મૌતથી જન્નત સુધી ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતની અસરો

અલ મુન્તઝરના મોહર્રમ અંક હિ.સ. 1422માં “ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વાર, ઝિયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી”ના શિર્ષક હેઠળ અમુક બાબતો આપની ખિદમતમાં રજૂ કરી ચૂક્યા છીએ. આ ક્રમને આગળ વધારતા એ બાબત તરફ ઇશારો કરીશુ કે કયામતના મેદાનમાં ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરનાર લોકોનો દરજ્જો કેવો હશે. શક્ય છે કે અમુક લોકોના મનમાં એ વિચાર આવે કે એ કેવી રીતે બની શકે? થોડી ક્ષણોની ઝિયારત અને તેની અગણિત અસરો?

આ વિચાર એટલા માટે આવે છે કે આપણે દરેક બાબતને માત્ર ભૌતિક દ્રષ્ટિથી જોવા માટે ટેવાઇ ગયા છીએ. જો પવિત્ર દીને ઇસ્લામના શિક્ષણને નજરની સામે રાખીએ તો દિલમાં ક્યારે પણ આવો સવાલ પૈદા નહી થાય.

ઇસ્લામની માન્યતાઓ એકબીજા સાથે સાંકળની જેમ જોડાએલી છે. અર્થાત એક માન્યતા ત્યારે જ નજાતનું કારણ બની શકે જ્યારે બીજી માન્યતા તેની સાથે હોય. તવહીદની માન્યતા ત્યારેજ લાભદાયક સાબિત થાય જ્યારે તેની સાથે કયામતની માન્યતા પણ હોય. કયામતની માન્યતા ત્યારે નજાતનું કારણ બનશે જ્યારે નબુવ્વતની માન્યતા તેની સાથે હોય. નબુવ્વતની માન્યતા એ સમયે ગુમરાહીથી નજાત અપાવશે જ્યારે ઇમામતનો અકીદો તેની સાથે હોય. ઇમામતની સાથે અલ્લાહના અદ્લનો અકીદો હોવો જરૂરી છે.

જો કોઇ એમ વિચારે કે “તૌહિદના અકીદાને પરિપૂર્ણ કરવા માટે બાકીના અકીદાઓ જરૂરી નથી, તેથી જો કોઇ માણસ સંપૂર્ણ રીતે અલ્લાહનો એક હોવાનો અકીદો ધરાવતો હોય અને કયામત અને નબુવ્વત ઉપર અકીદો ન ધરાવતો હોય અને એમ માનતો હોય કે તેમ કરવામાં કોઇ નુકસાન નથી.” તો આ વિચાર તદ્દન ખોટો છે. કારણ કે તૌહીદના અકીદા માટે જરૂરી એ છે કે તે ખુદાની બધી બાબતો ઉપર યકીન ધરાવતો હોય અને તેની સામે સંપૂર્ણ રીતે સમર્પિત થાય. જ્યારે ખુદાએ કયામતની વારંવાર ચર્ચા કરી છે અને તેના આવવાની ખાત્રી આપી છે, તો કયામતનો ઇન્કાર હકીકતમાં ખુદાની વાતનો ઇન્કાર છે. ખુદાની વાતનો ઇન્કાર કરવાનો અર્થ જ એ છે કે તૌહીદ સંપૂર્ણ નથી.

તેવી જ રીતે જ્યારે ખુદા નબીઓને પોતાના પ્રતિનિધિ બનાવીને લોકોની હિદાયત માટે મોકલ્યા અને તેઓની સચ્ચાઇની દલીલો પણ તેઓની સાથે મોકલી અને નબીઓે પોતાની નબુવ્વતની સાબિતી માટે સ્પષ્ટ દલીલો રજૂ કરી અને એ સાબિત કરી દીધુ કે તેઓ ખુદા તરફથી મોકલાએલા છે, તો આ સંજોગોમાં નબુવ્વતને સ્વિકાર ન કરવુ, શું તે ખુદાના કૌલને જુઠલાવવા સમાન નહી કહેવાય?

અગર કોઇ શખ્સ નબીની નબુવ્વત ઉપર સંપૂર્ણ ઇમાન ધરાવે અને તેમના કૌલને ખુદાનો કૌલ અને તેમના હુકમને ખુદાનો હુકમ ગણે છે, તો પછી તે સંજોગોમાં નબીએ કરીમ(સ.અ.વ.)એ નિયુક્ત કરેલા વસીઓનો, વારસદારોનો સ્વિકાર ન કરવો તે શું ખુદા અને તેના રસુલને જુઠલાવવા જેવુ નથી? શું આ સંજોગોમાં નબુવ્વતનો અકીદો સંપૂર્ણ ગણી શકાશે?

ટૂંકમાં એ કે તૌહીદ કયામત સાથે જોડાએલ છે, તૌહીદ અને કયામત નબુવ્વત સાથે જોડાએલા છે, તૌહીદ, કયામત અને નબુવ્વત, ઇમામત અને અદાલત સાથે જોડાએલ છે. જો કોઇ ઇમામતમાં નથી માનતો, તો ન તો તેની તૌહીદ સંપૂર્ણ છે ન કયામત ઉપરનું ઇમાન સંપૂર્ણ છે, ન તો નબુવ્વત ઉપરનો અકીદો બાકી રહે છે. આ તમામ અકીદાઓ ઉપર સંપૂર્ણ યકીન રાખવું જરૂરી છે.

એક વખત હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ઝકાતની ફઝીલત બયાન કરતા ફરમાવ્યું:

જો કોઇ ઝકાત અદા ન કરે તો તેણે નમાઝના હુકમનો અમલ નથી કર્યો. નમાઝ તેને પાછી આપી દેવામાં આવશે અને એવી રીતે લપેટી દેવામાં આવશે જેવી રીતે જુનુ કપડુ લપેટી દેવામાં આવે છે. તે નમાઝ તેના મોઢા ઉપર મારવામા આવશે અને તેને કહેવામાં આવશે: અય ખુદાના બંદા! ઝકાત વગર તમે નમાઝથી શું ચાહો છો?

આ સાંભળીને અસ્હાબે કહ્યુ: ખુદાની કસમ! એ માણસની હાલત કેવી ખરાબ અને બરબાદ છે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ :

“શું હું તેનાથી પણ વધુ ખરાબ અને બરબાદ માણસ વિશે ન કહુ?”

અસ્હાબે અરજ કરી: અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)! જરૂર બયાન ફરમાવો.

આપ હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યુ:

“એક માણસે જેહાદમાં ભાગ લીધો અને બહાદુરીપૂર્વક લડતા લડતા મરણ પામ્યો. હુરોને તેની શહાદતની ખબર મળી. જન્નતના દરવાનોએ તેની રૂહના આવવાની ખબર સાંભળી, જમીનના ફરિશ્તાઓને હુરોના ઉતરવાની અને જન્નતના દરવાનોના આવવાની ખબર પણ આપવામા આવી. તેમ છતા તેમાનું કોઇ એક પણ ન આવ્યુ. તે મરનારની આજુબાજુના હાજર જમીનના ફરિશ્તાઓએ કહ્યુ: શું થયુ, હજુ સુધી હુરો ન આવી, જન્નતના દરવાન પણ ન આવ્યા? સાતમા આસમાનની બુલંદી પરથી અવાજ આવ્યો: અય ફરિશ્તાઓ! આસ્માનની ઉંચાઇ ઉપર જુઓ.

