મઝહબે – ઇસ્લામ એ ઇલાહી મઝહબ છે. તેમ છતાં વર્તમાનયુગમાં વિશ્વકક્ષાએ મઝહબે ઇસ્લામ વિશે જે ખોટો, ભ્રામક પ્રચાર કરવામાં આવે છે. અને આવા ઝેરી પ્રચાર અને, પાયાહીન શંકા કુશંકા ઊભી કરીને કેટલાક લોકોને ‘ઇસ્લામ’ ના નામ સાથે દુશ્મની થાય તેટલી હદ સુધી નફરત ઊભી કરી દીધી છે, બરાબર તેવી જ હાલત ઇસ્લામમાં ‘અકીદએ – મહદવીયત’ની છે. આ ઉપરાંત કેટલાક લોકો એવા પણ છે જે આ અકીદાને સનદ અને હવાલાના કારણે વિવશતાથી કબુલ તો કરે છે પણ હઝરત મહદી (અ.જ.) ની ઝાત અને સિફતો સંબંધેની વિગતવાર હદીસોનો ઇન્કાર કરે છે.
ઇમામ મહદી (અ.સ.) ના અકીદા વિશેની જેટલી પણ ગેર સમજણ ઊભી થઇ છે તે માટે બેપ્રકારના લોકો જવાબદાર છે. પહેલા તો એ લોકો જેને ‘નકલી આલીમો’ કહેવા યોગ્ય ગણાશે. આપણે ઇતિહાસ પર ઉડતી નજર નાખીએ તો ઈતિહાસમાં દરેક યુગમાં એવા લોકોના સમૂહ જોવા મળે છે, જેનો પહેરવેશ અને દેખાવ તો આલીમો જેવો જ હતો પણ તેમની પ્રવૃતિ, અકીદા અને દ્રષ્ટિકોણમાં જેતે હુકુમતની પુજા અને પૈરવી મુખ્ય હતી. આ પ્રકારના લોકો એજ તેમના વખતની હુકુમતની ઇલાહી હુકુમત સાબિત કરવા માટે જાએઝ અને નાજાએઝ બંને પ્રકારની રીત અને નીતિ અપ્નાવી લીધી હતી. અને તેમની સાચી – ખોટી વાતોના રક્ષણ માટે જ અકીદ – એ – ઇમામ મહદી (અ.સ.) ની વિરૂદ્ધમાં જુદી જુદી રીતે ખોટો પ્રચાર શરૂ કરી દીધો.