીં. અમે અમ્બીયા અને અવસીયાના સરોસરદાર છીએ. અમે અલ્લાહની સબીલ છીએ. અમે ભૂતકાળના તમામ અંબીયાઓના વારસદાર છીએ. અમે અલ્લાહની હુજ્જત છીએ. અમે કિતાબના વિદ્વાનો છીએ અને હીકમતની તાલીમ આપીએ છીએ જેવી રીતે અમારા નાના રિસાલતની તબ્લીગથી કયારે પણ પાછા નથી હટયા. નફસને પાક કરવા માટે અલ્લાહની આયતો થકી અક્કલ, રીતભાત, સમજશકિત અને ચિંતન-મનનને જાગૃત કરતા રહ્યા, ઢંઢોળતા રહ્યા અને અવિચળ રહ્યા, તેવીજ રીતે અમો છીએ. અમારી ફરજ છે કે મુઠ્ઠીભર માણસોથી રોમ, શામ અને અરબના પાયા અને શાહી જાહોજલાલીને વેરવિખેર કરી દઈએ અને અમારા થકી અલ્લાહ તબારક વ તઆલાની પરવરદીગારી અને કુદરત જાહેર થઈ જાય. નહીં તો હિદાયતના નૂર અને ગુમરાહીના અંધકારોમાં શું ફરક બાકી રહી જશે?

(3) અમે મલાએકાના આવન-જાવનની જગ્યા છીએ. તે ઘાટ છે જ્યાં મલાએકાઓની આવન જાવન છે. અમારી ચુપકીદીએ ઈસ્લામનો નાશ કરનારાઓને તક આપી છે કે પોતાની પૂરી તાકત ભેગી કરી લે. એવું ન બને કે જીવ જાતી વખતે કોઈ અબળખા બાકી રહી જાય. મલાએકા અમારા સંદેશવાહક છે. તેઓના ઉતરવાથી અમને ખબર મળતી રહે છે, કયા ખુણામાં આ નબળા લોકોએ કેટલી તાકત ભેગી કરી લીધી છે અને શું કરવાના છે. અમે શરીઅતની હદમાં રહીને કુફ્ર અને દંભીઓને સચોટ જવાબ આપનારા છીએ. અને અમે જવાબ આપીશું. જડબાતોડ જવાબ આપશું. ઈબ્રાહીમ કહેશે આ અમારા ફરઝંદ છે, મુસા કહેશે આ અમારા વારસદાર છે, ઈસા કહેશે આ અમારા અમીન છે, ખત્મુલ મુરસલીન, ફખ્રે અમ્બીયા મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ફખ્રથી ઈરશાદ ફરમાવશે ‘અના મેનલ હુસૈન.’

(4) અમે રહેમત ઉતરવાની જગ્યા છીએ. હું રહેમતુલ લીલ આલમીનનો ફરઝંદ છું. રહેમતનું કેન્દ્ર છું. શીમ્ર મલઉને કરબલાની જમીન ઉપર આશુરાના દિવસે અસ્રના હંગામામાં ઝબ્હના સમયે જોયું, હુસૈન (અ.સ.)ના હોઠ હલી રહ્યા હતા. તે સમજ્યો કે બદદોઆ કરી રહ્યા છે. કાન ધરીને સાંભળ્યું તો હુસૈન (અ.સ.) ફરમાવી રહ્યા હતા, ‘પરવરદિગાર! મારા નાનાની ઉમ્મત મારા ઉચ્ચ મરતબાઓથી અજાણ છે, તેઓને બક્ષી આપ.’ આ રસુલના નવાસા, બંને જહાનની રહેમત રસુલના નવાસાની જ બસની વાત હતી. રસ્તામાં અબ્દુલ્લાહ ઈબ્ને હુર જોઅફીને કહ્યું, ‘મારાથી એટલો દૂર ચાલ્યો જા કે મારા ઈસ્તેગાસાનો અવાજ તારા કાને ન સંભળાય. નહીં તો હલાકતમાં પડી જઈશ.’ (આ રહેમતનો નાનકડો ઈશારો હતો)

(5) અમારાથી ઈસ્લામ ફેલાયો: અમેજ તેને અંતિમ મોહર લગાડશું. અફસોસ! સૂઝબુઝ ધરાવતો ઈન્સાન, ભરપૂર અક્કલની અપેક્ષાઓને પૂરી કરતે. જો પૂછયું હતે, ‘એ ફરઝંદે રસુલ! આપજ ઈસ્લામની દાસ્તાનના દસ્તાવેજ ઉપર આખરી મોહર કેવી રીતે લગાડશો?’ ‘બેના યખ્તેમો’ઈશારો છે દૌલતે કરીમાની તરફ. ઈલાહી હુકુમતની તરફ. તેની દુનિયાની વ્યવસ્થાની તરફ, જેના ઈન્તેઝારમાં આખી દુનિયા છે, જે બદલો લેનારા છે.