ફરિશ્તાઓએ નજર ઉઠાવીને આસમાનની તરફ જોયુ. તે માણસનો તૌહીદનો અકીદો, રસુલે ખુદા(સ.અવ.) ઉપર ઇમાન, નમાઝ, ઝકાત, સદકાઓ અને તમામ નેક અમલો આસ્માનની નીચે રોકી રાખવામાં આવ્યા હતા. તમામ અમલો એક ભવ્ય કાફલાની જેમ ભરેલા છે. પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક બાજુએ મલાએકા જ મલાએકા છે. તે બંદાના આમાલને લાવનારા ફરિશ્તાઓ કહી રહ્યા છે કે આસ્માનના દરવાજા કેમ નથી ખુલતા કે જેથી અમે આ શહીદના આમાલને લઇને હાજર થઇએ. ખુદા હુકમ આપે છે અને દરવાજા ખુલ્લી જાય છે. પછી એક અવાજ આવે છે કે અય ફરિશ્તાઓ, જો તમે દાખલ થઇ શકતા હો તો જરૂર દાખલ થાવ. પરંતુ આ ફરિશ્તાઓ આમાલને ઉપાડી જ નથી શકતા.

ફરિશ્તાઓ અરજ કરે છે કે અમે આ આમાલ ઉપાડવાની શક્તિ નથી ધરાવતા. ખુદાના તરફથી અવાજ આવે છે કે અય ફરિશ્તાઓ! તમે આ આમાલને ઉપાડી ઉપર નથી લાવી શકતા. આ આમાલને ઉપર લઇ જવા માટે વસીલો અને સવારી જોઇએ. જેથી આ આમાલ આસ્માન સુધી પહોંચે અને જન્નતમાં જગ્યા મેળવે. ફરિશ્તાઓ અરજ કરે છે કે અય અમારા પરવરદિગાર! તે સવારી શું છે?

ખુદા ફરમાવે છે: અય ફરિશ્તાઓ! તમે કઇ ચીઝને ઉપાડીને લાવ્યા છો? તેઓ અરજ કરે છે કે તારી તૌહીદ, તારા નબી ઉપર ઇમાન. ખુદા ફરમાવે છે કે આ ચીજોની સવારી મારા નબી (સ.અ.વ.)ના ભાઇ અલી(અ.સ.)ની વિલાયત અને પવિત્ર ઇમામોની વિલાયત છે. તે સવારી જ આ આમાલોને જન્નત સુધી પહોંચાડશે.

ફરિશ્તાઓ તેના આમાલને જુએ છે, પરંતુ તેમાં અલી(અ.સ.) અને તેમની પાકીઝા અવલાદની વિલાયત દેખાતી નથી અને ન તેઓના દુશ્મનો સાથે દુશ્મની દેખાય છે.

ખુદા તે આમાલ લાવનારા ફરિશ્તાઓને કહે છે કે આ આમાલને અહીંથી લઇ જાઓ. અને મારા મલાએકાઓના કેન્દ્રોમાં જમા કરાવી દો કે જે તેને લાયક છે તે તેને લઇ જશે અને જ્યાંના હકદાર છે ત્યાં રાખી દેશે.

આ ફરિશ્તાઓ તે આમાલોને તેને લગતા કેન્દ્રો સુધી પહોંચાડી દેય છે, પછી ખુદાનો અવાજ આવશે અય જહન્નમની આગની જ્વાળાઓ! આ આમાલને લઇ લો અને જહન્નમમાં નાખી દો. એટલા માટે કે આ અમલ કરનાર તે અમલની સવારી અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.મુ.સ.)ની વિલાયત અને મોહબ્બત લઇને નથી આવ્યો. ફરિશ્તાઓ તે આમાલને લઇને જશે. એ જ આમાલ તે માણસ માટે બલા અને મુસીબત બની જશે. એટલા માટે કે આ માણસ હઝરત અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.મુ.સ.)ની મોહબ્બત અને વિલાયતને લઇને નથી આવ્યો.

પછી તે આમાલ હઝરત અલી(અ.સ.)ના વિરોધી અને તેમના દુશ્મનો સાથે દોસ્તીને અવાજ આપશે. ખુદા કાગડા અને ચીલ જેવા કાળા ચહેરાને તેના ઉપર ઢાંકી દેશે. તે કાળા ચહેરાના મોઢામાંથી આગ નિકળશે અને તેના તમામ આમાલ બરબાદ થઇ જશે. હઝરત અલી (અ.સ.)ના દુશ્મનો સાથે દોસ્તી અને હઝરત અલી(અ.સ.) ની વિલાયતનો ઇન્કાર બાકી રહી જશે, જે તેને જહન્નમની સૌથી ખરાબ જગ્યા પર પહોંચાડી દેશે. તેના તમામ આમાલ બરબાદ થઇ જશે અને તેના ગુનાહ ઘણા વધારે હશે.

આ એ શખ્સ છે કે જેની હાલત ઝકાત ન આપવાવાળાથી વધારે ખરાબ અને બરબાદ છે.”

(તફસીરે ઇમામે હસન અસ્કરી(અ.સ.) પાના 76-79) (મુસ્તદ્રકુલ વસાએલ, ભાગ:1, પાના:163, હદીસ: 40)

આ પ્રકારની અસંખ્ય રિવાયતો છે, જેના ઉપરથી સમજી શકાય છે કે પવિત્ર અહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત, ઇમામત, મોહબ્બત અને તેઓના દુશ્મનો સાથે નફરત સિવાય કોઇ પણ અકીદો અને કોઇ પણ અમલ અલ્લાહની બારગાહમાં કબુલ નહિ થાય. આ પ્રકારના લોકોનું સ્થાન જન્નતના બદલે જહન્નમમાં હશે.

મઅસુમ ઇમામો અને ખાસ કરીને ઇમામ હુસૈન (અ.સ.) ની ઝિયારત આ વિલાયત અને મોહબ્બતની અમલી જાહેરાત છે. કારણ કે બધા અમલનો તમામ આધાર વિલાયત અને મોહબ્બત ઉપર છે. આ ઝિયારતો, વિલાયત અને મોહબ્બતને મજબુતી અને અડગતા આપે છે. તેથી ઝિયારત દ્વારા ઝવ્વાર અને ઇમામની વચ્ચે એક દિલી સંબંધ કાયમ થઇ જાય છે. ઝિયારતના શબ્દો આ દિલના સંબંધની જાહેરાત છે. ઝિયારતના શબ્દો એ જાહેર કરે છે કે આ સંબંધ માત્ર લાગણીનો સંબંધ નથી. આ સંબંધ મઅરેફતનો પણ સંબંધ છે. એટલે કે આ સંબંધ તે પવિત્ર વ્યક્તિ માટે છે કે જેને ખુદાએ પોતાના પ્રતિનિધી બનાવ્યા છે અને સમગ્ર કાએનાતને જેમની તાબેદારીનો હુકમ આપ્યો છે. ઇન્સાન સિવાય દુનિયાનો એક એક અંશ તેમનો તાબેદાર છે. પરંતુ ઝાલિમ અને જાહિલ ઇન્સાને તેમને એ રીતે કત્લ કર્યા જે રીતે જાનવરોને પણ કત્લ કરવામાં નથી આવતા.

આ દુનિયામાં જે ઝુલ્મ ખુદાના પ્રતિનિધિ ઉપર છે, તે ખરેખર તો ખુદા પર ઝુલ્મ છે. ઝિયારતમાં મઝલુમ સાથે નિખાલસ હમદર્દી અને ઝાલિમ સાથે સ્પષ્ટ નફરત અને દૂરી છે.

