પ્રસ્તાવના :-
આજની દુનિયામાં આપણને જુદી જુદી મઝહબી માન્યતા ધરાવતા લોકો જોવા મળે છે તેમાંથી અમુક વકતાઓ છે, અમુક લેખકો છે, જે પોતાના વિચારોને વ્યકત કરવામાં કુશળ હોય છે અને બીજા સાધારણ દરજ્જાના એ લોકો પણ છે, જેઓ પોતાના વિચારોમાં ખોવાઈને કોઈપણ ખોટી માહિતીથી પ્રભાવિત થઈ જાય છે. તેઓ પોતાની ખોટી માન્યતા સાચી સાબિત કરવા બધા જ પ્રયત્નો કામે લગાડે છે, પરંતુ નકલી અને જુઠ કયારેય અસલી અને સાચુ નથી બની શકતું. આથી હકથી ગુમરાહી તેમનો અને તેમના પ્રચારકોનો અંત બને છે.
આ બારામાં એક દાખલો ઇબ્ને ખલ્દુન છે. ઈબ્ને ખલ્દુન ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ના વિષે શક ધરાવે છે જ્યારે કે રીસાલતે મઆબ(સ.અ.વ.)ની ભવિષ્યવાણી ઉપર તમામ ઇસ્લામી ફીરકા એ વાત ઉપર એકમત છે કે આપ (સ.અ.વ.) ના બાર જાનશીન હશે અને તે બધા જ ઔલાદે ફાતેમા (સ.અ.)માંથી હશે અને બારમાં જાનશીન ઇમામ મહદી (અ.સ.) હશે, જે આ દુનિયાને અદ્લ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે, જેવી રીતે આ દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે. એવીજ રીતે બીજી પણ નિશાનીઓ આપ હઝરત(સ.અ.વ.) એ બયાન ફરમાવી છે.
બીજો દાખલો જલાલુદ્દીન સીયુતીનો છે, તેણે પોતાની અજ્ઞાનતા જાહેર કરતા લખ્યું છે કે બાર જાનશીન પયગંબરે ઇસ્લામના વખતના ચાર ખલીફાઓ છે, ચાર બની ઉમય્યાથી છે અને બે બની અબ્બાસથી છે, અને બે ખલીફા વિષે જાણકારી નથી. પરંતુ ભરોસાપાત્ર હદીસો સાબિત કરે છે કે આખરી ઝમાનામાં બારમાં જાનશીન કયામ કરશે અને તે દુનિયાને અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે.
બીજી એક મશ્હુર હદીસ કે જે તમામ મુસલમાનો સ્વીકારે છે:
‘જે પોતાના ઝમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી જાય તો તે જેહાલતની (કુફ્રની) મૌતે મરશે.’