આ રીતે ઈમામ હુસૈન (અ.સ.) એ માત્ર થોડા શબ્દોમાં ઈમામતના હોદ્દાને કે જે અલ્લાહથી સાબિત કરવામાં આવ્યો છે તેને નીચોવીને તેના મૂળ અર્થની રૂહ સામે રાખી દીધી. જેથી હુજ્જત તમામ થઈ જાય. અને ઈમામતની નીશાની અને રહસ્યોથી જાણકારી મળી જાય અને હિસાબ અને કિતાબના દિવસે ઈન્કાર કરવાની કોઈ તક ન રહે. એટલું જ નહીં, બલ્કે અહીંથી યઝીદના ચહેરા ઉપર પડેલ વૈભવ, શકિત અને હકુમતની નકાબને આંચકીને ફેંકી દીધી. આપે ફરમાવ્યું:

‘(1) યઝીદ શરાબખોર છે, (2) જે ઈન્સાનનું ખુન વહાવવું હરામ છે તેને કત્લ કરી નાખે છે, (3) જાહેર રીતે ગુનાહ અને દંભમાં સપડાએલો રહે છે.’ તે પછી આપ તેનાજ નોકરને ફરમાવે છે, ‘ભલા, બતાવો, મારી જેવો ઈન્સાન… તેના જેવા ઈન્સાનની બયઅત કેવી રીતે કરી શકે છે? સવાર થવા દો, ઈન્તેઝાર કરો, દિવસના અજવાળામાં ફેંસલો થઈ જશે.’ જ્યારે મરવાન બીન હકમ જે એહલેબૈત (અ.મુ.સ.)નો સૌથી ખરાબ દુશ્મન હતો તેણે ઈમામ હુસૈન (અ.સ.)ને કત્લ કરવાની સલાહ વલીદને આપી ત્યારે ઈમામ હુસૈન (અ.સ.) એ બુલંદ અવાજે ફરમાવ્યું: ‘અય બદચલન સ્ત્રીની અવલાદ! તું મને કત્લ કરશે.’

યઝીદ, ઝમાનાનો ખલીફા, પૂરા અરબ ઉપર જેની હકુમત તે સૌથી ખરાબ ઝમાનો, જ્યાં શામના અંધકારનો ઈસ્લામના રાજ્યો ઉપર પૂરો કબ્જો. યઝીદના ચારિત્ર્યના શયતાની પાસાઓને બયાન કર્યા પછી ઈમામ હુસૈન (અ.સ.)ની મઅરેફત અને મઅસુમ કારકિર્દી એવી રીતે ઉભરે છે જેવી રીતે કાળી રાતના પરદાને ચીરીને સવારની કિરણો ફૂટી રહી હોય. આ વાકયથી ઈમામ હુસૈન (અ.સ.)ની બહાદુરીનો પણ અંદાજ આવી જાય છે. અને બાતીલની દુનિયાની તાકતનો નશો ચૂર થઈને માટીમાં મળી જાય છે. ચહેરાની તમતમાટી બતાવી રહી છે કે હવે જેહાદ થશે. એવી જેહાદ જેવો કે હક છે જેહાદનો. સબરની જેહાદ, મક્કમતાની જેહાદ, નફસની જેહાદ, માધ્યમોની જેહાદ. આપે ફરમાવ્યું, ‘શું મારી જેવો તેના જેવાના હાથ ઉપર બયઅત કરશે?’ તેનો અર્થ એ થયો કે આદમ, નુહ, ઈબ્રાહીમ, મુસા, ઈસા (અ.સ.)ના વારસદાર ફરઝંદે રસુલે સકલયન, એ નગુણા, શરાબી હલકટ, અને અત્યંત નીચના હાથે વેચી દેશે? એટલે ‘અનઅમ્ત’ અને ‘મગઝૂબ’માં કોઈ ફરક બાકી રહી નહીં જાય. ઈન્સાનીયતની દુનિયામાં ન મોહમ્મદી અખ્લાક બાકી રહેશે ન તો અલ્લાહનો ઈન્સાફ. ન ગયબ ઉપરનું ઈમાન, ન આખેરત ઉપરનું યકીન. સર્વસ્વ માની લો કે અબુ સુફીયાનના વંશજના કુકર્મોના અંધકારમાં ખોવાય જશે. આ હુસૈન (અ.સ.)નો લલકાર હતો: ‘સવારનો ઈન્તેઝાર કરો’સૌને ખબર પડી જશે કે યઝીદે કેવા ‘લા મુતનાહી’(આ શબ્દ માત્ર અલ્લાહ માટે છે, પરંતુ અહીં એ વ્યકિતના અર્થમાં છે જે ઈન્સાનની અક્કલ, સમજ, સંસ્કૃતિથી ઉચ્ચતર હોય) પાસેથી બયઅત માગી છે!!! ઈમામ હુસૈન (અ.સ.) એ સકીફાથી લઈને દસ દિનારમાં વેચાવાવાળી બયઅત, જેની ચર્ચા ઉપર આવી ચૂકી છે, તેનો સિલસિલો સામે લાવી ધરી દીધો. જેનાથી (બયઅતનું) નામ લેનારા લોકોને કયામત સુધી શરમ આવશે. આજ પ્રકારની ઈતિહાસમાં એક બીજી ઘટના, એક શર્મનાક બદતરીન ઘટના, જેનો સંબંધ આ બયઅતથી છે, એ જ ઝમાનાની છે. એ જ દિવસો સાથે સંબંધ છે જ્યારે યઝીદે હુસૈન (અ.સ.) પાસે બયઅત માગી ત્યારે શાહે મરદાંના પુત્રે બયઅતના ઈન્કારનો ભ્રમ રાખ્યો, પરંતુ અબ્દુલ્લા બીન ઉમરે એક બયઅત કરી. યઝીદની પછી તેણે (અબ્દુલ્લા બીન ઉમરે) હજ્જાજ બીન યુસુફનો પગ ચુમીને બયઅત કરી લીધી. પ્રસંગ ઈતિહાસનો છે. અબ્દુલ મલિક બીન મરવાન જે યઝીદની પછી ખલીફા થયો તેણે હજ્જાજ બીન યુસુફને મદીનાનો ગવર્નર બનાવ્યો. તે રાત્રે (અબ્દુલ્લાહ બીન ઉમર) તેની આરામગાહમાં ગયા. હજ્જાજ બીન યુસુફને કહ્યું: ‘તમારો હાથ લંબાવો, હું તમારા હાથો ઉપર ખલીફએ વકતની બયઅત કરીશ.’ હજ્જાજે કહ્યું, ‘સવાર પડવા દો. ઉતાવળ શું છે.’ જેથી તેણે કહ્યું, ‘રસુલે ખુદા (સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા છે કે જે હાકીમે વકતની બયઅત કર્યા વગર મરી જશે તે જહાલત અને કુફ્રની મૌત મરશે.’ હજ્જાજ બીન યુસુફે જવાબમાં કહ્યું, ‘જ્યારે અલી (અ.સ.) ખલીફા હતા ત્યારે તમે બયઅતથી કેમ દૂર રહ્યા.’ આ કહીને રજાઈમાંથી પોતાનો પગ બહાર કાઢયો અને કહ્યું, ‘આને ચુમી લો આજ તમારી બયઅત છે.’ અને તેણે એમજ કર્યું. (‘શરહે નહજુલ બલાગાહ’, ઈબ્ને અબીલહદીદ મોઅતઝલી)