ઝિયારત, ઇમામ સિવાય તેમના દીન, તેમના તરીકા અને તેમના અખ્લાક સાથે સીધો સંબંધ ધરાવે છે. આ ઝિયારતમાં ઇમામના દુશ્મનો, દુશ્મનોના બધા અકીદાઓ, સિધ્ધાંતો, આમાલ અને અખ્લાકથી દૂરી છે.

આવો! એ જોઇએ કે કયામત અને તેના બાદ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરનારાઓના કેવા કેવા દરજ્જાઓ હશે? એ વાત પણ ધ્યાનમાં રહે કે રિવાયતોમાં જે કાંઇ પણ બયાન કરવામાં આવ્યું છે તે માત્ર આપણી અકલ, સમજશક્તિ અને ગ્રહણ શક્તિ મુજબ છે, ઝવ્વારના સાચા દરજ્જાઓ તો ખુદા અને રસુલ જ બહેતર જાણે છે.

આ નાની એવી પ્રસ્તાવના પછી આવો આપણે જોઇએ કે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરનારાની કયામતના મેદાનમાં શું શાન અને શૌકત હશે. આ હકીકત માત્ર એજ હઝરાત બતાવી શકે જેની દ્રષ્ટિ દુનિયા અને આખેરત ઉપર સરખી હોય. કયામતના દ્રષ્યો તેઓની સામે એવી રીતે સ્પષ્ટ છે, જેવી રીતે સામે બેસેલો માણસ. અગાઉના લેખમાં આ બાબત ઉપર તો ઇશારો કરી ચુક્યા છીએ કે ઝવ્વારનું સન્માન અને બખ્શીશનો સિલસિલો તો ત્યારથી જ શરૂ થઇ જાય છે જ્યારે ઇન્સાન ઝિયારતનો ઇરાદો કરે છે. સામાન્ય રીતે એવુ બને છે કે લોકો એક વખતની મુલાકાતને વધારે યાદ નથી રાખતા. તેમજ દરેક વખતે તેનુ ધ્યાન અને માન નથી રાખતા. પરંતુ આ પવિત્ર અહલેબૈત(અ.સ.)ની બખ્શીશની શાન અને ગુલામ નવાઝી છે કે જેણે એક વખત તેમની ઝિયારત કરી અને એક વખત મઅરેફતની સાથે તેમની મુલાકાત માટે ગયા તેને તેઓ જીંદગીના દરેક પ્રસંગે ન માત્ર યાદ રાખે છે પરંતુ તેની મુશ્કેલીઓ હલ કરતા રહે છે.

સકરાત અને રૂહ કબ્ઝ થવામા આસાની :

કહેવાય છે કે જ્યારે શરીરમાંથી રૂહ નીકળે છે ત્યારે પરિસ્થિતિ ઘણી સખ્ત હોય છે. એવું લાગે છે કે કાંટાળા ઝાડ ઉપર રાખી રેશમી કપડું ખેંચવામાં આવે અને તેના દરેક તાર અલગ-અલગ થઇ જાય. એક તરફ રૂહ કબ્ઝ થવાની મુશ્કેલીઓ અને બીજી તરફ સગા સંબંધીઓ અને દોસ્ત બિરાદરોથી જુદાઇ, પરંતુ ઝવ્વારની આ બધી મંઝીલો આ મઅસુમ ઇમામો(અ.મુ.સ.)ની બરકતોથી આસાન થઇ જાય છે.

જે માણસ મોતની સકરાત અને કયામતના દર્દનાક દ્રષ્યોથી નજાત મેળવવા ચાહે અને ચાહે છે કે આ બધી મંઝીલો તેના માટે આસાન થઇ જાય તો તેણે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત વધુમાં વધુ વખત કરવી જોઇએ, કારણ કે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની ઝિયારત છે.

(બેહારૂલ અન્વાર, ભાગ:101 પાના:77)

(કામેલુઝ્ઝીયારાત પાના:150)

જનાબે ઝહરા(સ.અ.) તશ્રીફ લાવે છે:

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત છે.

હઝરત ફાતેમા બિન્તે મોહમ્મદ(સ.અ.વ.) તેમના ફરઝંદ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરનારાની પાસે તશરીફ લઇ જાય છે અને તેઓના માટે મગ્ફેરતની દોઆ કરે છે જેના કારણે તેઓના ગુનાહોને માફ કરી દેવામાં આવે છે.

(કામેલુઝ્ઝીયારાત પાના :118)

તે હઝરાત જેઓના ઘરની ખિદમતના માટે મલાએકાઓ ફખ્ર કરે છે, તે હઝરતો ઝવ્વારની મુલાકાતે આવે અને તેમના માટે મગફેરતની દોઆ કરે! ખરેખર કેટલી મહાન ખુશનસીબી છે!

ઇમામ હુસૈન(અ.સ.) તશરીફ લાવે છે:

અલી બિન મોહમ્મદનું બયાન છે કે હું દર મહિને ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરતો હતો. પછી મારી ઉમર થઇ ગઇ. નબળાઇ આવી ગઇ. એક વખત એવું બન્યું કે ઝિયારત માટે ન જઇ શક્યો. પછી એક વખત પગે ચાલીને ઝિયારત માટે રવાના થયો. થોડા દિવસોમાં પહોંચ્યો. ઝિયારતની નમાઝ પડ્યો અને સુઇ ગયો. સ્વપ્નમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.) ને જોયા. આપ(અ.સ.) કબ્રની બહાર તશરીફ લાવ્યા છે અને મને ફરમાવ્યુ કે તમે મારી સાથે આટલુ સખ્ત વર્તન કેમ કર્યુ? તમે તો મારા માટે નેક હતા. અરજ કરી, મૌલા! હવે નબળો અને વૃધ્ધ થઇ ગયો છુ, આપ(અ.સ.)ની ખિદમતમા હાજર થયો છુ. આપ(અ.સ.)થી રિવાયત નકલ થઇ છે એ રિવાયત આપ(અ.સ.)ની પવિત્ર ઝબાનથી સાંભળવા ચાહુ છુ. જે આપ(અ.સ.) એ ફરમાવી છે અને તે આ મુજબ છે.

આપ(અ.સ.)ના તરફથી આ રિવાયત નકલ થઇ છે કે જેણે પોતાની જીંદગીમાં મારી ઝિયારત કરી તેના મૃત્યુ પછી હું તેની ઝિયારત કરીશ. આપ(અ.સ.)એ ફરમાવ્યુ: હા…જો તે જહન્નમમાં હશે તો પણ હું તેને ત્યાંથી બહાર કાઢી લાવીશ.

(બેહારૂલ અન્વાર ભાગ:101, પાના :16)

બુઝુર્ગ આલીમોએ એના સંદર્ભમાં ફરમાવ્યું છે. શક્ય છે કે ઇમામ હુસૈન(અ.સ.)નું આ રીતે આવવુ મૃત્યુના સમયે હોય અથવા કબ્રમા દફન કરવાના સમયે હોય.

જ્યારે કબ્રમાં ઇન્સાન એકલો હશે, અસહાય હશે, જાત-જાતનો ડર હશે, વહશત અને બેચૈનીની પરિસ્થિતિ હશે, કોઇ મુલાકાતે આવનાર નહી હોય. જો કોઇ આવશે તો પણ બહાર દુરથી ઝિયારત કરશે અને ફાતેહા પઢશે, સૌથી વધુ વ્હાલામાં વ્હાલી વ્યક્તિ પણ કબ્રમાં તેનો સાથ નહી આપે. પરંતુ જેણે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરી હશે, હઝરત ઇમામ હુસૈન(અ.સ.) તેની ઝિયારત માટે તશરીફ લાવશે. ઇમામ હુસૈન(અ.સ.)ના આવ્યા પછી કોઇ વહશત કે બેચૈની બાકી રહેશે નહી. જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) પોતાના ઝવ્વારને ફરમાવશે, “અસ્સલામો અલૈક” તો કઇ તકલીફ હશે કે જે દૂર નહી થાય? અને કઇ રાહત હશે કે જે નસીબ નહી થાય?

આ ખુશનસીબી પછી પણ કોણ છે કે જે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરવામાં જરા પણ વિલંબ કરે?

ફિશારે કબ્રમાંથી નજાત નસીબ થાય છે:

જો આપણને કોઇ ચુટી ભરે અથવા આપણો હાથ અથવા એક આંગળી દરવાજામાં દબાઇ જાય તો કેટલો દુ:ખાવો થાય છે? અને તેની અસર ક્યાં સુધી રહે છે? કબ્રની ભીંસ એટલે કબ્રની બંને દિવાલોનું આપસમા મળી જવુ. જ્યારે બંને દિવાલો આપસમા એકબીજાને મળી જશે, ત્યારે વચ્ચે રહેલા મય્યતની હાલત કેવી થશે? આપણે સૌએ એક દિવસ મરવાનુ છે અને કબ્રમા જવાનુ છે. જો આ ભીંસ આપણને થઇ અને ધારી લો કે આ મય્યત આપણે પોતે જ છીએ, તો કબ્રની ભીંસ કેટલી દર્દનાક હશે, જ્યારે પાંસળીઓ એકબીજામાં ખુંચી જશે. આ કલ્પ્ના માત્રથી રૂવાંટા ઉભા થઇ જાય છે. ખરેખર પીડાનુ તો શું જ કહેવુ? હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત અહીં પણ મુશ્કેલીને દુર કરે છે અને કબ્રની ભીંસથી નજાત મેળવવાનુ કારણ બને છે.

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)થી રિવાયત છે:

જો લોકો જાણી લેય કે ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્રની ઝિયારતનો શું સવાબ છે, તો તેના શોખ અને તમન્નામાં લોકોના શ્ર્વાસ રૂંધાઇ જાય.

રાવીએ પુછ્યુ: કેટલો સવાબ છે ? આપ(અ.સ.)એ ફરમાવ્યુ:

જે શોખથી ઝિયારત માટે જશે, ખુદા તેને એક હજાર કબુલ થએલ હજ, એક હજાર નેક ઉમરા, બદ્રના શહીદો જેવા એક હજાર શહીદોનો સવાબ, એક હજાર રોઝેદારોનો સવાબ, એક હજાર કબુલ થએલા સદકાનો સવાબ, ખુદાની ખુશી ખાતર એક હજાર ગુલામ આઝાદ કરવાનો સવાબ મળશે. તે એક વરસ સુધી આફતોથી સુરક્ષિત રહેશે. જેમાં સૌથી હલ્કી આફત શૈતાન છે. ખુદા તેના માટે એક મોહતરમ ફરિશ્તાની નિમણુંક કરશે, જે આગળ પાછળ ડાબે જમણે ઉપર-નીચેથી તેનુ રક્ષણ કરશે. જો તે વરસે તે મૃત્યુ પામે તો રહેમતના ફરિશ્તાઓ તેના ગુસ્લ અને કફનમાં હાજર થાય છે અને તેના માટે ઇસ્તીગ્ફાર કરે છે, તેની કબ્ર સુધી તેના માટે માફી માંગતા તેના જનાઝાની સાથે રહે છે. નજર પહોંચે ત્યાં સુધી તેની કબ્ર વિશાળ અને પહોળી થઇ જાય છે. ખુદા ‘કબ્રની ભીંસ’ થી તેનું રક્ષણ કરે છે. મુન્કીર અને નકીર તેના માટે ભય અને ખૌફનું કારણ નથી બનતા. તેના માટે જન્નત સુધી એક દરવાજો ખોલી નાખવામાં આવે છે. તેનું આમાલનામું તેના જમણા હાથમાં આપવામાં આવે છે. કયામતમાં તેને એક એવું નૂર અતા કરવામાં આવશે જેનાથી પૂર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થઇ જશે અને એક મુનાદી નિદા આપશે, આ છે શોખથી ઇમામ હુસૈન(અ.સ.) ની ઝિયારત કરનાર ઝવ્વાર. તે સમયે કયામતમાં એવુ કોઇ પણ નહિ હોય કે જે એે તમન્ના ન કરે કે કેવુ સારૂ થતે કે તે પણ ઇમામ હુસૈન(અ.સ.) નો ઝવ્વાર હોત.

(બેહારૂલ અન્વાર, ભાગ:101 પાના:18)

(કામેલુઝ્ઝીયારાત પાના:143)

આ અમુલ્ય રિવાયતમાં ફિશારે કબ્રથી નજાતની સાથે સાથે મુન્કીર અને નકીરના ડરથી પણ સુરક્ષિત અને સલામત રહેવાનું વર્ણન કરવામાં આવ્યુ છે. તેઓના રોબ અને ભયના કારણે તેઓને મુન્કીર અને નકીર કહેવામાં આવે છે.

કયામતનું મેદાન ઝવ્વારના નુરથી પ્રકાશિત થઇ જશે:

ઉપરોક્ત રિવાયતમાં એ પણ છે કે કયામતના મેદાનમાં ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વાર કેવા નુરાની હશે! તેમના નુરથી પુર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થઇ જશે. પુર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થશે, એટલું જ નહી બલ્કે કયામતના મેદાનમાં એક ખાસ ફરીશ્તો તેની ઓળખ પણ કરાવશે અને ઝવ્વારની એ શાન હશે કે દરેક માણસ એ તમન્ના કરશે કે કેવુ સારૂ થતે જો મને પણ ઝિયારતનો શરફ મળતે? કેમ ન હોય! જનાબે જોનને ઇમામ હુસૈન (અ.સ.)ની દોઆથી એ નૂર અને ખુશ્બુ મળી જેનાથી આખું મેદાન પ્રકાશિત અને સુગંધિત થઇ ગયુ. આ બધુ એટલા માટે કે ઇમામ હુસૈન(અ.સ.) ખુદાના નૂરથી છે, નૂરનું કેન્દ્ર છે અને જે તેમની સાથે જોડાઇ જાય તે પણ નૂરાની થઇ જશે.

લેવાએ હમ્દના છાયામાં હશે :

ખુદાવંદે આલમે મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ને અસંખ્ય મરતબાઓ અને દરજ્જાઓ અતા કર્યા છે, તેમાંનો એક ખુબ જ મહત્વનો અને ભવ્ય ‘લેવાઉલ હમ્દ’ છે. આ એવો પરચમછે, જેના 70 ફરેરા છે અને એક ફરેરાની વિશાળતા ચાંદ અને સુરજથી વધારે છે. આ પરચમ ખુદાની તરફથી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને આપવામાં આવશે અને આં હઝરત(સ.અ.વ.) પોતાના અલમદાર હઝરત અલી બિન અબી તાલિબ(અ.સ.)ને અતા કરશે. પહેલાથી છેલ્લા સુધી તમામ નબીઓ અને વસીઓ આ પરચમના છાયામાં હશે.

(હક્કુલ યકીન, અલ્લામા મજલીસી(અ.ર.) પાના: 450)

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત છે:

કયામતમાં એક મુનાદી નિદા આપશે. ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વાર ક્યાં છે? એટલા લોકો આગળ આવશે કે જેને ખુદા સિવાય બીજું કોઇ ગણી નહી શકે. તે લોકોને સવાલ કરવામાં આવશે:

ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારતથી તમે શું ચાહતા હતા?

તેઓ અરજ કરશે કે અમે રસુલે ખુદા (સ.અ.વ.)ની મોહબ્બત, હઝરત અલી અને ફાતેમા(સ.અ.)ની મોહબ્બતમાં ઝિયારત કરી, તેઓના ઉપર ગુજારવામાં આવેલા ઝુલ્મોના બદલામાં તેઓના ઉપર રહેમત માગવા માટે. જવાબ મળશે: આ છે મોહમ્મદ (સ.અ.વ.), અલી, ફાતેમા, હસન અને હુસૈન (અ.મુ.સ.). તમે લોકો તેઓની સાથે જોડાઇ જાવ અને તમે તેઓની સાથે તેમના દરજ્જામાં રહો. આ લોકો રસુલે ખુદા(સ.અ.વ.)ના પરચમના છાયામાં રહેશે અને પરચમ હઝરત અલી(અ.સ.)ના હાથોમાં હશે. આ તમામ લોકો આ પરચમની આગળ આગળ ચાલતા બલ્કે દરેક તરફથી પરચમને પોતાની વચ્ચે લઇને જન્નતમાં દાખલ થશે.

(બેહારૂલ અન્વાર, ભાગ:101, પાના: 21)

(કામેલુઝ્ઝીયારાત, પાના:141)

ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારોની શું શાન અને મરતબો છે. કયામતમાં જે પરચમના છાયા નીચે તમામ નબીઓ અને વસીઓ હશે, ઝવ્વારોને પણ એજ પરચમના છાયા હેઠળ જગ્યા મળશે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.), હઝરત અલી (અ.સ.) અને નબીઓ (અ.સ.) મુસાફેહા કરશે.

(1) હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ મોઆવિયા બિન વહબને ફરમાવ્યુ:

અય મોઆવિયા બિન વહબ! કોઇ ડરના કારણે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતને તર્ક ન કરશો. શું તમે આવતી કાલે તે લોકોમાં ભળી જવા નથી માગતા જેઓની સાથે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) મુસાફેહા કરશે?

(કામેલુઝ્ઝીયારાત પાના: 118)

(2) હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી બીજી એક રિવાયતમાં આ પ્રમાણે છે:

અગર કોઇ ઇમામ હુસૈન(અ.સ.) (ની પવિત્ર કબ્ર)ની પાછળ એક નમાઝ પઢે તે કયામતના દિવસે ખુદા સાથે એવી રીતે મુલાકાત કરશે કે દરેક વસ્તુ તેના નૂરમાં ડૂબેલી હશે. ખુદાવંદે આલમ ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારોની ઇઝ્ઝત અને સન્માન કરશે. આગને તેઓને સ્પર્શ કરવાની રજા નહી આપે. ઝવ્વારનું સ્થાન હૌઝે કવસર હશે. હઝરત અલી(અ.સ.) હૌઝે કવસર ઉપર ઉભા હશે, તેમની સાથે મુસાફેહા કરશે, કવસરના પાણીથી તેઓને સૈરાબ કરશે.

(બેહારૂલ અન્વાર, ભાગ:101, પાના: 78)

(કામેલુઝ્ઝીયારાત, પાના:123)

(3) હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)થી રિવાયત છે:

જે કોઇ એક લાખ ચોવીસ હજાર નબીઓ (અ.મુ.સ.) સાથે મુસાફેહા કરવા ચાહતો હોય, તેણે 15 શાબાનુલ્ મોઅઝ્ઝમના ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરવી જોઇએ. મલાએકાઓ અને નબીઓની રૂહો ખુદા પાસે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતની રજા માંગે છે અને તેઓને રજા આપવામાં આવે છે. ખુશ કિસ્મત છે, તે લોકો જેમની સાથે નબીઓ મુસાફેહા કરે અથવા જે નબીઓ સાથે મુસાફેહા કરે. તેઓમાં પાંચ ઉલુલ અઝ્મ પયગમ્બરો છે, જનાબે નુહ (અ.સ.), જનાબે ઇબ્રાહીમ (અ.સ.), જનાબે મુસા(અ.સ.), જનાબે ઇસા (અ.સ.) અને હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)

(કામેલુઝ્ ઝીયારત, પાના: 181)

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) સાથે મુસાફેહા કરવા મળે તેવી દરેકની દિલી તમન્ના છે અને જેને આ શરફ મળે છે ચાહે તે સ્વપ્નમાં જ કેમ ન હોય? તે પોતાને ખુબજ ખુશકિસ્મત સમજે છે. પરંતુ તે લોકોના દરજ્જાઓ કેવા હશે કે જેઓની સાથે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) હઝરત અલી(અ.સ.) અને તમામ નબીઓ (અ.મુ.સ.) મુસાફેહા કરે.

પુલે સેરાત પર પસાર થવું ઝવ્વાર માટે સરળ થઇ જશે:

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)\ી રિવાયત છે:

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની તરફથી ઝવ્વાર માટે એક ફરિશ્તો મોકલવામાં આવશે. જે સેરાતને હુકમ આપશે કે ઝાએર માટે નરમ થઇ જા. તે જહન્નમની આગને હુકમ કરશે કે તારી કોઇ જવાળા ઝવ્વારની નજીક આવવા ન પામે, ત્યાં સુધી કે ઝવ્વાર પસાર ન થઇ જાય. હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) એ મોકલેલ ફરિશ્તો તેની સાથે સાથે રહેશે.

(બેહારૂલ અન્વાર, ભાગ:101 પાના:78)

(કામેલુઝ્ ઝિયારાત, પાના:123)

કયામતની સખ્તીઓથી નજાત:

કયામતની સખ્તીઓને કુરઆને કરીમે આ રીતે બયાન કરી છે:

અય લોકો! પોતાના રબથી ડરો અને તકવા ઇખ્તીયાર કરો. બેશક! કયામતનો ઝલઝલો ઘણી મોટી ચીજ છે. જે દિવસે તમે જોશો કે દુધ પીવરાવનાર ઔરતો પોતાના દુધ પીતા બાળકને ભુલી જશે, સગર્ભા ઔરત પોતાના ગર્ભને પાડી નાખશે, તમે તે દિવસે લોકોને મદહોશ પામશો, તેઓ નશામાં નહી હોય, પરંતુ અલ્લાહનો અઝાબ સખ્ત છે.

(સુરએ હજ, આયત: 1-2)

આ તો માત્ર કયામતની સખ્તીઓનો એક સામાન્ય નમુનો છે. આ સખ્તીઓથી નજાત હાસિલ કરવી દરેકની શક્તિની વાત નથી, પરંતુ આ સખ્તીઓથી નજાત હાસિલ કરવી પણ જરૂરી છે. ખુદાવંદે આલમે જ્યાં આ પ્રકારની સખ્તીઓની ચર્ચા કરી છે ત્યાં જ તેનાથી નજાત હાસિલ કરવાના તરીકા પણ બતાવ્યા છે. જો આપણે આ સખ્તીઓથી નજાત હાસિલ કરવા માંગતા હોઇએ તો તે રસ્તાઓને પણ અનુસરીએ. આ સખ્તીઓથી નજાત હાસિલ કરવાનો એક મહત્વનો રસ્તો હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત છે.

હઝરત અલી બિન અબી તાલિબ(અ.સ.)નું બયાન છે:

એક દિવસ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અમારા ઘરે તશરીફ લાવ્યા. અમે આપ (સ.અ.વ.)ની ખિદમતમાં જમવાનું હાજર કર્યુ…પછી આં હઝરત(સ.અ.વ.) ઘરના ખુણામાં મસ્જીદમાં ગયા. નમાઝ અદા કરી, લાંબો સજદો કર્યો, રડ્યા અને લાંબા સમય સુધી રડતા રહ્યા, જ્યારે સજદામાંથી માથુ ઉંચુ કર્યુ ત્યારે અમારામાંથી કોઇની હિમ્મત ન થઇ કે આં હઝરત(સ.અ.વ.)ને કંઇક સવાલ કરે. એટલામાં ઇમામ હુસૈન(અ.સ.) ઉભા થયા અને આં હઝરત(સ.અ.વ.)ના ખોળામાં બેસી ગયા અને પૂછયુ: નાનાજાન! કઇ ચીજે આપને આટલા રડાવ્યા?

આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યુ: મારા લાલ! આજે તમને લોકોને જોઇને ઘણો ખુશ હતો. મને આટલી વધારે ખુશી ક્યારેય થઇ ન હતી. એટલામાં જીબ્રઇલે અમીન (અ.સ.) તશ્રીફ લાવ્યા અને તેમણે મને ખબર આપી કે તમે લોકોને શહીદ કરવામાં આવશો. મેં ખુદાની હમ્દ કરી અને તેની પાસે ખૈર ચાહી. ઇમામ હુસૈન(અ.સ.)એ આં હઝરત (સ.અ.વ.)ને પુછયુ: નાનાજાન! જુદી જુદી જગ્યાઓ ઉપર અમારી કબ્રો હોવા છતા અમારી ઝિયારત માટે કોણ આવશે? ફરમાવ્યુ: મારી ઉમ્મતનો એક સમુહ મારી ખુશી અને મારી સાથે રાબેતો રાખવા સબબ ઝિયારત માટે આવશે. હું કયામતના મેદાનમાં તેઓની સાથે મુલાકાત કરીશ અને તેમના હાથ પકડી પકડીને કયામતની સખ્તીઓ અને ડરથી નજાત અપાવીશ.

(કામીલુઝ્ઝિયારાત, પાના:59)

આ રિવાયતોનો અભ્યાસ કરવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે જેઓ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરશે, કયામતમાં તેઓ:

(1) હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)થી મુલાકાત કરશે.

(2) તેઓને તેઓના ગુનાહોથી આઝાદ કરાવશે.

(3) કયામતની સખ્તીઓથી નજાત અપાવશે.

(4) જન્નતમાં લઇ જશે.

અગર ઇન્સાન વિચાર કરે કે ક્યાં આપણે સૌથી પસ્ત મખ્લુક, ગુનાહોમાં ડુબેલા, રૂહાની બિમારીઓમાં સપડાએલા, નેકીઓ વિનાના, ન કોઇ ખાસ ઇમાન, ન કોઇ કદર કરી શકાય તેવો અમલ.

ક્યાં દુનિયાની સૌથી મહાન વ્યક્તિ, તમામ નબીઓ અને મુરસલીનના સરદાર, તમામ કાએનાતના સર્જનનું કારણ. કયામતમાં તેમનાથી વધુ ઉચ્ચ અને સૌથી વધુ મરતબો ધરાવનાર અને અફઝલ કોઇ નહી હોય. તે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરનારાઓની ઝિયારત માટે આવે, તેઓની સાથે મુલાકાત કરે. તેઓના હાથ પકડીને દરેક પ્રકારની સખ્તીઓમાંથી નજાત અપાવે અને જન્નતમાં લઇ જાય.

શું આનાથી વધારે કોઇ અન્ય ઇઝ્ઝત કે સન્માનની કલ્પ્ના શક્ય છે?

જ્યાં સુધી શ્ર્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી ફુરસતને ગનીમત જાણી અલ્લાહ પાસે આજીજીપુર્વક ઝિયારતની દોઆ કરો અને જો ઝિયારત કરી ચુક્યા હોવ તો વારંવાર જવાની દુઆ કરો અને જો ઝિયારત માટે કરબલા જઇ શકાય તેવા સંજોગો ન હોય તો પોતાના ઘરમાં જ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત પડોે.

સૌથી વધુ શાનો શૌકત હશે:

કયામતના મેદાનમાં જ્યાં દરેક પોતાની મુશ્કેલીઓમાં ઘેરાએલ હશે ત્યાં જ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના ઝવ્વારોની શાન અને શૌકત કંઇક અલગ જ હશે.

ઝરીહ મહારબીએ હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની ખિદમતમાં અરજ કરી: મૌલા! જ્યારે હું મારી કૌમ અને સગાવ્હાલાઓને હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની મુબારક કબ્રની ઝિયારતના સવાબની જાણ કરૂ છુ, ત્યારે તેઓ મને જુઠલાવે છે અને કહે છે કે તમે હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) તરફ ખોટી વાતોને જોડો છો. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:

અય ઝરીહ! લોકોની પરવા ન કરો. તેઓ જે તરફ જાય છે તે તરફ જવા દો. ખુદાની કસમ! ખુદાવંદે આલમ ઇમામ હુસૈન (અ.સ.)ના ઝવ્વારો ઉપર ફખ્ર અને ગર્વ કરે છે. અલ્લાહના ખાસ ચુંટાએલા અને અર્શને ઉપાડનારા ફરિશ્તાઓ તેઓનું સન્માન કરે છે. ત્યાં સુધી કે ખુદાવન્દે આલમ મલાએકાઓને કહે છે: શું તમે ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારોને નથી જોઇ રહ્યા? જુઓ કે તેઓ કેવા શોખ અને લાગણીથી આવ્યા હતા. આ તમામ ઇમામ હુસૈન (અ.સ.) અને ફાતેમા ઝહરા (સ.અ.)ની મોહબ્બતમાં આવ્યા હતા.

મારી ઇઝ્ઝત, જલાલ અને અઝમતની કસમ! મેં મારી ઇઝ્ઝત અને એહતેરામ તેઓના માટે જરૂરી કર્યો છે. હું તેઓને એ જન્નતમાં જરૂર દાખલ કરીશ જે મેં મારા વલીઓ, મારા નબીઓ અને મારા પયગમ્બરો માટે તૈયાર કરી છે.

(બેહારૂલ અન્વાર, ભાગ:101, પાના:75)

(કામીલુઝ્ઝીયારાત પાના: 143)

હુરો ઇન્તેઝાર કરી રહી છે:

હઝરત ઇમામ મોહમ્મદે બાકીર(અ.સ.) અથવા હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ જનાબે ઝોરારહને ફરમાવ્યુ:

અય ઝોરારહ! દુનિયામાં જે પણ મોઅમીન છે તેના માટે જરૂરી છે કે તે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત થકી જનાબે ઝહરા (સ.અ.)ને ખુશ કરે.

ઇમામ(અ.સ.)એ આગળ ફરમાવ્યુ:

અય ઝોરારહ! કયામતના દિવસે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અલ્લાહના અર્શ નીચે બિરાજમાન હશે. ખુદા તેમના ઝવ્વારો અને શીયાઓને ભેગા કરશે. જેથી તેઓ ઇઝ્ઝત, સન્માન, તાજગી, ખુશી અને ભવ્યતાઓને જુએ અને તે બાબતોને જુએ જેની સિફતો ખુદાની સિવાય કોઇને ખબર નથી.

એટલામાં જન્નતની હુરોના પ્રતિનિધિઓ તેઓની પાસે આવશે અને કહેશે કે અમને હુરોએ આપની ખિદમતમાં મોકલ્યા છે અને અરજ કરી છે કે તેઓ આપની મુલાકાત માટે બેચૈન છે અને આપ લોકો મોડુ કરી રહ્યા છો! આ કારણે તેઓની ખુશી અને સન્માનમાં વધારો થશે. તેઓ આ પ્રતિનિધિઓને કહેશે: અમે ઘણી જલ્દીથી તેઓની પાસે આવીએ છીએ.

(બેહારૂલ અન્વાર, ભાગ:101 પાના:75)

સૌથી પહેલા જન્નતમાં જશે:

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:

કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારોને બાકીના લોકો ઉપર ઉચ્ચતા અને ફઝીલતો પ્રાપ્ત થશે.

ઝોરારાએ પુછયુ: શું શું ફઝીલતો હશે? ફરમાવ્યુ: આ હઝરતો બાકીના લોકોની સરખામણીમાં ચાલીસ વરસ વહેલા જન્નતમાં દાખલ થશે, જ્યારે બાકીના લોકો હિસાબ અને કિતાબમાં રોકાએલા હશે.

(કામેલુઝ્ઝિયારાત, પાના: 137)

જન્નતી દસ્તરખાન:

જનાબે અબુ બસીરથી રિવાયત છે કે મેં હઝરત ઇમામ મોહમ્મદે બાકીર(અ.સ.) અથવા હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી સાંભળ્યુ છે:

જે શખ્સ જન્નતમાં પોતાનું ઘર અને ઠેકાણું બનાવવા ચાહતો હોય તેણે મઝલુમની ઝિયારત છોડી ન દેવી જોઇએ. અરજ કરી: કોણ મઝલુમ? ફરમાવ્યુ: હુસૈન બિન અલી સાહેબે કરબલા. જે શોખથી, રસુલે ખુદા (સ.અ.વ.), જનાબ ફાતેમા(સ.અ.) અને જનાબે અમીર(અ.સ.)ની મોહબ્બતમાં તેઓની ઝિયારત કરશે, ખુદા તેને જન્નતના દસ્તરખાન પર બેસાડશે અને તે પંજેતનની સાથે જમશે, જ્યારે બાકીના લોકો હિસાબ અને કિતાબમાં સપડાએલા હશે.

(કામેલુઝ્ઝિયારાત, પાના:137)

100 લોકોની શફાઅત કરશે:

ઘણા ઓછા લોકો એવા હશે કે જેઓ પોતાના ઇમાન અને અમાલના હિસાબે જન્નતમાં જશે. નહી તો દરેક શફાઅતના કારણે જ જન્નતમાં જશે. અમુક લોકો જન્નતમાં જવા માટે શફાઅતના મોહતાજ હશે અને અમુક જન્નતમાં દરજ્જાઓમાં વધારો કરવા માટે શફાઅતના મોહતાજ હશે. શફાઅતનો મૂળ હક ખુદાવન્દે આલમને જ હાસિલ છે. તેણે આ સન્માન અને હક મોહમ્મદ વ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ને અતા કર્યો છે. કયામતમાં દરેક લોકો મોહમ્મદ વ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ની શફાઅતના મોહતાજ હશે અહલેબૈત(અ.મુ.સ.) લોકોની શફાઅત કરશે અને અમુક નસીબદાર લોકો એવા પણ હશે કે જેઓને મોહમ્મદ વ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની શફાઅત કંઇક એવી રીતે નસીબ થશે કે તેઓ પોતે પણ અન્ય લોકોની શફાઅત કરશે. આ પ્રકારના લોકોમાં હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના ઝવ્વારોને વિશેષ દરજ્જો મળેલ છે.

તુસના એક રહેવાસીએ હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ને પુછયુ: અય ફરઝંદે રસુલ! જે શખ્સ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરે તેનું શું સ્થાન છે? ફરમાવ્યુ:

અય તુસના રહેવાસી! જે મારા વાલિદ હઝરત ઇમામ હુસૈન બિન અલી(અ.સ.)ની કબ્રની ઝિયારત એ મઅરેફતની સાથે કરે કે તે ખુદા તરફથી નિમાએલા ઇમામ છે અને તેમની તાબેદારી વાજીબ અને જરૂરી છે, ખુદા તેના આગળના થઇ ગયેલા અને પછીના થવાવાળા તમામ ગુનાહો માફ કરી દેશે અને ગુનેહગારોના હકમાં તેની શફાઅત કબુલ કરી લેશે. તેઓ (અ.સ.)ની કબ્રની પાસે જે દોઆ માંગવામાં આવશે તે જરૂર કબુલ થશે.

(આમાલીએ શૈખે સદુક(અ.ર.), પાના:526)

આ રિવાયતમાં 70 લોકોની શફાઅતની વાત છે. એક બીજી રિવાયતમાં આવી 100 વ્યક્તિઓની શફાઅતની વાત છે જે લોકો માટે જહન્નમનો ફેસલો થઇ ગયો હતો. એટલે કે જો આ શફાઅત નસીબ ન થતે તો તેઓ જહન્નમમાં જતે.

શૈફ તમ્મારથી રિવાયત છે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ને તેણે કહેતા સાંભળ્યા:

કયામતમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારો 100 વ્યક્તિઓની શફાઅત કરશે. જેમાંના દરેકને માટે દોઝખ જરૂરી ગણવામાં આવી હતી. આ એ લોકો હતા જેઓ દુનિયામાં ઇસરાફ કરતા હતા.

(કામેલુઝ્ઝીયારાત પાના:165)

એક બીજી રિવાયતમાં છે કે પોતાના ખાનદાનની વ્યક્તિઓ સિવાય એક હજાર દીની ભાઇઓની શફાઅત કરશે.

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)\ી રિવાયતમાં છે:

અગર કોઇ ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે જાય અને ત્યાં કત્લ કરી દેવામાં આવે, તે સમયનો હાકિમ તેની ઉપર ઝુલ્મ કરે અને તે કત્લ થઇ જાય તો જેવું તેના લોહીનું પહેલુ ટીપુ જમીન ઉપર પડશે તેવા જ તેના તમામ ગુનાહ માફ કરી દેવામાં આવશે. તેના ખાનદાનવાળા અને એક હજાર દીની ભાઇઓના હકમાં તેની શફાઅત કબુલ કરવામાં આવશે.

(કામેલુઝ્ઝીયારાત પાના:124)

આ શફાઅત મેળવનાર વ્યક્તિઓની સંખ્યામાં તફાવત ઝવ્વારની મઅરેફત અને ઝિયારતની તકલીફો સહન કરવા ઉપર આધારીત છે. જ્યારે આજકાલના ઝવ્વારો કાફલાવાળાને સવાલ કરે છે, તમે તમારા કાફલામાં અમને શું શું સગવડતાઓ આપશો. આવા લોકો ઝિયારતના સફરને એક આનંદ મેળવવા માટેનો સફર સમજતા હોય છે. તેઓ એ ભુલી જાય છે કે આ સફરમાં જેટલી તકલીફો થશે, સવાબ પણ તેટલો જ વધારે મળશે. અફસોસ છે કે તે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારતમાં આરામ અને સગવડોની માંગણીઓ કરીએ છીએ, જેમણે ખુદ કરબલાના મેદાનમાં એટલી મુસીબતો અને દુ:ખો સહન કર્યા, જેની મિસાલ પહેલેથી છેલ્લે સુધી ક્યાંય જોવા મળતી નથી.

ખુદાવંદ મુતઆલની રહેમતોમાં હશે:

અબ્દુલ્લાહ બિન મુસ્કાને હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)ને કહેતા સાંભળ્યા:

જે શખ્સ ખુદાવંદે આલમની ખુશનુદી માટે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરશે, ખુદા તેને ગુનાહોથી એવી રીતે પાક સાફ કરી દેશે જાણે કે તે હમણાં જ માના પેટમાંથી પેદા થયો હોય. આસ્માનના ખુણે ખુણામાંથી ખુદાની રહેમત તેને ઘેરી લેશે. મલાએકા આ રીતે તેને અવાજ દેશે: મુબારક થાય! તમે ઝિયારત કરીને પાક સાફ થઇ ગયા અને પછી તેના ખાનદાનમાં તેનું રક્ષણ કરવામાં આવશે.

(કામેલુઝ્ઝીયારાત પાના:145)

કલેજુ ઠંડુ રહેશે:

દુનિયામાં થોડી એવી ગરમી પણ આપણાથી સહન નથી થતી. થોડા તડકામાં શરીર બફાવા લાગે છે. ત્યારે કયામતની ગરમી? એક તરફ કયામતનો ભય, હિસાબ અને કિતાબની બેચૈની, આગથી ઉકળતી જહન્નમ, ભરખી જતી જવાળાઓ, ખુદાનો ગઝબ… આવી પરિસ્થિતિમાં જો કોઇ ચાહે કે તેનું કલેજુ ઠંડુ રહે અને કયામતના મેદાનની ગરમીથી સુરક્ષિત રહે તો તે અરફાના દિવસે ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરે.

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.) અને હઝરત ઇમામ અલી રઝા(અ.સ.)થી રિવાયત છે:

જે અરફાના દિવસે (9મી ઝિલ્હજ્જતુલ્ હરામ) ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્રની ઝિયારત કરશે, ખુદા તેના કલેજાને ઠંડુ રાખશે.

(કામેલુઝ્ઝીયારાત પાના: 170)

મલાએકાના સરદાર હશે:

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત છે.

જેણે અરફાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરી, ખુદા તેને હઝરતે હુજ્જત(અ.સ.)ની સાથે હજાર હજાર હજ કરવાનો સવાબ આપશે અને ખુદા તેને ‘અબ્દીસ્સીદ્દીક’ ‘મારા સાચા બંદા’ કહીને સંબોધશે. મારો આ સાચો બંદો છે, જે મારા વાયદા ઉપર યકીન ધરાવે છે અને મલાએકા કહેશે કે ફલાણો ‘સિદ્દીક’ છે. ખુદાએ તેને અર્શની ઉપર પાક અને પાકીઝા ગણાવ્યો છે અને તેને દુનિયામાં ‘કરૂબી’ના નામથી બોલાવવામાં આવશે.

(કામેલુઝ્ઝીયારાત પાના:172)

 ડિક્ષનરીમાં ‘કરૂબી’ મલાએકાના સરદારને કહે છે.

કોઇ વસ્તુ સાથે સંબંધ દર્શાવવો તે એક સામાન્ય વસ્તુને મહાન બનાવી દેય છે. ખાનએ કઅબા, કુરઆને કરીમ, મસ્જીદુલ હરામ… આ તમામ ખુદાની તરફથી સંબંધ દર્શાવેલ હોવાના કારણે મહાન અને સન્માન કરવાને પાત્ર છે. આ રિવાતયતમાં ખુદાવંદે આલમ હઝરત ઇમામ હુસૈન(અ.સ.) ના ઝવ્વારને ‘અબ્દીસ્સીદ્દીક’ (મારો સાચો બંદો) કહીને સંબોધન કરી રહ્યો છે અને તેના માટે ‘અબ્દી’નો શબ્દ વાપરી રહ્યો છે. ઝવ્વારનો પોતાની તરફ સંબંધ દર્શાવી રહ્યો છે અને પોતાનો બંદો કહી રહ્યો છે. ‘અબ્દીય્યત’ એક સૌથી ઉચ્ચ સ્થાન છે. જેનો અંદાજ તશહ્હુદથી થઇ જાય છે. તશહ્હુદમાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની રિસાલતની ગવાહી પહેલા તેમની અબ્દીય્યતની ગવાહી આપીએ છીએ.

અશ્હદો અન્ન મોહમ્મદન અબ્દોહુ વ રસુલોહ

ઇમામ હુસૈન(અ.સ.)ને શહાદતના કારણે અલ્લાહથી એટલી નઝદીકી હાસિલ થઇ છે કે ઇમામ હુસૈન (અ.સ.)ને ‘સારલ્લાહ’ કહે છે અને કદાચ આ સંબંધથી જ ખુદાવંદ મુતઆલ ઇમામ હુસૈન (અ.સ.)ના ઝવ્વારને પોતાનો બંદો ‘અબ્દી’ કહી રહ્યો છે.

જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં જગ્યા મળશે:

જન્નતમાં જવુ તે દરેકની તમન્ના છે. જન્નતમાં જવુ તે પોતે એક ખુબજ મહત્વનો તબક્કો છે. જહન્નમના અઝાબથી સુરક્ષિત થઇ જવું અને જન્નતમાં ચાલ્યા જવુ એ સહેલુ નથી અને જન્નતમાં ઉચ્ચ સ્થાન અને મકાન મેળવવુ ઘણુંજ મુશ્કેલ છે, પરંતુ મોહમ્મદ વ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની વિલાયત અને મોહબ્બત તે મહાન નેઅમત છે જેના સહારે સૌથી મુશ્કેલ બાબતો પણ આસાન થઇ જાય છે અને સૌથી ઉચ્ચ દરજ્જાત સુધી પહોંચવુ શક્ય બની જાય છે.

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત છે:

જે કોઇ મઅરેફતની સાથે ઇમામ હુસૈન (અ.સ.)ની પવિત્ર કબ્રની ઝિયારત કરશે ખુદા તેને જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં આ’લા ઇલ્લીય્યીનમાં સ્થાન આપશે.

(કામેલુઝ્ઝીયારાત પાના:147)

દરેક જાણે છે કે આ’લા ઇલ્લીય્યીન (જન્નતના ઉંચા ઉંચા મકાનો) જન્નતનો સૌથી ઉચ્ચ દરજ્જો છે.

ખુદાવંદે આલમ આપણને સૌને હઝરતે વલીએ અસ્ર ઇમામે ઝમાના(અ.સ.)ની સાથે વારંવાર ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્રની ઝિયારતની ખુશનસીબી અતા કરે. આમીન.

પરંતુ એ વાત પણ ધ્યાનમાં રહે કે ઝિયારત આનંદ મેળવવા માટેની સફર તરીકે ન હોય. આપણે ઝિયારતથી એવી રીતે પરત ફરીએ જેવી રીતે એક બીમાર હોસ્પીટલથી શીફા મેળવીને ઘરે પરત ફરે છે. જ્યારે આપણે ઝિયારતના સફરથી પરત ફરીએ ત્યારે તમામ ખરાબ આદાબ અને અખ્લાકથી પાક થઇને અને દીન અને અહલબૈત(અ.મુ.સ.)ના અખ્લાકથી સુશોભિત થઇને પરત ફરીએ. આમીન…

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *