ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓ આપના શીયાઓના જીવનનાં દરેક સ્તરે ગુંજી રહ્યા છે. ઈમામના ચાહનારાઓનો જીવન વ્યવહાર આપના સંદેશાઓનું બોલતું પુસ્તક છે. ઉઠવું, બેસવું, સુવું, જાગવું, ખાવું, પીવું, ઘર, સમાજ એટલે કે અલીના શીયાઓના જીવનનો દરેક ભાગ ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓથી ભરપુર છે. હવે એ વાત જુદી છે કે આ હકીકતના પ્રતિબિંબમાં અમુક એવા લોકો અને અમુક જવાનો એવા પણ છે કે જે પોતાનો ચહેરો જોઈને પણ પોતાના ચહેરાને નથી ઓળખતા. બલ્કે એ કહેવું વધું યોગ્ય ગણાશે કે કોમ અને સમાજની જે નવી પેઢી આવી છે જેમાં હુસયન અ.સ. ના સંદેશાઓના મુળ ઉદ્દેશને એક હદ સુધી ગુમાવી રહ્યા છે, તેના અનેક કારણો છે. પહેલું કારણ તો એ છે કે સંદેશા આપનાર માધ્યમો નબળા છે તેની સાથે સાથે સંદેશો લેનારના દિલ અને દિમાગમાં તે સ્વિકારવા માટેની સમજ શકિતને પોષણ અને ફુલવા ફાલવા માટેની ફળદ્રુપ જમીનને યોગ્ય તરી નથી મળી રહી.