ઈતિહાસની દુ:ખજનક વાત એ છે કે (એહલે સુન્નતના મહાન હદીસવેત્તા) અહમદ બીન હમ્બલે એક હજાર સાતસો હદીસો અબ્દુલ્લા બીન ઉમરથી રિવાયત કરી છે અને માત્ર 22 હદીસો ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)થી નકલ કરી છે. જી હા, માત્ર 22 હદીસો. (હાશીયાએ સુખનાને હુસૈન બીન અલી અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.) એ અબ્દુલ્લા બીન ઉમરને ત્યારે ફરમાવ્યું, જ્યારે અબ્દુલ્લા બીન ઉમર મક્કએ મુકર્રમા ઉમરાહ માટે ગયા હતા. તે જ સમયે ઈમામ હુસૈન (અ.સ.) મક્કામાં રોકાએલા હતા. અબ્દુલ્લા બીન ઉમર મદીના પાછા ફરતી વખતે ઈમામ (અ.સ.)ને મળ્યા અને હુકુમતે બીછાવેલ જાળ, ષડયંત્રો અને ખતરાઓની જાણી કરી અને આપને યાદ દેવડાવ્યું કે આપને આ સફરમાં કત્લ કરી દેવામાં આવશે.

આ સાંભળી ઈમામ હુસૈન (અ.સ.) એ ફરમાવ્યું: ‘એ અબા અબ્દુર્રેહમાન! શું તમે નથી જાણતા કે આ દુનિયા કેટલી નીચ અને હલ્કી છે. તે અનોખા ઈન્સાન જે અઝીમુશ્શાન પયગમ્બર હતા (જેનું નામ) યહ્યા બીન ઝકરીયા હતું તેનું માથું કાપીને હદીયા તરીકે એક ગાનારી, ઝીનાકાર, બદકાર સ્ત્રીની સામે રજુ કરવામાં આવ્યું. આ બની ઈસ્રાઈલ 70 નબીઓને કત્લ કર્યા પછી પોતાના રોજના કારોબારને શરૂ કરતા હતા. પરંતુ જ્યારે કાદીરે મુન્તકીમે તેઓને પોતાની પક્કડમાં લીધા ત્યારે સૌથી વધુ સખત અઝાબમાં સપડાવી દીધા…’ આટલું કહીને પછી આપે કહ્યું ‘એ અબા અબ્દુર્રેહમાન! અલ્લાહથી ડરો, અને મારી મદદથી પીછેહઠ ન કરો. (લોહુફ, લે. સૈયદ ઈબ્ને તાઉસ, પા. 26)

આ ખુત્બામાં બે મહત્વના મુદ્દા છે. દુનિયાની હલ્કાઈ એટલી હદ સુધી કે અઝીમુસ્શાન પયગમ્બર યહ્યા બીન ઝકરીયાના મુબારક સરને દરબારની નાચનારીને તોહફા તરીકે આપી શકાય છે. જનાબે યહ્યાની વાત આપે સફર દરમ્યાન ઘણી વખત કરી. તેનાથી જાહેર થાય છે કે ઈમામ હુસૈન (અ.સ.)ને પરીણામની ખબર હતી. એટલા માટે કે આપની શહાદત અને જનાબે યહ્યાની શહાદતમાં ઘણું મળતાપણું હતું. બની ઈસ્રાઈલની કોમ અને શામ અને કુફાના રહીશો જે યઝીદની સત્તા હેઠળ હતા તે ઝુલ્મ અને અત્યાચારમાં ઓછા ઉતરે તેવા ન હતા. એકજ પ્રકારના હતા. તેથી આપ સમજી વિચારીને ઈરાદાપૂર્વક પગલા ભરી રહ્યા હતા. (અહીં ઈમામતના ઈલ્મથી દરેક વાતની જાણ હોવી તો સાબિત છે સાથે સાથે આપનો  વર્તાવ સીધી કે આડકતરી રીતે પૂરવાર કરે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)થી આપને ખબર મળતી રહેતી હતી.)

બીજો મુદ્દો જે બહુ મહત્વનો છે તે એ કે અબ્દુલ્લા બીન ઉમરના વ્યકિતત્વને ખુલ્લા પાડવાની જરૂર હતી. ઈતિહાસે તેને મહત્વ આપ્યું. અહમદ બીન હમ્બલની સત્તર સો હદીસોને તેમનાથી નકલ કરવી તે આશ્ર્ચર્યજનક છે. સહીહ બુખારીની અલફેતન કિતાબ મુજબ તેણે યઝીદની બયઅત કબુલ કરી લીધી. (સુખનાને ઈમામ હુસૈન, મોહમ્મદ સાદિક નજમી, પા. 49)

આજ અબ્દુલ્લા બીન ઉમર, મક્કામાં જ્યારે ઈમામ હુસૈન (અ.સ.)થી રૂખ્સત થવા લાગ્યા તો બહુજ રડયા અને કહ્યું કે મને અ જગ્યા ઉપર ચુમવાની તૌફીક આપો જ્યાં રસુલે ખુદા ચુમતા હતા. આપે પહેરણ ઉંચુ કર્યું અને તેમણે છાતીની  નીચે ત્રણ વખટ બોસા લીધા અને જતી વખતે કહ્યું કે આપ આ માર્ગમાં કત્લ થશો. અહીં એ સવાલ પૈદા થાય છે કે શું ઈમામ હુસૈન (અ.સ.)ને પોતાની શહાદતની ખબર ન હતી. જ્યારે અજાણ્યા લોકોને પણ ખબર હતી? ઈલ્મે ઈમામતથી ખબરદાર હોવું તે જુદો વિષય છે. પરંતુ ઉપર કહેવામાં આવ્યું છે કે રસુલે ખુદા (સ.અ.વ.)એ તેની આગાહી તેના કારણો ઈમામ હુસૈન (અ.સ.)નું વ્યકિતત્વ આપની વફાત પછીના બનાવો, બધાની જાણ તબ્લીગના દરેક મોડ ઉપર આપતા રહ્યા. વિરોધીઓ અને દુશ્મનો, ફીરઓની રાજકરણ, બની ઉમય્યાની હુકુમતની વ્યકિતઓ, ઈમામ હુસૈન (અ.સ.)ની સફર, બધાના બારામાં જાણકારી આપી ચૂકયા હતા.

છેવટે ઈમામ હુસૈન (અ.સ.) એ ઈમામતની ફરજ અદા કરી અને કહ્યું: ‘અબ્દુલ્લાહ, ખુદાથી ડરો અને મારી નુસરતથી પીછેહઠ ન કરો. પરંતુ અબ્દુલ્લાહ આંસુ ભરી આંખે મદીના પાછા ચાલ્યા ગયા. આજે પણ અસંખ્ય અબ્દુલ્લાહો રડતા રડતા નજરે પડે છે, પરંતુ હુસૈન (અ.સ.)ની સાથે જોડાવા માટે અને આપની મદદ અને મોહબ્બતના માટે કમર કસીને જાન અને માલ ના દરેક તબક્કામાંથી પસાર થવું પડે છે એ સહેલું નથી.

આપને મક્કાથી ઈરાફ સફર કરવાના આપના ઈરાદાને બદલવા માટે અબ્દુલ્લાહ બીન જઅફર (રઝી.), અબ્દુલ્લાહ બીન ઉમર, ઉમર અતરાફ, (ઈમામ હુસૈન અ.સ.ના ભાઈ હતા) મોહમ્મદે હનફીયા જેવી વ્યકિતાઓ આવી, પરંતુ હઝરતે પોતાની સફર ચાલુ રાખી. તેમાં મોહમ્મદે હનફીયાને જે ખુત્બો ફરમાવ્યો તે વાકયો સમજવા જેવા છે. તે સમયે તે બહુ બિમાર હતા. તેણે ઈમામ હુસૈન (અ.સ.)ને ફરમાવ્યું: ‘અઝીઝ બિરાદર! આપ જાણો છો કે કુફાના લોકો વાયદાના જુઠા છે. આપ સારી રીતે જાણો છો કે બાબા અલી (અ.સ.) સાથે ઈરાકીઓએ કેવો વર્તાવ કર્યો હતો. બેહતર છે કે આપ મક્કામાં જ રહો.’ જે સાંભળીને ઈમામ હુસૈન (અ.સ.) એ જવાબ આપ્યો, ‘અગર મને મક્કાના હરમમાં શહીદ કરવામાં આવશે તો હરમે શરીફની હુરમત પર આંચ આવશે.’ મોહમ્મદે હનફીયાએ સલાહ આપી કે ‘યમન ચાલ્યા જાવ, ત્યાં આપ મહેફુઝ રહી શકશો.’ આપે ફરમાવ્યું: ‘વિચાર કરશું.’ આ વાતો રાત્રે થઈ હતી. જ્યારે સવાર થઈ ત્યારે આપે પોતાની સફર ઈરાકની તરફજ ચાલુ રાખી. મોહમ્મદ હનફીયાએ સવાલ કર્યો, ‘રાત્રે આપે ફરમાવ્યું હતું કે વિચાર કરશું.’ ઈમામ હુસૈન (અ.સ.) એ ફરમાવ્યું, ‘ભાઈ રાત્રે નાના રસુલે ખુદા (સ.અ.વ.) સ્વપ્નમાં તશરીફ લાવ્યા હતા અને ફરમાવી રહ્યા હતા:

‘હુસૈન ઉઠો, હરકત કરો, ખુદા તમને કત્લ થએલા જોવા ઈચ્છે છે.’ જનાબ મોહમ્મદે હનફીયાએ ફરમાવ્યું:

اِنَّا لِلہِ وَ اِنَّا اَلَیْہِ رَاجِعُوْنَ

તે પછી ફરમાવ્યું,

‘આ નાજુક મૌકા ઉપર, આ ખતરાના માહોલમાં સ્ત્રીઓ અને બાળકોને સાથે લઈ જવા કયાં સુધી વ્યાજબી છે?’ ઈમામ હુસૈન (અ.સ.) એ ફરમાવ્યું, ‘ખુદા તેઓને પણ બંદીવાન જોવા ચાહે છે.’ (સુખનાને ઈમામ હુસૈન અ.સ. મો. સાદિક નજમી)

આ કથનમાં ઈમામ હુસૈન (અ.સ.) એ ત્રણ કારણોની વાત કરી જેના કારણે આપ ઈરાક તરફ આગળ વધ્યા. પહેલું રસુલે ખુદા (સ.અ.વ.) નું સ્વપ્ન (આલમે રૂયા) માં આવવું, બીજું ખુદા ચાહે છે કે આપને કત્લ થએલા જુએ, ત્રીજું એ કે ખુદા એ પણ ચાહે છે કે સ્ત્રીઓ અને બાળકો પણ બંદીવાન થાય, કૈદી બનાવવામાં આવે.

જનાબ ઉમ્મે સલમા સ.અ., જનાબ ઝયનબ સ.અ. અને મોહમ્મદે હનફીયાને આવાજ અર્થના જવાબો આપે આપ્યા છે. જેનાથી ઉપરછલ્લી નજર ફેરવવાવાળા અજ્ઞાત લોકો અપ્રસ્તુત અર્થઘટન કરે છે. તેઓ એમ કહે છે કે ઈમામ હુસૈન (અ.સ.) મજબુર અને સત્તા વગરના હતા. (આપના અખત્યાર છીનવી લેવામાં આવ્યા હતા) આ એક વિચારનો દ્રષ્ટિકોણ છે જે સામાન્ય લોકો સિવાય ખાસ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ લોકો કહે છે: ‘ખચીત જ અલ્લાહ ઈ. હુસૈન (અ.સ.)ને કત્લ થયેલા જોવા ઈચ્છે છે.’

તેથી તેનો હિસાબ દુનિયાની તમામ ઘટનાઓથી જુદો છે. એટલા માટે કે આ શહાદત અને કૈદની હાલત ઈન્સાન, ગમે તેવો મહાન કેમ ન હોય, પણ તેની સમજની બહાર છે. એટલે કે કુદરતના નિયમથી બહુજ ઉચ્ચ છે. એવું કે ઈન્સાન તો શું ફરીશ્તા પણ દાંતમાં આંગળા નાખી જાય. અહીં ત્રણ સવાલ ઉભા થાય છે. પહેલું, ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદતનું કોઈ મહત્વ નથી. બીજું એ કે જેણે સ્વતંત્ર રીતે પોતાના અખત્યારથી જેહાદ કરી તેની ફઝીલત વધુ છે. ત્રીજું એ કે ઈબ્ને ઝિયાદ અને યઝીદની ફૌજ જવાબદારીમાંથી છૂટી જાય છે. એટલા માટે કે કાતીલ કત્લ કરવા માટે મજબુર છે.

જવાબ: તે લોકો જે આવા વિચારોને જન્મ દે છે અને આવા પ્રકારના બયાનોથી ઉપર દર્શાવેલ સવાલો પૈદા થવાનું કારણ બને છે, તે ઈમામ હુસૈન (અ.સ.)ની વાતચીતમાં હેતુ, ઈરાદો અને તકદીરની વિશાળ સમજ અને અર્થ તારવવામાં ભૂલ ખાય છે અથવા અજ્ઞાન છે. તેઓ આ શબ્દોનો જુદા પ્રકારનો અર્થ ઘડી કાઢે છે.

આ પ્રકારના વાકયો એ સાબિત નથી કરતા કે ઈમામ હુસૈન (અ.સ.) મજબુર હતા. બલ્કે આ વાકયો આપની અઝમતને વિસ્તૃત કરે છે.

પવિત્ર દીને ઈસ્લામના તમામ કાનુનો અને હુકમો એ હકીકત જાહેર કરે છે કે ખુદાવંદે આલમ પોતાના તમામ બંદાઓ પાસે આ હુકમોનું પાલન ચાહે છે. તે ચાહે છે કે તમામ બંદાઓ વાજીબાત ઉપર અમલ કરીને હરામ અને મકરૂહથી પરહેઝ કરતા દેખાય. તે દરેકને પોતાના હુકમોનો પાબંદ જોવા ચાહે છે.

પરંતુ જ્યારે અમલની વાત આવે છે ત્યારે આપણે આપણી પસંદગીને અલ્લાહની પસંદગી ઉપર અગ્રતા આપીએ છીએ. એ કામ કરીએ છીએ કે જે અલ્લાહ નથી ચાહતો. આ માર્ગમાં કયારેક ઈચ્છાઓ જીતી જાય છે, કયારેક હોદ્દો અને સ્થાન, કયારેક ખાનદાન અને સમાજ, કયારેક દોલત… ટૂંકમાં ઘણી ચીજો છે જે રૂકાવટ ઉભી કરે છે. અને ખુદાએ જે ચાહ્યું તે પુરૂ નથી થતું.

કયારેક એવું પણ બને છે કે આપણે એ જ કરીએ છીએ જે ખુદા ચાહે છે. ગરમીના દિવસોમાં રોઝો રાખીને ખાવા પીવાથી દૂર રહીએ છીએ. અને ખુદાના હુકમ ઉપર અમલ કરીએ છીએ. ખૂબજ તરસ લાગ્યા પછી પણ એક ટીપું પાણી નથી પીતા. ખુદા રોઝાની હાલતમાં આપણને તરસ્યા જોવા ચાહે છે.

આ બધા કામ આપણે પોતાના અખત્યારથી કરીએ છીએ. તેમાં જરાપણ દબાણ કે જબરદસ્તી નથી લાગતી. ખુદાનું ચાહવું આપણા અખત્યારને છીનવી નથી લેતું. આપણે પોતાની મરજીથી ખુદાના હુકમ ઉપર અમલ કરીએ છીએ. આ જ કારણથી પ્રસંશા અને સન્માનને લાયક ગણાઈએ છીએ.

ઈમામ હુસૈન (અ.સ.) એ સ્વપ્નમાં નાના પાસેથી સાંભળ્યું, ખુદા તમને શહીદ જોવા ચાહે છે. તમારા કુટુંબીજનોને કૈદી જોવા ચાહે છે. ઈમામ હુસૈન (અ.સ.)ના વજુદમાં ખુદાની મહોબ્બત એટલી તીવ્ર હતી કે તે ખુદાની રાહમાં બધુ કરવા તૈયાર હતા. અને કોઈપણ ચીજ આ માર્ગમાં રૂકાવટ નહોતી બની શકતી. ઈમામ હુસૈન (અ.સ.) એ મજબુરીથી શહાદત કબુલ નથી કરી, બલ્કે પોતાના પૂરા અખત્યારથી ખુદાની ખુશ્ નુદી ખાતર શહાદત કબુલ કરી.

ઈમામ હુસૈન (અ.સ.) ફખ્રે ઈસ્માઈલ (અ.સ.) છે. જનાબ ઈસ્માઈલ (અ.સ.) પોતાના વાલીદના સ્વપ્નાને અલ્લાહનો હુકમ સમજ્યા અને ઝબ્હ થવા માટે તૈયાર થઈ ગયા. ઈમામ હુસૈન (અ.સ.) પોતાના નાનાના સ્વપ્નાને કેવી રીતે ખુદાનો હુકમ ન સમજે. તેઓ આ ભવ્ય શહાદત અને કુટુંબીજનોની કૈદના માટે તૈયાર થઈ ગયા. જે અજોડ છે. જો જનાબ ઈસ્માઈલ (અ.સ.)ની કુરબાની અખત્યારથી અને ભવ્ય છે તો ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પણ અખત્યારથી અપૂર્વ અને મહાન છે.

આની સ્પષ્ટતા અને સમજણ એ છે કે મશીય્યત, ઈરાદો અને કદર કયારેક તકવીની તો કયારેક તકલીફી અથવા તશ્ રીઈ છે. તકવીનીનો સંબંધ ખબરથી છે. જેમકે જન્મ, મરણ, જમીન અને આસમાનનું સર્જન. પરંતુ તકલીફો અથવા તશ્ રીઈ લખાણ છે પરવરદિગારના એ ઈરાદાથી જ્યાં તે કામ કરવા માટે આઝાદ (ફાએલે મુખ્તાર) ‘ઈન્સાન’ની ભલાઈના માટે પોતાના હુકમો ઉપર અમલ કરતો જોવા ચાહે છે. જે ચીજોથી રોકયો છે તેનાથી પરહેઝ કરે. દૂર રહે અને જેનો હુકમ આપ્યો છે તેના ઉપર અમલ કરે. એટલે અમ્ર અને નહી અથવા અન્જામ અને તર્ક ઈન્સાનના અખત્યારમાં આપ્યા છે. જેમકે ખુદાવંદે મોતઆલ સુરએ નહલની 90 મી આયતમાં ઈરશાદ ફરમાવે છે:

اِنَّ اللہَ يَاْمُرُ بِالْعَدْلِ وَالْاِحْسَانِ وَاِيْتَاۗئِ ذِي الْقُرْبٰى وَيَنْہٰى عَنِ الْفَحْشَاۗءِ وَالْمُنْكَرِ وَالْبَغْيِ۝۰ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ۝۹۰

ખુદાવંદે મોતઆલ અમ્ર અને નહિની તરફ વાએઝ અને નસીહત થકી દઅવત આપે છે. ‘યએઝોકુમ લઅલ્લકુમ તઝક્કરૂન’નો આજ અર્થ અને સમજણ છે. ઈમામ હુસૈન (અ.સ.)ની દ્રષ્ટિમાં આ જ સ્થાન અને શરતો છે. અલ્લાહનું વાજીબ કરેલું ફરમાન,

‘કોતેબ અલયકોમુલ કેતાલ’ઉપર મક્કમ રીતે ડગ ભરી રહ્યા છે. (જેહાદ આપ ઉપર યકીની અને વાજીબ છે) આપે પહેલા જ ફરમાવ્યું, યઝીદનું વર્ચસ્વ ઈસ્લામ ઉપર ફાતેહા પડવા સમાન છે. હવે એકજ માર્ગ છે કે દોસ્તો, અન્સારો અને બની હાશીમના ફરઝંદો કુરબાની આપે અને ઈસ્લામને નવજીવન બક્ષે. આ છે રસુલ (સ.અ.વ.)ના કથનનો સાર:

‘ખરેખર, અલ્લાહ તમને કત્લ થએલા જોવા ચાહે છે.’

અલ્લાહ તઆલાની મશીય્યત, ઈરાદો અને કદરની મુજબ છે અને ઈમામ હુસૈન (અ.સ.) આ હુકમોને પૂરા કરવા માટે નિયુકત થએલા છે. આ સિલસિલો મહાન, ઐતિહાસિક બલ્કે દુનિયાના ઈતિહાસનો અજોડ અને બુધ્ધિને આશ્ર્ચર્ય પમાડનાર કારનામું છે. રસુલે ખુદાને લગાતાર સ્વપ્નમાં જોવા તે દલીલ છે કે આ હઝરતની તાકીદ અને મદદ આપને મળેલી છે.

ઈમામ હુસૈન (અ.સ.)એ આઝાદીથી શહાદતનો માર્ગ અખત્યાર કર્યો. આપ દરેક તબક્કે આઝાદ હતા અને જો ઈચ્છતે તો આ માર્ગથી હટીને બીજું સ્વરૂપ અખત્યાર કરી શકતા હતા. પરંતુ આપ ઈમામ છે તે ભુલી ન શકયા. આપના દરેક કદમ અનુસરવાને પાત્ર છે. નુમના છે. હિદાયતની પરંપરાના મોભી છે. (જીનકે રૂત્બે હય સીવા ઉનકો સીવા મુશ્કીલ હય)

આપે મદીનાથી રૂખ્સત થતી વખતે ફરમાવ્યું હતું:

(પરંતુ યાદ રાખો ઈમામ માનવીના તમામ તકાઝાની સાથે છે) ત્રીજો સવાલ તે શહાદત જેની આગાહી કરવામાં આવી ચુકી છે તેની શું કિમત છે?

તેનો જવાબ એ છે કે બેશક ખુદા જાણતો હતો, કે ઈમામ હુસૈન (અ.સ.) આ અલ્લાહનો હુકમ જેની બુઝુર્ગી અને અઝમત માનવ-બુધ્ધિની મર્યાદામાં નથી તે તેના ઉપર મક્કમ રીતે અમલ કરશે. અડગ રહેશે. તે ખુદાની નાફરમાની નહિ કરે. તે ખુદા સિવાય જે કાંઈ પણ છે તે તેની રાહમાં કુરબાન કરી દેશે. પયગમ્બરે અકરમે તેની ખબર અગાઉથી આપી, પરંતુ અગાઉથી આપેલ ખબર અને કરબલાની ઘટના ઘટવી તે ઈમામ હુસૈન (અ.સ.)ના અખત્યારો આંચકી લેવા જરાપણ અસરકર્તા નથી. અને એમના અમલમાં જબરદસ્તીનો જરાક અમથો પણ અંશ નથી.

તેનું ઉદાહરણ એ છે કે અલ્લાહના હુકમો પૈકી કોઈ હુકમ હું મારા ઈરાદાપૂર્વકના અખત્યારથી બજાવી લાવું છું. ખુદાવંદે મોતઆલ તે જાણે છે અને તે તેની ખબર પોતાના પયગમ્બરને આપે છે. તો શું આ ખબર કોઈપણ રીતે મારા ઈરાદાપૂર્વકના અખત્યાર ઉપર કાંઈ અસર કરે છે? બિલકુલ નહીં. કહેવાનો અર્થ એ છે કે આ એક અઝીમ શહાદત છે. જેમ જેમ દિવસો, મહિનાઓ અને વરસો પસાર થતા ગયા, સદીઓનો ઈતિહાસ લખાતો ગયો, તરફદારો અને મદદગારોની સામે ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓનો પ્રકાશ ક્ષિતિજ ઉપર ફેલાવા લાગ્યો. ખુદાવંદે મોતઆલએ આ ખુત્બાઓની ચર્ચા દુનિયાના ખુણેખુણામાં જીભો ઉપર વહેતી કરી દીધી. જેમકે આપણે દોઆએ નુદબાહમાં વાંચીએ છીએ:

‘આ તે સમયે બન્યું કે જ્યારે તું તેમની પાસેથી વચન લઈ ચૂકયો હતો કે આ તુચ્છ દુનિયામાં રહીને તેમાં રહેલી રંગીનીઓ અને ચમક દમકથી નજર ફેરવી લેશે અને પરહેઝગારી અખત્યાર કરશે. આ રીતે તેઓએ આ વચનને સ્વિકારી લીધું અને તે તેઓના આ વચન ઉપર વફાદારી અને મજબુતીને જાણી લીધી. પછી તેં તેઓને તારી દરગાહમાં કબુલ કરી લીધા. તારી નજદિકીના સ્થાનથી નવાજ્યા. ત્યાં સુધી કે તેઓને ઉચ્ચ સ્તરની ચર્ચા અને ખુલ્લી પ્રસંશાથી મસ્તક બુલંદ કરી દીધું.’

સુજ્ઞ વાંચકો! આ એક પાસુ છે ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓની અસરો અને ઈશારાઓનું જે હવે સ્પષ્ટ થયા. જ્યારે પોતાના અને પરાયા આની પાસે સફર દરમ્યાન ઈરાક આવતા રહ્યા અને કુફા ન જવાની સલાહ આપતા રહ્યા ત્યારે આપે તેના જવાબો આપ્યા. ખુદાની ઈચ્છા તરફ તેઓના દિલોને ફેરવ્યા. કયારેક રસુલે ખુદાના સ્વપ્નને બયાન કરીને તો કયારેક ઈમામતના હોદ્દા ઉપર બિરાજીને અલ્લાહ તરફ દઅવત દેતા રહ્યા. જ્યારે ઈમામ હુસૈન (અ.સ.) ‘ખુઝૈમા’નામના સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે અહીં પોતાની બહેનને દિલાસો દઈને ફરમાવ્યું:

‘બહેન, જે મુકદ્દરમાં છે તે થઈને રહેશે.’ અહીં પણ કઝા અલ્લાહના હુકમના અર્થમાં છે. જેની ચર્ચા અગાઉ થઈ ચૂકી છે. ત્યાંથી આપ ‘રવર’ના સ્થળે રોકાયા. ત્યાંથી આપ ‘સોઅલ્બીયા’નામના સ્થળે રોકાણ કર્યું. અહીં આપને જનાબે મુસ્લીમ, જનાબે હાની અને અબ્દુલ્લા યકતરની શહાદતની ખભર મળી. આપે ફરમાવ્યું:

‘હવે તેઓની શહાદત પછી જીંદગી નિરસ છે, તેમાં ભલાઈ નથી.’ પરીણામ એ છે કે હવે તે માહોલ પૈદા થઈ ચૂકયો છે જેમાં કોઈ આઝાદીથી, સલામતિ અને શાંતિથી જીવન પસાર નથી કરી શકતું. ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત પહેલા આપના ખુત્બાઓ આ નાજુક માહોલમાં ક્રાંતિ પૈદા કરી. આપે પોતાની અને પોતાના વફાદાર સાથીઓ દરમ્યાન નિરાશા પ્રસરવા ન દીધી. જેમકે આપે ફરમાવ્યું:

‘એક મર્દના માટે રાહે ખુદામાં શહીદ થવું ફખ્ર છે.’

‘હું મૌતની તરફ આગળ વધી રહ્યો છું, મૌત જવાં મર્દ માટે શરમજનક નથી.’

‘અફસોસ! જો આપણે અપમાનનો બોજ ઉઠાવીએ!!’

‘અપમાનનો હાથ તેઓને નહિ આપશું. ન તો ગુલામોની જેમ તેઓની સામેથી નાસી જશું.’

ત્યાં સુધી કે નવમી મોહર્રમ થઈને પોતાના અન્સાર અને અસ્હાબની સામે મગરીબની નમાઝ પછી એક ખુત્બો ફરમાવ્યો.

શહાદતનો સમય નજદિક આવી ગયો છે. હું મારી બયઅત તમારી ઉપરથી ઉઠાવી લઉં છું. આ રાતના અંધકારનો લાભ લઈને પોતપોતાના શહેરો તરફ પાછા ફરી જાવ. પરંતુ જ્યારે દિવો પ્રગટાવ્યો તો વફાદાર અસ્હાબોમાંથી એક પણ પોતાની જગ્યાએથી હલ્યો ન હતો. ત્યાર પછી સૌએ પોતાની વફાદારીની ખાત્રી આપતી તકરીરો કરી.

જ્યારે ઈમામ હુસૈન (અ.સ.) એ છેલ્લી વખત પોતાના સાથીઓની અજમાઈશ કરી લીધી ત્યારે આપે તેઓની નજરમાંથી દુન્યવી પરદાઓ હટાવી લીધા હતા અને બધાના જન્નતના દરજાઓ એમની આંખોની સામે લઈ આવ્યા. આ હતું શબે આશુરના ઈમામ હુસૈન (અ.સ.) ના ખુત્બાનું રહસ્ય. (સુખનાને ઈમામ હુસૈન અ.સ.)

અંતમાં ઈમામ હુસૈન (અ.સ.)ના આ ભેદભર્યા કલામો અને અર્થપૂર્ણ ખુત્બાઓની સાથે લેખને તેનો લખનાર પૂરો કરે છે. અને સૌને માટે જીવનના અંત સુધી ઈમામ હુસૈન (અ.સ.)ની મહોબ્બત બાકી રહેવાની દોઆ કરે છે.

‘એ બુઝુર્ગ મર્તબા (મા-બાપ) ના ફરઝંદ સબર અને સહન ઉપર કાયમ રહો. મૃત્યુ કોઈ વસ્તુ નથી. માત્ર એક પળ, જેને તમે સખ્તી અને રંજની પાછળ છોડીને પાર કરી જાવ છો અને બેહિશ્તની ઘાટીમાં જ્યાં કાયમી નેઅમતો છે ત્યાં દાખલ થઈ જાઓ છો. કોણ ન ચાહે કે કૈદખાનામાંથી નીકળી એક મહેલમાં શાંતિ મેળવે. તમારા દુશ્મનોની મોત એ રીતે છે જેમકે તે એક મોટી ઈમારતથી કૈદખાના અને કારાવાસમાં પગ મૂકતા હોય. મારા બુઝુર્ગ પિતાએ મારી સામે પયગમ્બર અકરમ (સ.અ.વ.)થી રિવાયત નકલ કરી છે. ‘દુનિયા મોઅમીનો માટે એવી છે જેમકે કૈદખાનું અને તેવી જ રીતે કાફર માટે બેહિશ્ત જેવી છે. મોત એક પળ છે જે મોઅમીનોને બેહિશ્ત સુધી પહોંચાડે છે અને કાફીરોને તેઓની જહન્નમમાં નાખી દે છે. હા, મેં ન ખોટું સાંભળ્યું છે ન ખોટું બોલું છું.

સાચુ છે. કોણ ઈમામ હુસૈન (અ.સ.)થી વધુ સાચું છે? કોઈ નહીં.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *